Home Blog Page 459

સપ્તરંગ આર્ટ સ્ટુડિયોઝનું ‘વન કેનવાસ, વન વર્લ્ડ’ આર્ટ પ્રદર્શન

અમદાવાદ: સપ્તરંગ આર્ટ સ્ટુડિયોઝ દ્વારા શહેરમાં એક અનોખું આર્ટ એક્ઝિબિશન યોજાયું. ગત 4 અને 5 નવેમ્બરના રોજ હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ ગેલેરી ખાતે એક હૃદયસ્પર્શી કેનવાસ પેઇન્ટિંગ પ્રદર્શન યોજાયું. આ પ્રદર્શનમાં સ્પેશિયલ અને સામાન્ય બાળકો બંનેના પેઈન્ટિંગ એકસાથે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.  સપ્તરંગ આર્ટ સ્ટુડિયોઝના સ્થાપક ક્રિનલ શાહના માર્ગદર્શન હેઠળ આ પ્રદર્શન યોજાયું.

બાળકોને પ્રોત્સાહન આપવા માટે IPS અજય ચૌધરી – જ્વૉઇન્ટ પોલીસ કમિશનર તથા પ્રસિદ્ધ એબ્સ્ટ્રેક્ટ આર્ટિસ્ટ; વિપુલ સેવક – વાઇસ ચેરમેન, AMC સ્કૂલ; કુલિન પટેલ – ઇન્ટીરિયર ડિઝાઇનર અને એબ્સ્ટ્રેક્ટ આર્ટિસ્ટ; હંસા પટેલ તથા નયના મેવાડા – કન્વીનર, ગુજરાત વિઝ્યુઅલ વુમન આર્ટિસ્ટ એસોસિએશન; તેમજ નિરાલી શાહ – સ્થાપક, Mom’s Namkeen Treats ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોની આર્ટનું જીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું અને તેમને પ્રોત્સાહના આપ્યું. આર્ટ એક્ઝિબિશનમાં 32 બાળકોએ ભાગ લીધો હતો. જેમાં 12 સ્પેશિયલ કિડ્સ અને 20 સામાન્ય બાળકો હતા. બાળકોને એક પ્લેટફોર્મ પર લાવવા પાછળનો ઉદ્દેશ્ય સૌહાર્દ, સમાનતા અને સહ-સર્જનાત્મકતાનું વાતાવરણ તૈયાર કરવાનો રહ્યો. “વન કેનવાસ, વન વર્લ્ડ” નામનું આ ખાસ પ્રદર્શન સંદેશ આપે છે કે કલા કોઈ ભેદભાવમાં માનતી નથી અને દરેક બાળક પોતાની રીતે વિશેષ છે. સપ્તરંગ આર્ટ સ્ટુડિયોઝના સ્થાપક ક્રિનલ શાહના માર્ગદર્શન હેઠળ આ પ્રદર્શન યોજાયું. તેઓ છેલ્લાં 22 વર્ષથી આ આર્ટ સ્ટુડિયો ચલાવે છે. તેમજ છેલ્લાં આઠેક વર્ષથી સ્પેશિયલ કિડ્સ સાથે પણ કામ કરી રહ્યા છે. જેના વિશે તેમનું કહેવું છે કે દરેક બાળકમાં ખાસ પ્રકારની આર્ટ રહેલી હોય છે. તેને બહાર લાવવી અને બાળકને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે તેમનું ધ્યેય છે. તેઓ કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર પોતાના ખર્ચે સ્પેશિયલ કિડ્સ માટેના વર્કશોપ કરતા હોય છે. આ એક્ઝિબિશન પાછળના હેતુ વિશે તેમનું કહેવું છે કે બાળકોમાં પરસ્પર શીખવાની, વિવિધતાનો ઉત્સવ મનાવવાની અને સાચી કલાના અર્થને – “સમાવેશ” તરીકે સમજવાની ભાવના વિકસાવવાનો છે. આ પહેલ સમાજને પ્રેરણા આપે છે કે સર્જનાત્મકતાનું માપ “ક્ષમતાથી” થાય છે, “અક્ષમતાથી” નહીં।

બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ PM શેખ હસીનાને મોતની સજાની શક્યતા

ઢાકા: બાંગ્લાદેશની આંતરિક સરકારે હટાવાયેલાં વડા પ્રધાન શેખ હસીનાને ફાંસી આપવાની તૈયારી કરી છે. બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ન્યાયાધીકરણ (ICT-BD)એ ગુરુવારે જાહેરાત કરી હતી કે માનવતાવિરોધી ગુનાઓના કેસમાં હટાવાયેલાં વડા પ્રધાન શેખ હસીના વિરુદ્ધનો ચુકાદો 17 નવેમ્બરે આપશે. સરકારે હસીનાને મોતની સજા આપવાની માગ કરી છે.

