Home Blog Page 4623

વાહ ભાઈ વાહ! ૧૦ ઓક્ટોબર, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૧૦ ઓક્ટોબર, ૨૦૨૦

૧૦ ઓક્ટોબર ૨૦૨૦

૧૦ ઓક્ટોબર ૨૦૨૦

રાશિ ભવિષ્ય 10/10/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો તેમજ ગુસ્સા પર કાબુ રાખવો પણ જરૂરી છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું કહી શકાય, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફ વાળાએ થોડું સાચવવું, ક્યાંક મનોરંજન પાછળ ધાર્યા કરતા વધુ ખર્ચ થઈ જય અને તેના કારણે મન થોડું અશાંત બની જાય.


આજનો દિવસ તમારો સરસ છે અને તમને ઉત્સાહ પણ સારો જોવા મળી રહે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય અને તેમાં પણ તમેને કોઈનો સારો સહયોગ સાંપડે જેની તમે સારી ખુશી અનુભવો, જુના મતભેદ ભૂલવાની તક મળે, પ્રિયજન સાથે દિવસ દરમિયાન સારી લાગણી અને યાદોનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ પણ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમને માનસિકથાકની લાગણી વધુ અનુભવો, કોઈ જગ્યાએ મિલન મુલાકાતમાં તમારો ઉત્સાહ થોડો ઓછો જોવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જાગે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે જેથી તમે ખોટા વાદવિવાદથી દુર રહી શકો, વાહન ધીમે ચલાવવું, કફ,છાતી,પ્રેસર જેવી તકલીફ ભોગવતા લોકોએ આરોગ્યબાબતે થોડું સાચવવું, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું થોડું ધ્યાન રાખવું સારું કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેમજ મનમાં થોડી અશાંતિ રહે તેવું લાગે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી,સોના-ઝવેરાત,ફાર્માક્ષેત્રમાં કામ કરનારવર્ગ ને માનસિકથાકની લાગણી વધુ રહે તેમજ કોઇપણ પ્રકારના તમારા કામમાંકે મુલાકાતમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો સારો.


આજનો દિવસ સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો બની શકે છે , મનની ઈચ્છા પૂરી થઇ શકે, કોમ્પુટર,દલાલી,કમીશન,પત્રકાર,લેખનકામ ,કાનૂની,નાણાકીયસલાહકાર માટે આજે ઉત્સાહ સારો જણાય, લગ્નબાબત વાર્તાલાપકે મિલનમુલાકાત કરાવી સારી કહી શકાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવાકે વાગવાના યોગ બને છે માટે કાળજી રાખવી ,વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવવું, ચામડી,એલર્જી,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ  તકેદારી રાખવી, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ તમારા માટે સરસ કહી શકાય કારણકે તમારી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી ખુશી અનુભવો, તમારા કામની કદર થાય, જમીન,બાંધકામ,વાહનવ્યવહાર,ધાતુના કામકરનાર વર્ગને નવીનતક દેખાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક મળી શકે છે.


આજના દિવસ સાવચેતી અને ધીરજ રાખવી, વાહન ધીમે ચલાવવું, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, પેટ, આંતરડા,ડાયાબીટીસના દર્દી એ તકેદારી રાખવી, કોઈની પણ સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાકે અપશબ્દના બોલાય તેનું પણ ધ્યાન રાખવું, કામકાજમાં શાંતિથી પરોવાયા રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે ઉત્સાહ સારો રહે, મુસાફરી થઈ શકે  છે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે ફરવા જવાનો યોગ બને છે, અગત્યની  બાબત માટેની કોઇ જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત માટે સારા સંજોગો બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેવા સંજોગો છે, લાકડા,ચામડા,ધાતુ,ઓઈલ,પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રમાં કામકરનાર વર્ગને થોડી વ્યસ્તતા રહે, જુનાકામમાં ક્યાય અટવાયેલ હોવતો તેનો  જલ્દીથી ઉકેલન આવે તેવું બની શકે છે. કટાક્ષવાળા શબ્દપ્રયોગના કરવાની સલાહ છે .


આજનો દિવસ સામાન્ય છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય,મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગમાં રેફરન્સથી કામ કરોતો લાભ થઈ શકે છે, પ્રિયજન સાથે ખરીદી કરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય તેવા પણ સંજોગો છે.  અગત્યની બાબત માટેની વાર્તાલાપમાં કોઈનો ક્યાંક સહયોગકે માર્ગદર્શન પણ મળે તેવું બની શકે છે.

