Home Blog Page 4479

હાર્દિક પટેલ 24મી સુધી કસ્ટડીમાં; પ્રિયંકાએ ભાજપની ઝાટકણી કાઢી

અમદાવાદ – રાજદ્રોહના કેસમાં કોંગ્રેસી નેતા હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી છે અને એમને સ્થાનિક કોર્ટે 24 જાન્યુઆરી સુધી અદાલતી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.

હાર્દિક પટેલને શનિવારે રાતે અમદાવાદ જિલ્લાના વિરમગામમાંથી પકડવામાં આવ્યા હતા. 2015ની સાલમાં કરવામાં આવેલા રાજદ્રોહના કેસમાં તેઓ ટ્રાયલ કોર્ટ સમક્ષ હાજર ન થતાં એમની ધરપકડ કરવામાં આવી હતી.

હાર્દિકે 2015ની 25 ઓગસ્ટે અમદાવાદમાં યોજેલી એક રેલી દરમિયાન હિંસા ફાટી નીકળ્યા બાદ સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચે એમની સામે રાજદ્રોહનો કેસ નોંધ્યો હતો અને ત્યારે એમની ધરપકડ કરી હતી.

હાર્દિકને 2016ના જુલાઈમાં જામીન મંજૂર કરવામાં આવ્યા હતા અને 2018ના નવેંબરમાં કોર્ટે એમની સામે તથા અન્ય આરોપીઓ સામે આરોપ માન્ય રાખ્યા હતા.

પાટીદાર સમાજના નેતા હાર્દિકના વકીલે નોંધાવેલી માફીની અરજી વિરુદ્ધ ગુજરાત સરકારે નોંધાવેલી અરજીનો શનિવારે એડિશનલ સેશન્સ જજ બી.જી. ગણાત્રાએ સ્વીકાર કર્યા બાદ હાર્દિકની ધરપકડનું વોરંટ બહાર પાડ્યું હતું. ફરિયાદી પક્ષે કોર્ટમાં જણાવ્યું હતું કે કોર્ટમાં પ્રત્યક્ષ હાજર રહેવામાંથી નિયમિત રીતે મુક્તિ માગીને કેસના મુકદ્દમાને વિલંબમાં નાખવાનો આરોપી હાર્દિક પટેલનો ઈરાદો છે.

કોર્ટે એવું અનુમાન વ્યક્ત કર્યું હતું કે આ કેસમાં હાર્દિક પટેલની ઉલટતપાસ લેવાની રહેશે અને મુકદ્દમાને વિલંબમાં નાખવાના ઈરાદા સાથે નિયમિત રીતે કોર્ટમાં ગેરહાજર રહીને એમણે જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યું છે.

ભાજપ હાર્દિક પટેલને પરેશાન કરે છેઃ પ્રિયંકા ગાંધીનો આરોપ

દરમિયાન કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ કહ્યું છે કે એમની પાર્ટીના નેતા હાર્દિક પટેલને ભારતીય જનતા પાર્ટી સતત પરેશાન કરી રહી છે.

પ્રિયંકાએ ટ્વીટ કરીને કહ્યું છે કે, હાર્દિક પટેલ કિસાનોનાં અધિકારો તથા યુવાવ્યક્તિઓને રોજગાર અપાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, પણ ભાજપા એને સતત પરેશાન કરી રહી છે. હાર્દિક પોતાના સમાજનાં લોકો માટે અવાજ ઉઠાવે છે, એમને માટે નોકરી તથા શિષ્યવૃત્તિની માગણી કરી રહ્યા છે. એ કિસાન આંદોલનને આગળ વધારી રહ્યા છે. પણ ભાજપ એમને દેશદ્રોહનું નામ આપી રહી છે.

ઈરાને પ્રતિબંધો વચ્ચે કેવી રીતે શસ્ત્રજમાવટ કરી?

