Home Blog Page 4547

‘ભારત બંધ’ શાંતિપૂર્ણઃ વિપક્ષી નેતાઓ રાષ્ટ્રપતિને મળશે

નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદાઓને લઈને ખેડૂતોએ આપેલા ‘ભારત બંધ’ને લીધે દેશના અનેક હિસ્સામાં મંગળવારે જીવન અસ્તવ્યસ્ત થયું હતું. દુકાનો અને વેપારી કામકાજ બંધ રહ્યાં હતાં, દેખાવકારોએ મહત્ત્વના રસ્તા પર ચક્કાજામ કરતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. જોકે આ ‘ભારત બંધ’ શાંતિપૂર્ણ રહ્યો હતો. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ ખેડૂતોના આંદોલનમાં ભાગ લઈ રહેલા 13 નેતાઓના પ્રતિનિધિમંડળ સાથે મોડી સાંજે બેઠક યોજી હતી.

ખેડૂતોની માગમાં વચલા સમાધાનનો કોઈ રસ્તો નથી, અમે ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા સરકાર પાસે માગ કરીએ છીએ કે ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચો- આ મુદ્દે ‘હા’ પાડો ‘ના’ પાડો, એમ ખેડૂત નેતા રુદ્રસિંહ મંસાએ પત્રકારોને કહ્યું હતું. ખેડૂતો છેલ્લા 12 દિવસથી સરકાર સામે વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. સ્વરાજ ઇન્ડિયાના નેતા યોગેન્દ્ર યાદવે દાવો કર્યો હતો કે 25 રાજ્યોમાં 10,000 જગ્યાઓએ રાષ્ટ્રવ્યાપી બંધ પાળવામાં આવ્યો હતો. પ્રદર્શનકર્તાઓએ પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓડિશામાં કેટલીય જગ્યાઓએ રેલવે ટ્રેક પણ બંધ કરી હતી. દેશમાં મોટે ભાગે ભારત બંધ શાંતિપૂર્ણ રહ્યો હતો.

કૃષિ કાયદાઓ અંગે વિપક્ષ રાષ્ટ્રપતિને મળશેઃ શરદ પવાર

એનસીપીના અધ્યક્ષ શરદ પવારે કહ્યું હતું કે વિવિધ રાજકીય પક્ષો કૃષિ કાયદાઓ વિશે વિસ્તારથી ચર્ચા-વિચારણા કરશે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી મળતાં પહેલાં એક સામૂહિક રીતે એકમત સાધશે. વિરોધ પક્ષોના નેતાઓ ત્રણ કૃષિ કાયદાઓ અંગે રાષ્ટ્રપતિ કોવિંદ સાથે બુધવારે સાંજે બેઠક યોજે એવી સંભાવના છે, એવું તેમણે કહ્યું હતું.

 

 

 

 

કોહલીના 85-રન ભારતને ક્લીન-સ્વીપ જીત અપાવી ન શક્યા

સિડનીઃ કેપ્ટન વિરાટ કોહલીએ 85 રનની શાનદાર ઈનિંગ્ઝ ખેલી, પરંતુ બે નિષ્ણાત બેટ્સમેન – કે.એલ. રાહુલ અને શ્રેયસ ઐયર ઝીરો પર આઉટ થતાં ભારતનો આજે અહીં ત્રીજી અને સિરીઝની આખરી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 12-રનથી પરાજય થયો. આને કારણે ટીમ ઈન્ડિયા સિરીઝમાં ક્લીન-સ્વીપ પરિણામ મેળવી ન શકી અને જીતનો માર્જિન ઘટીને 2-1 થયો. કોહલીએ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ તેના હિસ્સાની 20 ઓવરમાં પાંચ વિકેટે 186 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં 7 વિકેટના ભોગે 174 રન કરી શકી હતી. ભારતના દાવમાં ઓસ્ટ્રેલિયાના 3 સ્પિનર – મિચેલ સ્વેપ્શન, એડમ ઝમ્પા અને ગ્લેન મેક્સવેલે 10 ઓવરમાં 64 રન આપીને કુલ પાંચ વિકેટ પાડી હતી.

