Home Blog Page 464

Exit Polls : 9 બિહાર એક્ઝિટ પોલમાં NDA ને બમ્પર બહુમતી

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. રાજ્યભરમાં વધેલા મતપ્રતિશતે રાજકીય ચર્ચાઓને ગરમાવી દીધી છે. મતદારોનું ઝુકાવ ક્યાં છે તેની પહેલી ઝલક તરીકે દેશના અગ્રણીઓ મીડિયા હાઉસિસ અને સર્વે એજન્સીઓ દ્વારા એગ્ઝિટ પોલના આંકડા જાહેર કરવામાં આવ્યા છે — અને લગભગ તમામ એગ્ઝિટ પોલ્સમાં NDAને સ્પષ્ટ અને બમ્પર બહુમતી મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

બિહારમાં આ વખતે મતદાન બે તબક્કામાં યોજાયું — પહેલો તબક્કો 6 નવેમ્બરે અને બીજો 11 નવેમ્બરે. મતદાન બાદ તમામની નજર હવે એગ્ઝિટ પોલ પર છે જે રાજકીય હવાથી પરિચિત કરાવે છે કે જનતા કઈ સરકાર બનાવવા માંગે છે.

P-MARQ Exit Polls

  • NDA : 142-162 બેઠકો
  • મહાગઠબંધન : 80-98 બેઠકો
  • જન સુરાજ : 1-4 બેઠકો
  • અન્ય : 0-3 બેઠકો

દૈનિક ભાસ્કર Exit Polls

  • NDA : 145-160 બેઠકો
  • મહાગઠબંધન : 73-91 બેઠકો
  • અન્ય : 5-10 બેઠકો
  • BJP : 72-82
  • JDU : 59-68
  • LJP : 4-5
  • HAM : 5
  • RJD : 51-63
  • Congress : 12-15

DV રિસર્ચ Exit Polls

  • NDA : 137-152
  • મહાગઠબંધન : 83-98
  • જન સુરાજ : 2-4
  • AIMIM (Owaisi) : 0-2

Peoples Pulse Exit Polls

  • NDA : 133-159
  • મહાગઠબંધન : 75-101
  • JSP : 0-5
  • અન્ય : 2-8

Chanakya Strategies Exit Polls

  • NDA : 130-138
  • મહાગઠબંધન : 100-108
  • અન્ય : 3-5

POLSTRAT Exit Polls

  • NDA : 133-148
  • મહાગઠબંધન : 87-102
  • અન્ય : 3-5
  • BJP : 68-72
  • JDU : 55-60
  • LJP : 9-12
  • HAM : 1-2

Polls of Polls (સરેરાશ 3 એગ્ઝિટ પોલ્સ)

  • NDA : 138-155
  • મહાગઠબંધન : 82-98
  • જન સુરાજ : 0-2
  • અન્ય : 3-7

Peoples Insight Exit Polls

  • NDA : 133-148
  • મહાગઠબંધન : 87-102
  • જન સુરાજ : 0-2
  • અન્ય : 3-6

JVC Exit Polls

  • NDA : 135-150
  • મહાગઠબંધન : 88-103
  • અન્ય : 3-6

MATRIZE-આઈએએનએસ Exit Polls

  • NDA : 147-167
  • મહાગઠબંધન : 70-90
  • મત શેર : NDA 48%, MGB 37%, અન્ય 15%

બીજા તબક્કામાં કોણ કેટલી બેઠકો પર લડ્યું?

  • BJP : 53
  • JDU : 44HAM : 6
  • Chirag Paswan (LJP) : 15

એક સમયે ધર્મેન્દ્ર ગેરેજમાં કામ કરીને 200 રૂપિયા કમાતા, જાણો સંઘર્ષની આખી કહાની

બૉલિવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ તેમના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. એક સમયે તેમના માટે 200 રૂપિયા પણ કમાવવા મુશ્કેલ હતા. અભિનેતાએ એક વખત પોતાના સંઘર્ષો વિશે વાત કરી હતી. જાણો તેમનું શું કહેવું હતું.

બૉલિવુડના હી-મેન તરીકે જાણીતા ધર્મેન્દ્રને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. ધર્મેન્દ્ર પોતાના શાનદાર અભિનયથી ચાહકોના દિલ પર રાજ કરે છે. જોકે, તેમની સફળતા પાછળ સંઘર્ષની ઘણી વાર્તાઓ છે. તેઓ અન્ય સામાન્ય વ્યક્તિની જેમ મુંબઈ આવ્યા હતા. તેમણે એક વખત રિયાલિટી શો “ઇન્ડિયન આઇડલ 11” માં પોતાની સંઘર્ષની વાર્તા શેર કરી હતી. તેઓ અન્ય સામાન્ય વ્યક્તિની જેમ મુંબઈ આવ્યા હતા. તેમણે એક વખત રિયાલિટી શો “ઇન્ડિયન આઇડલ 11” માં પોતાની સંઘર્ષની વાર્તા શેર કરી હતી.