અવામી લીગે હડતાળનું આહવાન કર્યું

ઢાકામાં કડક સુરક્ષા વચ્ચે હાજર એક પત્રકારે જણાવ્યું હતું કે ત્રણ ન્યાયાધીશો ધરાવતા ન્યાયાધીકરણે ચુકાદો આપવા માટે 17 નવેમ્બર નક્કી કરી છે. આ જાહેરાત પછી હસીનાની ભૂતપૂર્વ અવામી લીગ સરકારે ઢાકા બંધ (હડતાળ)નું આહવાન કર્યું, જેને કારણે શહેરમાં સુરક્ષા વ્યવસ્થા તંગ બની ગઈ હતી.

હસીના સિવાય બીજા કોણ પર આવશે ચુકાદો

આ કેસમાં શેખ હસીના, હટાવાયેલા ગૃહ મંત્રી અસદુઝ્ઝમાન ખાન કમાલ અને તે સમયના પોલીસ મહાનિર્દેશક (IGP) ચૌધરી અબદુલ્લા અલ-મામૂન વિરુદ્ધ કેસ ચલાવવામાં આવ્યો હતો. હસીના અને કમાલ વિરુદ્ધ ગેરહાજરીમાં સુનાવણી થઈ અને તેમને ફરાર જાહેર કરવામાં આવ્યાં હતાં. ICT-BDના મુખ્ય અભિયોજક મહંમદ તાજુલ ઇસ્લામે આરોપીઓને મૃત્યુદંડ આપવાની માગ કરી હતી. ભૂતપૂર્વ પોલીસ વડા મામૂન અદાલતમાં હાજર રહ્યા અને કેસનો સામનો કર્યો, પરંતુ પછી તેઓ સરકારના સાક્ષી બની ગયા હતા. ચુકાદાની તારીખ નક્કી કરતી વખતે મામૂન કઠેડામાં ઊભા જોવા મળ્યા. ન્યાયાધીકરણે 28 કામકાજી દિવસોની સુનાવણી બાદ 23 ઓક્ટોબરે કેસ પૂર્ણ કર્યો. એ દરમિયાન 54 સાક્ષીઓએ અદાલતમાં સાક્ષી આપી હતી કે ગયા વર્ષે “જુલાઈ બળવો” નામના વિદ્યાર્થી આંદોલનને દબાવવા કેવી રીતે પ્રયાસો કરવામાં આવ્યા હતા.

ચુકાદા પહેલાં હસીનાનું મોટું નિવેદન

હસીના પર ચુકાદો આવતાં પહેલાં બાંગ્લાદેશની યુનિવર્સિટીઓ સહિતના અનેક ખાનગી સંસ્થાઓએ હિંસાની શક્યતાને કારણે ઓનલાઈન કાર્ય ચાલુ રાખ્યું. હટાવાયેલાં વડા પ્રધાન હસીનાએ તાજેતરના ઇન્ટરવ્યુમાં ICT-BDને “કાંગારુ કોર્ટ” કહી હતી, જે તેમના રાજકીય વિરોધીઓ દ્વારા સંચાલિત હોવાનું કહ્યું. તેમણે ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ, અહીં સુધી કે આંતરરાષ્ટ્રીય ગુના ન્યાયાલય (ICC)માં પણ કેસનો સામનો કરવા તૈયાર છું. તેમણે વર્તમાન સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે મેં યુનુસ સરકારને વારંવાર પડકાર આપ્યો છે કે જો તેઓ તેમના કેસ વિશે એટલા નિશ્ચિત છે, તો મારા પર ICCમાં કેસ ચલાવે.

વિકી અને કેટરિના બંનેમાંથી સુપરસ્ટાર કોણ? અભિનેતાએ કર્યો ખુલાસો

વિકી કૌશલ અને કેટરિના કૈફ બોલિવૂડના પ્રિય યુગલોમાંના એક છે. જોકે, તેમણે પોતાની પ્રેમકથાને ખૂબ જ ગુપ્ત રાખી હતી. હવે લગ્નના આટલા વર્ષો પછી વિકી કૌશલે પોતાની પ્રેમકથા અને કેટરિના સાથેની પોતાની પહેલી મુલાકાતનો ખુલાસો કર્યો છે.

