Home Blog Page 4596

હિમાચલ પ્રદેશમાં તીવ્ર હિમવર્ષા…

હિમાચલ પ્રદેશ રાજ્યના પહાડી વિસ્તારોમાં 2 નવેમ્બર, સોમવારે તીવ્ર હિમવર્ષા થઈ છે. લાહોલ-સ્પિતી જિલ્લાના કીલોંગમાં પહાડી માર્ગો પર બરફ પડતાં અનેક ટ્રકો અટવાઈ ગઈ છે. 8 ઈંચ જેટલો બરફ પડતાં લોકો પણ રસ્તા પર બરફના ઢગલા પરથી ધીમે ધીમે ચાલતા જતાં જોવા મળ્યા હતા.

નવી મુંબઈમાં પરવાનગી વગર ઝાડ કાપનાર સામે પોલીસ FIR નોંધાશે

મુંબઈઃ પડોશના નવી મુંબઈ શહેરના મહાનગરપાલિકા વહીવટીતંત્રએ નક્કી કર્યું છે કે તેની પરવાનગી વગર જે લોકો કોઈ પણ ઝાડ કાપશે તો એ ગુનો ગણાશે અને તેની સામે એફઆઈઆર નોંધાવાશે. તેથી જ્યાં પણ કોઈ ઝાડને કાપવાની જરૂર પડે તો ટ્રી ઓથોરિટી વિભાગની આગોતરી પરવાનગી લેવાની રહેશે. આ વિભાગ નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (NMMC) કમિશનરના અધ્યક્ષપદ હેઠળ કાર્યરત છે.

હવે પછી નવી મુંબઈમાં અતિ આવશ્યક કારણ હશે તો જ કોઈક ઝાડ તોડવાની પરવાનગી અપાશે.

પરવાનગી વગર ઝાડ કાપવા નહીં કે વૃક્ષ છટણી કરવી નહીં એવી સ્પષ્ટ સૂચના મહાનગરપાલિકાએ બહાર પાડી છે.

પરવાનગી વગરના આવા કૃત્યને પર્યાવરણને હાનિ પહોંચાડવાનો ગુનો ગણવામાં આવશે અને તે બિન-જામીનપાત્ર ગુનો ગણાશે. તેવા કેસમાં મહારાષ્ટ્ર સંપત્તિને નુકસાન પહોંચાડવા પર પ્રતિબંધ કાયદા, 1995ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવશે.

નવી મુંબઈ મહાનગરપાલિકા મુખ્યાલય

નવી મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર અભિજીત બાંગરે આ સંબંધમાં ગુનેગારો સામે પગલાં લેવાનો પોલીસ અધિકારીઓને આદેશ આપવાની નવી મુંબઈના પોલીસ કમિશનરને વિનંતી કરી છે.

પી.વી.સિંધુએ મજાક કરીઃ ‘હું નિવૃત્ત થાઉં છું’

હૈદરાબાદઃ દેશની નંબર-વન બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ આજે ખેલકૂદ જગતમાં સનસનાટી સર્જી દીધી હતી. ‘હું નિવૃત્ત થાઉં છું.’ એવા લખાણ સાથેની એક પોસ્ટ સોશિયલ મિડિયા પર મૂકીને એણે તેનાં ચાહકોને આંચકો આપ્યો હતો.

જોકે એણે ચોખવટ કરતાં માલૂમ પડ્યું હતું કે આ તો એણે કરેલું એક પ્રાન્ક છે, એટલે કે હળવી મજાક છે. નિવૃત્ત થવા વિશે તેનાં કહેવાનો અર્થ હતો કોરોના વાઈરસ સામે બેદરકારી રાખવામાંથી નિવૃત્તિનો.

પોતાનાં સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર સિંધુએ એક લાંબી પોસ્ટ મૂકી છે. જેમાં એણે જણાવ્યું છે કે ડેન્માર્ક ઓપન એની આખરી સ્પર્ધા હતી અને હવે તેણે આ રમતને ગુડબાય કરી દેવાનું નક્કી કર્યું છે.

