Home Blog Page 4703

શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં આઠ કોરોનાગ્રસ્ત દર્દીઓનાં મોતઃ સગાંઓનો ભારે હંગામો

અમદાવાદઃ શહેરના નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આગ લાગતાં કમસે કમ આઠ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ હોસ્પિટલ કોવિડ-19ના દર્દીઓ માટે ફાળવવામાં આવી છે. આ આગની દુર્ઘટનામાં કોવિડ-19ના દર્દીઓનાં મોત થયાં છે. શ્રેય હોસ્પિટલમાં ગઈ કાલે રાત્રે આશરે ત્રણ કલાકે અચાનક આગ લાગી હતી. આ આગમાં કોરોનાના દર્દી એવા પાંચ પુરુષો અને ત્રણ મહિલા સહિત આઠ દર્દીઓના મોત થયાં હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. આ દુર્ઘટના ICUમાં લાગી હતાં, જેમાં સારવાર લઈ રહેલા આઠ દર્દીઓનાં મોત થયાં હતાં.આ હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે અને આ હોસ્પિટલ સામે FIR નોંધવામાં આવ્યો છે.

વડા પ્રધાને ટ્વીટ કર્યું

આ દુર્ઘટનાની વડા પ્રધાને ગંભીર નોંધ લેતાં એક ટ્વીટ કર્યું છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ દુર્ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે. આ આગમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે. આ આગમાં એક પિતા-પુત્રના પણ મોત થયાં હતાં. વડા પ્રધાને આ દુર્ઘટનાને અત્યંત દુખદ ગણાવી હતી અને મૃતકોને બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. જોકે મુખ્ય પ્રધાને આ ઘટનામાં કોઈ સહાયની હજી સુધી જાહેરાત નથી કરી.

હોસ્પિટલમાં આગ શોર્ટ સર્કિટને કારણે

શ્રેય હોસ્પિટલમાં આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાની શક્યતા છે. જોકે ફાયર વિભાગ આ અંગે તપાસ કરી રહ્યું છે. આ હોસ્પિટલને ફાયરનું NOC મળ્યું હતું કે કેમ –એ પણ તપાસ કરવામાં આવી છે. હાલમાં આરોગ્ય સચિવ જયંતી રવિ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં.

 અન્ય 35 દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં ખસેડાયા

આ હોસ્પિટલમાં આગ લાગ્યા પછી ફાયર બ્રિગ્રેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ હોસ્પિટલના કર્મચારીઓએ આગ લાગ્યાના તરત બાદ 35 અન્ય દર્દીઓને SVP હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

મધરાતે હોસ્પિટલમાં અફરાતફરી

આ આગ ત્રણથી સાડાત્રણ દરમ્યાન લાગતાં મધરાતે હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 8 દર્દીઓના મોત થયા છે. તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. હોસ્પિટલમાંથી અન્ય લોકોને બચાવી પણ લેવામાં આવ્યા છે.

શ્રેય હોસ્પિટલ બહાર દર્દીઓના પરિવાજનોનો આક્રોશ
શ્રેય 50 બેડવાળી કોવિડ-19 હોસ્પિટલ છે. જ્યાં 40થી વધુ કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં જે દર્દીઓનાં મોત થયાં છે, એ દર્દીઓની માહિતી પરિવારજનોને ન આપવાના આક્ષેપ સાથે હોસ્પિટલની બહાર પરિવારજનોનો આક્રોશ જોવા મળ્યો હતો.

આ હોસ્પિટલમાં જે દર્દીઓનાં મોત થયાં છે, તેમનાં નામ નીચે મુજબ છે.

પાલડીના આયશાબહેન તીરમિઝી- પાલડી,  જ્યોતિબેન સિંધી- ખેરાલુ, અરવિંદભાઈ ભાવસાર-મેમનગર,  નવીનલાલ શાહ- ધોળકા,  આરિફ મન્સૂરી-વેજલપુર, લીલાવતીબેન શાહ- વાસણા,  નરેન્દ્રભાઈ શાહ-ધોળકા અને  મનુભાઈ ઈશ્વરભાઈ રામી- મેમનગરનો સમાવેશ થાય છે.

