કોલકાતાઃ મશહૂર બાંગ્લા અભિનેતા સૌમિત્ર ચેટરજીનું 85 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમણે કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત સૌમિત્ર ચેટરજીને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા, પરંતુ તેઓ રિસ્પોન્સ નહોતા કરી રહ્યા.
કોલકાતાના બેલે વ્યુ ક્લિનિકમાં તેમની સારવાર કરી રહેલા ડોક્ટરોએ ગઈ કાલે કહ્યું હતું કે અમારા બધા પ્રયાસો છતાં તેમની ફિજિયોલોજિકલ સિસ્ટમ રિસ્પોન્ડ નથી કરી રહી અને ચેટરજીની હાલત પહેલાંથી વધુ બગડી હતી. તેમને દરેક પ્રકારના સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા અને તેઓ જીવન માટે ઝઝૂમી રહ્યા હતા.
ચેટરજી કોરોના પોઝિટિવ
સૌમિત્ર ચેટરજી ઓક્ટોબરની શરૂઆતમાં જ કોરોના વાઇરસથી સંક્રમિત થઇ ગયા હતા, પાંચ ઓક્ટોબરે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તબિયત વધુ બગડતાં તેમને આઇસીયુમાં રાખવામાં આવ્યા હતા, બાદમાં તેમની સ્થિતિમાં કોઇ સુધારો આવ્યો નહીં. આ પછી તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં રહેવા દરમિયાન તેમની ન્યુરોલોજિકલ સ્થિતિ સૌથી ખરાબ થઇ ગઇ હતી. હોસ્પિટલે એક દિવસ પહેલાં બુલેટિન જાહેર કરીને જણાવ્યું હતું કે અમે સિટી સ્કેન કર્યું છે જેથી જાણી શકાય કે ક્યાંક કોઇ સમસ્યા તો નથી. અમે એક ઇઇજી કર્યું હતું, હવે તે વૈકલ્પિક ડાયાલિસીસ પર છે. ચેટરજીએ સત્યજિત રોયની ચર્ચિત ફિલ્મ ‘અપુર સંસાર’થી કેરિયરની શરૂઆત કરી હતી.
નવી દિલ્હીઃ પ્રતિબંધ છતાં દિવાળી પર દિલ્હી એનસીઆરમાં લોકોએ ખૂબ ફટાકડા ફોડ્યા હતા, જેને કારણે દિલ્હી-એનસીઆરમાં વાયુ ગુણવત્તામાં ભારે ઘટાડો થયો હતો. PM 2.5નો સરેરાશ સ્તર 450થી ઉપર જતો રહ્યો હતો. એનાથી દિલ્હી અને એની આસપાસના વિસ્તારોમાં કેટલીય જગ્યાએ પ્રદૂષણનો સ્તર ગંભીર શ્રેણીમાં જતો રહ્યો હતો. દિલ્હીના સોનિયા વિહારમાં PM 2.5નો સ્તર 500ની પાર કરી ગયો હતો. પ્રદૂષણને કારણે દિવાળીની પછી સવારે દિલ્હીમાં ગાઢું ધુમ્મસ છવાયેલું રહ્યું અને વિઝિબિલિટી 200-300 મીટરની આસપાસ રહી.
વળી, પડોશી રાજ્યોમાં પરાળી સળગાવવાને કારણે દિલ્હીમાં પ્રદૂષણનો સ્તર ખૂબ વધી ગયો હતો. પરાળીનું યોગદાન 32 ટકા રહ્યું હતું. એની સાથે હવાની ગતિ ધીમી હોવાને કારણે સ્થિતિ વધુ ખરાબ રહી હતી, કેમ કે આવી સ્થિતિમાં પ્રદૂષણના કણ જમા થાય છે.
દિવાળીની રાતે દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં વાયુ ગુણવત્તા PM 2.5નો સ્તર 481, અશોક વિહારમાં 491, IGI એરપોર્ટ વિસ્તારમાં 444, ITOમાં 457 અને લોધી રોડ ક્ષેત્રમાં 414 રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જે બધા ગંભીર શ્રેણીમાં આવે છે. દિલ્હીના મોટા ભાગના વિસ્તારમાં PM 2.5નો સ્તર 400થી ઉપર રહ્યો હતો.
વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીનાં પરિણામોના વિરોધમાં હજારોની સંખ્યામાં લોકો વોશિંગ્ટન ડીસીમાં રસ્તા પર ઊતરી આવ્યા હતા. આ બધા લોકોએ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેકામાં પ્રદર્શન કર્યું હતું. અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી ટ્રમ્પ સમર્થક હાર માનવા તૈયાર નથી. આને લઈને ચૂંટણી પરિણામોના વિરોધ-પ્રદર્શન માટે હજારો લોકોએ અમેરિકાની રાજધાનીમાં કૂચ કરી હતી.