તેમના ફિલ્મી કરિયર પર નજર કરીએ તો અભિનેતાએ 1960 માં ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને ધીમે ધીમે લોકોના દિલ જીતી લીધા.પરંતુ અહીં સુધી પહોંચવાની તેમની સફર સરળ નહોતી.

પંજાબના લુધિયાણામાં જન્મેલા ધર્મેન્દ્ર પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરીને ખૂબ જ ભાવુક થઈ ગયા.તેમણે કહ્યું હતું કે, ‘શરૂઆતના દિવસોમાં, હું ગેરેજમાં સૂતો હતો, મુંબઈમાં રહેવા માટે મારી પાસે ઘર નહોતું, પરંતુ પૈસા કમાવવાની ઇચ્છા હંમેશા મારામાં રહેતી હતી.એટલા માટે મેં એક ડ્રિલિંગ ફર્મમાં પાર્ટ-ટાઇમ કામ કર્યું, જ્યાં મને 200 રૂપિયા પગાર મળતો હતો. 200 રૂપિયા ટકી રહેવા માટે પૂરતા નહોતા. તેથી તે પછી વધુ પૈસા કમાવવા માટે મારે ઓવરટાઇમ કામ કરવું પડ્યું.

પોતાના શાળાના દિવસોની યાદો વાગોળી

શો દરમિયાન તેમણે તેમના શાળાના દિવસોની યાદો પણ તાજી કરી. અભિનેતાએ કહ્યું, “હું ઘણીવાર શાળા પછી પુલ પર જતો હતો.જ્યાં હું મારા ભાગ્ય વિશે વિચારતો હતો. હું ત્યાં કલાકો સુધી બેસી રહેતો હતો. પણ આજે જ્યારે હું ત્યાં જાઉં છું, ત્યારે મને એક અવાજ સંભળાય છે કે, ધર્મેન્દ્ર, તું અભિનેતા બની ગયો છે. આ વાત યાદ કરીને ધર્મેન્દ્ર ખૂબ જ ભાવુક થઈ ગયા.”

જ્યારે ધર્મેન્દ્રએ કહ્યું કે હું ખેડૂતનો દીકરો છું

એક ઇન્ટરવ્યુમાં, જ્યારે અભિનેતાને પૂછવામાં આવ્યું કે તે આટલા ફિટ કેવી રીતે છે, ત્યારે તેણે જવાબ આપ્યો, હું એક ખેડૂતનો દીકરો છું. ખેતરોની માટી ફક્ત હાથને જ નહીં, પણ હૃદયને પણ અસર કરે છે.એ માટીમાંથી જ મને મારા મૂળ મળ્યા છે. હું મારા ફાર્મહાઉસમાં ગાયો સાથે વાત કરું છું, મને ઝાડની છાયામાં ખૂબ શાંતિ મળે છે. ધર્મેન્દ્રના પિતા, કિશન સિંહ દેઓલ, એક શાળાના મુખ્ય શિક્ષક હતા, પરંતુ આ હોવા છતાં, પરિવાર ખેતી સાથે જોડાયેલો રહ્યો.

1970 માં સૌથી હેન્ડસમ પુરુષ બન્યા

1960ના દાયકામાં હિન્દી સિનેમામાં પ્રવેશ કરનારા ધર્મેન્દ્રએ લગભગ 300 ફિલ્મોમાં કામ કર્યું છે. 1970ના દાયકાના મધ્યમાં તેમને વિશ્વના સૌથી હેન્ડસમ પુરુષોમાંના એક પણ ગણવામાં આવતા હતા. આ ઉપરાંત, ધર્મેન્દ્રને વર્લ્ડ આયર્ન મેન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ધર્મેન્દ્રની સૌથી પ્રખ્યાત હિટ ફિલ્મોમાં ‘સત્યકામ’, ‘ખામોશી’, ‘શોલે’, ‘ક્રોધી’ અને ‘યાદો કી બારાત’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

ધર્મેન્દ્રએ બે વાર લગ્ન કર્યા

પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ બે વાર લગ્ન કર્યા હતા. પહેલા પ્રકાશ કૌર સાથે અને બીજા હેમા માલિની સાથે. ધર્મેન્દ્રને કુલ છ બાળકો છે. ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરને ચાર બાળકો હતા, સની દેઓલ, બોબી દેઓલ, વિજેતા દેઓલ અને અજિતા દેઓલ. જ્યારે હેમા માલિનીએ બે પુત્રીને જન્મ આપ્યો એશા અને અહાના.