રાન તુર્કી પાકિસ્તાન અને ચીનની એક ધરી બની રહી હતી. ઉત્તર કોરિયાની જેમ ઈરાન પણ અણુશસ્ત્રો બનાવવા માટે કોશિશમાં લાગ્યું હતું અને લાગેલું પણ છે. ચીન તરફથી મદદ મળે તે શક્ય હતું, પણ અમેરિકાએ પ્રતિબંધો મૂકીને આ કામમાં વિઘન આવે તેવી કોશિશ ચાલુ રાખી હતી. ઇઝરાયલ તુર્કીની નજીક હોવાથી તેના પર વધારે જોખમ હતું. વચ્ચે એવા સમાચારો તમે વાંચ્યા હશે કે ઈરાનના અણુકેન્દ્રો પર હુમલો કરવા માટે ભારતની મદદ મગાઈ હતી.


દરખાસ્ત એવી હતી કે ઇઝરાયલના વિમાનો ત્યાંથી ઊડીને ઈરાનના અણુકેન્દ્રો તોડી પાડે અને પછી ભારતમાં કોઈ એર પોર્ટ પર ઉતરાણ કરીને ફ્યુઅલ લઈને પરત જતું રહે. જોકે ભારત તૈયાર થયું નહોતું. ત્યારબાદ અમેરિકાએ વેપારી પ્રતિબંધો મૂકીને ઈરાનને પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું. મધ્યપૂર્વના બીજા દેશો ક્રૂડ ઑઇલ વેચીને અઢળક કમાણી કરે છે. તે કમાણીમાંથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈમારતો, ટુરીઝમ પાછળ રોકાણ થયું છે. ઈરાન શસ્ત્રો અને ટેક્નોલૉજી પાછળ ખર્ચ કરીને મજબૂત ના થાય તે માટે પ્રતિબંધો મૂકાયા હતા.

આમ છતાં ઈરાન કેવી રીતે શસ્ત્રો મેળવતું રહ્યું અને અમેરિકા સામે બાથ ભીડવાની હિંમત કેમ કરી તે સવાલ ઘણાને થશે. જોકે હાલ યુદ્ધની સ્થિતિ ટળી ગઈ છે, કેમ કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ટ ટ્રમ્પને પણ વિશ્વમાં કોઈએ સાથ આપ્યો નહોતો. સુલેમાનીની ડ્રોનથી હત્યા કરીને અમેરિકાનું અને ટ્રમ્પનું કામ પતી ગયું છે એટલે તેને યુદ્ધની બહુ જરૂર નથી. ઈરાન માટે મુશ્કેલ સ્થિતિ છે અને પ્રજાના રોષને ખાળવા માટે અમેરિકા સામે કશીક કાર્યવાહી કરવી જરૂરી છે. ઈરાને થોડા હુમલા કર્યા પણ છે, પણ આખરે ઈરાન તરફથી પણ અણસાર મળ્યો છે કે સીધા યુદ્ધમાં નહિ ઉતરે.
પરંતુ ઈરાન કેવી રીતે મજબૂત બનતું રહ્યું છે અને અમેરિકાના સૈનિકો ઘૂસે તો સામનો કરવા કેવી રીતે તૈયાર થયું હતું? બ્રિટિશ અખબારોએ દેશની જાસૂસી સંસ્થાના સ્રોતોને ટાંકીને જણાવ્યું છે કે પ્રતિબંધો વખતે ઈરાને સૌથી વધુ ધ્યાન સેનાને મજબૂત કરવા માટે આપ્યું હતું. ઈરાનના પ્રમુખ હસન રુહાનીએ ધાર્મિક આગેવાનોની મંજૂરી સાથે સૌથી વધુ ખર્ચ શસ્ત્રો પાછળ કર્યો છે. આધુનિક યુદ્ધ સાયબર યુદ્ધ કહેવાશે અને તેમાં ડ્રોન અને સેટેલાઇટ અને ઇન્ટરનેટથી હુમલા થશે તે સ્પષ્ટ છે. ઈરાને સાયબર સિક્યુરિટી માટે તૈયારીઓ કરીને તેની પાછળ 140 કરોડ રૂપિયા વાપર્યા હોવાનું માનવામાં આવે છે.

