Home Blog Page 4649

હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ નતાશા સાથે સગાઈ કરી; ક્રિકેટરે સોશિયલ મિડિયા પર જાણકારી આપી

દુબઈ/વડોદરા – ટીમ ઈન્ડિયાના ક્રિકેટર હાર્દિક પંડ્યાએ નવા વર્ષનો ધમાકેદાર રીતે આરંભ કર્યો છે. આ ઓલરાઉન્ડરે એની ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેન્કોવિચ સાથે આજે સગાઈ કરી લીધી છે અને હાર્દિકે પોતે જ આ જાણકારી ઈન્સ્ટાગ્રામ પર આપી છે. નતાશા સર્બિયાની મોડેલ અને અભિનેત્રી છે. આ બંને જણ રિલેશનશિપમાં છે એવી ચર્ચા ઘણાય વખતથી ચાલતી હતી.

એણે નતાશા સાથે પોતાની સગાઈ થયાને સમર્થન આપ્યું હતું અને એની સાથેની તસવીરો પોસ્ટ કરી છે. એક તસવીરમાં, નતાશા એની આંગળી પર સગાઈની વીંટી પણ બતાવે છે.

નતાશા હાર્દિકની લાંબા સમયની ગર્લફ્રેન્ડ છે. એ હાર્દિકના ગાઢ મિત્રવર્તુળમાં રહેલી છે. હાર્દિકે એની ઓળખાણ પોતાના માતાપિતાને પણ કરાવી હતી.

26 વર્ષીય હાર્દિક પંડ્યા હાલ દુબઈમાં છે અને પીઠના દુખાવાની તકલીફની સારવાર લઈ રહ્યો છે. એની સાથોસાથ તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે સમય પણ વિતાવી રહ્યો છે.

ન્યૂઝીલેન્ડના પ્રવાસે જનાર ઈન્ડિયા-A ટીમો હાર્દિક સભ્ય છે.

તસવીરો સાથેની કેપ્શનમાં હાર્દિકે લખ્યું છેઃ ‘મૈં તેરા, તૂ મેરી, જાને સારા હિન્દુસ્તાન. 01.01.2020 #engaged’

સગાઈના બંધનમાં નવું જ બંધાયેલું આ યુગલ આ તસવીરો પરથી કોઈક સ્પીડબોટમાં સહેલગાહ કરતું હોય એવું જણાય છે.

આ તસવીરની કેપ્શનમાં હાર્દિકે લખ્યું છેઃ ‘મારી ફાયરવર્ક (ફટાકડી) સાથે નવા વર્ષનો આરંભ.’

પંડ્યાને થોડાક સમય અગાઉ પીઠના દુખાવાને કારણે સર્જરી કરાવવી પડી હતી. આ ઈન્જરીને કારણે એ ક્રિકેટથી દૂર રહ્યો છે. છેલ્લે એ દક્ષિણ આફ્રિકા સામે ભારતની ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ સિરીઝમાં રમ્યો હતો, પરંતુ ત્યારબાદ બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીઓમાંથી એને બાકાત રાખવામાં આવ્યો હતો.

સુરતમાં સૌપ્રથમ કિડની પ્રત્યારોપણ સફળ રહ્યું; કિરણ હોસ્પિટલની સિદ્ધિ

સુરત – ભારતની આગવી હોસ્પિટલોમાંની એક, અત્રેની કિરણ હોસ્પિટલ તમામ પ્રકારનાં રોગોનાં નિદાન તથા સારવારમાં કાર્યરત છે. કિરણ હોસ્પિટલનો ઉદ્દેશ ‘નહીં-નફો–નહીં-નુકસાન’નો છે. આ હોસ્પિટલમાં છેલ્લા 2.6 વર્ષમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન તથા અન્ય રાજ્યો અને વિદેશનાં અંદાજે 7,50,000થી વધુ દર્દીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સારવાર-સુવિધાનો લાભ લીધો છે. હોસ્પિટલની સેવાનો લાભ સુખી-સંપન્ન અને ઓછી આવક ધરાવતા તેમજ દરેક વર્ગનાં લોકો લઈ રહ્યાં છે. સાથોસાથ આ હોસ્પિટલમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે ‘મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજના’ અને ‘આયુષ્યમાન ભારત યોજના’ સેવાનો લાભ પણ મોટી સંખ્યામાં દર્દીઓ લઈ રહ્યા છે.

કિરણ હોસ્પિટલના સીઈઓ ડો. રવિન્દ્ર કરંજેકરના જણાવ્યા મુજબ કિરણ હોસ્પિટલ કિડનીના રોગો માટે સામાન્ય નિદાનથી લઈને દરેક પ્રકારનાં ઓપરેશનો, ડાયાલીસીસ તથા કિડની ફેઈલરની બીમારીમાં તમામ સારવાર પૂરી પાડે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ વિભાગમાં કુશળ અને અનુભવી ડોકટરો, સ્ટાફ તથા જંતુમુક્ત ઓપરેશન થિયેટર તથા ટ્રાન્સપ્લાન્ટ આઈ.સી.યુ.ની સર્વોતમ સુવિધાઓ ઉપલબ્ધ છે. ગઈ 22 ડિસેમ્બર, 2019ના રોજ કિરણ હોસ્પિટલની કુશળ ટ્રાન્સપ્લાન્ટ ટીમ દ્વારા 19 વર્ષીય સમર્થ નિલેષભાઈ મૈસુરિયા નામના યુવાન દર્દીને તેમના 43 વર્ષીય પિતા નિલેષભાઈ હસમુખભાઈ મૈસુરિયા દ્વારા દાન કરાયેલી કિડનીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. કિરણ હોસ્પિટલમાં સુરતનું આ સૌપ્રથમ કિડની પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટ) ઓપરેશન કરવામાં આવ્યું. હવે ટૂંક સમયમાં અન્યો દર્દીઓમાં પણ આ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવનાર છે.