પંચાંગ 10/10/2020

(મયંક રાવલ)

વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને 2020નો નોબેલ શાંતિ પુરસ્કાર

ઓસ્લોઃ નોર્વેની નોબેલ સમિતિએ 2020ના નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરી દીધી છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામનો શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને પ્રભાવિત ક્ષેત્રોમાં ભૂખમરાથી લડવા અને શાંતિ જાળવવાથી જોડાયેલાં સરાહનીય કાર્યો માટે શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે. ઓસ્લોમાં આ ઘોષણા કરવામાં આવી હતી. ગ્રેટા થનબર્ગ સહિત 300થી વધુ નામો સામેલ હતાં, પણ સમિતિએ વિશ્વમાં ભૂખમરો દૂર કરવા ઝુંબેશમાં લાગેલી WFPને આ સન્માન આપ્યું હતું.

વિશ્વ ખાદ્ય કાર્યક્રમ વિશ્વનો સૌથી મોટી માનવીય સંસ્થા છે, જે ભૂખની સામે જંગ લડે છે અને ખાદ્ય સુરક્ષાને પ્રોત્સાહન આપે છે. 2019માં WFPએ 88 દેશોમાં 10 કરોડ લોકોને મદદ કરી હતી.

નોબેલ સમિતિ પસંદગીના ઉમેદવાર માટે સંપૂર્ણ પ્રાઇવસી રાખે છે, તેમ છતાં વિજેતાની ઘોષણા પહેલાં અટકળો ચાલુ હતી. આ વખતે અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ વર્ષે શાંતિ પુરસ્કાર જળવાયુ કાર્યકર્તા અને સ્વીડનના નાગરિક ગ્રેટા થનબર્ગ, નર્વ એજન્ટ  હુમલાથી બચેલા રશિયાના નેતા અલેક્સેઈ નવલ અને કોરોના વાઇરસના સંકટથી લડવા WHOને પુરસ્કાર અપાવાની શક્યતા હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું હતું કે તેમને આ પુરસ્કાર મળવો જોઈતો હતો. આ પુરસ્કાર માટે 318 ઉમેદવાર હતા, જેમાં 211 વ્યક્તિ અને 107 સંસ્થા સામેલ હતી. આ પુરસ્કાર માટેના નામાંકન માટે અંતિમ સમયમર્યાદા એક ફેબ્રુઆરી, 2020 હતી. એટલે કે એનો અર્થ થયો કે માર્ચમાં કોવિડ-19 રોગચાળો જાહેર કરવામાં આવ્યો હતો, એટલે કોરોનાયોદ્ધાઓમાંથી કોઈને પુરસ્કાર મળવાની સંભાવના નહોતી.

વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ શું છે?

વિશ્વ ખાદ્ય કાર્યક્રમ ભૂખમરો દૂર કરવા અને ખાદ્ય સુરક્ષા પર કેન્દ્રિત સંયુક્ત રાષ્ટ્ર એજન્સી છે. વિશ્વભરમાં ઇમર્જન્સીમાં એનું કામ છે એ જોવું છે કે જરૂરિયાતમંદો સુધી ખાદ્યસામગ્રી પહોંચે. ખાસ કરીને ગૃહ યુદ્ધ અને કુદરતી આપત્તિઓમાં. ભારતમાં વિશ્વ ખાદ્ય કાર્યક્રમ હવે સીધી ખાદ્ય સહાય આપવાને બદલે કેન્દ્ર સરકાર ટેક્નિકી મદદ અને ક્ષમતા નિર્માણ સેવાઓ આપે છે.

નોબેલ પુરસ્કારમાં કેટલું ઇનામ?

 

નોબેલ પુરસ્કાર હેઠળ સુવર્ણ પદક, રૂ. એક કરોડ સ્વિડિશ ક્રોના (આશરે રૂ. 8.27 કરોડ)ની રકમ આપવામાં આવે છે. સ્વિડિશ ક્રોના સ્વીડનનું ચલણ છે. આ પુરસ્કાર આલ્ફ્રેડ નોબેલના નામે આપવામાં આવે છે.

