Home Blog Page 4593

અર્ણબ ગોસ્વામી 14-દિવસ અદાલતી કસ્ટડીમાં; હાઈકોર્ટમાં જશે

મુંબઈઃ ઈન્ટિરીયર ડિઝાઈનર અને આર્કિટેક્ટ અન્વય નાઈક અને એમના માતાની આત્મહત્યાના 2018ના કેસના સંબંધમાં રિપબ્લિક ટીવી ચેનલના વડા તંત્રી અર્ણબ ગોસ્વામીને અલિબાગ જિલ્લા કોર્ટે 14-દિવસ સુધી અદાલતી કસ્ટડીમાં મોકલી આપ્યા છે. આમ, ગોસ્વામીને 18-નવેમ્બર સુધી અદાલતી કસ્ટડીમાં રહેવું પડશે.

જિલ્લા કોર્ટના આદેશને ગોસ્વામી આજે મુંબઈ હાઈકોર્ટમાં પડકારે એવો અહેવાલ છે.

પોલીસોએ ગઈ કાલે સવારે મુંબઈમાં વરલીસ્થિત ગોસ્વામીના નિવાસસ્થાને જઈને એમની ધરપકડ કરી હતી અને ત્યારબાદ બપોરે રાયગડ જિલ્લા સ્થિત અલિબાગ નગર ખાતે લઈ જઈ જિલ્લા કોર્ટમાં હાજર કર્યા હતા.

પોલીસે પોતાની મારપીટ કરી હોવાન અર્ણબના આરોપને પોલીસે ફગાવી દીધો છે.

આ કેસ આત્મહત્યા માટે મજબૂર કરવાનો છે.

ગોસ્વામીની સાથે નિતેશ સાર્ડા અને ફિરોઝ શેખની પણ ધરપકડ કરવામાં આવી છે.

નાઈકે એમની સુસાઈડ નોટમાં આ ત્રણેય જણના નામ આપ્યા છે. ત્રણેય આરોપીએ પોતાને વળતરની રકમ ન ચૂકવતાં પોતે આર્થિક ભીંસમાં આવી જતાં આત્મહત્યા કરી રહ્યા છે એવું નાઈકે સુસાઈડ નોટમાં લખ્યું હતું.

જિલ્લા કોર્ટે ગઈ કાલે પાંચ કલાક સુધી સુનાવણી કર્યા બાદ ગોસ્વામી સહિતના આરોપીઓને 14-દિવસ સુધી અદાલતી કસ્ટડીમાં રીમાન્ડ પર રાખવાની મંજૂરી આપી હતી.

આરોપીઓને પોલીસ રીમાન્ડ પર લેવા દેવાની વિનંતી કોર્ટે નકારી કાઢી હતી.

પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે નાઈક માતા-પુત્ર આત્મહત્યા કેસની તપાસમાં આરોપીઓને ફાયદો કરાવવા માટે અનેક છટકબારીઓ રાખવામાં આવી હોવાનું નવેસરથી હાથ ધરાયેલી તપાસમાં માલૂમ પડ્યું છે.

અન્વય નાઈકના પત્ની અક્ષતા ગયા મે મહિનામાં મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખને મળ્યાં હતાં અને આ કેસને ફરી ખોલી નવેસરથી તપાસ હાથ ધરવાની વિનંતી કરી હતી. મહારાષ્ટ્રના અનેક પ્રધાનોએ પણ અક્ષતા નાઈકને ટેકો જાહેર કર્યો હતો. ત્યારબાદ દેશમુખે કેસને ફરી ખોલવાનો આદેશ આપ્યો હતો.

