Home Blog Page 4606

‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૨૦’ના વિજેતા બન્યા બે નાટક: ‘નિમિત્ત કમ બેક સુન’ અને ‘કુમારની અગાશી’

મુંબઈ અને ગુજરાતના નાટ્યરસિકો તથા કલાપ્રેમીઓને લગભગ દોઢ દાયકાથી ઘેલું લગાડનાર ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા’નો દબદબો સતત 14મા વર્ષે પણ યથાવત્ રહ્યો. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત, ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી (બીસીસીએ) આયોજિત આ વર્ષની ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૨૦’નો ગ્રેન્ડ ફિનાલે શો યોજાયો 22 જાન્યુઆરીના બુધવારે સાંજે અંધેરી (વેસ્ટ)માં ભવન્સ કેમ્પસમાં.

આ વખતની સ્પર્ધા વિશેષ એ રીતે બની રહી કે તેમાં એક નહીં, પણ બે નાટક વિજેતા બન્યા. ‘નિમિત્ત કમ બેક સુન’ અને ‘કુમારની અગાશી’, આ બંને નાટકની ભજવણી એટલી બધી પ્રભાવશાળી રહી કે એ બંનેને સમાન વિજેતા જાહેર કરવાની નિર્ણાયકોને ફરજ પડી.

વિજેતા નાટકોની જ્યારે ઘોષણા કરવામાં આવી એ સાથે જ સરદાર પટેલ સભાગૃહમાં બંને નાટકના કલાકારો અને કસબીઓનાં હર્ષનાદો અને નાટ્યપ્રેમી દર્શકોના તાળીઓનાં ગડગડાટથી સભાગૃહ ગૂંજી ઊઠ્યું.

ઈનામ વિતરણ કાર્યક્રમની સાથે મનોરંજનની મહેફિલ ‘જસન ને જલસો’નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી જૂની રંગભૂમિના ગીતો, નૃત્યો, ગીત-સંગીત, એકોક્તિ, દુહા-છંદની રસલ્હાણ માણવા મળી હતી. ‘જસન ને જલસો’ની પ્રસ્તુતિ જાણીતા કલાકાર રાજુલ દિવાન અને હેતલ જોશી દ્વારા કરવામાં આવી હતી. હેતલ જોશીનાં ગ્રુપનાં સભ્યોએ ‘રેવા’ અને ‘હેલ્લારો’ નૃત્ય પેશ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. રાજુલ દિવાન અને સાથીએ રંગલો-રંગલી ભવાઈ આઈટમ રજૂ કરીને મનોરંજનનો રસથાળ પીરસ્યો હતો.

‘ચિત્રલેખા’ના ચેરમેન મૌલિક કોટક, ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણી, નાટ્યકાર પ્રવીણ સોલંકી, અભિનેતા અને નાટ્યદિગ્દર્શક લતેશ શાહે દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરાવ્યા બાદ રાગેશ્વરી ગાયકવાડે ગણેશ સ્તુતિ રજૂ કરી હતી તો કેયૂરી શાહે એકોક્તિ દ્વારા તેની અદ્દભુત અભિનયકળાનું પ્રદર્શન કર્યું હતું.

‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા ૨૦૨૦’ના વિજેતા નાટકોની પસંદગી કરનાર ત્રણ જજ હતા – પ્રવીણ સોલંકી, લતેશ શાહ અને રોબિન ભટ્ટ.


‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૨૦’ના ઈનામવિજેતાઓની વિગત આ મુજબ છેઃ

શ્રેષ્ઠ નાટક

પ્રથમ ઈનામ (વિભાજીત)
નિમિત્ત કમ બેક સુન (થિયેટર ઓફ જનરેશન નેક્સ્ટ-સુરત)

કુમારની અગાશી (સિલ્યુએટ થિયેટર-સુરત)

દ્વિતીય ઈનામ (વિભાજીત)
શુભ મંગલ સાવધાન (એક્યૂરેટ પ્રોડક્શન-વડોદરા)

અંત વગરની વાત (માનસી શાહ-અમદાવાદ)

તૃતિય ઈનામ
અહમનું એન્કાઉન્ટર (ઉદય આર્ટ-નવસારી)

પ્રોત્સાહન ઈનામ (શ્રેષ્ઠ નાટક કેટેગરીમાં) (વિભાજીત)
તું અને હું (અલ્ટિમા ઈવેન્ટ્સ-મુંબઈ)

મીંડી કોટ (જયઘોષ થિયેટર-નવસારી)


પ્રેમની તા…તા… થૈયા (ઝેડ.એસ. ગ્રુપ – વડોદરા)


શ્રેષ્ઠ દિગ્દર્શક

પ્રથમ ઈનામ (વિભાજીત)