વિકી કૌશલ અને કેટરિના કૈફ આ દિવસોમાં માતાપિતાનો આનંદ માણી રહ્યા છે. કેટરિનાએ તાજેતરમાં જ તેમના પહેલા બાળકને જન્મ આપ્યો છે. તાજેતરમાં, કાજોલ અને ટ્વિંકલ ખન્નાના ટોક શો “ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ” માં હાજરી દરમિયાન વિકી કૌશલે કેટરિના સાથેની તેની પહેલી મુલાકાત વિશે વાત કરી. તેમણે કેટરિના કૈફ તેમના કરતા મોટી સુપરસ્ટાર છે કે કેમ તે પ્રશ્નનો પણ જવાબ આપ્યો.

“ટુ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ”ના નવીનતમ એપિસોડમાં વિકી કૌશલે કેટરિના કૈફને મળવાનો પોતાનો અનુભવ શેર કર્યો. કાજોલ અને ટ્વિંકલે બંને મહેમાનો સાથે ખૂબ મસ્તી કરી. શો દરમિયાન વિકી કૌશલે કેટરિના કૈફ સાથેની પોતાની પહેલી મુલાકાત વિશે વાત કરી. વિકીએ જણાવ્યુ કે તે પહેલી વાર કેટરીનાને બેકસ્ટેજ પર એક એવોર્ડ શોમાં મળ્યો હતો જે તે હોસ્ટ કરી રહ્યો હતો, અને તે મહેમાન હતી. અમારે બંનેએ સ્ટેજ પર આવવું પડ્યું. અમારી મુલાકાતના પહેલા પાંચ મિનિટ માટે, કેટરિના તેને શો કેવી રીતે હોસ્ટ કરવો તે શીખવી રહી હતી.

જ્યારે વિકીએ કેટરીનાને સ્ટેજ પર પ્રપોઝ કર્યું

આ દરમિયાન વિકીએ વાયરલ થયેલા વીડિયો વિશે પણ વાત કરી જેમાં તે એક એવોર્ડ ફંક્શનમાં સ્ટેજ પર કેટરીનાને પ્રપોઝ કરે છે. વિકીએ કહ્યું કે,”તે કાર્યક્રમમાં, મને કહેવામાં આવ્યું હતું કે સ્ટેજ પર આવતી કોઈપણ અભિનેત્રીને પ્રપોઝ કરું. તે પછી મેં મજાકમાં કેટરીનાને પ્રપોઝ કર્યું. જેનો વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો છે.” ટ્વિંકલે પછી ઉલ્લેખ કર્યો કે વિકી અને કેટરિના બંને તે સમયે મોટા સ્ટાર હતા. વિકીએ તરત જ જવાબ આપ્યો કે તે (કેટરિના) સુપરસ્ટાર હતી.

વિકીએ કેટરિનાને સુપરસ્ટાર કહી

શોમાં આગળ ટ્વિંકલે પૂછ્યું, “હવે શું પરિસ્થિતિ છે? કોણ મોટો સ્ટાર છે?” વિકીએ જવાબ આપ્યો, “તે હજુ પણ સપરસ્ટાર છે અને હંમેશા રહેશે.” પછી ટ્વિંકલે કહ્યું, “તે પૃથ્વી છે, અને તું તેની આસપાસ ફરતો ચંદ્ર છે.” વિકીએ ટ્વિંકલની પ્રશંસા કરતા કહ્યું, “તું બિલકુલ સાચી છે.”

વિકી અને કેટરિનાના લગ્ન 2021 માં થયા

વિકી કૌશલ અને કેટરિના કૈફે 9 ડિસેમ્બર, 2021 ના ​​રોજ લગ્ન કર્યા. તેઓ લગ્ન પહેલા એક-બીજાને ડેટ કરતા હતા. જોકે, તેઓએ તેમના અફેરને ગુપ્ત રાખ્યું. કેટરિનાએ આ મહિનાની 7 નવેમ્બરે એક પુત્રને જન્મ આપ્યો. વિકી અને કેટરિના હવે માતાપિતાનો આનંદ માણી રહ્યા છે.

વિકી કૌશલ “લવ એન્ડ વોર” માં જોવા મળશે

કામની વાત કરીએ તો, વિકી કૌશલ છેલ્લે આ વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મ “છાવા” માં જોવા મળ્યો હતો. અભિનેતા હાલમાં સંજય લીલા ભણસાલીની “લવ એન્ડ વોર” ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે.