રિયો ઓલિમ્પિક્સમાં સિંગલ્સ હરીફાઈનો સિલ્વર મેડલ જીતનાર અને હાલની વર્લ્ડ ચેમ્પિયન સિંધુએ કહ્યું કે હું મારી લાગણી વિશે સ્પષ્ટ કરી દેવા માગું છું. હું કબૂલ કરું છું કે એનો સામનો કરવામાં હું ખૂબ ઝઝૂમી રહી છું. બહુ ખોટું થઈ રહ્યું છે. એટલે જ આજે હું તમને આ બધું લેખિતમાં જણાવી રહી છું. એ વાત સમજી શકાય છે કે તમને આંચકો લાગ્યો હશે કે ગુંચવણ ઊભી થઈ હશે, પરંતુ આ પૂરેપૂરું વાંચશો એ પછી તમને સમજાઈ જશે કે મારા કહેવાનો અર્થ શું છે અને મને આશા છે કે તમે મને એ માટે સપોર્ટ પણ કરશો.

ઉલ્લેખનીય છે કે, આ પોસ્ટમાં સિંધુએ વાસ્તવમાં દુનિયાભરમાં લાખો લોકોનો ભોગ લેનાર કોરોના વાઈરસ રોગચાળા સામે ફેલાયેલી નકારાત્મક્તા વિશે લખ્યું છે.

આ 25-વર્ષીય ખેલાડીએ લખ્યું છે કે આ રોગચાળાએ મારી આંખો ઉઘાડી દીધી છે. હું મારી અત્યંત કાબેલ હરીફોને હરાવવા જોરદાર મુકાબલો કરું છું, એ માટે સખત તાલીમ લઉં છું. પરંતુ આ અદ્રશ્ય વાઈરસને કેવી રીતે હરાવવો, જેણે આખી દુનિયાને સકંજામાં લીધી છે? ઘરમાં બેઠા મહિનાઓ થઈ ગયા અને હજી પણ આપણે ઘરની બહાર નીકળીએ એ દર વખતે મનમાં સવાલ જાગે છે. ઓનલાઈન માધ્યમ પર દેશ-વિદેશમાંથી આ વાઈરસ સંબંધિત અનેક દુઃખદ વાતો જાણવા મળી છે. આ વાઈરસને કારણે જ હું છેલ્લે ડેન્માર્ક ઓપનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી શકી નથી.

 

એટલે જ મેં હાલની આ અશાંતિમાંથી નિવૃત્ત થવાનું પસંદ કર્યું છે. હું આ નકારાત્મક્તા, સતત રહેતા ભય, અચોક્કસતામાંથી નિવૃત્ત થાઉં છું. એક અજ્ઞાત પરના અંકુશમાં પ્રવર્તતા સદંતર અભાવમાંથી નિવૃત્ત થવાનું મેં નક્કી કર્યું છે. વધુ મહત્ત્વની વાત, મેં સ્વચ્છતા વિશે હલકી રીતો અપનાવવામાંથી અને આ વાઈરસ પ્રત્યેના ઉદાસીન વલણમાંથી નિવૃત્તિ લેવાનું પસંદ કર્યું છે.

સિંધુએ વધુમાં લોકોને અપીલ કરી છે કે તેઓ આ વાઈરસને પરાસ્ત કરવામાં જરાય પીછેહઠ ન કરે અને સજ્જ રહે.

આ મજાક (Prank) દ્વારા પોતે એનાં પ્રશંસકોને કદાચ મિની-હાર્ટ એટેક આપ્યો હશે એવું કબૂલ કરીને સિંધુએ જણાવ્યું છે કે ભાગ્યે જ આવતા આવા કપરા સમયમાં લોકોનું ધ્યાન ખેંચવા માટે જ એણે આમ કર્યું છે. આમ છતાં એણે સ્પષ્ટતા પણ કરી છે કે પોતે આગામી એશિયા ઓપન સ્પર્ધામાં જરૂર ભાગ લેવાની છે.