રિષીત ઝવેરી (નિમિત્ત કમ બેક સુન)

દેવાંગ જાગીરદાર (કુમારની અગાશી)

દ્વિતીય ઈનામ (વિભાજીત)

કર્તવ્ય શાહ (અંત વગરની વાત)

કિરણ પાટીલ (શુભ મંગલ સાવધાન)

તૃતિય ઈનામ
રૂમી બારિયા (અહમનું એન્કાઉન્ટર)


શ્રેષ્ઠ અભિનેતા

પ્રથમ ઈનામઃ
સ્વપ્નીલ પાઠક (નિમિત્ત કમ બેક સુન)

દ્વિતીય ઈનામ (વિભાજીત)
પલાશ આઠવલે (કુમારની અગાશી)

હિમાંશુ વૈદ્ય (અહમનું એન્કાઉન્ટર)

તૃતિય ઈનામ (વિભાજીત)
વિશાલ ચૌહાણ (અંત વગરની વાત)

કુરુષ જાગીરદાર (મીંડી કોટ)


શ્રેષ્ઠ અભિનેત્રી

પ્રથમ ઈનામઃ

મેઘા સિયારામ (કુમારની અગાશી)

દ્વિતીય ઈનામઃ
રૂબી ઠક્કર (શુભ મંગલ સાવધાન)

તૃતિય ઈનામ (વિભાજીત)
જૈની શાહ (અંત વગરની વાત)

શિલ્પી લુહાર (અહમનું એન્કાઉન્ટર)


શ્રેષ્ઠ સહાયક અભિનેતા

પ્રથમ ઈનામઃ નીરજ ચિનાઈ (નિમિત્ત કમ બેક સુન)

દ્વિતીય ઈનામઃ નીરવ પરમાર (અંત વગરની વાત)

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી

પ્રથમ ઈનામઃ સુહાની જાગીરદાર (કુમારની અગાશી)

દ્વિતીય ઈનામ (વિભાજીત):

પૂનમ મેવાડા (પ્રેમની તા… તા… થૈયા) અને પૂર્વી ભટ્ટ (શુભ મંગલ સાવધાન)


શ્રેષ્ઠ યુવા પ્રતિભા – જય કોટક પારિતોષિક

જીત સોલંકી (શુભ મંગલ સાવધાન)ને ‘ચિત્રલેખા’ના ચેરમેન મૌલિક કોટક અને વાઈસ-ચેરમેન મનન કોટકના હસ્તે એવોર્ડ એનાયત કરાયો.

સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ
અદ્વિતા ગોહિલ

વિશેષ પારિતોષિક
સૌમ્ય પંડ્યા


શ્રેષ્ઠ મૌલિક કૃતિ

રિષીત ઝવેરી (નિમિત્ત કમ બેક સુન) અને ભાર્ગવ ત્રિવેદી (અંત વગરની વાત)


શ્રેષ્ઠ કલા નિર્દેશન

શિવાંગ ઠક્કર (નિમિત્ત કમ બેક સુન)

શ્રેષ્ઠ પ્રકાશ રચના

મિતુલ હરીશ લુહાર (નિમિત્ત કમ બેક સુન)

શ્રેષ્ઠ સંગીત આયોજન

રૂમી બારિયા (અહમનું એન્કાઉન્ટર)

શ્રેષ્ઠ વેશભૂષા

શિવાંગ ઠક્કર (નિમિત્ત કમ બેક સુન)


પારિતોષિક વિતરણ સમારંભમાં 63 મૂન્સ ટેક્નોલોજીઝના ચેરમેન ઈમેરિટસ જિજ્ઞેશ શાહ, નીલા ટેલિફિલ્મ્સના અસિતકુમાર મોદી, ટ્રાન્સમિડિયાના જસ્મીન શાહ, ભવન્સ કલ્ચરલ સેન્ટરના લલિત શાહ, દિલીપ રાવલ, અશોક બંઠિયા, મયૂર વાકાણી જેવા અભિનેતા, સુજાતા મહેતા, મિનળ પટેલ, અલ્પના બુચ જેવાં અભિનેત્રી, દિગ્દર્શક જયંત ગિલાટર, નિર્માતા કૌસ્તુભ ત્રિવેદી, સ્વ. તારક મહેતાનાં પુત્રી ઈશાની શાહ અને એમનાં પતિ ચંદુ શાહ જેવાં મહાનુભાવો, ‘ચિત્રલેખા’નાં સહ-સંસ્થાપક મધુરીબહેન કોટક, રાજુલ મૌલિક કોટક, ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણી, ‘ચિત્રલેખા’ પરિવારનાં સભ્યો તથા નાટ્યરસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રવીણ સોલંકીએ કહ્યું કે, ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા’ ગુજરાતી નાટ્યક્ષેત્રમાં કંઈક નોખું કરવા માટે શરૂ કરવામાં આવી છે. નાટ્યસ્પર્ધાનો આરંભ કરવા બદલ ‘ચિત્રલેખા’ના ચેરમેન મૌલિક કોટકનો તેમજ સ્પર્ધાને આગળ વધારવામાં મદદરૂપ થવા બદલ સોલંકીએ જિજ્ઞેશ શાહનો આભાર માન્યો હતો.

