Home Blog Page 4576

ઈરાનની સંસદમાં સુલેમાનીનો બદલો લેવા કરાયો સંકલ્પ

તેહરાન: ઈરાનના જનરલ કાસિમ સુલેમાનીની અમેરિકા દ્વારા કરાયેલી હત્યા પછી હવે બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ છે. ઈરાનમાં અમેરિકા વિરુદ્ધ ગુસ્સાનો માહોલ છે. આ બધા વચ્ચે ઈરાનની સંસદમાં અમેરિકન સેના અને પેન્ટાગનને આતંકી સંગઠન જાહેર કરવાના સમર્થનમાં મતદાન થયું. ઈરાનના સરકારી મીડિયા અનુસાર, સાંસદોએ સુલેમાનીની હત્યાના વિરોધમાં આ પ્રસ્તાવ પાસ કર્યો. અમેરિકા અને ઈરાનના ટોચના નેતાઓ એકબીજા પર આકરા નિવેદન કરી રહ્યા છે.

ઈરાની મીડિયા અનુસાર, સંસદમાં બિલ પાસ થયા પહેલા અમેરિકા અને ઈઝરાયલની સખ્ત નિંદા કરવામાં આવી. સાંસદોએ સુલેમાનીની હત્યાનો બદલો લેવા અને અમેરિકા-ઈઝરાયલને પાઠ ભણાવવાનો સંકલ્પ કર્યો. આ અગાઉ પાંચ જાન્યુઆરીએ સંસદમાં સાંસદોએ અમેરિકાની મોતના નારા લગાવ્યા હતા. સોમવારે સુલેમાનીની અંતિમ યાત્રા દરમ્યાન લોકોના ટોળાં તેહરાનના રસ્તાઓ પર ઉતરી આવ્યા. હાથમાં પ્લેકાર્ડ લઈને પહોંચેલા આ લોકોએ અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ જોરદાર નારેબાજી કરી.

તેહરાન યુનિવર્સિટીમાં સુલેમાનીના અંતિમ દર્શન માટે મોટી સંખ્યમાં લોકો ભેગા થયા હતા. સ્થાનિક નિવાસીએ તેમના કમાન્ડરના પોસ્ટર લઈને આવ્યા હતા અને જોર જોરથી નારા લગાવ્યા હતા. તેમના કમાન્ડરને અંતિમ વિદાઈ આપતી વખતે દેશના સર્વોચ્ચ નેતા ખામનેઈ ખૂબ જ ભાવુક થઈ ગયા અને રડવા લાગ્યા. નમાઝ દરમ્યાન પણ તેમનો અવાજ અનેક વખત રુંધાઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે બગદાદ આંતરાષ્ટ્રીય વિમાનમથક પર અમેરિકાએ ડ્રોન વડે હુમલો કર્યો હતો જેમાં સુલેમાનીનું મોત થયું હતું. હુમલો ઈરાન માટે મોટા ઝટકા સમાન છે અને પશ્ચિમ એશિયામાં નવા સ્તર પર યુદ્ધની આશંકાઓને પ્રોત્સાહન મળ્યું છે. ઈરાને 2015 પરમાણુ સમજૂતીમાંથી છૂટા પડવાની જાહેરાત કરી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ અને વખત કહી ચૂક્યા છે કે, ઈરાન અમેરિકન પ્રતિષ્ઠાનોને નુકસાન પહોંચાડશે તો તેમને કડક વલણ દાખવી જવાબ આપવામાં આવશે.

દિલ્હીની નિર્ભયાના દોષિતોને 22 જાન્યુઆરી ફાંસી

નવી દિલ્હીઃ વર્ષ 2012માં નિર્ભયા ગેંગરેપ મામલામાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મંગળવારે ચારેય દોષિતોનું ડેથ વોરંટ જારી કરી દીધું છે. આ ચારેયને 22 જાન્યુઆરી સવારે 7 કલાકે ફાંસી પર લટકાવવામાં આવશે. આ પહેલા પટિયાલા હાઉસ કોર્ટના જજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચારેય દોષીઓ સાથે વાત કરી હતી. આ દરમિયાન મીડિયાને બહાર રાખવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન નિર્ભયાની માતા અને દોષી મુકેશની માતા કોર્ટમાં રડી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે નિર્ભયા મામલામાં ચારેય દોષિતો અક્ષય, મુકેશ, વિનય અને પવનને પહેલા જ ફાંસીની સજા આપવામાં આવી ચુકી છે.