 

 

 

 

 

સૌપ્રથમ વાર ડબલ લંગ ટ્રાન્સપ્લાન્ટ

ચેન્નઈ :અપોલો હોસ્પિટલ્સ ગ્રુપે ભારતમાં કોરોના રોગચાળા દરમિયાન સૌપ્રથમ ડબલ લંગ ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. એ દર્દી 39 વર્ષની વય ધરાવતા હતા. જ્યારે દેશમાં રોગચાળાને કારણે લોકડાઉન લાગુ હતું, ત્યારે તેમના ફેફસાંની સ્થિતિ બહુ બગડી હતી અને પછી તેમનું ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. તેમને ECMO (એક્સ્ટ્રા કોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજેનેશન) પર રાખવામાં આવ્યાં હતાં, જેથી જ્યાં સુધી કોઈ દાતા પાસેથી ફેફસાં ઉપલબ્ધ ન થાય, ત્યાં સુધી તેમનું હૃદય અને ફેફસાંને સપોર્ટ મળે. ડબલ લંગ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી અપોલો હોસ્પિટલ્સ, ચેન્નાઈમાં 29 જુલાઈ, 2020એ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી અને મજબૂત રિકવરી પછી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. એ દર્દીને 27 ઓગસ્ટ, 2020એ રજા આપવામાં આવી હતી.

ધ અપોલો હોસ્પિટલ હાર્ટ એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ

વર્ષ 1994માં ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ ધ હ્યુમન ઓર્ગન્સ એક્ટ પસાર થયા પછી ટૂંક સમયમાં અપોલોમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામની શરૂઆત થઈ હતી. વર્ષ 1995માં નાતાલની પૂર્વસંધ્યાએ પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું હતું અને એને સારી સફળતા હતી, જેમાં દર્દી ભારતમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં સૌથી લાંબું જીવનાર દર્દી હતા. તેઓ 15 વર્ષ ઉચ્ચ ગુણત્તાયુક્ત જીવન જીવ્યા હતા.

હાલ દર્દીનું જીવન બચવાનો દર આંતરરાષ્ટ્રીય દરને સમકક્ષ છે, જે 83 ટકા લોંગ-ટર્મ સર્વાઇવલ અને 75થી 80 ટકા લોંગ ટર્મ સર્વાઇવલ રેટ છે. ટ્રાન્સપ્લાન્ટ પછી દર્દી 10 વર્ષથી વધારે જીવન જીવે છે અને અત્યારે સારું જીવન જીવી રહ્યા છે.

ડબલ લંગ ટ્રાન્સપ્લાન્ટ ઉત્કૃષ્ટ સફળતા

અપોલો હોસ્પિટલ્સ ગ્રુપના ચેરમેન ડો. પ્રતાપ સી રેડ્ડીએ જણાવ્યું હતું કે અમારો ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ વર્ષ 1995થી શરૂ થયો છે. કોવિડ-19ના સમયગાળા દરમિયાન આ ડબલ લંગ ટ્રાન્સપ્લાન્ટ ઉત્કૃષ્ટ સફળતા છે તથા લેટેસ્ટ મેડિકલ પ્રગતિ અને ટેકનોલોજીનો સ્વીકાર કરવાના અમારા અવિરત પ્રયાસને કારણે એ શક્ય બની છે, જે હેલ્થકેર ક્ષેત્રમાં અમારી લીડરશિપ પોઝિશનને મજબૂત કરે છે.

 

 

 

 

ગિરનાર પર કમંડળ કુંડમાં મોરારીબાપુની કથા

જૂનાગઢઃ ગિરનાર ક્ષેત્ર સાથે પૂજ્ય મોરારીબાપુનો એક વિશેષ અનુબંધ રહ્યો છે મહાશિવરાત્રિના પર્વમાં તેઓ ગિરનાર વિસ્તારમાં થોડા સમય માટે રહે છે અને નરસિંહ મહેતા એવોર્ડ પણ દર વર્ષે રૂપાયતન પરિસરમાં ગુજરાતી કવિને એનાયત થાય છે,  આ નાતો સતત ઉર્ધ્વગતિ અને દત્ત મહારાજના આશીર્વાદ પામતો રહ્યો છે જેના પરિણામરૂપે આસો મહિનાના આ નવરાત્રિ પર્વના દિવસો દરમિયાન મોરારીબાપુની ૮૪૯મી રામકથા ગિરનાર પર્વત પર પ્રખ્યાત અને પૌરાણિક કમંડલ કુંડની જગ્યામાં યોજવામાં આવી રહી છે.

