મેલબર્નઃ ઓસ્ટ્રેલિયાના પસંદગીકારોએ ભારતીય ક્રિકેટ ટીમ સામે ઘરઆંગણે રમાનાર આગામી ટેસ્ટ સિરીઝ માટે પોતાની ટીમની આજે જાહેરાત કરી છે. ચાર ટેસ્ટ મેચોની શ્રેણી માટે ટીમ પેનની આગેવાની હેઠળ ઓસ્ટ્રેલિયાના 17-ખેલાડીઓની ટીમમાં 22-વર્ષીય બેટ્સમેન વિલ પુકોવ્સ્કી નવો ચહેરો છે. ફાસ્ટ બોલર પેટ કમિન્સને વાઈસ-કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે.
વિલ પુકોવ્સ્કી
પસંદગીકારોની સમિતિના ચેરમેન ટ્રેવર હોન્સે કહ્યું કે, અનેક સ્ટેન્ડઆઉટ ખેલાડીઓમાંથી કેમરન ગ્રીન અને વિલ પુકોવ્સ્કીને પસંદ કરવામાં આવ્યા છે. આ બંને ખેલાડી હાલ જોરદાર ફોર્મમાં છે. ભારત સામેની શ્રેણી રસપ્રદ રહેવાની ધારણા છે. પહેલી ટેસ્ટ 17 નવેમ્બરથી એડીલેડમાં રમાશે, જે ડે-નાઈટ હશે અને ગુલાબી રંગના બોલથી રમાશે.
નવી દિલ્હીઃ મોદી સરકારે અર્થતંત્રને પાટે ચઢાવવા માટે વધુ એક રાહત પેકેજ આપવાની આજે ઘોષણા કરી છે. એની સાથે જ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ‘આત્મનિર્ભર ભારત રોજગાર યોજના’ લોન્ચ કરી છે. મોદી સરકાર પ્રવાસી મજૂરો માટે ખાસ પ્રકારનું પોર્ટલ લાવવાની છે. એનો ઉદ્દેશ નવ રોજગારને પ્રોત્સાહન આપવાનો છે. એના હેઠળ જે કંપનીઓ નવા લોકોને રોજગાર આપી રહી છે એટલે કે જે પહેલેથી જ EPFOમાં સમાવિષ્ટ નથી, તેમને લાભ મળશે. એનો લાભ માસિક રૂ. 15,000થી ઓછી સેલરીવાળા અથવા 1 માર્ચ, 2020થી માંડીને 31 સપ્ટેમ્બર, 2020ની વચ્ચે નોકરી ગુમાવનારા લોકોને એનો લાભ મળશે. આ સ્કીમ 1 ઓક્ટોબર, 2020થી લાગુ થશે.
આ યોજના હેઠળ દેશમાં ઝડપથી નોકરીઓની તક વધશે. રાહત પેકેજ હેઠળ આત્મનિર્ભર રોજગાર યોજના હેઠળ દેશના સંગઠિત ક્ષેત્રમાં વધુ રોજગારનું સર્જન થશે. રાહત પેકેજ હેઠળ આત્મનિર્ભર રોજગાર યોજના હેઠળ દેશના સંગઠિત ક્ષેત્રમાં વધુ રોજગારીનું સર્જન થશે. અસંગઠિત ક્ષેત્રને સંગઠિત કરવા પર કામ થશે. આત્મનિર્ભર ભારત 3.0 હેઠળ 12 પગલાંની ઘોષણા થશે. રજિસ્ટર્ડ EPFO સંસ્થાથી જોડાયેલા કર્મચારીઓને એનો લાભ મળશે.
સરકાર આવનારાં બે વર્ષ સુધી સબસિડી આપશે, જે સંસ્થામાં 1000 સુધી કર્મચારીઓ છે, એમાં પ્રોવિડન્ટ ફંડમાં 12 ટકા કર્મચારીઓ અને 12 ટકા કંપનીનો હિસ્સો કેન્દ્ર આપશે. 1000થી વધુ કર્મચારીઓવાળી સંસ્થાઓમાં કેન્દ્ર કર્મચારીઓના હિસ્સાના 12 ટકા આપશે. 65 ટકા સંસ્થાઓ આમાં કવર થશે.
