Home Blog Page 4572

ફૂલનદેવી તો નથી, પણ તેમની સામેનો કેસ હજી જીવે છે….

કાનપુરઃ 80 ના દશકની શરુઆતમાં દેશ-પ્રદેશની રાજનીતિમાં ભૂકંપ લાવનારા બેહમઈ કાંડ મામલે આજે નીચલી કોર્ટનો નિર્ણય આવી શકે છે. આ કાંડના મુખ્ય આરોપી ફૂલન દેવીની 2001 માં હત્યા કરી દેવામાં આવી હતી. 2011માં જે પાંચ આરોપીઓ વિરુદ્ધ ટ્રાયલ શરુ થઇ હતી તેમાંથી એકનું મોત થયું છે.ફૂલનદેવી સાથે જોડાયેલા કાંડ મામલે આજે આવી શકે છે નિર્ણય  

આરોપ છે કે પોત-પોતાના સાથે થયેલા ગેંગ રેપનો બદલો લેવા માટે 14 ફેબ્રુઆરી 1981 ના રોજ ફૂલન દેવી અને તેની ગેંગના ઘણા અન્ય લોકોએ કાનપુરના બેહમઈ ગામમાં 20 લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આમાં 17 લોકો ઠાકુર સમાજ સાથે સંબંધ ધરાવતા હતા. ઘટનાના બે વર્ષ બાદ સુધી પણ ફૂલનની પોલીસ ધરપકડ ન કરી શકી.

1983 માં ફૂલન દેવીએ ઘણી શરતો સાથે મધ્યપ્રદેશમાં આત્મસમર્પણ કર્યું હતું. 1993 માં ફૂલન જેલથી બહાર આવી ગઈ હતી. તે સમાજવાદી પાર્ટીની ટીકિટ પર મિરઝાપુર લોકસભા સીટથી બે વાર સાંસદ બની હતી. 2001માં શેર સિંહ રાણાએ ફૂલન દેવીની દિલ્હીમાં તેમના ઘર પાસે જ હત્યા કરી નાંખી હતી. 2011 માં રામ સિંહ, ભીખા, પોસા, વિશ્વનાથ ઉર્ફે પુતાની અને શ્યામબાબુ વિરુદ્ધ આરોપ નક્કી થયા બાદ ટ્રાયલ શરુ થયું. રામ સિંહનું જેલમાં જ મોત થયું. અત્યારે પોસા જેલમાં છે.

આ હત્યાકાંડમાં માર્યા ગયેલા લોકોની વિધવાઓ ન્યાય માટે વાટ જોતી રહી. આ પૈકી અત્યારે 8 ની વિધવા જીવિત છે.આ લોકો પશુપાલન કરીને પોતાનું જીવન પસાર કરી રહી છે. તેમને વિધવા પેન્શન આપવાનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ તે માત્ર વચન જ રહી ગયું. ગામમાં વિજળી ક્યારેક જ આવે છે અને રાતના સમયે તો આખુ ગામ અંધકારમાં ડૂબી જાય છે. અહીંયા નજીકનું બસ્ટેન્ડ પણ 14 કિલોમીટર દૂર છે. પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર સુધી જવામાં બે કલાક જેટલો સમય લાગી જાય છે. 300 ઘરના આ ગામમાં રહેતી વિધવાઓ પાસે ગરીબીમાં જીવ્યા સિવાયનો કોઈ રસ્તો બચ્યો નથી.