પ્રવીણ સોલંકી

જિજ્ઞેશ શાહે કહ્યું કે સમાજમાં ડોક્ટરો, વકીલોની જેમ કલાકારોના વ્યવસાયને પણ સરખું જ મહત્ત્વ આપવું જોઈએ. આ વ્યવસાયની સંભાળ લેવી એ સમાજની ફરજ છે. ‘ચિત્રલેખા’ એ મેગેઝિન નહીં, પરંતુ એક સંસ્કૃતિ છે. આ નાટ્યસ્પર્ધાને જ્યાં સુધી ચાલુ રાખવી હોય ત્યાં સુધી એને મદદરૂપ થવા અમે તૈયાર છીએ.

જિજ્ઞેશ શાહ

જસ્મીન શાહે કહ્યું કે, ચિત્રલેખા મેગેઝિન ગુજરાતીઓનું એક પ્રતિબિંબ છે. આ નાટ્યસ્પર્ધા શરૂ કરવા બદલ હું એમને સેલ્યૂટ કરું છું.

જસ્મીન શાહ

સમગ્ર પારિતોષિક વિતરણ કાર્યક્રમનું સંચાલન પ્રીતિ શાહે કર્યું હતું.

ભવન્સ કલ્ચરલ સેન્ટર-અંધેરીના રમાકાંત ભગતે તમામ પ્રાયોજકો, સ્પર્ધકો અને પ્રેક્ષકોનો આભારવિધિ વ્યક્ત કર્યો હતો.

‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૨૦’ના અન્ય સહયોગીઓ હતાંઃ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા.લિ. (એસઆરકે) સુરત, જીવનભારતી મંડળ (સુરત), એગ્રોસેલ ઈન્ડસ્ટ્રિઝ (ભૂજ), રાજ થિયેટર-રાજવી જોશી (મુંબઈ), ભવન્સ કલા કેન્દ્ર-ચોપાટી, મુંબઈ.

(સમગ્ર ઈનામ વિતરણ સમારંભની વધુ તસવીરો)



































અહેવાલઃ મનોજ મોતીવાલા

તસવીરોઃ પ્રકાશ સરમળકર, , જિજ્ઞેશ મકવાણા

અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ મોડી પડી; પ્રવાસીઓને વળતર ચૂકવાશે

મુંબઈ – ગઈ કાલે બુધવારે બપોરે અમદાવાદથી મુંબઈ આવેલી તેજસ એક્સપ્રેસ ટ્રેન એક કલાકને 30 મિનિટ મોડી પડી હતી. આને કારણે ટ્રેનના 630 પ્રવાસીઓને દરેકને રૂ. 100નું આર્થિક વળતર ચૂકવવામાં આવશે.

તેજસ એક્સપ્રેસના 630 પ્રવાસીઓએ IRCTCની રીફંડ નીતિ અનુસાર રીફંડ માટે અરજી કરવાની રહેશે. વેરિફિકેશન કરાયા બાદ એમને વળતર ચૂકવવામાં આવશે.

અમદાવાદથી તેજસ એક્સપ્રેસ સવારે 6.40ને બદલે 2 મિનિટ મોડી ઉપડી હતી અને ત્યારબાદ બપોરે મુંબઈ 1.10 વાગ્યાને બદલે 2.36 વાગ્યે પહોંચી હતી. ટ્રેન મોડી પહોંચવાનું કારણ હતું, મુંબઈની હદમાં ભાયંદર-દહીસર સ્ટેશનો વચ્ચે રેલવે લાઈનમાં ઊભી થયેલી કોઈક ટેકનિકલ ખામી.

પશ્ચિમ રેલવેના પ્રવક્તાએ કહ્યું કે દહિસર અને ભાયંદર સ્ટેશનો વચ્ચે ફાસ્ટ લાઈન ઉપર બપોરે 12.15 વાગ્યાથી ઓવરહેડ વાયરમાં ખામી ઊભી થઈ હતી અને એમાં પાવર બંધ થઈ ગયો હતો. એને કારણે ટ્રેનો અટકી ગઈ હતી. 12.30 વાગ્યે દહિસર અને મીરા રોડ સ્ટેશનો વચ્ચે અને 1.35 વાગ્યે મીરા રોડ અને ભાયંદર વચ્ચે પાવર પ્રસ્થાપિત કરી શકાયો હતો.

