Home Blog Page 4642

ખુશી એ એક અનુભૂતિ છે, કોઈ વિચાર નથી…

(બી.કે. શિવાની)

મને વિચાર આવ્યો કે, જો હું નવી સાડી ખરીદીશ, તો મને ચોક્કસ ખુશી થશે. નવી-નવી ચીજ-વસ્તુઓ થોડા સમય માટે આપણને ખુશી તો આપે છે. પણ આપણે અહીં એ પણ સમજવું જોઈએ કે, સાડી મને થોડી ખુશી આપશે? કે ખુશ કેવી રીતે રહેવું તે શીખવશે? કે કોઈ સારી અનુભુતી કરાવશે? આપણને જયારે સારું લાગ્યું, ત્યારે આપણે નવી વસ્તુઓ ખરીદીએ છીએ. પછી આપણા મિત્રો પૂછશે કે સાડી ક્યાંથી લીધી?  તમને તો સાડી ખુબ સારી લાગે છે, ખુબ શોભે છે. આવા મારા અને મારી સાડીના વખાણ સાંભળીને મને વધુ ખુશી થાય છે. આ બધી વિધિ દરમિયાન સાડી તો કંઈ કરતી પણ નથી. સાડીની પાસે મને આપવા માટે કોઈ એવી ખાસ અનુભૂતિ પણ નથી, તો તે સાડી મને ખુશી કેવી રીતે આપશે?

બીજા કોઈ એક મિત્રએ મને કહ્યું કે સાડીનો કલર સારો નથી લાગતો. સાડી તો ત્યાંની ત્યાં જ જેમ છે તેમ જ છે. પરંતુ આપણી વિચારવાની રીત બદલાઈ જાય છે. જેના કારણે આપણી ખુશી-આનંદની અનુભૂતિ પણ બદલાઈ ને દુઃખની લાગણી આવી ગઈ. આના ઉપરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે, સાડી આપણને કોઈ અનુભૂતિ કરાવતી નથી. પરંતુ તે ખુશી થવાની અનુભૂતિ હું પોતે જ નિર્માણ કરું છું.

સૌ પ્રથમ તો જ્યારે હું નવી વસ્તુ ખરીદું છું, ત્યારે મને સારી અનુભૂતિ થાય છે. પરંતુ જો હું એમ વિચારું કે મારે જે વસ્તુ જોઈએ છે તે વસ્તુ હું ખરીદી શકું તેમ નથી. ત્યારે તે વસ્તુ ન ખરીદી શકવાના જે વિચારો મનમાં ચાલે છે, જેના કારણે મને ક્યાંક દુઃખ થાય છે. મારી આજુબાજુના બધાએ તે વસ્તુ ખરીદી લીધી છે, અને હું એક જ રહી ગયી છું કે વસ્તુને ખરીદી શકતી નથી.

ઉદાહરણ તરીકે, આજે બજારમાં એક નવો મોબાઈલ આવ્યો છે. જેની કિમત વીસ હજાર રૂપિયા છે. પરંતુ મારી પાસે તો જૂનો મોબાઈલ છે, જે એકદમ સાદો છે તેમાં કોઈ ખાસ કોઈ વિશેષતાઓ પણ નથી. તો આવા વિચારો મને નવો મોબાઈલ ખરીદવાની પ્રેરણા આપે છે. જયારે હું નવો મોબાઇલ ખરીદી લઉં છું ત્યારે હું વિચારું છું કે મારી પાસે તો બીજા લોકો કરતાં પણ સારો મોબાઇલ છે. પછી આપણે તે ખુશી અને આંનદથી અન્ય લોકોને જણાવી આપણે આપણી ખુશી વક્ત કરીએ છીએ. આ સમગ્ર ઘટના દરમિયાન મોબાઇલ પોતે કશું કરી રહ્યો છે? મોબાઈલ પાસે ખુશી આપવાની શક્તિ ક્યાંથી આવી? નવો મોબાઈલ ખરીદ્યા પછી મારામાં ખુશીના વિચારો આવે છે. જેના કારણે મને એવું લાગે છે કે આ મોબાઈલ જ મને ખુશી આપી રહ્યો છે.

