Home Blog Page 4554

રાશિ ભવિષ્ય 04/12/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેર પ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

સઈ પરાંજપે, સંજીવકુમાર અને સ્પર્શ…

જાણીતી ને માનીતી વ્યક્તિની આત્મકથા, એમનાં સંસ્મરણ મારો પ્રિય વાંચનપ્રકાર છે. બાયોપિક વાંચીને જે તે વ્યક્તિના સંઘર્ષથી સફળતાના પ્રવાસ વિશે તો જાણવા મળે છે, એક ચોક્કસ સમયકાળ વિશે પણ જાણવા મળે છે. તાજેતરમાં ફિલ્મ-ટીવી-નિર્માતા, દિગ્દર્શક, નાટ્યકાર, લેખિકા સઈ પરાંજપેની આત્મકથા પ્રકાશિત થઈ ‘અ પૅચવર્ક ક્વિલ્ટ’. અગાઉ સઈની માતૃભાષા મરાઠીમાં ‘સયઃ માઝા કલાપ્રવાસ’ એ શીર્ષક હેઠળ પ્રકાશિત થયેલી.

જો કે અંગ્રેજીમાં ઘણા ઉમેરા, ઘણી માહિતી તથા એમની ફિલ્મોને વણી લેતા ઘણા કિસ્સા છે. 19 માર્ચ, 1938ના રોજ રશિયન પિતા ને મરાઠી માતા, 1930-1940ના દશકનાં અભિનેત્રી શકુંતલા પરાંજપેને ઘેર જન્મેલાં સઈ પરાંજપે એટલે ‘સ્પર્શ’, ‘ચશ્મેબદ્દુર’, ‘કથા’, ‘દિશા’, ‘પપીહા’, ‘સાઝ’ જેવી ફિલ્મનાં તથા દસ્તાવેજી ચિત્રપટનાં સર્જક, લેખિકા.

રશિયન પતિ સાથે ડિવોર્સ બાદ શકુંતલાજીએ સઈને એકલેહાથે ઊછર્યાં. એમના પિતા અને સઈના નાનાજી એટલે દેશના પ્રખ્યાત ગણિતશાસ્ત્રી સર રઘુનાથ પુરુષોત્તમ પરાંજપે. પુણેમાં ઑલ ઈન્ડિયા રેડિયોનાં ઉદઘોષક તરીકે કારકિર્દીના શ્રીગણેશ કરનારાં અને પદ્મભૂષણથી સમ્માનિત સઈએ ત્રણ દાયકામાં છ ફિલ્મ બનાવી. ફિલ્મ વિશેની એમની વ્યાખ્યા છેઃ એમાં ભરપૂર મનોરંજન હોવું જોઈએ, હિંસા ન હોવી જોઈએ, એની રમૂજ નિર્દોષ હોવી જોઈએ, એ કોઈને ઉતારી પાડતી સસ્તી દ્વિઅર્થી ન હોવી જોઈએ…

સઈની પહેલી ફિલ્મ હતી 1980માં આવેલી ‘સ્પર્શ’. ખરેખર તો એમણે દિલ્હી દૂરદર્શન માટે ‘બ્લાઈન્ડ રિલીફ ઍસસિયેશન પર આઠ મિનિટની ફિલ્મ બનાવવાની હતી. એ સંસ્થાની મુલાકાતમાંથી આ ફિલ્મનાં વિષય-વાર્તા મળ્યાં. એક બ્લાઈન્ડ સ્કૂલના પ્રિન્સિપાલ અનિરુદ્ધ પરમાર (નસીરુદ્દીન શાહ) અને અંધજનની શાળાનાં તેજસ્વી દષ્ટિ ધરાવતાં શિક્ષિકા કવિતા (શબાના આઝમી) સાથેના ઋજુ પ્યારની કહાણી લખતી વખતે સઈનાં દિલદિમાગમાં મુખ્ય ભૂમિકા માટે સંજીવકુમાર-તનુજા હતાં. દરમિયાન સંજીવકુમારને ખબર પડી કે ‘સ્પર્શ’ના નિર્માતા લો-બજેટવાળા બસુ ભટ્ટાચાર્ય છે એટલે પૈસાના પ્રોબ્લેમને કારણે એમણે (સંજીવકુમારે) ના પાડી દીધી. એ પછી સઈએ નસીરુદ્દીન શાહને લીધા. નસીર સાથે તનુજા જામે નહીં એટલે શબાના આઝમી આવ્યાં ને બાકી ઈતિહાસ. ‘સ્પર્શ’ને ઢગલાબંધ એવૉર્ડ્સ મળ્યા, જેમાં ત્રણ નેશનલ એવૉર્ડ ઉલ્લેખનીય છેઃ શ્રેષ્ઠ હિંદી ફિલ્મ, શ્રેષ્ઠ પટકથા (સઈ) શ્રેષ્ઠ અભિનય (નસીરુદ્દીન શાહ). જો સંજીવકુમારે ફિલ્મમાં કામ કરવાની હા પાડી હોત તો હિંદી સિનેમાઈતિહાસની એક ઉત્કૃષ્ટ ફિલ્મ સાથે એમનું નામ જોડાઈ ગયું હોત.