આ નવા પેકેજ હેઠળ સરકાર પ્રધાનમંત્રી રોજગાર યોજનાનું વિસ્તરણ કરી શકે છે. આ સ્કીમ હેઠળ સરકાર નવા કર્મચારીઓ અને કંપનીઓના PFના હિસ્સા પર 10 ટકા સબસિડી આપી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ GSTમાં રજિસ્ટર કંપનીઓને સરકાર વેજ (Wage) સબસિડીનો લાભ આપી શકે છે.
મુંબઈઃ સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ વચગાળાના જામીન પર છૂટેલા રિપબ્લિક ટીવીના વડા તંત્રી અર્ણબ ગોસ્વામીએ આજે સનસનાટીભરી જાહેરાત કરતા કહ્યું કે રિપબ્લિક મિડિયા કંપની એક વર્ષમાં પ્રાદેશિક ચેનલો શરૂ કરશે.
તળોજા જેલમાંથી મુક્ત કરાયા બાદ રિપબ્લિક ટીવી ન્યૂઝરૂમમાં સહયોગીઓ સમક્ષ કરેલા સંબોધનમાં ગોસ્વામીએ કહ્યું કે પોતે ટૂંક સમયમાં જ એક આંતરરાષ્ટ્રીય મિડિયા પ્રોજેક્ટ શરૂ કરશે. અને આગામી મહિનાઓમાં દેશની દરેક ભાષાઓમાં રિપબ્લિક ચેનલો શરૂ કરવામાં આવશે.
ગોસ્વામીએ કહ્યું કે, ‘આગામી 11-12 મહિનાઓમાં આપણે દેશના દરેક રાજ્યમાં રિપબ્લિક નેટવર્ક શરૂ કરીશું.’ ગોસ્વામીએ રિપબ્લિક ટીવી સામે કિન્નાખોરી રાખવા સામે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ચેતવણી આપતા કહ્યું કે, જો તમે મને જેલમાં પૂરશો તો હું ત્યાંથી પણ ચેનલ શરૂ કરીશ. તમે કંઈ પણ કરી નહીં શકો. હું એકલો નથી, આખો દેશ મારી સાથે છે. જો હું આવતા 16 મહિનામાં ગ્લોબલ મિડિયા નેટવર્ક શરૂ નહીં કરી શકું તો મારું નામ બદલી નાખીશ.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 86 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 47,905 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 550 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 86,83,916 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,28,121 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 80,66,501 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 52,718 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,89,294એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 92.56 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.48 ટકા થયો છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
નવી દિલ્હીઃ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ સોશિયલ મિડિયા પર ફેક ન્યૂઝથી બચવા માટે ગ્રાહકોને સતર્ક કર્યા છે. SBIએ ટ્વીટ કરીને ખાતાધારકો, ગ્રાહકોને કહ્યું છે કે આજકાલ સોશિયલ મિડિયા પર બહુબધા ફેક ન્યૂઝ ચાલી રહ્યા છે. જો તમે એના ચક્કરમાં પડ્યા તો બેન્કિંગ છેતરપિંડીનો શિકાર બની શકો છો, જેથી આ બધા ફેક અને ભ્રામક મેસેજથી બચીને રહો. બેન્ક આ પ્રકારના કોઈ મેસેજ નથી મોકલતી. જો તમે ફેક મેસેજથી સતર્ક ના રહ્યા તો તમારું બેન્ક ખાતું ખાલી થઈ શકે છે.