બિહારમાં 67.14 ટકા મતદાનઃ રાજ્યમાં કોની બનશે સરકાર?

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે આજે મતદાન થયું છે. બીજા તબક્કામાં 20 જિલ્લાની 122 વિધાનસભા સીટ માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં ડઝન જેટલા વર્તમાન મંત્રીઓ સહિત કુલ 1302 ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં કુલ 3.7 કરોડ મતદાતાઓ પોતાનો મતાધિકાર ઉપયોગ કરશે, જેમાં 1.74 કરોડ મહિલા મતદાતાઓનો સમાવેશ થાય છે. બીજા તબક્કા માટે કુલ 45,399 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.

ચૂંટણી પંચના જણાવ્યા મુજબ બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં સાંજે પાંચ વાગ્યા સુધી 67.14 ટકા મતદાન થયું હતું. પટનામાં ઉપમુખ્‍યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું હતું કે બિહારની જનતા NDAને પૂર્ણ બહુમતી અપાવવા માટે કામ કરી રહી છે.

તેજસ્વીના નેતૃત્વમાં સરકાર બનશે — શકીલ અહમદ ખાન

કોંગ્રેસ વિધાનસભા દળના નેતા અને કડવા વિધાનસભા વિસ્તારમાંથી ઉમેદવાર શકીલ અહમદ ખાને કહ્યું હતું કે વર્તમાન સરકાર જશે અને તેજસ્વી યાદવ મુખ્યમંત્રી બનશે તેવી નવી સરકાર બનશે. મહાગઠબંધન બેઠકમાં વધારો કરશે અને સરકાર બનાવવા માટે જરૂરી સંખ્યાથી વધુ મેળવશે. ભાજપ આગળ વધી શકશે નહીં, કારણ કે બિહારની પ્રજા છેલ્લાં 20 વર્ષથી બેરોજગારી, સ્થળાંતર અને આર્થિક મંદીથી ઝઝૂમી રહી છે.

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં CM નીતીશકુમારની આગેવાનીવાળી સરકારના અડધા ડઝનથી વધુ મંત્રીઓ પણ સામેલ છે. બીજા તબક્કામાં 45,399 મતદાન કેન્દ્રો પર મતદાન થશે, જેમાંથી 40,073 મતદાન કેન્દ્રો ગ્રામ્ય વિસ્તારોમાં છે. કુલ મતદાતાઓમાં 1.75 કરોડ મહિલાઓનો સમાવેશ થાય છે. હિસુઆ બેઠક (નવાડા)માં સૌથી વધુ 3.67 લાખ મતદાતાઓ છે, જ્યારે લૌરિયા, ચનપટિયા, રક્સૌલ, ત્રિવેણીગંજ, સુગૌલી અને બનમંખીમાં પ્રતિસ્પર્ધીઓની સંખ્યા સૌથી વધુ (22-22) છે. પ્રથમ તબક્કામાં 121 સીટો પર મતદાન થયું હતું, જેમાં 65 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું.

છત્તીસગઢને અમદાવાદ ઇન્વેસ્ટર કનેક્ટમાં મળ્યા મોટા મૂડીરોકાણના પ્રસ્તાવો

અમદાવાદઃ CM વિષ્ણુ દેવ સાયએ અમદાવાદમાં યોજાયેલી ઇન્વેસ્ટર કનેક્ટ બેઠક દરમિયાન દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ અને બિઝનેસ લીડર્સ સાથે છત્તીસગઢમાં રોકાણની સંભાવનાઓ પર વિચારવિમર્શ કર્યો હતો.  શહેરમાં ઇન્વેસ્ટર કનેક્ટ કાર્યક્રમમાં છત્તીસગઢને અંદાજે રૂ. 33,000 કરોડના મૂડીરોકાણના પ્રસ્તાવો મળ્યા છે. CM વિષ્ણુ દેવ સાયએ થર્મલ પાવર પ્લાન્ટ, ગ્રીન સ્ટીલ મેન્યુફેક્ચરિંગ, સોલર સેલ, ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ફૂડ સપ્લિમેન્ટ્સ જેવાં ક્ષેત્રોની અગ્રણી કંપનીઓને ઇન્વેસ્ટમેન્ટ લેટર્સ આપ્યા હતા. આ મૂડીરોકાણોથી રાજ્યમાં 10,532થી વધુ રોજગાર તકો સર્જાશે.

