Home Blog Page 4709

પ્રીતિ આનંદ માણે છે ઓર્ગેનિક ખેતીનો; ઘરમાં કેપ્સીકમ ઉગાડ્યાં

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી પ્રીતિ ઝીન્ટાએ એનાં માતાનો આભાર માનતી એક નોંધ સોશિયલ મિડિયા પર શેર કરી છે. પ્રીતિનું કહેવું છે કે એની માતાએ પોતાને ઘરમાં જ શાકભાજી ઉગાડતાં શીખડાવ્યું છે. ઘરમાં જ ઓર્ગેનિક ખેતી કરવાનો અને તાજાં કેપ્સીકમ મરચાં ઉગાડવાનો પ્રીતિ ખૂબ આનંદ માણી રહી છે.

પ્રીતિએ તેનાં વેરીફાઈડ ટ્વિટર એકાઉન્ટ પર બે વિડિયો શેર કર્યાં છે જેમાં તે ઘરમાં ઉગાડેલાં તાજાં કેપ્સીકમ મરચાંને તોડીને બતાવતી જોઈ શકાય છે.

પ્રીતિએ એનાં મેસેજની કેપ્શનમાં લખ્યું છે કે, ‘ઘર કી ખેતી. ઘરમાં જ પોતાનાં શાકભાજી ઉગાડવાનું કેટલું આશ્ચર્યકારક છે. થેંક્યૂ મા – મને ઘરમાં જ પોતાનાં શાકભાજી ઉગાડવાનું શીખડાવવા બદલ અને મને પ્રેરણા આપવા બદલ. હું તો આજે ખુશીથી ઝૂમી રહી છું. કુદરતની આટલી નજીક હું પોતાને અગાઉ ક્યારેય અનુભવી શકી નહોતી.’ આ સાથે પ્રીતિએ હેશટેગમાં ‘જયમાતાદી’, ‘ઓર્ગેનિક ગાર્ડનિંગ’, ‘શીમલામિરચી’ લખ્યું છે.

રોગચાળા કોરોના વાઈરસના ફેલાવાને કારણે લોકડાઉન થયા બાદ બીજાં અન્ય ફિલ્મી સિતારાઓની પ્રીતિ ઝીન્ટા પણ ઘરમાં પૂરાઈ ગઈ હતી. હવે લોકડાઉનને ધીમે ધીમે હળવું કરાઈ રહ્યું છે ત્યારે એણે પણ શૂટિંગ કામકાજ ફરી શરૂ કર્યું છે. એ લગભગ છ મહિનાથી ઘરમાં જ હતી. રોગચાળાના જોખમ વચ્ચે શૂટિંગ ફરી શરૂ કરાયું છે ત્યારે એણે મિશ્ર પ્રત્યાઘાત વ્યક્ત કર્યાં છે. ‘આખો દિવસ માસ્ક પહેર્યાં વગર રહેવાનું ગભરાટભર્યું લાગે છે. મને તો ડર, રોમાંચ અને નર્વસનેસ – જેવી મિક્સ લાગણીનો અનુભવ થાય છે,’ એવું તેણે પોતાનાં વેરીફાઈડ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં લખ્યું છે.

 

ભારતને 2G-મુક્ત કરવાની તાતી જરૂરઃ મુકેશ અંબાણી

ભારતના 30 કરોડ મોબાઇલ ઉપયોગકર્તા 2G યુગમાં ફસાયેલા છે. મોબાઇલ યુગને 25 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી ‘દેશ કી ડિજિટલ ઉડાન’માં મુકેશ અંબાણીનું વર્ચ્યુઅલ સંબોધન


મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું છે કે, 2Gને એક ઇતિહાસ બનાવી દેવાની તાતી જરૂરિયાત છે.

ભારતમાં મોબાઇલ યુગના 25 વર્ષની ઉજવણી રૂપે આજે આયોજિત કરાયેલા કાર્યક્રમ ‘દેશ કી ડિજિટલ ઉડાન’માં પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં અંબાણીએ કહ્યું હતું કે “હું માનું છું કે 2Gને ઇતિહાસનો એક હિસ્સો બનાવી દેવા માટે નીતિ વિષયક પગલાં બને તેટલા વેળાસર લઈ લેવા જોઈએ.”