અલ-ફલાહ યુનિવર્સિટી પર વાગશે તાળું?: નોટિસ પછી વેબસાઇટ બંધ

નવી દિલ્હીઃ NAACએ અલ-ફલાહ યુનિવર્સિટીને તેની વેબસાઇટ પર ખોટી માન્યતા હોવાનો દાવો કરવા બદલ કારણ બતાવો નોટિસ જાહેર કરી છે. NAACએ યુનિવર્સિટીને સ્પષ્ટીકરણ આપવા કહ્યું છે અને સૂચના આપી છે કે તે તેની વેબસાઇટ અને અન્ય જાહેર રીતે ઉપલબ્ધ દસ્તાવેજોમાંથી NAAC માન્યતા સંબંધિત વિગતો તરત દૂર કરે.

એ દરમ્યાન યુનિવર્સિટીની વેબસાઇટ બંધ થઈ છે. દિલ્હીના ઓખલામાં આવેલા યુનિવર્સિટી હેડક્વાર્ટર પર મોટી સંખ્યામાં પોલીસ પહોંચી છે. આ યુનિવર્સિટી હાલમાં દિલ્હી વિસ્ફોટ કેસની તપાસ હેઠળ છે.

EDએ પણ યુનિવર્સિટીની નાણાકીય લેવડદેવડની તપાસ શરૂ કરી છે. કારણ બતાવો નોટિસમાં NAACએ જણાવ્યું હતું કે અલ-ફલાહ યુનિવર્સિટીને ન તો NAAC તરફથી માન્યતા પ્રાપ્ત છે, ન તો તેણે NAACમાં માન્યતા માટે અરજી કરી છે. છતાં પણ તેણે પોતાની વેબસાઇટ પર જાહેર કર્યું છે કે અલ-ફલાહ યુનિવર્સિટી, અલ-ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટની પહેલ છે, જે પોતાના કેમ્પસમાં ત્રણ કોલેજ ચલાવે છે.

આ કોલેજોમાં સામેલ છે:

અલ-ફલાહ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી (1997થી NAAC ગ્રેડ A)

બ્રાઉન હિલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી (2008થી)

અલ-ફલાહ સ્કૂલ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ (2006થી NAAC ગ્રેડ A)

કારણ બતાવો નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે આ માહિતી સંપૂર્ણપણે ખોટી છે અને ખાસ કરીને વાલીઓ, વિદ્યાર્થીઓ અને શેરહોલ્ડરોને ગેરમાર્ગે દોરે છે.

દિલ્હીમાં લાલ કિલ્લા નજીક કારમાં થયેલા વિસ્ફોટમાં 13 લોકોનાં મોત થયાં હતાં અને ઘણા ઘાયલ થયા. આ ઘટના એ સમયે બની જ્યારે એક આતંકી મોડ્યુલના ભાંડો ફૂટ્યાના કલાકો જ થયા હતા. ધરપકડ કરાયેલા આતંકીઓમાં અલ-ફલાહ યુનિવર્સિટીના ત્રણ ડોક્ટર પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

ચૂંટણીમાં છેતરપિંડી થઈ તો બિહાર બનશે બીજું નેપાળ કે બાંગ્લાદેશ?

પટનાઃ બિહારમાં મતદાન બાદ બહાર આવેલા એક્ઝિટ પોલમાં મોટા ભાગે ફરી NDAની સરકાર બનશે એવું અનુમાન વ્યક્ત થયું છે. હાલ સુધી આવેલા એક્ઝિટ પોલના આંકડાઓને NDAમાં સામેલ પક્ષોના નેતાઓએ ખુલ્લેઆમ સ્વાગત કર્યું છે, જ્યારે RJD અને કોંગ્રેસના નેતાઓએ આ એક્ઝિટ પોલને નકારી કાઢ્યા છે. મહાગઠબંધનના નેતાઓએ જણાવ્યું હતું કે બિહારમાં તેજસ્વી યાદવના નેતૃત્વમાં સરકાર બનશે.

એ દરમિયાન RJDના MLCના વિવાદિત નિવેદનને કારણે તેમના વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. RJD MLC સુનીલ સિંહે કહ્યું હતું કે જો ચૂંટણીમાં છેતરપિંડી થશે તો બિહાર બીજું નેપાળ કે બાંગ્લાદેશ બની જશે. ત્યાર બાદ પટના પોલીસે તેમના વિરુદ્ધ FIR દાખલ કરી છે.

