ભારતીય રેડિયોનો અવાજ: અમીન સાયાણી
કોરોના વાઈરસ ફૂંફાડા મારતો ચીનથી ભારત આવ્યો અને એને પગલે દેશઆખાને તાળાં મારી દેવામાં આવ્યા ત્યારથી વૉટ્સઍપ પર જાતજાતની જે અફવાઓ ઊડ્યા કરે છે, એમાંની એક છેઃ ‘રેડિયો બ્રૉડકાસ્ટર અમીન સાયાણીનું અવસાન…’ અફવા બાદ એમના પુત્ર રાજીલને ફોન જોડ્યો તો એ કહે કે ‘પપ્પા ઓકે છે. માર્ચથી એ ઘરની બહાર નીકળ્યા નથી.’

મૂળ કચ્છી ખોજા અમીન જાનમોહમ્મદ સાયાણીનો જન્મ 21 ડિસેમ્બર, ૧૯૩૨માં મુંબઈમાં. એમને રેડિયોજગતમાં લાવનાર હતા એમના મોટા ભાઈ હમીદ સાયાણી, જે પોતે અજોડ રેડિયો બ્રોડકાસ્ટર હતા. ‘બૉર્નવિટા ક્વિઝ કોન્ટેસ્ટ’ પ્રોગ્રામ એમણે જ શરૂ કરેલો. ૧૯૭૫માં એમનું અકાળ અવસાન થતાં નાના ભાઈ અમીનભાઈએ એ કાર્યક્રમ સંભાળ્યો. દૂરદર્શનના આગમન પહેલાં અમીન સાયાણી ફિલ્મોની પબ્લિસિટી રેડિયો પર કરતા. ‘રોટી કપડા ઔર મકાન’, ‘શોલે’ જેવા ફિલ્મકાર્યક્રમ તો એક-એક વર્ષ ચાલેલા. અમીનજીની વાત નીકળે ને ‘બિનાકા ગીતમાલા’નો ઉલ્લેખ ન થાય એ પોસિબલ નથી.
સતત ૪૧ વર્ષ ચાલેલો, અસીમ લોકપ્રિયતાને વરેલો એક કલાકનો રેડિયો કાર્યક્રમ ‘બિનાકા ગીતમાલા’ ૨૦૦૧માં ‘વિવિધ ભારતી’ પરથી ‘સિબાકા ગીતમાલા’ના નામે ફરી શરૂ થયેલો. ૧૯૫૨ની આખરથી ૧૯૫૩ના અંત સુધી અડધો કલાકનો ફિલ્મી ગીતોનો કાઉન્ટડાઉન કાર્યક્રમ ‘રેડિયો સિલોન’ પરથી પ્રસારિત થતો. એમાં સાત ગીત પ્રસારિત થતાં. ૧૯૫૪થી બિનાકાએ કાર્યક્રમનું સ્વરૂપ બદલ્યું અને અમીનજીએ સંગીતસીડી અથવા પાયદાન શરૂ કરી.
મેં જ્યારે ‘ચિત્રલેખા’ માટે એમનો ઈન્ટરવ્યુ લીધેલો ત્યારે એમણે કહેલુઃ ‘બિનાકા માટે મને અઠવાડિયાના પચીસ રૂપિયા મળતા, જેમાં કાર્યક્રમ તૈયાર કરવાનો, શ્રોતાના હજારો પત્રો ચકાસવાના જેવી કામગીરીનોય સમાવેશ થતો. એમ તો નવોદિત ગાયક-ગાયિકાને પોતાની પ્રતિભા રજૂ કરવાની તક આપતા ‘ઓવલટિન કી ફુલવારી’ નામના કાર્યક્રમના સંચાલક તરીકે મને દર અઠવાડિયે રોકડા નહીં, પણ ઓવલટિનનો એક નાનકડો ડબ્બો મળતો.’

