Home Blog Page 4586

વડાપ્રધાન સાથે મુલાકાત બાદ મમતાનું નિવેદનઃ સીએએ-એનઆરસી પાછુ લેવા માંગ કરી

કોલકત્તાઃ નાગરકિતા કાયદો તથા એનઆરસી મુદ્દે મમતા બેનર્જીની આગેવાનીમાં તૃણમુલ કોંગ્રેસ મોદી સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શનો યોજી રહી છે. આવા સંજોગોમાં કોલકાત્તામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મમતા બેનર્જી વચ્ચે મહત્વની મુલાકાત યોજાઈ હતી.

કોલકાત્તામાં ઉતરાણ કર્યા બાદ પીએ મોદી સીધા જ રાજભવન પહોંચ્યા હતા. જ્યાં મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને પીએમ મોદી વચ્ચે બેઠક યોજાઇ. એક તરફ કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ નાગરિકતા કાયદાના સમર્થનમાં અભિયાન ચલાવી રહી છે.

તો બીજી તરફ ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જી નાગરિકતા કાયદાના વિરોધમાં રોડ શો સહિતના કાર્યક્રમો યોજી રહી છે. ત્યારે પીએમ મોદી સાથેની મુલાકાત બાદ મમતા બેનર્જીએ જણાવ્યું કે મેં વડાપ્રધાન મોદીને નાગરિકતા કાયદો, એનપીઆર અને એનસીઆર પરત લેવાની માંગણી કરી છે. સાથે જ કેટલાક નાણાકીય બાબતોને સ્પર્શતા મુદ્દાઓ પર પણ મેં પીએમ સાથે ચર્ચા કરી હતી.

એરપોર્ટ પર વડાપ્રધાનના સ્વાગત માટે મુખ્યમંત્રી મમતા બેનરજી પહોંચ્યા ન હતા. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને મમતા બેનરજીના મંત્રીએ તેમનુ સ્વાગત કર્યું હતું. કોલકાત્તાના મેયર પણ એરપોર્ટ પર પીએમના સ્વાગત માટે પહોંચ્યા હતા. પીએમ મોદીના સ્વાગત માટે બીજેપીના અનેક મોટા નેતા એરપોર્ટ પર પહોંચ્યા હતા.

ચારુસેટ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહઃ ગવર્નર આરીફ મોહમ્મદ ખાન ઉપસ્થિત

અમદાવાદઃ ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી – ચારૂસેટ, ચાંગા ખાતે નવમો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથી તરીકે કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાને દિક્ષાંત પ્રવચન આપ્યુ હતું. તેઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શિક્ષા અને જ્ઞાન થકી જ વિશ્વમાં એકતા અને સમાનતા લાવી શકાશે. તેઓએ પદવીધારક વિદ્યાર્થીઓએ ઉદેશ્યતા કહ્યું હતું કે યુનિવર્સિટીનું કામ વિદ્યાર્થીઓને કૌશલ્યવર્ધક બનાવવાનું છે અને આ કૌશલ્યો થકી તેઓએ સચોટ અને સ્પષ્ટ વિચારધારા થકી સમાજ અને રાષ્ટ્રનિર્માણના કાર્યમાં જોડાવું જોઈએ. આગળ વધતા તેઓએ વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું કે જયારે તમને શિક્ષા થકી વિશેષ સન્માન અને ઉપલબ્ધી મળેલી છે ત્યારે સમાજ પ્રત્યેની તમારી જવાબદારી પણ વિશેષ બની રહે છે.

તેઓએ માતૃસંસ્થા, કેળવણી મંડળ, અને ચારૂસેટના સમાજ પ્રત્યેના સેવાભાવ અને સદ્ભાવના થકી  સમાજ ઉત્થાનના કાર્યને બિરદાવ્યું હતું. કેરળના હાલના રાજ્યપાલ અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી આરીફ મોહમ્મદ ખાન એક સફળ અને લોકપ્રિય રાજનેતા તરીક  ભારતની રાજનીતિમાં આગવું સ્થાન ધરાવે છે. તેઓ એક લોકનેતા તરીકે શિક્ષણ, દહેજ વિરોધી કાનૂન, શારીરિક રીતે વિકલાંગ લોકોના ઉત્થાન, મુસ્લિમ સમાજનાં વિકાસ અને પ્રગતિ વગેરે ક્ષેત્રે અનન્ય ફાળો આપેલ છે.

