Chitralekha Gujarati – October 12, 2020
મનના વિચારોને જાણો…
(બી.કે. શિવાની)
મોટાભાગે તો આપણે દરરોજ સમયસર ઉઠતાં જ હોઈએ છીએ, પણ ધારો કે કોઈક વાર આપણે સવારે મોડા ઉઠ્યા તો પણ જેમ દરરોજ આપણે પોતાના માટે કસરત, ધ્યાન, ચાલવા, પ્રાર્થના, વાંચન માટે ખાસ સમય આપીએ છીએ તેમ આજે પણ મોડું થવા છતાં 5-10 મિનિટનો સમય પોતાના આ પ્રકારના કામકાજ માટે સમય કાઢવો જ જોઈએ. જે આપણને આજે નહિ તો ભવિષ્યમાં પણ તે બહુ જ ઉપયોગી અને મદદરૂપ થશે. મોડા ઉઠવાના કારણે આપણે 5-10 મિનિટ પોતાના માટે સમય કાઢી ન શક્યા અને બાકી રૂટીનના તમામ કામો આપણે કરતા જ રહ્યા તો તે કામ આપણે તણાવ સાથે કરીશું.

પરિણામે આપણને પોતાનું કામ કરવા માટે વધારે સમય લાગશે. પરંતુ જો આપણે દિવસની શરૂઆતમાં જ પોતાના માટે ફક્ત બે મિનિટનો સમય કાઢીને શાંત ચિત્તે મેડીટેશન અને ધ્યાનાભ્યાસ કરીએ અને એમ વિચારીએ કે, આજે ભલે મને ઊઠવામાં મોડું થયું છે. પરંતુ તે મોડા ઉઠાવાનો પ્રભાવ મારા હવે પછીના આગળના કામકાજ પર નહીં પડે. નિયમિત ધ્યાનાભ્યાસ કરવાથી હવે હું દરેક પરિસ્થિતિઓને મારા નિયંત્રણમાં કે કાબુમાં રાખી શકું તેમ છું, કારણ કે હવે મારું મન મારા નિયંત્રણમાં છે. હવે હું એક ચોક્કસ ધ્યેય સાથે સ્થિરતાપૂર્વક મારા દિવસની શરૂઆત કરી શકીશ.
આ પ્રકારના વિચારો હું પોતે જ મારા મનમાં ઉત્પન્ન કરી શકું છું. વાસ્તવમાં આ મારા મન સાથેનો એક વાર્તાલાપ છે. વારંવાર હું મનનું પ્રોગ્રામિંગ કરી રહી છું. હું વિચારી રહી છું કે, ભલે ને આજે મને ઊઠવામાં મોડું થઈ ગયું, પણ કોઈ વાંધો નહી. ઓકે. ઠીક છે. મારા બધાં જ કામો વ્યવસ્થિત રીતે સારી રીતે જ થશે. હું મારા મનમાં વિચારો મારી જાતે જ ઉત્પન્ન કરી શકું છું. આપણે એ જરૂર ચકાસવું જોઈએ કે આખા દિવસ દરમિયાન મારા વિચારોની ગુણવત્તા કેવી છે? આખો દિવસ પોતાની સાથે આંતરિક વાર્તાલાપ તો ચાલતો જ હોય છે. જેમ કે આ વ્યક્તિ બહુ જ સારી છે. પણ આ ભાઈ તો બહુ જ ખરાબ છે. તેણે આવું કામ નહોતું કરવું જોઈતું. આ ભાઈ કે બહેન તો બહુ જ સારા છે. અથવા તો મારા મિત્ર પાસે પાસે જે કોઈ વસ્તુ કે ચીજ છે તે મારી પાસે નથી. આવી રીતે આમ આખે-આખો દિવસ આપણે આપણા મન સાથે તો વાતો કરી રહ્યા છીએ.

