મુંબઈઃ બોલીવૂડ નિર્માતા-દિગ્દર્શક અનુરાગ કશ્યપે પોતાની પર બળાત્કાર કર્યો હોવાનો આરોપ મૂકનાર અભિનેત્રી પાયલ ઘોષ રાજકારણમાં જોડાઈ છે. તે આજે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (RPI) – આઠવલે પાર્ટીમાં જોડાઈ ગઈ છે. કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે આ પાર્ટીના વડા છે.
પાયલને પાર્ટીની મહિલા શાખાની ઉપપ્રમુખ બનાવવામાં આવી છે.
પાર્ટીના સૂત્રોના જણાવ્યા મુજબ, પાયલ કેટલાક અન્ય લોકોની સાથે આરપીઆઈ (આઠવલે)માં સામેલ થઈ છે.
આઠવલેએ કહ્યું છે કે પાયલ તથા અન્ય લોકો જોડાતાં અમારી પાર્ટી વધારે મજબૂત બનશે.
આઠવલેએ એમ પણ કહ્યું કે અનુરાગ કશ્યપને પાયલે ઘાયલ કર્યા છે. કશ્યપની ટૂંક સમયમાં જ ધરપકડ કરવામાં આવશે.
કશ્યપ પોતાની સામેના આરોપોનું ખંડન કરી ચૂક્યા છે.
પાયલ ઘોષે કહ્યું કે, દેશ માટે કંઈક કરી બતાવવા માટે પોતે આરપીઆઈ (એ)માં સામેલ થઈ છે. કશ્યપ સામેના જંગમાં પોતાનું સમર્થન કરવા બદલ એણે આઠવલેનો આભાર માન્યો છે.
નવી દિલ્હીઃ અનેક લોકો એ નથી જોતા કે LPG સિલિન્ડર સબિસિડીનાં નાણાં તેમના બેન્ક અકાઉન્ટમાં જમા થયા કે નહીં. તેમણે એની તપાસ કરવી જોઈએ અને એમાં વધુ સમય નથી લાગતો. થોડીક મિનિટોમાં જ ગ્રાહકો જાણી શકે છે કે LPG સિલિન્ડર સબિસિડીનાં નાણાં તેમના બેન્ક એકાઉન્ટમાં જમા થયા છે કે નહીં.
દેશમાં પરિવારોને સબસિડીના દરે મહત્તમ 12 LPG સિલિન્ડર ખરીદવાની મંજૂરી છે. જોકે સિલિન્ડરોની ખરીદીના સમયે એ પૂરી કિંમતે ખરીદાવા જોઈએ અને પછી સબસિડીને સરકાર દ્વારા ગ્રાહકના બેન્ક એકાઉન્ટમાં સબસિડીની રકમ જમા કરવામાં આવે છે.
લિક્વિડ પેટ્રોલિયમ ગેસ (LPG) સિલિન્ડરની કિંમત દેશમાં દર મહિને નક્કી કરવામાં આવે છે. હાલમાં સરકાર સબસિડી LPG ગ્રાહકો માટે સબસિડીનો વિસ્તાર કર્યો છે અને સામાન્ય રીતે LPG દરોની પ્રતિ મહિને એક તારીખે સંશોધિત કરવામાં આવે છે.
વર્ષ 2015માં કેન્દ્ર સરકાર દ્વારા PAHAL (ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ) યોજના હેઠળ LPG ગ્રાહકો પોતાના બેન્ક ખાતામાં સબસિડી પ્રાપ્ત કરી શકે છે.
ઇન્ડેન ગેસ સબસિડી
ઇન્ડેન કંપનીનો પ્રારંભ 1965માં ઇન્ડિયન ઓઇલની સબસિડીયરી કંપનીના રૂપમાં થઈ હતી. ઇન્ડેનના ગ્રાહકોને ગેસ સિલિન્ડર ખરીદવા પર સરકાર દ્વારા સબસિડી મળતી હતી. આ ગેસ સબસિડી બે પદ્ધતિએ તપાસી શકાય.
પહેલી તમે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરના માધ્યમથી અને બીજી LPG IDના માધ્યમથી. એ ID તમારી ગેસ પાસબુકમાં આપેલો છે.
સબસિડીની તપાસ કરવાનાં આ સરળ પગલાંનું પાલન કરો.
ઇન્ડિયન ઓઇલની સત્તાવાર વેબસાઇટ પર cx.indianoil.in જાઓ.
LPG સિલિન્ડરના ફોટા પર ક્લિક કરો. એક ફરિયાદ બોક્સ ખૂલશે, ‘સબસિડીની સ્થિતિ’ લખો અને બટન દબાવી આગળ વધો.