આ પ્રસંગે અતિથી વિશેષ પદે ઉપસ્થિત રહી વિખ્યાત અમેરિકન લેખક જ્યોર્જ મસરે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેઓએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે આજીવન વિદ્યાર્થી બની રહો, સતત શીખતાં રહો, નવું સંશોધન કરતા રહો, અને એકબીજાના સહકારમાં કાર્ય કરી વૈશ્વિક મુદ્દાઓનો ઉકેલ લાવો. વધુમાં તેઓએ વિદ્યાર્થીઓને ફિજીક્સ, કોસ્મોલોજી, મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગેરે જેવા ગૂઢ અને મહત્વના વિષયો પર વધુ અભ્યાસ અને સંશોધન કરવા માટે પ્રેર્યાં હતા.

ડો. જ્યોર્જ મસર સાયન્સ વિષયક લેખન માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત લેખક છે. સાયન્સ ક્ષેત્રે તેમના પ્રદાન બદલ તેઓને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિક્સ અને અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટી દ્વારા એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવેલ છે. તેઓના પુસ્તકો ‘સ્પૂકી એક્શન એટ અ ડિસ્ટન્સ’ અને ‘ધ કમ્પ્લીટ ઈડિયટ્સ ગાઈડ ટૂ સ્ટ્રીંગ થિયરી’ વિજ્ઞાન જગતમાં લોકપ્રિય થયેલ છે. હાલમાં તેઓ વિશ્વ પ્રસિદ્ધ અમેરિકન સાયન્સ મેગેઝીન ‘સાયન્ટિફિક અમેરિકન’ ના એડિટર તરીકે સેવા આપી રહ્યા છે.

 

“સંપર્ક 2020” માં અનેક વિદ્યાર્થીઓએ જ્ઞાન વહેચ્યું અને મેળવ્યું

મહેસાણાઃ ગણપત યુનિવર્સિટી યુ.વી.પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ કોલેજ ખાતે IEEE ગુજરાત સેક્શનનો વાર્ષિકોત્સવ સંપર્ક 2020 યોજાયો હતો. ગુજરાતની 30 અલગ અલગ એન્જીનીયરીંગ કોલેજો જેવી કે , DA-IICT, PDPU,અમદાવાદ યુનિવર્સીટી,  DDIT, GCET, LD Engineering College, GCET, LDCE,ચરોતર યુનિવર્સીટી, મારવાડી યુનિવર્સીટી, ADIT, LDRP વગેરેના 450 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમા આઇઈઈઈ સભ્યો અને સભ્યપદ નથી તેવા વિદ્યર્થીઓ પણ હાજર રહ્યા હતા.

સંપર્ક એક એવો કાર્યક્રમ છે જેમા અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓ પોસ્ટર પ્રેઝન્ટેશન અને પ્રોજેક્ટ પ્રેઝન્ટેશનમાં ભાગ લે છે. વધુમા અહી વિદ્યાર્થીઓને એક એવુ પ્લેટફોર્મ મળે છે કે તેઓ એ વર્ષ દરમ્યાન કઇ કઇ ઈવેન્ટ કરી તેની સવિસ્તાર માહિતીની આપ-લે થઈ શકે, જેનો લાભ નવા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને આવી અલગ અલગ ઇવેન્ટના આયોજન કરવામાં મદદ મળશે.

આ પ્રસંગે દરેક કોલેજમાથી શ્રેષ્ઠ યોગદાન બદલ વિદ્યાર્થીઓને બેસ્ટ વોલેન્ટિયરનો અવોર્ડ આપવામા આવ્યો હતો તથા અલગ અલગ કોલેજોને સામુહિક રીતે તેમને તેમના યોગદાન બદલ અવોર્ડ આપવામા આવ્યો હતો.