તમારી પાસે સુંદર રંગીન સાડી છે, પરંતુ હું તે સાડી ખરીદી શકું તેમ નથી. મેં તો એક બ્રહ્માકુમારી બહેન તરીકે સફેદ સાડી પહેરી છે. મને રંગીન સાડી પહેરવાની મંજૂરી નથી. તો શું હું એમ વિચારીને દુઃખી થઈશ કે મારી મિત્ર ખૂબ ભાગ્યશાળી છે કે તે રંગીન કે સફેદ કોઈપણ સાડી પહેરી શકે છે. જ્યારે હું તો ફક્ત સફેદ સાડી જ પહેરી શકું છું. તો મેં પહરેલ સફેદ સાડી મને દુઃખ નથી આપતી, પરંતુ તે સમયે મારા મનમાં ચાલતા મારા વિચારો જ મને દુઃખી કરી રહ્યા છે. અને મારા મનમાં ઘર્ષણ શરૂ થાય છે કે, જે વસ્તુ મારી મિત્ર પાસે છે તે વસ્તુ મારી પાસે પણ હોવી જ જોઈએ અને જ્યારે તે વસ્તુ મારી પાસે આવશે ત્યારે જ મને ખુશી થશે. તો ખુશીનો અનુભવ કોઈ વસ્તુ નહીં પણ મારા મનના ખુશીના વિચારો કરવાથી જ થશે.

અહીં આપણે જોઈએ કે, ખુશી મારી સાડી ઉપર આધારિત નથી. ખુશી મારી કોઈ નવી વસ્તુ ખરીદવા કે ન ખરીદવા ઉપર આધારિત નથી. એવું પણ નથી કે મારી ખરીદેલી વસ્તુ માટે બીજા લોકો શું વિચારશે. આમ અહીં એ સ્પષ્ટ છે કે કોઈપણ વસ્તુ ફક્ત ને ફક્ત મને આરામ કે હુંફ આપી શકે, પણ તે મને ખુશી કે બીજા કોઈ પ્રકારનો અનુભવ કરાવી શકતી નથી. કારણ કે કોઈ સ્થૂળ વસ્તુમાં ખુશી ઉત્પન્ન કરવાની શક્તિ નથી. આપણા વિચારો દ્વારા જ ખુશીની અનુભૂતિ કરી શકાય. તે બાબત ઉપર આપણે અહીં પ્રકાશ પાડીશું. આજે આપણને એક વાત સ્પષ્ટ રીતે સમજાઈ ગઈ કે કોઈપણ ચીજ-વસ્તુઓ આપણને ક્યારેય ખુશી આપી શકતી નથી. પરંતુ હું પોતે પોતાની જાતને ખુશી આપી શકું છું. કારણ કે હું પોતે  ચૈતન્ય છું અને વસ્તુઓ તો જડ છે, નાશવંત છે.

ખુશી એ એક અનુભૂતિ છે. કોઈ વિચાર નથી કે જેની આપણે વાત કરીએ છીએ. મારી ખુશીનો ગ્રાફ આખા દિવસમાં કેટલીવાર ચડે કે ઉતરે છે? શું દિવસમાં એવી કોઈ ઘડી આવે ને મારી આંતરિક ખુશી કોઈ પણ પ્રકારના સંજોગોમાં પણ સ્થિર અને એકરસ રહી શકે. એવું શું શક્ય છે?

ખુશી એટલે શું? ખુશી એક અનુભૂતિ છે કે એક સંકલ્પ છે? ખુશી વાસ્તવમાં તો એક પ્રકારની અનુભૂતિ જ છે, તે એક અનુભવ છે. પરંતુ લાવવા માટે કોઈને કોઈ માધ્યમ તો જરૂર જોઈએ. આપણે આખા દિવસ દરમિયાન અનેક પ્રકારના અનુભવો કરતા હોઈએ છીએ. ક્યારેક ખુશ, ક્યારેક દુઃખ-દર્દ, કે ક્યારેક ચિંતા. પરંતુ આ બધી અનુભૂતિઓને હું પોતે શેના આધારે અનુભવ કરું છું? તે સમજવું ઘણું જરૂરી છે. ખુશીની અનુભૂતિનો આધાર આપણા વિચારો કે સંકલ્પ જ છે. જે સમયે ઉત્પન્ન કરું છું, તે સમયે તેવી અનુભતી થાય છે.