ભારતના દાવમાં 4 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ લેનાર ઓસ્ટ્રેલિયાના લેગસ્પિનર મિચેલ સ્વેપ્સનને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો જ્યારે પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ હાર્દિક પંડ્યાને આપવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના દાવમાં વિકેટકીપર-ઓપનર મેથ્યૂ વેડે 80 રન કર્યા હતા જ્યારે ગ્લેન મેક્સવેલે ઓલરાઉન્ડ દેખાવમાં 36 બોલમાં 54 રન કર્યા હતા અને 3 ઓવરમાં 20 રન આપીને રાહુલની વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા 13 બોલમાં 1 બાઉન્ડરી, 2 સિક્સર ફટકારીને આઉટ થતાં અને ત્યારબાદ કોહલી (61 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા)નો દાવ રમીને આઉટ થતાં ભારતની જીતની આશા મરી પરવારી હતી.

ભારત વન-ડે સિરીઝમાં 1-2થી હાર્યું હતું, આમ, તેણે ટ્વેન્ટી-20 સિરીઝમાં તે હારનો બદલો લઈ લીધો. હવે બંને ટીમ વચ્ચે 4-મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. પહેલી ટેસ્ટ 17 ડિસેમ્બરથી એડીલેડમાં રમાશે.

માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 86 સે.મી. વધી

કાઠમંડુઃ વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટની નવી ઊંચાઈની નેપાળના વિદેશપ્રધાને જાહેરાત કરી છે. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈને ફરીથી માપવામાં આવી છે અને તે હવે 8848.86 મીટર (29,031.69 ફૂટ) છે. એની આ પહેલાની ઊંચાઈ 8848 મીટર હતી. આમ તે 86 સેન્ટિમીટર વધી છે. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ માપવા માટે નેપાળ અને ચીનની વચ્ચે સહમતી સધાઈ છે. વર્ષ 2015માં આવેલા વિનાશકારી ભૂકંપની તથા અન્ય અમુક કારણોને લીધે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈમાં બદલાવ આવ્યો છે. એ વિશે કેટલાક સવાલ ઉઠાવવામાં આવતાં શિખરની ઊંચાઈને ફરી ચોક્કસ રીતે માપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

એવરેસ્ટની નવી ઊંચાઈની જાહેરાત નેપાળના વિદેશપ્રધાન અને ચીનના વિદેશપ્રધાને સંયુક્ત રૂપે કરી હતી. સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા 1954માં માપવામાં આવ્યા અનુસાર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8848 મીટર હતી.

હિમાલય પર રિસર્ચ કરનારી અનેક સંસ્થાઓ અને વૈજ્ઞાનિકો અનેક વાર ખુલાસા કરી ચૂક્યા છે કે હિમાલય પર્વતમાળામાં આવેલા વિશ્વના સૌથી ઊંચા એવા માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈમાં વધારો થઈ રહ્યો છે.

ભારત બંધઃ મુંબઈના મલાડમાં ખેડૂતોના સમર્થનમાં દેખાવો…

કેન્દ્ર સરકારે લાગુ કરેલા કૃષિ કાયદાઓની વિરુદ્ધમાં ખેડૂતોએ 8 ડિસેમ્બર, મંગળવારે ભારત બંધનું એલાન કર્યું હતું. તેના ટેકામાં મુંબઈના મલાડ ઉપનગરમાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના કાર્યકર્તાઓ અને ટ્રેડ યુનિયન AITUCના સભ્યોએ દેખાવો કર્યા હતા. (તસવીરોઃ દીપક ધુરી)

પાકિસ્તાન-ચીન ‘ધાર્મિક આઝાદીનું ઉલ્લંઘન કરનાર’ દેશ: અમેરિકા

વોશિંગ્ટનઃ અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓએ ધાર્મિક આઝાદીનું ઉલ્લંઘન કરનાર દેશોની યાદીમાં પાકિસ્તાન અને ચીનને પણ અન્ય આઠ દેશોની યાદીમાં સામેલ કર્યા. પોમ્પિઓએ એક નિવેદનમાં મ્યાનમાર, ઇરિટ્રિયા, ઇરાન, નાઇજિરિયા, ઉત્તર કોરિયા, સાઉદી અરેબિયા, તાજિકિસ્તાન અને તુર્કમેનિસ્તાનની સાથે પાકિસ્તાન અને ચીનને ધાર્મિક રીતે લઘુમતી કોમોનાં લોકોની ધાર્મિક આઝાદીનું પદ્ધતિસર કે અન્ય પ્રકારના ઉલ્લંઘન કરતા દેશોની યાદીમાં મૂક્યા છે.