JNU કેમ્પસમાં આખરે શું થયું? 10 મુદ્દાઓમાં સમજીએ…

નવી દિલ્હીઃ ભારતની પ્રતિષ્ઠિત જવાહર લાલ નહેરુ યૂનિવર્સિટી (JNU) માં ગઈકાલે લાકડી અને ડંડાથી આશરે 50 જેટલા અજાણ્યા બદમાશોએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલો કર્યો. હુમલો કરનારા લોકોમાં યુવતીઓ પણ હતી. આરોપીઓએ હોસ્ટેલમાં તોડફોડ કરી અને ત્યાંની ગાડીઓને પણ ક્ષતિગ્રસ્ત કરી દીધી. આ હુમલામાં JNUSU અધ્યક્ષ આઈશી ઘોષ ગંભીર રીતે ઘાયલ થઈ છે. હુમલામાં કુલ 24 જેટલા લોકો ઘાયલ થયા છે. આમાં 5 શિક્ષક અને 19 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે તમામ ઘાયલોની તબિયત અત્યારે સારી છે. ઘાયલ વિદ્યાર્થીઓએ ABVP કાર્યકર્તાઓ પર મારામારીનો આરોપ લગાવ્યો છે. તો ABVP નેતાઓનો આરોપ છે કે લેફ્ટ વિંગના વિદ્યાર્થીઓએ તેમની સાથે મારામારી કરી છે. તેમના કેટલાક કાર્યકર્તાઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટના બાદ JNU કેમ્પસમાં પત્રકારો સાથે મારામારી કરવામાં આવી. આ ઘટનાના ઘણા વિડીયો સામે આવ્યા છે. અત્યારે JNU બહાર ભારે સંખ્યામાં પોલીસ દળની તેનાતી કરવામાં આવી છે.

  1. 1 જાન્યુઆરી 2020 થી જેએનયૂમાં શિયાળુ સત્ર શરુ થયું. વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન ચાલી રહ્યું હતું. જેએનયૂમાં ભણી રહેલા વિદ્યાર્થીઓનું એક જૂથ આનો વિરોધ કરી રહ્યું હતું.
  2. 3 જાન્યુઆરીનો વિરોધ કરનારા વિદ્યાર્થી કમ્યુનિકેશન એન્ડ ઈન્ફોર્મેશન સર્વિસીઝ કેમ્પસમાં ઘુસ્યા અને ઈન્ટરનેટ સર્વરને ખરાબ કરી દીધું. રજિસ્ટ્રેશન પ્રક્રિયા રોકાઈ ગઈ. સર્વર ખરાબ કરનારા વિદ્યાર્થીઓની ઓળખ કરી લેવામાં આવી છે.
  3. 4 જાન્યુઆરીના રોજ એકવાર ફરીથી રજીસ્ટ્રેશન શરુ થયા. વિદ્યાર્થીઓના એક સમૂહે આ વખતે ઈન્ટરનેટની સાથે જ વિજળી સપ્લાય પણ બંધ કરી દીધો. વિરોધ કરનારા વિદ્યાર્થીઓએ કેટલીક બિલ્ડીંગ પર તાળુ લગાવી દીધું.
  4. 5 જાન્યુઆરી એટલે કે રવિવારના રોજ 4:30 વાગ્યે કેટલાક વિદ્યાર્થીઓ હોસ્ટેલ તરફ થઈ રહ્યા હતા. આ એ વિદ્યાર્થીઓ હતા કે જેઓ રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા હતા. તેમને રોકવામાં આવ્યા અને તેમની સાથે મારપીટ કરવામાં આવી.
  5. રવિવારના રોજ સાંજે લાકડી અને દંડા સાથે આશરે 50 લોકો હોસ્ટેલમાં ઘુસ્યા અને વિદ્યાર્થીઓ પર હુમલો કરી દીધો. વિદ્યાર્થીઓ પર ધારદાર હથિયારથી પણ વાર કરવામાં આવ્યા.
  6. અસામાજીક તત્વોએ વિદ્યાર્થીઓ જ નહી પરંતુ શિક્ષકો પર હુમલો કર્યો. હુમલામાં પાંચ શિક્ષકો પણ ઘાયલ થયા. JNUTU એ ઘટનાની નિંદા કરતા આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
  7. હુમલામાં યૂનિવર્સિટીની પ્રેસિડન્ટ આઈશી ઘોષ ગંભીર રીતે ઘાયલ થઈ છે. તેના માથાના ભાગે હુમલો કરવામાં આવ્યો છે. તેના માથામાંથી લોહીની ધાર થઈ રહી છે તેવો વિડીયો પણ સામે આવ્યો છે.
  8. હુમલામાં 19 વિદ્યાર્થીઓ અને પાંચ શિક્ષકો પણ ઘાયલ થયા છે. કેટલાક વિદ્યાર્થીઓના હાથ અને પગ પણ ફ્રેક્ચર થઈ ગયા છે. AIIMS માં તેમની સારવાર ચાલી રહી છે. તમામ નેતા વિદ્યાર્થીઓને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા.
  9. લેફ્ટ વિંગ સમર્થિત પીડિત વિદ્યાર્થીઓએ ABVP પર મારપીટનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે ABVP નેતા જ રજીસ્ટ્રેશનનો વિરોધ કરી રહ્યા હતા.
  10. બીજી બાજુ ABVP નેતાઓ પર આરોપ લગાવવામાં આવ્યો કે લેફ્ટ વિંગના વિદ્યાર્થીઓએ તેમની સાથે મારપીટ કરી છે. હુમલામાં ABVP ના આશરે 20 કાર્યકર્તાઓ ઘાયલ થયા છે જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટના બાદ JNU માં મોટી સંખ્યામાં પોલીસ દળની તેનાતી કરવામાં આવી છે. જોઈન્ટ કમિશનર શાલિની સિંહને આ મામલે તપાસ સોંપવામાં આવી છે.