આત્મકથામાંથી આવી અનેક રસપ્રદ માહિતી મળે છે. ‘સ્પર્શ’ બાદ આવી સઈની બે વધુ સ-રસ ને સફળ ફિલ્મઃ ‘ચશ્મેબદ્દુર’ (1981) અને ‘કથા’ (1983). સઈના કહેવા મુજબ ‘સ્પર્શ’ જોઈને નિર્માતા ગુલ આનંદે એમને એક ફિલ્મ બનાવવા કહ્યું. શરત હતીઃ કૉમેડી જ બનાવવાની. સઈ પાસે વાર્તા તૈયાર હતી ને આમ સર્જાઈ હિંદી ફિલ્મઈતિહાસની કલ્ટ ફિલ્મનું બિરુદ મેળવી ગયેલી અને ફારુક શેખ-દીપ્તિ નવલ-સઈદ જાફરી-રાકેશ બેદી-રવિ બાસવાનીને ચમકાવતી ‘ચશ્મેબદ્દુર’. ત્યાર બાદ આવી ‘કથા’, જેનું શૂટિંગ પુણેની એક ચાલમાં થયેલું. 1990માં આવી દિશા. છેલ્લા નવેક મહિનાના કોવિડકાળનો સૌથી યાદગાર, સૌથી દારુણ એપિસોડ કોઈ હોય તો એ છે શહેરોમાંથી શ્રમિકોની પોતાના ગામ ભણી હિજરત. ‘દિશા’ આ જ વિષયની એક સશક્ત ફિલ્મ છે.

ફિલ્મો ઉપરાંત સઈના નામે અઢળક અંગ્રેજી-હિંદી-મરાઠી નાટકો, બાળનાટકો, ટીવીસિરિયલ્સ, ડૉક્યૂમેન્ટરી ફિલ્મો બોલે છે, જે બધાંનાં લેખન એમણે કર્યાં. એક ઈન્ટરવ્યુમાં એમણે કહેલું કે, મેં મારા જીવનમાં એટલુંબધું લખ્યું છે કે મારો જમણો હાથ ઓલમોસ્ટ નકામો બની ગયો છે.

અંગત જીવન પર એક નજર કરીએ તો, 1980ના દાયકામાં સઈએ નાટ્યઅભિનેતા અરુણ જોગળેકર સાથે લગ્ન કર્યાં. જો કે ધણી-ધણિયાણી બે જ વર્ષમાં છૂટાં પડ્યાં. આમ છતાં અરુણભાઉનો 1992માં દેહાંત થયો ત્યાં સુધી બન્નેની મૈત્રી અકબંધ રહી. સઈનો પુત્ર ગૌતમ મરાઠી ફિલ્મડિરેક્ટર, કૅમેરામૅન છે, જ્યારે પુત્રી વિની (અશ્વિની) અભિનેત્રી છે.

(કેતન મિસ્ત્રી)

Chitralekha Gujarati – December 14, 2020

PDF Version Password for PDF- cg14122020

૪ ડિસેમ્બર ૨૦૨૦

૪ ડિસેમ્બર ૨૦૨૦

બહુ વિકૃત વિચારો આવે છે…

એ તો આપણે જાણીએ જ છીએ કે, ભારતીય વાસ્તુના નિયમો કુદરતને આધીન છે. કુદરતના પાંચ તત્વોની સકારાત્મક ઉર્જા અને વ્યક્તિના પાંચ તત્વોની ઉર્જા જાગૃત કરવા માટેના આ નિયમો જીવનમાં ચેતના જગાડી શકે છે.