સુનીલ સિંહે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે 2020માં ચાર-ચાર કલાક મતગણતરી અટકાવી દેવામાં આવી હતી. જો એવું થયું તો આખી જનતા રસ્તા પર આવી જશે અને એ દૃશ્ય જોવા મળશે જે નેપાળમાં જોવા મળ્યું હતું. ત્યાર બાદ અમે લોકો રસ્તા પર ઊતરી જઈશું. નહીં તો જેમ નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં સત્તા વિરુદ્ધ લહેર ઊઠી હતી, એવી જ સ્થિતિ અહીં પણ બનશે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવી મુશ્કેલ બનશે. તેમણે કહ્યું હતું કે સરકારમાં સામેલ લોકો ગેરરીતિ આચરી શકે છે. આ વખતે આવું કર્યું તો ભારે પડશે.

તેમણે એક્ઝિટ પોલ પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે મતદાતાઓ હજુ લાઇનમાં મત આપવા ઊભા હતા અને એક્ઝિટ પોલ આવી ગયા. 4.98 કરોડ લોકોએ મત આપ્યો, છતાં RJDને 50થી ઓછી બેઠકો કેવી રીતે મળી રહી છે? સુનીલ સિંહે કહ્યું કે બિહારના લોકો આશ્ચર્યમાં છે — મત ગઠબંધનને મળ્યા, તો જીત NDAને કેવી રીતે મળી રહી છે? તેમણે એક્ઝિટ પોલને ષડયંત્રને ગણાવ્યું અને મતગણતરીને લઈને પણ કાવતરાની શંકા વ્યક્ત કરી.

સુનીલ સિંહના આ નિવેદન પર બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલે પ્રતિક્રિયા આપી છે. તેમણે બિહારમાં કાયદાનું રાજ હોવાનું જણાવ્યું. દિલીપ જયસ્વાલે કહ્યું કે હવે અહીં ગુન્ડારાજવાળી સરકાર નથી. RJDના લોકો હારની હતાશામાં છે અને જનતા તથા મતદાતાનો અપમાન કરી રહ્યા છે.

બિહાર ચૂંટણી પર અભિનેત્રી નેહા શર્મા શું બોલી?

બૉલિવૂડ અભિનેત્રી નેહા શર્મા હાલમાં બિહાર ચૂંટણી લડી રહેલા તેના પિતા માટે પ્રચાર કરી રહી છે. હવે, એક વીડિયો સામે આવ્યો છે જેમાં અભિનેત્રી કહે છે કે તે એક્ઝિટ પોલ્સમાં માનતી નથી.

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરના રોજ જાહેર થશે. એક્ઝિટ પોલ પહેલાથી જ જાહેર થઈ ચૂક્યા છે. અભિનેત્રીએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તે એક્ઝિટ પોલ્સમાં બિલકુલ માનતી નથી. તેના પિતા અજિત શર્મા ભાગલપુરથી ચૂંટણી લડી રહ્યા છે. આ જ કારણ છે કે અભિનેત્રી હાલમાં બિહાર ચૂંટણીને લઈને સમાચારમાં છે.જાણીએ નેહા શર્માએ શું કહ્યું.

નેહા શર્માએ ANI સાથે વાત કરી હતી. આ દરમિયાન તેણીએ કહ્યું કે,”હું એક્ઝિટ પોલ્સમાં માનતી નથી, તેથી મને ખબર નથી. લોકોએ મતદાન કરી દીધું છે, હવે જોઈએ શું થાય છે.”

મતદાન ટકાવારીમાં વધારા અંગે અભિનેત્રી બોલે છે

બિહાર ચૂંટણીમાં મહિલા મતદારોની સંખ્યામાં વધારો થવા અંગે અભિનેત્રીને વધુ પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જવાબમાં અભિનેત્રીએ કહ્યું, “મહિલાઓમાં જાગૃતિ વધી છે તે સારી વાત છે. મને લાગે છે કે જનતાના તમામ સભ્યોમાં જાગૃતિ વધી છે. તેથી મને ખુશી છે કે લોકો વધુ જાગૃત થઈ રહ્યા છે. મતદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને તે એક મહાન લાગણી છે.”