આ ગીતમાલાની એ હદે લોકપ્રિયતા હતી કે તે વખતે ફિલ્મસંગીતકારનાં મહેનતાણાં પણ ગીતમાલા પર પૉપ્યુલરિટીના આધારે નક્કી થતાં. યાદ હોય તો, ‘અભિમાન’ ફિલ્મમાં એક સીન છે. સિંગર અમિતાભ બચ્ચનનો સેક્રેટરી અસરાની પોતાના બૉસનું ગીત ગીતમાલામાં કયા નંબર પર વાગે છે એના આધારે પ્રોડ્યુસર પાસે પૈસા માગે છે. એ અરસામાં અનેક નાનાંમોટાં શહેરના બગીચામાંનાં લાઉડસ્પીકર પર ગીતમાલા કાર્યક્રમ વહેતો. ૧૯૬૦ના અરસામાં ૨૦ કરોડથી વધુ શ્રોતા ગીતમાલાના હતા, કારણ કે ભારત સહિત પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકાથી આરબ દેશોથી લઈને આફ્રિકાના પૂર્વ કાંઠા સુધી ગીતમાલાનાં ધ્વનિમોજાં પહોંચતાં. રેડિયો ખરીદનાર ગ્રાહકની પ્રથમ શરત એ રહેતી કે એમાં રેડિયો સિલોન પકડાવું જોઈએ. આટલો જબરદસ્ત પૉપ્યુલર કાર્યક્રમ રેડિયો સિલોન પરથી શરૂ થવાનું કારણ એ હતું કે ૧૯૫૦ના દાયકામાં સ્વતંત્ર ભારતના પહેલા ઈન્ફર્મેશન-બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટર, ચુસ્ત શાસ્ત્રીય સંગીતપ્રેમી બાલકૃષ્ણ કેસકરે
‘ઑલ ઈન્ડિયા રેડિયો’ પરથી ફિલ્મગીતના પ્રસારણ પર પ્રતિબંધ મૂકી દીધેલો. એ માનતા કે ફિલ્મગીતો તો વલ્ગર અને ભારતીય સંસ્કૃતિ વિરોધી છે. પરિણામે ગીતમાલા તથા અનેક ફિલ્મકાર્યક્રમ રેડિયો સિલોન પરથી પ્રસારિત થતા.
આ તરફ બિનાકા ટૂથપેસ્ટની ઉત્પાદક સીબા કંપનીને રેડિયો સિલોનની લોકપ્રિયતા ચેક કરવી હતી. કાર્યક્રમ શરૂ થયો એના પહેલા અઠવાડિયે ૧૦,૦૦૦ પત્રો મળ્યા. ત્રણ અઠવાડિયાંમાં તો એ કાર્યક્રમનું લોકોને ઘેલું લાગી ગયું. ૧૯૮૯માં બિનાકા ગીતમાલાને પચીસ વર્ષ પૂરાં થયાં ત્યારે મુંબઈના ષણ્મુખાનંદ હોલમાં એનો મોટો કાર્યક્રમ યોજાયેલો. દેશમાં ટીવીના આગમન બાદ અમીનજીએ દૂરદર્શન માટે પણ અનેક કાર્યક્રમ કર્યા. અવારનવાર ‘ટાટા સ્કાય ક્લાસિક’ પરથી હિંદી સિનેમાના સુવર્ણયુગ વિષયક અમીનજીના ઈન્ટરવ્યુ પ્રસારિત થતા રહે છે.
એમનો એ અવાજ દાયકાઓથી ગૂંજતો રહ્યો છેઃ “જી હાં, ભાઈઓ ઔર બેહનો. મૈં આપકા દોસ્ત અમીન સયાની બોલ રહા હૂં. ઔર આપ સુન રહે હૈં બિનાકા ગીતમાલા.”
ઘણું જીવો, વહાલા અમીનજી!
(કેતન મિસ્ત્રી)
Chitralekha Gujarati – November 23-30, 2020
મિસ ઇન્ડિયાથી મિસિસ મહેતાઃ જૂહી ચાવલા

ખૂબસૂરત અને પ્રતિભાશાળી અભિનેત્રી, મોડેલ, નિર્માત્રી અને ૧૯૮૪ની મિસ ઇન્ડિયા જૂહી ચાવલાનો આજે ૫૩મો જન્મદિન. ૧૩ નવેમ્બર, ૧૯૬૭ના રોજ અંબાલામાં એમનો જન્મ. એમને બે ફિલ્મફેર એવોર્ડ્ઝ મળ્યા છે. એંશીના દાયકાથી લગભગ પચ્ચીસેક વર્ષ સુધી એ હિન્દી ફિલ્મોની મુખ્ય અભિનેત્રીઓમાંના એક બની રહયા.
પહેલી ફિલ્મ આમ તો ‘સલ્તનત’ (૧૯૮૬), પણ ‘કયામત સે કયામત તક ફિલ્મથી એમને નામ-સફળતા મળી. ફેમિલી ડ્રામા ‘સ્વર્ગ’ અને થ્રીલર ‘પ્રતિબંધ’ પણ એ વર્ષની સફળ ફિલ્મો. એ પછી ‘બોલ રાધા બોલ’, ‘રાજુ બન ગયા જેન્ટલમેન’, ‘લૂટેરે’, ‘આઈના’, ‘હમ હૈ રાહી પ્યાર કે’ જેવી ફિલ્મો આવી. ‘ડર’ માં પીડિત મહિલા રૂપે સફળતા પછી સબળ નારી પાત્રોમાં પણ દેખાયા. ‘દીવાના મસ્તાના’, ‘યેસ બોસ’ અને ‘ઈશ્ક’ આવી. ફક્ત શાહરુખખાન સાથે જ એમણે ૧૮ ફિલ્મ કરી છે!