એ વિકલ્પ પર ક્લિક કરો, જેમાં સબસિડી સંબંધિત (PAHAL) લખ્યું હોય. નીચે સ્ક્રોલ કરો અને સબસિડી નોટ રિસીવ્ડ પર ક્લિક કરો.
એક નવું ડાયલોગ બોક્સ ખૂલશે, સ્ક્રીન પર બે વિકલ્પ દેખાશે- રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને LPG
જો તમારો મોબાઇલ નંબર ગેસ કનેક્શન સાથે જોડાયેલો છે તો તમે મોબાઇલ પદ્ધિતનો વિકલ્પ અપનાવી શકો. નહીં તો તમારી ગેસ પાસબુકમાં લખેલો 17 અંકોનો LPG ગેસ ID એમાં નોંધો.
વેરિફાઇ પર ક્લિક કરો અને સબમિટ કરો
સિલિન્ડર બુકિંગની તારીખ, સબસિડી સહિત પૂરી વિગતો તમારી સ્ક્રીન પર દેખાશે
તમે ગ્રાહક સેવાના માધ્યમથી પણ માહિતી પ્રાપ્ત કરી શકો છો. ઇન્ડેન ગેસ કસ્ટમર કેર નંબર 1800-233-35555 પર સંપર્ક કરીને પણ તમારી સબસિડી વિશે માહિતી મેળવી શકો છો.
અમદાવાદઃ શહેરના સરદાર બ્રિજથી વાસણા તરફ જતા રિવરફ્રન્ટ પર તૈયાર કરવામાં આવેલા વોટર એરોડ્રામ પર સી પ્લેન ઉતારવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત વખતે તેઓ કેવડિયાથી અમદાવાદ સી પ્લેનની સફર કરવાના છે. કેવડિયાથી અમદાવાદ વડા પ્રધાન મોદી પ્રવાસ કરે એ પહેલાં સોમવારની બપોરે સી પ્લેનની ટ્રાયલ ઉડાન ભરવામાં આવી હતી.
અમદાવાદમાં રિવરફ્રન્ટ પરથી જ સી પ્લેનની સવારી શરૂ થશે અને સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી શકાય એ સેવા શરૂ કરવામાં આવશે. શહેરના રિવરફ્રન્ટથી કેવડિયા સી પ્લેનથી ઉડાન ભરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સી પ્લેન અમદાવાદ આવે એ પૂર્વે રિવરફ્રન્ટની સાફસફાઈ, રંગરોગાન, સમારકામ અને ગુજરાત સરકારે તૈયાર કરેલા વોટર એરોડ્રામની ઓફિસને સુંદર, સ્વચ્છ, સુરક્ષિત બનાવવાની કામગીરી ઝડપી બનાવી દેવામાં આવી છે, કારણ કે સી પ્લેનની આજુબાજુના વિસ્તારોમાં ઘણી કામગીરી બાકી છે.
મુંબઈઃ મુંબઈ શેરબજાર (બીએસઈ)એ સૌથી મોટા વૈશ્વિક વેપાર સાહસિકોના પ્લેટફોર્મ ઈન્વેન્ટિવપ્રેનર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (આઈસીસીઆઈ) સાથે જોડાણ કર્યું છે. આ જોડાણ મારફત આઈસીસીઆઈ બીએસઈ એસએમઈ બોર્ડ પર લિસ્ટિંગ માટેના એસએમઈઝ અને સ્ટાર્ટઅપ્સનું મૂલ્યાંકન કરશે. એ ઉપરાંત તે લિસ્ટેડ એસએમઈ-સ્ટાર્ટ-અપ્સ રોકાણકારના નેટવર્કને વધુ સંવેદનશીલ બનાવશે અને તેનું સંવર્ધન કરશે. આઈસીસીઆઈ બીએસઈ લિસ્ટેડ સ્ટાર્ટઅપ્સને વૈશ્વિક સ્તરે કનેક્ટ કરશે અને સરકારે જાહેર કરેલા કાર્યક્રમો, એક્સલરેશન ફંડ ઈન્ટરનેશનલ પ્રેઝન્સ અને ગ્લોબલ બિઝનેસ રિલેશન્સ સંબંધિત જ્ઞાનનો પ્રસાર કરશે. આઈસીસીઆઈ વિવિધ નેટવર્કિંગ પ્રવૃત્તિઓ, જાગૃતિ પરિસંવાદો અને ચર્ચા સત્રો, બિઝનેસ ઈવેન્ટ્સ વગેરે યોજશે.
