Home Blog Page 4615

હૈદરાબાદમાં આભ ફાટ્યું, ભારે વરસાદથી અનેક ભાગોમાં પૂર…

તેલંગાણાના પાટનગર હૈદરાબાદમાં તથા તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયામાં બે વખત પડેલા ભારે વરસાદને પગલે પૂર આવતાં ભારે વિનાશ સર્જાયો છે. વરસાદી દુર્ઘટનાઓમાં બે વ્યક્તિનું મરણ થયું છે. હવામાન વિભાગે હૈદરાબાદ માટે ‘યેલો વોર્નિંગ’ ઘોષિત કરી હતી. ભારે વરસાદને કારણે અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

અનેક પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાઈ ગયેલા લોકોને રબરની હોડીઓની મદદથી ઉગારવામાં આવ્યા હતા.

હવામાન વિભાગે આગાહી કરી છે કે સોમવારે ફરી ભારે વરસાદ ત્રાટકવાની સંભાવના છે.

5G સ્માર્ટફોન રૂ.2,500-3,000માં વેચવાનો રિલાયન્સ જિયોનો પ્લાન

મુંબઈઃ રિલાયન્સ જિયો તેના 5G સ્માર્ટફોન્સ રૂ. 5,000થી પણ ઓછા ભાવે લોન્ચ કરવા ધારે છે અને ત્યારબાદ વેચાણ વધવા લાગશે તે પછી ધીમે ધીમે એની કિંમત પ્રતિ ફોન રૂ. 2,500-3,000 સુધી ઘટાડી દેશે.

નામ જાહેર ન કરવાની શરતે કંપનીના એક અધિકારીએ કહ્યું છે કે હાલ 2G જોડાણવાળા ફોન વાપરતા 20-30 કરોડ જેટલા સેલફોન ધારકોને અમારી કંપની 5G ફોનના વેચાણ માટે ટાર્ગેટ બનાવશે.

આ સમાચાર વિશે સત્તાવાર સમર્થન આપવા વિશે જિયોનો સંપર્ક સાધવાના પ્રયાસ નિષ્ફળ ગયા છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં હાલ 5G સ્માર્ટફોન રૂ. 27,000થી શરૂ થતી પ્રાઈસ રેન્જમાં ઉપલબ્ધ છે.

જિયો પહેલી કંપની છે જેણે ભારતમાં મફતમાં 4G મોબાઈલ ફોન આપવાનું શરૂ કર્યું હતું. એ વખતે ગ્રાહકોને જણાવાયું હતું કે તેઓ જિયો ફોન માટે રૂ. 1,500ની રકમની ડિપોઝીટ ચૂકવે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની 43મી સામાન્ય વાર્ષિક સભામાં કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ એવો દાવો કર્યો હતો કે એમની કંપની ભારતને 2G-મુક્ત કરાવશે (એટલે કે 2G જોડાણથી મુક્ત). તેમણે એમ પણ કહ્યું હતું કે હાલ દેશમાં 2G ફીચર ફોન વાપરતા આશરે 35 કરોડ જેટલા યૂઝર્સ છે અને એમને વાજબી કિંમતે સ્માર્ટફોનમાં બદલી નાખવાની જરૂર છે.

અંબાણીએ તો એમ પણ કહ્યું હતું કે ભારત 5G યુગમાં પ્રવેશ કરવા માટે સજ્જ છે.

હાલ ભારતમાં 5G સેવા ઉપલબ્ધ નથી

હાલ દેશમાં 5G ટેલિકોમ સેવા ઉપલબ્ધ નથી. સરકારે હજી સુધી કોઈ પણ ટેલિકોમ ઓપરેટર કંપનીને ફિલ્ડ ટ્રાયલ માટે 5G સ્પેક્ટ્રમની ફાળવણી કરી નથી. જોકે ચાલુ નાણાકીય વર્ષમાં ટ્રાયલ શરૂ થવાની ધારણા રખાય છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે આવતા નાણાકીય વર્ષમાં દેશમાં 5G સેવા વ્યાપારી ધોરણે શરૂ થઈ જશે.

રિલાયન્સ જિયો કંપની તેના પોતાના 5G નેટવર્ક ઈક્વિપમેન્ટ્સ પર કામ કરી રહી છે. એણે તેના ટેસ્ટિંગ માટે સ્પેક્ટ્રમ ફાળવવાની દેશના ટેલિકોમ વિભાગને વિનંતી કરી છે. સરકારે હજી કંપનીને જવાબ આપ્યો નથી.

Chitralekha Marathi – October 26, 2020

PDF Version
This post is only available to members.