ફ્રાંસથી વધુ ત્રણ રફાલ વિમાન ભારત પહોંચ્યાં

નવી દિલ્હીઃ ચીન સાથે ચાલી રહેલા ટેન્શનની વચ્ચે રફાલ ફાઇટર જેટ્સની બીજી ખેપ ભારત પહોંચી છે. આ ખેપમાં ત્રણ રફાલ વિમાન છે. ખાસ વાત એ છે કે રફાલ લડાકુ વિમાન ફ્રાંસથી નોન-સ્ટોપ આઠ કલાકની ઉડાન ભરીને ગુજરાતના જામનગર એરબેઝ પહોંચ્યાં છે. ગુરુવારે આ ત્રણે ફાઇટર જેટ અંબાલા પહોંચી જશે.
ત્રણ રફાલ ફાઇટર જેટ જામનગર પહોંચ્યાં

એર ફોર્સના જણાવ્યા મુજબ ગઈ કાલે મોડી સાંજે 8.14 કલાકે આ ત્રણ રફાલ ફાઇટર જેટ ગુજરાતના જામનગર એરબેઝ પહોંચ્યાં છે. આ ત્રણે લડાકુ વિમાન બુધવારની સવારે ફ્રાંસના ઇંસ્ત્રેસ એરબેઝથી જામનગર પહોંચ્યાં છે. આશરે 3700 નોટિકલ માઇલનું અંતર આ વિમાનોએ આશરે આઠ કલાકમાં પૂરું કર્યું હતું. એર ફોર્સના જણાવ્યા મુજબ આ વિમાનોમાં ત્રણ વાર હવામાં મિડ-એર રિફ્યુલિંગ થયું, કેમ કે આ ફાઇટર જેટ્સની સાથે એક ફ્યુઅલ-ટેન્કર (એરક્રાફ્ટ) પણ ઉડાન ભરી રહ્યું હતું.

જામનગરથી અંબાલા એરબેઝ

પ્રાપ્ત માહિતી અનુસાર ગુરવારે આ ત્રણે રફાલ ફાઇટર જેટ્સ જામનગરથી અંબાલા એરબેઝ માટે ઉડાન ભરશે. 29 જુલાઈએ રફાલ ફાઇટર જેટની પહેલી ખેપ ભારત પહોંચી હતી. પહેલી ખેપમાં પાંચ વિમાન હતાં. 10 સપ્ટેમ્બરે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને ફ્રાંસના સંરક્ષણપ્રધાન ફ્લોરેન્સ પારલેની હાજરીમાં પહેલી ખેપનાં પાંચ એરક્રાફ્ટને વિધિવત્ રીતે ભારતીય એર ફોર્સમાં સામેલ કરવામાં આવ્યાં હતાં.
36 રફાલ લડાકુ વિમાનોનો સોદો

ભારતે ફ્રાંસથી 36 રફાલ લડાકુ વિમાનોનો સોદો કર્યો હતો. આ 36 વિમાનોમાંથી 18 ફાઇટર જેટ્સ અંબાલા સ્થિત ગોલ્ડન એરો સ્ક્વોડ્રનનો હિસ્સો હશે, જ્યારે બાકીના 18ની એક અલગ સ્ક્વોડ્રન પશ્ચિમ બંગાળના હાસિમારામાં તહેનાત કરવામાં આવશે. હાલમાં જ એર ફોર્સના ચીફે જણાવ્યું હતું કે આવતા વર્ષ સુધી ગોલ્ડન એરો સ્ક્વોડ્રન સંપૂર્ણ રીતે ઊભી થઈ જશે. 18 વિમાન ભારતીય એર ફોર્સને મળી જશે. વર્ષ 2023 સુધી ભારતને બધાં 36 રફાલ વિમાન મળવાની આશા છે.

 

 

 

 

સુવિચાર – ૫ નવેમ્બર, ૨૦૨૦

સુવિચાર – ૫ નવેમ્બર, ૨૦૨૦

… ને પારવાલી પોઝ આપીને જતી રહી!