ઈરાને શસ્ત્રો ખરીદવા કરતાંય શસ્ત્રોના ઉત્પાદન પર ધ્યાન આપ્યું હતું. તે મોટા પાયે શસ્ત્રો બનાવીને બીજા દેશોને ઉલટાનું વેચતું થયું હતું. ઈરાને શિયા દેશોનું સંગઠન તૈયાર કરીને સાઉદીના સુન્ની વહાબી પંથ સાથે મોરચો તૈયાર કર્યો છે. ઈરાક, સીરિયા, લેબેનોન જેવા દેશના શિયા જૂથોને તેમણે શસ્ત્રસજ્જ કર્યા છે. આ બધા દેશોને શસ્ત્રો પૂરા પાડવાનું કામ ઈરાને કર્યું હતું. તેના કારણે બે ફાયદા થયા. ઈરાન પોતે પણ શસ્ત્રસજ્જ થઈ શક્યું અને મોટા પાયે શસ્ત્ર ઉત્પાદનને કારણે આર્થિક રીતે પરવડે તેવી સ્થિતિ પણ આવી. બીજું છેક તુર્કી સુધી એવા સંગઠનો તૈયાર કર્યા હતા કે સીધું યુદ્ધ નહિ, પણ ગેરીલા યુદ્ધ કરીને અમેરિકાને પણ ભારે પડી શકે. અમેરિકા સામે કાર્યવાહી કરી છે તેવું પ્રજાને દેખાડવા માટે ઇરાકમાં રહેલા અમેરિકી અડ્ડાઓ પર બેલેસ્ટિક મિસાઇલ્સ છોડવામાં આવી હતી. આવી બેલેસ્ટિક મિસાઇલ્સ મોટા પાયે ઈરાન બનાવે છે. ઈરાનની સેના ઉપરાંત આ સાથી દેશોની સેનાને પણ બેલેસ્ટિક મિસાઇલ્સ આપવામાં આવી છે.

હોર્મુઝની સામુદ્રધાનીમાંથી પસાર થતા જહાજો પર ઈરાને હુમલા કરેલા છે. તેના પરથી ખ્યાલ આવે છે કે ઈરાને સબમરીન પણ ઘણી બનાવી છે. બહુ આધુનિક નહિ પણ ઘણા અંશે અસરકારક થાય તેવી સબમરીન ઈરાન બનાવે છે. નૌકા દળને મજબૂત બનાવવા માટે લડાયક જહાજો પણ બનાવ્યા છે. ભૂમિ દળ માટે ટેન્કો મોટા પાયે બનાવી છે, જેથી અમેરિકા અફઘાનિસ્તાનમાંથી ઘૂસવા કોશિશ કરેતો સામનો થઈ શકે. તે જ રીતે ડ્રોન બનાવવા પર ધ્યાન અપાયું છે. આ રીતે ઈરાને પ્રતિબંધો વચ્ચે બીજા વેપારની ચિંતા કર્યા વિના શસ્ત્ર ઉત્પાદન અને સેનાને મજબૂત કરવા પર જ ધ્યાન આપ્યું હતું. અમેરિકા સામે લડવાની સજ્જતા ભલે ના મળી હોય, પણ ઈરાનની આ તાકાત સામે સાઉદી અરેબિયા સહિતના કોઈ દેશ લડી શકે તેમ નથી.