ચારેય આરોપીઓને ફાંસીને સજાના એલાન બાદ નિર્ભયાની માતાએ કહ્યું કે, આજે અમારા માટે ખુબ મોટો દિવસ છે. અમે છેલ્લા 7 વર્ષથી લડત લડી રહ્યાં હતા. નિર્ભયાના માતાએ કહ્યું કે, ઝડપથી ચારેય આરોપીઓને ફાંસીના માચડે ચડાવી દેવામાં આવે.

પટિયાલા હાઉસ કૉર્ટમાં દોષિતોનાં વકીલે દલીલ કરી કે તેઓ પોતાના ક્લાયન્ટને નથી મળી શક્યા. દોષિતોનાં વકીલે દાવો કર્યો કે તેમના ક્લાયન્ટને જેલમાં ટૉર્ચર કરવામાં આવ્યા છે. નિર્ભયાનાં દોષિતોએ કૉર્ટમાં નવી અરજી દાખલ કરી છે. દોષિતોનાં વકીલે કહ્યું કે, “તેમના ક્લાયન્ટ ક્યૂરેટિવ પિટિશન દાખ કરવા ઇચ્છે છે.” દોષિ મુકેશ તરફથી રજૂ થયેલા વકીલ એમ.એલ. શર્માએ કહ્યું કે, “તેમનો ક્લાયન્ટ સુપ્રીમ કૉર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવા ઇચ્છે છે. તિહાડ જેલ ઑથોરિટીની રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ છે.”

કૉર્ટમાં સુનાવણી દરમિયાન નિર્ભયાનાં પરિવારે કૉર્ટથી માગ કરતા કહ્યું કે, “તમામ ચારેય દોષિઓની વિરુદ્ધ જલદીથી જલદી ડેથ વૉરંટ જાહેર કરી દેવામાં આવે.” નિર્ભયાનાં માતાનાં વકીલે કહ્યું કે, “ડેથ વૉરંટ બાદ પણ દોષિતોની પાસે તક હશે. દોષિતોની કોઈપણ અરજી ક્યાંય પણ પેન્ડિંગ નથી. આ કારણે કૉર્ટ ડેથ વૉરંટ જાહેર કરી શકે છે.” સરકારી વકીલે દલીલ આપતા કહ્યું કે, “નિષ્ણાતો અરજીની વિરુદ્ધ છે. સરકારી વકીલે કહ્યું કે દોષી ફક્ત ટાળવાની વાત કરે છે.”

ચાર-દિવસની ટેસ્ટ મેચનો આઈડિયાઃ કોહલી, તેંડુલકર સાથે ઈરફાન પઠાણ અસહમત

વડોદરા – ટેસ્ટ મેચોને પાંચને બદલે ચાર-ચાર દિવસની કરવા અંગે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ એક વિચાર તાજેતરમાં વહેતો મૂક્યો છે. એનો પ્રસ્તાવ છે કે 2023થી 2031ની સાલ સુધીના સમયગાળામાં દરેક ટેસ્ટ મેચને ચાર-દિવસની કરવી જોઈએ. એણે આ વિશે ક્રિકેટ રમતાં દેશોના આગેવાનો પાસેથી પ્રતિસાદ મગાવ્યા છે.

ભારત સહિત અનેક દેશમાંથી મિશ્ર પ્રત્યાઘાતો મળ્યા છે. કેપ્ટન વિરાટ કોહલી, સચીન તેંડુલકર, ગૌતમ ગંભીર, રિકી પોન્ટિંગ તથા બીજા ઘણાં આ પ્રસ્તાવ સાથે સહમત થયા નથી.

આ સંદર્ભમાં ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે પણ પોતાનું મંતવ્ય જાહેર કર્યું છે. એ કોહલી તથા અન્ય મહારથીઓથી અલગ વિચાર ધરાવે છે.