મેં કોઈ એક સુંદર મજાનું ફૂલ જોયું અને મન ખુશ થઈ ગયું. તેનું મૂળ કારણ તો એ છે કે તે ક્ષણે હું એવો સંકલ્પ કરું છું કે, આ ફુલ તો ખરેખર કેટલું બધું સુંદર છે! પણ એવું બની શકે કે, જે સુંદર ફુલ મને ખુશીની અનુભૂતિ કરાવે છે તે જ ફુલ પાસેથી હું પસાર થઈ જાઉં, અને છતાં પણ મને કોઈ જ પ્રકારની અનુભૂતિ ન થાય. કારણ કે મેં તે ફુલને જોઈને મનમાં તેના વિશે કોઈ વિચારો જ ન કર્યા. તો મનમાં કેવી અનુભૂતિ થાય? પણ ફુલ આગળથી પસાર થતી વખતે જો હું થોડો સમય ત્યાં રોકાઈ જાઉં અને મનમાં સંકલ્પ કરું કે આ ફૂલ કેટલું સુંદર છે! તેનો રંગ ઘણો આકર્ષક છે. તેની સુગંધ કેટલી સરસ છે! ફૂલના વિશે સુંદર વિચારો મનમાં કર્યા પરિણામે મને તે ફૂલની સુંદરતાનો અનુભવ થયો. તે સમયે કોઈએ આવીને આપણને કશુંક કહી દીધું. તો હવે આપણી વિચારવાની આખી પ્રક્રિયા બદલાઈ જશે. આ વ્યક્તિએ મને આવું શા માટે કહ્યું? પરિણામે આપણી અનુભૂતિ પણ આપોઆપ બદલાઈ ગઈ. ફુલ તો હજુ સુધી ત્યાંનું ત્યાંજ છે, પરંતુ હવે તે આપણને કોઈ અનુભૂતિ કરાવી રહ્યું નથી.

ફૂલ જોઈને મને એવું પણ યાદ આવે છે કે, મારા પતિ શરૂઆતમાં તો મારા માટે કેટલાં સુંદર સુંદર ફૂલો લાવી આપતા હતા, પરંતુ હવે તો લાવતા જ નથી. ફુલ તો ત્યાંનું ત્યાંજ છે, પરંતુ ફૂલને જોઈને આપણે અનેક પ્રકારના વિચારો આવ્યા. આપણે જે પ્રકારના વિચારો કરીશું એજ પ્રમાણે આપને અનુભવ થશે. હું આખો દિવસ કે જીવન પર્યંત કેવી અનુભૂતિ કરવા ઈચ્છું છું? તે મારા વિચારો ઉપર જ આધારિત છે.

અનુભવ બે પ્રકારના થાય છે. અનુભવ સારા પણ હોઈ શકે છે અને અનુભવ દુઃખદાયક પણ હોઈ શકે. ધારો કે મેં આજે એક નવી ગાડી ખરીદી. મારી બહેને મારાથી પણ મોટી ગાડી ખરીદી, અને મને જયારે એવા વિચાર આવે છે કે તેણે તો મારાથી પણ મોટી અને સરસ ગાડી ખરીદી, ત્યારે મને તેની અદેખાઈના વિચારો થાય છે. પરંતુ જો તે સમયે હું એમ વિચારું કે ખુબ જ સરસ વાત છે કે, મારી બહેને પણ એક સારી ગાડી ખરીદી. તો મને હવે આવા વિચારોથી સુખની અનુભૂતિ થશે. હવે જે પ્રકારની અનુભૂતિ મને થશે તેના આધારે જ મનમાં મને બીજા વિચારો આવશે.