ડ્રગ્સ કેસઃ દીપિકાની મેનેજર કરિશ્મા હજી લાપતા

મુંબઈઃ સુશાંતસિંહ રાજપૂતના ભેદી મૃત્યુના સંબંધમાં નશીલી દવાઓ સંબંધિત એક કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના અધિકારીઓ જેની તપાસ કરી રહ્યાં છે તે કરિશ્મા પ્રકાશ હજી પણ લાપતા છે. કરિશ્મા બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણનાં મેનેજર છે. કેસ સંબંધિત પૂછપરછ માટે હાજર થવાનું એનસીબીએ સમન્સ મોકલ્યું હોવા છતાં કરિશ્મા હજી હાજર થયાં નથી.

એનસીબીના વર્તુળનું કહેવું છે કે કરિશ્મા પ્રકાશ હજી સુધી એજન્સી સમક્ષ હાજર થયાં નથી કે એમને મોકલેલા સમન્સનો હજી સુધી કોઈ જવાબ પણ આપ્યો નથી. એનસીબીએ હવે સમન્સ કરિશ્માનાં માતાને તેમજ કરિશ્મા જેને માટે કામ કરે છે તે ક્વાન ટેલેન્ટ એજન્સીનાં માલિકો/સહયોગીઓને પણ સુપરત કર્યું છે.

કરિશ્મા લાપતા છે. એમને છેક 27 ઓક્ટોબરે એનસીબી સમક્ષ હાજર થવાનું જણાવવામાં આવ્યું હતું.

ગયા મહિને કરિશ્માનાં ઘરમાંથી 1.7 ગ્રામ ચરસ તથા CBD તેલની કેટલીક બોટલો મળી આવ્યા બાદ એનસીબી દ્વારા એમને નવેસરથી સમન્સ મોકલવામાં આવ્યું હતું.

એનસીબી આ કેસના સંબંધમાં આ પહેલાં દીપિકાની એક વાર પૂછપરછ કરી ચૂક્યું છે.

દીપિકા ઉપરાંત શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનની પણ ડ્રગ્સને લગતા કેસમાં પૂછપરછ કરાઈ ચૂકી છે.

એનસીબી અધિકારીઓએ આ ત્રણેય અભિનેત્રીઓનાં ફોન પણ જપ્ત કર્યાં છે અને એની તપાસ માટે ફોરેન્સિક વિભાગને મોકલી આપ્યા છે.

દીપિકા અને કરિશ્મા વચ્ચે વોટ્સએપ પરની અમુક ચેટ્સમાં ડ્રગ્સ વિશે ચર્ચા થઈ હોવાનું ગયા ઓગસ્ટમાં માલૂમ પડ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ એજન્સીની વિનંતીને પગલે ડ્રગ્સને લગતા કાયદા હેઠળ તપાસ કરતી એનસીબી એજન્સીએ કેસ રજિસ્ટર કર્યો હતો. એ ચેટ પોતાની જ હોવાની દીપિકાએ NCBના અધિકારીઓ સમક્ષ કબૂલાત કરી હતી, પણ પોતે ડ્રગ્સ લેતી હોવાનો એણે ઈનકાર કર્યો હતો.

સુશાંતસિંહ ગઈ 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ)માં એના ઘરમાં ભેદી સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેના મૃત્યુના કેસમાં એનસીબી ઉપરાંત સીબીઆઈ અને ઈડી, એમ ત્રણ એજન્સી તપાસ કરી રહી છે.