શિયાળો આવે છે, કોરોના ગયો નથી, સૂપ પીવાના હોવ તો આટલું જાણી લેજો…

તાજા લીલા શાકભાજીમાંથી બનાવેલા સૂપ કોને ન ભાવે? ખાસ કરીને ઠંડીની મોસમમાં સૂપની મજા જ કંઈક અલગ હોય છે. જો કે આજકાલ જે પ્રકારનાં સૂપ પીવાઇ રહ્યા છે તેમાંથી મોટા ભાગના સ્વાદપ્રદ તો છે પરંતુ સ્વાસ્થ્યપ્રદ નથી. આ વાત કહી રહ્યા છે અખંડાનંદ કોલેજના આયુર્વેદાચાર્ય અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડાયટિશિયન.

હાલ ઋતુસંધિકાળ ચાલી રહ્યો છે. આ ચોમાસાની વિદાય અને શીયાળાના આગમન વચ્ચેનો સમય છે. ઉપરાંત કોરોના પણ વત્તા-ઓછા પ્રમાણમાં યથાવત છે. લોકો સ્વાસ્થ્યવર્ધન માટે જાગૃત અને પ્રયત્નશીલ બન્યા છે. અત્યારે ઔષધિય ઉકાળાનું સેવન પ્રચલનમાં છે. જ્યારે સૂપ વર્ષોથી લોકોના આહારનો ભાગ છે. ખાસ કરીને શિયાળામાં વિવિધ શાકભાજીના સૂપનું સેવન કરવામાં આવે છે.

શિયાળો નજીક છે ત્યારે કોરોના સંક્રમણના પરિપ્રેક્ષ્યમાં સૂપના સેવન બાબતે તજજ્ઞોએ રજૂ કરેલા તેમના મત જાણવા હિતાવહ છે.

 પેકેજ્ડ સૂપમાં ‘કોર્ન સ્ટાર્ચ’ કફ પ્રેરક છે-કોરોના કાળમાં અત્યંત જોખમી

– વૈદ્ય ધર્મેન્દ્ર જાની, દ્રવ્યગુણ વિભાગાધ્યક્ષ, અખંડાનંદ આયુર્વેદિક કોલેજ

અખંડાનંદ આયુર્વેદિક કોલેજના દ્રવ્યગુણ વિભાગાધ્યક્ષ વૈદ્ય ધર્મેન્દ્ર જાનીના જણાવ્યા અનુસાર સૂપ વ્યક્તિને સુપાચ્ય હોય તે પ્રથમ શરત છે. શાકભાજી કરતા તેનો સૂપ વધુ પાચ્ય હોય છે. પરંતુ આપણી બદલાતી આહાર શૈલીએ ક્યાંક સૂપને પચવામાં ભારે તો નથી બનાવી દીધાને તે ચકાસવું જોઈએ.

વૈદ્ય ધર્મેન્દ્ર જાની

તેઓ કહે છે કે, બજારમાં મળતા પેકેજ્ડ સૂપ પાઉડરમાં સૂપ ઘટ્ટ બને તે માટે ‘કોર્ન સ્ટાર્ચ’ ઉમેરવામાં આવે છે. આ ‘ કોર્ન સ્ટાર્ચ’  કફ પ્રેરક છે, શરીરમાં કફ બનાવવા માટે ટ્રીગર ફેક્ટરનું કામ કરે છે જે કોરોના કાળમાં અત્યંત જોખમી છે. વ્યક્તિને તલપ લાગે તેવા ટેસ્ટ એન્હાન્સર દ્રવ્યો સૂપમાં ઉમેરવામાં આવે છે. અંતે સૂપ પચવામાં ભારે બને છે. આવા પેકેજ્ડ સૂપ સ્વાદિષ્ટ હોઈ શકે પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કોઈ ખાસ ફાયદાકારક નથી તેમ તેઓ ઉમેરે છે.

વૈદ્ય જાની કહે છે કે બાજારુ સૂપ બાળકો માટે નુકસાનકારક છે. મોનોસોડિયમ ગ્લુકોમેટ ધરાવતા તથા સ્પાઇસી (તીખા) સૂપ બાળકોને આપવા યોગ્ય નથી. આયુર્વેદમાં મેડિસિનલ પ્લાન્ટ ડીક્ષનરી (ઔષધિય વનસ્પતિની નામાવલી) ઉપલબ્ધ છે જેને નિઘંટુ કહે છે તેમાં પણ સ્વાસ્થ્ય વર્ધન માટે તથા સુપાચ્ય આહાર તરીકે સૂપસ્ય શાક અર્થાત શાકભાજીના અર્કનું સેવન કરવા કહેવાયું છે.