હવે આપણે એમ સમજીએ કે વિચાર પહેલા આવે છે કે અનુભૂતિ?  જ્યારે આપણે સમાચાર સાંભળીએ છીએ કે કોઈ સ્થળે મોટો અકસ્માત થઈ ગયો, કોઈ સ્થળે કોઈની સાથે અન્યાય થઇ રહ્યો છે, કોઈ સ્થળે ખૂબ વરસાદ પડી રહ્યો છે. ત્યારે આપણને દુઃખની અનુભૂતિ થશે. પરંતુ દુઃખની અનુભૂતિ કરતા પહેલા આપણે શું કર્યું? સમાચાર પહેલા આપણે પણ મનમાં આવ્યા અને તે વિચારોના આધારે હવે આ લોકોનું શું થશે? તેમની સાથે આવી ઘટના ઘટી, હવે તેમનું ભવિષ્ય કેવું હશે? વગેરે વગેરે… આપણે પહેલા વિચાર કરીએ છીએ ત્યારબાદ તેનું પરિણામ આપણને અનુભૂતિના રૂપમાં મળે છે.

આપણે આપણા દિવસની શરૂઆત કેવી રીતે કરીયે છીએ તે સમજીએ. માનો કે મેં સવારે 5:00 વાગ્યાનું એલાર્મ મુક્યું હતું.  પરંતુ એલાર્મ વાગ્યું નહીં અને મારે સવારે ઊઠવામાં મોડું થઈ ગયું. જેવી હું ઉઠી ત્યારે મારા મનમાં સૌ પ્રથમ એ વિચાર આવે છે કે, મારે ઊઠવામાં ઘણું મોડું થઈ ગયું. એક વિચારના કારણે મારી આખી ઉર્જાનું સ્તર બદલાઈ જાય છે. હું વિચારું છું કે હવે મારી પાસે કસરત કરવા માટે સમય નથી. હવે જલ્દી-જલ્દી બધી તૈયારી કરવી પડશે. ત્યારબાદ અનેક ચિંતાયુક્ત વિચારો મનમાં આવવાના શરૂ થઈ જાય છે. ત્યારે હું એમ કહું છું કે, આજે મારો દિવસ સારો ન ગયો, કોણ જાણે સવાર સવારમાં  કોનો ચહેરો જોયો હતો? પરંતુ આમાં કોઈનો ચહેરો જોવાની વાત જ નથી. પરંતુ સવારે ઉઠતા સમયે સૌ પ્રથમ મેં કયો વિચાર કર્યો હતો? તેની ઉપર આખા દિવસની માનસીક અવસ્થાનો આધાર હોય છે. વાસ્તવમાં સવારે ઉઠતા સમયે સૌ પ્રથમ દસ મિનિટ એકાંતમાં શાંત ચિત્તે બેસીને સકારાત્મક વિચારો કરીએ, પરમાત્માને યાદ કરીએ, કારણ કે આખા દિવસની આપણી મનની અવસ્થાનો આધાર સવારના ઉઠીને પ્રથમ 10 મિનિટમાં કરેલ સંકલ્પ ઉપર જ હોય છે.

જેવી રીતે આપણે આપણી આખા દિવસની દિનચર્યાનું ટાઈમ-ટેબલ બનાવીએ છીએ, તેવી જ રીતે આપને એ પણ પ્લાનિંગ કરીએ કે મારે મારા દિવસની શરૂઆત કેવા વિચારો સાથે કરવી છે? પરિણામે હું જાગૃત થઈ જાઉં છું, હું સકારાત્મક વિચારો કરી શકું છું અને મારામાં આત્મવિશ્વાસ આવતો જશે. હું કેવા પ્રકારના વિચારો કરવા માગું છું? તે પસંદ કરવાની શક્તિ મારી પોતાની પાસે જ છે.

વધુ આવતા અંકમાં….

બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.

પંચાંગ 25/09/2020

(મયંક રાવલ)

પંજાબમાં કિસાનો દ્વારા ‘રેલરોકો’ આંદોલન…

કેન્દ્ર સરકારે કૃષિ વિષયક ખરડા સંસદના બંને ગૃહમાં પાસ કરાવ્યા તેની સામેના વિરોધમાં વિવિધ કિસાન સંગઠનોના સભ્ય કિસાનોએ 24 સપ્ટેમ્બર, ગુરુવારે પંજાબના પટિયાલા અને અમૃતસર શહેરોની હદના વિસ્તારમાં પાટા પર સૂઈ જઈને રેલ રોકો આંદોલન કર્યું હતું.