આજે જયારે કોરોનાના ભય અને અસલામતી વચ્ચે જીવન આગળ વધી રહ્યું છે ત્યારે અનેક લોકોના મનમાં પોતપોતાની સમસ્યાઓને લઈને ઘણા બધા સવાલો ઉદ્ભવે છે. એમાંથી કેટલાક ઉર્જાના વિજ્ઞાન સાથે જોડાયેલા પણ છે.

કેટલાક વાચકોના સવાલો સાથે આ નવા વિભાગની શરૂઆત કરી છે. અમદાવાદસ્થિત જાણીતા વાસ્તુશાસ્ત્ર કન્સલ્ટન્ટ મયંક રાવલ આ સવાલોના જવાબ આપશે, દર અઠવાડિયે. 

વાચકમિત્રોને માલુમ થાય કે, આપને પણ જો કોઈ સમસ્યા હોય તો નીચે જણાવેલા ઈ-મેઈલ પર આપ સવાલ પૂછી શકો છો…

સવાલઃ ભાઈશ્રી, હું તમને વર્ષોથી વાંચું છુ. સાચું કહું તો મને અને કદાચ મોટા ભાગના વાચકોને મુખ્ય ચાર દિશા સિવાયની દિશાઓનું સાચું જ્ઞાન નથી હોતું. તો આપના લેખમાં જયારે જરૂરી હોય ત્યારે એના વિશેની સમજણ આપતા રહેશો તો વાંચવાની વધારે મજા આવશે.

જવાબઃ બહેનશ્રી, આપનો વાસ્તુશાસ્ત્રમાં રસ ગમ્યો. સૂચન એ જ આપી શકે જે રસથી વાંચે છે. સવાલ એના મનમાં જ ઉદ્ભવે જે સમજવા પ્રયત્ન કરે છે. આગામી લેખોમાં હું આપના જણાવ્યા મુજબ લખીશ. મારો મુખ્ય ઉદ્દેશ્ય આપના સુધી સાચી માહિતી પહોંચાડવાનો છે.

હવે થોડી વાત દિશાઓની પણ કરી લઈએ. જે દિશામાંથી સૂર્ય ઉગે છે તે છે પૂર્વ દિશા. પૂર્વ તરફ મુખ રાખીને ઉભા રહીએ તો પીઠ પાછળ પશ્ચિમ આવે. ડાબા હાથ તરફ ઉત્તર અને જમણા હાથ તરફ દક્ષિણ દિશા આવે. ઉત્તર અને પૂર્વની વચ્ચે ઇશાન આવે. ઉત્તર અને પશ્ચિમની વચ્ચે વાયવ્ય આવે. દક્ષિણ અને પૂર્વની વચ્ચે અગ્નિ દિશા આવે અને દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે નૈરુત્ય દિશા આવે. આ વાત થઇ આઠ દિશાઓની. એ ઉપરાંતની અન્ય બે દિશાઓ છે ઉર્ધ્વ એટલે કે ઉપર અને અધ: એટલે કે નીચે. આ બધી જ દિશાઓ વાસ્તુના ગણિતમાં ખુબજ ઉપયોગી થાય છે. આ ઉપરાંત ઘણાબધા લોકોને બ્રહ્મ માટે સવાલો હોય છે. બ્રહ્મ એ કોઈ બિંદુ નથી. બ્રહ્મ માટેની વિસ્તૃત ચર્ચા આપણે આ જ વિભાગમાં કરીશું. સમગ્ર વાસ્તુના ઉભા અને આડા ત્રણ ત્રણ ભાગ કરતા કુલ નવ ભાગ બને છે. એ નવ ભાગમાં બરાબર વચ્ચેનો નવમો ભાગ છે તેને બ્રહ્મ કહેવામાં આવે છે. બ્રહ્મ એક વિસ્તાર છે એ કોઈ બિંદુ નથી એ સમજવું જરૂરી છે.

સવાલઃ મારી ઉંમર વીસ વરસની છે. હું કોલેજમાં ભણું છુ. મારો પરિવાર સંસ્કારી છે, પણ ખબર નહિ કેમ મને બહુ ગંદા ગંદા વિચારો આવે છે. વિકૃત સપનાંઓ પણ આવે છે. મને કોઈને કહેતા પણ શરમ આવે છે. આવું કેમ થતું હશે? હું પશ્ચિમના બેડરૂમમાં નૈરુત્ય તરફ માથું રાખીને સૂવું છું. મારું ઘર ખૂબ મોટું છે. એના બે દરવાજા છે. એક વાયવ્યમાં છે અને એક ઉત્તરમાં. મારો ઈલાજ કરવા વિનંતી.