જો હું મનમાં એમ વિચારું કે હવે તો મારે મોડું થઈ ગયું છે. હવે તો આખો દિવસ બહુ જ ખરાબ પસાર થશે અને ગરબડ પણ થવાની છે. વધારે મુશ્કેલીઓ આવવાની છે. આ પ્રકારના નકારાત્મક સંકલ્પો કરવાથી તેનો પ્રભાવ આપણા આખા દિવસના કરેલા કાર્ય ઉપર પડે છે. આથી સવારે ઊઠીને તરત સકારાત્મક સંકલ્પો કરીએ અને મનને શાંત-સ્વસ્થ રાખીએ. ઘણીવાર આપણને એવું લાગે કે, સકારાત્મક સંકલ્પ કરવા થોડા અઘરાં છે, પરંતુ જેમ બીજાઓ સાથે વાતચીત કરવાની તો આપણને પ્રેક્ટિસ હોય છે. તેમ વિચારો સાથે પણ વાત કરવાની એક સારી ટેવ પાડવી હવે જરૂરી છે. ધારો કે તમે મારી સામે બેઠા છો અને હું વારંવાર એમ જ કહું કે, આજે તો મારે ઊઠવામાં મોડું થઈ ગયું છે. આજના દિવસે કઈક ગરબડ તો થવાની છે. આ મારી અને તમારી વચ્ચેની વાતચીત છે. પણ જો હું મારા રૂમમાં એકલી બેઠી છું અને મેં મારી જાતને પોતાને એમ કહ્યું કે, આજે તો ઊઠવામાં બહુ મોડું થઈ ગયું. હવે તો કંઈ પણ સારું કામ થવાનું નથી, કોઈ વાત બરોબર થવાની નથી.
તો આ પ્રકારનો વાર્તાલાપ પોતાની જાત સાથેનો એક પ્રકારનો વાર્તાલાપ કે વાતચીત જ છે. આ પ્રસંગે હું મારી સાથે સકારાત્મક વાતચીત પણ કરી શકું છું. સવારે ઊઠવામાં જો મોડું થઈ ગયું હોય ત્યારે હું મારી જાતને એમ કહી શકું છું કે, કોઈ ચિંતાની વાત છે જ નહીં, બધું બરોબર ઠીકઠાક જ છે. પરંતુ જો મેં મારી જાતને એમ કહી દીધું કે, હવે તો બધી ગરબડ થવાની છે. તો જીવનમાં સમસ્યાઓનો અનુભવ થતો જ રહેશે. મેં મનમાં નકારાત્મક વિચારો ઉત્પન્ન કર્યા. કે હવે શું થશે? બાળકોને લેવા જવામાં કે બીજે મોકલવામાં મોડું થશે. આમ જો નકારાત્મક વિચારો વધતા જશે. તો એકંદરે નુકશાન આપને પોતાને જ થશે. જયારે નકારાત્મક વિચારો મનમાં શરૂ થઈ જાય છે ત્યારે આપણે તેના પ્રત્યે જાગૃત રહેતાં નથી. આવા સંકલ્પો બહુજ ઝડપથી શરૂ થાય છે. પરિણામે મનમાં અરાજકતાની ભાવના ઉત્પન્ન થાય છે. જ્યારે આપણને ટેન્શનનો, પ્રેશરનો અનુભવ થાય છે ત્યારે આપણને ખબર પડે છે કે મનમાં કંઈક ગરબડ ચાલી રહી છે.
બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.
પંચાગ 02/10/2020
(મયંક રાવળ)
અનલોક-5: સ્કૂલ-કોલેજોના તાળા ક્યારે ખોલાશે? કેન્દ્રએ યોજના જણાવી
નવી દિલ્હીઃ દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોની વચ્ચે 21 સપ્ટેમ્બરથી અનેક રાજ્યોમાં શાળાઓ આંશિક રૂપે ખોલવામાં આવી છે. જોકે મોટા ભાગનાં રાજ્યોમાં શાળાઓ હજી બંધ છે. રાજ્ય સરકારોની સાથે બાળકોનાં માતાપિતા કોરોના વાઇરસના વધતા કેસોને કારણે બાળકોને સ્કૂલે મોકલવા વિશે નક્કર નિર્ણય નથી લઈ રહ્યાં.