 

 

સુવિચાર – ૬ ઓગસ્ટ, ૨૦૨૦

સુવિચાર – ૬ ઓગસ્ટ, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 06/08/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો તમારો દિવસ સારો છે ઉત્સાહ તમારા વર્તનમાં જ દેખાઈ આવે, તમારા ધાર્યા કામ થઈ શકે છે , વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, કોઈ ધાર્મિકપ્રસંગકે સ્થળ પર જવાના યોગ છે, કોઈ સદ્કાર્યકે દાન કરવાની ઈચ્છા હોય તેપણ ફળીભૂત થવાથી ખુશીની સારી લાગણી અનુભવી શકો.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે અને તેમાં પ્રવાસનું આયોજન થઈ શકે છે, ક્યાંક નાણાકીયખર્ચ થાય, પ્રિયજન સાથે કોઈબાબતમાં વાર્તાલાપમાં બાંધછોડ કરવાની વૃત્તિ તમને લાભ અપાવી શકે છે, વેપારમાં ગણતરી પૂર્વકનુજ કામકાજ કરવું ઇચ્છનીય છે.


આજના દિવસે સાવચેતી રાખવી અને કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, મુસાફરી કંટાળાજનક અને સમયનાવ્યય વાળી બની શકે છે, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, શકય હોયતો ભક્તિમાં સમય વધુ ફાળવવો ઇચ્છનીય છે, એકંદર દિવસ શાંતિથી પસાર કરવો સારો.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળે અને પરિણામે કામપ્રત્યેનો અણગમો અને માનસિકથાકની લાગણી અનુભવાય, ક્યાંકને ક્યાંક ધીરજનો અભાવ વધુ વર્તાય. અગત્યના કામની  વાતચીતમાં ધીરજ અને ગણતરીપૂર્વક કામ કરવું યોગ્ય કહી શક્ય, વેપારમાં નાનું કામ કરવુજ  યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે તમારામાં આત્મવિશ્વાસ સારો જોવા મળે, ભૂતકાળના કોઈ કામની કદર થાય તેમાં તમને સારા સંતોષની લાગણી અનુભવો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે વધુ મેહનતથી સારા ફળ મળે તેવી આશા રાખી શકાય. વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઇ શકે છે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ વાણીસયમ રાખવો જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે કોઈપણ બાબતપર વાદવિવાદ કરવો ઇચ્છનીય નથી કેમકે તેમની લાગણી દુભાઈ શકે છે, મનને એકાગ્ર કરવાથી શાંતિ અનુભવી શકશો.


આજનો દિવસ સારો છે, તમે તમારા પ્રિયજનને સારીરીતે કોઈબાબતમાં ખુશ કરી થોડું ધાર્યું કામ કરાવી લો તેવું બનવા જોગ છે, વેપારમાં અનુભવ મુજબ કામ લાભ કરાવી શકે છે, નજીકના કોઈ ધાર્મિકસ્થળ કે પ્રસંગમાં જવાથી તમને જૂનીઓળખાણ કે જુનાસ્મરણો તાજા થાય તેવું બની શકે છે.