સતર્ક રહો, સુરક્ષિત રહો
SBIએ ટ્વિટર પર ગ્રાહકોને સતર્ક કરવા માટે પૂરી સિરીઝ ચલાવી છે. જેમાં ગ્રાહકોને કહ્યું છે કે જ્યારે તેઓ સોશિયલ મિડિયા પર SBIની વિઝિટ કરે ત્યારે સૌથી પહેલાં બ્લુ ટિક જોઈને વેરિફાઈ કરે એ SBIનું અસલી એકાઉન્ટ છે. વળી જે પણ પેજ SBI જેવું દેખાય એના પર ખાનગી માહિતી ઓનલાઇન ક્યારેય શેર ના કરે. આવું કરવાથી ગ્રાહકોના ખાતામાંથી રકમ ખાલી થઈ શકે છે. બેન્કે ATM, પિન, કાર્ડ નંબર, એકાઉન્ટ નંબર અને ઓટીપી ક્યારેય કોઈ સાથે શેર ના કરવા વિનંતી છે.
ફેક વેબસાઇટ પર ચેતવણી
આ પહેલાં SBIએ પોતાના ગ્રાહકોને બેન્કના નામે ચાલી રહેલી એક ફેક વેબસાઇટને લઈને પણ ચેતવણી જારી કરી હતી. SBIના ગ્રાહકો આવા મેસેજથી દૂર રહે, જેમાં કહેવામાં આવ્યું છે કે તમે આવી વેબસાઇટ પર જઈને એકાઉન્ટ અને પાસવર્ડને અપડેટ કરો. બેન્ક આવા કોઈ મેસેજ નથી મોકલતી.
SBI ગ્રાહક આ રીતે ચેક કરી શકે છે બેલેન્સ
SBIનું બેલેન્સ જાણવા માટે તમારે તમારો રજિસ્ટર મોબાઇલ નંબરથી ટોલ ફ્રી નંબર 92237 66666 પર મિસ્ડ કોલ આપીને બેલેન્જ જાણી શકાય છે અથવા SMSથી બેલેન્સ જાણવા માટે એ જ નંબર પર BAL SMS મોકલીને જાણી શકાય છે.
ફોનમાં ક્યારેય બેન્કિંગ માહિતી સેવ ના કરો
મોબાઇલમાં ક્યારેય પોતાની ઓનલાઇન બેન્કિંગથી જોડાયેલી જાણકારી સેવ ના કરો. જો તને એ માહિતી સેવ કરશો તો તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો, એમ બેન્કે કહ્યું હતું.
ATM કાર્ડ કે ડેબિટ કાર્ડની માહિતી શેર ના કરો
તમે તમારા ડેબિટ કાર્ડ કે અન્ય કોઈ પણ વ્યક્તિને ક્યારેય ના આપો. ડેબિટ, ક્રેડિટ કાર્ડની માહિતી કોઈ પણ સાથે ક્યારેય પણ શેર ના કરો. CVV, PIN નંબર ક્યારેય કોઈને ના આપો.
પબ્લિક ઇન્ટરનેટ પર બેન્કિંગ ના કરો
ઓનલાઇન બેન્કિંગ માટે ક્યારેય કોઈ સાઇબર કેફે, ઓફિસ કે કોમ્પ્યુટરનો ઉપયોગ ના કરો. હંમેશાં એના માટે પર્સનલ ઇન્ટરનેટ અને કોમ્પ્યુટરનો ઉપયોગ કરો. ઓપન નેટવર્ક અથવા પબ્લિક વાઇફાઇથી બેન્કિંગ ફ્રોડનું જોખમ વધુ રહે છે. તમારી સંવેદનશીલ માહિતી લીક થઈ શકે છે.
બેન્ક ક્યારેય કોઈ માહિતી નથી માગતી
SBIનું કહેવું છે કે ક્યારેય પણ ગ્રાહકો પાસેથી બેન્ક કોઈ સંવેદનશીલ માહિતી નથી માગતી. બેન્ક ક્યારે પણ યુઝર ID, પાસવર્ડ, PIN CVV, OTP, VPA (UPI)ની માહિતી નથી માગતી.