આમ તો બધા જ ટાઇગર રીઝર્વ ફરવા એ ખૂબ મજાનો અનુભવ છે અને દરેક પાર્કમા બાયો ડાઇવર્સીટી (જૈવ વિવિધતા) અલગ અલગ હોય એટલે એની એક ઔર મજા હોય, પણ મને અને મારા પરિવારને કોર્બેટ પાર્ક ખૂબ પ્રિય અને એમાં ય ઢિકાલા રહેવા મળે એટલે મજા જ મજા. ઢિકાલા ફોરેસ્ટ ગેસ્ટહાઉસમાં ખાસ સગવડો નથી, પણ ત્યાંની દરેક વાતની મજા એ છે તમે ડેક પર ઉભા રહી નીચે રામગંગા નદીમાં નાહતા હાથી જાઇ શકો છો. રાત્રે ચિતલના એલાર્મ કોલ સાંભળીને થાય કે વાઘ આસપાસ જ છે. કોઇ વાર સફારીથી ઢિકાલા આવતા હાથીઓનુ ઝુંડ રસ્તો રોકે અને ચાર્જ કરે એમાં બીક લાગે, પણ સાથે સાથે થ્રીલ ય એટલી જ મળે!

વર્ષ 2017ના મે મહિનામાં અમે પરિવાર સાથે ઢિકાલા હતા. સવારની પહેલી સફારીમાં તો વાઘ ના મળ્યો. બપોરની સફારીમાં નીકળ્યા અને રામગંગા નદી પાર કરી અમે સામેની તરફના જંગલમાં ફરવા લાગ્યા. લગભગ એકાદ કલાકના સમય પછી નદીના કિનારે કોતર જેવી જગ્યા પાસે બે-ત્રણ જિપ્સી ઉભેલી જોઇ એટલે અમે એ તરફ ગયા. અમને આવતા જોઇ દૂરથી એક જિપ્સીના ડ્રાઇવરે અવાજ ન કરવા ઇશારો કર્યો અને હળવેથી કહ્યુઃ  ‘ટાઇગર’, ‘પારવાલી’. અમે ઉપરથી જોયું તો નદીના કોતર જેવા ભાગમાં પાણીમાં વાઘની પૂંછ દેખાઇ. બે કલાક રાહ જોઇ. સૂર્યપ્રકાશ ખૂબ ઓછો થઇ ગયો હતો. અચાનક ‘પારવાલી’ બહાર આવી અને નદીના ગોળ પથ્થરોની આગળ ઘાસમાં બેઠી. પછી તો ક્લીક ક્લીકના જે અવાજ બધી જિપ્સીના ફોટોગ્રાફરોએ કર્યા છે કાંઇ…. જાણે મશીનગનથી ગોળીઓ છોડતા હોય! બે જ મિનીટમાં ‘પારવાલી’ મોડેલ જાણે રેમ્પ પર આવીને પોઝ આપી જતી રહે એમ પાછી પાણીમાં જતી રહી પણ…. હા, આ ફોટો જરૂર આપતી ગઇ!

(શ્રીનાથ શાહ)

૫ નવેમ્બર ૨૦૨૦

૫ નવેમ્બર ૨૦૨૦

લોકપ્રિયતાનું મહાભારતઃ બી. આર. ચોપ્રા

મહાન ફિલ્મકાર બી.આર. ચોપ્રાનું નિધન ૫ નવેમ્બર, ૨૦૦૮ના રોજ ૯૪ વર્ષની વયે મુંબઈમાં થયું હતું. ભારતીય ટેલીવિઝન અને હિન્દી ફિલ્મ જગતમાં એમનું અમૂલ્ય પ્રદાન છે. ‘નયા દૌર’, ‘સાધના’, ‘કાનૂન’, ‘ગુમરાહ’, ‘વક્ત’, ‘હમરાઝ’ કે ‘નિકાહ’ જેવી યાદગાર ફિલ્મો માટે તો એ હંમેશા યાદ રહેશે જ, સાથે સાથે ભારતીય ટેલીવિઝનના ઇતિહાસની સૌથી લોકપ્રિય સિરિયલ ‘મહાભારત’ ના નિર્માણ-નિર્દેશન માટે પણ એમને હંમેશા યાદ  કરવામાં આવશે. ફિલ્મ-ટેલીવિઝન ક્ષેત્રે આ પ્રદાન માટે એમને પદ્મભૂષણ અને સિનેમા જગતના સૌથી ટોચના સન્માન ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’ થી નવાજવામાં આવ્યા છે.