ઉદ્યોગપતિઓને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ ઉદ્યોગ, સાહસ અને નવીનતાની ધરતી ગુજરાતમાં આવીને આનંદ અનુભવે છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના કણ-કણમાં ઉદ્યોગની ચેતના વસેલી છે અને દુનિયામાં કોઈ એવો ખૂણો નથી જ્યાં મહેનતી ગુજરાતી ભાઈઓની હાજરી ના હોય. તેમણે કહ્યું હતું કે ગુજરાત અને છત્તીસગઢ મળીને વિકસિત ભારતના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જેમ ગુજરાત દેશ અને વિશ્વના અર્થતંત્રને આગળ ધપાવી રહ્યું છે, તેમ જ છત્તીસગઢ પણ ઝડપથી એ જ દિશામાં પ્રગતિ કરી રહ્યું છે. ગુજરાત પાસે ઉદ્યોગ છે, તો છત્તીસગઢ પાસે ઊર્જા, ખનિજ, કુશળ માનવબળ અને રોકાણકાર માટે અનુકૂળ ઔદ્યોગિક નીતિ છે—જે રોકાણકારો માટે એક આશીર્વાદ સમાન છે,” એમ તેમણે ઉમેર્યું હતું.


તેમણે જણાવ્યું હતું કે છત્તીસગઢ સરકારે છેલ્લા 22 મહિનામાં 350થી વધુ સુધારાઓ કર્યા છે, જેને કારણે રાજ્યમાં ઉદ્યોગ સ્થાપિત કરવાનું વધુ સરળ બન્યું છે. સિંગલ વિન્ડો સિસ્ટમ હેઠળ એનઓસી હવે ઝડપી આપવામાં આવી રહી છે. નવી ઔદ્યોગિક નીતિ હેઠળ ઉદ્યોગોને વિશેષ સહાય અને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે.

પાકિસ્તાનમાં હાઈકોર્ટ પાસે વિસ્ફોટમાં 12 લોકોનાં મોત

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદના G-11 સેક્ટરમાં આવેલી ન્યાયિક પરિસરમાં મંગળવારે એક શક્તિશાળી સિલિન્ડર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 12 લોકોનાં મોત થયાં છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ શહેરની ઇમર્જન્સી સેવાઓને તરત જ સક્રિય કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ અનુસાર વિસ્ફોટ ત્યારે થયો જ્યારે કોર્ટમાં ભારે ટ્રાફિક અને મોટી ભીડ હતી.આ વિસ્ફોટમાં ઘણા વકીલ અને નાગરિકો ઘાયલ થયા છે.

પોલીસ અને બચાવ દળ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ વિસ્તારમાં કડક ઘેરાવબંધી કરી દેવામાં આવી છે. આ વિસ્ફોટ બાદ ભભૂકી ઊઠેલી આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડના કર્મચારીઓ તૈનાત કરવામાં આવી હતી.

કારમાંથી થયો વિસ્ફોટ

પ્રારંભિક તપાસથી જાણવા મળે છે કે વિસ્ફોટ કોર્ટના પાર્કિંગ જગ્યામાં ઊભી કારની અંદર થયો હતો. સિલિન્ડર વિસ્ફોટ બાદ વાહનમાં આગ લાગી હતી, જેને કારણે ગાઢ ધુમાડો ફેલાયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા કર્મચારીઓએ ઘટનાસ્થળે ખાલી કરાવવા દોડધામ કરતાં હાહાકાર મચી ગયો હતો.

ખૈબર પખ્તુનખ્વામાં સૈન્ય કાફલા પર હુમલો

બીજી તરફ, પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સુરક્ષા દળોના કાફલાને નિશાન બનાવી IED વિસ્ફોટ કરવામાં આવ્યો. આ ઘટનામાં ઓછામાં ઓછા 16 જવાન ઘાયલ થયા. પાકિસ્તાની આર્મી અને ફ્રન્ટિયર કોરના જવાનોનું કાફલું ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લાના લોની ચોકીથી પાછું ફરી રહ્યું હતું, ત્યારે મોડી રાતે લોની ગામમાં IED વિસ્ફોટ થયો હતો. આ વચ્ચે સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનની સરહદ પાસે આવેલા દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લાના કેડેટ કોલેજના મુખ્ય દરવાજા પર એક આત્મઘાતી હુમલા બાદ થયેલા વિસ્ફોટમાં છ લોકો ઘાયલ થયા હતા.

અમેરિકામાં ગુંજશે મહા કુંભના સૂર, સાઉન્ડ્સ ઓફ કુંભ આલ્બમ ગ્રેમી એવોર્ડ્સ માટે નામાંકિત

ગ્રેમી અવોર્ડ્સમાં બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ કેટેગરીમાં મહાકુંભ ગીત આલ્બમના નોમિનેશન અંગે સિદ્ધાંત ભાટિયાએ કહ્યું કે ગ્રેમી નોમિનેશન એ મહાકુંભના શાંતિ અને એકતાના સંદેશની માન્યતા છે.