નેહા શર્માના પિતા ચૂંટણી મેદાનમાં છે

નોંધનીય છે કે અભિનેત્રી નેહા શર્માના પિતા અજિત શર્મા કોંગ્રેસની ટિકિટ પર ભાગલપુર મતવિસ્તારથી ચૂંટણી લડી રહ્યા છે. પરિણામ જોવું રસપ્રદ રહેશે. અભિનેત્રીએ તાજેતરમાં તેના પિતાના પ્રચારમાં સક્રિયપણે ભાગ લીધો હતો. નેહા શર્મા આ વર્ષે ફિલ્મ “બેડ ન્યૂઝ” માં જોવા મળી હતી. આવતા વર્ષે તે ફિલ્મ “સંજોગ” માં જોવા મળશે. નેહા શર્મા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે, ફિટનેસ વીડિયો પોસ્ટ કરે છે.

દિલ્હી બ્લાસ્ટમાં એક નહીં, પરંતુ બે આતંકી સંગઠનોનું કનેક્શન

નવી દિલ્હીઃ લાલ કિલ્લા પાસે થયેલો બોમ્બ વિસ્ફોટ માત્ર એક આતંકી સંગઠનનું પરિણામ નહોતું, તેમાં બે સંગઠનો સામેલ હતાં. વિસ્ફોટ બાદ POKમાં બંને સંગઠનોના આતંકીઓનું જે રીતે સ્વાગત કરવામાં આવ્યું, તેનાથી એ બાબતની પુષ્ટિ થાય છે. તેમની પર ફૂલ વરસાવવાથી લઈને ફૂલોના હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

અગાઉ દિલ્હી બોમ્બ બ્લાસ્ટ કેસમાં માત્ર જૈશ-એ-મોહમ્મદનું નામ સામે આવી રહ્યું હતું, પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આ કાવતરામાં માત્ર જૈશ જ નહીં, લશ્કર-એ-તૈયબાના આતંકીઓ પણ સામેલ હતા. POKમાં તેમનું શાહી અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું,— ફૂલ વરસાવીને અને ફૂલોના હાર પહેરાવીને.

મોટા આતંકી લીડરોની બેઠક

પ્રાપ્ત માહિતી મુજબ દિલ્હી બોમ્બ બ્લાસ્ટ બાદ બુધવારે POKના કોઠલી વિસ્તારમાં લશ્કરના મોટા આતંકી અને લીડર અબ્દુલ રઉફ અને રિઝવાન હનીફ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. રિઝવાન હનીફ લશ્કરના POK યુનિટનો ડેપ્યુટી અમીર છે. તે લશ્કર અને જૈશના આતંકીઓ વચ્ચે સંપર્ક જાળવવાનું અને સંકલન કરવાનો મુખ્ય માણસ છે.

લોકોનું બ્રેઈનવોશ કરે છે હનીફ

પ્રાપ્ત માહિતી મુજબ લશ્કરનો આતંકી રિઝવાન હનીફ લોકોને બ્રેઈનવોશ કરવામાં નિષ્ણાત છે. તે નવા લોકોને મળીને તેમનું બ્રેઈનવોશ કરે છે અને તેમને આતંકી તાલીમ કેન્દ્ર સુધી પહોંચાડે છે. સૂત્રો કહે છે કે હનીફ POKમાં યુવાનોની ભરતી, હથિયારોની તસ્કરી અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવે છે.

 લાલ કિલ્લા બ્લાસ્ટ કાવતરાનો ખુલાસો

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા આતંકી વિસ્ફોટની તપાસ આગળ વધતાં અધિકારીઓએ ખુલાસો કર્યો હતો કે ઓછામાં ઓછા આઠ આતંકીઓએ ચાર શહેરોમાં વિસ્ફોટ કરવાની યોજના બનાવી હતી અને “કંઈક મોટું” કરવાની તૈયારી માટે લગભગ રૂ. 26 લાખ રૂપિયા એકત્રિત કર્યા હતા. બધા આઠેય સંદિગ્ધ આતંકીઓએ બે-બે લોકોના જૂથમાં ચાર શહેરોમાં જવાની યોજના બનાવી હતી. દરેક જૂથને અનેક IEDs (ઇમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ) લઈ જવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

ધર્મેન્દ્રના કેસ મામલે પાપારાજી પર ભડક્યા કરણ જોહર

તાજેતરમાં જ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ હવે ઘરે છે. આ સમગ્ર પરિસ્થિતિ દરમિયાન પાપારાઝી દરેક ક્ષણે દેઓલ પરિવારને અનુસરતા હતા. એવામાં કરણ જોહરે હવે પાપારાઝી પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