કેન્દ્ર સરકારે સ્કૂલો-કોલેજો સહિત બધી શૈક્ષિણક સંસ્થાઓ ખોલવાના નિયમોને જણાવતાં અનલોક 5ના દિશા-નિર્દેશો જારી કર્યા હતા.
15 ઓક્ટોબરથી શૈક્ષણિક સંસ્થાઓ ખૂલશે
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તબક્કાવાર રીતૈ સ્કૂલો-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ ક્લાસિસ ખોલવા માટે લવચિકતા રાખવા કહેવામાં આવ્યું છે. તેઓ નિયમોને આધારે 15 ઓક્ટોબર, 2020 પછી એને ફરી ખોલવાનો નિર્ણય લઈ શકશે. જોકે એના માટે સરકારો સ્કૂલો-સંસ્થાના મેનેજમેન્ટથી વિચારવિમર્શ કરીને અને ગાઇડલાઇન્સનું પાલન કરીને ખોલી શકશે. જોકે હાલના કોરોના કાળમાં ઓનલાઇન એજ્યુકેશન શિક્ષણ એ ફિઝિકલ શિક્ષણ સેશન્સ કરતાં વધુ પસંદગીની પદ્ધતિ છે. 
ઓનલાઇન શિક્ષણ જારી રહેશે અને એને સતત પ્રોત્સાહિત કરાશે. જે સ્કૂલો ઓનલાઇન ક્લાસિસ ચલાવી રહી છે અને જે વિદ્યાર્થી સ્કૂલને બદલે ઓનલાઇન શિક્ષણ લેવા ઇચ્છતો હશે એને તેમ કરવાની મંજૂરી આપવામાં આવશે.
ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન અને એજ્યુકેશન મંત્રાલય ગૃહ મંત્રાલય સાથે વિચારવિમર્શ કરીને કોલેજ- ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ખોલવાનો નિર્ણય લે એવી શક્યતા છે. ઓનલાઇન ક્લાસિસને પણ જારી રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ક્યારે ખૂલશે?
પીએચડી માટે 15 ઓક્ટોબર, 2020થી લેબ અને પ્રેક્ટિકલ ક્લાસિસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે સાયન્સ ટેક્નોલોજીના ક્લાસિસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે.

કોલેજ ખોલવા નવી ગાઇડલાઇન્સ
MHAએ કન્ટેનમેન્ટ ઝોનની બહારનાં ક્ષેત્રોમાં વધુ કામગીરીઓ ખોલવા માટે નવી ગાઇડલાઇન્સ જારી કરી છે. આ દિશા-નિર્દેશો એક ઓક્ટોબર, 2020થી લાગુ કરવામાં આવશે. નવા દિશા-નિર્દેશો રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોથી ફીડબેક અને સંબંધિત મંત્રાલયો અને વિભાગોની સાથે ચર્ચા-વિચારણા પર આધારિત છે.
મિઠાઈઓ પર ઉત્પાદનની તારીખ દર્શાવવાના નિયમ સામે વિરોધ
કોલકાતાઃ આજે 1 ઓક્ટોબરથી તમામ પેક ન કરાયેલી (ખુલ્લી રાખેલી) મિઠાઈઓ ઉપર પણ તે કઈ તારીખ સુધી ખાવા માટે આરોગ્યપ્રદ છે એ (best-before તારીખ) દર્શાવવાનો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ના આદેશ સામે પશ્ચિમ બંગાળના મિઠાઈની દુકાનોના માલિકોએ વિરોધ કર્યો છે.
મિઠાઈમાલિકોએ કહ્યું છે કે આ આદેશ પશ્ચિમ બંગાળ રાજ્યની આબોહવાની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતાં અવ્યવહારુ છે, કારણ કે મોટા ભાગની મિઠાઈઓ માત્ર એક જ દિવસ ખાવાલાયક રહેતી હોય છે.
બંગાળના મિઠાઈ અને ફરસાણના ઉત્પાદકોના સંગઠને રાજ્યનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીને પત્ર લખ્યો છે અને કેન્દ્ર સરકાર સાથે આ બાબતમાં હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે.