“સાઉન્ડ્સ ઓફ કુંભ” આલ્બમને 68મા ગ્રેમી એવોર્ડ્સ માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ કેટેગરીમાં નામાંકિત કરવામાં આવ્યું છે. આ આલ્બમ મહા કુંભ ઉત્સવથી પ્રેરિત છે. ગાયક-સંગીતકાર સિદ્ધાંત ભાટિયા આ આલ્બમ રજુ કર્યુ છે. આ ભારતીય સંગીત માટે એક મોટી સફળતા છે.

50 કલાકારોએ સહયોગ આપ્યો

આ આલ્બમમાં 12 ગીતો છે. ભારત અને વિદેશના આશરે 50 કલાકારોએ આ આલ્બમમાં યોગદાન આપ્યું છે. આ આલ્બમ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળાની ભાવનાને વ્યક્ત કરે છે. આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 45 દિવસ સુધી મહા કુંભ મેળો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા.

આલ્બમમાં અસંખ્ય યોગદાન દર્શાવવામાં આવ્યા હતા

આલ્બમ “સાઉન્ડ્સ ઓફ કુંભ”માં પ્રયાગરાજના લાઇવ ફીલ્ડ રેકોર્ડિંગ છે. તેમાં પ્રાચીન મંત્રો અને બાઈનોરલ બીટ્સ સામેલ છે. સિદ્ધાંત ભાટિયા ઉપરાંત જીમ કીમો વેસ્ટ, રાઘવ મહેતા, માડી દાસ, રોન કોર્બ, ચારુ સુરી અને દેવરાજ સાન્યાલે આલ્બમમાં યોગદાન આપ્યું હતું. આલ્બમમાં વી. સેલ્વગણેશ, રાજા કુમારી, આદિત્ય ગઢવી, કનિકા કપૂર, કાલા રામનાથ, ભાનુમતિ નરસિમ્હન, પ્રવીણ ગોડખિંડી, અજય પ્રસન્ના અને કલ્યાણી નાયરના યોગદાનને દર્શાવવામાં આવ્યું છે.

સિદ્ધાંત ભાટિયાની પ્રતિક્રિયા

આલ્બમના ગ્રેમી એવોર્ડ નોમિનેશન પર સિદ્ધાંત ભાટિયાએ કહ્યું કે ગ્રેમી નોમિનેશન એ મહાકુંભના શાંતિ અને એકતાના સંદેશની માન્યતા છે. ગ્રેમી એવોર્ડ્સમાં રેકોર્ડિંગ એકેડેમી દ્વારા તેની માન્યતા ભારતીય સંગીત માટે એક સીમાચિહ્નરૂપ છે.

આવતા વર્ષે ગ્રેમી એવોર્ડ્સ યોજાશે

68મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સ 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ લોસ એન્જલસના ક્રિપ્ટ. કૉમ એરેના ખાતે યોજાશે.

દિલ્હી–NCRમાં AQI 400 પાર, GRAP-3 લાગુ

નવી દિલ્હીઃ દિલ્હીમાં હવામાં પ્રદૂષણનું સ્તર છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહ્યું છે. કેન્દ્ર સરકારે વાયુ ગુણવત્તા ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચતાં મંગળવારે દિલ્હી-NCRમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP-3)ના ત્રીજા તબક્કા હેઠળ કડક પ્રતિબંધો લાગુ કર્યા છે. કમિશન ઓફ એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)એ જણાવ્યું હતું કે આ નિર્ણય દિલ્હીનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સોમવારના 362માંથી મંગળવાર સવારે 425 થઈ જવાથી લેવામાં આવ્યો હતો.

દિલ્હીની વાયુ ગુણવત્તા ધીમી પવન, સ્થિર વાતાવરણ અને પ્રતિકૂળ હવામાન સ્થિતિને કારણે ખરાબ થઈ છે. ત્રીજા તબક્કાના પ્રતિબંધોમાં બિનઆવશ્યક બાંધકામ કાર્યો પર પ્રતિબંધ તથા પથ્થર તોડતી મશીનો અને ખનન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ સામેલ છે. આ પ્રતિબંધો GRAPના પહેલા અને બીજા તબક્કા હેઠળ લાગુ કરાયેલા ઉપાયો ઉપરાંત છે.ત્રીજા તબક્કા હેઠળ ધોરણ પાંચ સુધીની શાળાઓને હાઇબ્રિડ મોડમાં ચલાવવામાં આવશે. જ્યાં શક્ય હોય ત્યાં વાલીઓ અને વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસ પસંદ કરવાની છૂટ છે. આ તબક્કા હેઠળ દિલ્હી અને આસપાસના NCR જિલ્લાના વિસ્તારોમાં BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ કારો (ચાર-ચક્રી વાહનો)ના ઉપયોગ પર પ્રતિબંધ છે. દિવ્યાંગ વ્યક્તિઓને આમાંથી છૂટ આપવામાં આવી છે.