અમેરિકામાં વિરોધ-પ્રદર્શનમાં સામેલ વિનચેસ્ટર, વર્જિનિયાના એન્થની વ્હિટકરે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે હું માત્ર ટ્રમ્પનો સાથ આપવા ઇચ્છું છું અને અમે તેમનું સમર્થન કરવા ઇચ્છીએ છીએ. ડેમોક્રેટસ જો બાઇડનને ચૂંટણીવિજેતા જાહેર કર્યાના એક સપ્તાહ પછી ટ્રમ્પના સમર્થનમાં અન્ય શહેરોમાં પણ પ્રદર્શનો થઈ રહ્યાં છે. અમેરિકામાં વ્હાઇટ હાઉસની પાસે ફ્રીડમ પ્લાઝામાં શનિવારની સવારથી સમર્થકોની ભીડ એકત્રિત થઈ હતી, જેમાં એ ભીડ બપોર સુધી રહી. અહીં એક ગ્રુપે કાર્યક્રમ પણ આયોજિત કર્યો હતો. આ ગ્રુપની આગેવાની ભૂતપૂર્વ કાર્યકર્તા એમી ક્રેમરે કરી હતી. આ ગ્રુપે (ક્રેમરે) શુક્રવારે પ્લાઝામાં 10,000 લોકોની ભીડની મંજૂરી લીધી હતી.
આ કાર્યક્રમ પર નજર રાખી રહેલા નેશનલ પાર્ક સર્વિસના અધિકારીઓએ મિડિયાને જણાવ્યું હતું. તેઓ ભીડની સંખ્યા પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી ચિંતાનું કોઈ કારણ નથી.
આપણી આસપાસ રહેતી યુવતી જેટલી સાદી, સરળ અને પ્રતિભાવાન અભિનેત્રી એટલે વિદ્યા સિંહા. આજે, 15 નવેમ્બરે, એમનો ૭૩મો જન્મદિન છે. ‘રજનીગંધા’ કે ‘છોટી સી બાત’ જેવી ફિલ્મોથી એ અત્યંત જાણીતા અને લોકપ્રિય બન્યા.
પાકિસ્તાનના પંજાબમાં જોધાવલી ખાતે ફિલ્મ નિર્માતા પ્રતાપ રાણાને ત્યાં વિદ્યાનો જન્મ થયો. ૧૮ વર્ષની ઉંમરે મુંબઈ આવીને મોડેલિંગ અને અભિનય કરવાની શરૂઆત કરી. ‘મિસ બોમ્બે’ બન્યા અને અનેક બ્રાન્ડ માટે જાહેરાતો કરી, જેમાંથી નિર્દેશક બાસુ ચેટરજીની નજરે ચડ્યા. પહેલી ફિલ્મ ‘રાજા કાકા’ (૧૯૭૪) એમના લગ્ન પછી આવી, પણ લોકપ્રિયતા તો બાસુ ચેટરજી નિર્દેશિત લો-બજેટની સમાંતર ફિલ્મ ‘રજનીગંધા’ (૧૯૭૪) થી મળી. પછી તો ‘છોટી સી બાત’ ઉપરાંત મુખ્ય ધારાની મોટા બજેટવાળી ‘પતિ, પત્ની ઔર વોહ’ જેવી ફિલ્મો પણ કરી. એ બાર વર્ષના ગાળામાં વિદ્યા સિંહાએ ૩૦ જેટલી ફિલ્મોમાં હસતી-રમતી ભૂમિકાઓ ભજવી હતી.
એંશીના દાયકાની મધ્યમાં એ પ્રકારની ભૂમિકાઓનું આકર્ષણ ઓછું થઇ ગયું અને ૧૯૮૬થી એમની ફિલ્મો પણ આવવી બંધ થઇ. થોડા વર્ષો વિદ્યા ઓસ્ટ્રેલિયામાં રહ્યાં અને ભારત પરત આવ્યા પછી ફરી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. સલમાન ખાનની ‘બોડી ગાર્ડ’ (૨૦૧૧)માં દેખાયા, તો આ સેકન્ડ ઇનિંગમાં ટીવી શ્રેણી ‘બહુ રાની’, ‘હમ દો હૈ ના’, ‘ભાભી’ અને ‘કાવ્યાંજલિ’, ‘હાર જીત’, ‘કુબૂલ હૈ’ અને હમણાં ‘ઇત્તી સી ખુશી’માં નેહાના દાદીરૂપે રજૂ થયા.
પડોશી તમિલ બ્રાહ્મણ વેંકટેશ્વર ઐયરના પ્રેમમાં પડીને ૧૯૬૮માં લગ્ન કર્યા પછી 1989 માં દીકરી જાન્હવીને દત્તક લીધી. ૨૦૦૯માં વિદ્યા સિંહાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી કે એમના પતિ શારીરિક અને માનસિક જુલમ કરે છે. એ પછી થોડા જ સમયમાં છૂટાછેડા લીધા. એક લાંબી અદાલતી લડાઈ બાદ વિદ્યા પતિ સામે ‘મેઇન્ટેનન્સ’નો કોર્ટ કેસ પણ જીત્યા.