ગિરનારની યાત્રા જેમણે કરી છે તેમને તો ખ્યાલ જ છે કે અંબાજીની ટૂક પછી ગોરખનાથનું શિખર આવે અને ત્યાંથી નીચે ઊતરીને દત્તાત્રેયજીના માર્ગ પર જતાં કમંડલ કુંડ આવે છે, ત્યાં દત્તાત્રેય ભગવાનનો ધુણો છે અને 3000 ફૂટની ઊંચાઈએ પણ અન્નક્ષેત્ર ચાલે છે. 17 ઓક્ટોબરથી એટલે કે આસો મહિનાના પહેલા નોરતાથી મોરારીબાપુ કમંડલ કુંડમાં શ્રોતા વગરની કથા કરશે.

મોરારીબાપુ ગિરનાર પર્વત પર પહેલી વાર કથા

2017માં માનસ નાગર, 2016માં માનસ રુખડ અને એ પહેલાં પણ જૂનાગઢમાં બાપુની કથા તો થઈ ચૂકી છે, પરંતુ કૈલાસ ક્ષેત્રમાં પણ રામકથાનું ગાન કરી ચૂકેલા મોરારીબાપુ ગિરનાર પર્વત પર પહેલી વાર કથા કરી રહ્યા છે. એક તો ૮૪ સિદ્ધ નવનાથ, 64 જોગણીની ઊર્જાથી ભરપૂર ગિરનાર,  આદિગુરુ ભગવાન દત્તાત્રેયની ટૂક તથા અક્ષય તપસ્થલીના આશ્રયમાં નજર સામે અને કમંડલ કુંડ જેવી ચેતનાવાન જગ્યા. એટલે એ કથાનું આભામંડળ તો અલૌકિક હોવાનું.

મોરારીબાપુએ ચિત્રલેખા.કોમ સાથે આ અંગે વાત કરતાં જણાવ્યું કે કોરોના સંદર્ભે સરકાર અને આરોગ્યતંત્રની જે કંઈ પણ માર્ગદર્શિકા અને નિયમો છે તેનું ચુસ્ત પાલન કરીને આ કથા યોજાશે. વાદ્ય કારો અને થોડા કાર્યકર્તા સિવાય કથામાં કોઈ શ્રોતા નહીં હોય. બાપુએ ઉમેર્યું કે નવરાત્રિમાં ગિરનારમાં અનુષ્ઠાન થાય એનો રાજીપો છે. દત્ત ભગવાન અને માતાજીને પ્રાર્થનાને દેશ-દુનિયામાંથી કોરોના જાય અને ફરી વિશ્વ ધબકતું થાય.

આસ્થા ચેનલ અને યુટ્યુબના માધ્યમથી આ કથા

કમંડલ કુંડની આ કથા કરવી એવો રાજકોટના જયંતીભાઈ ચાંદ્રા અને તેમના પરિવારનો મનોરથ હતો. ગિરનાર ક્ષેત્રના તમામ સાધુ-સંતો તથા વિવિધ જગ્યાના મહંતોના આશીર્વાદ જયંતીભાઈએ કથા માટે મેળવ્યા છે અને વન વિભાગથી લઈને સરકારી તંત્રની મંજૂરીની પણ ઔપચારિકતા પૂર્ણ કરી છે. તમામ નિયમોને આધીન રહીને કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આસ્થા ચેનલ અને યુટ્યુબના માધ્યમથી બધા આ કથાના શ્રોતા બનશે.

(જ્વલંત છાયા)

રિઝર્વ બેન્કે મહત્ત્વના વ્યાજદરો જાળવી રાખ્યા

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટીએ ચાવીરૂપ મહત્ત્વના વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટીએ વ્યાજદરોને ‘જૈસે થે’ રાખવાનો નિર્ણય લીધો છે. બેન્કે રેપો રેટ ચાર ટકા જાળવી રાખ્યો છે. MPCએ સર્વસમંતિથી આ નિર્ણય લીધો છે. રિવર્સ રેપો રેટ 3.35 ટકા જાળવી રાખવામાં આવ્યો છે.

આ પહેલાં ઓગસ્ટમાં RBIની MPCની બેઠક થઈ હતી, જેમાં વ્યાજદરોમાં કોઈ બદલાવ કરવામાં નહોતો આવ્યો. વળી, વ્યાજદરોમાં લઈને બેન્કે અકોમોડેટિવ વલણ જાળવી રાખ્યું છે. 