વિદેશ મંત્રાલયે કોમોરોસ, ક્યુબા, નિકારાગુઆ અને રશિયાને એક વિશેષ દેખરેખની યાદી (SWL)માં મૂક્યા છે, જ્યાં સરકારો ‘ધાર્મિક સ્વતંત્રતાના ગંભીર ઉલ્લંઘન’ને ચલાવી લે છે. તેમણે કહ્યું હતું કે ‘ધાર્મિક સ્વતંત્રતા’ એક અધિકાર છે અને આધાર છે, જેના પર મુક્ત સમાજ નિર્મિત થઈને ફૂલેફાલે છે. પોમ્પિઓએ કહ્યું હતું કે આવશ્યક એવી ધાર્મિક સ્વતંત્રતા મેળવવા ઇચ્છતા લોકોનો બચાવ કરવા માટે ફરી એક વાર આ પગલું ભર્યું છે.

અમેરિકાએ અલ શબાબ, અલ-કાયદા, બોકો હરમ, હયાત તહરીર અલ-શામ, હૌથિસ, આઇએસઆઇએસ, આઇએસઆઇએસ-ગ્રેટર સહારા, આઇએસઆઇએસ-પશ્ચિમ આફ્રિકા, જમાત નસ્ર અલ ઇસ્લામ વાલ મુસ્લિમિન અને તાલિબાનને વિશેષ ચિંતાના રૂપે નામિત કર્યા છે. તેમણે કહ્યું હતું કે સુડાન અને ઉઝબેકિસ્તાનની સરકારોએ મહત્ત્વપૂર્ણ સુધારા કરતાં એમને વિશેષ દેખરેખની યાદીમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે. તેમના કાયદા અને સાહસિક સુધારા અન્ય રાષ્ટ્રો માટે દ્રષ્ટાંત સમાન છે.

સ્વ. દિવ્યા ભટનાગરનાં પતિ પર દેવોલીનાનો આરોપ

મુંબઈઃ ગઈ કાલનો દિવસ ટેલિવિઝન મનોરંજન ઉદ્યોગ માટે ઘણો દુઃખદ રહ્યો હતો. કારણ કે આ દિવસે હિન્દી ટીવી સિરિયલ અભિનેત્રી દિવ્યા ભટનાગર (34) દુનિયાને કાયમને માટે અલવિદા કરી ગઈ. એમનાં નિધનથી હિન્દી ટીવી ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ છે. દિવ્યાને યાદ કરીને તેની ખાસ બહેનપણી અને અભિનેત્રી-ગાયિકા દેવોલીના ભટ્ટાચાર્જી ખૂબ દુઃખી થઈ છે અને એણે દિવ્યાનાં પતિ ગગન ગબરુ પર ઘરેલુ હિંસા, દિવ્યાની જાતીય સતામણી અને અનૈતિક સંબંધોના ગંભીર આરોપ મૂક્યા છે.

‘બિગ બોસ 13’ની સ્પર્ધક દેવોલીનાએ તેનાં ઈન્સ્ટાગ્રામ પર પોતાનું વિડિયો નિવેદન શેર કર્યું છે, જેમાં એ રડતાં રડતાં જણાવી રહી છે કે ગગન ગબરુ દિવ્યાની ખૂબ મારપીટ કરતો હતો અને એનું ઝવેરાત પચાવી પાડ્યું હતું. આવા શારીરિક તથા માનસિક ત્રાસને કારણે કોઈ પણ સ્ત્રી કોઈને કોઈ બીમારીનો ભોગ બની જાય અને આ તો કોરોના વાઈરસ જેવો જીવલેણ રોગ હતો. ગગન ગબરુના ત્રાસને કારણે જ દિવ્યાને ડાયાબિટીસ રોગ થઈ ગયો હતો. ગત્ કરવા ચોથના દિવસે પણ ગગને દિવ્યાની મારપીટ કરી હતી. દિવ્યાએ મુંબઈના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં પણ ગગન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