કિરણ હોસ્પિટલમાં કુશળ અને અનુભવી ડોકટરો દ્વારા 36 મશીનો સાથેનો અતિ આધુનિક અને દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો ડાયાલીસીસ વિભાગ કાર્યરત છે. જેમાં 2.6 વર્ષમાં 90,000થી વધારે ડાયાલીસીસ કરવામાં આવ્યા છે.

ખૂબ જ આધુનિક ડાયાલીસીસ વિભાગમાં R.O. વોટર પ્લાન્ટ અને મશીનો જર્મનીથી આયાત કરવામાં આવ્યા છે અને દર્દીઓ ડાયાલીસીસની આ સુવિધાઓથી ખૂબ જ સંતોષની લાગણી અનુભવે છે.

નિર્ભયા બળાત્કાર કેસઃ ચારેય અપરાધીને એક સાથે ફાંસી આપવાની પ્રક્રિયા શરૂ

નવી દિલ્હી – અહીંની તિહાર જેલમાં પહેલી જ વાર એક સાથે ચાર અપરાધીને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવનાર છે.

અત્યાર સુધી તિહારમાં એક વખતમાં માત્ર એક અપરાધીને ફાંસી દેવામાં આવતી રહી છે. પરંતુ હવે નિર્ભયા ગેંગરેપ-હત્યા કેસના ચારેય અપરાધીને એક સાથે ફાંસી આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ચાર અપરાધીના નામ છે – મુકેશ સિંહ, વિનય શર્મા, અક્ષય ઠાકુર અને પવન ગુપ્તા.

જેલમાં વધુ ત્રણ ફાંસીના માંચડા તૈયાર કરવામાં આવ્યા છે.

દેશમાં તિહાર પહેલી જ જેલ બનશે જ્યાં એક સાથે ચાર અપરાધીને ફાંસી અપાશે.

તિહાર જેલમાં ફાંસીનો એક માંચડો તો હતો જ, બીજા 3 પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. આનો મતલબ એ કે નિર્ભયા કેસના ચારેય અપરાધીને એક જ દિવસે ફાંસી પર લટકાવી દેવામાં આવશે.

જેલ પ્રશાસન આ ચારેય અપરાધી વિશેનો અહેવાલ કોર્ટને સુપરત કરશે. તમામ કાયદેસર પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ ફાંસી આપવાનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. કહેવાય છે કે ચારેય આરોપી જાન્યુઆરીના બીજા સપ્તાહમાં ક્યૂરેટિવ પીટિશન નોંધાવશે. એ નકારી કઢાયા બાદ ચારેય જણ રાષ્ટ્રપતિ કોવિંદને દયાની અરજી કરશે. એ પણ નકારી કાઢવામાં આવ્યા બાદ ચારેયને ફાંસીએ લટકાવી દેવાશે.

જેલમાં વધુ 3 માંચડા તૈયાર કરવાનું કામ જાહેર બાંધકામ (PWD) વિભાગને સોંપવામાં આવ્યું હતું, જે તેણે ગયા સોમવારે પૂરું કરી દીધું હતું. જેલમાં માંચડા તૈયાર કરવા માટે JCB અંદર લઈ જવામાં આવી હતી. માચડાઓની નીચે એક બોગદું બનાવવામાં આવ્યું છે. ફાંસી અપાઈ ગયા બાદ ચારેય અપરાધીના મૃતદેહ બોગદામાંથી બહાર કાઢવામાં આવશે.

દેશભરને હચમચાવી મૂકનાર નિર્ભયા કાંડ 2012ની 16 ડિસેંબરે દિલ્હીમાં બન્યો હતો. આ કેસમાં કોર્ટમાં સુનાવણી થઈ ચૂકી છે. આખરી ચરણમાં ડેથ વોરંટની સુનાવણી કરાશે જે માટે દિલ્હીની પટિયાલા કોર્ટે 7 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે.

એ દિવસે કમનસીબ યુવતી, જેની સાચી ઓળખ છુપાવીને એને નિર્ભયાનું નામ આપ્યું છે, એની પર દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં ચાલુ બસની અંદર એનાં બોયફ્રેન્ડની હાજરીમાં ઉક્ત ચારેય અપરાધીએ ગેંગરેપ કર્યો હતો.

ચારેય જણને ફાસ્ટ ટ્રેક કોર્ટે ફાંસીની સજા ફરમાવી હતી, જેને નીચલી અદાલત, વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતે પણ મંજૂર રાખી છે.

