Home Blog Page 4691

કોરોનાના સંક્રમિતોની સંખ્યા 27 લાખને પારઃ કુલ મોત 51,000ને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી કુલ કેસોની સંખ્યા 27 લાખને પાર થઈ છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 55,079 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 876 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 27,02,742 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 51,797 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 19,77,779 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,73,166 પહોંચી છે. દેશમાં સક્રિય કેસની 24.91 ટકા છે અને મૃત્યુદર 1.93 ટકા છે. રિકવરી રેટ 70.77 ટકાએ પહોંચ્યો છે.

3.09 કરોડ લોકોના ટેસ્ટિંગ કરાયા

દેશમાં સંક્રમિતોની સંખ્યા વધવાનું કારણ એ પણ છે કે ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થયો છે. ICMR ના આંકડા અનુસાર 17 ઓગસ્ટે દેશમાં સૌશી વધુ 8,99,864 લોકોની કોરોનાની તપાસ કરવામાં આવી હતી. દેશમાં 17 ઓગસ્ટ સુધી કુલ 3,09,41264 લોકોના સેમ્પલ ટેસ્ટિંગ થઈ ચૂક્યા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

ભારતીય મૂળના ડોક્ટર રવિ સોલંકીને UKમાં કોવિડ-19ના કાર્ય માટે એવોર્ડ

લંડનઃ એક ભારતીય મૂળના ડોક્ટર યુકેની રોયલ એકેડેમી ઓફ એન્જિનિયરિંગ પ્રેસિડેન્ટ્સના સ્પેશિયલ એવોર્ડ્માં કોરોના રોગચાળામાં ઉમદા સેવા આપવા બદલ 19 એવોર્ડ્સ વિજેતાઓમાંના એક છે, જેમણે યુકેમાં કોવિડ-19થી લડવા સામે અસાધારણ એન્જિનિયરિંગ ઉપલબ્ધિ મેળવી છે. રવિ સોલંકી ન્યુરોડિજનેરેટિવ બીમારીઓ પર કામ કરતા એક ડોક્ટર છે, જેમણે રેમન્ડ સિમ્સની સાથે મળીને મશીન લર્નિંગવાળા કામ કરતા એક એન્જિનિયરને સ્વયંસેવક તરીકે કામ કરતા નેશનલ હેલ્થ સર્વિસ (NHS) ચેરિટી HEROES માટે સુરક્ષિત અને સલામત રીતે કામ કરતી વેબસાઇટ બનાવવામાં મદદ કરવા માટે સન્માનિત કરવામાં આવ્યા છે.

NHS વર્કર્સને નાણાકીય મદદ અને સેવા આપવા, બાળકોની દેખરેખમાં મદદ અને PPE કિટ આપવા બદલ બંને જણની પ્રશંસા કરવામાં આવી હતી. રવિ અને રેમન્ડના 24 કલાકના યોગદાને નવા ચેરિટી અને નિઃસ્વાર્થ ભાવનાથી મદદ કરવા માટે તેમને દાન એકત્ર કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી, જેથી NHSના કાર્યકર્તાઓને યુકેમાં કોવિડ-19નો રોગચાળો યુકેમાં ચરમસીમાએ હતો, ત્યારે તેઓ મદદ કરી શકે, એમ એકેડેમીએ નોટમાં જણાવ્યું હતું.

એકેડેમી દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમના ટેક્નિકલ નો-હાઉને HEROESને ત્રણ મહિનામાં 90,000 NHS કાર્યકર્તાઓને મદદ કરવા મંજૂરી આપી છે. હેલ્થકેર વર્કર્સને આપવામાં આવેલા ડિજિટલ પ્લેટફોર્મ મદદ માટેનું કામ જારી છે.

બે દિવસથી ઓછા સમયમાં ઇવાન માર્ટિન અને વિલ્સન ગ્રિફિથ્સ સહિત ટીમે એક આઇડિયાને વાસ્તવિક પ્રભાવથી સુરક્ષિત વેબસાઇટમાં ફેરવી નાખ્યો હતો, જેના માધ્યમથી NHS કાર્યકર્તાઓને 5,43,000થી વધુ ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવી, જેમાં PPE કિટથી માંડીને કાઉન્સેલિંગ સેવાઓ અને બાળકોની દેખભાળ છે.