રેપો રેટ ચાર ટકા
રિવર્સ રેપો રેટ 3.35 ટકા
કેશ રિઝર્વ રેશિયોઃ  3 ટકા
બેન્ક રેટઃ  4.25 ટકા

 

RBI ગવર્નર શક્તિકાંત દાસે  અર્થતંત્ર વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું. ચાલુ નાણાકીય વર્ષમાં GDPમાં 9.5 ટકાનો ઘટાડાની શક્યતા છે, એમ તેમણે કહ્યું હતું. શક્તિકાંત દાસે તેમ છતાં કહ્યું હતું કે અર્થતંત્રમાં ઝડપથી રિકવરી આવશે. તેમણે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર, રિટેલ વેચાણમાં, નિકાસ અને એનર્જી ખપતમાં વૃદ્ધિ સહિત કેટલાંય ક્ષેત્રોમાં રિકવરીની વાત કરી હતી.

શક્તિકાંત દાસે આર્થિક કામકાજમાં તેજી લાવવા કેટલાય ઉપાયોનું એલાન કર્યું હતું. જે નીચે મુજબ છે.

  • આ વર્ષે ડિસેમ્બરમાં રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS)ની સુવિધા સાતે દિવસ 24 કલાક મળવા લાગશે.
  • હોમ લોનના રિસ્ક વેટેજમાં પણ બદલાવ કર્યો છે, એનાથી બધી નવી હોમ લોનનું રિસ્ક માત્ર લોનની વેલ્યુ લિન્કથી હશે.
  • કેન્દ્ર માટે વેજ એન્ડ મિન્સ એડવાન્સ (WMA)ની મર્યાદા 1.25 લાખ કરોડ રૂપિયા રાખવામાં આવી છે.
  • એક લાખ કરોડ રૂપિયા માટે ઓન-ટેપ TLTRO ચાર ટાના દરે માર્ચ, 2021 સુધી જારી રહેશે.
  • આગામી સપ્તાહે મધ્યસ્થ બેન્ક 20,000 કરોડ રૂપિયાનું OMC (ઓપન માર્કેટ ઓપરેશન) કરશે.

 

આ વર્ષે RBI રેપો રેટમાં 1.15 ટકાનો ઘટાડો કરી ચૂકી છે. આ વખતે મોનિટરી પોલિસી એક ઓક્ટોબરે આવવાની હતી, પરંતુ MPCના ત્રણ સભ્યો ખાલી હોવાથી એને એ વખતે ટાળવામાં આવી હતી. જોકે આ સપ્તાહે  ત્રણ નવા સભ્યોની નિમણૂક થઈ છે.

 

 

નવરાત્રિની ઉજવણી પર પ્રતિબંધ, સરકારે બહાર પાડી માર્ગદર્શિકા

અમદાવાદઃ તહેવારોની સીઝન શરૂ થવામાં છે, ત્યારે રાજ્યમાં કોરોના વધુ ના ફેલાય એ માટે સરકારે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લેતાં આગામી તહેવારોને અનુલક્ષીને નવરાત્રિ, દુર્ગા પૂજાથી માંડીને દિવાળી સુધીના તહેવારોની જાહેરમાં ઉજવણી પર પ્રતિબંધ મૂકી દીધો છે. રાજ્ય સરકારે નવરાત્રિ, દુર્ગા પૂજા, દશેરા, દિવાળી માટે માર્ગદર્શક સૂચનાઓ જારી કરી છે. આ માર્ગદર્શિકાનો અમલ 16 ઓક્ટોબર, 2020થી કરવાનો રહેશે.

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે અમે કોરોના મહામારીમાં AMAનો અભિપ્રાય અને મિડિયા રિપોર્ટ જોઈ નક્કી કર્યું છે. કોરોના મહામારીના કારણે ખૈલેયાઓમાં ગરબામાં નિયંત્રણ રહેશે નહીં માટે ગરબા નહીં જ કરી શકાય. માત્ર પૂજા-અર્ચના કરી શકશે, પણ ગરબા બિલકુલ નહીં કરી શકાય.

સરકારે નવરાત્રિના ગરબા, દશેરા દિવાળી, બેસતા વર્ષ નિમિત્તે નૂતન વર્ષ સ્નેહમિલનના,  શરદ પૂનમના તહેવારોની ઉજવણી સંદર્ભે રાજ્ય સરકારે બહાર પાડેલી માર્ગદર્શક સૂચનાઓ નીચે મુજબ છે.