પ્રિયંકા રાધાકૃષ્ણન ન્યૂઝીલેન્ડમાં બન્યાં ભારતીય-મૂળનાં પ્રથમ પ્રધાન

ઓકલેન્ડઃ ભારતમાં જન્મેલાં, 41 વર્ષીય પ્રિયંકા રાધાકૃષ્ણન ન્યૂઝીલેન્ડમાં પ્રધાન તરીકે નિમાયાં છે. તેઓ વડાં પ્રધાન જેસીન્ડા આર્ડર્નની સરકારમાં કેબિનેટ પ્રધાન બન્યાં છે. આ સિદ્ધિ હાંસલ કરનાર તે ન્યૂઝીલેન્ડમાં ભારતીય-મૂળનાં પ્રથમ પ્રધાન છે. તેઓ એમનાં પતિ સાથે ઓકલેન્ડમાં રહે છે.

પ્રિયંકા રાધાકૃષ્ણન મૂળ કેરળનાં વતની છે. સતત બીજી મુદત માટે વડાં પ્રધાન તરીકે ચૂંટાઈ આવેલાં જેસીન્ડા આર્ડર્ને એમની કેબિનેટમાં પાંચ સભ્યોને પસંદ કર્યાં છે. પ્રિયંકા રાધાકૃષ્ણન એમાંના એક છે. એમણે આજે કમ્યુનિટી અને વોલન્ટરી મંત્રાલયનાં પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યાં હતાં.

પ્રિયંકા રાધાકૃષ્ણનનો જન્મ તામિલનાડુના ચેન્નાઈમાં થયો હતો અને ઉછેર સિંગાપોરમાં થયો હતો. જોકે એમનાં પૂર્વજો કેરળના કોચી જિલ્લાના પારાવુરનાં હતા. એમનાં દાદા મેડિકલ પ્રોફેશનલ હતા અને કમ્યુનિસ્ટ વિચારસરણીવાળા હતા.

પ્રિયંકા રાધાકૃષ્ણન બે વખત ઓકલેન્ડમાંથી સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં છે. તેઓ ઉચ્ચ અભ્યાસ માટે ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયાં હતાં. એમણે ક્રાઈસ્ટચર્ચમાંથી ન્યૂઝીલેન્ડનું નાગરિકત્વ પ્રાપ્ત કર્યું હતું અને લેબર પાર્ટીમાં જોડાઈને 2004થી તેઓ સક્રિય રાજકારણમાં છે.

ગયા વખતના ઓનમ તહેવાર વખતે પ્રિયંકા રાધાકૃષ્ણન એક લાઈવ કાર્યક્રમમાં ઉપસ્થિત થયાં હતાં અને ત્યારે એમની સાથે વડાં પ્રધાન જેસીન્ડા આર્ડર્ન પણ હતાં. બંનેએ કેરળવાસીઓને ઓનમ તહેવારની શુભેચ્છા આપી હતી.

પ્રિયંકા રાધાકૃષ્ણનને મલયાલમ ગીતો બહુ ગમે છે અને એમણે એક મુલાકાતમાં કહ્યું કે યેસુદાસ એમનાં ફેવરિટ ગાયક છે.

2019માં પ્રિયંકા રાધાકૃષ્ણનની નિમણૂક વંશીય સમાજોના ખાતાના પ્રધાનના અંગત સંસદીય સચિવ તરીકે કરવામાં આવી હતી. હવે વડાં પ્રધાન જેસીન્ડાએ એમને આ જ ખાતું સોંપ્યું છે અને સાથોસાથ કમ્યુનિટી અને વોલન્ટરી સેક્ટરનાં પ્રધાન અને સામાજિક વિકાસ તથા રોજગાર ખાતાના સહયોગી પ્રધાન પણ બનાવ્યાં છે.