ગઈ કાલે જાહેર થયેલા એવોર્ડ્સ યુકે એન્જિનિયરિંગ કોમ્યુનિટીની અંદર ટેક્નિકલ વિશિષ્ટતાઓ, વ્યક્તિઓ, સહયોગ, કેરિયર તબક્કાની ટીમોમાં કોવિડ-19 રોગચાળામાં અને ખાસ કરીને પડકારોનો સામનો કરવામાં આપેલા યોગદાન બદલ આપવામાં આવ્યા છે. આ વર્ષના અંત સુધીમાં 19 વિજેતાઓને આ એવોર્ડ એનાયત કરવામાં આવશે.

હાલના સમયમાં કોવિડ-19 રોગચાળો સૌથી મોટું હેલ્થ સંકટ છે અને એણે સમાજ સામે મોટા પડકારો ઊભા કર્યા છે. વૈશ્વિક રોગચાળા સામે લડવા માટે એન્જિનિયરિંગ નિપુણતા અને સંશોધન જીવન બચાવવા માટે કેન્દ્રમાં રહી છે, એમ રોયલ એકેડમી ઓફ એન્જિનિયરિંગના પ્રોફેસર જિમ મેકડોનાલ્ડે કહ્યું હતું.

વિશ્વમાં અભૂતપૂર્વ સ્થિતિઓમાં આવશ્યક સેવાઓ, મહત્ત્વપૂર્ણ સપ્લાય ચેઇન અને માળખાકીય ઢાંચો જાળવી રાખવામાં 24 કલાક કામ કરતા એન્જિનિયરો માટે મને ગર્વ છે. તેઓ તેમની ટ્રેનિંગ અને કુશળતાનો ઉપયોગ કરીને સમસ્યાઓનું સમાધાન કરે છે, જેથી કોવિડ-19ની આપણા જીવન પર પ્રભાવ ઓછો થાય, એમ તેમણે કહ્યું હતું.

અન્ય એવોડ્સમાં નવું વેન્ટિલેટર ડિવાઇસ, શ્વાસ લેવામાં મદદ અને શ્વાસતંત્ર અને ઘાતક વાઇરસથી બચવા માટે ફેસ શિલ્ડ બનાવવા માટે આપવામાં આવ્યા છે. એકેડમીની એવોર્ડ કમિટી દ્વારા રોગચાળાની સેવા માટે પ્રેસિડેન્શિયલ સ્પેશિયલ એવોર્ડસ માટે પસંદગી કરવામાં આવી હતી.

એન્જિનિયરિંગ કુશળતા –જેમાં સંશોધન અને રોગચાળા માટે સહયોગ મહત્ત્વપૂર્ણ સાબિત થયા છે, એમ એકેડેમી ઓવોર્ડ કમિટીના અધ્યક્ષ પ્રોફેસર રાફેલા ઓકોને કહ્યું હતું.

 

 

રાશિ ભવિષ્ય 18/08/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે , મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહકે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિકનાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટકરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવાપાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે, વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફજે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાયકે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે, વાહન ધીમે ચલાવવું, નોકરી ધંધામાં પણ વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાથી દુર રહેવાની સલાહ છે , બજારમાં કોઈ મોટા જોખમભર્યા કામના કરવા તેમજ કોઈની પણ સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.


આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ, સલાહકાર,કોમ્પુટર,ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમયનો વ્યય થાય તેવું બની શકે છે, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ સાચવવું, બેન્કિંગ,વીમા,મેનેજમેન્ટ,સરકારીક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે તેવું બની શકે. વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ જ યોગ્ય છે.

૧૮ ઓગસ્ટ ૨૦૨૦

પંચાંગ 18/08/2020

મુંબઈમાં ટ્રાફિક સિગ્નલની ગ્રીન લાઈટ્સમાં ઉમેરાયું સ્ત્રી ચિહ્ન!