વોશિંગ્ટનઃ સમગ્ર દુનિયા હજી કોરોના વાઈરસ મહાબીમારી સામે ઝઝૂમી રહી છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એધનોમ ઘેબ્રિસસે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો અને આ રોગચાળાનો સામનો કરવામાં ભારતના સહયોગની સરાહના કરી હતી અને વ્યક્તિગત રીતે મોદીનો આભાર માન્યો છે.
ડો. ટેડ્રોસે આની જાણકારી ટ્વીટ કરીને આપી છે. એમણે કહ્યું કે વૈશ્વિક સ્વાસ્થ્ય મુદ્દાઓ પર ભારતની શરૂઆતથી જ મહત્ત્વની ભૂમિકા રહી છે. ટ્વીટમાં ડો. ટેડ્રોસે લખ્યું છે કે, કોવેક્સ પરત્વે અને કોવિડ-19 રસીઓને વૈશ્વિક જનતાને ઉપલબ્ધ કરાવવાનો પ્રતિબદ્ધતા દર્શાવવા બદલ હું વડા પ્રધાન મોદીનો આભાર માનું છું. આ રોગચાળો સમગ્ર વિશ્વ માટે અભૂતપૂર્વ પડકાર છે અને એનો અંત લાવવા માટે ખભેખભા મિલાવીને કામ કરવા આપણે સહમત થયા છીએ.
I thanked Prime Minister @narendramodi for his strong commitment to COVAX and making #COVID19 vaccines a global public good. The pandemic is an unprecedented challenge for the world, and we agreed to work shoulder to shoulder to end it. #ACTtogether
વડા પ્રધાન મોદીએ પણ કોરોના સંકટમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ બજાવેલી મહત્ત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી હતી. એમણે ટ્વીટમાં લખ્યું છે કે ફોન પર મારે ડો. ટેડ્રોસ સાથે સરસ વાતચીત થઈ. અમે આરોગ્ય અને નિરોગીપણાને દુનિયાભરમાં ઉત્તેજન આપવા માટે પરંપરાગત ઔષધની વ્યાપક સંભાવના વિશે ચર્ચા કરી હતી. કોવિડ-19 સામેની લડાઈમાં WHO અને દુનિયાના દેશોને ભારતનો ટેકો મળી રહેશે એવી મેં એમને ખાતરી આપી હતી.
Had an excellent conversation with DG of @WHO@DrTedros. We discussed the vast potential of traditional medicine for promoting health and wellness in the world. I also assured India's support to WHO and the world community in the fight against COVID-19. https://t.co/IjvFRMOzUv
કુદરત પાસે કેવા અને કેટલા કલર કોમ્બીનેશન છે તે જોવુ હોય તો જંગલમાં રહેતા પક્ષીઓને જોઇએ તો ખબર પડે. એમાં પણ આ કોમ્બીનેશન તમારે પક્ષીમાં જોવું હોય તો પછી તમારે એક વખત કોપરસ્મીથ બારબેટ(કંસારો) ને જોવું પડે. લક્કડ ખોદની જેમ એ વૃક્ષની સુકી ડાળીમાં ચાંચ વડે 2 કાણા બનાવી માળો બનાવે ત્યારે લાગે કે આટલા નાના પક્ષીમાં કેટલી શક્તિ છે અને કેવી ધીરજ છે.
આપણને થાય આ પક્ષીનું નામ કોપરસ્મીથ બારબેટ કે કંસારો શા માટે પડ્યું હશે પણ જ્યારે તમે એને બોલતુ સાંભળો ત્યારે તમને ખબર પડે કે જાણે કોઇ ટીપી ટીપીને તાંબાના વાસણ બનાવતું હોય. ટીપવાનો અવાજ જેમ સતત આવે એમ કોપર સ્મીથ બારબેટ પણ સતત આવો અવાજ કરે. જંગલમાં ફરતા હોય ત્યારે સતત આ અવાજ સંભળાય પણ કોપર સ્મીથ બારબેટ(કંસારો) જલ્દી દેખાય નહી.