આજનો દિવસે શાંતિ અને સાવચેતી રાખવી તેમાંપણ ખાસ ગુસ્સાને કાબુમાં રાખવો અને વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારમાં જોખમન કરવું, પ્રિયજન સાથે કોઈવાત બાબત દલીલબાજીન કરવી, ધાર્મિકબાબતમાં મન સ્થિર રાખશોતો શાંતિ સારી રહેશે.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ ભાગ્ય સાથ આપે તેવું કયાંક બની શકે,  વેપારમાં લાભ થઈ શકે છે, ધાર્મિકપ્રસંગકે ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે અને તેમાં કોઈ સદ્કાર્ય કરવાની ભાવના જાગે, જૂનીઓળખાણ તાજી થાય, તમારી પરોપકાર કરવાની વૃતી આજે વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય તેમજ કામકાજ બાબત વડીલકે ઉપરી  અધિકારી સાથે વાદવિવાદના કરવો. વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાયકે અપશબ્દ પ્રયોગના થાયતે બાબત ધ્યાન રાખવું જરૂરી છે, વેપારમાં નાનું કામ કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રો,પરિચિતો સાથે નવીનકાર્યનું આયોજન થઇ શકે છે તેમજ પ્રવાસ પણ ક્યાંક થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારું રહે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય કહી શકાય., આજે તમારામાં ધાર્મિકભાવના વધુ જોવા મળે અને ભક્તિ અને દાન કર્મ કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસે ધીરજ અને સાવચેતી રાખવી, તમને નકારત્મકવિચાર વધુ આવી શકે છે, વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, પાડવા-વાગવાથી સાચવવું, ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, અગત્યની વાતચીતમાં વ્યવહારુ અભિગમ રાખવો ઇચ્છનીય છે, વેપારમાં જોખમથી દુર રહેવું.

પંચાંગ: 06/08/2020

અયોધ્યા-કશ્મીરઃ હિન્દુ રાષ્ટ્રવાદીઓ માટે બે જીત?

વડ પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મુસ્લિમ બહુમતી પ્રદેશ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યાના ઠીક એક વર્ષ પછી અયોધ્યામાં રામ ભૂમિપૂજન કાર્યક્રમમાં રામ મંદિરના નિર્માણના પાયામાં ઈંટ મૂકી હતી- જે હિન્દુ રાષ્ટ્રવાદી સરકાર માટે બેવડી જીત હતી. તેમના આલોચકો તેમણે 20 કરોડ મુસલમાનોની કિંમતે દેશને હિન્દુ રાષ્ટ્રના રૂપમાં યાદ કરીને જોઈ રહ્યા છે અને એને સત્તાવાદી દિશામાં પગ માંડતાં જોઈ રહ્યા છે. ભારતના સૌથી પરિવર્તનકારી નેતા

મોદી નિશ્ચિતરૂપે હાલની સ્મૃતિમાં ભારતના સૌથી પરિવર્તનકારી નેતા રહ્યા છે, એમ વિલ્સન સેન્ટરના માઇકલ કુગલમેને જણાવ્યું હતું. આ બે ઘટનાઓએ તેમને બહુ લોકપ્રિય કરી દીધા છે, પણ બંને ઘટનાઓ વિવાદસ્પદ અને વિભાજનકારી પણ છે.

અયોધ્યા કેટલીક જોખમકારક હિંસાનો પલીતો

ઉત્તર ભારતના પવિત્ર શહેર અયોધ્યા લાંબા સમયથી ભારતના ધાર્મિક વિભાજનોમાં એક દોષપૂર્ણ રેખા રહી છે અને કેટલીક જોખમકારક હિંસાનો પલીતો રહ્યું છે. શ્રદ્ધાળુ હિન્દુઓનું માનવું છે કે ભગવાન રામ, યોદ્ધા ભગવાન- આશરે 7000 વર્ષ પહેલાં જન્મ્યા હતા, પણ 16મી સદીમાં તેમના જન્મસ્થાનની ઉપર એક મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એના લીધે ધાર્મિક તોફાનોને થયાં હતા, જેમાં 2000 લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટા ભાગના મુસ્લિમો હતા.

નવેમ્બરમાં ભાજપની એક મોટી જીત થઈ

એક લાંબી કાનૂની લડાઈ ચાલી, પણ નવેમ્બરમાં ભાજપની એક મોટી જીત થઈ હતી. દેશની સુપ્રીમ કોર્ટે હિન્દુઓને વિવાદિત ભૂમિથી સન્માનિત કર્યા હતા, જેનાથી એક મંદિર આકાશને આંબે એવું બનાવવામાં આવશે. આ (મોદી)ની એક મોટી ઉપલબ્ધિ છે. તેઓ આ મંદિરના જોરે સંપૂર્ણ રીતે ઇતિહાસમાં સ્થાયી રીતે પોતાનું સ્થાન બનાવ્યું છે, એમ બાયોગ્રાફર નિલાંજન મુખોપાધ્યાયે જણાવ્યું હતું. આ ઉપરાંત ચેમણે ભારત અને પાકિસ્તાનની વચ્ચે 1947થી વિભાજિત થયેલા કાશ્મીરમાંથી 370ની કલમને દૂર કરીને એને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધો હતો. કાશ્મીર માટે હંમેશાં બંને દેશો વચ્ચે યુદ્ધનો મુદ્દો અને અનેક લોકોનું લોહી વહ્યું છે.