મુંબઈઃ મુંબઈના ટ્રાફિક સિગ્નલમાં, ગ્રીન લાઈટ્સમાં ‘સ્ત્રી ચિહ્ન’ ઉમેરવામાં આવ્યું છે. જેના સર્વત્ર વખાણ થઈ રહ્યાં છે. જાતિ સમાનતાના આવા પગલાં ટ્રાફિક સિગ્નલ માટે લેનાર મુંબઈ દેશનું પહેલું શહેર બન્યું છે!

મહારાષ્ટ્રમાં મુંબઈ શહેરે મહિલા સમાનતા તેમજ સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે એક પ્રશંસનીય પગલું લીધું છે. બૃહ્નમુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈના દાદર વિસ્તારના એટલે કે, મુંબઈના ‘G North’ વોર્ડના 120 રાહદારી માર્ગો પર ટ્રાફિક સિગ્નલ તેમજ સાઈનબોર્ડ માટે મહિલાનું પ્રતિનિધિત્વ રજૂ કરતાં સ્ત્રી પ્રતિકાત્મક ચિહ્નો મૂક્યાં છે.

આ ફેરફાર મુંબઈ પાલિકાના ‘કલ્ચરલ સ્પાઈન પ્રોજેક્ટ’ હેઠળ કરવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રના પર્યટન મંત્રી આદિત્ય ઠાકરેએ ટ્વિટ કરતાં જણાવ્યું, ‘તમે જો દાદર વિસ્તારથી પસાર થાવ, તો તમે અમુક નવીનતા જોઈને બહુ જ ગર્વ અનુભવશો. બીએમસીએ એક બહુ જ સાદા ઉપાય થકી જાતિ સમાનતાનો સંદેશ આપી દીધો છે. તેણે હવે ટ્રાફિક સિગ્નલમાં મહિલા ચિહ્ન ઉમેરી દીધું છે.’

ટ્રાફિક સિગ્નલની લાલ તેમજ લીલી લાઈટ્સ માટે અત્યારસુધી સ્ટીક ફિગર્સ વપરાતા હતા. તેની જગ્યાએ હવે ત્રિકોણાકાર વેશભૂષા ધારણ કરેલી સ્ત્રીની આકૃતિ જોવા મળશે.

આ ફેરફારને યુનાઈટેડ નેશન્સની મહિલાઓએ પણ બિરદાવ્યો છે. તેમણે ટ્વિટ કર્યું છે, ‘એક ગુડ ન્યુઝ છે! મુંબઈની વર્ટિકલ ટ્રાફિક લાઈટે જાતિ સમાનતાના એક ભાગરૂપે ટ્રાફિક લાઇટ્સમાં હવે લિંગ પ્રતિકાત્મક સંકેતો મૂક્યાં છે!’

મુંબઈની એક રહેવાસી નિમિષા વોરિયર આ બાબતે ન્યુઝ એજેન્સી એએનઆઈને જણાવે છે, ‘ઘણી સારી વાત છે કે, આપણે આવી પહેલ કરીએ છીએ. હવે લોકો મહિલાની શક્તિને પિછાણી રહ્યાં છે અને તેમને સમાજમાં સમાન દરજ્જો આપી રહ્યાં છે. મહિલા સશક્તિકરણ માટેની આ પહેલ ઘણી સારી છે.’

મુખ્ય સચિવ અનિલ મુકિમને છ મહિનાનું એક્સટેન્શન

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકિમને છ મહિનાનું એક્સટેન્શન મળ્યું છે. અનિલ મુકિમે કોરોના સંક્રમણના સમયે કરેલી યોગ્ય કામગીરી બદલ રાજ્ય સરકારે તેમને છ મહિનાનું વધુ એક્સટેન્શન મળે એ માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારની મુકિમના એક્સટેન્શનની અરજીને મંજૂર કરી છે. મુકિમ હવે ફેબ્રુઆરી 2021 સુધી મુખ્ય સચિવના પદે રહેશે.