આઈસીસીઆઈનાં પ્રેસિડેન્ટ ડો. રિતિકા યાદવે કહ્યું કે દેશ ભરમાં વેપાર સાહસિકતાને ઉત્તેજન આપવા અમે બીએસઈ સાથે જોડાણ કર્યું છે. અમે બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટેડ વેપાર સાહસોના રોકાણકારો માટેના માહિલને સમૃદ્ધ કરીશું. અમારો હેતુ સરકારી એજન્સીઓ, દરિયા પારનાં વેપાર સાહસો અને ભારતીય કંપનીઓને દેશના આર્થિક અને સામાજિક વિકાસ માટે એક છત્ર હેઠળ લાવવાનો છે.
બીએસઈ એસએમઈ એન્ડ સ્ટાર્ટઅપ્સના વડા અજયકુમાર ઠાકુરે કહ્યું કે દેશના અગ્રણી સ્ટોક એક્સચેન્જ તરીકે સરકારના રાષ્ટ્ર ઘડતરના કાર્યમાં સહાય કરવી અમારી જવાબદારી છે. અમે માનીએ છીએ કે આઈસીસીઆઈ મારફત વધુને વધુ સ્ટાર્ટઅપ્સ અને એસએમઈ લિસ્ટિંગના લાભ પ્રાપ્ત કરી શકશે અને મૂડીબજારમાં વધુ સારી કામગીરી કરી શકશે.એસએસએમઈઝ ઈક્વિટી મૂડી એકત્ર કરી શકે એ માટે બીએસઈએ તાજેતરમાં તેલંગણા સરકાર અને ગ્લોબલલિંકર સાથે જોડાણ કર્યું છે.
નવી દિલ્હીઃ જર્મનીની લક્ઝરી કારઉત્પાદક મર્સિડીઝ-બેન્ઝે કહ્યું છે કે એણે આ વખતની નવરાત્રિ અને દશેરા દરમિયાનના દિવસોએ 550 કારોની ડિલિવરી કરી છે અને કંપની માટે તહેવારોની સિઝન પ્રોત્સાહક બની રહી છે.
કંપનીએ આ કારોની ડિલિવરી મુંબઈ, ગુજરાત અને દિલ્હી NCR અને ઉત્તર ભારતની અન્ય બજારોમાં કરી છે. કંપનીએ દિલ્હી NCR ક્ષેત્રમાં તહેવારોની સીઝનમાં 175 કારોની ડિલિવરી કરી છે. હવે આવતા મહિને દિવાળી અને ધનતેરસના સમયગાળા દરમિયાન મર્સિડીઝ-બેન્ઝ કારની નોંધપાત્ર માગ રહેવાની આશા છે, એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
કંપનીની વેચાણ કામગીરી પર ટિપ્પણી કરતાં મર્સિડિઝ-બેન્ઝ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને CEO માર્ટિન શ્વેનકે કહ્યું હતું કે આ વર્ષે તહેવારોની સીઝન કંપની માટે પ્રોત્સાહક રહેવાની ધારણા છે અને અમે ગ્રાહકોનું સકારાત્મક સેન્ટિમેન્ટ જોઈને ખુશ છીએ.
તેમણે કહ્યું હતું કે આ સિઝનમાં કંપનીની આટલી બધી કારોની ડિલીવરી કરી શકવાથી અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે અને આનાથી સાબિત થયું છે કે લક્ઝરી કારના ખરીદદારો મર્સિડીઝ-બેન્ઝ બ્રાન્ડ અને ઉત્પાદનો પર વિશ્વાસ ધરાવે છે. તેમણે કંપનીના આઉટલૂક માટે કહ્યું હતું કે હજી બાકીના તહેવારોના સમયગાળા અને ત્રિમાસિક ગાળામાં કારોનું વેચાણ વધે એવી આશા ધરાવીએ છે. અમે બજારમાં નવાં ઉત્પાદનો દાખલ થવાની સાથે ત્રિમાસિક ગાળો અને વર્ષના બાકીના ભાગમાં વેચાણની દ્રષ્ટિએ સારો રહે એ માટે પ્રયત્નશીલ છીએ.