રાજસ્થાનમાં ગુર્જરોનું ફરી અનામત આંદોલન; ટ્રેનસેવા ખોરવાઈ

જયપુરઃ ગુર્જર સમાજને શિક્ષણ સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અનામત પ્રથાનો લાભ આપવાની માગણીના ટેકામાં સમાજનાં લોકો ફરી આંદોલન પર ઉતર્યા છે. ગઈ કાલ રાતથી જ એમણે રેલ રોકો આંદોલન શરૂ કરી દીધું છે. એને કારણે પશ્ચિમ રેલવેની ટ્રેન સેવા ખોરવાઈ ગઈ છે. અનેક ટ્રેનોને અન્ય રૂટ પર વાળવી પડી છે.

ગુર્જર નેતા વિજય બૈંસલાએ કહ્યું છે કે જ્યાં સુધી સરકાર અમારી માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. અમને એનાથી ઓછું કંઈ ન ખપે.

રાજસ્થાનના ભરતપુર જિલ્લાના પીલૂપુરા ગામ ખાતે ગુર્જરો ગઈ કાલે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પાટા પર બેસી જઈને આંદોલન શરૂ કર્યું હતું.

પીલૂપુરામાંથી પસાર થતી મુંબઈ-દિલ્હી રેલવે લાઈનના પાટાને અમુક આંદોલનકારીઓએ નુકસાન પહોંચાડ્યું હોવાનો અધિકારીઓનો દાવો છે.

અધિકારીઓએ કહ્યું કે કેટલાક આંદોલનકારોએ પાટા પરની ફિશપ્લેટ કાઢી નાખી હતી. જોકે થોડાક સમય બાદ પાટાને ઠીક કરી દેવામાં આવ્યા હતા અને આંદોલનકારોને દૂર કરી દેવાયા હતા.

કોટા વિભાગમાંથી પસાર થતી દિલ્હી-મુંબઈ લાઈન પરની ટ્રેન સેવાને અટકાવી દેવી પડી છે.

કોટા રેલવે વિભાગના તમામ સ્ટેશનો પર એલર્ટ ઘોષિત કરી દેવામાં આવ્યું છે.

કોટા રેલવે વિભાગમાં રેલવે પોલીસ ફોર્સ અને ગવર્મેન્ટ રેલવે પોલીસના 450 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારે ભરતપુર, ધૌલપુર, સવાઈ માધપુર, દૌસા, ટોંક, બૂંદી, ઝાલાવાડ અને કરૌલી જિલ્લાઓમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કરી દીધો છે.

ભરતપુર જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

આ વખતે આંદોલનમાં ગુર્જર સમાજમાં બે ભાગ પડી ગયા છે. હિંમત સિંહના ગ્રુપે રાજસ્થાનમાં અશોક ગેહલોતની સરકાર સાથે વાટાઘાટ શરૂ કરી દીધી છે, પરંતુ નિવૃત્ત કર્નલ કિરોડીમલ બૈંસલાના સમર્થકો એમની સાથે સહમત નથી.

પ્યારની વાત – ૨ નવેમ્બર, ૨૦૨૦

પ્યારની વાત – ૨ નવેમ્બર, ૨૦૨૦

Save, Invest and Prosper: ‘ચિત્રલેખા’, ‘આદિત્ય બિરલા કેપિટલ’ યોજિત વેબિનાર

‘ચિત્રલેખા.કોમ’ અને ‘આદિત્ય બિરલા કેપિટલ’ દ્વારા 1 નવેમ્બરના રવિવારે સંયુક્તપણે આયોજીત ‘Save, Invest and Prosper’ થીમ સાથેના વિશેષ વેબિનારમાં દર્શકોએ આર્થિક જગતના નિષ્ણાતો પાસેથી હાલના આર્થિક મુશ્કેલીના સમયમાં ઈમરજન્સી ફંડ અને હેલ્થ ઈન્સ્યોરન્સનું કેટલું મહત્ત્વ છે અને એનું પ્લાનિંગ કઈ રીતે કરી શકાય એ વિશે માર્ગદર્શન મેળવ્યું હતું.

આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડની ઈન્વેસ્ટર એજ્યુકેશન પહેલ અંતર્ગત સેમિનાર/વેબિનારની શ્રેણીમાં આ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આદિત્ય બિરલા સન લાઈફ AMC લિ.ના ઈન્વેસ્ટર એજ્યૂકેશન અને ડિસ્ટ્રીબ્યુશન ડેવલપમેન્ટ વિભાગના વડા કે.એસ. રાવે કાર્યક્રમની શરૂઆતમાં જ કહ્યું હતું કે દુનિયામાં દર વર્ષે 31 ઓક્ટોબરનો દિવસ ‘વર્લ્ડ સેવિંગ્સ ડે’ (વિશ્વ બચત દિવસ) તરીકે ઉજવાય છે. રાવે ત્યારબાદ વિવિધ સ્લાઈડ્સ સાથે એક પ્રેઝન્ટેશન રજૂ કરીને આવક, બચત અંગે વિશેષ જાણકારી આપી હતી. પ્રેઝન્ટેશનની એક સ્લાઈડમાં તેમણે SIP વિશે સમજ આપી હતી. નોંધનીય છે કે, આ વેબિનારનો વિષય પણ એ જ હતો Save, Invest, Prosper… તો શું એ વિચારીને આ ઓર્ડર મૂકવામાં આવ્યો છે? એના જવાબમાં રાવે કહ્યું કે SIPનો મતલબ સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન છે. જિંદગી એક સફર ગણાય છે અને એવું જ મૂડીરોકાણનું છે. પહેલાં એનું આયોજન કરવું પડે. શરૂઆતમાં બચત આવે, ત્યારબાદ ઈન્વેસ્ટમેન્ટ આવે અને છેલ્લે, એને પગલે સમૃદ્ધિ આવે એવું મારું માનવું છે. પહેલા બીજ વાવો, પછી એનો છોડ ઉગે અને પછી એમાંથી જે પ્રાપ્ત થાય એનું ભોજન બને.

લાંબા ગાળાની સમૃદ્ધિનું સર્જન કરવું હોય તો પહેલાં શું કરવું જોઈએ? એવા કાર્યક્રમના સંચાલક અને પર્સનલ ફાઈનાન્સ ક્ષેત્રના લેખક તથા નિષ્ણાત અમિત ત્રિવેદીના સવાલના જવાબમાં જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળાએ કહ્યું કે, સૌથી પહેલા તો લક્ષ્ય નક્કી કરવું પડે છે. તે પછી શ્રદ્ધાથી, શિસ્તથી આગળ વધવું પડે. ટેક્સી કે રિક્ષામાં બેસીએ ત્યારે જો એને કહીએ નહીં કે આપણે ચોક્કસ ક્યાં જવું છે તો એ ડ્રાઈવર આપણને ગોળ-ગોળ ઘુમાવે અને એના લક્ષ્ય પ્રમાણે પૈસા કમાઈ લે. આમ, જે લોકો પોતાના ધ્યેય માટે કામ ન કરે, એ વાસ્તવમાં બીજાઓના ધ્યેય માટે કામ કરતા હોય છે.

અમિત ત્રિવેદીએ ઈમરજન્સી ફંડ (તાકીદનું ભંડોળ) અને હેલ્થ ઈન્શ્યોરન્સ (આરોગ્ય વીમો)નો મુદ્દો ઉભો કર્યો હતો અને કહ્યું કે આ બંનેનું મહત્ત્વ શું છે અને એ બંનેને ભેગા કરવા માટે શું કરવું જોઈએ? કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ?