સરકારની ભલામણને મંજૂરી

રાજ્યના ચીફ સેકેટરી અનિલ મુકિમ 31 ઓગસ્ટે નિવૃત થવાના હતા, પણ રાજ્ય સરકારની ભલામણ પર કેન્દ્ર સરકારે લીલી ઝંડી આપી છે, તેથી હવે રાજ્યમાં અનિલ મુકિમ વધુ છ માસ સુધી ફરજ બજાવશે.

અનિલ મુકિમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના IAS અધિકારી રહ્યા છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે મુકિમે મુખ્ય પ્રધાન કાર્યાલયમાં કામ કર્યુ છે. મુકિમ 1985 બેચના અધિકારી છે. તેઓ કેન્દ્ર સરકારના ખાણ વિભાગમાં સચિવપદ પર પણ કામ કર્યુ છે. રાજ્ય સરકાર દ્વારા પહેલી ડિસેમ્બરે તેમને રાજ્યના મુખ્ય સચિવ તરીકે કાર્યભાર સોંપવામાં આવ્યો હતો.

સુર સમ્રાટ શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજ (90)નું અમેરિકામાં નિધન

ન્યૂજર્સી (અમેરિકા): સુર સમ્રાટ તરીકે જાણીતા શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું ન્યૂજર્સીમાં હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. એ 90 વર્ષના હતા. પંડિત જસરાજના પુત્રી દુર્ગા જસરાજે જાણકારી આપી કે સ્થાનિક સમય મુજબ સોમવારે સવારે 5.15 વાગ્યે એમના પિતાએ આખરી શ્વાસ લીધો હતો.

મેવાતી ઘરાનાના ગાયક પંડિત જસરાજની સંગીત-ગાયકીની કારકિર્દી 80 વર્ષ લાંબી હતી.

આયુષ્ય દરમિયાન એમણે ‘પદ્મવિભૂષણ’, ‘પદ્મશ્રી’, સંગીત નાટક અકાદમી, મારવાડ સંગીત રત્ન પુરસ્કાર સહિત અનેક મોટા પુરસ્કારો મેળવ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પંડિત જસરાજના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને એમની સાથેની પોતાની એક તસવીરને ટ્વિટર પર શેર પણ કરી છે.

પંડિત જસરાજનો જન્મ 1930ની 28 જાન્યુઆરીએ થયો હતો.

એ જ્યારે 22 વર્ષના હતા ત્યારે કાઠમંડુમાં પ્રથમ સોલો સંગીત મહેફિલમાં પરફોર્મ કર્યું હતું. એમણે રાગ મુલતાની અને શિવ ભજનો ગાયા હતા. દર્શકોએ એમને ખૂબ બિરદાવ્યા હતા અને એ સંગીત મહેફિલ નિયમિત યોજાતી રહી. 2014માં પણ પંડિત જસરાજે નેપાળમાં શાસ્ત્રીય સંગીતના પ્રેમીઓ માટે સોલો પરફોર્મન્સ રજૂ કર્યો હતો.

એમનો પરિવાર ચાર પેઢીથી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતને એક-એકથી ચડિયાતા શિલ્પી પ્રદાન કરવાનું ગૌરવ ધરાવે છે. પંડિત જસરાજના પિતા પંડિત મોતીરામ પણ મેવાતી ઘરાનાના વિશિષ્ટ સંગીતજ્ઞ હતા.

નડિયાદઃ હાઇવે પર કાર અકસ્માતમાં એક જ પરિવારનાં પાંચ સભ્યોનાં મોત

નડિયાદઃ રાજ્યના ખેડા જિલ્લાના નડિયાદ પાસે એક SUV અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં એક જ પરિવારના પાંચ સભ્યોનાં મોત થયાં હતાં, એમ પોલીસે કહ્યું હતું. ગઈ કાલે રાત્રે નેશનલ હાઇવે નંબર-48 પર બનેલી દુર્ઘટનામાં પરિવારના અન્ય ચાર સભ્યો અને SUVનો ડ્રાઇવર ઇજાગ્રસ્ત થયો હતો. અમદાવાદના નવ પરિવારના સભ્યો પોતાના સગાંસંબંધીઓને મળવા આણંદથી પરત ફરી રહ્યા હતા, ત્યારે  પિજ ગામની પાસે આવેલા હાઇવે નજીક તેજ ઝડપથી આવી રહેલી SUV તેમની કારથી અથડાઈ ગઈ હતી, એમ પોલીસ અધિકારી એફએ પારગીએ કહ્યું હતું.