બલદેવ રાજ ચોપ્રાનો જન્મ લુધિયાણામાં ૨૨ એપ્રિલ, ૧૯૧૪ના રોજ થયો. લાહોરની યુનિવર્સિટી ઓફ પંજાબમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. કર્યા પછી કરિયરની શરૂઆત ફિલ્મ પત્રકાર તરીકે ૧૯૪૪માં લાહોરના ‘સિને હેરાલ્ડ’ માસિકથી કરી. દેશના ભાગલા પછી ચોપ્રાજી પહેલાં દિલ્હી અને પછી મુંબઈ આવ્યા. ૧૯૪૮માં એમનું પહેલું નિર્માણ ‘કરવટ’ ફિલ્મ રૂપે આવ્યું. ૧૯૫૫માં એમણે પોતાનું નિર્માણ ગૃહ ‘બી.આર. ફિલ્મ્સ’ શરૂ કર્યું અને ‘ગોલ્ડન જ્યુબીલી હીટ’ ફિલ્મ ‘નયા દૌર’ આપી.

સુપ્રસિધ્ધ ગાયક મહેન્દ્ર કપૂર અને આશા ભોંસલે, શાયર સાહિર લુધિયાનવી અને સંગીતકાર રવિની ટીમ સર્જીને એમણે અનેક યાદગાર અને ઉત્તમ ગીતો આપ્યાં. દૂરદર્શન માટે બનાવેલી ‘મહાભારત’ સિરિયલને મળેલી જબ્બર સફળતા એમની કરિયરનું સુવર્ણશિખર છે.

(નરેશ કાપડીઆ-સુરત) 

 

પંચાંગ 05/11/2020

રાશિ ભવિષ્ય 05/11/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે, થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને ઉકેલી શકાય તેવા સંજોગો બને છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.

60% ક્ષમતા સુધી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ઓપરેટ કરવાની મંજૂરી

નવી દિલ્હીઃ સ્થાનિક એરલાઇન્સ કંપનીઓ માટે સારા ન્યૂઝ છે. કેન્દ્રીય સિવિલ એવિયેશન મંત્રાલયે ભારતીય એરલાઇન્સ કંપનીઓને આગામી 24 ફેબ્રુઆરી સુધી મહત્તમ 60 ટકા ક્ષમતા સાથે સ્થાનિક પેસેન્જર ફ્લાઇટ્સ ઓપરેટ કરવાની મંજૂરી આપી છે. કેન્દ્રએ આદેશ આપતાં કહ્યું હતું કે બીજી સપ્ટેમ્બરે એક સત્તાવાર ઓર્ડરમાં એરલાઇન્સ કંપનીઓને 60 ટકાની ક્ષમતા સાથે કામગીરી કરવા માટે જણાવ્યું હતું, પણ એ સમયે સરકારે સમયમર્યાદા નહોતી જણાવી.

મંત્રાલયે 29 ઓક્ટોબરે એક નવો આદેશ જારી કર્યો છે, એમાં સ્પષ્ટ કર્યું હતું કે કોવિડ-19ની વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બીજી સપ્ટેમ્બરનો ઓર્ડર 24 ફેબ્રુઆરી, 2021એ રાતે 11.59 વાગ્યા સુધી અથવા નવો આદેશ આવે ત્યાં સુધી લાગુ રહેશે.

આ પહેલાં 26 જૂને મંત્રાલયે એરલાઇન્સ કંપનીઓને મહત્તમ 45 ટકા ક્ષમતા સાથે સ્થાનિક ફ્લાઇટ્સની કામગીરી કરવાની મંજૂરી આપી હતી.

કોરોના વાઇરસને પગલે થયેલા લોકડાઉનને લીધે સ્થાનિક પેસેન્જર ફ્લાઇટ્સ દેશમાં બે મહિનાના અંતરાલ પછી ફરી શરૂ થઈ હતી. જોકે કોરોનાને લીધે સરકારે સ્થાનિક ફ્લાઇટ્સને 33 ટકા ક્ષમતાથી વધુ ઉડાડવાની મંજૂરી નહોતી આપી. જોકે 26 જૂને અગાઉના આદેશને સુધારતાં સરકારે 45 ટકા ક્ષમતા સાથે સ્થાનિક ફ્લાઇટ્સને ઉડાડવાની મંજૂરી આપી હતી. એ પછી બીજી સપ્ટેમ્બરના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે 45 ટકા ક્ષમતાને 60 ટકા ક્ષમતાના રૂપે વાંચવું જોઈએ.