દેવોલીના ભટ્ટાચાર્જી અને દિવ્યા ભટનાગરની ફાઈલ તસવીર

દેવોલીનાએ કહ્યું કે દિવ્યા ગગન ગબરુ સાથે લગ્ન કરે એની સામે તેનાં ઘરવાળા તેમજ પોતે સખત વિરોધમાં હતા, કારણ કે ગગન હિમાચલ પ્રદેશમાં છેડતીના કેસમાં છ મહિના જેલવાસ ભોગવીને આવ્યો હતો. પરંતુ દિવ્યા ગગનનાં પ્રેમમાં અંધ બની ગઈ હતી. દેવોલીનાએ ગગન ગબરુને ખુલ્લી ધમકી આપી છે કે પોતે એને પોલીસ અને સમાજમાં ઉઘાડો પાડીને જ રહેશે. ‘ગગન ગબરુ તેં મારી બહેનપણી દિવ્યાને એટલી બધી હેરાન કરી હતી કે તે આજે અમારી વચ્ચે રહી નથી. હવે હું તને ધમકી આપું છું કે તું જેલમાં જ સડીશ. હું હવે તને એક્સપોઝ કરને રહીશ,’ એમ તેણે વધુમાં કહ્યું છે.

દિવ્યાનાં પતિને એક્સપોઝ કરતો દેવોલીનાનો વિડિયો

‘ભારત-બંધ’ને મિશ્ર પ્રતિસાદઃ દેશભરમાં બજારો રાબેતા મુજબ ખૂલી

નવી દિલ્હીઃ કૃષિ કાયદાઓની વિરુદ્ધમાં ખેડૂત સંગઠનોએ આજે ઘોષિત કરેલા ‘ભારત બંધ’થી દેશભરમાં વ્યાપારિક પ્રવૃત્તિઓ તથા માલની હેરફેરમાં કોઈ ખાસ માઠી અસર પડી નથી. હજારો ખેડૂતો છેલ્લા 13 દિવસોથી જેના હદ વિસ્તારોમાં વિરોધ-દેખાવ આંદોલન કરી રહ્યાં છે તે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં બજારો રાબેતા મુજબ ખૂલી હતી. પંજાબમાં બંધની અસર સૌથી વધારે રહી. ત્યાં દુકાનો બંધ છે, હાઈવે પર ટ્રાફિક અટકાવવામાં આવ્યો છે.

મુંબઈમાં ઘણા ઉપનગરોમાં સવારે રોજના સમયે બજારો ખુલ્લી હતી, પરંતુ બપોરે રાજકીય પક્ષોના કાર્યકરોએ દુકાનો બંધ કરાવી હતી. દાદર ઉપનગરની માર્કેટમાં મોટા ભાગની દુકાનો બંધ છે. નવી મુંબઈમાં APMC બંધ છે, પણ પુણેમાં ચાલુ છે. પશ્ચિમ બંગાળમાં બંધની અસર નજીવી જોવા મળી છે.

મુંબઈના દાદર ઉપનગરનું દ્રશ્ય

દિલ્હીમાં હોલસેલ અને રીટેલ બજારોમાં રાબેતા મુજબ કામકાજ શરૂ કરાયું હતું.

રાજસ્થાનમાં ઘણે ઠેકાણે દુકાનો બંધ જોવા મળી હતી. છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, જમ્મુ-કશ્મીરમાં હોલસેલ અને રીટેલ બજારો ખુલ્લી હતી. ટ્રાન્સપોર્ટ પ્રવૃત્તિઓ પણ રાબેતા મુજબ રહી હતી.

ભારત-બંધઃ અમરેલીમાં કોંગ્રેસી નેતા પરેશ ધાનાણીની અટકાયત

અમદાવાદઃ આજે ઓલ ઇન્ડિયા ખેડૂત સંકલન સમિતિએ ‘ભારત બંધ’નું એલાન આપ્યું છે. બંધના સમર્થનમાં કોંગ્રેસ સહિત 20 રાજકીય પક્ષો છે. ભાજપશાસિત ગુજરાતમાં બંધને સફળ બનાવવા માટે વિપક્ષ કોંગ્રેસના અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી છે. અમરેલીમાં સ્કૂટર લઈને બંધ કરાવવા નીકળેલા રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની પોલીસે અટકાયત કરી છે. અમદાવાદ, સુરત અને વડોદરા સહિત અનેક શહેરોમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

અમરેલીમાં પરેશ ધાનાણી અને કોંગ્રેસના સભ્યો એક કલાક સુધી વિવિધ બજારમાં ફર્યા હતા અને દુકાનદારોને દુકાનો બંધ રાખવા માટેની અપીલ કરી હતી. પોલીસ અને ધાનાણી વચ્ચે સંતાકૂકડી બાદ આખરે પોલીસે ધાનાણીની અટકાયત કરી લીધી હતી. આ સાથે કોંગ્રેસના અન્ય કાર્યકરોની પણ અટકાયત કરી લેવામાં આવી હતી. તમામને બાદમાં અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા.