કિસાન સંગઠનોએ 25 સપ્ટેમ્બરના શુક્રવારે દેશવ્યાપી આંદોલનના ભાગરૂપે ‘ભારત બંધ’નું એલાન કર્યું છે.

ખેડૂત બિલની વિરુદ્ધ ભોપાલમાં આંદોલન કરતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મોહનસિંહ રાઠવાને ગુજરાતના ‘શ્રેષ્ઠ વિધાનસભ્ય’નો એવોર્ડ અપાયો

ગાંધીનગરઃ ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને વર્ષ 2020 માટે ‘શ્રેષ્ઠ વિધાનસભ્ય’નો એવોર્ડ આપવામાં આવ્યો છે. જ્યારે કોંગ્રેસના વિધાનસભ્ય મોહનસિંહ રાઠવાને 2019ના વર્ષ માટે ‘શ્રેષ્ઠ વિધાનસભ્ય’નો એવોર્ડ આપવામાં આવ્યો છે.

ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ અહીં વિધાનસભાના ચોમાસું સત્રના આજે ચોથા દિવસે આ એવોર્ડ્સની જાહેરાત કરી હતી.

રાજ્ય તરીકે ગુજરાતની 1960માં સ્થાપના કરાઈ ત્યારપછી આ પહેલી જ વાર રાજ્ય વિધાનસભાએ આ વર્ષથી એવોર્ડ આપવાનું શરૂ કર્યું છે.

બંને વિધાનસભ્ય – ચુડાસમા અને રાઠવાને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે ચાંદીની ટ્રોફી પ્રદાન કરવામાં આવી હતી.

76 વર્ષના રાઠવા 10 વખત કોંગ્રેસના વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. એ છોટાઉદેપુરની પાવી-જેતપુરનું પ્રતિનિધિત્ત્વ કરે છે. જ્યારે 70 વર્ષીય ચુડાસમા અમદાવાદની ધોળકા બેઠકના વિધાનસભ્ય છે.

આ એવોર્ડ માટે અમુક માપદંડ નક્કી કરવામાં આવ્યા છે જેમ કે, સંસદીય પ્રક્રિયા વિશેનું જ્ઞાન, ગૃહમાં તેમજ જાહેર જીવનમાં વર્તણૂક, ગૃહમાં ઔચિત્ય જાળવીને હાજરી આપવી તથા કાર્યવાહીમાં સહકાર આપવો.

રૂપાણીએ ચુડાસમા તથા રાઠવાને અભિનંદન આપતા કહ્યું કે આ નવી પ્રણાલિકાથી અન્ય સભ્યો ચુડાસમા તથા રાઠવાનું અનુસરણ કરીને આ એવોર્ડ જીતવા પ્રોત્સાહિત થશે એવો તેમને વિશ્વાસ છે.

મહારાષ્ટ્રના એક વધુ પ્રધાન – એકનાથ શિંદેને કોરોના થયો

મુંબઈઃ મહારાષ્ટ્રના શહેરી વિકાસ ખાતાના પ્રધાન એકનાથ શિંદેનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. એમણે પોતે જ આની જાણકારી સોશિયલ મિડિયા પર આપી છે.

શિંદેએ છેલ્લા કેટલાક દિવસોમાં એમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના વાઈરસનો ટેસ્ટ કરાવી લેવાની વિનંતી પણ કરી છે.

શિંદેએ આ અઠવાડિયાના આરંભમાં રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં હાજરી આપી હતી.

કોરોનાના ચેપનો શિકાર બનેલા શિંદે મહારાષ્ટ્રના 13મા પ્રધાન છે.

આ પહેલાં જિતેન્દ્ર આવ્હાડ (હાઉસિંગ), અશોક ચવ્હાણ (જાહેર બાંધકામ), ધનંજય મુંડે (સામાજિક ન્યાય), સુનીલ કેદાર (પશુપાલન), બાળાસાહેબ પાટીલ (સહકાર), અસલમ શેખ (ટેક્સટાઈલ), નીતિન રાઉત (ઊર્જા), હસન મુશરીફ (ગ્રામીણ વિકાસ), વર્ષા ગાયકવાડ (શિક્ષણ), અબ્દુલ સત્તાર (ગ્રામીણ વિકાસ રાજ્યપ્રધાન), સંજય બેનસોડે (પર્યાવરણના રાજ્યપ્રધાન), વિશ્વજીત કદમ (સહકારના રાજ્યપ્રધાન)ને પણ કોરોના થયો હતો.