શિયાળાની ઋતુમાં દિલ્હી-NCRમાં GRAP હેઠળ પ્રતિબંધો લાગુ થાય છે, જે વાયુ ગુણવત્તાને ચાર તબક્કામાં વહેંચે છે:

 તબક્કો-1 (ખરાબ, AQI 201-300)

 તબક્કો-2 (ખૂબ જ ખરાબ, AQI 301-400)

 તબક્કો-3 (ગંભીર, AQI 401-450)

 તબક્કો-4 (અતિ ગંભીર, AQI 450થી ઉપર)

 

પ્રતિકૂળ હવામાન, વાહનોથી થતા ઉત્સર્જન, ધાનની પરાળી સળગાવવી, પટાકડા તથા અન્ય સ્થાનિક પ્રદૂષણ સ્ત્રોતોને કારણે શિયાળામાં દિલ્હી-NCRની વાયુ ગુણવત્તા ખતરનાક સ્થિતિએ પહોંચી જાય છે.

CPCBના આંકડા મુજબ આનંદ વિહારનો AQI 412, અલિપુરનો 442 અને બવાના ખાતે 462નો સર્વોચ્ચ સ્તર નોંધાયો. ચાંદની ચોકમાં AQI 416 નોંધાયો. જ્યારે આર.કે.પુરમ અને પતપડગંજમાં ક્રમશઃ 446 અને 438 નોંધાયા. સોનિયા વિહારમાં પણ 433નો ‘ગંભીર’ AQI નોંધાયો, જે સમગ્ર શહેરમાં પ્રાણઘાતક વાયુ ગુણવત્તાનું સંકેત આપે છે.

દીકરીના લગ્ન પૂર્વે અનોખું કવિ સંમેલન

સુરત: જાણીતા કવિ સુરેશ વિરાણીની દીકરી હેમાક્ષી વિરાણીના લગ્ન 11 નવેમ્બર 2025ના દિવસે યોજાયા. આ આનંદપ્રસંગને અનોખી રીતે ઉજવવાનો વિચાર આવ્યો અને એ વિચારમાંથી શબ્દો ફૂટી નીકળ્યા, “કવિતાની સાંજી, સાંજીની કવિતા” સાત દિવસ, સાત સાંજ અને સાડત્રીસ કવિઓની દીકરીને શબ્દ સૌગાત…

2 નવેમ્બરથી 8 નવેમ્બર સુધીના શુભ વાનાના દિવસોમાં દરરોજ સાંજે એક નવી થીમ, નવી ભાવના અને નવી કવિતાનો રંગ છલકાયો. દરેક સાંજે પાંચથી છ કવિઓ જોડાયા અને દીકરીના રૂપમાં વસેલા પ્રેમ, વિદાય, આશીર્વાદ, સંસ્કાર અને સંવેદનાના અનેક છાંટા શબ્દોમાં ગુંથાયા. ગુજરાતી ભાષાના ૩૭ કવિઓએ હેમાક્ષી વિષે પોતાની લાગણીના રંગ ભરીને રચનાઓ રજૂ કરી. આ કાવ્યમેળાનો સંચાલનનો દોર વારાફરતી કવિ મનસુખ નારિયા, મયુર કોલડિયા અને પ્રશાંત સોમાણીએ સંભાળ્યો. તેમની સંચાલન શૈલીમાં હાસ્ય, ભાવના અને ગતિશીલતા ત્રણેયના સુંદર મિશ્રણથી કાર્યક્રમ જીવંત બની રહ્યો.

આ અનોખા કવિ સંમેલનમાં રજૂ થયેલી કવિતાઓમાં પ્રેમ, વિદાય, સંસ્કાર અને આશીર્વાદની સુગંધ વ્યાપી ગઈ હતી. કોઈ કવિએ દીકરીને ઘરની લક્ષ્મી કહી સંબોધી, તો કોઈએ પિતાના વહાલપની નદી કહી. વળી કોઈએ એને ઉરનો ઉત્સવ ગણીને પોંખી. કોઈએ વિદાયની વેળા કવિતાથી આંખ ભીની કરી, તો કોઈએ હાસ્યની છાંટાથી માહોલ હળવો કર્યો.

ચાલો થોડીક કાવ્ય પંક્તિઓ માણીએ..