પરંતુ આ સમસ્યાને કારણે બપોરે 3.30 વાગ્યા સુધીમાં અનેક ઉપનગરીય ટ્રેનો રદ કરવી પડી હતી.

ઉલ્લેખનીય છે કે તેજસ એક્સપ્રેસ શ્રેણીની ટ્રેનો ખાનગી સ્તરની છે અને તેનું સંચાલન ભારતીય રેલવેની પેટા-કંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા કરવામાં આવે છે.

અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ આ શ્રેણીની બીજી ખાનગી ટ્રેન છે. એની કમર્શિયલ ધોરણે સેવા ગઈ 19 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી હતી.

તેજસ એક્સપ્રેસ તથા બીજી ઉપનગરીય ટ્રેનો તેમજ બહારગામની ટ્રેનો અટકી ગઈ હતી.

અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસમાં કુલ 849 પ્રવાસીઓ હતા, પણ એમાંના 630 જણે મુંબઈ સુધીની સફર કરી હતી. એમને વળતર ચૂકવવામાં આવશે.

IRCTCની નીતિ અનુસાર તેજસ એક્સપ્રેસ જો એક કલાક મોડી પડે તો પ્રવાસીઓને દરેકને રૂ. 100 અને જો બે કલાકથી વધારે સમય મોડી પડે તો પ્રત્યેકને રૂ. 250નું વળતર ચૂકવવામાં આવશે.

આનો અર્થ એ થાય કે બુધવાર માટે IRCTC તેજસ એક્સપ્રેસના પ્રવાસીઓને આશરે રૂ. 63,000ની ચૂકવણી કરશે. પ્રવાસીઓએ વળતર મેળવવા માટે IRCTCને ફોન કરવાનો રહેશે અથવા ઈમેલ મોકલવાનો રહેશે. એમણે કેન્સલ કરેલો એક ચેક મોકલવાનો રહેશે, પોતાની PNR વિગતો તથા સર્ટિફિકેટ ઓફ ઈન્શ્યુરન્સ (COI) નંબર પણ મોકલવાનો રહેશે.

રાશિ ભવિષ્ય 23/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો તમારો દિવસ સારો છે ઉત્સાહ તમારા વર્તનમાં જ દેખાઈ આવે, તમારા ધાર્યા કામ થઈ શકે છે , વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, કોઈ ધાર્મિકપ્રસંગકે સ્થળ પર જવાના યોગ છે, કોઈ સદ્કાર્યકે દાન કરવાની ઈચ્છા હોય તેપણ ફળીભૂત થવાથી ખુશીની સારી લાગણી અનુભવી શકો.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે અને તેમાં પ્રવાસનું આયોજન થઈ શકે છે, ક્યાંક નાણાકીયખર્ચ થાય, પ્રિયજન સાથે કોઈબાબતમાં વાર્તાલાપમાં બાંધછોડ કરવાની વૃત્તિ તમને લાભ અપાવી શકે છે, વેપારમાં ગણતરી પૂર્વકનુજ કામકાજ કરવું ઇચ્છનીય છે.


આજના દિવસે સાવચેતી રાખવી અને કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, મુસાફરી કંટાળાજનક અને સમયનાવ્યય વાળી બની શકે છે, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, શકય હોયતો ભક્તિમાં સમય વધુ ફાળવવો ઇચ્છનીય છે, એકંદર દિવસ શાંતિથી પસાર કરવો સારો.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળે અને પરિણામે કામપ્રત્યેનો અણગમો અને માનસિકથાકની લાગણી અનુભવાય, ક્યાંકને ક્યાંક ધીરજનો અભાવ વધુ વર્તાય. અગત્યના કામની  વાતચીતમાં ધીરજ અને ગણતરીપૂર્વક કામ કરવું યોગ્ય કહી શક્ય, વેપારમાં નાનું કામ કરવુજ  યોગ્ય છે,


આજનો દિવસ સરસ છે તમારામાં આત્મવિશ્વાસ સારો જોવા મળે, ભૂતકાળના કોઈ કામની કદર થાય તેમાં તમને સારા સંતોષની લાગણી અનુભવો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે વધુ મેહનતથી સારા ફળ મળે તેવી આશા રાખી શકાય. વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઇ શકે છે,


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ વાણીસયમ રાખવો જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે કોઈપણ બાબતપર વાદવિવાદ કરવો ઇચ્છનીય નથી કેમકે તેમની લાગણી દુભાઈ શકે છે, મનને એકાગ્ર કરવાથી શાંતિ અનુભવી શકશો.