જવાબઃ ભાઈશ્રી, માણસના શરીરના બદલાવને સ્વીકારવા પડે છે. આપ એવી ઉંમરમાં છો, જયારે શરીરમાં હોર્મોન્સ બદલાતા હોય અથવા તો બદલાયાને બહુ સમય ન થયો હોય. આવા સમયમાં ક્યારેક વિજાતીય વિચારો આવે, પણ એનું વિકૃત સ્વરૂપ ન જ હોવું

જોઈએ. આપ જે રીતે સૂવો છો તે આના માટે કારણભુત હોઈ શકે. આપ પૂર્વ તરફ માથું રાખીને સૂવો. સવારમાં વહેલા ઉઠો અને પ્રાણાયામ કરો. પાણી વધારે પીવો. મન શાંત રહેશે.

 

આજનું સૂચન: જો રાત્રે સારી ઊંઘ ન આવતી હોય તો તપાસ કરો. જો તમે ઉત્તર તરફ માથું રાખીને સૂતા હો તો લોહીના પરિભ્રમણ પર અસર થઇ શકે છે. ઉત્તર તરફ માથું રાખીને ન સૂવાની સલાહ છે.

(આપના સવાલો પૂછવા માટે ઈ-મેઈલ છેઃ vastunirmaan@gmail.com)

યહાં વો અજનબી નહીઃ શશી કપૂર

લોકપ્રિય અભિનેતા-નિર્માતા શશી કપૂરની આજે ત્રીજી પુણ્યતિથિ. ૪ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ એમનું નિધન થયું હતું. એમનું મૂળ નામ તો બલબીરરાજ પૃથ્વીરાજ કપૂર. ૧૮ માર્ચ, ૧૯૩૮ના રોજ કોલકાતામાં જન્મ. લાંબા સમય સુધી પરદા પર અભિનય કરવાની સાથે એમણે અમુક ક્લાસિક ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે. સિનેકલામાં આ પ્રદાન બદલ ૨૦૧૧માં શશી કપૂરને પદ્મભૂષણથી અને ૨૦૧૫માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સમ્માનિત કરાયા હતા. પિતા પૃથ્વીરાજ અને ભાઈ રાજ કપૂર બાદ ફાળકે એવોર્ડનું સર્વોચ્ચ સન્માન પામનારા કપૂર ખાનદાનના એ ત્રીજા કપૂર છે.

ચાલીસના દાયકાના અંતથી શશીજી બાળકલાકાર તરીકે ફિલ્મોમાં કામ કરતા થયા. ‘ધર્મપુત્ર’ (૧૯૬૧)થી એ હીરો તરીકે આવ્યા અને એ યાત્રા ૧૧૬ ફિલ્મ સુધી ચાલી, જેમાંથી ૬૧ ફિલ્મમાં એ સોલો હીરો હતા તો ૫૫ મલ્ટીસ્ટારર ફિલ્મ હતી. ૨૧ ફિલ્મમાં એ સહકલાકાર તરીકે પરદા પર પેશ થયા. અમિતાભ બચ્ચન સાથે શશી કપૂરે બાર ફિલ્મમાં કામ કર્યું છે. એમણે અંગ્રેજી ફિલ્મો પણ કરી હતી.

શશીજી ડોન બોસ્કો હાઈસ્કૂલ, માટુંગામાં ભણ્યા. અંગ્રેજ અભિનેત્રી જેનીફર કેન્ડલને કોલકાતામાં ૧૯૫૬માં નાટક દરમિયાન મળ્યા અને પ્રેમમાં પડી ગયા. જેનીફરના પિતાએ શરૂઆતમાં વિરોધ કર્યો, પણ ભાભી ગીતા બાલીએ એમને સહાય કરી હતી. જુલાઈ, ૧૯૫૮માં લગ્ન કર્યા પછી જેનીફર સાથે મળીને મુંબઈમાં જૂહુ ખાતે ૫ નવેમ્બર, ૧૯૭૮ના રોજ પૃથ્વી થિયેટર શરૂ કર્યું, જે આજે પણ નાટયપ્રેમીઓ માટે તીર્થ છે. ૧૯૮૪માં જેનીફરનું કેન્સરથી નિધન થયુ એ પછી અને શશીજી ભાંગી પડ્યા. એમનું સ્વાસ્થ્ય પણ સતત કથળતું રહ્યું.

