લંડનઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં રાજકીય મોરચે ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડનથી હારનો સામનો કરી રહેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘરમાં પણ મુશ્કેલીઓનો સામનો કરે એવી શક્યતા છે. આવનારા દિવસોમાં ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલાનિયા ટ્રમ્પની વચ્ચે છૂટાછેડા થાય એવી શક્યતા છે. વ્હાઇટ હાઉસ છોડવાની સાથે મેલાનિયાની યોજના ટ્રમ્પનો સાથ છોડવાની છે.
ડેલી મેઇલના ભૂતપૂર્વ સહયોગીએ દાવો કર્યો
ડેલી મેઇલે મેલાનિયાના એક ભૂતપૂર્વ સહયોગીના હવાલેથી આ દાવો કર્યો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મેલાનિયા ટ્રમ્પ પોતાની હાર સ્વીકાર કરવાની અને વ્હાઇટ હાઉસ છોડવાની રાહ જોઈ રહી છે. બાઇડનથી હાર્યા પછી ટ્રમ્પે સત્તાવાર રીતે પોતાની હારનો સ્વીકાર નથી કર્યો. બલકે ડેમોક્રેટ ઉમેદવાર ચૂંટણીમાં ગેરરીતિ આચર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ટ્રમ્પના ભૂતપૂર્વ સહયોગી ઓમારોસા મેનીગોલ્ટ ન્યુમેને કહ્યું હતું કે મેલાનિયા માત્ર ટ્રમ્પના વ્હાઇટ હાઉસથી નીકળવાની ઘડીની રાહ જોઈ રહી છે. ટ્રમ્પના બહાર જવાની સાથે બંને વચ્ચે ડિવોર્સ થવાની શક્યતા છે.
બંને વચ્ચે તાલમેલ નથી
ભૂતપૂર્વ સહયોગીનું કહેવું છે કે ટ્રમ્પ અને મેલાનિયાની વચ્ચે લગ્ન ટ્રાન્ઝેક્શનલ છે અને બંનેની વચ્ચે બધું સમુસૂતરું નથી. ટ્રમ્પ અને મેલાનિયાની વચ્ચે જો ડિવોર્સ થશે તો બંનેના 15 વર્ષ જૂના લગ્નનો સંબંધ પૂરો થઈ જશે. ન્યુમેને વધુમાં કહ્યું હતું વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પના રહેતાં મેલાનિયા જો તેમને છોડીને ચાલી જાય છે તો એવામાં ટ્રમ્પ તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરે એવી સંભાવના છે.
લગ્ન તૂટ્યા પછી એગ્રીમેન્ટ પર કામ કરી રહી છે મેલાનિયા
ભૂતપૂર્વ સ્લોવની-અમેરિકી મોડલ લગ્ન તૂટ્યા પછી એગ્રીમેન્ટ પર કામ કરી રહી છે, એમ ટ્રમ્પના ભૂતપૂર્વ સહયોગી સ્ટેફની વોલકોફના હવાલેથી અહેવાલમાં કહેવામાં આવ્યું હતું. એ ઇચ્છે છે કે તેમણે ટ્રમ્પના પુત્ર બેરનને મિલકતમાં સમાન હિસ્સો મળે. રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ આવી ગયા હતા, પણ મેલાનિયા આશરો પાંચ મહિના પછી ન્યુ યોર્કથી વોશિંગ્ટન પહોંચી હતી. અહેવાલો મુજબ મેલાનિયા પોતાના પુત્રનું શિક્ષણ પૂરું કરવા માટે ન્યુ યોર્ક રોકાયાં હતાં.
વર્ષ 2005માં મેલાનિયા અને ટ્રમ્પનાં લગ્ન થયાં હતાં
મેલાનિયા અને ટ્રમ્પના લગ્ન 2005માં થયાં હતાં. લગ્નના એક વર્ષ પછી 2006માં બેરનનો જન્મ થયો હતો. મેલાનિયા માર્ચ, 2001થી અમેરિકી નાગરિક છે. મેલાનિયાના હવાઇટ પહોચ્યા પછી બંનેના સંબંધો સામાન્ય નહોતા રહ્યા. ટ્રમ્પ અને મેલાનિયાની વચ્ચે મનભેદ પહેલાં પણ આવી ચૂક્યા છે. મેલાનિયા હંમેશાં ટ્રમ્પની સાથે ઊભેલા નજરે ચઢ્યાં છે. 2016ની રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં તેમણે જોરશોરથી પ્રચાર કર્યો હતો અને સભાઓમાં ટ્રમ્પની સાથે હતાં, પણ 2020માં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં તેઓ ટ્રમ્પની સામે ઓછા દેખાયાં હતાં. વળી, ચૂંટણીના અંતિમ તબક્કામાં મેલાનિયા એક રીતે ગાયબ જ હતાં.




