એકનાથ શિંદેએ ટ્વીટમાં લખ્યું હતું કે, મેં ગઈ કાલે જ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને એનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મારું સ્વાસ્થ્ય આપ સૌનાં આશીર્વાદને કારણે સરસ છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન મારા સંપર્કમાં આવેલી વ્યક્તિઓને હું યોગ્ય કાળજી લેવા અને ટેસ્ટ કરાવી લેવાની વિનંતી કરું છું.

ડ્રગ્સ કેસમાં પૂછપરછઃ દીપિકા આજે NCB ઓફિસમાં હાજર થશે

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મૃત્યુના કેસમાં બહાર આવેલા ડ્રગ્સના સેવન-ધંધાના મામલે કેન્દ્રીય એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ બજાવેલા સમન્સને પગલે ટોચની બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણ પૂછપરછ માટે આવતીકાલે એજન્સીના અત્રેના મુખ્યાલયમાં હાજર થશે.

સૂત્રના જણાવ્યા મુજબ, દીપિકાની લીગલ ટીમે તપાસ એજન્સીને આની જાણ કરી છે.

દીપિકા તેની એક આગામી હિન્દી ફિલ્મના શૂટિંગ માટે ગોવા ગઈ હતી. ત્યાંથી તે આજે મુંબઈ પાછી ફરી છે.

દીપિકાની સાથે એની મેનેજર કરિશ્મા પ્રકાશની પણ NCB અધિકારીઓ પૂછપરછ કરશે.

NCB એજન્સીએ દીપિકા ઉપરાંત સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલપ્રીત સિંહ જેવી અન્ય અભિનેત્રીઓને પણ પૂછપરછ માટે હાજર થવાનું સમન્સ મોકલ્યું છે.

સારા ફિલ્મ કલાકારો સૈફ અલી ખાન અને અમ્રિતા સિંહની પુત્રી છે જ્યારે શ્રદ્ધા ચરિત્ર અભિનેતા શક્તિ કપૂરની પુત્રી છે.

રકુલપ્રીતને આજે જ પૂછપરછ માટે હાજર થવાનું જણાવાયું હતું, પરંતુ તે આવતીકાલે અધિકારીઓ સમક્ષ હાજર થશે.

સારા અને શ્રદ્ધાને શનિવારે હાજર થવાનું કહેવામાં આવ્યું છે.

NCB અધિકારીઓ સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તીની પૂછપરછ કરતા હતા એ દરમિયાન એમણે મેળવેલી વોટ્સએપ પરની ચેટ્સમાં દીપિકા, સારા, શ્રદ્ધા, રકુલનું નામ ચમક્યાં બાદ અધિકારીઓએ આ તમામને હાજર થવાનું ફરમાન કર્યું છે.

અધિકારીઓ આ અભિનેત્રીઓને પૂછશે કે તેઓ નશીલી દવાઓ કોની પાસેથી અને કેવી રીતે મેળવી હતી. તેમજ આ દવાઓ એમણે અંગત ઉપયોગ માટે લીધી હતી કે કોઈ અન્યને માટે.

અધિકારીઓ આ કેસમાં ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીના જોડાણ વિશે તપાસ કરી રહ્યા હતા ત્યારે એમને દીપિકા અને કરિશ્મા વચ્ચેની ચેટ હાથ લાગી હતી. કરિશ્માએ 2017 સુધી ક્વાન ખાતે દીપિકાનો એકાઉન્ટ સંભાળ્યો હતો.