સૂપને સ્વાદિષ્ટ બનાવવા વધુ પડતા સોલ્ટ, સુગર અને સેચ્યુરેટેડ ફેટના ઉમેરણ જોખમી, સૂપ ઘરે જ બનાવી પીવો

– ક્લિનિકલ ડાયેટિશિયન કરિશ્મા પટેલ, સિવિલ હોસ્પિટલ અમદાવાદ

ક્લિનિકલ ડાયેટિશિયન કરિશ્મા પટેલ જણાવે છે કે, સૂપને સ્વાદિષ્ટ બનાવવા વધુ પડતા સોલ્ટ, સુગર અને સેચ્યુરેટેડ ફેટના ઉમેરણ સ્વાસ્થ્ય માટે જોખમી છે. જોગસ પાર્ક કે ફૂટપાથ પર મળતા સૂપમાં જો સોલ્ટ-સુગર વધુ હોય તો તેનાથી બચવું જોઈએ. ઘરે જ બનાવેલા સૂપ પીવા હિતાવહ છે.

કરિશ્મા પટેલ

આ ઉપરાંત આદુ લસણ વાળા સૂપ માનવ શરીરમાં રહેલા મ્યુક્સને પાતળું કરે છે જે શિયાળામાં જરૂરી છે. મ્યુક્સ ફેફસા, ગળું અને નાકમાં વહેતું ઘટ્ટ પ્રવાહી છે.

ટામેટાંમાં રહેલું લાઇકોપિન એન્ટી ઓક્સિડન્ટ તરીકે વર્તે છે. સ્ત્રીઓને બ્રેસ્ટ કેન્સર અને પુરુષોને પ્રોસ્ટેટ કેન્સર સામે રક્ષણ આપે છે તથા પાચનતંત્ર માટે લાભદાયી છે. સરગવો કેલ્શિયમ અને વિટામિન-એ માટે જરૂરી છે. બીટરૂટ રક્તશુદ્ધિ અને હિમોગ્લોબિન માટે આવશ્યક છે. આમ ટામેટા, સરગવો અને બીટનો સૂપ અતિ ગુણકારી છે તેમ તેણીએ ઉમેર્યું હતું.

 ઔષધિય ઉકાળા કડવા-તૂરા હોવા છતાં સૌથી વધુ લાભદાયી, બીજા નંબરે સૂપ અને જ્યુસનો ક્રમ ત્રીજો

– વૈદ્ય હર્ષિત શાહ, પ્રધાનાચાર્ય અખંડાનંદ આયુર્વેદિક કોલેજ

અખંડાનંદ આયુર્વેદિક કોલેજના પ્રધાનાચાર્ય વૈદ્ય હર્ષિત શાહના જણાવ્યા મુજબ ઔષધિય ઉકાળા કડવા-તૂરા હોવા છતાં સૌથી કોરોના કાળમાં સૌથી વધુ લાભદાયી છે, બીજા નંબરે સૂપ અને જ્યુસનો ક્રમ ત્રીજો આવે છે.

વૈદ્ય હર્ષિત શાહ

તેઓ કહે છે કે, જ્યુસ એ ફળોનો ગાળેલો રસ-અર્ક છે જેમાં ફાઈબર-રેસાનો અભાવ હોય છે. વળી જ્યુસ ઠંડા પીણા તરીકે પીવાય છે. જયારે સૂપમાં ફાઈબર સહીત પોષક તત્વો હોય છે. આથી શિયાળામાં સૂપનું સેવન લાભકારી છે.

ઉલ્લેખનીય છે કે સૂપ સદીઓથી ભારતીય આહારનો ભાગ છે. આયુર્વેદ સહિતના સંસ્કૃત ગ્રંથો ઉપરાંત પાલી ભાષામાં લખાયેલા બૌદ્ધ ગ્રંથોમાં પણ સૂપા (સૂપ)નો ઉલ્લેખ છે. ઓલ્ડ લેટીન ભાષામાં તેને સુપ્પા કહેવાય છે તો અંગ્રેજીમાં બ્રોથ અને સ્ટોક પણ કાહેવાય છે.

આમ તો સૂપ પીવાનો કોઈ નિશ્ચિત સમય નથી પરંતુ જમ્યા પહેલા જ સૂપનું સેવન હિતાવહ છે. લિક્વિડ ડાયેટ પર રહેનાર વ્યક્તિ માટે સૂપ આરોગ્યપ્રદ છે. વહેલી સવારે કે સાંજે કસરત બાદ પંદર-વીસ મિનિટ પછી જ સૂપ પીવો હિતાવહ છે.