આજનો દિવસ સારો છે, તમે તમારા પ્રિયજનને સારીરીતે કોઈબાબતમાં ખુશ કરી થોડું ધાર્યું કામ કરાવી લો તેવું બનવા જોગ છે, વેપારમાં અનુભવ મુજબ કામ લાભ કરાવી શકે છે, નજીકના કોઈ ધાર્મિકસ્થળ કે પ્રસંગમાં જવાથી તમને જૂનીઓળખાણ કે જુનાસ્મરણો તાજા થાય તેવું બની શકે છે.


આજનો દિવસે શાંતિ અને સાવચેતી રાખવી તેમાંપણ ખાસ ગુસ્સાને કાબુમાં રાખવો અને વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારમાં જોખમન કરવું, પ્રિયજન સાથે કોઈવાત બાબત દલીલબાજીન કરવી, ધાર્મિકબાબતમાં મન સ્થિર રાખશોતો શાંતિ સારી રહેશે.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ ભાગ્ય સાથ આપે તેવું કયાંક બની શકે,  વેપારમાં લાભ થઈ શકે છે, ધાર્મિકપ્રસંગકે ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે અને તેમાં કોઈ સદ્કાર્ય કરવાની ભાવના જાગે, જૂનીઓળખાણ તાજી થાય, તમારી પરોપકાર કરવાની વૃતી આજે વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય તેમજ કામકાજ બાબત વડીલકે ઉપરી  અધિકારી સાથે વાદવિવાદના કરવો. વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાયકે અપશબ્દ પ્રયોગના થાયતે બાબત ધ્યાન રાખવું જરૂરી છે, વેપારમાં નાનું કામ કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રો,પરિચિતો સાથે નવીનકાર્યનું આયોજન થઇ શકે છે તેમજ પ્રવાસ પણ ક્યાંક થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારું રહે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય કહી શકાય., આજે તમારામાં ધાર્મિકભાવના વધુ જોવા મળે અને ભક્તિ અને દાન કર્મ કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસે ધીરજ અને સાવચેતી રાખવી, તમને નકારત્મકવિચાર વધુ આવી શકે છે, વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, પાડવા-વાગવાથી સાચવવું, ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, અગત્યની વાતચીતમાં વ્યવહારુ અભિગમ રાખવો ઇચ્છનીય છે, વેપારમાં જોખમથી દુર રહેવું

વિકાસના કામો કે અવગણના?: ધારાસભ્ય કેતન ઇનામદારનું રાજીનામું

અમદાવાદઃ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપતા ભાજપને બહુ મોટો ફટકો પડ્યો છે. કેતન ઈનામદારે જણાવ્યું કે મારા વિકાસના કામો થઈ રહ્યા નથી અને એટલે જ હું રાજીનામું આપું છું. આ સાથે જ તેમણે સરકારી તંત્ર અને વહીવટી તંત્ર સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, તેઓ ઉપર સુધી રજૂઆતો કરી ચૂક્યા છે અને આમ છતા પણ મારા વિસ્તારમાં વિકાસના કાર્યો થયા નથી. આ ઉપરાંત તેમણે વહીવટી તંત્ર સામે પણ પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.

કેતન ઇનામદારે પોતાની અવગણના થઇ રહી હોવાની હૈયાવરાળ સાથે ઇમેઇલ મારફતે પોતાનું રાજીનામું પક્ષ અને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મોકલી આપ્યું છે. કેતન ઇનામદાર ઘણા સમયથી પક્ષ સામે અસંતોષ વ્યક્ત કરી ચુક્યા છે. સાંસદ રંજના બેન ભટ્ટ દ્વારા અગાઉ અનેક વખત તેમનાં મનામણા કરવામાં આવ્યા હતા. જો કે આખરે અસંતોષ અને અવગણનાને કારણે તેમણે રાજીનામું આપી દીધું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, બે ટર્મથી ધારાસભ્ય કેતનભાઇ અગાઉ પણ પોતાની અવગણના થઇ રહી હોવાની રજુઆત પક્ષ અને સાંસદો સહિતનાં અનેક લોકો સમક્ષ કરી ચુક્યા છે.

કેતન ઇનામદારે પોતે લખેલા પત્રમાં વસવસો વ્યક્ત કરતા જણાવ્યું કે, હું જે જનતાનો પ્રતિનિધિ છું તેનાં જ કામો નથી થઇ રહ્યા. મારી વારંવાર રજુઆતો કરવામાં આવી હોવા છતા પણ તેમની અવગણના થઇ રહી હોવાનું તેમણે રટણ કર્યું હતું. આ ઉપરાંત અધિકારીઓ પણ તેમની અવગણનાં કરતા હોવાનો વસવસો ઠાલવ્યો હતો. હાલ તો તેમનાં રાજીનામાને પગલે સમગ્ર ભાજપ અને ગુજરાતનું રાજકારણ ગરમાઇ ચુક્યું છે. તેમને મનાવવા માટે ભાજપનાં ઉચ્ચ કક્ષાનાં નેતાઓને તેમનાં સાવલી ખાતેનાં નિવાસ સ્થાને દોડાવવામાં આવ્યા છે.