મુંબઈની ફોર્ટ કોન્વેન્ટ સ્કૂલમાં ભણ્યા પછી લંડનમાં સિડનહામ કોલેજમાં હ્યુમન રિસોર્સ વિષયમાં સ્પેશ્યલાઈઝેશન કર્યું. ૧૯૮૪માં મિસ ઇન્ડિયા બન્યા તો મિસ યુનિવર્સ સ્પર્ધામાં બેસ્ટ કોસ્ચ્યુમ એવોર્ડ પણ જીત્યા છે. ‘ઝલક દિખલા જા’ ની ત્રીજી સિઝનમાં એ જજ તરીકે દેખાયા હતા. શાહરુખખાન અને નિર્દેશક અઝીઝ મિર્ઝા સાથે જૂહી ચાવલા ‘ડ્રીમ્ઝ અનલીમીટેડ’ ફિલ્મ નિર્માણ કંપનીના સહ-માલિક અને નિર્માત્રી છે. આ કંપનીએ ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ અને ‘અસોકા’ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે.
અભિનેત્રી હોવા ઉપરાંત જૂહી એક ટીવી પર્સનાલીટી, માનવતાવાદી ઇન્સાન અને આઈપીએલની કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના સહ-માલિક તરીકે પણ ઉભરી આવ્યા છે. 1995 માં ઉદ્યોગપતિ જય મહેતા સાથે લગ્ન કર્યા અને બે સંતાનોના માતા પણ બન્યા. થેલેસેમિયા રોગ સામેની લડત માટે ફાળો એકઠો કરવા માટે પણ એમણે કાર્યક્રમો કર્યાં છે. એ ચક્ષુદાતા અને રક્તદાતા પણ છે. સિદ્ધહસ્ત નૃત્યાંગના અને શાસ્ત્રીય ગાયિકા પણ છે.
(નરેશ કાપડીઆ-સુરત)
રાશિ ભવિષ્ય 13/11/2020
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post
આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે.
આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા,વાગવા,કફ,છાતી,પ્રેસરજેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.
આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.
આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય.
આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.
આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.
પંચાંગ 13/11/2020
(મયંક રાવલ)
બાઈડનની ટીમમાં હશે ભારતીય મૂળની 20 વ્યક્તિ
વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણી જીતનારા જો બાઇડને પહેલેથી જ ભારતીય મૂળનાં કમલા હેરિસને ઉપરાષ્ટ્રપ્રમુખપદ માટે પસંદ કરેલાં છે. હવે જો બાઇડને ટીમમાં 20 ભારતીય મૂળના લોકોને સામેલ કર્યા છે, જેમાંથી ત્રણ ભારતીય પ્રવાસીઓને રિવ્યુ ટીમના લીડર બનાવવામાં આવ્યા છે. તેમની ટીમમાં સામેલ 20 ભારતીય પ્રવાસી અમેરિકામાં સત્તા પરિવર્તનમાં બહુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાના છે.
બાઇડનની ટીમમાં 20 ભારતીય પ્રવાસીઓ
જો બાઇડનની મહત્ત્વપૂર્ણ ટીમમાં અમાન ત્રિવેદી, અનીશ ચોપડા, અરુણ વેંકટરમણ, કિરણ આહુજા, રાજે, શીતલ શાહ જેવા 20 ભારતીય મૂળના લોકો સામેલ છે. તેમની કાર્યકુશળતાથી અમેરિકામાં જો બાઇડન અને કમલા હેરિસને રાષ્ટ્રપ્રમુખ અને રાષ્ટ્રપ્રમુખપદ પર કામ કરવામાં સરળતા રહેશે.
રાહુલ ગુપ્તાને ઓફિસ ઓફ નેશનલ ડ્રગ કન્ટ્રોલ પોલિસીના લીડર
જો બાઇડનની ટીમમાં સામેલ થનારા રાહુલ ગુપ્તાને ઓફિસ ઓફ નેશનલ ડ્રગ કન્ટ્રોલ પોલિસીના લીડર બનાવવામાં આવ્યા છે. રાજને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ, સીમા નંદાને ડિપાર્ટમેન્ટ ઓફ લેબરની જવાબદારી આપવામાં આવી છે. એ જ રીતે અરુણ વેંકટરમણને વેપાર અને USTR મામલાની બંને ટીમોમાં સામેલ કરવામાં આવ્યા છે. અન્ય મુખ્ય ભારતવંશીઓને બાઇડનની આર્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.
અમેરિકામાં રહેતા ભારતીયો સામાન્ય રીતે ડેમોક્રેટિક પાર્ટીના મતદાતા માનવામાં આવે છે. અમેરિકામાં 24 ભારતીય મૂળના લોકોએ જો બાઇડન અને કમલા હેરિસને ચૂંટણી પ્રચાર માટે રૂ. 18 કરોડનો ફંડફાળો આપ્યો હતો.