વડોદરા નેશનલ હાઇવે, અમદાવાદ-માળિયા સ્ટેટ હાઇવે પર સાણંદ પાસે અને ભરૂચ-દહેજ હાઈવે પર દેખાવકારોએ ટાયર સળગાવ્યા હતા અને ચક્કા-જામ કર્યું હતું. દહેગામનાં ભૂતપૂર્વ ધારાસભ્ય કામિની બાનીની અટકાયત કરવામાં આવી છે. રાજસ્થાન બોર્ડર બંધ કરાવવા જતાં અમીરગઢ પાસે કોંગી ધારાસભ્ય કાંતિ ખરાડીની અટકાયત કરવામાં આવી છે.

ભારતનું અર્થતંત્ર ફરી જોરમાં આવશેઃ મુકેશ અંબાણી

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ આજે કહ્યું કે ભારતીય અર્થતંત્ર ફરી જોરમાં આવશે એટલું જ નહીં, પણ એ અભૂતપૂર્વ ગતિ સાથે વિકાસ પામશે. તેમણે ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ-2020 વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં આમ જણાવ્યું હતું.

અંબાણીએ કહ્યુ કે દેશમાં હજી પણ 30 કરોડ જેટલા લોકો 2G ફોન જ વાપરી રહ્યા છે અને એમને સ્માર્ટફોન વાપરતા કરવા માટે તાકીદના નીતિવિષયક પગલાં લેવાની જરૂર છે. તેની સાથોસાથ, 5G સેવાને વહેલી તકે લોન્ચ કરવાની પણ જરૂર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં ભારત દેશ હવે પછીનો દાયકો ભરપૂર આત્મવિશ્વાસ સાથે આવકારશે.

અંબાણીએ કહ્યું કે ભારતમાં 2021ના બીજા હાફમાં 5G નેટવર્કની ક્રાંતિ લાવવામાં રિલાયન્સ જિયો પહેલ કરશે અને નવો ચિલો પાડશે. જિયોની 5G સર્વિસ પીએમ મોદીના આત્મનિર્ભર ભારતના પ્રેરણાદાયી દૂરંદેશીપણાની સાબિતી બનશે.

કોરોનાના કેસોની સંખ્યા 97 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 97 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 26,567 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 385 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 96,03,770 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,40,958 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 91,78,946 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 39,045 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થઈ ચૂક્યા છે.  જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,83,866એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 94.19 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.45 ટકા થયો છે.

કોરોનાના દર્દીઓને પેટ ભરીને ભોજન કરવું ઘાતક

શિયાળામાં કોરોનાના દર્દીઓએ પેટ ભરીને ભોજન કરવું એ ઘાતક બની શકે છે. જેના લીધે દર્દીએ જીવ પણ ગુમાવવો પડે છે. શિયાળામાં ઠંડી વધતા કોરોનાના દર્દીઓનો મૃત્યુદર વધી શકે છે તેવી ભીતિ નિષ્ણાતો દ્વારા વ્યકત કરવામાં આવી છે. કોરોનાના દર્દીઓને ઠંડીમાં એકસાથે પેટ ભરીને ભોજન કરવું જોઇએ નહી, જો આમ કરવામાં આવે તો આંતરડાંમાં લોહીનું પરિભ્રમણ વધી જાય છે. આથી ઓકિસજનનો વધુ વપરાશ થાય છે. જેના લીધે શરીરના અન્ય અવયવોને ઓકિસજનનો સપ્લાય પૂરતા પ્રમાણમાં મળતો નથી. શરીરના અન્ય અવયવોને ઓકિસજનનો સપ્લાય ઓછો મળવાથી તે દર્દી માટે ઘાતક બની શકે છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.