ઉત્તરાયણ: વાહનચાલકોની જીવાદોરી ગણાતા સળિયાનું વેચાણ ઘટયું…

અમદાવાદ:  ઉત્સવો અને તહેવારોની મોસમ આવે એટલે સિઝનેબલ ધંધો કરનારા ઉત્પાદકો, વેપારીઓ સજ્જ થઇ જાય. એ પતંગ, ફટાકડા, રાખડીઓ, રંગ-પિચકારી જેવી તમામ ચીજવસ્તુઓ દુકાન-હાટડીયો અને માર્ગો પરના મંડપોમાં જોવા મળે. પણ, મંદી અને ઉત્સવોના ઉત્સાહમાં ફીકાશ આવે ત્યારે વેપાર-ધંધા ધોવાઇ જાય. વેપાર નાનો હોય કે મોટો મંદી અને રસ વિહોણા માહોલની અસર સૌને થાય. પતંગોત્સવ ઉત્તરાયણ આવે એટલે ઘણાં લોકોને પેટિયું રળવાની આશા સાથે નવો વિકલ્પ મળે. પતંગ-દોરી બનાવનાર વેચનાર સાથે અનેક લોકોને રોજગાર મળે.
થોડા વર્ષો પહેલા દિવાળી જાય કે તુરંત જ નાના મોટા સૌ પતંગ રસિયાઓ ધાબે-છાપરે કે મેદાનોમાં પતંગની મોજ માણતા હતા. જેના કારણે દોરીઓ માર્ગો પર પડતી અને રાહદારીઓ અને વાહનચાલકો ઘવાતા હતા. એમાંય ધારદાર ચાઇનિઝ દોરીના કારણે વાહન ચાલકો ગંભીર ઇજાઓ પહોંચે છે. દોરીઓથી થતી ઇજાઓને રોકવા વાહન ચાલકોએ અવનવા નુસખા અપનાવવાના શરુ કર્યા. ગળે મફલર, મોં પર રુમાલ, માથે હેલમેટ પહેરવાની શરુઆત થઇ.એમાંય છેલ્લા કેટલાય વર્ષો થી વાહનો ના બંન્ને બાજુના કાચની જગ્યાએ એક સળીયો મુકવાની શરુઆત થઇ છે. દોડતા વાહન પર જ્યારે અચાનક જ દોરી પડે અને અર્ધ ગોળાકાર સળિયો લગાવ્યો હોય તો દોરી રોકોઇ જવાની શક્યતા વધી જાય.

જેના કારણે ઉત્તરાયણ દરમિયાન વાહનોના સ્ટિયરિંગ પર સળિયા લગાવવાનો ધંધો પણ ફૂલ્યો ફાલ્યો છે. આ વર્ષે અમદાવાદ શહેર ના જુદા જુદા વિસ્તારની ફૂટપાથો અને માર્ગને અડીને આવેલા મેદાનોમાં વાહનો પર લગાડનારા સંખ્યાબંધ લોકો વેપાર ધંધા માટે બેઠા છે. પણ…. વેપાર એકદમ ઓછો છે.. કારણ..પહેલાની જેમ ઉત્તરાયણ પૂર્વે આકાશમાં ભરચક પતંગો ચગતી હતી. આ વર્ષે પતંગો આકાશમાં નહિવત ઉડી રહી છે. માર્ગો પર દોરીઓ પડવાનું પ્રમાણ ઘટતા વાહનો પર સળિયા લગાડવાનો વેપાર ઠંડો થઇ ગયો છે. અંદાજે પચ્ચાસ રુપિયામાં ટુ વ્હીલર પર સળિયો લગાડતા અઢળક લોકો રસ્તા પરની ફૂટપાથ અને બ્રિજ પર અંડીગો લગાવી બેઠા છે. પણ લોકોની જીવાદોરી બચાવતા આ સળિયા વાળાનું ધંધા રુપી જીવનચક્ર હાલ મંદુ પડી ગયું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

કાતિલ પવનની લહેરો વચ્ચે ગુજરાતમાં ઠંડીનો સપાટો

અમદાવાદ: સમગ્ર દેશમાં બરાબર શિયાળો જામ્યો છે ત્યારે ગુજરાતમાં પણ હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાત ઠંડીથી ઠુંઠવાઇ ગયું છે. ગુરુવારે રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઇ, નલિયામાં તાપમાન 3 ડીગ્રી સુધી નીચે સરકી ગયું. ઠંડી વધવા પાછળનું કારણ રાજયમાં ઉતર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધ્યુ છે.

છેલ્લા બે દિવસથી રાજ્યભરમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે રાત્રે તો ઠીક દિવસે પણ લોકો સ્વેટર અને શાલમાં જોવા મળી રહ્યા છે. પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે 11 જાન્યુઆરીથી તાપમાનમાં વધારો થશે એટલે કે ઠંડીનું જોર ઘટી જશે. આગાહી પ્રમાણે સોમવારે બનાસકાંઠા, જામનગર, દ્વારકા અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

‘આગામી 3-4 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં 3-4 ડિગ્રીનો વધારો જોવા મળશે’, તેવું IMDએ આગાહીમાં જણાવ્યું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો હતો.