એક મિઠાઈ માલિકે કહ્યું કે દરેક મિઠાઈની દુકાનના ગ્રાહકો મિઠાઈઓની ગુણવત્તા અને તાજાપણા વિશે દુકાન પર ભરોસો રાખતા હોય છે. એનું પ્રમાણપત્ર કોઈ સત્તાવાર જાહેરાતથી કરાવી શકાય નહીં.
ઉલ્લેખનીય છે કે દેશભરમાં તમામ મિઠાઈઓની પ્રત્યેક ટ્રે પર સંબંધિત મિઠાઈ કઈ તારીખ સુધીમાં ખાવા માટે આરોગ્યપ્રદ છે તે દર્શાવતા સ્ટિકર્સ મૂકવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મિઠાઈમાલિકોનું કહેવું છે કે રસગુલ્લા, રસમલાઈ અને મિસ્ટી દોઈ જેવી મિઠાઈઓની ટ્રે પર ‘બેસ્ટ બીફોર તારીખ’ના સ્ટીકર લગાડવા અશક્ય છે. વધુમાં, મોટી દુકાનો-આઉટલેટ્સવાળા સ્ટિકર્સ લગાડશે, પણ નાની ગલીઓમાંના નાના મિઠાઈવાળાઓ માટે એમ કરવું મુશ્કેલ બનશે.
‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ માટે 500 કરોડ
ગાંધીનગર: મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના પ્રતિભાવંત રમતગમત ખેલાડીઓ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાજ્યનું નામ રોશન કરે એવી સઘન તાલીમ અને તેમની રોજગારીની ચિંતા રાજ્ય સરકાર કરશે, તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રાજ્યના યુવાનો રમતગમત ખેલકૂદમાં કૌશલ્ય દાખવી ગુજરાતનું નામ રોશન કરે અને સાથોસાથ તેમને સરકારી નોકરીઓની તકો માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે એ માટે જિલ્લાઓમાં રમતવીરો માટે રોજગાર માર્ગદર્શન કેન્દ્ર શરૂ કર્યાં છે.
મોબાઈલ ટુ સ્પોર્ટસની પહેલ
મુખ્ય પ્રધાને રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે મોબાઇલ ટુ સ્પોર્ટ્સ, રમતવીરો માટે રોજગાર માર્ગદર્શન કેન્દ્રો અને ગ્રામ્ય રમત ગમત વિકાસ યોજનામાં ૫૦૦ ગામડાઓમાં રમતનાં મેદાનો વિકસિત કરવાનાં ત્રિવિધ વિકાસકામોને ઈ-લોન્ચિંગ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા કર્યાં હતાં. તેમણે રમતગમત રાજ્યપ્રધાન ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં આ નવતર પહેલના ફેસબુક પેજ પણ લોન્ચ કર્યા હતા.
ગુજરાત જેમ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં, ઇનોવેશનમાં, વિવિધ યુનિવર્સિટીઝની સ્થાપનામાં નંબર વન છે એમ રમતગમત ખેલકૂદ પ્રવૃત્તિઓમાં પણ આવનારા સમયમાં અગ્રેસર બને એવી આપણી નેમ છે. સરકારે છેક ગ્રામીણ સ્તરે રમત ગમત વિકસે તેવા પ્રયાસો રૂપે ૫૦૦ ગામડાઓમાં રમત-ગમતના મેદાનો વિકસિત કરવાની અભિનવ પહેલ કરી છે. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત મારફતે ખેલકૂદ તાલીમનું વિશાળ નેટવર્ક ઊભું કરીને દરેક જિલ્લામાં સ્પોર્ટ્સ સંકુલ દ્વારા યુવા શક્તિને ઓલમ્પિકસ ગેમ સુધીની સઘન તાલીમ આપવાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

રમશે ગુજરાત, જીતશે માટે ૫૦૦ કરોડનું બજેટ
રાજ્યમાં રમતગમત પ્રવૃતિના વિકાસ માટે ૫૦૦ કરોડનું બજેટ ફાળવ્યું છે. ખેલ મહાકુંભ અને કલા મહાકુંભથી યુવાશક્તિના ધગશ, કૌશલ્ય અને જુસ્સાને નિખારવાનો મંચ આપ્યો છે.