કોહલીએ કહ્યું છે કે ટેસ્ટ ફોર્મેટમાં વધુ પડતા ફેરફારો કરવાની જરૂર નથી.

પરંતુ ઈરફાન પઠાણે કહ્યું છે કે ટેસ્ટ મેચમાં એક દિવસ ઘટાડીને એને ચાર-દિવસની કરવાથી પ્રક્રિયા પરિણામલક્ષી બની રહેશે. મેચમાં પરિણામની શક્યતા વધી જશે, એવો પઠાણના કહેવાનો અર્થ છે.

એક મુલાકાતમાં પઠાણે વધુમાં કહ્યું કે, હું તો છેલ્લા અમુક વર્ષોથી કહેતો જ આવ્યો છું કે ટેસ્ટ મેચોને ચાર-દિવસની જ કરી દેવી જોઈએ. આપણે ભારતમાં રણજી ટ્રોફી સ્પર્ધામાં ચાર-દિવસવાળી મેચો જ રમીએ છીએ. એમાં આપણને પરિણામો મળે છે. તો આ કોન્સેપ્ટને ટેસ્ટ મેચોમાં શા માટે અપનાવવો ન જોઈએ? એ વાત ખરી છે કે આજકાલ ટેસ્ટમેચોમાં પરિણામ આવતા થયા છે, પરંતુ જો ટેસ્ટ મેચો ચાર-દિવસની જ હશે તો દરેક મેચમાં પરિણામ આવી શકશે. હું તો ચાર-દિવસની ટેસ્ટમેચના વિચાર સાથે સંપૂર્ણપણે સહમત થાઉં છું.

વડોદરાનિવાસી અને 35 વર્ષીય ઈરફાન પઠાણ હાલમાં જ ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત થયો છે.

તાજેતરના ભૂતકાળમાં ચાર-દિવસની ટેસ્ટમેચની અજમાયશ કરવામાં આવી હતી. 2017ના વર્ષના અંતભાગમાં દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે જે ટેસ્ટ રમાઈ હતી એ 4-દિવસની હતી જ્યારે 2019ના પ્રારંભમાં લોર્ડ્સ ખાતે ઈંગ્લેન્ડ અને આયરલેન્ડ વચ્ચે ચાર-દિવસની ટેસ્ટ મેચ રમાઈ હતી.

હિંસા જેએનયુમાં થઇ અને અનિલ કપૂરને આખી રાત ઊંઘ ન આવી

નવી દિલ્હી: જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(JNU)ના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પર થયેલા હુમલાઓને બોલીવુડની હસ્તીઓએ પણ વખોડી કાઢ્યો છે. આલિયા ભટ્ટ, અનિલ કપૂર, રાજકુમાર રાવ સહિતની હસ્તીઓએ હુમલાને ‘ભયાનક’, ‘દુઃખદ’ની સાથે ‘બર્બર’ કૃત્ય સમાન ગણાવ્યો છે. આ સાથે તમામ હસ્તીઓએ માંગ કરી છે કે હુમલાખોરોની ધરપકડ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ.

ફિલ્મ મલંગના ટ્રેલર લોન્ચ દરમ્યાન અનિલ કપૂરે પણ જેએનયું હિંસા પર તેમની પ્રતિક્રિયા આપી છે.  અનિલ કપૂરે કહ્યું કે, ‘હું ખૂબ પરેશાન હતો. હુમલાના દૃશ્યો જોઈને રાતભર ઊંઘી શકયો નથી. આ હુમલાની નિંદા કરું છું. ખૂબ દુખદ બાબત છે. વિચારી રહ્યો છું કે શું થઈ રહ્યું છે. હિંસાથી કંઇ મળવાનું નથી. જેમણે પણ આ હુમલો કર્યો છે તેઓ ખુલ્લા પડવા જોઈએ.

અભિનેતા આદિત્ય રોય કપૂરે પણ આ હુમલાની નિંદા કરી હતી. તેણે કહ્યું હતું કે દેશમાં આ પ્રકારની હિંસાને કોઈ જ સ્થાન નથી. ગુનેગારોને સજા મળવી જ જોઈએ. ‘મલંગ’નું ટ્રેલર ચાહકોને ઘણું જ પસંદ આવ્યું છે. ફિલ્મમાં દિશા પટની, કુનાલ ખેમુ, અનિલ કપૂર તથા આદિત્ય રોય કપૂર છે. ટ્રેલરમાં મર્ડર મિસ્ટ્રી બતાવવામાં આવી છે. આ ફિલ્મ સાત ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.