4 ડિગ્રી સેલ્સિઅસ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર હતું, આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ તાપમાન સામાન્ય કરતાં ઘણું નીચું હતું. પવનની દિશા બદલાતા અને ઉત્તરપૂર્વીય દિશામાંથી ઠંડા પવનો ફૂંકાતા રાજ્યભરમાં ઠંડીનો ચમકારો નોંધાયો હતો. અમદાવાદનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન 22.9 ડિગ્રી સેલ્સિઅસ અને 10.1 ડિગ્રી સેલ્સિઅસ હતું, જે સરેરાશ કરતાં અનુક્રમે 4.8 ડિગ્રી અને 2.7 ડિગ્રી ઓછું હતું. શુક્રવારે દિવસ દરમ્યાન શહેરીજનોને ઠંડા પવનનો અનુભવ થયો હતો. હવામાન નિષ્ણાતોએ કહ્યું કે, ગુરુવારથી લઘુત્તમ તાપમાનમાં લગભગ 1 ડિગ્રીનો વધારો થયો છે. શનિવારે એટલે કે આજે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે.

પાકિસ્તાનમાં ક્વેટાની મસ્જિદમાં વિસ્ફોટઃ 16 લોકોના મોત, 20 ઘાયલ

ઈસ્લામાબાદઃ ક્વેટાના ઘૌસાબાદ વિસ્તારમાં આજે થયેલા વિસ્ફોટમાં પોલીસ અધિકારી સહિત 16 લોકોના મોત થયા છે જ્યારે 20 ઘાયલ થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર. વિસ્ફોટ સાંજની નમાજના સમયે થયો હતો. મૃતકોમાં ક્વેટાના ડીએસપી અમાનુલ્લાનો પણ સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વિસ્ફોટ ડીએસપીને નિશાન બનાવવા માટે જ કરવામાં આવ્યો હતો. ગત મહિને ક્વેટામાં જ ડીએસપીના દિકરાની ગોળઈ મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને બલૂચિસ્તાનના મુખ્યમંત્રી જે. કમાલ ખાને ઘટનાની નિંદા કરી છે. તેમણે ઓફિસરોને જલ્દી જ તપાસ પૂરી કરીને રિપોર્ટ સોંપવાના આદેશ આપ્યા છે. ક્વેટામાં તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સીની જાહેરાત કરી દેવામાં આવી છે.

બલૂચિસ્તાનના ગૃહમંત્રી જિયા લંગોવે ઘટના પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, મૃતકોની સંખ્યા હજી વધી શકે છે, કારણ કે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જો કે, ઘાયલોની સારવારમાં કોઈપણ પ્રકારની લાપરવાહી નહી ચલાવી લેવાય. ગૃહમંત્રીએ કહ્યું કે, આતંકીઓ પાકિસ્તાનના વિકાસથી ડરી ગયા છે. હારી ગયેલા અને ડરી ગયેલા આતંકીઓને ક્યારે સફળ થવા દેવામાં નહી આવે.

ક્વેટા પાકિસ્તાનનું હિંસા પ્રભાવિત ક્ષેત્ર માનવામાં આવે છે. ગત મંગળવારના રોજ પણ અહીંયા ફ્રંટિયર કોર્પ્સ સુરક્ષા દળની ગાડી પાસે રહેલા બાઈકમાં વિસ્ફોટ થયો હતો, જેમાં બે લોકોના મોત થયા હતા અને 14 લોકો ઘાયલ થયા હતા. તહરીક-એ-ઈન્સાફ નામના આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી હતી અને ક્વેટામાં ગત સપ્તાહે, ઓગસ્ટ અને નવેમ્બરમાં પણ વિસ્ફોટ થયા હતા.