કરણ જોહરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે પાપારાઝીને ઠપકો આપ્યો. ફિલ્મ નિર્માતાએ અભિનેતા ધર્મેન્દ્ર સાથે જોડાયેલી એક ઘટના વિશે એક લાંબી પોસ્ટ લખી. ધર્મેન્દ્રની તાજેતરમાં જ તબિયત લથડી હતી અને ઘણા દિવસો હોસ્પિટલમાં રહ્યા હતા. તેઓ હવે ઘરે છે. જોકે, પાપારાઝી સતત દેઓલ પરિવારને ઘેરી લેતા જોવા મળ્યા હતા, જે હકીકતે કરણ જોહરને ગુસ્સો અપાવ્યો છે.

કરણ જોહરે પાપારાઝીને ઠપકો આપ્યો. પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરતા તેમણે લખ્યું, “જ્યારે આપણે આપણી કરુણા ગુમાવી દઈએ છીએ, ત્યારે આપણે માણસ તરીકે ખતમ થઈ જઈએ છીએ. કૃપા કરીને પરિવારને એકલા છોડી દો. તેઓ પહેલેથી જ ખૂબ જ ભાવનાત્મક સમયમાંથી પસાર થઈ રહ્યા છે. આપણા સિનેમામાં આટલું બધું યોગદાન આપનાર એક દિગ્ગજ અભિનેતા (ધર્મેન્દ્ર) ને તમાશો બનાવતા જોઈને દુઃખ થાય છે. આ કવરેજ નથી, તે અપમાન છે.”

હેમા માલિનીએ પણ ઠપકો આપ્યો

તાજેતરમાં, હેમા માલિનીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે ફેલાતી અફવાઓનો ઠપકો આપતા લખ્યું, “જે થઈ રહ્યું છે તે અક્ષમ્ય છે. જવાબદાર ચેનલો એક એવા માણસ વિશે ખોટા સમાચાર કેવી રીતે ફેલાવી શકે છે જે સારવારનો પ્રતિભાવ આપી રહ્યો છે અને સ્વસ્થ થઈ રહ્યો છે? આ ખૂબ જ અપમાનજનક અને બેજવાબદાર કૃત્ય છે. કૃપા કરીને પરિવાર અને તેમની ગોપનીયતાની જરૂરિયાતનો આદર કરો.”

ધર્મેન્દ્રની તબિયત સુધરી

ધર્મેન્દ્ર ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં રહ્યા. હવે તેમની સારવાર ડોકટરોની દેખરેખ હેઠળ ઘરે જ થઈ રહી છે. જ્યારે તેઓ ઘરે પરત ફર્યા, ત્યારે ઘણા બોલિવૂડ કલાકારો અને સેલિબ્રિટીઓ તેમની મુલાકાત લીધી. અમિતાભ બચ્ચન બુધવારે ધર્મેન્દ્રની મુલાકાતે ગયા હતા.

અમેરિકાના ઇતિહાસમાં સૌથી લાંબું શટડાઉન ખતમ

વોશિંગ્ટનઃ અમેરિકામાં ઇતિહાસનો સૌથી લાંબું સરકારી શટડાઉન અંતે ખતમ થયું છે. બુધવારની રાત્રે અમેરિકન પ્રતિનિધિ સભાએ (House of Representatives) એક શોર્ટ-ટર્મ ફંડિંગ બિલ પાસ કર્યું હતું, જેને કારણે સરકાર ફરી કાર્યરત થઈ શકશે. આ બિલ હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યું છે. વ્હાઈટ હાઉસે રાત્રે ઓવલ ઓફિસમાં બિલ સાઇનિંગ સેરેમની નક્કી કરી છે.

હાઉસ સ્પીકર માઇક જોનસને મતદાન પહેલાં કહ્યું હતું કે મિત્રો, હવે આ ખતમ કરીએ.

અમેરિકન સરકાર 1 ઓક્ટોબરથી શટડાઉનમાં હતી, એટલે કે લગભગ 42 દિવસ સુધી સરકારનાં અનેક કામકાજ બંધ રહ્યાં હતાં. એ દરમિયાન લાખો સરકારી કર્મચારીઓને બિનપગાર રજા પર મોકલવામાં આવ્યા હતા, ઘણા એરપોર્ટ્સ પર કન્ટ્રોલર હાજર નહોતા અને ફૂડ સ્ટેમ્પ જેવી આવશ્યક યોજનાઓ પણ અસરગ્રસ્ત થઈ હતી.