એક ઐતિહાસિક ભૂલ

ભાજપે હંમેશાં લાંબા સમયથી ભારત દ્વારા નિયંત્રિત કાશ્મીરને એક ઐતિહાસિક ભૂલ સ્વરૂપે જોયું છે અને પાછલા વર્ષે પાંચ ઓગસ્ટે મોદીને એને સમાપ્ત કરી દીધું હતું.

અયોધ્યામાં ચાંપતી સુરક્ષા-વ્યવસ્થા

એકસાથે સુરક્ષા અભિયાને આ ક્ષેત્રને છેલ્લાં કેટલાંકક સપ્તાહોથી કિલ્લામાં તબદિલ કરી દીધું હતું, જેમાં બધા ટેલિકોમ્યુનિકેશન્સ પર કાપ મૂક્યો હતો અને હજારોની અટકાયતમાં કરવામાં આવી હતી.

કાશ્મીરની બહાર લોકોને પહેલી વાર ડોમિસાઇલ હકો

હવે કાશ્મીરની બહાર લોકોને પહેલી વાર ડોમિસાઇલ હકો આપવામાં આવી રહ્યા છે, જેનાથી તેમને જમીન ખરીદવાનો અને સરકારી નોકરીઓનો દાવો કરવાનો અધિકાર મળી ગયો છે. એનાથી એ ડર પેદા થયો કે મોદી મુસ્લિમ બહુમતી કાશ્મીરની જનસંખ્યાને અને ધાર્મિકતા મુદ્દે વેસ્ટ બેન્કમાં ઇઝરાયલનાં કાર્યોની જેમ બદલવા ઇચ્છે છે.

મોદીના આલોચકો ચિંતિત

અન્ય કાર્યો એ પણ મોદીના આલોચકોને ચિંતિત કરી દીધા છે અને તેમના પ્રશંસકોને ખુશ કરી દીધા છે. ગયા વર્ષે CAAના નવા કાયદાએ ત્રણ પડોશી દેશોના લાખો ગેરકાયદે પ્રવાસીઓને માટે નાગરિકતા પ્રાપ્ત કરવાનું સરળ બનાવી દીધું છે, પણ આમાં અન્ય દેશોના મુસ્લિમોનો સમાવેશ થતો નથી.

હિન્દુ રાષ્ટ્રવાદી એજન્ડા

હજી વધુ કાર્યો પાઇપલાઇનમાં છે, જેમાં ભાજપના એજન્ડામાં એકસમાન નાગરિક ધારો છે, જેમાં લગ્ન, પરિવાર અને મૃત્યુ જેવાં ક્ષેત્રોમાં ધાર્મિક અલ્પસંખ્યકો માટે વ્યક્તિગત કાનૂનોની સાથે-સાથે મુખ્ય રૂપે મુસલમાનો માટે બનાવવામાં આવેલી નીતિ છે. સ્પષ્ટરૂપે એ હિન્દુ રાષ્ટ્રવાદી એજન્ડાની નીતિથી આગળ વધી રહ્યા છે, એમ કુગેલમેને કહ્યું હતું.

સરકારને માલૂમ છે કે અર્થતંત્ર અને રોગચાળાની સાથે મોટા પડકારો છે, છતાં સામાજિક એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કરાવીને એ અન્ય મુદ્દાઓને દૂર કરાવી શકે છે.