રાજકોટમાં બાળકોના મોત મામલે કોંગ્રેસના નેતાઓ ધરણા પર બેઠા

અમદાવાદઃ સરકારી હોસ્પિટલમાં બે-પાંચ બાળકોના મોત થઈ જાય તો તે ગંભીર બાબત કહેવાય. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ મહિનામાં 352 નવજાત શિશુના મોત નિપજ્યા છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હોમ ટાઉનમાં છેલ્લા એક વર્ષમાં એક હજારથી વધુ બાળકો મોતે ભેટ્યા છે. ત્યારે રાજકોટ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા વશરામ સાગઠિયાએ સીએમ રૂપાણીના રાજીનામાની માગ કરી.

રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં નવજાત શીશુઓના મોતનો દર ઘણો વધ્યો છે. પરંતુ તંત્રને જાણે તેની ગંભીરતા નથી.. અને તેથી બાળકોના મોતનો સિલસિલો રોકાતો નથી. મોટાભાગના બાળકોના મોત કુપોષણને કારણે થયા છે. માતા-પિતા પોતાના વહાલસોયા બાળકોનું સ્વાસ્થ્ય સારૂ થઈ જશે તેવી આશાએ સિવિલ હોસ્પિટલનો લાભ લે છે. પરંતુ દાખલ થનારા બાળકોમાંથી ઘણા બાળકો બચી શકતા નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2019માં 1,235 બાળકોનાં મોત થયા. જેમાં છેલ્લા ત્રણ મહિનામાં 352 બાળકોનાં મોત થયા હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. ઓક્ટોબરમાં 131, નવેમ્બરમાં 110 અને ડિસેમ્બરમાં 112 બાળકોનાં મોત નોંધાયા છે. તો સિવિલ હોસ્પિટલના સુપરીટેન્ડન્ટ મનીષ મહેતા એવો દાવો કર્યો કે હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ છે. પૂરતા સાધનો છે. તો બાળકોના મૃત્યું કેમ થઈ રહ્યા છે તે મોટો સવાલ છે.

ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલે સ્વીકાર્યું કે તબીબો ખાનગી પ્રેક્ટિસ કરવામાં વધુ રસ છે. જેને કારણે સરકારી હોસ્પિટલોમાં સ્ટાફની અછત વર્તાય છે. બાળકોના મોત પર રાજકારણ ગરમાયુ છે. રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા વશરામ સાગઠિયાએ સિવિલ હોસ્પિટલ પહોંચીને જશ ખાટવાનો પ્રયાસ કર્યો. રાજસ્થાનની કોટામાં 100થી વધુ બાળકોનાં મોત મામલે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતનું રાજીનામુ માગતા ભાજપ પાસે હવે રાજકોટમાં બાળકોનાં મોત મામલે તેમણે સીએમ વિજય રૂપાણીના રાજીનામાની માગ કરી ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર માટે આવેલા બાળદર્દીઓના પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર બેદરકાર હોવાનો અને કોઈપણ પ્રકારે સંતોષકારક સારવાર આપવામાં ન આવતી હોવાના આક્ષેપો કર્યા.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં 111 મોત થયા છે. ત્યારે હોસ્પિટલ બહાર સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. બાળકોની હોસ્પિટલ બહાર એસઆરપી જવાનો બંદોબસ્તમાં જોડાયા છે.