આસપાસના દેશોમાં શિયાઓના સંગઠનો ઊભા કરીને તેને લશ્કરી તાલીમ આપવાનું કામ ઈરાને કર્યું છે. આઈએસ સામે લડવામાં ઈરાનની ભૂમિકા ઘણી અગત્યની છે, પણ તેની ચર્ચા ઓછી થઈ છે. એક તબક્કે આઈએસ બહુ મજબૂત બનીને ફરી વળ્યું, પણ તે પછી તેની સામે શિયા લડાયકોની ફૌજ તૈયાર કરીને ઈરાને વળતા હુમલા કરાવ્યા હતા.

અમેરિકા ઈરાનને પરેશાન કરવા માટે ઘણા દાયકાથી કોશિશ કરી રહ્યું છે, પણ સદ્દામ હુસૈન સામે લડાઈ કરીને અમેરિકાએ ઉલાટની તેને મદદ જ કરી છે. સદ્દામ હુસૈનની લોખંડી પકડ ઈરાક સામે હતી, ત્યારે ઈરાન માટે સરહદે સૌથી મોટું ટેન્શન હતું. સદ્દામ સામે લાંબી લડાઈ પણ ઈરાન લડી ચૂક્યું હતું. અમેરિકાના પ્રમુક બુશે અમેરિકા સેના મોકલીને સદ્દામનો ખાતમો બોલાવ્યો તેનાથી સૌથી વધુ ફાયદો ઈરાનને જ થયો છે.

સદ્દામ ખતમ થયો તે સાથે જ ઇરાકમાં શિયા જૂથોની હિંમત આવી હતી. શિયા જૂથોને એક કરવાનું અને તેમને શસ્ત્રસજ્જ કરવાનું કામ ઈરાન માટે આસાન થઈ ગયું હતું. અમેરિકાએ બીજી મદદ અફઘાનિસ્તાનમાં કરી. આ તરફ ઈરાકનું દબાણ હતું, બીજી બાજુ સાઉદી અરેબિયાના કાળા ઘનની મદદથી કટ્ટરવાદી તાલીબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો હતો. ઈરાન માટે તે તરફથી પણ જોખમ હતું. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ઘોંસ બોલાવી અને તાલીબાનોને ખતમ કર્યા. ઓસામા બિન લાદેનને પણ ઠાર કર્યો. તે પછી ઈરાન માટે તે તરફનું ટેન્શન ઓછું થયું હતું.

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોની સંખ્યા ઓછી કરવાનું પણ સતત ચાલી રહ્યું છે. તેનો ફાયદો પણ ઈરાનને મળ્યો છે. અમેરિકા આઈએસ સામે અને આ તરફ અફઘાનિસ્તાનમાં વ્યસ્ત હતું ત્યારે ઈરાને તૈયારીઓ કરી લીધી હતી. શસ્ત્ર ઉત્પાદન વધાર્યું અને છેક સીરિયા સુધી શિયા જૂથોને તાલીમ આપીને તૈયાર કરી લીધા હતા.
ઇરાક સામેની લડાઈમાં ભલે હાર નહોતી થઈ, પણ ઈરાનને મોટું નુકસાન થયું હતું. તેથી જ સુન્નીઓના વધતા જોર સાથે શિયાઓનું સંગઠન તૈયાર કરવાનું કામ પણ ઈરાને કર્યું હતું. છેલ્લા બે દાયકા દરમિયાન ઈરાને કરેલી તે તૈયારી અત્યારે તેને કામ આવી રહી છે. ઇરાકમાં આજે ઈરાન તરફી શિયા જૂથોનું મોટું નેટવર્ક તૈયાર થઈ ગયું છે. તેના કારણે પણ યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થાય તો ઇરાકમાં રહેલા અમેરિકી થાણા પર ગેરીલા હુમલાનું જોખમ વધી જાય તેવું છે.