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે કહ્યું હતું કે રાજ્યમાં બધાં ધાર્મિક સ્થળ સોમવારથી ભક્તો માટે ફરી એક વાર ખૂલશે. માસ્ક પહેરવો ફરજિયાત રહેશે. ધાર્મિક સ્થળ પર બધા કોરોના વાઇરસના માપદંડોનું પાલન કરવાનું રહેશે. જોકે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગયા રવિવારે કહ્યું હતું કે દિવાળી પછી પ્રદેશમાં સ્કૂલો અને ધાર્મિક સ્થળો ખોલવામાં આવે એવી શક્યતા છે. તેમણે કહ્યું હતું કે રાજ્યના પ્રદૂષણને કારણે કોરોના વાઇરસનો પ્રભાવ વધે એવી શક્યતા છે. તેમણે આ દિવાળીએ લોકોને ફટાકકડા ના ફોડવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે લોકોએ સતર્ક રહેવું જોઈએ, જેથી ફરીથી લોકડાઉનની જરૂર ના પડે.
મહારાષ્ટ્ર સરકારે આ પહેલાં બધાં થિયેટર, સિનેમા હોલ અને મલ્ટિપ્લેક્સને 50 ટકા ક્ષમતાની સાથે ખોલવાની મંજૂરી આપી છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા મહિનાથી મંદિર ખોલવાને મામલે રાજકારણ રમાઈ રહ્યું છે. એટલો સુધી કે મંદિર ખોલવા માટે પૂજારીઓએ કેટલીય વાર આંદોલન કર્યું હતું. તેમનું કહેવું હતું કો જ્યારે બધું ખોલવામાં આવે છે તો મંદિરો ખોલવામાં શું મુશ્કેલીઓ છે. લાંબા સમયથી મંદિરો બંધ રહેવાથી અમારી સામે આજીવિકાનું સંકટ છે. મહારાષ્ટ્રમાં ભાજપે પૂજારીઓના આંદોલનને ટેકો આપ્યો હતો. ભૂતપૂર્વ દેવેન્દ્ર ફડણનવીસનાં પત્ની અમૃતા ફડનવીસે મંદિર ખોલવાને લઈને ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું.
જેસલમેરઃ વડા પ્રધાન મોદી શનિવારે જવાનોની સાથે દિવાળી ઊજવવા માટે લોંગેવાલા પહોંચ્યા છે. વડા પ્રધાને ભારતીય જવાનોને સંબોધિત કરતાં કહ્યું હતું કે આજે ભારતની પાસે તાકાત છે અને યોગ્ય જવાબ આપવા માટે રાજકીય ઇચ્છાશક્તિ પણ છે. અમારી સૈન્ય તાકાતે અમારી વાતચીત કરવાની ક્ષમતાને અનેક ગણી વધારી દીધી છે. આજે ભારત આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારે છે. આજે વિશ્વ એ જાણી ચૂક્યું છે કે દેશ પોતાનાં હિતોની સામે રતીભાર પણ સમજૂતી નહીં કરે. ભારતનો આ મોભો અને શક્તિ જવાનોના પરાક્રમને કારણે છે.
ભારતની વ્યૂહરચના સાફ અને સ્પષ્ટ છે. આજે સમજવા અને સમજાવાની નીતિ પર વિશ્વાસ કરે છે, પરંતુ જો અમને અજમાવવાના પ્રયાસો થશે તો વળતો જવાબ પણ એટલો પ્રચંડ મળશે. હિમાલયનાં શિખરો હોય કે રણ વિસ્તાર હોય, જંગલ હોય કે સમુદ્રની ઊંડાઈ હોય-દરેક પડકાર પર હંમેશાં તમારી વીરતા ભારે પડી છે. તમારા શોર્યને નમન કરતાં આજે ભારતના 130 કરોડ દેશવાસીઓ તમારી સાથે મજબૂતીથી ઊભા છે. દરેક ભારતવાસીને સેનિકોની તાકાત અને શૌર્ય પર ગર્વ છે. તેમને તમારી અજેયતા પર ગર્વ છે.
આજે વિશ્વ વિસ્તારવાદી તાકાતોથી પરેશાન છે. વિસ્તારવાદ માનસિક વિકૃતિ છે. આ વિચારની સામે ભારત મુખ્ય અવાજ બના રહ્યો છે. આજે ભારત બહુ ઝડપથી ડિફેન્સ સેક્ટરને આત્મનિર્ભર બનવા માટે આત્મનિર્ભર બનવા આગળ વધી રહ્યું છે. હાલમાં જ સેનાએ નિર્ણય લીધો છે કે એ 100થી વધુ હથિયારો અને સાધન વિદેશથી નહીં મગાવે. હું સેનાના આ નિર્ણય માટે એને અભિનંદન આપું છું. સેનાના આ નિર્ણયથી દેશવાસીઓને પણ લોકલ માટે વોકલ થવાની પ્રેરણા મળી છે, એમ તેમણે કહ્યું હતું.