મુસળધાર વરસાદ સાથે તેજ પવનઃ નાગરિકોને મુંબઈ પોલીસની ચેતવણી

મુંબઈઃ શહેરના તળ વિસ્તારો તથા ઉપનગરોમાં છેલ્લા ત્રણ દિવસથી મુસળધાર વરસાદ પડી રહ્યો છે અને કલાકના 70 કિ.મી.ની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો હોવાને કારણે શહેરના વિવિધ ભાગોમાં પાણી ભરાવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આને કારણે નાગરિકોએ માત્ર અત્યંત જરૂરી હોય તો જ પોતાના ઘરની બહાર નીકળવું, અન્યથા ઘરમાં જ રહેવું એવી ચેતવણી મુંબઈ પોલીસે નાગરિકોને આપી છે અને અપીલ કરી છે.

વરસાદનું જોર વધ્યું છે અને સાથોસાથ પવન પણ તેજ ગતિએ ફૂંકાઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં નાગરિકોએ પોતાનો જાન જોખમમાં નાખવો નહીં.

ભારે પવનને કારણે મુંબઈમાં અનેક સ્થળોએ તોતિંગ ઝાડ તૂટી પડવાની અનેક ઘટનાઓ બની છે. મરીન ડ્રાઈવ વિસ્તારમાં સિગ્નલનો વિશાળ થાંભલો જમીનદોસ્ત થયો હતો.

ભાયખલામાં એક સ્થળે મોટું વૃક્ષ એના મૂળમાંથી ઉખડીને પડી ગયું હતું.

તો, અંધેરી (વેસ્ટ)માં જીવન નગર વિસ્તારમાં ‘ચિત્રલેખા’ મેગેઝિનનું કાર્યાલય જ્યાં આવેલું છે તે અંધેરી ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ઈમારતની બહારના પ્રવેશદ્વારની બાજુનું એક વર્ષો જૂનું અને ઘટાદાર વૃક્ષ પણ ધરાશાયી થયું હતું. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈને ઈજા થઈ નથી.

ભારે પવનને કારણે દક્ષિણ મુંબઈમાં બહુમાળી જસલોક હોસ્પિટલના બહારના ભાગમાં બેસાડેલી સીમેન્ટની વજનદાર જાળીઓ (ક્લેડિંગ) ખૂબ ભયજનક રીતે તૂટી પડી હતી અને હવામાં ઉડીને જ્યાં ત્યાં પડી હતી. એને કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

મુંબઈ ઉપરાંત પડોશના પાલઘર જિલ્લાના વસઈ, નાલાસોપારા, વિરાર, પાલઘર શહેરોમાં તેમજ થાણે જિલ્લામાં થાણે શહેર, નવી મુંબઈમાં પણ મુસળધાર વરસાદ પડવાનું અને તેજ ગતિએ પવન ફૂંકાવાનું આજે બીજા દિવસે પણ ચાલુ રહ્યું છે.

તમામ સ્થળોએ નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના જવાનોની ટૂકડીઓ તાકીદની બચાવ કામગીરીઓ બજાવવા માટે તૈનાત કરવામાં આવી છે.

ગીરગામ ચોપાટી વિસ્તારમાં પણ દરિયામાં ભરતી આવતાં પાણી કિનારા પર ફરી વળ્યું હતું અને બહાર રોડ પર આવી ચડ્યું હતું.

જે. જે. હોસ્પિટલની અંદર વરસાદનાં પાણી ભરાયા…

રામ મંદિર ભૂમિપૂજનનો અમદાવાદમાં પણ હરખઃ વિવિધ સંગઠનો જોડાયાં

અમદાવાદ: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે આજે ભૂમિપૂજન કાર્યક્રમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પૂજા કરી હતી ત્યારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટેના શિલાન્યાસના કાર્યક્રમની સાથે-સાથે સમગ્ર દેશ અને દુનિયાનાં વિવિઘ સંગઠનોએ પણ આજના દિવસને ઉત્સવની જેમ ઉજવણી કરી હતી.

 નાયબ મુખ્ય પ્રધાનની ઉપસ્થિતિમાં આરતી, પૂજા-અર્ચના કરાઈ

અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા વણીકર ભવનના વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલયમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં આરતી, પૂજા-અર્ચના અને કારસેવકોને યાદ કરી સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આશ્રમ રોડ પર આવેલા ઉસ્માનપુરા વિસ્તારમાં બજરંગ દળના કાર્યકર્તાઓએ રામલલ્લાની આરતી કરી હતી. ત્યારબાદ ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો.