વળી, કોરોના રોગચાળાને કારણે 23 માર્ચથી દેશમાં શિડ્યુલ્ડ ઇન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઇટ્સ પર પ્રતિબંધ  છે. જોકે સ્પેશિયલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ મે મહિનાથી વંદે ભારત મિશન હેઠળ અને વિવિધ દેશોની સાથે દ્વિપક્ષી સંધિને કારણે જુલાઈથી કાર્યરત છે.

 

 

 

મહારાષ્ટ્રમાં 50% ક્ષમતા સાથે થિયેટરો ફરી ખોલવાની છૂટ

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોન્સની બહારના સિનેમાગૃહો, નાટ્યગૃહો અને મલ્ટીપ્લેક્સીસને આવતીકાલ, 5 નવેમ્બર, ગુરુવારથી ફરી ખોલવાની પરવાનગી આપી છે. સરકારે કોરોના વાઈરસ રોગચાળો ફેલાયાના આઠ મહિના પછી થિયેટરોને ફરી ખોલવાની પરવાનગી આપી છે. પરંતુ એવી શરત મૂકી છે કે રોગચાળો હજી દૂર થયો ન હોવાથી 50 ટકા દર્શકોને જ અંદર આવવા દેવાના અને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનું પાલન કરવું. 50 ટકા સીટ ખાલી રાખવી.

સરકારી નોટિફિકેશનમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકારની ‘અનલોક 5.0’ ગાઈડલાઈન્સ અંતર્ગત દર્શકોને થિયેટરો, નાટ્યગૃહો, મલ્ટીપ્લેક્સીસની અંદર ખાદ્યપદાર્થો લઈ જવાની પરવાનગી રહેશે નહીં.

ગુજરાત, દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ગઈ 15 ઓક્ટોબરથી થિયેટરો ફરી ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી.

સિનેમા હોલ્સમાં શો ટાઈમિંગ એકસામટા રાખવા નહીં, કર્મચારીઓ માટે થર્મલ સ્ક્રીનિંગ, પીપીઈ જેવા પ્રોટેક્શન ગીયરની વ્યવસ્થા કરવી તથા કોરોના સામે કેન્દ્ર સરકારે જાહેર કરેલી આરોગ્ય સુરક્ષા સાવચેતીઓનું પણ કડક રીતે પાલન કરવું એવી પણ શરતો રાખવામાં આવી છે.

તે ઉપરાંત ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ્સના ઉપયોગને ઉત્તેજન આપવા પણ સિનેમાગૃહોને જણાવાયું છે. સિંગલ-સ્ક્રીન થિયેટરો માટે બોક્સ ઓફિસ ખાતે કાઉન્ટરોની સંખ્યા વધારવાનું પણ જણાવાયું છે.

જે ખાદ્યપદાર્થો થિયેટરોમાં વેચવા-પીરસવામાં આવે એને તે ગ્રાહકને આપવામાં આવે તે પૂર્વે અમુક મિનિટ સુધી મશીનમાં યૂવી કિરણો હેઠળ સ્ટરીલાઈઝ કરવાના રહેશે.

દરમિયાન, મહારાષ્ટ્ર સરકારે ખેલાડીઓની તાલીમ માટે સ્વિમિંગ પૂલ ફરી ખોલવાની પણ પરવાનગી આપી છે. આ જ રીતે, કન્ટેનમેન્ટ ઝોન્સની બહાર આવેલી યોગા ઈન્સ્ટિટ્યૂટ્સ અને બેડમિન્ટન કોર્ટ્સ, ટેનિસ કોર્ટ વગેરે સહિત ઈન્ડોર રમતો માટે પણ પરવાનગી આપી છે.