એનસીબી અધિકારીઓનો દાવો છે કે રીયા ચક્રવર્તી તથા અન્ય હસ્તીઓની વોટ્સએપ ચેટ્સના અભ્યાસ પરથી ષડયંત્ર દ્વારા ડ્રગ્સ રાખવા, કોઈને એનું સેવન કરવા મજબૂર કરવા, ડ્રગ્સના વેચાણ, ખરીદી, ટ્રાન્સપોર્ટેશન જેવી બાબતો પર પ્રકાશ પડ્યો હતો. આ બધું NDPS કાયદા અંતર્ગત આવે છે. NCB અધિકારીઓએ આ કેસમાં અત્યાર સુધીમાં 18 જણની ધરપકડ કરી છે જેમાં રીયા ચક્રવર્તી અને એનાં ભાઈ શોવિક ચક્રવર્તીનો સમાવેશ થાય છે.

NCB અધિકારીઓએ આજે સવારે જાણીતી ફેશન ડિઝાઈનર સિમોન ખંભાતાની ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી અને સુશાંતની ભૂતપૂર્વ મેનેજર શ્રુતિ મોદીની પૂછપરછ હજી ચાલુ છે.

34 વર્ષીય સુશાંત સિંહ રાજપૂત ગઈ 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં એના નિવાસસ્થાનમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ અનુસાર એણે આત્મહત્યા કરી હોવાનું જણાયું હતું, પરંતુ સુશાંતના મૃત્યુનું ખરું કારણ જાણવાની એના પરિવારજનોએ માગણી કરી હતી અને એ માટે કેસની તપાસ સીબીઆઈને સોંપવાની કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી. રીયા ચક્રવર્તીએ પણ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને વિનંતી કરી હતી. એમની વિનંતીનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને આ કેસમાં ડ્રગ્સનો પણ મામલો બહાર આવતાં સીબીઆઈની સાથે આ તપાસમાં NCB એજન્સી પણ જોડાઈ છે.

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ડીન જોન્સનું મુંબઈમાં હાર્ટ એટેકથી અવસાન

મુંબઈઃ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ડીન જોન્સનું હૃદયરોગના પ્રચંડ હુમલાને કારણે આજે અહીં અવસાન થયું છે.

ડીન જોન્સ 59 વર્ષના હતા અને હાલ સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)માં રમાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી મોસમ માટે સ્ટાર સ્પોર્ટ્સની કોમેન્ટરી પેનલના સભ્ય હતા.

સ્ટાર ઈન્ડિયા કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે અત્યંત દુઃખ સાથે જણાવવું પડે છે કે ડીન મેરવીન જોન્સનું નિધન થયું છે. અચાનક હૃદયરોગનો હુમલો આવતાં એમનું નિધન થયું છે.

નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, અમે એમના પરિવારજનો પ્રતિ ઘેરું દુઃખ વ્યક્ત કરીએ છીએ અને આ સંકટના સમયમાં અમે એમની પડખે છીએ. અમે જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનના સંપર્કમાં છીએ.

જમણેરી બેટ્સમેન ડીન જોન્સ એમની ક્રિકેટ કારકિર્દી દરમિયાન ઓસ્ટ્રેલિયા વતી 52 ટેસ્ટ મેચ રમ્યા હતા જેમાં એમણે 11 સદી અને 14 અડધી સદી સાથે 46.55ની સરેરાશ સાથે 3,631 રન કર્યા હતા. તેઓ 164 વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં પણ રમ્યા હતા જેમાં 44.61ની સરેરાશ સાથે 6,068 રન કર્યા હતા. એમાં તેમણે 7 સદી અને 46 અડધી સદી ફટકારી હતી.

વિરાટ કોહલી, સચીન તેંડુલકર અને વિરેન્દર સેહવાગે ડીન જોન્સના નિધનના સમાચાર જાણ્યા બાદ ટ્વીટ કરીને દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી છે.

કોરોનાને કારણે દુનિયાભરમાં 50 કરોડ લોકોએ નોકરી ગુમાવી

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહાબીમારીના કેસો ભારત સહિત દુનિયાભરમાં હજી પણ વધી રહ્યા છે. આ રોગચાળાને કારણે દુનિયાભરમાં અત્યાર સુધીમાં 9 લાખથી વધારે લોકોનાં મરણ થયા છે. એવામાં એક અહેવાલ અનુસાર, દુનિયાભરમાં આ બીમારીને કારણે 50 કરોડ લોકો નોકરી-રોજગાર વિહોણા થઈ ગયા છે.