મોદી સરકારની નીતિઓનો વિરોધઃ આવતીકાલે ટ્રેડ યૂનિયનોની હડતાળ

નવી દિલ્હીઃ મોદી સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટ, પ્રાઈવેટાઈઝેશન અને શ્રમ સુધાર નીતિઓ વિરુદ્ધ 10 કેન્દ્રીય વ્યાપાર સંઘ આવતીકાલે દેશવ્યાપી હડતાળ કરશે. સીપીએમ સાથે જોડાયેલા CITU એ દાવો કર્યો છે કે આ દેશવ્યાપી હડતાળમાં આશરે 25 કરોડ કર્મચારીઓ ભાગ લેશે. આમાં INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC ની સાથે જ ક્ષેત્રીય સ્વતંત્ર મહાસંઘો અને સંઘોના કાર્યકર્તા હડતાળમાં ભાગ લેશે.

શ્રમ મંત્રી સંતોષ ગંગવારે ગત સપ્તાહે એક બેઠક કરી, પરંતુ કેન્દ્રીય વ્યાપાર સંઘોને પોતાની હડતાળ બંધ કરવા માટે મનાવવામાં નિષ્ફળ રહ્યા. CITU દ્વારા જાહેર એક અધિકારિક નિવેદન અનુસાર 4 વર્ષથી વધારેનો સમય પસાર થયો પરંતુ જુલાઈ 2015 બાદ કોઈપણ ભારતીય શ્રમ સમ્મેલન આયોજિત કરવામાં આવ્યું નથી. છેલ્લે ઓગસ્ટ 2015 માં મંત્રીઓના સમૂહ સાથે 12 મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારથી તે મામલે કંઈ જ આગળ વધ્યુ નથી.

નિવેદન અનુસાર સંકટગ્રસ્ત અર્થવ્યવસ્થાને પહોંચી વળવામાં નિષ્ફળ સરકાર પ્રાઈવેટાઈઝેશન અને PSUS ના વેચાણમાં વ્યસ્ત છે. પ્રાકૃતિક સંસાધન અને અન્ય રાષ્ટ્રીય સંપત્તિ જે રાષ્ટ્રીય હિત અને રાષ્ટ્રીય વિકાસ માટે હાનિકારક છે.

ઈરાનમાં સુલેમાનીની અંતિમયાત્રામાં નાસભાગ મચી જતાં 35નાં મરણ

તેહરાન – અમેરિકાના સુરક્ષા દળોએ ગયા અઠવાડિયે ઈરાકમાં હવાઈ હુમલો કરીને જેને મારી નાખ્યા હતા તે ઈરાનના લશ્કરી કમાન્ડર કાસીમ સુલેમાનીની આજે ઈરાનમાં કાઢવામાં આવેલી અંતિમયાત્રા વખતે નાસભાગ મચી જતાં ઓછામાં ઓછા 35 જણ માર્યા ગયા છે અને બીજાં 48 જણ ઘાયલ થયા છે.

ઈરાન ટીવી ચેનલે અહેવાલમાં જણાવ્યું કે જનરલ સુલેમાનીના વતન કેરમાનમાં એમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. એમાં હજારો લોકો સામેલ થયા હતા, પરંતુ અચાનક નાસભાગ મચી ગઈ હતી.

સરકારી ટીવી ચેનલે નાસભાગના સમાચારને સમર્થન આપ્યું હતું અને કહ્યું કે કમનસીબે નાસભાગમાં અમારા જ કેટલાક સાથીઓને ઈજા થઈ છે અને કેટલાક મૃત્યુ પામ્યા છે.

નાસભાગની દુર્ઘટનાનાં વિડિયો ઓનલાઈન પોસ્ટ કરવામાં આવ્યા છે જેમાં લોકોને રસ્તા પર નિર્જિવ અવસ્થામાં પડેલા જોઈ શકાય છે. બીજા લોકો બૂમો પાડી રહ્યાં હતા અને મદદ કરી રહ્યા હતા.