જેએનયુ હિંસા: દિલ્હી પોલીસની કામગીરી પર શંકાના વાદળો

નવી દિલ્હી: જેએનયુમાં થયેલી હિંસાને લઈને શુક્રવારે દિલ્હી પોલીસ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરીને કેટલાક તથ્યોને સામે રાખ્યવાનો પ્રયત્ન કર્યો. પણ દિલ્હી પોલીસ અધૂરી તૈયારીઓ સાથે મીડિયાની સામે આવી હતી. પોલીસે બંને પક્ષોના હુમલાખોરોની તસવીરો જાહેર કરી. જેમાં એક તસવીરમાં નામ કોઈનું અને વ્યક્તિ કોઈ બીજી જ હવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પોલીસ પર ભેદભાવનો પણ આરોપ લાગી રહ્યો છે કારણ કે, તેમણે ડાબેરીપક્ષોના આરોપી હુમલાખોરોનું નામ લીધું પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)નું નામ લેવાથી દૂરી રાખી હતી.

એક વિડિયોમાં 5 જાન્યુઆરીએ બપોરે 3.45 વાગ્યે કેટલાક બુકાનીધારી વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે જે કદાજ પેરિયાર હોસ્ટેલ જઈ રહ્યા હતાં. તેમની સાથે જેએનયુ વિદ્યાર્થી સંઘની અધ્યક્ષા આઈશી ઘોષ પણ દેખાઈ રહી છે. જોકે, વિડિયોમાં કોઈના હાથમાં હથિયાર નથી. બીજી તરફ બુકાનીધારીની એક ભીડ હથિયાર લઈને રાતે આવી અને તેમણે સાબરમતી હોસ્ટેલ પર હુમલો કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ હુમલો દિવસે કરેલા હુમલાનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો. બીજો હુમલો ઘણો ઉગ્ર હતો. આઈશી અને એક પ્રોફેસરના માથા પર ઈજા થઈ અને કુલ 36 લોકો ઘાયલ થયાં.

નજરે જોનારાઓનું કહેવું છે કે, હુમલો એબીવીપી દ્વારા કરાવવામાં આવ્યો છે. થોડા સમય પછી એબીવીપી સભ્યોની કેટલીક તસવીરો સામે આવી જેમાં તેઓ લાકડી હાથમાં લઈને કેમ્પસની અંદર જોવા મળી રહ્યા છે. આ સાથે જ આ હુમલામાં એ લોકો પણ સામેલ હોવાની શંકા મજબૂત બની જાય છે. પણ જ્યારે પોલીસે પ્રથમ વખત જેએનયુ હિંસામાં સામેલ આરોપીઓ અંગે જણાવ્યું તો તેમનો ઈશારો લેફ્ટીસ તરફ હતો.

પોલીસે કુલ 9 લોકોના નામ લીધા જેમાંથી 7 લોકો લેફ્ટથી છે. આ લોકોમાં આઈશી ઘોષનું નામ પણ છે જે જેએનયુ વિદ્યાર્થીસંઘની અધ્યક્ષ છે. પોલીસે યોગેન્દ્ર ભારદ્વાજની તસવીર પણ જાહેર કરી છે જે જેએનયુમાં એબીવીપીના સભ્ય છે અને કહેવામાં આવી રહ્યું છે કે, ભારદ્વાજે જ આ હુમલાની યોજના ઘડી હતી. અન્ય એક વિદ્યાર્થીની તસવીર પણ જાહેર કરવામાં આવી છે જેનું નામ વિકાસ પટેલ બતાવવામાં આવી રહ્યું છે જે ખોટું છે. આ વિદ્યાર્થીનું નામ શિવ પૂજન છે, જે એબીવીપી સાથે જોડાયેલો છે.

તપાસ પર ઉઠેલા સવાલો અને સોશિયલ મીડિયામાં ચોતરફી ટીકાનો ભોગ બન્યા પછી પોલીસે તાત્કાલિક વિકાસ પટેલની સાચી તસવીર જાહેર કરી. પણ આ ઘટના બાદ પોલીસની થિયરી પર અનેક સવાલો ઉભા થયાં છે. જો પોલીસ તમામ લેફ્ટ વિદ્યાર્થી સંગઠનોના નામ લઈ રહી છે તો એબીવીપીનું નામ શા માટે નથી લઈ રહી અને બીજું કે, 5 તારીખે જે બુકાનીધારીઓ જેએનયુમાં દાખલ થયા તેના અંગે હજુ સુધી પોલીસ કેમ કોઈ જાણકારી નથી આપી રહી.