માન્યતાઓ બાળવા દીકરી માંગી જુઓ
નામ કુળનું તારવા દીકરી માંગી જુઓ
– ભાવેશ શહેરી દીકરી

દીકરીનું અવતરણ થતાં એ લાગણી થઈ
વહાલપની વહેતી એક નદી ઘર ભણી થઈ
– ગૌરાંગ ઠાકર

પારણું થાકી જશે તો દીકરી જાગી જશે
સ્તબ્ધતા પામી જશે તો દીકરી જાગી જશે
-ભાવિન ગોપાણી …

નદીયુ માંથી ખળખળ લીધી, ઝાકળ માંથી ઝરમર, સાગરનો ઘુઘવાટ લીધો ને વેણુ માંથી સરગમ
ઈશ્વરના હાથોનું છે આ દીકરી નામે સર્જન
– વિપુલ માંગરોલિયા

પાંખડીઓ પર બેસાડીને ઝાકળ જેમ ઝૂલાવું
સ્હેજ નમેલી પાંપણ ઉપર તોરણીયા બંધાવું
ઘૂઘરીયુની રણઝણ ઘરના ખાલીપાને ભરતી
જુઈ સરીખું હસતી
– જયંત ડાંગોદરા

ખાલીપો ગુડબાય કહીને ભાગ્યો ઘરની બહાર
પિતા નામની પદવી આપી, તારો ખૂબ આભાર
ગરદન ઊંચી કરી હવે ફરશું નગરમાં
અમે જાણે સચરાચરમાં
– દિલીપ રાવલ

સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી
છે સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી
– અશોક ચાવડા

જાણે રોજે રોજ નવા તહેવારો છે
દીકરી જાણે ઉરનો ઉત્સવ ન્યારો છે
– મનસુખ નારિયા

કંકુ છાંટયા કાગળ ઉપર વાયક વહેતા થાય કે ઉત્સવ અલબેલો
લાભ શુભના ચોઘડિયા ખુદ મંગળ ગીતો ગાય કે ઉત્સવ અલબેલો
– કિશોર બારોટ …..

પાંચીકા રમતી’તી,દોરડાઓ કુદતી’તી
ઝુલતી’તી આંબાની ડાળે
ગામને પાદર જાન એક આવીને મારું બચપણ ખોવાયુ એ જ દા ‘ડે
– મુકેશ જોશી

સૌને સમજાય એવું બોલજે દીકરી
આ હ્રદય ભીંજાય એવું બોલજે દીકરી
– દિનેશ કાનાણી

વહાલી દીકરી સાસરિયું તું ખુશહાલીથી ભરજે
અમે સિંચેલા સંસ્કારોનું અજવાળું પાથરજે
– કિરણસિંહ ચૌહાણ

એક, બે, ત્રણ શિખવાડવું ત્યાં પ્રશાંત
સાસરિએ ચાલી વહાલી દીકરી
– પ્રશાંત સોમાણી

ધ્રિબાંગ ધ્રિબાંગ ઢોલ, ધ્રિબાંગ ધ્રિબાંગ દસે દિશે પડઘાય કે તમે ગીત ગાવા આવો
પોરસાતી પાનીએ ને ઉતાવળે પગલે ઓલ્યાં ઝાંઝર કહી જાય કે તમે ગીત ગાવા આવો
– સુરેશ વિરાણી

કૂંડાની વેલ હવે મોટેરી થઈ તો એને કેમ કરી કૂંડામાં રાખું
દીકરી પરણાવવાના નિર્ણાયથી આંખોનાં ફળિયામાં બેઠું ચોમાસું
-ભરત ભટ્ટ પવન

દીકરી મારી આજ ફરીથી પિયરનું આંગણ વાળે છે
પગલી વાવે,સ્મરણ ઊગે, ખાલીપાનું રણ વાળે છે
– મયુર કોલડિયા

હજી શરણાઈ સૂર ક્યાં વિલાયા
ભીંતે કંકુ થાપાય ક્યાં સુકાયા
કે વેલ મારી ઉંબરો છોડીને ક્યાં હાલી?
– પ્રજ્ઞા વશી

સાફો પહેરી જાન લઈને આવ્યો એ તો લૂંટી ગયો
માંડ સાચવેલ ઝળઝળિયાંનો કળશ
આખો લૂંટી ગયો
-યામિની વ્યાસ

ધર્મેન્દ્રની તબિયતમાં સુધાર, સની દેઓલની ટીમે આપી જાણકારી

પીઢ અભિનેતા ધર્મેન્દ્રની તબિયતમાં હવે સુધાર આવી રહ્યો છે. સની દેઓલની ટીમે નવીનતમ અપડેટ આપી છે. મંગળવારે સવારેથી ધર્મેન્દ્રએ દુનિયાને અલવિદા કહી દીધું છે એવી અફવાઓ વહેતી થઈ હતી. ધર્મેન્દ્રની પુત્રી એશા દેઓલે પોસ્ટ કરી હતી કે ધર્મેન્દ્રની તબિયત હાલમાં સ્થિર છે, જ્યારે તેમની પત્ની, હેમા માલિનીએ પણ ખોટા સમાચાર ફેલાવનારાઓને ઠપકો આપ્યો છે.