1982માં તિહાર જેલમાં રંગા અને બિલ્લા નામના અપરાધીઓને એક સાથે ફાંસી આપવામાં આવી હતી. એ બંનેએ 1978માં નવી દિલ્હીમાં પૈસા માટે સગીર વયનાં ભાઈ-બહેન ગીતા અને સંજયનું અપહરણ કર્યું હતું, પણ બાદમાં એમને જ્યારે ખબર પડી કે બાળકોનાં પિતા નૌકાદળમાં અધિકારી છે ત્યારે એમણે ભાઈ-બહેનની હત્યા કરી હતી. એમણે ગીતા પર બળાત્કાર કર્યો હતો અને પછી હત્યા કરી હતી. રંગાનું સાચું નામ કુલજીત સિંહ હતું અને બિલ્લાનું નામ જસબીર સિંહ હતું. ગીતા અને સંજયના પિતા મદનમોહન ચોપરા નૌકાદળના અધિકારી હતા.

બીએસઈ સ્ટાર એમએફ પર ટર્નઓવરનો નવો વિક્રમઃ ડિસેમ્બરમાં 49.60 લાખથી અધિક ટ્રાન્ઝેક્શન્સ થયા

મુંબઈ – દેશના અગ્રણી પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફની પ્રભાવશાળી કામગીરીની ચાલી રહેલી આગેકૂચમાં ડિસેમ્બર 2019માં પ્લેટફોર્મ પર 49.60 લાખ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ થયા હતા. અગાઉ ઓક્ટોબર, 2019માં 46.70 લાખ ટ્રાન્ઝેક્શન અને નવેમ્બર, 2019માં રૂ.13,721 કરોડના ટર્નઓવરનો રેકોર્ડ નોંધાયો હતો. એપ્રિલથી ડિસેમ્બર, 2019ના ગાળા દરમિયાન પ્લેટફોર્મ પર 3.92 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા.

પ્લેટફોર્મ પર ડિસેમ્બર મહિનામાં 2.45 લાખ નવા એસઆઈપી રજિસ્ટર થયા હતા એ સાથે સ્ટાર એમએફ પર નોંધાયેલા એસઆઈપીઝની સંખ્યા 34.01 લાખની થઈ છે, જેઓ રૂ.952.45 કરોડનું કોર્પસ ધરાવે છે.

બીએસઈ સ્ટાર એમએફ એપ (સ્ટાર એમએફ મોબિલિટી) લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી તેણે રૂ.1634.37 કરોડના 1.72 લાખથી અધિક ટ્રાન્ઝેક્શન્સ હાથ ધર્યા છે. આ એપ ડિસ્ટ્રિબ્યુટર્સ અને ઈન્ડિપેન્ડન્ટ ફાઈનાન્સિયલ એડવાઈઝર્સ રિયલ ટાઈમ ધોરણે ક્લાયન્ટ્સની નોંધણી કરી શકે અને પેપરલેસ ટ્રાન્ઝેક્શન્સ કરી શકે એ માટે લોન્ચ કરવામાં આવેલું છે અને તેના પગલે પ્લેટફોર્મ ભારે વૃદ્ધિ પામ્યુ છે. અત્યારે પ્લેટફોર્મ પર ભારત ભરના 55,00થી અધિક ડિસ્ટ્રિબ્યુટર્સ રજિસ્ટર્ડ છે.

નવા વર્ષના પહેલા જ દિવસે મોંઘવારીનો મારઃ ટ્રેનભાડા, LPG સિલિન્ડર મોંઘાં થયા

નવી દિલ્હી – આજથી નવું – 2020નું વર્ષ શરૂ થયું છે, નવો દાયકો શરૂ થયો છે એની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, પણ કેન્દ્ર સરકારે દેશવાસીઓને આજે પહેલા જ દિવસે બે આંચકા આપ્યા છે. બિન-ઉપનગરીય ટ્રેન પ્રવાસી ભાડામાં વધારો કર્યો છે અને સબ્સિડી-વગરના ઘરેલુ રાંધણ ગેસના સિલિન્ડરમાં પણ 19 રૂપિયાનો વધારો કર્યો છે.

આમ આજથી ટ્રેન સફર મોંઘી થઈ ગઈ છે અને રાંધવાનું પણ મોંઘું થઈ ગયું છે.

કેન્દ્ર સરકાર હસ્તકની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સબ્સિડી વગરના ઘરેલુ રાંધણ ગેસ (એલપીજી)ના સિલિન્ડરમાં રૂ. 19નો વધારો જાહેર કર્યો છે.

આ સતત પાંચમા મહિનામાં લિક્વીફાઈડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) સિલિન્ડરનો ભાવ વધારવામાં આવ્યો છે.

મુંબઈમાં સબ્સિડી વગરના 14.5 કિલોગ્રામ વજનના એલપીજી સિલિન્ડરની કિંમત હવે રૂ. 684.50 થઈ છે જ્યારે અમદાવાદમાં આ જ સિલિન્ડરની કિંમત હવે રૂ. 688 થઈ છે, ગાંધીનગરમાં રૂ. 718 છે, નર્મદામાં રૂ. 840 છે. ક્રૂડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો થવાને કારણે ભારતમાં એલપીજી સિલિન્ડરનો ભાવ વધે છે.