આવું જ વિરાટ સરઘસ સોમવારે ઈરાનના પાટનગર તેહરાનમાં કાઢવામાં આવ્યું હતું, જેમાં 10 લાખ લોકો સામેલ થયા હતા. તેહરાનના બંને મુખ્ય માર્ગો પર લોકોની અપાર ભીડ જામી હતી.

આંતરાષ્ટ્રીય પતંગોત્સવ 2020

શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર આજથી એટલે કે 7 જાન્યુઆરીથી પતંગોત્સવ 2020નો પ્રારંભ થઈ ગયો છે છે. આ મહોત્સવ આગમી 14 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.

ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય  પ્રધાન  વિજય રુપાણી, મંત્રી મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં પતંગોત્સવનો વિધિવત પ્રારંભ થયો હતો.

અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાયેલા ઉદ્ઘાટન સમારંભમાં વૈદિક પ્રાર્થના સાથે શુભારંભ કરવામાં આવ્યો હતો.

મ્યુનિસિપલ  શાળાના બાળકોએ સૂર્યનમસ્કાર કર્યા હતા. આ સાથે દેશ વિદેશના પતંગબાજોની નિદર્શન પરેડ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ ભજવવામાં આવ્યો હતો.

પવનની ધીમી ગતીને કારણે વિશાળ પતંગો હવામાં ઉડાડતાપતંગબાજોને તકલીફ થઇ રહી હતી.

મુખ્ય પ્રધાન અને રાજ્યપાલે પણ પતંગબાજો વચ્ચે ગયા હતા તેમજ થીમ પેવલિયનની મુલાકાત લીધી હતી.

દેશી અને વિદેશી પતંગબાજો વિવિધ આકારની રંગબેરંગી પતંગો સાથે આકાશને ભરી દેવા તૈયાર છે… પણ..હાલ  વિશાળ પતંગોને અનુરુપ હવાની રાહ જોવાઇ રહી છે.

કાઇટિસ્ટના સ્ટોલ્સ પર વેલકમ 2020, સ્વચ્છતા અભિયાન સહિત અનેક વિવિધતા વાળા પતંગો જોવા મળી રહ્યા છે.

મહોત્સવના પહેલા જ દિવસે પતંગ રસીયાઓની ભીડ જોવા મળી હતી. ઉપરાંત વિદેશી પ્રવાસીઓ પણ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.

મહોત્સવના પહેલા દિવસે અલગ-અલગ પતંગો તેમજ એક્ટિવીટી જોવા મળી હતી.

(તસવીર: પ્રજ્ઞેશ વ્યાસ)

‘ફ્રી કશ્મીર’ પોસ્ટરવાળી છોકરીના ઈરાદાની ચકાસણી કરવી પડશે: આદિત્ય ઠાકરે

મુંબઈ – નવી દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર ગયા રવિવારે સાંજે કરવામાં આવેલા હુમલા સામેના વિરોધમાં ગઈ કાલે મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે કરવામાં આવેલા દેખાવો વખતે એક છોકરીએ બતાવેલા ‘ફ્રી કશ્મીર’ પ્લેકાર્ડને લીધે થયેલા વિવાદ વિશે મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ જવાબ આપ્યો છે અને કહ્યું છે કે એ છોકરીનાં ઈરાદાની ચકાસણી કરવાની જરૂર છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્યએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ફ્રી કશ્મીર પોસ્ટરવાળી તે ઘટનાને બહોળા સ્વરૂપમાં જોવી પડશે, હા આપણે એ છોકરીનાં ઈરાદાની ચકાસણી કરવાની જરૂર છે કે શું એ કશ્મીરમાં લાદવામાં આવેલી ઈન્ટરનેટ નાકાબંધી હટાવવાનું કહેતી હતી? અથવા જો એનો ઈરાદો કશ્મીરને ભારતથી અલગ કરવાનો હોય તો એ ખોટું છે. દેખીતી રીતે જ, દરેક જણે એને વખોડી કાઢ્યું છે, ગેટવે ઓફ ઈન્ડિયા પરના દેખાવકારોએ પણ એને સમર્થન આપ્યું નહોતું.