સદ્દામ હુસૈને ઇરાકમાં શિયાઓને દબાવીને રાખ્યા હતા. પરંતુ તેનો ખાતમો બોલ્યો તે પછી તેમની હિંમત ખુલી છે. રાજકીય રીતે પણ શિયા સક્રિય બન્યા છે અને ચૂંટણીઓ લડીને હવે સત્તાસ્થાને પણ બેસવા લાગ્યા છે. સીરિયામાં પણ પ્રમુખ બશર અલ અસદ અરબ પણ શિયા હતા. તેથી અસદનું સમર્થન કરીને સીરિયામાં પણ મજબૂત સ્થાન ઈરાને બનાવ્યું હતું. લેબેનોનમાં હિઝબુલ્લા સંગઠનને પણ ઈરાન વર્ષોથી મદદ કરતું આવ્યું છે.તેનો અર્થ એ થયો કે ઈરાન સામે લડવું હોય તો ઈરાનની બહાર પણ તેના સમર્થનમાં ઊભા થયેલા જૂથો સામે લડવું પડે. ઈરાક, સીરિયા, લેબેનોનમાં ઈરાનની બેલેસ્ટિક મિસાઇલ્સ ગોઠવાયેલી છે. અમેરિકા અને તેના સાથી દેશોના હિતો પર મિસાઇલ્સથી હુમલા કરીને અમેરિકા પર દબાણ લાવી શકાય છે. ઈરાનમાં ઘૂસવા માટે અમેરિકા પાસે એક માત્ર રસ્તો અફઘાનિસ્તાનનો છે. ઇરાક તે માટે સમર્થન આપશે નહિ. અફઘાનિસ્તાન માર્ગે સેનાની કામગીરી અમેરિકાની સ્ટ્રેટેજીમાં ગૂંચ ઊભી કરી શકે છે. અમેરિકા અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવા માગે છે અને તે માટે ભારત સહયોગ કરવા તૈયાર છે, પણ ઈરાન સામેની કાર્યવાહીની વાત આવે ત્યારે ભારત મદદ કરે નહિ.

અમેરિકાની મધ્ય પૂર્વમાં દખલથી રશિયા પણ બહુ રાજી નથી. ચીન જાણે છે કે અફઘાનિસ્તાનમાં અમેરિકાની હાજરી મજબૂત થાય તો ત્યાંથી ચીન બહુ દૂર નથી. પાકિસ્તાનમાં તેણે બનાવેલો વેપારી હાઈવે પણ જોખમમાં આવે. એક હદથી વધુ અમેરિકાની સક્રિયતા ઈરાન સામે વધે ત્યારે રશિયા અને ચીન પણ પ્યાદાં ગોઠવશે. આ વાત ઈરાન જાણતું હોવાથી તેણે અમેરિકા સામે દમ ભર્યો છે. જોકે અત્યારે વાત શાંત પડી ગઈ છે, કેમ કે અમેરિકા કે ઈરાન અને બંને દેશના વર્તમાન નેતાઓને યુદ્ધ ખપતું નથી. પ્રતિબંધો વચ્ચે ઈરાને મજબૂત તૈયારીઓ કરી લીધી હતી, તેથી ઇરાક કે સીરિયાની જેમ અમેરિકા દેશમાં આવી જાય તેવું પણ જોખમ નથી. ભારત માટે આ સ્થિતિ ફાયદાકારક છે, કેમ કે યુદ્ધની સ્થિતિમાં ક્રૂડ ભડકે બળે અને લાખો લોકો મધ્યપૂર્વમાં રોજગારી મેળવી અબજો ડોલર ભારત મોકલે છે તેમાં પણ નુકસાન થાય.

રાશિ ભવિષ્ય 19/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવુ, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવુ, વાર્તાલાપમા ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવુ, પ્રિયજન સાથેની ખરીદી પાછળકે ફરવામા ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય.