આ અકસ્માતમાં બે બાળકો સહિત કારમાં રહેલા પાંચ જણનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે અન્ય ચાર જણ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે, એમ તેમણે કહ્યું હતું. SUVચાલક પ્રમુખ પટેલ કે જેઓ SUVમાં એકલા જ હતા, તેઓ ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ દુર્ઘટનામાં સીમા શેખ (24), તેની પુત્રી તનાઝ (4), યાકુબ શેખ (52) અને કૌસર બાનુ (50), અને ઇનાયા શેખ (9)નાં મોત થયાં છે.

SUVચાલક પ્રમુખ પટેલ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 279 (તેજ ડ્રાઇવિંગ) અને 304 (A) (બેદરકારી દાખવવા બદલ મોત) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમને હોસ્પિટલમાંથી રજા અપાયા પછી તેમની ધરપકડ કરવામાં આવશે.

 

 

 

 

જાણીતા દિગ્દર્શક-અભિનેતા નિશિકાંત કામતનું અવસાન

હૈદરાબાદઃ હિન્દી ફિલ્મ ‘દ્રશ્યમ’ (અજય દેવગન, તબ્બૂ અભિનીત), ‘મદારી’ (ઈરફાન ખાન અભિનીત) અને મરાઠી ફિલ્મ ‘લય ભારી’ (રિતેશ દેશમુખ અભિનીત)ના દિગ્દર્શક નિશિકાંત કામતનું આજે અહીંની હોસ્પિટલમાં નિધન થયું છે. એ 50 વર્ષના હતા. એમને લિવર સિરોસીસની બીમારી હતી. એમને કોરોના વાઈરસ ચેપ પણ લાગુ પડ્યો હતો.

કામતને હૈદરાબાદની એશિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ગેસ્ટ્રોએન્ટરોલોજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી.

કામતે કેટલીક હિન્દી અને મરાઠી ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો.

કામતે જોન અબ્રાહમ સાથે ‘ફોર્સ’ અને ‘રોકી હેન્ડસમ’ ફિલ્મો બનાવી હતી.

કામતનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો. 2005માં એમણે મરાઠી ફિલ્મ ‘ડોંબિવલી ફાસ્ટ’ સાથે દિગ્દર્શન ક્ષેત્રમાં એન્ટ્રી કરી હતી. એમની પહેલી જ મરાઠી ફિલ્મને બેસ્ટ ફિચર ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો.

કામતે 2015માં અજય દેવગન, તબ્બૂ તથા શ્રેયા સરનને ચમકાવતી ‘દ્રશ્યમ’ ફિલ્મ બનાવી હતી, જે સુપરહિટ બની હતી.

‘હાથ આને દે’ હિન્દી ફિલ્મમાં કામતે અભિનય કર્યો હતો અને એ સાથે જ એમણે બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. તે ઉપરાંત એમણે ‘સતચ્યા આત ઘરાત’ (મરાઠી), ‘404 એરર નોટ ફાઉંડ’, ‘રોકી હેન્ડસમ’, ‘ફુગે’, ‘ડેડી’, ‘જૂલી-2’, ‘ભાવેશ જોશી ધ સુપરહિરો’ જેવી અનેક હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. 2016માં આવેલી ‘રોકી હેન્ડસમ’માં એમણે વિલનનો રોલ કર્યો હતો. એમણે જ એ ફિલ્મ ડાયરેક્ટ કરી હતી.

કામત ‘દર-બ-દર’ હિન્દી ફિલ્મ બનાવવાની તૈયારીમાં હતા જેને 2022માં રિલીઝ કરવાનું નિર્ધારિત છે.

અજય દેવગન અને રિતેશ દેશમુખે ટ્વીટ દ્વારા કામતને અંજલિ આપી.