ઉલ્લેખનીય છે કે, સોમવારે રાતે ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે યોજવામાં આવેલા દેખાવ દરમિયાન તે અજાણી છોકરી હાથમાં પ્લેકાર્ડ દર્શાવતી ઊભી હતી, જેની પર અંગ્રેજીમાં લખ્યું હતું, ‘ફ્રી કશ્મીર’.

યુવતીએ પોસ્ટર વિશે ખુલાસો કર્યો

ઈન્ડિયા ટુડે ટીવી સાથેની વાતચીતમાં મહેક મિરઝા પ્રભુ નામની એ યુવતીએ કહ્યું કે એણે બતાવેલું પોસ્ટર છ મહિનાથી અભૂતપૂર્વ નિયંત્રણો હેઠળ નજરકેદ કરવામાં આવેલા કશ્મીરી લોકોનાં મૂળભૂત માનવ અધિકારોની માગણીને લગતું છે.

પોતાના એ પોસ્ટરને કારણે થયેલા વિવાદ અંગે એ યુવતીએ ખુલાસો કરતો એક વિડિયો પોતાનાં ફેસબુક પેજ પર રિલીઝ કર્યો છે. એમાં તેણે કહ્યું છે કે પોતે કશ્મીરની રહેવાસી નથી, પરંતુ મહારાષ્ટ્રિયન અને મુંબઈમાં જન્મેલી છે અને લેખિકા છે. એણે એમ પણ કહ્યું છે કે પોસ્ટર બતાવવા પાછળ એનો કોઈ ખરાબ ઈરાદો નહોતો. ‘મારા પોસ્ટર મામલે ઘણી ગેરસમજ થઈ છે. ફ્રી કશ્મીર અંગે મારા કહેવાનો અર્થ હતો, કશ્મીરમાં ઈન્ટરનેટ સેવા પ્રસ્થાપિત કરો.’

છોકરીએ બતાવેલા પોસ્ટરને કારણે વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે રાતે જ ટ્વીટ કર્યું હતું અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ઉદ્દેશીને કહ્યું હતું કે મુંબઈમાં આ પ્રકારના ભાગલાવાદી તત્ત્વોને કેવી રીતે ચલાવી લેવાય? આઝાદી ગેંગે મુખ્ય પ્રધાન કાર્યાલય (CMO)થી માત્ર બે કિલોમીટર દૂરના અંતરે ‘ફ્રી કશ્મીર’ના નારા લગાવ્યા? ઉદ્ધવજી, તમારા નાક નીચે થયેલા ફ્રી કશ્મીના ભારતવિરોધી પ્રચારને શું ચલાવી લેવાના છો?

સરકાર ઉદ્યોગપતિઓની વિરુદ્ધ છે એ વાત ખોટી: પીએમ મોદી

નવી દિલ્હી: કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજીત એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ હાજરી આપી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ સરકાર પ્રત્યે ઉદ્યોગ જગતમાં ડર અને શંકાનો માહોલની વાતને ખોટો પ્રચાર ગણાવતા કહ્યું કે, બેઈમાન અને ભ્રષ્ટ લોકો વિરુદ્ધ કાર્યવાહીનો અર્થ એવો નથી કે, સરકાર ઉદ્યોગપતિઓની વિરોધમાં છે. પીએમ મોદીએ કહ્યું કે, પાંચ હજાર અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવી માત્ર એક પડાવ છે, આપણા સપના એનાથી પણ મોટા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમુક લોકો ખોટો પ્રચાર કરી રહ્યા છે કે, સરકાર ઉદ્યોગપતિઓની વિરુદ્ધ છે. કેટલાક લોકો એવી છબી બનાવવાના પ્રયાસમાં છે કે, ભારત સરકાર ઉદ્યોગપતિઓની પાછળ ડંડો લઈને પડી છે. કેટલાક બેઈમાન અને ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહીનો અર્થ એવો નથી કે, સરકાર ઉદ્યોગપતિઓ વિરુદ્ધ છે.