શશી કપૂર લાંબો સમય નાદુરસ્ત રહ્યા હતા. મુખ્યત્વે વ્હીલ ચેર પર જ હતા. ફાળકે સમ્માન લેતી વખતે પણ કશું બોલી શક્યા નહોતા. ફક્ત એમની આંખમાંથી આંસુ સરતા હતા.

મુંબઈની કોકીલાબેન હોસ્પિટલમાં ૪ ડિસેમ્બર, ૨૦૧૭ની સાંજે એમણે છેલ્લા શ્વાસ લીધા ત્યારે એમની ઉંમર ૭૯ વર્ષ હતી. એમની વિદાય સાથે જ મનોરંજક અને સાર્થક સિનેમા તથા રંગકર્મનો એક યુગ પુરો થયો હતો.

(નરેશ કાપડીઆ-સુરત)  

વિચારો પર કાબુ કેવી રીતે મેળવવો?

(બી. કે. શિવાની)

આપણે એવું સમજીએ છીએ કે, આપણા મનમાં જે વિચારો બહારથી મનમાં આવે છે તે જ વિચારો પાછાં મનમાં આવશે અને મનમાંથી બહાર આવશે. જે વિચારો કે વસ્તુ મારા કંટ્રોલમાં નથી તે માટે આપણે ખૂબ સાવધાન રહે છીએ કે બહારથી મારા મનમાં શું આવી રહ્યું છે? પણ આપણા પોતાના કંટ્રોલમાં આપણે મન દ્વારા બહાર શું મોકલીએ છીએ? તેના પર આપણો સંપૂર્ણ કન્ટ્રોલ છે. આપણે એમ પણ કહીએ છીએ કે આપણા વિચારો જ (સંકલ્પ) આપણા ભાગ્યનું નિર્માણ કરે છે. કારણ કે જે આપણે મન દ્વારા જે વિચારો બહાર મોકલીએ છીએ તે આપણા સંકલ્પની શક્તિ હોય છે. 

જે કઈ બહાર જઈ રહ્યું છે તે જ પાછું મારી પાસે આવશે. એનો અર્થ એ છે કે, મારી પાસે જે પાછું આવવાનું છે તેને હું અત્યારે કંટ્રોલ કરી શકું છું. પરંતુ આ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે આપણે શ્રેષ્ઠ સંકલ્પોની શક્તિને બહાર મોકલી રહ્યા હતા. તમે મારા માટે શું વિચારશો, તમે મારી સાથે કેવી રીતે વાત કરશો? તેનો બધો આધાર એ મારા મનની શક્તિ છે જે હું તમારી પાસે વિચારો દ્વારા મોકલું છું. આપની પાસે હું જે શક્તિ મોકલીશ તે જ શક્તિ પાછી મારી પાસે આવશે. પરંતુ આપણે એ વાત ઉપર ધ્યાન જ  આપતા નથી કે હું કેવા પ્રકારની શક્તિ મોકલી રહેલ છું? 

આપણે મોટેભાગે એ બધી બાબતો ઉપર ધ્યાન આપીએ છીએ કે, તમે મને શું કહી રહ્યા છો? ધારો કે તમે મારી સાથે વ્યવસ્થિત રીતે વાત ન કરી, તો આ બાબતે મારા મનમાં વિચારો ચાલશે અને મારા મનને પ્રભાવિત કરશે. જો કોઈ આપની સાથે વ્યવસ્થિત વાત ન કરે તો મનમાં અનેક પ્રકારના વિચારો શરૂ થઈ જાય છે કે, તેમણે મારી સાથે યોગ્ય વ્યવહાર ન કર્યો. શું તેઓ મારાથી નારાજ થઈ ગયા હશે? તેમનો તો સ્વભાવ જ એવો છે. તેમના માટે ગમે કેટલું સારું કરો છતાં પણ તે મારાથી ક્યારેય પણ ખુશ થતા જ નથી. આવા પ્રકારના નકારાત્મક સંકલ્પો આપણને દુઃખ, અશાંતિ અને પરેશાનીનો અનુભવે છે. આપણે જ્યારે આવા નકારાત્મક વિચારોની શક્તિ બહાર મોકલીએ છીએ, ત્યારે બહારથી પણ મારી તરફ નકારાત્મક શક્તિ જ આવશે. આમ આપણે આપણું પોતાનું ભાગ્ય પોતે જ બનાવીએ છીએ. જેના પરિણામે સંબંધોમાં કડવાહટ આવી જાય છે.  