(પ્રજ્ઞેશ વ્યાસ)

રામ મંદિરનું ભૂમિપૂજનઃ ગુજરાતમાં અનેરો ઉત્સાહ, ઠેર-ઠેર કાર્યક્રમોનું આયોજન

અમદાવાદઃ અયોધ્યામાં આજે કરોડો દેશવાસીઓની આતુરતાનો અંત આવ્યો છે. સમગ્ર દેશમાં આજે અનેરા આનંદ-ઉત્સાહના વાતાવરણ સર્જાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે સંપન્ન થયેલ ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણનો શિલાન્યાસ સમારોહ કરોડો દેશવાસીઓની અપેક્ષા, આકાંક્ષાઓ અને સંકલ્પનું પ્રતિબિંબ બન્યો છે. ત્યારે આ રામ ભૂમિપૂજનના પ્રસંગે ગુજરાતમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. રાજ્યભરમાં આ ભૂમિપૂજન કાર્યક્રમને લઈને ઠેર-ઠેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

દેશવાસીઓ માટે આનંદ અને ગૌરવનો દિવસઃ રૂપાણી

અયોધ્યામાં પાંચ શતાબ્દીની તપસ્યા પૂરી થઈ. દેશના કરોડો હિન્દુઓની આસ્થાના અને શ્રદ્ધાનું પ્રતીક એવા ભગવાન શ્રી રામના જન્મ સ્થળે ભવ્ય મંદિર નિર્માણનું કાર્ય શરૂ થયું છે. સમગ્ર દેશમાં આજે દિવાળીના પ્રસંગ જેવો માહોલ છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી આજે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું ભૂમિપૂજન સમગ્ર ગુજરાત સહિત દેશવાસીઓ માટે આનંદ અને ગૌરવનો પ્રસંગ બન્યો છે, એમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જણાવ્યું હતું.

સુરતના વરાછામાં માનગઢ ચોક ખાતે શ્રીરામની પૂજા-અર્ચના

સુરતના વરાછામાં માનગઢ ચોક ખાતે આયોજિત સમારોહમાં ઉપસ્થિત રહી ભગવાન શ્રીરામની પૂજા અર્ચના કરવામાં આવી હતી. રાજ્યના ભાજપના પ્રદેશાઅધ્યક્ષ સી. આર. પાટીલે કહ્યું હતું કે આ દેશના લોકોની ઇચ્છા આજે પૂર્ણ થઈ રહી છે. જેમણે પણ શ્રીરામ મંદિરના નિર્માણ માટે સહકાર્ય કર્યું, જે રામ-સેવકોએ કાર સેવા કરી, જેમણે પણ શહીદી વહોરી છે, એ સૌને યાદ કરું છું. તેમણે વડા પ્રધાન મોદી અને અને ગૃહપ્રધાન અમિતભાઈ શાહને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યાં હતા.

ભૂમિપૂજનને લઈને દાહોદમાં દિવાળીનો માહોલ

દાહોદમાં રામ મંદિરના ભૂમિપૂજનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દિવાળી હોય તેમ પુરબિયાડ વિસ્તારને રંગોળીથી શણગારવામાં આવ્યો હતો. રામ મંદિર ભૂમિપૂજનના સાક્ષી બનવા માટે દાહોદના પાલ્લી પંચમુખી હનુમાન મંદિરને 1051 દીવડાઓથી શણગારવામાં આવ્યું હતું. દીપોથી શણગારવામાં આવેલા મંદિરમાં ભક્તોએ દિવાળીની જેમ ઉજવણી કરી હતી. આ સાથે રસ્તા પર રંગોળી, મકાનોની દીવાલ પર જય શ્રીરામ, ત્રિશુલ, ગદા વગેરથી વિસ્તારને શણગારવામાં આવ્યો હતો. આજે સાંજે તમામ વિસ્તારને દીપોથી સજાવવામાં આવશે. આ વિસ્તારના લોકોએ જાતે રંગોળી બનાવી હતી.