આજનો દિવસ સરસ રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ સારો રહે અને નવીનકામનુ આયોજન થાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વાત આપલે થાય, ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય અને તેમા તમને ખુશીની લાગણી અનુભવાય, તમે આજે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવુ બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય સારી રીતે પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રિયજન સાથે હરવાફરવામા ઉત્સાહ સારો જોવા મળે, તેમને કોઇ પરિચિત સાથેના સંપર્ક દ્વારા તમારા કોઈ કામની સારી વાત સાંભળવા મળી શકે કે લાભની વાત થઈ શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવુ જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવુ, કફ, છાતી, પ્રેસર જેવી તકલીફથી સાચવવુ, કામકાજમા મહેનત કરતા ઓછુફળ મળે, જીવનસાથી સાથે ખોટીવાર્તાલાપ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમા થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમા થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના-ઝવેરાત, ફાર્મા જેવા ક્ષેત્રમા કામકરનારને માનસિક થાકની લાગણી વધુ અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમા તમને સમયનોવ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો  જુનાકામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ છે, તમારા મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થાયકે તેમા તમને કોઇ મદદ કરતા મળે તેવુ પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઉત્સાહ સારો જોવા મળે, પ્રિયજનસાથે ફરવા જવાના યોગ પણ છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટીલોકોથી દુર રહેવાની જરૂર છે, ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ થોડી તકેદારી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા માનસિકથાક અને કામ ટાળવાની વૃતિ જોવા મળી શકે છે.


આજનો દિવસ સરસ છે અને તેમા પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણી તમારા મુખ પર સ્પષ્ટ દેખાઈ આવે, તમારા કોઈ કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, જમીન, બાંધકામ, વાહનવ્યવહાર, ધાતુ, જેવા ક્ષેત્રમા કામકરનારને નવીનતક ઝડપવાના યોગ બને છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવુ જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ તકેદારી રાખવી, થોડી આરામકરવાની વૃતી રહે, આજે ધીરજ, પ્રભુભક્તિમા સમય પસાર કરવો શ્રેષ્ઠ છે.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમા ઉત્સાહ સારો રહે,  પ્રિયજન સાથે ક્યાંક મુસાફરી થઈ શકે  છે, તમારા ધાર્યાકામ થઇ શકે તેવા યોગ બની રહ્યા છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવવો યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત કાર્યનો સંતોષ જોવા મળી શકે છે, મિલનમુલાકાત સફળ રહે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમા વ્યસ્તતા વધુ રહે તેવા સંજોગો બની શકે છે, લાકડા,ચામડા, ધાતુ, ઓઈલ,પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રમા કામ કરનારવર્ગમા નવીનતા જોવા મળે,  તમે જુનાકામમા અટવાવતો તેમા જલ્દીથી ઉકેલ ન આવે અને સમયનો વ્યય થાય,


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમા તમારી ગણતરીમુજબ કામ થાય તેવુ બની શકે છે, મુસાફરીના યોગ છે, માર્કેટિંગક્ષેત્રમા રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામા ધાર્મિકભાવના પણ સારી જોવા મળે અને ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય.

જમ્મુ કશ્મીર: 10 જિલ્લાઓમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા શરુ

નવી દિલ્હી: જમ્મુ-કશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરાયા બાદ રાજ્યમાં લાગુ કરેલા પ્રતિબંધો ધીમે ધીમે દૂર કરવામાં આવી રહ્યા છે. પ્રશાસને હવે પ્રીપેઈડ સિમ કાર્ડ પર વોઈસ અને એસએમએસ સેવા પુનસ્થાપિત કરી દિધી છે. સાથે જ પોસ્ટપેઈડ પર ઈન્ટરનેટ સેવા પણ શરુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી મંત્રી જમ્મુ-કશ્મીરમાં વિકાસ સંબંધી કામોને લઈને જાગૃતિ ફેલાવવા માટે રાજ્યની મુલાકાત લેશે.