પીએમ મોદીએ કહ્યું કે, તેમની સરકારમાં ઉદ્યોગપતિઓની સમસ્યાઓને સાંભળી છે અને તેને દુર પણ કરી છે. આજકાલ આઈબીસીની ચર્ચા થાય છે. આ કાયદો માત્ર ડુબેલા નાણા વસૂલ કરવાનો કાયદો નથી રહ્યો પણ ઈમાનદાર ઉદ્યોગપતિઓના ભવિષ્યને બચાવતો કાયદો પણ છે. આ કાયદાએ ઈન્સેક્ટર રાજને ખતમ કરી નાખ્યું છે. આ કાયદાએ ઈમાનદાર ઉદ્યોગપતિઓને કોઈ પણ પરિસ્થિતિમાં નિષ્ફળ થવા પર ધંધામાંથી નિકળવાનો વિકલ્પ આપ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે, 2014માં સત્તામાં આવ્યા પછી તેમની સરકારે ભારતીય ઉદ્યોગપતિઓને કોઈ પણ પ્રકારની અડચણ ન આવે તે વાતનું હંમેશા ધ્યાન રાખ્યું છે. અમારી સરકારની વિચારધારા રહી છે કે, દેશમાં કારોબાર માટે યોગ્ય માહોલ બને જેથી તે ઉદ્યોગો રાષ્ટ્ર નિર્માણાં પોતાનું સંપૂર્ણ યોગદાન આપી શકે. સરકારનું લક્ષ્ય ઉદ્યોગજગતને કાયદાની ઝાળમાંથી બહાર કાઢવાનું છે આ પ્રયાસના ભાગરૂપે જ 13 હજારથી વધુ કાયદાઓને સમાપ્ત કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશના દિગ્ગજ બિઝનેસમેનો સાથે અર્થવ્યવસ્થાને લઇને પણ મહત્વની બેઠક કરી હતી. તેમણે ઉધોગપતિઓ સાથે અર્થતંત્રના ગ્રોથ અને રોજગારી સર્જનના મુદ્દા પર વિસ્તારથી ચર્ચા કરી હતી. આ બેઠકમાં દેશના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણી, ટાટા ગ્રુપના રતન ટાટા, એરટેલના માલિક સુનીલ ભારતી મિત્તલ, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સહિત અનેક મોટા ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.

JNU હુમલાની જવાબદારી આ સંગઠને સ્વીકારીઃ પોલીસ તપાસ ચાલુ

નવી દિલ્હીઃ હિંદુ રક્ષક દળે જેએનયૂના હુમલાની જવાબદારી લીધી છે. આ મામલે દિલ્હી પોલીસ દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હિંદુ રક્ષક દળના નેતા પિંકી ચોધરીએ વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાની સંપૂર્ણ જવાબદારી લીધી છે. આ હિંસામાં કુલ 30 થી વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. પિંકી ચોધરીએ જણાવ્યું કે, જેએનયૂ રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓનું કેન્દ્ર છે. અમે આને સહન ન કરી શકીએ. અમે જેએનયૂ હુમલાની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ અને હુમલો કરનારા લોકો અમારા કાર્યકર્તા હતા.

કેટલાક લોકોનું કહેવું છે કે ભાજપના વિદ્યાર્થી સંગઠન ABVP વિરુદ્ધના આરોપોને છુપાવવા માટે આ ગ્રુપ કામ કરે છે. તો જેએનયૂમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર થયેલા હુમલામાં શામિલ લોકોની ઓળખ માટે પોલીસ વિડીયો ફૂટેજ અને ચહેરાને ઓળખવાનો પ્રયત્ન કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે જેએનયૂ પરિસરમાં રવિવારે રાત્રે લાકડીઓ અને લોખંડના ડંડાથી કેટલાક નકાબધારી લોકોએ પરિસરમાં પ્રવેશ કરીને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો પર હુમલો કર્યો હતો અને પરિસરમાં રહેલી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. બાદમાં પ્રશાસને પોલીસને બોલાવી હતી. આ હુમલામાં આઈશી ઘોષ સહિત 34 જેટલા લોકો ઘાયલ થયા હતા.