આ દરમિયાન સની દેઓલની ટીમે ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અંગે નવીનતમ અપડેટ આપી છે. સની દેઓલની ટીમના જણાવ્યા અનુસાર ધર્મેન્દ્રની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. સનીની ટીમે અભિનેતાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે. સનીની ટીમના આ નિવેદન બાદ ધર્મેન્દ્રના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે.

શત્રુઘ્ન સિંહાએ નારાજગી વ્યક્ત કરી

ધર્મેન્દ્રના મિત્ર અને પીઢ અભિનેતા શત્રુઘ્ન સિંહાએ પણ તેમના મૃત્યુના ખોટા સમાચાર પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. બોલિવૂડ હંગામા સાથે વાત કરતા અભિનેતાએ કહ્યું, “ધરમજી પાસે પોતાની કોઈ ટીમ નથી, તો તેમના મૃત્યુના સમાચાર કેવી રીતે અને કોણે પુષ્ટિ આપી?”

તેમણે વધુમાં કહ્યું કે, “હું આજે સવારે ઉઠ્યો અને માની લીધું કે આ અહેવાલો સાચા છે કારણ કે તે વિશ્વસનીય પોર્ટલ અને પ્રકાશનોમાંથી આવ્યા હતા. મને આશ્ચર્ય અને રાહત થઈ કે આ અહેવાલો ખોટા હતા. બધાના પ્રિય ધરમજી સ્વસ્થ છે અને ટૂંક સમયમાં ઘરે પાછા ફરશે. તેમના દુશ્મનો મૃત્યુ પામે.”

ધર્મેન્દ્રની તબિયત ખરાબ હોવાની જાણ થતાં જ બોબી દેઓલના નજીકના મિત્ર અને અભિનેતા નિખિલ દ્વિવેદી તેમના ઘરે પહોંચ્યા હતા. થોડા સમય પહેલા નિખિલને મુંબઈમાં ધર્મેન્દ્રના ઘરની બહાર જોવામાં આવ્યો હતો.

ભારત સાથે ટ્રેડ ડીલ ટૂંક સમયમાં થવાની શક્યતાઃ  ટ્રમ્પ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ભારત સાથે ટ્રેડ ડીલ ટૂંક સમયમાં થવાના સંકેત આપ્યા હતા. તેમણે એ પણ કહ્યું કે કોઈ સમય પર અમેરિકા ભારત પર લાગતા ટેરિફ ઓછા કરશે. ટ્રમ્પે આ ટિપ્પણી સર્જિયો ગોરના ભારત માટે રાજદૂત તરીકે થયેલા શપથવિધિ દરમ્યાન કરી હતી. આ પ્રસંગે તેમણે ટ્રેડ ડીલ ખાસ હોવાનું જણાવતાં કહ્યું હતું કે હાલ તેઓ મને પસંદ કરતા નથી, પણ ફરીથી અમને પસંદ કરશે.

ભારત સાથે થશે ટ્રેડ ડીલ

ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે ભારત સાથેનો વેપાર કરાર કેટલો નજીક છે અને શું તેઓ નવી દિલ્હીની સામે ટેરિફ ઘટાડવા પર વિચાર કરશે? તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે અમે ભારત સાથે એક ડીલ કરી રહ્યા છીએ. આ ડીલ પહેલાં કરતાં ઘણી અલગ છે.. તેઓ ખૂબ જ સારા વાટાઘાટકાર છે, તેથી સર્જિયો, તમારે એના પર ધ્યાન આપવું પડશે. મને લાગે છે કે અમે એક એવા કરારની નજીક છીએ જે બધાને લાભ કરાવશે, એમ તેમણે કહ્યું હતું.

રશિયન તેલને કારણે ટેરિફ વધારે

ટ્રમ્પે કહ્યું હતું કે હાલ રશિયન તેલને કારણે ભારત પર ટેરિફ ખૂબ વધારે છે, અને તેમણે રશિયન તેલનું વેપાર બંધ કરી દીધો છે. તેમાં ઘણો ઘટાડો થયો છે. હા, અમે ટેરિફ ઓછી કરવા જઈ રહ્યા છીએ. કોઈ સમય અમે તેને ઘટાડીશું. તેમણે આગળ જણાવ્યું હતું કે હું સર્જિયો પર વિશ્વાસ કરું છું કે તેઓ આપણા દેશના સૌથી મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંબંધોમાંના એક — ભારત ગણરાજ્ય — સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવામાં મદદ કરશે. આ એક મોટી બાબત છે. ભારત દુનિયાની સૌથી જૂની સંસ્કૃતિઓમાંની એક છે, વિશ્વનો સૌથી મોટો દેશ છે અને તેની વસ્તી 1.5 અબજથી વધુ છે.