રામ મંદિરને લઈને રાજકોટમાં ભાજપ કાર્યાલય શણગારાયું

રામં મંદિર ભૂમિભૂજનને લઈને રાજ્યભરમાં હરખ છવાયો હતો. રાજકોટમાં પણ રામ મંદિર માટે શિલાન્યાસને લઈને રાજકોટ ભાજપ કાર્યાલયને શણગારવામાં આવ્યું હતું. એટલું જ નહીં ભાજપ કાર્યકરો ઉત્સાહ અને ઉમંગમાં આવી હાથમાં મીણબત્તી પ્રગટાવી ભગવાન રામની આરતી કરી હતી. તમામ કાર્યકરો ગરબા રમ્યા હતા અને મોં મીઠા કરાવી ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. રાજકોટ ભાજપ કાર્યાલયને પીતાંબર રંગ સાથે શણગારવામાં આવ્યું હતું.  રાજકોટનાં મેયર બીનાબહેન આચાર્યે દેશના તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

અમદાવાદમાં ભવ્ય મહા આરતીનું આયોજન

અમદાવાદમાં VHP અને બજરંગ દળ તેમ જ સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં વીએચપી અને બજરંગદળ તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું  હતું, જેમાં ખાસ કરીને ઉસ્માનપુરા વિસ્તારમાં ચાંપાનેર સોસાયટી પાસે સવારે ભવ્ય મહા આરતી અને આતશબાજી તથા  બોપલ વકીલ બ્રિજ, ઇસકોન બ્રિજ, લો-ગાર્ડન ખાત સવારે ૧૧થી ૩ વાગ્યા સુધી રામ મંદિર શિલાન્યાસ ઉત્સવ અને સાયન્સ સિટી રોડ ઉપર સોલા બ્રિજ નીચે બહુચર માતા મંદિર ચોક ખાત સાંજે ૬.૩૦ વાગે ૧૧૦૦૦ દીપ પ્રાગટય કરવામાં આવશે.

હાર્દિક પટેલે 21,000ના દાનની જાહેરાત કરી

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મંગળવારે રામ મંદિરના નિર્માણ માટે 21,000 દાનની જાહેરાત કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ મંદિર દેશમાં રામ રાજ્યની શરૂઆત કરશે.

રામમંદિર ભૂમિપૂજન પ્રસંગે દીપિકા ચિખલિયાએ ખુશી વ્યક્ત કરી

મુંબઈઃ ભારતના ઈતિહાસમાં આજનો દિવસ ખૂબ મહત્ત્વનો અને યાદગાર છે, કારણ કે આજે ઉત્તર પ્રદેશના પ્રસિદ્ધ યાત્રાધામ અયોધ્યામાં ભગવાન શ્રીરામના બાળસ્વરૂપ રામલલાના જન્મસ્થળ, જ્યાં રામજન્મભૂમિ મંદિર બંધાવાનું છે ત્યાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂમિપૂજન કર્યું હતું. દાયકાઓના કાનૂની સંઘર્ષ બાદ આખરે આજે એ સુવર્ણ દિવસ ઉગ્યો છે જ્યારે ભગવાન શ્રીરામના જન્મસ્થળે મંદિરનું ખાતમુહૂર્ત થયું.

આ શિલાન્યાસ પ્રસંગે દેશવાસીઓમાં આનંદની લહેર ફરી વળી છે ત્યારે લોકપ્રિય ટીવી સિરિયલ રામાયણમાં સીતાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી દીપિકા ચિખલિયા-ટોપીવાલાએ પણ ખુશી વ્યક્ત કરી છે. એમણે પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લોકોને અભિનંદન આપ્યાં છે.