નવરાત્રી ઉત્સવ કોરોના વાઈરસની બીમારીને કારણે ઓછા ઉત્સવ સાથે, પરંતુ પરંપરાગત ભક્તિભાવ સાથે સંપન્ન થયો. મરાઠી ફિલ્મોની અભિનેત્રી રૂપાલી ભોસલેએ આ વખતનો ઉત્સવ અંગત સ્તરે અલગ રીતે ઉજવ્યો. ગયા શનિવારે સમાપ્ત થયેલા નવરાત્રી ઉત્સવ દરમિયાન 9 દિવસોએ જુદા જુદા રંગની સાડી પહેરીને માતાજીનાં 9-સ્વરૂપને તાદ્રશ કરતું ખાસ ફોટોશૂટ રૂપાલીએ કરાવ્યું હતું. આ વિવિધ લૂક ધારણ કરીને રૂપાલી એ કહેવા માગે છે કે દુર્ગા માતાની શક્તિ દરેક સ્ત્રીમાં હોય છે, દરેક સ્ત્રીની અંદર ‘દુર્ગા માતા’ છુપાયેલાં છે એટલે દરેક સ્ત્રીને સમાન ગણવી અને એને ક્યારેય ‘રમકડા’ સમાન ગણવી જોઈએ નહીં. આ ફોટોશૂટ જાણીતાં કોસ્ચ્યુમ અને સ્ટાઈલ બેન્ઝ ફેશન (તાન્યા)એ કર્યું હતું, જ્યારે મેકઅપ મનિષા કોલગેએ કર્યો હતો. આ તસવીરો રૂપાલીનાં ઈન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
સુરતઃ સુરત જિલ્લાની કોઈ પણ વ્યક્તિ આત્મહત્યાના વિચાર આવે એ પહેલાં તે પોલીસનો સંપર્ક કરે એવું પોલીસ કહે છે, પણ આવું કોઈ કરે ખરું? મતલબ, તમે આત્મહત્યા કરવાનું નક્કી કરો એ પહેલાં તમે પોલીસનો સંપર્ક કરો ખરા?
હા, કરાય. સુરત પોલીસના અનુભવ મુજબ આ વાત સાચી છે. બહુ મૂંઝાયેલા, નદીના પુલ ઉપર પહોંચી ગયેલા, નહેરના કિનારે કૂદી પડતાં પહેલાં 10થી 12 લોકોએ સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કર્યો છે અને આ અધિકારીઓએ તેમને મોત પાસેથી પાછા વાળ્યા છે.
આત્મહત્યા નિવારણ માટેની એક હેલ્પલાઇન
વાત એમ છે કે સુરત જિલ્લા પોલીસ દ્વારા આત્મહત્યા નિવારણ માટેની એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.
તો એમાં નવું શું છે? એવો પ્રશ્ન થાય તો જાણી લો કે આ હેલ્પલાઇનમાં સુરત જિલ્લા પોલીસ વડા ઉષા રાડા અને જિલ્લાના ડીવાયએસપીના નંબરો આપવામાં આવ્યા છે અને તેમના અંગત નંબરનાં બોર્ડ નદીના પુલ ઉપર અને સુરત જિલ્લાનાં બજારોમાં બોર્ડ બનાવી મૂકવામાં આવ્યાં છે.
અધિકારીઓના ત્વરિત એક્શન
સુરત જિલ્લા પોલીસ વડા ઉષા રાડાચિત્રલેખા.કોમ ને કહે છે કે છેલ્લા થોડા સમયથી આત્મહત્યાના કેટલાક કેસ અમારી સામે આવ્યા છે. ગુના અટકાવીએ, આરોપીને પકડીએ પણ કોઈનું જીવન જતું રહે ત્યારે બીજા કોઈને કશો ફરક પડતો નથી પણ ભોગવવાનું માત્ર એ પરિવારે હોય છે. અમે ઉચ્ચ અધિકારીઓના નંબર એટલા માટે આપ્યા છે કે અધિકારીઓ પાસે કોઈ પણ માહિતી આવે એટલે તે લોકો કોઈ પણ એક્શન ઝડપથી લઇ શકે છે અને ઘણા બધા લોકોને દોડાવી શકે છે. એટલે અમે આ હેલ્પલાઇન શરૂ કરી છે. લોકો સંપર્ક પણ કરે છે અને અમારા અધિકારીઓના ત્વરિત એક્શનને કારણે 10-12 લોકોએ એકદમ આત્મહત્યાના વિચારથી પાછા વાળ્યા છે આવા કામ અમને સૌને, આખી ટીમને આવા કામ કરવાથી આત્મસંતોષ મળે છે.