આપણી આસપાસ જે પણ ઘટનાઓ બને છે, ઘટના અગાઉ આપણે જે કર્મ કરેલ છે તેના જવાબ રૂપે જ હોય છે. ભૂતકાળમાં મેં જે કંઈ પણ કર્મ કર્યું હતું તેના કારણે જ આ બધી પરિસ્થિતિઓ મારી પાસે આવી રહી છે. આ માટે વર્તમાન સમયનું ઉદાહરણ લઇએ કે, જયારે જ્યારે આર્થિક મુશ્કેલીઓ આવી ત્યારે ઘણા બધા લોકો તેનાથી પ્રભાવિત થયા. નોકરીમાં કે ધંધામાં ચઢાવ ઉતરાવ પણ આવ્યો, જે એક પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેનાથી આપણે પ્રભાવિત થયા. આનું મૂળ કારણ અસલામતીની ભાવના છે. કે મારો ધંધો બરાબર નથી ચાલી રહ્યો. મારી બચત એકદમ ખલાસ થઇ જવા આવી છે. એટલે કે હવે  મારું ભાગ્ય સુરક્ષિત નથી. આ વાસ્તવમાં એક આર્થિક ગરીબી છે. આ એક પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે હવે આ પરિસ્થિતિમાં મારે કયા પ્રકારના વિચાર કરવા છે તે મારા ઉપર આધાર રાખે છે. મારા જીવનમાં જે કોઈ સમસ્યા આવી તે પણ એક પ્રકારનું મારું ભાગ્ય જ છે. જે મેં પોતે જ નક્કી કરેલ છે. આ એક બહુજ ગુહય વાત છે. મેં કહ્યું કે, આ એક પરિસ્થિતિ આવી, જેનાથી હું ભયભીત થઈ ગયી કે હવે મારું શું થશે? મારા પરિવારનું શું થશે? આ પરિસ્થિતિ ક્યારેય સામાન્ય નહિ બની શકે? 

જ્યારે આવા પ્રકારના નકારાત્મક વિચારો મનમાં આવવાના શરૂ થઇ જાય છે ત્યારે મનની સ્થિતિ કેવી થઈ જશે? હવે આર્થિક મુશ્કેલીઓ પણ આવી રહી છે. બધાને કોઈને કોઈ રૂપે પ્રભાવિત કર્યા વગર રહેશે નહિ. આજે આપણે વ્યવહારમાં જોઈએ છીએ કે, અલગ- અલગ વ્યક્તિઓ અલગ-અલગ રીતે આ આવનારી પરીસ્થિતિઓનો સ્વીકારે છે. આવી પરિસ્થિતિમાં ઘણા લોકો નિરાશ થઈને આત્મહત્યા પણ કરી લે છે. આ સમયે તેમના મનમાં ફક્ત એક જ પ્રકારના વિચારો ચાલતા હોય છે કે, હવે કશું સારું થઈ જ ના  શકે. 

આવી સ્થિતિમાં આપણે એક અલગ પ્રકારના વિચાર પણ કરી શકીએ છીએ. આ સમયે આપણે એવા વિચાર કરીએ કે, હા આ એક આર્થિક સમસ્યા છે પરંતુ આ સમયે મારે મારું ધ્યાન રાખવાનું છે અને મારા પરિવારનું પણ ધ્યાન રાખવાનું છે. ધારો કે મારો ધંધો બંધ થઈ ગયો છે, મારે ઘણી બધી પાર્ટીઓને પૈસા ચુકવવાના છે, સાથે-સાથે મારી પ્રતિષ્ઠા પણ સાચવી રાખવાની છે. આ સમયે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, મારે કોઈ પણ રીતે ઉધારની ચૂકવણી કરવાની છે. તેના માટે સૌ પ્રથમ મારે સ્વયંને મજબૂત કરવાની જરૂર છે. આવા કપરા સમયે આપણે આપણા મનને એવો સંકલ્પ આપીએ કે, મારો ધંધો ચાલતો નથી તો કઈ વાંધો નહીં. હવે આપણને જીવવા માટે વધારે પડતી ચીજ વસ્તુઓની આવશ્ક્તાઓ નથી. આવા સમયે આપણે એવો વિચાર કરવો જોઈએ કે, આ સમસ્યા આવી છે તો થોડા સમય પછી ચોક્કસ જતી પણ રહેશે. પરંતુ મારે કોઈ પણ સંજોગોમાં મારે મારા મનને સ્થિર રાખવું જ છે.