ભારતમાં, બે કરોડ લોકોની નોકરી ગુમાઈ છે.

ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન સંસ્થાના જણાવ્યા મુજબ, આ આંકડો (50 કરોડ) વધારે પણ થઈ શકે છે.

ભારતમાં ઓર્ગેનાઈઝ્ડ ઈન્ડસ્ટ્રીમાં અને 1.74 લાખ પરિવારોનો સર્વે કરનાર CMIE સંસ્થાના અહેવાલમાં આ જાણકારી મળી છે.

કહેવાય છે કે કોરોના વાઈરસથી નુકસાન વિશે અપેક્ષા હતી એના કરતાં વધારે ભયંકર પરિણામો આવ્યા છે.

ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના અનુમાન અનુસાર, સમગ્ર દુનિયામાં લગભગ 3.5 ટ્રિલિયન ડોલર લેબર ઈનકમનું નુકસાન ગયું છે. જૂન મહિનાથી આ પરિણામ સતત ખરાબ આવતા રહ્યા છે.

વર્ષ 2020ના પહેલા હાફ કરતાં બીજા હાફમાં નુકસાન વધી શકવાની સંભાવના છે.

નિષ્ણાતોનું કહેવું છે કે જે સંસ્થાઓ, કંપનીઓમાં વર્ક ફ્રોમ હોમ અને ઈન્ફોર્મલ વર્કના વિકલ્પો ઓછા હતાં ત્યાં નોકરીઓ વધારે ગઈ છે.

સંયુક્ત રાષ્ટ્ર સંચાલિત આ આ સંસ્થાના જણાવ્યા મુજબ, કોરોનાને કારણે લાગુ કરાયેલા લોકડાઉનમાં નોકરીઓ કપાઈ ગઈ હતી. હવે જો કોરોનાને સમયસર કાબૂમાં લેવામાં નહીં આવે તો જોબ રીકવરીમાં વિલંબ થઈ શકે છે.

ભારતમાં, ગયા જુલાઈ અને ઓગસ્ટ મહિનાઓમાં 81 લાખ લોકો બેરોજગાર થઈ ગયા હોવાનું માલુમ પડ્યું છે.

સેલ્ફ ટ્રેડ, ટ્રેડ રિવર્સલ સોદા રોકવા માટે BSEએ નવું ફીચર દાખલ કર્યું

મુંબઈઃ એક્સચેન્જના પ્લેટફોર્મ પર સ્વ-સોદા અને ટ્રેડ રિવર્સલ સોદાના કિસ્સા રોકવા માટેના નિયમન પગલારૂપે BSE સોમવારથી ઈક્વિટી સેગમેન્ટના બીએસઈ એક્સક્લુઝિવ સ્ટોક સબ-સેગમેન્ટમાં રિવર્સલ ટ્રેડ પ્રિવેન્શન ચેક (RTPC) દાખલ કરશે. આ પૂર્વે એક્સચેન્જે તેના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ અને કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં માર્કેટની અખંડિતતા અને રોકાણકારોની સલામતી જાળવવા માટે RTPC દાખલ કર્યું છે.

RTPC એવું ફીચર છે કે જેમાં PANના આધારે રિવર્સલ ટ્રેડ અને સેલ્ફ ટ્રેડ આપોઆપ રદ થઈ જાય છે.

ટ્રેડ રિવર્સલ એ એવા સોદા છે જે શેરના ભાવના ટ્રેન્ડને બદલવા માટે કરવામાં આવતા હોય છે.

આ ચેક BSEના ટ્રેડિંગ પ્લેટફોર્મ પર એક્સ, એક્સટી, ઝેડ, વાય, ઝેડપી અને ઝેડવાય ગ્રુપના શેરો માટે ઉપલબ્ધ રહેશે.

આ સાથે BSE એકમાત્ર એવું એક્સચેન્જ છે, જે સેલ્ફ પ્રિવેન્શન ચેક (STPC) અને રિવર્સલ ટ્રેડ પ્રિવેન્શન ચેક (RTPC)ની સુવિધા બધા ટ્રેડિંગ સેગમેન્ટમાં ઓફર કરે છે.

સુવિચાર – ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૦

સુવિચાર – ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૦