મુંબઈમાં ટીફિનસર્વિસવાળાઓને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ અપાઈ
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં કોરોના રોગચાળાને ફેલાતો રોકવા માટે લાગુ કરાયેલું લોકડાઉન 31 ઓક્ટોબર સુધી લંબાવ્યું છે.
સરકારે જોકે અમુક છૂટછાટોની જાહેરાત પણ કરી છે. એક મહત્ત્વની રાહત આપવામાં આવી છે, ડબ્બાવાળાઓને, જેઓ શહેર અને ઉપનગરોમાં જઈ જઈને લોકોને ટિફિન પહોંચાડવાની સેવા પૂરી પાડે છે.
ડબ્બાવાળાઓએ આ નિર્ણય બદલ મહારાષ્ટ્ર સરકારનો આભાર માન્યો છે.
પાટનગર મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા હોવા છતાં રાજ્ય સરકારે લોકડાઉન નિયંત્રણોમાં ‘મિશન બીગિન અગેન’ પ્રક્રિયા અને અનલોક-5 અંતર્ગત અમુક છૂટછાટો આપી છે.
રાજ્યમાં હોટલ, રેસ્ટોરન્ટ્સ, બીયર બાર, ફૂડ કોર્ટ્સને પાંચમી ઓક્ટોબરથી 50 ટકાની ક્ષમતા સાથે ફરી ખોલવાની પરવાનગી અપાશે. એમણે રાજ્ય સરકાર તેમજ ટૂરિઝમ વિભાગ, બંનેએ આરોગ્યને લગતા નક્કી કરેલા અલગ અલગ નિયમોનું પાલન કરવાનું રહેશે.
માગણી વધી રહી હોવાથી, રેલવેએ મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR)ની અંદર લોકલ ટ્રેનોની ફ્રીક્વન્સી વધારવાનું નક્કી કર્યું છે.
એવી જ રીતે, MMRની અંદર ડબ્બાવાળાઓને પણ લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની મંજૂરી આપી છે. એમણે તે માટે મુંબઈના પોલીસ કમિશનરના કાર્યાલયમાંથી QR કોડ્સ મેળવવાના રહેશે.
પુણે શહેરમાં પણ લોકલ ટ્રેનો ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
જોકે મુંબઈમાં લોકલ ટ્રેનોમાં સામાન્ય જનતાને પ્રવાસ ક્યારે કરવા દેવામાં આવશે તે વિશે હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
MMRની અંદર બિન-આવશ્યક ચીજવસ્તુઓના તમામ ઔદ્યોગિક અને મેન્યૂફેક્ચરિંગ યુનિટ્સ ફરી શરૂ કરવાની પરવાનગી અપાઈ છે.
તે છતાં, રાજ્યમાં સિનેમા હોલ્સ, સ્વિમિંગ પૂલ્સ, મનોરંજન પાર્ક્સ, શોપિંગ મોલ્સની અંદરના થિયેટરો અને માર્કેટ સ્થળો, ઓડિટોરિયમ્સ તથા સભાસ્થળો હજી બંધ જ રહેશે. એવી જ રીતે, શાળાઓ, કોલેજો તતા અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ ક્લાસીસ પણ બંધ જ રહેશે.
મેટ્રો રેલવે પણ બંધ જ રહેશે.
ધાર્મિક સ્થળો ખાતે પણ શ્રદ્ધાળુઓને એકત્રિત થવા પરનો પ્રતિબંધ ચાલુ છે.
હોટેલ અને રેસ્ટોરન્ટ્સ માલિકોના સંગઠન AHARના પ્રમુખ શિવાનંદ શેટ્ટીએ રાજ્યમાં 50 ટકાની ક્ષમતા સાથે રેસ્ટોરન્ટ્સને ફરી ખોલવા દેવાના સરકારના નિર્ણયને આવકાર આપ્યો છે.

