ક્રૂડ તેલના આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક દરના આધારે ભારતમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં સરકાર સંચાલિત ફ્યુઅલ રીટેલ કંપનીઓ દર મહિને ફેરફાર કરે છે.

ટ્રેન પ્રવાસી ભાડામાં પાંચ વર્ષમાં પહેલી વાર વધારો કરાયો

રેલવે વહીવટીતંત્રએ ટ્રેનપ્રવાસ માટેના ભાડામાં આજથી લાગુ થાય એ રીતે જે વધારો કર્યો એ મામુલી છે. 1 જાન્યુઆરી, 2020ના દિવસે કે ત્યારપછી જે ટ્રેન ટિકિટ ખરીદવામાં આવશે એની પર નવો વધારો લાગુ થશે. આ તારીખ પહેલાં જેમણે ટિકિટ ખરીદી હશે એમની પાસેથી ઉપરની કોઈ રકમ વસુલ કરવામાં નહીં આવે.

સામાન્ય નોન-એસી વર્ગમાં પ્રવાસ કરનારાઓએ હવે પ્રત્યેક પ્રવાસી કિલોમીટર દીઠ 1 પૈસો વધારે ચૂકવવાનો આવશે.

મેલ/એક્સપ્રેસ નોન-એસી વર્ગમાં પ્રવાસ કરનારાઓએ હવે પ્રત્યેક પ્રવાસી કિલોમીટર દીઠ બે પૈસા વધારે ચૂકવવા પડશે.

એસી વર્ગોમાં ભાડું પ્રત્યેક પ્રવાસી કિલોમીટર દીઠ 4 પૈસા વધારવામાં આવ્યું છે.

ઉપનગરીય ટ્રેન પ્રવાસ કે માસિક (સીઝન) પાસના ભાડાની રકમમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

ભારતીય રેલવે પર આ લોકોનો વર્ગ 66 ટકા જેટલો છે. તેથી એમની પર આર્થિક બોજો ન પડે એનું તંત્રએ ધ્યાન રાખ્યું છે.

ભારતીય રેલવે છેલ્લા અનેક વર્ષોથી આધુનિકીકરણ અપનાવી રહી છે અને પ્રવાસીઓને સફરનો અનુભવ સુગમતાભર્યો અને આનંદપૂર્વકનો બની રહે એ માટે ટ્રેનોમાં તથા સ્ટેશનો પર વિવિધ પ્રકારની સુવિધાઓમાં સુધારા પણ કરતી રહી છે.

રેલવેએ છેલ્લે 2014-15ની સાલમાં પ્રવાસી ભાડામાં વધારો કર્યો હતો. પ્રવાસી સુવિધાઓ અને સગવડતાઓ વધારવામાં આવી રહી હોવાથી ભાડાની રકમમાં મામુલી વધારો કરવાનું તંત્ર માટે અનિવાર્ય બન્યું હતું. તે છતાં કોઈ પણ વર્ગનાં પ્રવાસીઓ પર વધારે પડતો બોજો ન આવે એનું ખાસ ધ્યાન પણ રાખવામાં આવ્યું છે.

રિઝર્વેશન ફી, સુપરફાસ્ટ સરચાર્જ વગેરે માટેના ચાર્જિસમાં કોઈ વધારો કરાયો નથી. આ ચાર્જિસ જ્યાં જરૂર હશે ત્યાં અતિરિક્ત રીતે વસુલ કરવાનું ચાલુ રહેશે.

અમદાવાદમાં 2020ની ઉજવણીઃ 5000 ફૂગ્ગા આકાશમાં છોડાયા…

2020નું વર્ષ 1 જાન્યુઆરી, બુધવારથી શરૂ થઈ ગયું છે અને અમદાવાદવાસીઓએ પણ એને પૂરા ઉમંગ અને ઉત્સાહ સાથે આવકાર્યું છે. મણીનગર પૂર્વ વિસ્તારમાં આવેલા મેથડિસ્ટ ચર્ચ ખાતે યોજવામાં આવેલા ઉજવણી કાર્યક્રમમાં '2020'ના બેનર્સ સાથે હજારો લોકો ઉપસ્થિત રહ્યાં હતાં અને 5000 રંગબેરંગી ફૂગ્ગા આકાશમાં છોડવામાં આવ્યા હતા. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)






























રિલાયન્સ જિયો ઈન્ફોકોમ સહિત 8 કંપની રૂ. 35,585 કરોડનાં કમર્શિયલ પેપર BSE પર લિસ્ટ કરશે

મુંબઈ – રિલાયન્સ જિયો ઈન્ફોકોમ, બજાજ હાઉસિંગ ફાઈનાન્સ, રેડિંગટન (ઈન્ડિયા), આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ પ્રાઈમરી ડિલરશીપ, મોતિલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસીસ, હિન્દુજા લેલેન્ડ ફાઈનાન્સ, સીયેટ અને આઈસીઆઈસીઆઈ હોમ ફાઈનાન્સ કંપનીએ તેમનાં કમર્શિયલ પેપરના રૂ.29,650 કરોડ, રૂ.3,350 કરડ, રૂ.950 કરોડ, રૂ.700 કરોડ, રૂ.600 કરોડ, રૂ.235 કરોડ, રૂ.50 કરોડ અને રૂ.50 કરોડના ઈશ્યુને લિસ્ટ કરવા માટેની અરજી કરી છે. બીએસઈમાં આ ઈશ્યુઓનાં કમર્શિયલ પેપર્સ 1 જાન્યુઆરી, 2020થી લિસ્ટ થશે.