  • રાજ્ય સરકારની આ માર્ગદર્શિકા અને નિર્ણયોનો અમલ ૧૬ ઓક્ટોબર, 2020થી કરવાનો રહેશે
  • આ નિર્ણય અનુસાર નવરાત્રિ દરમિયાન રાજ્યમાં કોઈ પણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહી.
  • નવરાત્રિ દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી-મૂર્તિ ની સ્થાપના અને પૂજા-આરતી કરી શકાશે, પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય અને પ્રસાદ વિતરણ નહીં કરી શકાય. આ ઉપરાંત આ માટે સ્થાનિક વહીવટી તંત્ર ની મંજૂરી લેવી આવશ્યક રહેશે.
  • ૨૦૦થી વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહીં તેમ જ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે.તમામ SOPનું પાલન અવશ્ય કરવાનું રહેશે.
  • કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહના આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી અપાશે.
  • સામાજિક અંતરનું અને એ માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે.
  • સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે માસ્કથી ઢાંકી રાખવો પડશે.
  • થર્મલ સ્કેનર, સેનિટાઇઝર સાથે ઓક્સી મીટરની સુવિધા તેમ જ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનિટાઇઝ કરવાના રહેશે.
  • હેન્ડવોશ, સેનિટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે.
  • સમારંભ દરમિયાન થૂંકવા તેમ જ પાન-મસાલા, ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
  • ૬૫થી વધુ વયના વયસ્ક નાગરિકો, ૧૦ વર્ષથી નીચેની વયનાં બાળકો, સગર્ભા માતાઓ તેમ જ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ન લે એ હિતાવહ છે
  • જો આવા સમારંભો હોલ, હોટલ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજોની લગ્નવાડી, ટાઉન હોલ કે અન્ય બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે આવા સ્થળની કેપેસિટીના 50 ટકા કે વધુમાં વધુ ૨૦૦ વ્યક્તિની મર્યાદામાં જ યોજી શકાશે.
  • લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં ૧૦૦ વ્યક્તિઓ ભાગ લઇ શકશે.
  • મૃત્યુ બાદની અંતિમ ક્રિયા, ધાર્મિક વિધિમાં મહત્તમ ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે.
  • દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ નૂતન  વર્ષના સ્નેહમિલન, ભાઈબીજ  શરદપૂર્ણિમા જેવા ઉત્સવો-પૂજા, ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવા સલાહભર્યું છે
  • આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી આવશ્યક છે
  • મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેના પર પ્રતિબંધ રહેશે.
  • આ સૂચનાઓના ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળ સંચાલક-આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
  • તમામ કાર્યક્રમો દરમિયાન તબીબી સુવિધાઓ ત્વરાએ ઉપલબ્ધ થાય તેનો જરૂરી પ્રબંધ પણ કરવાનો રહેશે.

 

મેડિકલ એસોસિયેશન સ્પષ્ટ ના પાડી હતી

શેરી-ગરબા સહિત નવરાત્રિના આયોજનને લઈને આશા હતી કે રાજ્ય સરકાર મંજૂરી આપશે, પરંતુ 16 ઓક્ટોબરથી અમલ થનારી રાજ્ય સરકારની નવી માર્ગદર્શિકા મુજબ કોઈ પણ પ્રકારના ગરબાના આયોજનને રાજ્ય સરકારે મંજૂરી આપી નથી. જોકે અનેક શહેરીજનોએ સરકાર દ્વારા કરાયેલા આ નિર્ણયને આવકાર્યો છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન સતત વિનંતી કરી રહ્યું હતું કે, આ વર્ષે કોરોના સંક્રમણને ધ્યાને રાખતા રાજ્ય સરકાર જો ગરબાની પરવાનગી ના આપે તો જ બધા માટે હિતાવહ રહેશે. નહિ તો પરીસ્થિતિ કથળશે.

 

 

કોરોનાના 70,496 નવા કેસ, 964નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 69 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 70,496 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 964 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 69,06,152 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,06,490 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 59,06,69 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 78,365 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 8,93,592 પહોંચી છે. રિકવરી રેટ વધીને 85.01 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.54 ટકા થયો છે.

11 લાખ લોકોનું કોરોના ટેસ્ટિંગ

ICMRના જણાવ્યા મુજબ આઠ ઓક્ટોબરે કોરોના વાઇરસના કુલ આઠ કરોડ 44 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે, જેમાં 11 લાખનાં સેમ્પલનાં ટેસ્ટિંગ કઈ કાલે કરવામાં આવ્યાં છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.