વિવિધ શાકભાજી, પર્ણો, કંદમૂળ, કઠોળ અને અનાજમાંથી સૂપ બનાવવાની રેસીપી પણ ઇન્ટરનેટ પરથી પણ મળી રહે છે પરંતુ ઉપર કહ્યું તેમ અમુક તકેદારી જરૂરી છે. તો ચાલો આગામી ઠંડી ઋતુમાં સુપાચ્ય સૂપના સેવન થકી સ્વાસ્થ્યના રક્ષણ અને સંવર્ધન માટે સંકલ્પબદ્ધ થઈએ.

મહારાષ્ટ્રના રાજ્યપાલે ઠાકરેને લખેલા પત્રથી અમિત શાહ નારાજ

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ગયા અઠવાડિયે લખેલા પત્ર મામલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને શાસક ભારતીય જનતા પાર્ટીના ‘ચાણક્ય’ અમિત શાહે નારાજગી વ્યક્ત કરી છે.

આ પત્ર વિશે પૂછતાં એમણે કહ્યું કે, ‘મેં એ પત્ર વાંચ્યો છે. રાજ્યપાલે પત્ર લખતી વખતે અમુક શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈતું હતું.’

અમિત શાહના આ નિવેદનને પગલે કેન્દ્ર સરકાર રાજ્યપાલ કોશિયારી સામે શું પગલાં લે છે એ જોવાનું રહ્યું, કારણ કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે તે રાજ્યપાલ કોશિયારીને એમના પદ પરથી હટાવી લે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં મંદિરો ફરી ખોલવાની પરવાનગી ન આપતાં રાજ્યપાલ કોશિયારીએ એના વિરોધમાં ઠાકરેને એક પત્ર લખ્યો હતો. એ પત્રમાં એમણે ઉદ્ધવ ઠાકરેના હિન્દુત્વનો હવાલો આપીને મંદિર ફરી ખુલ્લા મૂકવાની વિનંતી કરી હતી.

કોશિયારીએ પત્રમાં ઠાકરેને એવી ટિપ્પણી પણ કરી છે કે, ‘તમે તો હવે ‘સેક્યૂલર’ બની ગયા છો.’

ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલના તે પત્રનો અત્યંત સંયમશીલ પરંતુ કડક ભાષામાં જવાબ આપ્યો હતો.

અરબી સમુદ્રમાં ‘બ્રહ્મોસ’ મિસાઈલનું પરીક્ષણ સફળ રહ્યું

મુંબઈઃ ભારતે સુપરસોનિક ક્રૂઝ ‘બ્રહ્મોસ’ મિસાઈલના પરીક્ષણમાં આજે સફળતા હાંસલ કરી બતાવી છે.

ભારતીય નૌકાદળના સ્વદેશી ટેક્નોલોજીથી બનાવેલા યુદ્ધજહાજ ‘INS ચેન્નાઈ’ પરથી ‘બ્રહ્મોસ’ ફાયર કરવામાં આવી હતી. એણે અરબી સમુદ્ર પરના આકાશમાં રહેલા ટાર્ગેટને સફળતાપૂર્વક તોડી પાડ્યું હતું.

ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) દ્વારા એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી હતી.

યુદ્ધજહાજ પરથી ફાયર કરાયેલી મિસાઈલે અત્યંત ઉચ્ચ સ્તરીય અને અત્યંત જટિલ એવા યુદ્ધાભ્યાસ બાદ લક્ષ્યાંકને એકદમ સચોટ રીતે ધ્વસ્ત કરી બતાવ્યું હતું.

‘બ્રહ્મોસ’ મિસાઈલને ભારતના ‘પ્રાઈમ સ્ટ્રાઈક વેપન’ (મુખ્ય મારક હથિયાર) તરીકે ગણવામાં આવી રહી છે.

આ મિસાઈલ કોઈ પણ મોસમમાં, દિવસ કે રાતના સમયે, સમુદ્ર કે જમીનની સપાટી પર અને હવે આકાશમાં 400 કિલોમીટર દૂર રહેલા ટાર્ગેટને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે.

આ મિસાઈલને કારણે ભારતીય નૌકાદળની તાકાત ઘણી વધી ગઈ છે.

‘બ્રહ્મોસ’ મિસાઈલને ભારત તથા રશિયાએ સાથે મળીને બનાવી છે.

બ્રહ્મોસ મિસાઈલ એવી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે, જેને સબમરીન, યુદ્ધજહાજ, ફાઈટર વિમાનો અને જમીન પરથી પણ ફાયર કરી શકાય છે.

સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે નવરાત્રી મહોત્સવમાં આરતી આરાધના શરૂ

અમદાવાદઃ શહેરમાં નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય એ માટે ગરબા મહોત્સવના મોટા પાયે આયોજનો બંધ રાખવામાં આવ્યા છે. શેરી, મહોલ્લા, રહેણાંક સોસાયટીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની શરત સાથે ફક્ત આરતી અને પૂજાની છૂટ આપવામાં આવી છે. આ સુરક્ષા નિયમો અંતર્ગત શહેરમાં ઘણાં સ્થળોએ માતાજીની સ્થાપના અને આરતી કરવામાં આવી હતી. કોરોનાના કપરા સમયમાં ઉત્સવો, તહેવારો, પ્રસંગોની મજા ફિક્કી પડી ગઈ છે. એમાંય નવરાત્રી મહોત્સવ સાથે તો હજારો લોકોના રોજગાર જોડાયેલા છે. જેઓ આ મહોત્સવમાં કમાણી કરી લેતા હોય છે. પરંતુ આ વખતે નવરાત્રી મોટા પાયે ઉજવણી બંધ રાખવામાં આવી છે. આ વખતે કોરોના બીમારીને કારણે ગામ, સોસાયટીઓમાં આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું નથી. મોટા કેમ્પસ, વધુ ગીચ વસ્તીવાળા વિસ્તારોવાળી ઘણી સોસાયટીઓએ નવરાત્રીનું આયોજન સદંતર બંધ રાખ્યું છે. જ્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં નાની સોસાયટીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમના પાલનની શરતે આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

‘વૈશ્વિક ભૂખ ઈન્ડેક્સ’માં ભારત 94મા સ્થાને

નવી દિલ્હીઃ વર્ષ 2020 માટે જાહેર કરવામાં આવેલા ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (વૈશ્વિક ભૂખ સૂચકાંક)માં ભારત 94મા નંબર પર છે. આ યાદીમાં 107 દેશોના નામ આપવામાં આવ્યા છે. ભારતનો સમાવેશ ભૂખની ‘ગંભીર’ શ્રેણીમાં કરવામાં આવ્યો છે.

નિષ્ણાતોનું કહેવું છે કે કંગાળ અમલીકરણ પ્રક્રિયાઓ, અસરકારક દેખરેખનો અભાવ અને કુપોષણની સમસ્યાનો સામનો કરવામાં મોટા રાજ્યોનો કંગાળ દેખાવ – આ બાબતો ભારતના આટલા નીચા રેન્કિંગ માટે મુખ્યત્વે જવાબદાર છે.

ભારત ગયા વર્ષે 117 દેશોની યાદીમાં 102મા નંબર પર હતું.

પડોશી દેશો બાંગ્લાદેશ, મ્યાનમાર અને પાકિસ્તાન પણ ‘ગંભીર’ શ્રેણીમાં મૂકાયા છે, પરંતુ એમનું રેન્કિંગ ભારત કરતાં થોડુંક સારું છે. બાંગ્લાદેશ 75, મ્યાનમાર 78 અને પાકિસ્તાન 88મા નંબર પર છે.

ગ્લોબલ હંગર ઈન્ડેક્સની વેબસાઈટ પર મૂકવામાં આવેલા અહેવાલ અનુસાર, ભારતની કુલ વસ્તીના 14 ટકા લોકો કુપોષણનો શિકાર બન્યા છે.

રાશિ ભવિષ્ય 18/10/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામકરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.


આજે સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે, ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગ અંગે ચર્ચા-વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો યોગ્ય છે.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા કે લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવા જેમાં પ્રયત્ન સફળ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાય કે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે, આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, પ્રિયજન તરફથી સારી વાત જાણવા મળે.


થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીના દર્દ હોય તેવા લોકો માટે આજે તકેદારી રાખવી, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ખાસ ધ્યાન રાખવું.


આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવા પણ યોગ છે. લગ્નબાબતની વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્ર, ના કામ કરનારને સારું રહે, જુના કોઈકામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, કોઈની ખોટીદોરવાણીથી ઉશ્કેરાઈના જવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્ર, ના કામ કરનારને સારું રહે, જુના કોઈકામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, કોઈની ખોટીદોરવાણીથી ઉશ્કેરાઈના જવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારી વાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. લગ્નમાટેની મિલનમુલાકાત આજે આશાસ્પદ બને તેવા યોગ પણ છે.

વાહ ભાઈ વાહ! ૧૭ ઓક્ટોબર, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૧૭ ઓક્ટોબર, ૨૦૨૦