અત્યાર સુધીમાં 50 ઈશ્યુઅરોના રૂ.1,05,795 કરોડના કમર્શિયલ પેપર્સના 258 ઈશ્યુઓ લિસ્ટ કરવામાં આવ્યા છે. આ ઈશ્યુઝની સરેરાશ 138 દિવસની મુદત પરનું વેઈટેડ એવરેજ યીલ્ડ 6.09 ટકા રહ્યું છે.

દેશના પ્રથમ CDS જનરલ બિપીન રાવતે કહ્યું, CDS સેનાની ત્રણેય પાંખ સાથે નિષ્પક્ષ રહેશે

નવી દિલ્હી – ભૂતપૂર્વ લશ્કરી વડા જનરલ બિપીન રાવતે આજથી દેશના સંરક્ષણની ત્રણેય પાંખ – ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળના સંયુક્ત વડા તરીકેનો હોદ્દો સંભાળી લીધો છે. જનરલ બિપીન રાવત આજથી દેશના પ્રથમ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ બની ગયા છે. રાષ્ટ્રીય પાટનગરમાં રાષ્ટ્રીય શહીદ સ્મારક ખાતે એમને સેનાની ત્રણેય પાંખ તરફથી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને CDS જનરલ રાવતે એ સમ્માનનું અભિવાદન કર્યું હતું.

બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં જનરલ રાવતે કહ્યું કે, CDS સેનાની ત્રણેય પાંખ પર નિયંત્રણ રાખશે, ત્રણેય પાંખ સાથે એ નિષ્પક્ષ રહેશે. અમે ત્રણેય સેનાને જોડીને ત્રણ નહીં, પણ પાંચ કે સાત બનાવીશું. CDSને આ કામગીરી સોંપવામાં આવી છે. અમે એક ટીમ તરીકે કામ કરીશું અને ત્રણેય સેના સાથે મળીને કામગીરી બજાવે એનું ધ્યાન રાખીશું.

જનરલ રાવતે એમ પણ કહ્યું કે, આ ઉપરાંત અમે રિસોર્સ મેનેજમેન્ટ ઉપર ધ્યાન આપીશું. સંરક્ષણ તાલીમને કઈ રીતે આગળ વધારી શકાય છે તે અમે જોઈશું. આગળ જે કામગીરી મળશે એને અમે સક્ષમ રીતે બજાવીશું.

સીડીએસ 4-સ્ટાર જનરલ હશે અને તેઓ સંરક્ષણ મંત્રાલય અંતર્ગત આવનાર એક નવા વિભાગના સચિવ તરીકે કામ કરશે, એ વિભાગનું નામ રાખવામાં આવ્યું છે – ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટ્રી અફેર્સ. આ ઉપરાંત CDS કેન્દ્ર સરકારને સૈન્યની બાબતો અંગે સલાહ આપશે.

સરકારે સ્પષ્ટતા કરી જ દીધી છે કે સીડીએસ ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળને સીધી રીતે કન્ટ્રોલ નહીં કરે, પરંતુ એમને અંતર્ગત સેનાની ત્રણેય પાંખના સંયુક્ત કમાન્ડ અને ડિવિઝન રહેશે.

સીડીએસ સંરક્ષણને લગતા મુદ્દાઓ પર સંરક્ષણ પ્રધાન સાથે સીધા સંપર્કમાં રહેશે અને પોતાનાં મંતવ્યો આપશે. ટૂંકમાં, સીડીએસ સંરક્ષણ પ્રધાનના સૈન્ય સલાહકાર તરીકે ફરજ બજાવશે. સંરક્ષણ પ્રધાને ત્રણેય સેનાના વડાઓ સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરવાને બદલે હવેથી સીડીએસ સાથે જ વાતચીત કરશે. ત્રણેય સેનાનો સંપૂર્ણ ટ્રાઈ સર્વિસ કમાન્ડ સીડીએસને આધીન રહેશે.

ઉલ્લેખનીય છે કે, કારગીલ યુદ્ધ બાદ કારગીલ રિવ્યૂ કમિટી તથા નરેશ ચંદ્ર કમિટીએ દેશમાં સીડીએસની નિમણૂક કરવાની કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી અને એના આધારે જ નરેન્દ્ર મોદી સરકારે પ્રથમ સીડીએસની નિમણૂક કરી છે.

જનરલ રાવતે કહ્યું કે, સીડીએ સેનાની ત્રણેય પાંખ સાથે સરસ તાલમેલ રાખશે. સાથોસાથ, સંરક્ષણ પાછળ ખોટો ખર્ચ ન થાય અને બજેટમાં ફાળવાયેલી રકમનો યોગ્ય રીતે ઉપયોગ થાય એની પર દેખરેખ રાખશે. ત્રણેય સેનાનાં અધિકારીઓની ટ્રેનિંગ સ્કૂલ એટલે કે નેશનલ ડીફેન્સ એકેડેમી સીડીએસના નિયંત્રણમાં રહેશે.