એના જવાબમાં મશરૂવાળાએ કહ્યું કે, ઈમરજન્સી ફંડ હોવું બહુ જ જરૂરી છે. કારણ કે, ઈમરજન્સી પરિસ્થિતિ એવી હોય છે જે ક્યારેય કહીને નથી આવતી પછી એ રોગચાળો હોય, જોબ લોસ હોય કે પગારમાં કપાત હોય કે કોઈ બીમારી આવી ગઈ હોય. તે છતાં ગુજરાતીમાં કહેવત છે કે જાગ્યા ત્યાંથી સવાર. એટલે અત્યારથી જ ઈમરજન્સી ફંડ એકઠું કરવાની શરૂઆત કરી દેવી જોઈએ. હેલ્થ વીમા વિશે હું એટલું કહીશ કે એનું મહત્ત્વ રોગચાળા માટે જ નહીં, પણ કાયમને માટે હોય છે. ઘણા લોકોને નોકરીમાં જ આરોગ્ય વીમાનું કવચ મળતું હોય છે. હાલમાં જ કોરોનાવાઈરસને કારણે ઘણાએ નોકરી ગુમાવી છે. એની સાથે જ એમણે આરોગ્ય વીમાનું કવચ પણ ખોઈ દીધું. તેથી મહેરબાની કરીને ઈમરજન્સી ફંડ તૈયાર કરવામાં અને હેલ્થ ઈન્શ્યોરન્સની બાબતમાં કોઈએ બેદરકારી રાખવી નહીં. હવે તો હેલ્થ વીમા માટે નવી નવી પોલિસી આવતી હોય છે.

આ સંદર્ભમાં અમિત ત્રિવેદીએ કહ્યું કે ઈમારતનો પાયો મજબૂત ન હોય તો એનું ચણતર પણ મજબૂત ન રહે. એટલે જ નાણાકીય આયોજન માટે ઈમરજન્સી ફંડ જરૂરી છે. જેટલી મોટી ઈમારત હોય એટલો ઊંડો એનો પાયો નાખવો પડે.

મ્યુચ્યુઅલ ફંડમાં એવી કોઈ ટાઈપની સ્કીમ છે જેનો ઉપયોગ ઈમરજન્સી ફંડ માટે કરી શકાય? એવા સવાલના જવાબમાં કે.એસ. રાવે કહ્યું કે, મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ પણ વ્યક્તિ ઈન્વેસ્ટ કરી શકે છે. કોઈ પણ સ્કીમમાં પૈસા રોકી શકાય, પણ એવ સ્કીમમાં રોકવા જોઈએ કે જેથી જરૂર પડે ત્યારે આસાનીથી ઉપલબ્ધ બની રહે.

કાર્યક્રમના આરંભમાં ‘ચિત્રલેખા.કોમ’ના તંત્રી કેતન ત્રિવેદીએ ત્રણેય પેનલિસ્ટ તથા દર્શકોનું સ્વાગત કર્યું હતું. ત્રિવેદીએ નિષ્ણાત વક્તાઓનો સંક્ષિપ્તમાં પરિચય આપ્યો હતો. કાર્યક્રમને અંતે અમિત ત્રિવેદીએ ‘ચિત્રલેખા’ અને ‘આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ’નો આભાર માન્યો હતો.

સંપૂર્ણ વેબિનાર જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરોઃ

Chitralekha Webinar

કોરોનાના પુનઃ સંક્રમણથી બચવા આટલું કરો

કોરોનાને હરાવ્યા બાદ જો કોઈ વ્યક્તિ બેદરકાર થઈને રહેવા માંડે તો કોરોના ફરીથી ત્રાટકી શકે છે!