પોતાનાં જમણા હાથમાં દીવડો લઈને દીપિકાએ લોકોને અભિનંદન આપતાં લખ્યું છેઃ આજનો દિવસ પ્રત્યેક ભારતીય માટે ગર્વનો દિવસ છે. 500 વર્ષના સંઘર્ષ બાદ આજે ભગવાન શ્રીરામ પોતાના ઘરમાં પાછા ફર્યા છે. એમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

દીપિકાએ એક વિડિયો પોસ્ટ કર્યો છે. હાથમાં દીવડો પકડીને એ બોલે છેઃ ‘જય સિયા રામ. આપ સહુને ખૂબ ખૂબ અભિનંદન. રામ મંદિરના ભૂમિપૂજનના અવસરે જ્યોત સે જ્યોત જલાતે ચલો, રામ કા નામ જપતે ચલો. જય સિયા રામ.’ આ સાથે એમણે આ હેશટેગ મૂક્યા છેઃ #ram #mandir #ayodhya #sita #ramsita #sitaram #narendramodi #ramayan #ramayana #lights #diwali #deepavali”

 

બૈરુતમાં ભયાનક વિસ્ફોટમાં મરણાંક 100થી વધુ

બૈરુતઃ લેબેનોનના આ પાટનગર શહેરમાં ગઈ કાલે થયેલા ભયાનક અને ડરામણા પ્રચંડ વિસ્ફોટમાં માર્યા ગયેલાઓનો આંક ઓછામાં ઓછો 100 છે અને 4000 જેટલા લોકો ઘાયલ થયા છે. બૈરુતના બંદર વિસ્તારમાં થયેલા ધડાકાએ સમગ્ર શહેરને હચમચાવી મૂક્યું હતું અને એના વિડિયો અને તસવીરો જોઈને સમગ્ર દુનિયા કંપી ઊઠી હતી. એક વેરહાઉસ મકાનમાં સંઘરેલા 2,750 ટન એમોનિયમ નાઈટ્રેટ રસાયણને કારણે ધડાકો થયો હતો. એ રસાયણનો જથ્થો જપ્ત કરાયેલો હતો અને અસુરક્ષિત હાલતમાં રાખવામાં આવ્યો હતો.

કુલ બે ધડાકા થયા હતા. અનેક ઘાયલ લોકોની શોધ આજે સવારે પણ ચાલુ હતી. પહેલો ધડાકો અત્યંત પ્રચંડ હતો. એને કારણે 10 કિલોમીટરની અંદર આવેલા તમામ મકાનો હચમચી ગયા હતા.

બે ધડાકા મંગળવારે સ્થાનિક સમય મુજબ સાંજે 6.10 વાગ્યે થયા હતા. ધડાકાને કારણે આખા શહેરના મકાનો હચમચી ગયા હતા. અનેક મકાનોને નુકસાન થયું છે અને જાનહાનિ થઈ છે.

મરણાંક વધે એવી સંભાવના છે.

લેબેનોનના વડા પ્રધાન હસન દિયાબે આ ભયાનક ધડાકાઓની અસરમાંથી બહાર આવવામાં લેબેનોનને મદદરૂપ થવાની એમના દેશના મિત્ર રાષ્ટ્રોને વિનંતી કરી છે.

દિયાબે ધડાકાઓમાં મૃત્યુ પામેલાઓની યાદમાં આજે રાષ્ટ્રીય શોકનો દિવસ ઘોષિત કર્યો છે.

ધડાકાઓનું કારણ હજી સત્તાવાર રીતે જાહેર કરાયું નથી, પરંતુ દેશના ગૃહ પ્રધાન મોહમ્મદ ફહમીનું કહેવું છે કે બંદરીય શહેર બૈરુતના વેરહાઉસમાં સંગ્રહ કરાયેલા વિસ્ફોટક રસાયણો (એમોનિયમ નાઈટ્રેટ)ને કારણે થયો હોય એવું લાગે છે. આવા રસાયણોનો સંગ્રહ કરવા પાછળના કારણો વિશે કસ્ટમ્સ અધિકારીઓને પૂછવામાં આવશે.

એક તરફ લેબેનોન કોરોના વાઈરસ કટોકટી તથા આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે ત્યારે આ પ્રચંડ ધડાકાઓએ તેને નવો મોટો ફટકો માર્યો છે.

અનેક દેશોના નેતાઓએ આ દુર્ઘટના અંગે શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી છે.