પ્રજાસત્તાક દિને ગુજરાતની આ વિરાસત વિશ્વ આખું નિહાળશે

નવી દિલહીઃ રાષ્ટ્રના પ્રજાસત્તાક દિવસની નવી દિલ્હીમાં યોજાનારી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રાજ્ય તરફથી ‘રાણીની વાવ : જલ મંદિર’નો ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવશે. ગુજરાતના ગૌરવ સમી રાણીની વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપીને તેનું મહત્વ સ્વીકાર્યું છે. સભ્યતા-સંસ્કૃતિ અને અદભૂત કળાના સમન્વય સમી રાણીની વાવ જળ સંચયની ગુજરાતની પરંપરાનું બેનમૂન ઉદાહરણ છે. ગુજરાતની આ ભવ્ય વિરાસતને રજૂ કરતો ટેબ્લો રાષ્ટ્રીય પરેડમાં સમગ્ર રાષ્ટ્ર માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. દેશના જુદા-જુદા ૧૬ રાજ્યોના ટેબ્લો આ રાષ્ટ્રીય પરેડ માટે પસંદગી પામ્યા છે. આ ઉપરાંત ભારત સરકારના વિવિધ ૬ વિભાગોના ટેબ્લો પણ આ પરેડમાં રજૂ થશે.

ગુજરાતના પાટણ જિલ્લામાં ઐતિહાસિક સરસ્વતી નદીના સાનિધ્યમાં ૧૧મી સદીમાં રાણી ઉદયમતીએ પોતાના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ (પહેલા)ના સ્મરણાર્થે બનાવેલી સાત માળની આ વાવ ખરેખર તો શિલ્પ-સ્થાપત્યના બેનમૂન નમૂનારૂપ મંદિર જેવી ભવ્ય છે. વાવ અને જળાશયો ગુજરાતની જીવાદોરી રહ્યા છે, ત્યારે રાણીની વાવનું વર્ષોથી જલમંદિર તરીકે વિશેષ મહાત્મ્ય રહ્યું છે.

આ ટેબ્લોમાં રાણીની વાવની ભવ્યતાને કલાત્મક રીતે પ્રસ્તુત કરાશે. જળસ્ત્રોતનું મહત્વ દર્શાવવા ટેબ્લોના અગ્ર ભાગમાં પાણી ભરેલાં માટલાં સાથેની ગ્રામીણ ગુજરાતણનું વિશાળ શિલ્પ મુકવામાં આવ્યું છે. રાણીની વાવમાં શેષ શૈયા પર બિરાજમાન ભગવાન વિષ્ણુનું શિલ્પ મુખ્ય છે. આ શિલ્પની પ્રતિકૃતિ પણ ટેબ્લોના અગ્ર ભાગને શોભાવશે.

પાટણ હાથશાળનાં પટોળા માટે પણ પ્રસિદ્ધ છે. સમગ્ર વિશ્વને ગુજરાતની આ બેનમૂન હસ્તકળાનો પણ પરિચય થાય એ હેતુથી ટેબ્લોની બંને બાજુએ હાથવણાટના પટોળાની ભાત પાડવામાં આવી છે.

ટેબ્લોના ટ્રેલર પાર્ટમાં ભગવાન વિષ્ણુના દશાવતારની મુખ્ય થીમની સાથે-સાથે ભારતીય શાસ્ત્રીય પરંપરામાં સ્ત્રીના સોળ શણગાર દર્શાવતા શિલ્પોને કલાત્મક રીતે કંડારવામાં આવ્યા છે. ટેબ્લોની બન્ને તરફથી નાગરિકો આ સુંદર શિલ્પો નિહાળી શકશે. વાસ્તવિક રૂપે સાત માળની આ વાવના ત્રણ માળ પ્રતિકાત્મક રૂપે દર્શાવવામાં આવ્યા છે. જેને કળાત્મક સ્તંભો અને પગથિયાં સાથે પ્રસ્તુત કરાયા છે. વચ્ચે પાર્ટીશન દીવાલ પર બુદ્ધ અને દેવી-દેવતાની પ્રતિમા કંડારવામાં આવી છે. ટેબ્લોની પાછળના ભાગે ભગવાન વિષ્ણુના વામન અવતારની સુપ્રસિદ્ધ પ્રતિમાની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી છે. આમ રાણીની વાવનો આ ટેબ્લો પણ કળાનો બેનમૂન નમૂનો બની શક્યો છે.