આ ઉપરાંત આર્મ્ડ ફોર્સીસ મેડિકલ સર્વિસ, એન્જિનિયરિંગ સર્વિસ અને નેશનલ ડીફેન્સ કોલેજ પણ સીડીએસના કમાન્ડ હેઠળ રહેશે.

જનરલ રાવતે વધુમાં કહ્યું કે, સીડીએસને મુખ્ય જવાબદારી દેશ માટે ભાવિ રણનીતિ ઘડવાની આપવામાં આવી છે.

સીડીએસના રાજકીય ઝોક વિશેના સવાલના જવાબમાં જનરલ રાવતે કહ્યું કે અમે રાજકારણથી ઘણા દૂર રહીએ છીએ. અમારે સામાન્ય રીતે શાસક પક્ષના આદેશો અનુસાર કામ કરવાનું રહેતું હોય છે.

સીડીએસ બન્યા બાદ જનરલ રાવતનો ગણવેશ બદલાઈ ગયો છે. એમના ગણવેશનો રંગ ઓલિવ ગ્રીન (જૈતૂન લીલો) રહેશે. આ ગણવેશમાં સેનાની ત્રણેય પાંખના ગણવેશના તમામ ઘટક રહેશે.

બાબા રામદાસઃ કેફી દ્વવ્યોના પ્રયોગો પછી યોગના પ્રયોગો

બાબા રામદાસનું અમેરિકામાં 88 વર્ષે અવસાન થયું. તેઓ શાંતિપૂર્વક અંતિમયાત્રાએ નીકળ્યા એવું તેમના ભક્તોએ જણાવ્યું, પણ તેમની જીવનયાત્રા જિંદગીભર શાંતિની શોધમાં ઘટનામય રહી હતી. કેફી દ્વવ્યોનો નશો કરીને શું થાય છે અને અચેતન મન તમને કેવા અનુભવો કરાવે છે તેના પ્રયોગો તેમણે અમેરિકામાં કર્યા તેના કારણે વિવાદો પણ થયા હતા. પણ પછી તેમણે ખબર મળ્યા કે ભારતમાં સાધુઓ ધ્યાન લગાવીને, વગર કેફી દ્વવ્યોએ અચેતન મન અને અગાધ અને અગોચ વિશ્વનો અનુભવ કરી શકે છે. તેથી તેઓ ભારત આવ્યા હતા અને અહીં અંગ્રેજીમાં જેને hallucination (હાલૂસિનેશન) કહે છે કે તેવી ભ્રમણા કે કલ્પનાવિહારની સ્થિતિને સમજવા માટે યોગ અને ધ્યાનનો પ્રયોગો શીખ્યા હતા.

આટલા પરથી તમને અંદાજ કદાચ આવ્યો પણ હશે કે કોઈ મૂળ અંગ્રેજ અથવા ગોરો માણસ હશે અને ભારતમાં આવીને ભગવા પહેરીને બાબા બન્યા હશે. વાત સાચી છે, ભારતની અને પૂર્વની સંસ્કૃતિના પ્રેમમાં પડીને ઘણા ગોરા લોકો ભારત આવે, ભગવા પહેરે, ભક્તિ કરે, યોગ કરે, ધ્યાન કરે અને ભારતીય નામ ધારણ કરીને પશ્ચિમમાં તેનો પ્રચાર કરે. ભારતમાં કોઈને ગુરુ ધારે અને ગુરુનો મહિમા પણ પશ્ચિમના જગતમાં કરે ત્યારે ભારતીયો બહુ ખુશ થતા હોય છે. તેઓ ગહન ધ્યાન વિશે અને અધ્યાત્મિક અનુભવ વિશે, માયા અને મોહ વિશે વાતો અંગ્રેજીમાં જણાવે એટલે કે કેટલાકને વધારે આકર્ષક લાગે. તેઓ માયાની કલ્પના ભારતીય માનસમાં છે તેને કેટલી હદે સમજ્યા હશે તે કહેવું મુશ્કેલ હોય છે, પણ ભક્તોને તેમનું ભારે આકર્ષણ હોય છે.

તેથી જ બાબા રામ દાસ પણ આવા કેટલાક ગોરા ગુરુઓની જેમ અમેરિકામાં ઘણા લોકપ્રિય બન્યા હતા. તેઓ ભારત આવીને નીમ કરોલ બાબાના શિષ્ય બન્યા હતા. રામ દાસનું અસલી નામ રિચર્ડ આલ્પર્ટ હતું. તેમના પિતા બોસ્ટનના જાણીતા વકીલ હતા. હાર્વર્ડમાંથી તેઓ સાયકોલૉજીનું ભણ્યા હતા અને બાદમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટ કર્યું હતું. 1960ના દાયકામાં સાયકોલૉજીના પ્રોફેસર તરીકે તેમનું નામ જાણીતું થવા લાગ્યું હતું અને તેઓ કાઉન્ટર-કલ્ચર એટલે કે મુખ્ય ધારાના પ્રવાહોથી અલગ કલાની દુનિયામાં રાચતા, મોટા ભાગના નશેડી કલાકારોના કલ્ચર તરફ આકર્ષાયા હતા. ટિમોથી લીયરી અને એલેન ગિન્સબર્ગ તેમના સાથીઓ બન્યા હતા. માત્ર નશીલા પદાર્થો લેવાના બદલે આ લોકો તેમના અભ્યાસમાં અને માનવમનના ઊંડાણમાં, અચેતન મનમાં તેની શું અસર થાય છે તેનો અભ્યાસ પણ કરતા થયા હતા. એલએસડી સહિતના કેફીદ્વવ્યોનો જાત અનુભવ કર્યા પછી જેલમાં કેદીઓને, જીવલેણ બીમારી પિડાતા લોકોને કે માનસિક રીતે વિક્ષિપ્ત લોકોને નિયંત્રિત અવસ્થામાં કેફીદ્વવ્યો આપવા જોઈએ તે પ્રકારની તેમની મૂવમેન્ટ ચાલતી થઈ હતી. નશો માણસને અંતરમનના ઊંડાણમાં લઈ જાય છે અને એક જુદી જ દુનિયાનો અનુભવ કરાવે છે અને તેનાથી વિક્ષિપ્ત લોકોને, પરેશાન લોકોને રાહત મળે છે તે પ્રકારના પ્રયોગો અને અનુભવ તેઓ અને તેમના સાથીઓ કરતા રહ્યા હતા.