યોગ્ય માર્ગદર્શન
કોઈ માનસિક કે શારીરિક બીમારીથી પીડાતી વ્યક્તિ હોય, અથવા સામાજિક અને પારિવારિક સમસ્યા, આર્થિક સંકડામણ, એકલતા, વિદ્યાર્થીઓના ભણતર અને પરીક્ષાની ચિંતા જેવી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ સદાય તેમની સેવામાં તત્પર રહેશે. જિલ્લાની કોઈ પણ વ્યક્તિને આત્મહત્યાના વિચારોમાંથી મુક્તિ મળે અને પોતાનું જીવન સારી અને સુખી રીતે જીવી શકે એ માટે યોગ્ય માર્ગદર્શન આપવાની શરૂઆત કરી છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમસ્યાથી હતાશ થઈ આત્મહત્યા ન કરે તેવાં તમામ પગલાં સુરત જિલ્લા પોલીસ લઈ રહી છે. સ્યુસાઇડ પોઇન્ટ પર ફ્લેક્સ બેનરો લગાવી એન્ટિ હેલ્પલાઇનના નંબરો દર્શાવવામાં આવ્યા છે. અને હવે આ જ મુદ્દાને આવરી લેતી એક વિડિયો ડોક્યુમેન્ટરી રિલીઝ કરી છે.
વોશિંગ્ટન/મુંબઈઃ દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ કુમારમંગલમ બિરલાના પુત્રી અનન્યા બિરલાએ જાતિવાદી વ્યવહાર કરવાનો અમેરિકાની એક રેસ્ટોરન્ટ પર આરોપ મૂક્યો છે.
એક ટ્વીટ દ્વારા અનન્યા બિરલાએ કહ્યું છે કે વોશિંગ્ટનમાંની સ્કોપા ઈટાલિયન રૂટ્સ રેસ્ટોરન્ટે એમના પરિવારજનોને રીતસર બહાર ફેંકી દીધા હતા.
અનન્યાએ પોતાનાં ટ્વીટમાં એ રેસ્ટોરન્ટને ટેગ પણ કરી છે અને કહ્યું છે કે આ રેસ્ટોરન્ટે એના ગ્રાહકો સાથે યોગ્ય રીતે વર્તન કરતા શીખવાની જરૂર છે.
અનન્યાએ ટ્વીટમાં લખ્યું છે કે, આ રેસ્ટોરન્ટ @ScopaRestaurant એ મને અને મારાં પરિવારજનોને રીતસર એમની ઈમારતમાંથી બહાર ફેંકી દીધા હતા. કેટલું બધું જાતિવાદી વલણ કહેવાય. બહુ જ ખરાબ. તમારે ખરેખર તમારા ગ્રાહકો સાથે સારી રીતે વર્તન કરતા શીખવાની જરૂર છે. અત્યંત જાતિવાદી. આ બરાબર નથી.
એક બીજા ટ્વીટમાં, અનન્યાએ લખ્યું છે કે રેસ્ટોરન્ટના વેઈટરે મારી માતા સાથે અત્યંત ઉદ્ધત રીતે વર્તન કર્યું હતું.
અનન્યાએ લખ્યું છે કે વેઈટર જોશુઆ સિલ્વરમેન મારી માતા સાથે અત્યંત ઉદ્ધત રીતે વર્તી હતી. અત્યંત જાતિવાદી કહેવાય. આ બરાબર નથી.
અનન્યા બિરલા આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાના પુત્રી છે. અનન્યા ગાયિકા પણ છે. એમનું પહેલું ગીત 2016માં રિલીઝ થયું હતું. એ પછી એમણે યુનિવર્સલ મ્યુઝિક ઈન્ડિયા કંપની સાથે કરારબદ્ધ થયાં છે. આ ઉપરાંત તેઓ ‘ક્યૂરોકાર્ટ’ ઈ-કોમર્સ કંપનીનાં સ્થાપક અને સીઈઓ પણ છે.
This restaurant @ScopaRestaurant literally threw my family and I, out of their premises. So racist. So sad. You really need to treat your customers right. Very racist. This is not okay.
We waited for 3 hours to eat at your restaurant. @chefantonia Your waiter Joshua Silverman was extremely rude to my mother, bordering racist. This isn’t okay.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની સ્થિતિમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. જોકે દેશમાં કોવિડ-19ના કુલ મામલા 79 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 45,148 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 480 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 79,09,960 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,19,014 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 71,37,228 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 59,105 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,53,717એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 90 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.51 ટકા થયો છે.
રિકવરી રેટ વધીને 90 ટકા
ભારતે વિશ્વના ભલભલા વિકસિત દેશોને કોરોના વાઇરસ સામેની લડાઈમાં પાછળ રાખીને મોટી સફળતા હાંસલ કરી છે. એક તરફ દેશમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા ઘટી રહી છે તો બીજી બાજુ કોરોનાને માત આપનારાઓની સંખ્યા પણ આશ્ચર્યજનક રીતે વધી રહી છે. દેશમાં કોરોના સામેનો રિકવરી રેટ વધીને 90 ટકા પહોંચી ગયો છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.