કોરોનાનું સંક્રમણ એકવાર થયા પછી લાપરવાહ થઈને ફરવું જોખમી થઈ શકે છે. જ્યાં સુધી અસરકારક વેક્સિન નથી આવી જતી, ત્યાં સુધી કોરોના પ્રત્યે સાવધાની તો રાખવી જ પડશે!  જો કે, કોરોનાનો દર્દી એકવાર સારો થઈ જાય, ત્યારબાદ તેના શરીરમાં એન્ટી બોડીઝ્ ઉત્પન્ન થઈ જાય છે. જે કોરોનાના સંક્રમણથી બચાવવાનું કાર્ય કરે છે. પણ આ વેક્સિન શરીરમાં હોય ત્યાં સુધી! જો એ પૂરા થઈ જાય, તો એનો અર્થ છે સંક્રમણનો ખતરો ક્યારે પણ ત્રાટકી શકે છે! આ બાબતે ભારતીય તબીબી સંશોધન પરિષદે (ICMR) પણ કોરોનાથી સાજા થયા બાદ જરા પણ લાપરવાહી ઘાતક બની શકે છે. એવું જણાવી લોકોને સાવચેત કર્યાં છે.

અહીં ત્રણ બાબતો બેદરકારી વિશેની જણાવી છે. જે દરેક કોરોના પીડિત વ્યક્તિ કે, જે સારવારથી સાજું થયું હોય, તેણે ધ્યાનમાં રાખવા જેવી છે. જેથી કોરોના સંક્રમણના ખતરાથી પોતાને તેમજ અન્યોને પણ બચાવી શકાય!

  1. માસ્કનો ઉપયોગ ટાળવોઃ

માસ્ક પહેરવું કોઈને નથી ગમતું. તેમાં પણ લાંબા સમય સુધી માસ્ક પહેરવું અત્યંત કંટાળાજનક તેમજ અસુવિધાજનક લાગે છે. પરંતુ કોરોના વાયરસના જીવાણુ જે નાક અને મોંઢા વાટે શરીરમાં પ્રવેશે છે. તેનાથી બચવા માટે માસ્ક જરૂરી છે. તે ઉપરાંત સામાજીક અંતર રાખવું પણ એટલું જ જરૂરી છે. સંક્રમણ થવા પૂર્વેની ઘરની તમામ વસ્તુઓ ડિસઈન્ફેક્ટ કરવી જરૂરી છે. આ સાથે આશરે દસ દિવસ સુધી લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ.

2. પૂર્ણ ઈલાજ ના કરવોઃ

ડોક્ટરની સૂચના અનુસાર દવાનો કોર્સ પૂરો કરવામાં ન આવે તો પણ આ બિમારી ફરી થઈ શકે છે. જો લાંબા સમય માટે દવા સૂચવવામાં આવે તો દવાનો કોર્સ પૂરો કરવો જરૂરી છે. તે ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સ્વાસ્થ્યપ્રદ ખોરાક પણ લેવો જોઈએ અને ખોરાક લેવા બાબતે કાળજી તેમજ જરૂરી પરેજી પણ રાખવી જોઈએ. કોવિડ-19 થયા બાદ શરીરમાં એન્ટી બોડીઝ્ ઉત્પન્ન થાય છે. જેનાથી કોરોનાથી બચી શકાય છે. પરંતુ એ તત્વો શરીરમાંથી ખૂટી જાય તો સંક્રમણ લાગૂ થઈ શકે છે. જેથી વેક્સિન પ્રાપ્ય થાય ત્યાં સુધી સાવધાની રાખવી જરૂરી છે.

3. કોવિડ-19 બાદ સ્વાસ્થ્યના સુધારા માટે બેદરકારી રાખવીઃ

કોવિડ-19 એક ગંભીર રોગ છે. જેમાંથી બેઠા થતાં ઘણો સમય લાગે છે. જો કોરોનાથી સાજા થયા બાદ કોઈ અન્ય લક્ષણ શરીરમાં જણાય છે, તો તાત્કાલિક એનો ઈલાજ કરવો જરૂરી છે. સામાન્ય રીકવરી હોય તો પણ શરીરને ફરીથી સ્વસ્થ થવા માટે પૂરતો સમય ફાળવવો જોઈએ. એમાં ઢીલ રાખવાથી સંક્રમણ ફરી થઈ શકે છે.

૨ નવેમ્બર ૨૦૨૦

૨ નવેમ્બર ૨૦૨૦