ગબ્બર સિંહના પાત્રથી સદા યાદગાર બની ગયેલા અમજદ ખાનનો આજે ૮૦મો જન્મદિન. પશ્તુની અભિનેતા જયંતને ત્યાં અમજદનો જન્મ પેશાવર ખાતે ૧૨ નવેમ્બર, ૧૯૪૦ના રોજ થયો. વીસેક વર્ષની અભિનય કારકિર્દીમાં એમણે 130 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.
મુંબઈની સેન્ટ એન્ડ્રુઝ હાઈસ્કૂલના વિદ્યાર્થી અમજદ આર. ડી. નેશનલ કોલેજમાં વિદ્યાર્થી મંડળના જનરલ સેક્રેટરી પણ હતા. ફિલ્મોમાં આવતા પહેલાં એમણે રંગમંચમાં પણ કામ કર્યું. સલીમ ખાને એમને શોલેમાં ગબ્બર સિંહની ભૂમિકા ઓફર કરી હતી. આ ભૂમિકાની તૈયારી કરવા એમણે તરુણકુમાર ભાદુરીએ ચંબલના ડાકૂઓ વિશે લખેલું પુસ્તક ‘અભિશપ્ત ચંબલ’ વાંચ્યું હતું.
‘શોલે’ની અભૂતપૂર્વ સફળતાથી એ રાતોરાત સ્ટાર બની ગયા. એમને ભારતીય સિનેમાના ‘શુદ્ધ દુષણ’ રૂપે પણ નવાજવામાં આવે છે. એમના પાત્રના સંવાદો અને બોલવાની શૈલી નકલ એમની લોકપ્રિયતા દર્શાવે છે. એક બિસ્કીટની જાહેરાતમાં પણ એ કહેતા, ‘ગબ્બર કી અસલી પસંદ’! પ્રોડક્ટ વેચવા માટે વિલનના પાત્રનો ઉપયોગ ત્યારે નવો હતો.
છેક નેવુંના દાયકાના આરંભ સુધી અમજદ ખાને ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકાઓ કરી. જે ફિલ્મોમાં અમજદની ખલનાયકીની નોંધ લેવી પડે એમાં ‘દેશ પરદેશ’, ‘નાસ્તિક’, ‘સત્તે પે સત્તા’, ‘દાદા’, ‘ચંબલ કી કસમ’, ‘ગંગા કી સૌગંધ’, ‘હમ કિસીસે કમ નહીં’ અને ‘નસીબ’ને યાદ કરી શકાય.
એમણે હકારાત્મક ભૂમિકાઓ પણ કરી છે, જેમાં ‘યારાના’માં અમિતાભના મિત્ર અને ‘લાવારિસ’માં પિતાની ભૂમિકા ઉલ્લેખનીય છે. કેટલીક ફિલ્મોમાં એમની કોમેડિયન ભૂમિકા પણ યાદગાર બની, જેમાં ‘કુરબાની’, ‘લવ સ્ટોરી’ કે ‘ચમેલીકી શાદી’ નો સમાવેશ થાય છે.
અમજદ એક્ટર્સ ગીલ્ડના પ્રમુખ પણ હતા. અભિનેતાઓ, નિર્માતા કે નિર્દેશકો સાથેના વિવાદમાં એ લવાદરૂપે સ્વીકાર્ય રહેતા. શેહલા ખાન સાથે લગ્ન કરનાર અમજદનો દીકરો શાદાબ ખાન પણ ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યો છે.
૧૯૭૬માં મુંબઈ-ગોવા હાઈ-વે પર ભીષણ માર્ગ અકસ્માતમાં એમના પાંસળા તૂટયા હતા અને ફેફસાંમાં કાણા પડ્યા હતા. એ વખતે એ અમિતાભ સાથેની ફિલ્મ ‘ધ ગ્રેટ ગેમ્બલર’ના શૂટિંગ માટે જઈ રહ્યા હતા. દવાઓને કારણે એમનું વજન વધી જવાથી અને હૃદયની બીમારીથી માત્ર ૫૧ વર્ષની વયે ૨૭ જુલાઈ, ૧૯૯૨ના રોજ એમનું નિધન થયું હતું.