જમ્મુ-કશ્મીરના મુખ્ય સચિવ રોહિત કન્સલે જણાવ્યું કે, જીણવટભરી સમીક્ષા પછી પ્રશાસને આદેશ આપ્યો છે કે જમ્મુ-કશ્મીરમાં તમામ સ્થાનિક પ્રીપેઈડ સિમ કાર્ડ્સ પર વોઈસ અને એસએમએસ સેવા ફરી શરુ કરી દેવામાં આવે. આ સાથે જ જમ્મુના તમામ 10 જિલ્લાઓમાં પોસ્ટપેઈડ પર ઈન્ટરનેટ સેવા પણ શરુ કરી દેવામાં આવી છે. જોકે, હજુ પણ બડગામ, ગંડરબલ, બારામુલ્લા, શ્રીનગર, કુલગામ, અનંતનાગ, શોપિયા અને પુલવામા માં ઈન્ટરનેટ સેવા બંધ રહેશે.

આ સાથે જ શનિવારથી ગુરુવારની વચ્ચે 36 કેન્દ્રીય મંત્રી જમ્મુ-કશ્મીરની મુલાકાતે જશે. કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ જાણકારી આપી હતી કે, આ મુલાકાતનો ઉદેશ્ય આર્ટિકલ 370 દૂર કરાયા પછી લોકો વચ્ચે જાગૃતિ ફેલાવવાનો છે. રેડ્ડીએ જણાવ્યું કે, હું કશ્મીરની સ્કુલો, કોલેજો અને હોસ્પિટલોમાં જઈશ. અમે આ લોકોને પ્રશાસને છેલ્લા 5 મહિના જે વિકાસકાર્યો કર્યા છે અંગે જાણકારી આપીશું.

શાહીનબાગના પ્રદર્શનકારીઓને રસ્તો ખાલી કરવા પોલીસની અપીલ

નવી દિલ્હી: નાગરિકતા કાયદો અને એનઆરસીને લઈને દિલ્હીના શાહીનબાગમાં પ્રદર્શનને પગલે સારિતા વિહાર અને કાલિંદી કુંજનો રસ્તો એક મહિનાથી બંધ છે. દિલ્હી પોલીસ તરફથી એક વખત ફરી પ્રદર્શનકારીઓને રસ્તો ખોલવાની અપીલ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે, અમે પ્રદર્શનકારીઓને અપીલ કરીએ છીએ કે, અમને સહયોગ કરે અને લોકોના હિતમાં રસ્તો ખાલી કરી દે.

આ અગાઉ કરેલા એક અન્ય ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, અમે શાહીન બાગમાં રોડ 13એ પર પ્રદર્શન કરી રહેલા લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ હાઈવે બ્લોક થવાને કારણે દિલ્હી-એનસીઆરના રહેવાસીઓ, વરિષ્ઠ નાગરિકો, દર્દીઓ અને સ્કુલે જતા વિદ્યાર્થીઓની મુશ્કેલીને સમજે. આ મામલો હાઈકોર્ટમાં ગયો છે. મહત્વનું છે કે, શાહીન બાગ વિસ્તામાં વાહનવ્યવહાર શરુ કરવાની માંગને લઈને કરવામાં આવેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટે પોલીસને આદેશ આપ્યો કે, કાયદો વ્યવસ્થા અને જનહિતને ધ્યાનમાં રાખીને પોલીસ કાર્યવાહી કરે. સાથે હાઈકોર્ટે કહ્યું કે પોલીસ કાયદામાં રહીને રોડ ગમે ત્યારે ખાલી કરાવી શકે છે.

મહત્વનું છે કે, શાહીન બાગ વિસ્તારમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનને પગલે દિલ્હામાં સરિતા વિહારથી કાલિંદી કુંજ વચ્ચે વાહનવ્યવહાર ઘણા દિવસોથી ઠપ છે, જેના કારણે આ વિસ્તારની આસપાસ રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકોએ રસ્તો ખોલવવા માટે પ્રદર્શન પણ કર્યું છે. સરિતા વિહારથી કાલિંદી કુંજ વચ્ચે માર્ગ 13એ પર યાતાયાત બંધ થવાને પગલે નોઈડાથી દિલ્હી તરફ આવતા લોકોને મથુરા રોડ, આશ્રમ અને ડીએનડી માર્ગ તેમજ બદરપુરથી આવતા લોકોને આશ્રમ ચોક વાળા માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.