ડ્રગ્સ કેસઃ અભિનેતા અર્જુન રામપાલને NCBનું સમન્સ
મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ નશીલી દવાઓના સેવન અને ગેરકાયદેસર ધંધાના મામલે શરૂ કરેલી તપાસ અંતર્ગત હિન્દી ફિલ્મ અભિનેતા અર્જુન રામપાલને સમન્સ મોકલ્યું છે. આવતી કાલે સવારે 11 કલાકે પૂછપરછ માટે એને હાજર થવાનું ફરમાન કરાયું છે. એ પહેલાં રામપાલની લિવ-ઈન પાર્ટનર ગેબ્રિયેલા ડેમેટ્રિએડ્સ બોલીવૂડમાં કથિતપણે નશીલી દવાઓના ઉપયોગ સંબંધિત મામલાની તપાસના સિલસિલામાં ગુરુવારે NCB સમક્ષ હાજર થઈ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ગેબ્રિયેલાની ગઈ કાલે આશરે છ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. એને પૂછપરછ માટે બીજી વાર બોલાવવામાં આવી હતી. એ દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં આવેલી NCBની ઓફિસમાં પહોંચી હતી. NCBએ આ પહેલાં અભિનેતાના નિવાસસ્થાને દરોડા પણ પાડ્યા હતા અને ત્યારબાદ જ રામપાલ અને ગેબ્રિયેલાની પૂછપરછ કરવાનું નક્કી કર્યું હતું. તપાસ એજન્સીએ દરોડા દરમ્યાન લેપટોપ, મોબાઇલ ફોન અને ટેબ્લેટ જેવાં ઇલેક્ટ્રોનિક ગેજેટને જપ્ત કર્યા હતા અને અભિનેતાના ડ્રાઇવરની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
રામપાલના ઘરે દરોડાના એક દિવસ પૂર્વે NCBને બોલીવૂડ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાની પત્ની શબાનાનાં જુહુસ્થિત નિવાસસ્થાનેથી ગાંજો મળી આવ્યા બાદ એમની ધરપકડ કરી હતી. એ હાલ જામીન પર છૂટ્યાં છે. ગયા મહિને NCB અધિકારીઓએ ગેબ્રિયેલાનાં ભાઈ અગિસિલાઓસ ડેમેટ્રિએડ્સની ડ્રગ્સ મામલે પુણે જિલ્લાના લોનાવલા સ્થિત એક રિસોર્ટમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
માનસિક તાણને કારણે અભિનેતા આસીફ બસરાની આત્મહત્યા
શિમલાઃ 2020નું વર્ષ બોલીવૂડ માટે અનેક દુઃખદ ઘટનાઓવાળું બની રહ્યું છે. આ વર્ષમાં એક વધુ બોલીવૂડ અભિનેતાએ જીવન ટૂંકાવ્યું છે. અભિનેતા આસિફ બસરાએ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ધર્મશાલામાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે.
‘પરજાનિયાં’, ‘બ્લેક ફ્રાઈડે’, ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’, ‘ક્રિશ 3’, ‘એક વિલન’, ‘મંજૂનાથ’, ‘જબ વી મેટ’, ‘કાઈપો છે’ જેવી હિન્દી ફિલ્મો, રાષ્ટ્રીય એવોર્ડવિજેતા ગુજરાતી ફિલ્મ ‘રોંગસાઈડ રાજુ’, અમુક ટીવી સિરિયલો તથા ‘પાતાલ લોક’, ‘હોસ્ટેજીસ’ જેવી વેબસિરીઝ અભિનય કરનાર આસિફ બસરા છેલ્લા ઘણા વખતથી ડિપ્રેશનમાં હતા અને માનસિક તાણથી કંટાળીને એમણે આત્મહત્યા કરી હોવાનું મનાય છે. પોલીસના જણાવ્યા મુજબ, બસરા આજે સવારે એમના પાલતુ શ્વાન સાથે વોક પર નીકળ્યા હતા, બાદમાં ઘેર જઈને શ્વાનના પટ્ટાથી જ ગળાફાંસો ખાઈ લીધો હતો.
53-વર્ષીય બસરાએ મેક્લોડગંજમાં ગિલબાડા રોડ સ્થિત એક એમના ઘરમાં આત્મહત્યા કરી હતી. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલીસે મૃતદેહને કબજામાં લઈને તપાસ આદરી છે. બસરા છેલ્લા પાંચ વર્ષથી મેક્લોડગંજમાં ભાડાના મકાનમાં રહેતા હતા. એમની સાથે એક વિદેશી પ્રેમિકા પણ હતી. બંને જણ લિવ-ઈન રિલેશનશિપમાં હતા.