ગુજરાત સરકારના રાણીની વાવના ટેબ્લો સાથે કુલ ૨૬ કલાકારો પણ ગુજરાતની કલા- સંસ્કૃતિને દિલ્હીના રાજમાર્ગ પર રજૂ કરશે. ટેબ્લોની ઉપર રાણીની વાવમાં વટેમાર્ગુને પાણી પીવડાવતી ગુજરાતી નાર, વાવમાં પાણી ભરવા જતા મા-દીકરી સહિત કુલ 10 કલાકારો હશે. અમદાવાદની પ્રકાશ હાયર-સેકન્ડરી સ્કૂલની પાંચ વર્ષની વિધાર્થીની કુ. આજ્ઞા સોની અને ૧૦ વર્ષની વિદ્યાર્થીની કુ. ધ્યાના સોની બાળ પનિહારી તરીકે પ્રસ્તુત થશે. સૌથી નાની વયની આ બંન્ને બાલિકાઓ સમગ્ર પરેડમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત ૧૬ કલાકારો હાથમાં મટુકી લઈને ગુજરાતી ગરબો “હું તો પાટણ શે’રની નાર જાઉં જળ ભરવા, મારે હૈયે હરખ ના માય, જાઉં જળ ભરવા….”ગાતાં ગાતાં  રાણીની વાવના ટેબ્લો સાથે પરેડમાં જોડાશે.

લ્યો, કહે છે કે બંધારણમાં તો બજેટ જેવો શબ્દ જ નથી!!

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2020-21 રજૂ કરશે. આ તેમનું અને મોદી 2.0 નું બીજું બજેટ હશે. દેશના સામાન્ય લોકો, ઉદ્યોગપતિઓ અને વિશ્લેષકોને આ બજેટથી ખૂબ અપેક્ષાઓ છે. સીતારમણ એવા સમયે આ બજેટ રજૂ કરશે જ્યારે તાજેતરમાં જાહેર પહેલા અનુમાનો અનુસાર દેશનો જીડીપી ગ્રોથ ચાલુ નાણાકીય વર્ષમાં પાંચ ટકા રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. બજેટ શબ્દનો ઉલ્લેખ ભલે દરેક વ્યક્તિ કરે છે પરંતુ શું તમને ખ્યાલ છે કે ભારતના સંવિધાનમાં બજેટનો ઉલ્લેખ પણ નથી. ભારતીય સંવિધાનના આર્ટિકલ 112 માં ‘Annual Financial Statement’ એટલે વાર્ષિક નાણાકીય વિવરણનો ઉલ્લેખ છે. બજેટ શબ્દની ઉત્પત્તિ લેટિન ભાષાના શબ્દ બુલ્ગા સાથે થયેલી છે. બુલ્ગાનો અર્થ થાય છે ચામડાનો થેલો.

આઝાદી બાદ દેશનું પ્રથમ કેન્દ્રીય બજેટ 26 નવેમ્બર 1947 ના રોજ આરકે શનમુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું. 26 જાન્યુઆરી, 1950 ના રોજ ગણતંત્ર જાહેર કર્યા બાદ જોન મથાઈ 29 ફેબ્રુઆરી 1950 ના રોજ ભારતીય ગણરાજ્યનું બજેટ રજૂ કર્યું હતું.

દેવગોડાની સરકારમાં નાણામંત્રી રહેલા પી.ચિદમ્બરમે નાણાકીય વર્ષ 1997-98 ના બજેટમાં ઈન્ડિવિડ્યુઅલ ઈનકમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો હતો. આ સીવાય ઘણા પ્રકારના આર્થિક સુધારા કરવામાં આવ્યા હતા. એટલા માટે આ બજેટને આજે ડ્રીમ બજેટ નામથી ઓળખવામાં આવે છે.

દેશના પૂર્વ વડાપ્રધાન અને નાણામંત્રી મોરારજી દેસાઈએ સૌથી વધારે દસ વાર કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમ આ મામલામાં બીજી અને પ્રણવ મુખર્જી ત્રીજા નંબર પર છે. ચિદમ્બરમે 9 વખત જ્યારે મુખર્જીએ 8 વખત સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે.

તત્કાલીન નાણામંત્રી યશવંતરાવ બી ચૌહાણ દ્વારા 1973-74 ના બજેટને બ્લેક બજેટ કહેવામાં આવે છે. ખૂબ મોટી ખોટ થવાના કારણે તેને બ્લેક બજેટ કહેવામાં આવે છે.