વહેલી સવારે કડકડતી ઠંડીનો અહેસાસ: હજુ 2 દિવસ ઠંડીની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં કડકડતી ઠંડીનો દોર યથાવત રહ્યો છે ત્યારે હજુ આગમી બે દિવસમાં સમગ્ર રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરામાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યના 11 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે. જેમાં નલિયા 3.4 ડિગ્રીમાં ઠુંઠવાયું હતું જ્યારે અમદાવાદમાં 10.7 ડિગ્રીએ પારો રહ્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેની આસપાસ તેમજ દક્ષિણ ગુજરાતથી પશ્ચિમ મધ્ય પ્રદેશ સુધી સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીની સૌથી વધુ અસર જોવા મળી શકે છે. હજુ આગામી બે-ત્રણ દિવસ સરેરાશ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. શનિવારે અને રવિવારે રાજકોટ-પોરબંદર-કચ્છ-બનાસકાંઠામાં કાતિલ ઠંડી પડશે. અમદાવાદમાં 23.6 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 4.3 ડિગ્રીનો ઘટાડો જ્યારે 10.7 ડિગ્રી સાથે સામાન્ય કરતાં 1.4 ડિગ્રીનો ઘટાડો થયો હતો. દિવસ દરમ્યાન પણ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. કડકડતી ઠંડીને લીધે જનજીવન પ્રભાવિત થયું હતું. આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો 12 થી 14 ડિગ્રીની આસપાસ રહેશે.

નલિયામાં છેલ્લા એક સપ્તાહમાં બીજી વાર ઠંડીનો પારો 4 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. રાજ્યમાં અન્યત્ર કે જ્યાં 10 ડિગ્રીથી ઓછી ઠંડી નોંધાઇ તેમાં નલિયા ઉપરાંત રાજકોટ, કેશોદ, ભૂજ, દીવ, મહુવા, સુરેન્દ્રનગર, પોરબંદર, કંડલા, ગાંધીનગર, વડોદરાનો સમાવેશ થાય છે.

રાજકોટમાં ગુરુવારે 8 ડિગ્રી સાથે સિઝનનું સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. બીજા જ દિવસે તેનાથી પણ 0.4 ડિગ્રી ઘટાડા સાથે માત્ર સિઝનનું જ નહીં પણ છેલ્લા 23 વર્ષમાં સૌથી ઓછું તાપમાન રાજકોટમાં નોંધાયું હતું. હવામાન વિભાગની નોંધ મુજબ રાજ્યના સૌથી ઠંડા મથક તરીકે નલિયા રહ્યું છે ત્યાં ન્યૂનતમ તાપમાન 3.4 તો મહત્તમ તાપમાન 24.4 ડિગ્રી સેલ્શિયસ રહ્યું હતું. આ સિવાયના શહેરોમાં સૌથી ઓછું તાપમાન રાજકોટમાં નોંધાયું છે જ્યારે અન્ય શહેરોમાં પારો 9 અને 10 ડિગ્રીની આસપાસ જ રહ્યો છે. રાજકોટમાં છેલ્લે 1997માં 7.1 ડિગ્રી સેલ્શિયસ તાપમાન રહ્યું હતું અને ત્યારબાદ 2000માં 8.2 અને 2002માં 7.7 ડિગ્રી સેલ્શિયસ રહ્યું હતું. ત્યારબાદ 8 ડિગ્રી સુધી જ તાપમાન પહોંચ્યું હતું તેનાથી નીચે ગયું ન હતું જેથી ઘણા લાંબા સમય બાદ શહેરવાસીઓને કડકડતી ઠંડીનો અહેસાસ થયો છે.