ત્યારે હવે સમગ્ર મામલે કોંગ્રેસ પણ મેદાને આવી છે. કોંગ્રેસ સિવિલ હોસ્પિટલ ચોકમાં ધરણા પર બેઠી છે. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા છે. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ ધરણામાં જોડાયા છે. ધરણા પર બેસતા પહેલા અમિત ચાવડાએ કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમજ સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યો જોડાયા છે. બેનર સાથે નારા લગાવવામાં આવ્યા હતા કે અટકાવો ભાઇ અટકાવો બાળકોના મોત અટકાવો. પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જવાબદારો રાજીનામા આપે.

આ અંગે અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતનું ભાવિ મરી રહ્યું છે ઓર્ગેનાઇઝડ ગુનો હોય એવું લાગે છે. અમારે કોઈ રાજનીતિ નથી કરવી પણ 70 ટકા જગ્યા રાજકોટમાં ખાલી છે. દર્દી હેરાન થાય છે, સરકાર જવાબદારી નિભાવી નથી શકતી. જવાબદારોએ રાજીનામાં આપવા જોઈએ. રાજકોટમાં 1234 બાળકોના મોત થયા, ગુજરાતમાં 25000ના મોત થયા છે.

JNUમાં હિચકારો હુમલોઃ ઘાયલ વિદ્યાર્થી સંઘ અધ્યક્ષા આઈશી ઘોષનાં માતાપિતા ગુસ્સામાં, ચિંતિત

કોલકાતા/નવી દિલ્હી – દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ફીમાં કરાયેલા વધારા સામે વિદ્યાર્થીઓ લાંબા સમયથી આંદોલન કરી રહ્યાં છે. આ મુદ્દે હવે વિદ્યાર્થીઓમાં બે ગ્રુપ પડી ગયા છે – એક છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પ્રેરિત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) ગ્રુપ અને બીજું છે ડાબેરી વિચારસરણીવાળા પક્ષો દ્વારા પ્રેરિત ગ્રુપ.

ગઈ કાલે સાંજે લગભગ 4.30 વાગ્યે કેટલાક બુકાનીધારી શખ્સો યુનિવર્સિટીના કેમ્પસમાં ઘૂસ્યા હતા અને તોડફોડ કરી હતી તથા ગર્લ્સ હોસ્ટેલ સહિત 3 હોસ્ટેલમાં પણ ત્રાટકીને વિદ્યાર્થીઓની નિર્દયતાપૂર્વક મારપીટ કરી હતી. હુમલાખોરો લાઠી, હોકી સ્ટીક, લોખંડના સળિયા અને પથ્થરો સાથે ત્રાટક્યા હતા. એ હુમલામાં વિદ્યાર્થી સંગઠનના મહિલા અધ્યક્ષ આઈશી ઘોષ ગંભીર રીતે ઘાયલ થયાં છે. એમને માથામાં માર મારવામાં આવ્યો હતો અને માથામાં એમને પાંચ ટાંકા આવ્યા છે.

આઈશી ઘોષને એમ્સ હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેઓ હાલ આઈસીયૂમાં છે.

12 જેટલા શખ્સોએ કરેલા હુમલામાં 27 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા એમાંના 18 જણને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આઈશી ઘોષનાં કોલકાતા સ્થિત નિવાસસ્થાને એમનાં માતા-પિતાએ આ હુમલા અંગે રોષ અને ચિંતાની લાગણી વ્યક્ત કરી છે.

આઈશીનાં પિતાએ કહ્યું કે આજે મારી દીકરી પર હુમલો કરવામાં આવ્યો છે, કાલે કદાચ મારી ઉપર કરવામાં આવે.