છેવટે રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને શરતી જામીન

અમદાવાદઃ રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને કોર્ટે જામીન આપ્યા છે. સેશન્સ કોર્ટે હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કર્યા છે. હવે પછી કેસની તારીખમાં ફરજિયાત હાજર રહે તેવો કોર્ટે હાર્દિકને આદેશ આપ્યો છે. તો બીજી તરફ, હાર્દિકના વકીલે પણ કોર્ટને બાંહેધરી આપી છે કે બીજી વાર હાર્દિક દ્વારા આવી ભૂલ નહિ થાય.પાટીદાર અનામત આંદોલન મામલે રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ ગેરહાજર રહેતા કોર્ટે તેમની સામે બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યુ કર્યું હતું. હાઈકોર્ટની વારંવાર સૂચના હોવા છતાં વાંરવાર તેઓ કોર્ટમાં ગેરહાજર રહેતા હતાં એવું સેશન્સ કોર્ટનું અવલોકન હતું. આ ઉપરાંત કેસમાં હાજર રહેવામાંથી મુક્તિની હાર્દિકે કરેલી અરજી પણ કોર્ટે ફગાવી. 18 જાન્યુઆરીના રોજ પાટીદાર નેતા હાર્દિક પટેલની ચપોલીસે વિરમગામ નજીકની હાંસલપુર ચોકડીથી અટકાયત બાદ ધરપકડ કરાઈ હતી.

વર્ષ 2016ના પાટીદાર અનામત આંદોલન સમયના મામલામાં હાર્દિકની ધરપકડ કરાઈ હતી. આ દરમિયાન હાર્દિક પટેલ, કેતન પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો. આ કેસ હાલ સેશન્સ કોર્ટમાં ચાલે છે. ત્યારે કોર્ટમાં વારંવાર હાજર ન રહેતા તેની ધરપડક કરવામાં આવી હતી. મુદતમાં હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે એડિ.સેશન્સ જજ બી.જે.ગણાત્રાએ ધરપકડ વોરંટ કાઢ્યું હતું.

ચંદ્રયાન-3 પર કામ શરુ: અંતરિક્ષ યાત્રીઓ તાલીમ માટે રશિયા જશે

બેંગ્લોરઃ ગગનયાન મિશન અને ચંદ્રયાન-3 મામલે ઈસરો ચીફ કે. સિવને જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે ચંદ્રયાન-3 પર કામ શરુ થઈ ગયું છે. ગગનયાન મિશનને લઈને ઈસરો ચીફે જણાવ્યું કે, 4 અંતરિક્ષયાત્રીઓની આના માટે પસંદગી કરવામાં આવી છે અને તેઓ આ મહિનાના અંત સુધીમાં ટ્રેનિંગ માટે રશિયા જશે. 1984 માં રાકેશ શર્મા, રશિયન મોડ્યૂલ દ્વારા ચંદ્ર પર ગયા હતા પરંતુ આ વખતે ભારતીય અંતરિક્ષ યાત્રીઓ ભારતથી ભારતીય મોડ્યુલમાં જશે. આ સીવાય ગગનયાન મિશનમાં અંતરિક્ષ યાત્રીઓની તબિયતની દેખરેખ માટે ભારતીય ફ્લાઈટ સર્જનોની પણ ટ્રેનિંગ શરુ થઈ ગઈ છે. આ પ્રક્રિયા ફ્રાંસમાં ચાલુ છે.

આ મહિનાની શરુઆતમાં સિવને જણાવ્યું હતું કે ચંદ્રયાન-3 નું કન્ફિગ્યુરેશન ઘણા અંશે ચંદ્રયાન-2 જેવું જ છે, પરંતુ નવા મિશનમાં પ્રપલ્શન મોડ્યુલ સાથે રોવર હશે. ચંદ્રયાન-2 માં અમારી પાસે ઓર્બિટર, લેન્ડર અને રોવર કન્ફિગ્યુરેશન હતું. તેમણે આગળ જણાવ્યું કે ચંદ્રયાન-3 માટે ખર્ચ આશરે 250 કરોડ રુપિયા હશે.

ઈસરો ચીફે ગગનયાન મિશનને લઈને કહ્યું કે, આનાથી માત્ર મનુષ્યોને અંતરિક્ષમાં નથી મોકલવા ઈચ્છતા પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહયોગના અવસર પેદા કરવા ઈચ્છીએ છીએ. આ મિશન એજન્સિઓ, ભારતીય વાયુસેના અને ઈસરો વચ્ચે સહયોગની મિસાલ છે. તેમણે આગળ કહ્યું કે, અમે ભવિષ્યમાં લોકોનું ભલુ કરવા માટે કામ કરવા ઈચ્છીએ છીએ. આના માટે અમે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર સમજૂતી અને સહયોગ કરીશું.