તાન્હાજી અને છપાકનો બોક્સ ઓફિસ પર સપાટો

નવી દિલ્હી: દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકને લઈને પહેલાથી જ દર્શકોમાં ભારે ક્રેઝ જોવા મળ્યો હતો.  બોક્સ ઓફિસ ઈન્ડિયાના જણાવ્યા મુજબ આ છપાક ફિલ્મે પ્રથમ દિવસે 6 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ પ્રોડ્યુસરોને આશા છે કે, ફિલ્મ શનિવાર અને રવિવારે શાનદાર કમાણી કરશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણે તેમના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે અને ફિલ્મમાં દીપિકાની એક્ટિંગના વખાણ પણ કરી રહ્યા છે.

તો આ જ સપ્તાહે રિલિઝ થયેલી ફિલ્મ તાન્હાજી એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મે પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર 15.10 કરોડ રૂપિયાની કમાણી સાથે તોફાની ઓપનિંગ કર્યું છે. આ ફિલ્મની કમાણીની જાણકારી તરણ આદર્શે ટ્વીટ કરીને આપી છે.

દીપિકા પાદુકોણની છપાકનું બજેટ લગભગ 35 કરોડ બતાવવામાં આવી રહ્યું છે. છપાકની કહાની માલતી એટલે કે દીપિકા પાદુકોણની છે જે એસિડ એટેક પીડિતા છે અને આ ઘટના છતા તે પોતાની જિંદગીની જંગ પૂરી તાકત અને હિમ્મત સાથે લડી રહી છે. માલતીની આ જંગમાં તેમનો સાથ આપી રહ્યા છે અમોલ (વિક્રાંત મેસે) અને તેમની વકીલ (મધુરજીત સર્ગી). સમગ્ર ફિલ્મ માલતીના સંઘર્ષ અને ઈચ્છાશક્તિ તરફ ઈશારો કરે છે.

શશિ થરુરે કેજરીવાલ પર કર્યા પ્રહારોઃ કહ્યું તેઓ લાચાર મુખ્યમંત્રી છે

નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ શશિ થરુરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લાચાર મુખ્યમંત્રી ગણાવ્યા છે. થરુરે કહ્યું કે, જવાહર લાલ નહેરુ યૂનિવર્સિટીમાં થયેલી હિંસા બાદ દિલ્હીના મુખ્યમંત્રીએ ઘાયલ વિદ્યાર્થીઓને મળવાનું પણ જરુરી ન સમજ્યું. કોંગ્રેસ સાંસદે કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદાને લઈને હજી સુધી આમ આદમી પાર્ટીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી.

થરુરે કહ્યું- કેજરીવાલ કદાચ ઈચ્છે છે કે, નાગરિકતા સંશોધન કાયદાના વિરોધી અને સમર્થક બંને તેમના તરફ હતા. તેથી તેઓ આ મુદ્દે કોઈ મજબૂત સ્ટેન્ડ ન લઈ શક્યા. જો તેઓ આ મામલે કઈ બોલી જ નથી શકતા તો લોકોએ કયા આધારે કેજરીવાલને વોટ આપવા જોઈએ.

થરુરે દાવો કર્યો છે કે, કેજરીવાલે એક સમયે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિતને લાચાર મુખ્યમંત્રી ગણાવ્યા હતા. હવે તેમણે જાતે પોતાનું એ ટ્વિટ વાંચવુ જોઈએ. શું લોકો આવા મજબૂર મુખ્યમંત્રી ઈચ્છે છે કે તેમના બાળકો સાથે લાઠીચાર્જ થાય અને મુખ્યમંત્રી તેમને મળવા પણ ન જઈ શકે.

થરુરે કહ્યું- હું નથી જાણતો કે કેજરીવાલ કોનો આદેશ સાંભળી રહ્યા છે. પણ તમને કોણે કહ્યું કે, વિદ્યાર્થીઓ સાથે થયેલી હિંસા સામે ન બોલશો, તેમને ન મળશો અથવા પછી નાગરિકતા સંશોધન કાયદા મામલે સ્પષ્ટ સ્ટેન્ડ ન લેશો? તમે તો મુખ્યમંત્રી છો. બીજુ કોઈ નથી જે તમને આદેશ આપે.