શટડાઉન કેમ થયું?

શટડાઉન એ માટે થયું હતું, કારણ કે સેનેટના ડેમોક્રેટ સાંસદોએ તે બિલને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો, જેમાં Affordable Care Act (ACA) અથવા ‘ઓબામા કેર’ના ટેક્સ ક્રેડિટ્સના એક્સ્ટેન્શનનો સમાવેશ નહોતો. આ ટેક્સ ક્રેડિટ્સ 2 કરોડ અમેરિકન નાગરિકોને હેલ્થ ઇન્શ્યોરન્સનો ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે.

અંતે આ રીતે સમાપ્ત થયું મામલો

14 વાર મતદાન થયા છતાં પહેલું બિલ પાસ ન થઈ શક્યું.

અંતે રિપબ્લિકન બહુમતી ધરાવતી સેનેટે 8 ડેમોક્રેટ સાંસદો સાથે સમજૂતી કરી.

સમજૂતી હેઠળ ડિસેમ્બરમાં ડેમોક્રેટ્સને તેમના હેલ્થ સબસિડી બિલ પર મતદાન કરવાનો મોકો મળશે.

આ ડીલ પછી બુધવારે હાઉસમાં ફંડિંગ બિલ પાસ થયું.

હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પના હસ્તાક્ષર બાદ સરકાર ફરીથી સંપૂર્ણ રીતે ખૂલશે.

World Kindness Day: જાણો શા માટે આ દિવસ દયાને સમર્પિત છે?

વિશ્વ દયા દિવસ (World Kindness Day) દયા, પ્રેમ અને કરુણા ફેલાવવા માટે સમર્પિત છે. ક્યારેક દયાનું એક નાનું કાર્ય પણ કોઈના ચહેરા પર સ્મિત લાવી શકે છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે થોડી કરુણા અને સમજણથી, આપણે દુનિયાને વધુ સુંદર બનાવી શકીએ છીએ.

વિશ્વ દયા દિવસ શા માટે અને કેવી રીતે શરૂ થયો?

વિશ્વ દયા દિવસ (World Kindness Day)ની સ્થાપના 1998 માં વર્લ્ડ કાઈન્ડનેસ મુવમેન્ટ દ્વારા કરવામાં આવી હતી. તે એક વૈશ્વિક પહેલ છે જે સારા કાર્યો, આદર અને પરસ્પર સહયોગને પ્રોત્સાહન આપે છે. યુનેસ્કો અનુસાર, આ દિવસ દયાની સકારાત્મક શક્તિને સમર્પિત છે – કોઈપણ કાર્ય જે લોકોને એકબીજાની નજીક લાવે છે અને સમાજમાં પ્રેમને પ્રોત્સાહન આપે છે. આજે, વિશ્વભરની શાળાઓ, કચેરીઓ અને સંસ્થાઓ આ દિવસની ઉજવણી કરે છે. તેણે દયાને એક વૈશ્વિક ચળવળ બનાવી છે.

2025ની થીમ અને મહત્વ શું છે?

દર વર્ષે, વિશ્વ દયા દિવસ માટે એક નવી થીમ નક્કી કરવામાં આવે છે, જેમાં સહાનુભૂતિ, સમજણ અને એકતા પર ભાર મૂકવામાં આવે છે. જોકે 2025 ની થીમ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પાછલા વર્ષોની થીમ પર નજર કરીએ તો “બાળ વિકાસમાં દયાનું મહત્વ”, “દયા: એકતાની શક્તિ” જેવા વિષયો હતાં. આ દર્શાવે છે કે દયા માત્ર એક લાગણી નથી, પરંતુ સામાજિક જોડાણ માટે એક બળ છે.

દયા શા માટે મહત્વપૂર્ણ છે?

એવું માનવામાં આવે છે કે દયાના કાર્યો તણાવ ઓછો કરે છે, મનને ખુશી આપે છે અને સંબંધોને મજબુત બનાવે છે. જો બાળકો શાળામાં દયાળુ વર્તન શીખે છે, તો તેમનો અભ્યાસ, આત્મવિશ્વાસ અને મનોબળ બધું જ સુધરે છે. કોઈને મદદ કરવા, કોઈની પ્રશંસા કરવા અથવા આભાર કહેવા જેવા નાના પગલાં પણ સમાજમાં સકારાત્મકતા અને વિશ્વાસ વધારે છે.