આઈશીનાં માતાએ જેએનયૂના વાઈસ-ચાન્સેલરના રાજીનામાની માગણી કરી છે અને સાથોસાથ એમ પણ કહ્યું છે કે આ હુમલો થયો તે છતાં પોતે એમની દીકરીને ફી વધારા સામેનું આંદોલન પડતું મૂકવા નહીં કહે.

આઈશીનાં પિતાએ કહ્યું કે, આખા દેશમાં પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. અમને ભયભીત છીએ. આજે મારી દીકરી પર હુમલો કરવામાં આવ્યો છે, કાલે કદાચ કોઈ બીજા પર હુમલો થઈ શકે છે. કોને ખબર, કદાચ મારી પણ મારપીટ કરવામાં આવે.

એમણે કહ્યું કે, હુમલાની જાણ મને બીજાં લોકો તરફથી થઈ હતી. ફી વધારા સામે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા હતા. આઈશીને માથામાં પાંચ ટાંકા આવ્યા છે. અમે ચિંતામાં છીએ.

એમણે કહ્યું કે આજે દેશભરમાં ડાબેરીઓનો વિરોધ થઈ રહ્યો છે. મારી દીકરી ડાબેરીઓનાં આંદોલનમાં જોડાઈ છે. દરેક જણ ડાબેરી આંદોલનનો વિરોધ કરે છે.

આઈશીનાં માતાએ કહ્યું કે જેએનયૂના વાઈસ-ચાન્સેલર એમ. જગદીશ કુમારે રાજીનામું આપવું જોઈએ, કારણ કે ફી વધારા સામે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે તેઓ સીધી વાટાઘાટ શરૂ કરાવતા નથી.

પોલીસે આખી રાત જેએનયૂ પરિસરમાં ફ્લેગમાર્ચ કરી

દરમિયાન, દિલ્હી પોલીસે ગઈ આખી રાત જેએનયૂ પરિસરમાં ફ્લેગમાર્ચ કરી હતી. યુનિવર્સિટીના સંચાલકોએ રવિવારે સાંજે કરાયેલા હુમલા અંગે પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે. પોલીસે લગભગ 50 જેટલા વિદ્યાર્થીઓને અટકમાં લીધા છે. હુમલા માટે ડાબેરી તરફી વિદ્યાર્થી સંગઠનો તથા એબીવીપી એકબીજાને દોષી ગણાવે છે.

બુકાનીધારી હુમલાખોરોમાં છોકરીઓનો પણ સમાવેશ થતો હતો.

હુમલાની જાણ થયા બાદ તરત જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીના પોલીસ કમિશનર સાથે ફોન પર વાત કરી હતી અને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.

જેએનયૂના વિદ્યાર્થી રહી ચૂકેલા વિદેશ પ્રધાન એસ. જયશંકર અને નાણાં પ્રધાન નિર્મલા સીતારામને હુમલાને વખોડી કાઢ્યો છે.

10 કંપની રૂ. 7,185 કરોડનાં કમર્શિયલ પેપર્સ BSE પર લિસ્ટ કરશે

મુંબઈ – બજાજ ફાઈનાન્સ, નેશનલ ફર્ટિલાઈઝર્સ, નેટવર્ક18 મીડિયા એન્ડ ઈન્વેસ્ટમેન્ટ, ટીવી18 બ્રોડકાસ્ટ, બજાજ હાઉસિંગ ફાઈનાન્સ, એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસીસ, એક્સિસ ફાઈનાન્સ, આદિત્ય બિરલા મની, આઈસીઆઈસીઆઈ હોમ ફાઈનાન્સ કંપની અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ્સ એન્ડ લોન્સ (ઈન્ડિયા)એ તેમનાં કમર્શિયલ પેપરના કુલ રૂ.7,185 કરોડના ઈશ્યુને લિસ્ટ કરવા માટેની અરજી કરી છે. બીએસઈમાં આ ઈશ્યુઓનાં કમર્શિયલ પેપર્સ 6 જાન્યુઆરી, 2020થી લિસ્ટ થશે.