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

                              

 

 

પંચાંગ 04/12/2020

(મયંક રાવલ)

લોટરી, ગેમ્બલિંગ પર GST કાયદેસર: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (GST)માં લોટરી અને  જુગાર (ગેમ્બલિંગ)ના સમાવેશને કાયદેસર ગણાવ્યો છે. લોટરીમાં ઇનામની રકમ પણ ટેક્સના દાયરામાં આવે છે. એક ખાનગી લોટરી કંપનીએ લોટરીને GSTમાં સામેલ કરવાના સરકારના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો. એક ખાનગી કંપની Skill Lottoએ લોટરી પર GST લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.  

અરજીકર્તા લોટરી ડીલર્સનું કહેવું હતું કે સેન્ટ્રલ GST એક્ટ 2017 અને નોટિફિકેશનમાં ખોટી રીતે લોટરીઓને ગુડ્સ માની લેવામાં આવ્યો હતો, જ્યારે એ એક્શનેબલ ક્લેમ્સમાં આવે છે. સુપ્રીમ કોર્ટે આ બાબતે સાત નવેમ્બરે પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો.

GST કાઉન્સિલે ગયા વર્ષે ડિસેમ્બરમાં થયેલી બેઠકમાં લોટરી પર એક માર્ચ, 2020થી 28 ટકા GST લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મુદ્દે GST કાઉન્સિલમાં ઘણો વિચારવિમર્શ થયો હતો. GST કાઉન્સિલની બેઠકમાં એવું પહેલી વાર થયું હતું કે કોઈ મુદ્દે બહુમતથી નિર્ણય લેવા માટે મતદાનનો સહારો લેવો પડ્યો હતો.આ પહેલાં સુધી લોટરી પર ટેક્સની બે પ્રકારની વ્યવસ્થા હતી. જેના હેઠળ રાજ્યની લોટરીના રાજ્યમાં વેચાણ પર 12 ટકા અને રાજ્યની બહાર વેચાણ પર 28 ટકાના દરે GST લગાડવામાં આવતો હતો. 21 રાજ્યોએ 28 ટકાના દરે GST લગાવવા માટે ટેકો આપ્યો હતો, જ્યારે સાત રાજ્યોએ એનો વિરોધ કર્યો હતો.

 

 

 

દિવ્યાંગો માટેની યોજનામાં વિવેક ઓબેરોય ગુજરાત સરકારને સહયોગ કરશે

ગાંધીનગરઃ ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’ નિમિત્તે બોલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોય દિવ્યાંગ લોકોની સહાયતા માટે ગુજરાત સરકારે શરૂ કરેલી એક યોજનામાં સહભાગી થયો છે.

વિવેક અહીં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળ્યો હતો અને સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન યૂનિવર્સિટી મારફત દિવ્યાંગ લોકો માટે સ્ટાર્ટઅપ ઈનોવેશન શિક્ષણ પદ્ધતિ શરૂ કરવા માટે એમની સાથે વિગતવાર ચર્ચા કરી હતી.

વિજય રૂપાણીની સપોર્ટ અને પ્રોત્સાહન સાથે આ યોજના શરૂ કરવામાં આવી છે. એ માટે એક વિશેષ ઉત્પાદન ઝોનની રચના કરવામાં આવશે જ્યાં એવા ઉત્પાદનો બનાવવામાં આવશે જે દિવ્યાંગ લોકોની જરૂરિયાતોને પૂરી પાડે. દિવ્યાંગ લોકોને આવક પ્રાપ્ત થાય એ ઉદ્દેશ્ય સાથે ખાસ પ્રકારના ઉત્પાદનો બનાવવામાં આવશે, જે તેઓ જ બનાવશે.