હાર્વર્ડમાં ભણતા હતા ત્યારે આલ્પર્ટ અને લીયરીએ હાલૂસિનોજિક મશરૂમ અને એલએસડીના પ્રયોગો ત્યાંના કેટલાક સાથી વિદ્યાર્થીઓ અને બુદ્ધિજીવીઓ પર કર્યા હતા. માણસ નશામાં ઊંડો ઉતરી જાય ત્યારે શું થાય તે જાણવામાં તેમને રસ પડતો હતો. સાઇલોસ્બિન તરીકે ઓળખાતા પદાર્થો જેમાંથી મળે છે તે મશરૂમને જાદુઈ મશરૂમ તરીકે પણ ઓળખાવામાં આવે છે. દક્ષિણ ભારતમાં અમુક ભાગમાં આવા મશરૂમ થાય છે. તેના કારણે ગાંજા, કાલા કે અફિણ જેવો નશો ચડી જાય છે. કેટલાક દેશોમાં તેનો દવા તરીકે પણ ઉપયોગ થાય છે.

જોકે હાર્વર્ડ યુનિવર્સિટીના સત્તાવાળાઓને ખ્યાલ આવ્યો કે પછી આલ્પર્ટ અને લીયરીને કાઢી મૂકવામાં આવ્યા હતા. જાદુઈ મશરૂમનો નશો કર્યા પછી પોતે ગહન તંદ્રમાં ઉતરી ગયા હતા. ચારે બાજુ આછો ઉજાસ દેખાતો હતો અને પોતાના સિવાય બીજું કોઈ દેખાતું નહોતું. હાર્વર્ડનો હું પ્રોફેસર, પણ મારો એક હિસ્સો મારાથી જુદો થઈ ગયો હોય એમ મને લાગ્યું હતું એવું બધું તેમણે લખ્યું હતું.

હાર્વર્ડમાંથી કાઢી મૂક્યા પછી તે અને લીયરી ન્યૂ યોર્કમાં રહેવા ગયા હતા અને ત્યાં ધીમે ધીમે તેમના જેવા આપણી ભાષામાં કહીએ તો ગંજેર કલાકારોના ઝૂંડ એકઠા થતા રહ્યા હતા. ગિન્સબર્ગ, વિવિયમ બરો અને જેક કેરાઉક જેવા આપણા માટે અજાણ્યા, પણ ત્યાંના જાણીતા કલાકારો તેમની સાથે જોડાયા હતા.

એ દાયકો જ અમેરિકામાં નશામાં ઝૂમતા યુવાનોનો હતો. આપણા ઉડતા પંજાબ જેમ ઉડતા અમેરિકા જેવી હાલત હતી. એલએસડી અને મેરિયુઆના (ગાંજા)નો નશો યુવાનોમાં વ્યાપક બન્યો હતો. જોકે બીજા યુવાનોથી આલ્પર્ટ આખરે એ રીતે જુદા પડ્યા કે નશો કર્યા વિના નશામાં રહેવા માટે તેમણે ભારત તરફ નજર દોડાવી. ગિન્સબર્ગની સલાહને કારણે તેઓ 1967માં ભારત આવ્યા હતા અને નીમ કરોલી બાબાના આશ્રમમાં રોકાયા હતા.
આશ્રમમાં તેમણે યોગ, ધ્યાન, વિપશ્યના, સુફીઝમ સહિતની ભારતની અને પૂર્વની અધ્યાત્મ અને સમાધીની અવસ્થાની પરંપરાનો અભ્યાસ કર્યો. તેમને એમાં એટલી મજા પડી ગઈ કે તેમણે બાબાના શિષ્ય બનવાનું નક્કી કર્યું અને પોતાનું નવું નામ રામ દાસ સ્વીકાર્યું. ભારતના અનુભવો પછી તેઓ અમેરિકા પરત ફર્યા અને બી હીયર નાઉ નામનું પુસ્તક લખ્યું. તેઓ હવે લેખક તરીકે અને ભારતીય પરંપરાના ધ્યાનથી સ્વની ઓળખ, સ્વની પ્રાપ્તિ માટેના માર્ગદર્શક તરીકે પણ જાણીતા થવાના હતા.