કંગના રણોત આવી અર્ણબ ગોસ્વામીના બચાવમાં…
મનાલી (હિમાચલ પ્રદેશ): રિપબ્લિક ટીવી ચેનલના વડા તંત્રી અર્ણબ ગોસ્વામીની કરાયેલી ધરપકડ મામલે બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌતે વિડિયો નિવેદન બહાર પાડ્યું છે અને મહારાષ્ટ્ર સરકાર, ખાસ કરીને શાસક શિવસેના પાર્ટીની આકરાં શબ્દોમાં ટીકા કરી છે.
કંગનાએ એવો આરોપ મૂક્યો કે રિપબ્લિક મીડિયા નેટવર્કના સંસ્થાપક અર્ણબ ગોસ્વામીએ ડ્રગ માફિયાની પોલ ખોલી નાખી હોવાથી, ‘BullyDawood’માં બાળકોની ચોરીના વ્યાપારની પોલ ખોલી નાખી હોવાથી અને સોનિયા ગાંધી (કોંગ્રેસ પ્રમુખ)ને એમનાં મૂળ નામથી બોલાવવા બદલ એમની ધરપકડ કરાઈ છે અને ત્રાસ આપવામાં આવી રહ્યો છે.
કંગનાએ કહ્યું કે મોટા ભાગના લોકોને તો એ વાતની ખબર પણ નથી કે આ વરિષ્ઠ પત્રકારને કયા કારણસર જેલમાં બંધ કરવામાં આવ્યા છે.
કંગનાએ લોકોને સમજાવતાં કહ્યું કે 2018માં એક શખ્સે આત્મહત્યા કરી હતી અને એણે પોતાની સુસાઈડ નોટમાં અમુક લોકોના નામ લક્યા હતા, જેમાંનું એક નામ અર્ણબ ગોસ્વામીનું પણ હતું. તે શખ્સે સુસાઈડ નોટમાં એવો દાવો કર્યો હતો કે ગોસ્વામીએ પોતાને પૈસા નથી આપ્યા. બીજી બાજુ, રિપબ્લિક ટીમનું કહેવું છે કે એમણે પૈસા ચૂકવી દીધા હતા. એ તો ભગવાન જ નિર્ણય લઈ શકે છે કે કોઈ પૈસા ન આપે તો કોઈ આત્મહત્યા કરી શકે કે નહીં.
કંગનાએ ટ્વિટર પર પોસ્ટ કરેલા વિડિયોમાં વધુમાં જણાવ્યું છે કે જો એવું હોય તો આ આત્મહત્યા માટે મજબૂર કરવાનો મામલો છે કે નહીં. આ મામલો એવો છે કે નહીં, એ બાબતમાં જ એટલું બધું ટ્રાયલ થઈ ગયું છે કે તે પણ વિચારવા જેવી વાત છે. બધાયને ખબર છે કે અર્ણબને શા માટે જેલમાં લઈ જવામાં આવ્યા છે. એમને ‘પપ્પૂ સેના’ દ્વારા યાતના આપવામાં આવી રહી છે, કારણ કે એમણે સોનિયા ગાંધીનું ‘મૂળ નામ’ લીધું હતું.
કંગનાએ મહારાષ્ટ્ર સરકારને ફાસિસ્ટ (ફાસીવાદી) કહી અને કહ્યું કે પપ્પૂ સેનાએ આ બેવકૂફી કરીને અર્ણબ ગોસ્વામીને આજ સુધીના સૌથી લોકપ્રિય પત્રકાર બનાવી દીધા છે. એમને ખબર નહીં હોય તો તે એમને જેટલી વધારે યાતના આપશે, હેરાન કરશે એટલી એમની લોકપ્રિયતા વધતી જશે. ઈતિહાસ પપ્પૂ સેનાને એ જ રીતે યાદ રાખશે કે એણે બંધારણના ચોથા સ્તંભ સાથે આવી જબરદસ્તી કરી હતી.
ઈતિહાસ અર્ણબ ગોસ્વામીને એક હિરોના રૂપમાં યાદ રાખશે. આ લડાઈ માત્ર એમની કે અર્ણબ વચ્ચેની નથી, પણ સમગ્ર સભ્યતા અને ભારતવર્ષની લડાઈ છે, એમ પણ કંગનાએ કહ્યું.
અર્ણબ ગોસ્વામીને હાલ રાયગડ જિલ્લાના અલિબાગમાં એક ક્વોરન્ટાઈન સેન્ટરમાં અદાલતી કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. એમણે જામીન માટે મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરી છે, જેનો ચુકાદો કોર્ટ આવતીકાલે આપવાની છે.