અત્યાર સુધીમાં 59 ઈશ્યુઅરોના રૂ.1,28,745 કરોડના કમર્શિયલ પેપર્સના 381 ઈશ્યુઓ લિસ્ટ કરવામાં આવ્યા છે. આ ઈશ્યુઝની સરેરાશ 132 દિવસની મુદત પરનું વેઈટેડ એવરેજ યીલ્ડ 6.09 ટકા રહ્યું છે.

બીએસઈ દેશની કંપનીઓને મૂડી એકત્ર કરવામાં સહાય કરી રહ્યું છે. બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ જુલાઈ 2016માં લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધી (3 જાન્યુઆરી, 2020)માં ભારતીય કંપનીઓના રૂ.4,50,143.52 કરોડ (63.10 અબજ યુએસ ડોલર)ના ડેટનું લિસ્ટિંગ કરવામાં આવ્યું છે. આમાંથી બીએસઈએ સફળતાપૂર્વક રૂ.2,29,877 કરોડનું ભંડોળ (32.22 અબજ ડોલર) એકત્ર કરી આશરે 60 ટકા બજાર હિસ્સો પ્રાપ્ત કર્યો છે. છે. નાણાકીય વર્ષ 2019-20માં (3 જાન્યુઆરી, 2020) સુધીમાં બીએસઈએ સફળતાપૂર્વક રૂ.9,36,340 કરોડ (131.25 અબજ ડોલર) એકત્ર કર્યા છે.

રાશિ ભવિષ્ય 06/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમા મિલન-મુલાકાત થઇ શકે, માર્કેટિંગ ક્ષેત્રમા પરિચિતકે જુનાસંપર્કમા કામકાજ કરવામા આવેતો સારુ પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સાંભળવા મળે,  વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે,  વેપારમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વિચારમતભેદ ના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા સમયનો દુર્વ્યય વધુ થાય


આજનો દિવસ સામાન્ય છે, મન થોડુ અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમા  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમા નાનુ અને ગણતરીપુર્વાક્નુ કામ કરવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમા અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે,  તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમા ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમીપરિબળથી દુર રહેવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમા પણ તમારા ધાર્યા કામ થાય મન થોડુ આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમા ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમા પણ યોગ્ય રાહ મળે તેવુ બની શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવુ અને ક્યાય કોઈની સાથે ઉગ્રતા ના થાય તે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે, વેપારમા જોખમથી દુર રહેવુ.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવુ પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનુ ફળ સારુ મળી શકે તેવુ પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને અન્યનુ માર્ગર્દર્શન સારુ મળી રહે, વેપારમા લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળી શકે છે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમા દિવસ પસાર થઇ જાય, તમારા કામમા થોડા વ્યસ્ત રહો તેવુ પણ બની શકે છે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમા આતુરતા વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમા તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમા સારાકામ કર્યાનો સંતોષ મળે, વેપારમા નાનુ કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીમા પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમા કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવુ,


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવોતો કંઇક સારુ શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમા આયોજનબદ્ધ કામ કરવાથી સારુ પરિણામ મળી રહે, વેપારમા અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે,

દિલ્હીની JNU હોસ્ટેલમાં ઘૂસી બુકાનીધારી શખ્સોએ વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલા કર્યા

નવી દિલ્હી – અત્રેની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં આજે ફરી હિંસક ઘટના બની છે. યુનિવર્સિટીના કેમ્પસમાં ઘૂસીને કેટલાક બુકાનીધારી શખ્સોએ મારધાડ કરી હતી. એમાં વિદ્યાર્થી સંગઠનના પ્રમુખ આઈશી ઘોષને માથામાં સખત ઈજા થઈ હતી.

આઈશીએ કહ્યું કે લાઠીઓ અને લોખંડના સળિયાઓ સાથે આવેલા બુકાનીધારી ઈસમોએ મારી પર હુમલો કર્યો હતો. એમણે મારી બહુ મારપીટ કરી હતી.

યુનિવર્સિટીના CSRD વિભાગનાં સુચારિતા સેન ઉપર પણ હુમલો કરાયો હતો. એમને માથામાં ઈજા થતાં એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં છે. હુમલામાં આઈશી ઘોષ ઉપરાંત વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી સતિષ ચંદ્ર તથા ઘણા શિક્ષકો પણ ઘાયલ થયાં છે.