અમેરિકા પાછા ફર્યા પછી તેમણે સાથીઓને જણાવ્યું કે યોગ અને ધ્યાનની પદ્ધતિથી નશો કર્યા વિના પણ મનના ઊંડાણમાં ઉતરી શકાય છે. ભારતમાં રહીને તેમણે જોયું હશે કે ભારતના સાધુઓ પણ ગાંજાની ચલમો ફૂંક્યા કરતા હોય છે અને અહીં તો ભાંગ પ્રસાદમાં ભક્તો પણ ગટગટાવી જતા હોય છે. પણ તેમણે અમેરિકામાં જ નશો કર્યો હતો તેની સામે આ કંઈ નહોતું. 1974માં તેમણે હનુમાન ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી અને ભારતમાં પોતાને યોગ અને ધ્યાનના અનુભવો થયા હતા તેનો ઉપયોગ કરીને વગર ડ્રગ્સથી કઈ રીતે ચિત્તને શાંત કરી શકાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા હતા. અગાઉ યુવાનીમાં તેઓ કેદીઓને ગાંજાનો નશો કરાવીને હળવાશ અનુભવે કે કેમ તેના પ્રયોગો વિચારતા હતા, પણ હવે તેમને વધારે સારો વિકલ્પ મળ્યો હતો. તેથી તેમણે પ્રિઝન આશ્રમ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જેમાં જેલમાં જઈને ધ્યાન અને અધ્યાત્મના માર્ગે કેદીઓને વાળવાના.

તેમના પ્રયાસોને સફળતા પણ મળવા લાગી હતી અને તેમના ઘણા અનુયાયીઓ પણ થવા લાગ્યા હતા. તેમણે આગળ જતા અંધાપા નિવારણ માટે સેવા ફાઉન્ડેશનની સ્થાપના કરીને બીજા સેવા કાર્યો પણ કર્યા હતા. સાથે જ પોતાના ગુરુ નીમ કરોલી બાબાના સંદેશના પ્રસાર અને પ્રચાર માટે તેમણે લવ સર્વ રિમેમ્બર (પ્રેમ સેવા સ્મરણ) ફાઉન્ડેશનની પણ સ્થાપના કરી હતી. પૂર્વ અને પશ્ચિમનો મિલાપ થાય તે માટે તેઓ પ્રયાસો કરતા રહ્યા હતા. ભારતના અનુભવો પછી તેઓ પ્રકૃત્તિનું મહત્ત્વ સમજ્યા હતા અને તેથી શહેર છોડીને તેઓ કેલિફોર્નિયાના સેન એન્સેમ્લો જેવા નાના ગામમાં રહેવા જતા રહ્યા હતા. બૌદ્ધ પરંપરા અને તેની ધ્યાન પદ્ધતિઓ પણ તેમને એટલો જ રસ પડ્યો હતો.

તેમણે એકથી વધુ પુસ્તકો લખ્યા હતા અને ધ્યાન અને અધ્યાત્મના પોતાના અનુભવો તેઓ વર્ણવતા રહ્યા હતા. 1997માં તેમને લકવો થયો તે પછી તેમણે શારીરિક પીડાને અધ્યાત્મના અનુભવ સાથે જોડવાની કોશિશ કરી હતી. શારીરિક પીડા ઘણીવાર તમને અંતરમનના ઊંડાણમાં લઈ જાય છે એવું તેઓ માનતા હતા. બીમારી અને વૃદ્ધાવસ્થામાં પીડાનો સામનો કેવી રીતે અધ્યાત્મ અને ધ્યાનના માર્ગે થઈ શકે તે પ્રકારનો સંદેશ ફેલાવવા તેઓ કોશિશ કરતા રહ્યા હતા.

એક સંસ્કૃતિનો માણસ બીજી સંસ્કૃતિના પરિચયમાં આવે અને પ્રભાવિત થાય ત્યારે આવા કિસ્સા સર્જાતા હોય છે. ભારત અનોખો અને અજબગજબનો દેશ છે એમ માનીને ઘણા ભારત આવે છે અને બાબાઓ પાસે ધ્યાનના પ્રયોગો કરતા રહે છે. તેમાંથી સ્ટીવી જૉબ્સ જેવા ઘણા વળી પાછા કર્મના માર્ગે પણ ચડી જાય છે. તેઓ જાણતા હોય છે કે સમાધી લગાવીને બેસી જવાથી કંઈ હાંસલ થતું નથી. કર્મ કર્યા સિવાય છૂટકો નથી, પણ ધ્યાનથી ડહોળાયેલું મન શાંત થાય છે અને તમારા કર્મના માર્ગ તમને ઉત્સાહ સાથે આગળ વધવા પ્રેરે છે એવું જ્ઞાન ઘણા પીરસતા હોય છે. આ બધુ અગમનિગમ છે, સૌએ પોતપોતાની રીતે સમજવું, પણ બાબા રામ દાસ જેવા કિસ્સાને કારણે એટલું સમજવા મળે કે દુનિયાની જુદી જુદી પરંપરાઓને સમજવી જોઈએ અને તેમાંથી કંઈ શુભ પ્રાપ્ત થતું હોય તો સ્વીકારવામાં કંઈ ખોટું નથી.