5 જાન્યુઆરીએ JNUના કેમ્પસમાં બુકાનીધારીઓએ શિક્ષકો અને વિદ્યાર્થીઓ પર રૉડ અને પથ્થરથી હુમલો કર્યો હતો. જેમાં 30થી વધારે લોકો ઘાયલ થયા હતા. દિલ્હી પોલીસે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં આ મામલે JNUSU અધ્યક્ષ આઈશી ઘોષ સહિત 9 વિદ્યાર્થીઓની ઓળખ જાહેર કરી હતી. કેજરીવાલે JNU હિંસા વિશે કહ્યું હતું કે, પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી કારણકે તેમને કેન્દ્ર તરફથી આદેશ હતો કે હસ્તક્ષેપ ન કરવો.

યૂપીના કન્નોજમાં ભયંકર અકસ્માતઃ બસમાં આગ લાગતા 21 લોકો જીવતા ભૂંજાયા

કન્નોજઃ ઉત્તર પ્રદેશના કન્નૌજમાં શુક્રવારે ફર્રુખાબાદથી જયપુર જઈ રહેલી સ્લીપર બસમાં ટ્રકે સામેથી જોરદાર ટક્કર મારી દેતા ભીષણ અકસ્માત સર્જાયો. જેનાથી ટ્રક અને બસમાં જોરદાર વિસ્ફોટ થયો અને આગ લાગી. આ અકસ્માતમાં 21 લોકો જીવતા ભૂંજાઈ ગયાં. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે કન્નૌજના ડીએમ અને એસપીને ઘાયલ મુસાફરોના ઉપચાર માટે દરેક શક્ય પગલાં લેવાના નિર્દેશ આપ્યા છે. પીએમ મોદીએ  પણ ટ્વીટ કરીને આ અકસ્માત પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે ઉત્તર પ્રદેશના કન્નૌજમાં થયેલા ભીષણ રોડ અકસ્માત અંગે જાણીને અત્યંત દુ:ખ થયું. આ દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યાં. હું મૃતકોના પરિજનો પ્રત્યે મારી સંવેદનાઓ વ્યક્ત કરું છું અને સાથે જ ઘાયલો જલદી સાજા થાય  તેવી કામના કરું છું.

પ્રાપ્ત વિગતો અનુસાર, બસમાં લગભગ 45 લોકો સવાર હતાં આ અકસ્માતમાં બસમાં લાગેલી આગમાં 21 લોકો માર્યા ગયાં. જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમને સારવાર માટે તિર્વા મેડિકલ કોલેજ અને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અહીં તેમની સારવાર ચાલુ છે.

અકસ્માત બાદ ઉત્તર પ્રદેશના ડીજીપી ઓપી સિંહે મીડિયાને કહ્યું કે રાહત અને બચાવ કાર્યના નિર્દેશ આપ્યા છે. અકસ્માત ખુબ જ દુ:ખદ છે. શક્ય તમામ મદદના પ્રયત્નો થઈ રહ્યાં છે. અમારી પ્રથમ પ્રાથમિકતા લોકોને બચાવવાની હતી. બસમાં આગ સંપૂર્ણ રીતે કાબુમાં લેવાઈ છે. ભીષણ આગમાં બળી ચૂકેલા મૃતદેહોની ઓળખ ચાલુ છે. આ માટે ડીએનએ ટેસ્ટની મદદ લેવાશે. તપાસ ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. જ્યારે ફોરેન્સિક ટીમને પણ મોકલવામાં આવી છે.

યુપી ડીજીપી ઓ પી સિંહે જણાવ્યું કે બસ-ટ્રકમાંથી કોઈ એકમાં જ્વલનશીલ પદાર્થ હતો જેના કારણે વિસ્ફોટ સાથે આગ લાગી. કાનપુર એડીજી જોન પ્રેમપ્રકાશને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યાં.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ છિબરામઉથી 5 કિમી આગળ જીટી રોડ પર ગ્રામ ધિલોઈ પાસે ધુમ્મસના કારણે આ ભયાનક અકસ્માત થયો. ભીડંતથી ટ્રકની ડીઝલ ટેંક ફાટી ગઈ અને આગ લાગી. જેણે બસને પણ તેની ચપેટમાં લીધી. થોડીવારમાં બસ આગનો ગોળો બની ગઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે સ્લીપર બસમાં ફસાયેલા મુસાફરોને બહાર નીકળવાની તક સુદ્ધા ન મળી. લગભગ ડઝન જેટલા મુસાફરોએ યેનકેન પ્રકારે કૂદીને પોતાનો જીવ બચાવ્યો.