મારપીટની આ ઘટના બાદ 7 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.

દરમિયાન, કેમ્પસના મુખ્ય પ્રવેશદ્વાર પર પોલીસોને તહેનાત કરવામાં આવ્યા છે.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે જેએનયૂમાં થયેલી હિંસક ઘટનાથી સ્તબ્ધ થઈ ગયો છું. વિદ્યાર્થીઓને બહુ ખરાબ રીતે મારવામાં આવ્યા છે. પોલીસે તત્કાળ હિંસા રોકીને કેમ્પસમાં શાંતિ પ્રસ્થાપિત કરવી જોઈએ. આ રીતે યુનિવર્સિટીના કેમ્પસની અંદર આપણા વિદ્યાર્થીઓ સુરક્ષિત નહીં રહે તો આપણો દેશ આમ કેવી રીતે પ્રગતિ કરશે.

કેમ્પસમાં મારપીટનો એક વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. જેમાં બુકાની બાંધેલા લોકો ઘોષ તથા અન્ય વિદ્યાર્થીઓ પર હુમલો કરતા નજરે પડે છે.

બુકાનીધારીઓ જેએનયૂની અંદર આવેલી સાબરમતી હોસ્ટેલ, માહી માંડવી હોસ્ટેલ, પેરિયાર હોસ્ટેલમાં ઘૂસ્યા હતા અને વિદ્યાર્થીઓની મારપીટ કરી હતી.

વિદ્યાર્થી સંઘનો આરોપ છે કે આ હુમલો આરએસએસ સંલગ્ન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) દ્વારા કરાવવામાં આવ્યો હતો. ગુંડાઓએ પથ્થરમારો પણ કર્યો હતો અને હોસ્ટેલની મિલકતની તોડફોડ પણ કરી હતી.

ઈજાગ્રસ્ત આઈશી ઘોષ અને સુચારિતા સેનનાં ફોટા અને વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા છે.

આ હિંસક અથડામણ એબીવીપી અને ડાબેરી ઝોક ધરાવતા વિદ્યાર્થીઓ વચ્ચે ફાટી નીકળી હતી.

એબીવીપીનો દાવો છે કે ડાબેરી પક્ષો તરફી વિદ્યાર્થી સંગઠનોએ તેના સભ્યો પર ક્રૂરપણે હુમલો કર્યો હતો જેમાં તેના 25 સભ્યો ઘાયલ થયા છે.

CAAના ટેકામાં ભાજપ દ્વારા ‘જન જાગૃતિ ઝુંબેશ’…

કેન્દ્રીય શાસક ભારતીય જનતા પાર્ટી દ્વારા નાગરિકતા સુધારિત કાયદા (CAA)ના સમર્થન માટે 5 જાન્યુઆરી, રવિવારે 'જન જાગરણ અભિયાન' નામે જનજાગૃતિ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે. તે અંતર્ગત કેન્દ્રીય પ્રધાનોએ જુદા જુદા શહેરોમાં જઈને આ કાયદા વિશે લોકોને માહિતગાર કર્યા હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ લખનઉમાં


પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન વારાણસીમાં


વન, પર્યાવરણ સંરક્ષણ પ્રધાન બાબુલ સુપ્રિયો કોલકાતામાં


અલ્પસંખ્યકોના ખાતાના પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વી રામપુર (ઉ.પ્ર.)માં


ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ગોરખપુરમાં


કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદ ધાર્મિક અત્યાચારનો ભોગ બનેલા હિન્દુ દંપતીની નવજાત પુત્રીને હાથમાં લઈને રમાડે છે. આ બાળકીનાં દિલ્હીમાં રહેતા માતાપિતાએ એનું નામ 'નાગરિકતા' પાડ્યું છે, કારણકે એનો જન્મ સંસદમાં નાગરિકતા સુધારિત ખરડો પાસ થઈને કાયદો બન્યો હતો એ દિવસે થયો હતો.