ભારતમાં પહેલો મોબાઇલ ફોન કોલ કરવામાં આવ્યો તેની રજત જયંતીએ બોલતાં અંબાણીએ કહ્યું હતું કે, જ્યારે ભારત અને અન્ય દેશો 5Gના યુગમાં જઈ રહ્યા છે ત્યારે 2G યુગના ફીચર ફોનમાં 300 મિલિયન (30 કરોડ) સબસ્ક્રાઇબર્સ જકડાયેલા છે જેઓ પાયાની ઇન્ટરનેટ સેવાથી અલિપ્ત છે. તેમણે કહ્યું હતું કે “હું ખાસ કરીને એ હકીકતનો ઉલ્લેખ કરી રહ્યો છું કે, ભારતમાં 300 મિલિયન સબસ્ક્રાઇબર્સ 2G યુગમાં ફસાયેલા છે, ખાસ કરીને ત્યારે જ્યારે ભારત અને સમગ્ર વિશ્વ 5G ટેલિફોનીના બારણે ઊભા છે ત્યારે આ સબસ્ક્રાઇબર્સ તેમના ફીચર ફોનના કારણે ઇન્ટરનેટ જેવી પાયાની સુવિધાથી વંચિત છે. હું માનું છું કે 2Gને ઇતિહાસનો હિસ્સો બનાવી દેવા માટે નીતિ વિષયક પગલાં વહેલી ત્વરાએ લેવાવા જોઈએ.”

તેમણે ઉમેર્યું હતું કે, મહત્વનું એ છે કે, ડેટા પોસાય તેવો અને વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે, મોબાઇલ ટેલિફોની હવે સમૃદ્ધિની ઉત્પ્રેરક છે અને સામાન્ય ભારતીયનું જે રીતે સશક્તિકરણ થઈ રહ્યું છે એ 25 વર્ષ પહેલા વિચારી શકાય તેમ નહોતું. તેમણે એમ પણ કહ્યું કે, “કોવિડના પગલે થયેલા લોકડાઉને મોબાઇલ ફોન લોકોને કેવી રીતે સશક્ત કરી શકે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેના કારણે સમગ્ર રાષ્ટ્ર કનેક્ટેડ રહ્યું અને અર્થતંત્રના પૈંડા પણ તેણે ગતિશીલ રાખ્યા. આ બધું એ બતાવે છે કે કેવી રીતે ડિજિટલ મોબિલિટી સામાન્ય ભારતીય માટે ‘ઇઝ ઓફ લિવિંગ’ને વધુ સુદૃઢ બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરી રહી છે.”

ભારતમાં મોબાઇલ યુગની રજત જયંતીની ઉજવણી કરતાં અંબાણીએ કહ્યું હતું કે, જિયોએ આપેલા મહત્વપૂર્ણ યોગદાન અને ભારતની ડિજિટલ ઉડાનને જિયો સાતત્ય આપી રહ્યું હોવાનો ઉલ્લેખ કરતાં તેમને આનંદ થાય છે. તેમણે કહ્યું કે, “તેની શરૂઆતના ચાર વર્ષ કરતાં પણ ઓછા સમયમાં ભારતના સૌથી વધુ મોબાઇલ ઉપયોગકર્તા બનતાં જિયોએ ડિજિટલ ક્રાંતિના ફળ મેળવ્યા છે. જિયો પોસાય તેવું, ગુણવત્તાસભર અને ઉપયોગમાં વૈવિધ્ય પ્રદાન કરતું માધ્યમ બન્યું છે.”

RILના ડિજિટલ પ્લેટફોર્મ અને ભાગીદારી અંગેના વિઝનની વાત કરતાં અંબાણીએ કહ્યું હતું કે, આપણા લાખો ખેડૂતો, નાના વેપારીઓ, ગ્રાહકો, નાના અને મધ્યમ વેપાર-વ્યવસાયો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્વાસ્થ્ય સેવા સાથે જોડાયેલા કાર્યકરો અને સંશોધનકર્તાઓના સશક્તિકરણમાં આ પ્લેટફોર્મ સૌથી અત્યાધુનિક ટેક્નોલોજિકલ ઓજાર બની રહેશે. તેમણે વધુમાં કહ્યું કે, તેના દ્વારા નવી અને આકર્ષક રોજગારી અને આપણા પ્રતિભાશાળી યુવાનો માટે આજીવિકાની તકો સર્જાશે.

તેમણે એમ પણ કહ્યું કે, “આપણા વડાપ્રધાનના ‘ડિજિટલ ઇન્ડિયા’ મિશનને આગળ ધપાવવા માટે અમારું સંપૂર્ણ યોગદાન આપવાના જિયોના વચનનો આજે હું પુનરોચ્ચાર કરું છું.”

સંબોધનના અંતે અંબાણીએ કહ્યું હતું કે, “25 વર્ષ પહેલા ભારત મોબિલિટીમાં વિકસિત વિશ્વથી પાછળ હતું. ટેક્નોલોજીના કેટલાક ચાવીરૂપ ક્ષેત્રોમાં સમગ્ર વિશ્વથી આગળ નીકળી જવા માટે હવે ભારતનો સમય આવી ગયો છે. આ વિઝન અને મિશનને સાકાર કરવા માટે ચાલો બધા ભેગા મળીને કામ કરીએ.”

આંધ્ર પ્રદેશમાં દારૂ ન મળતાં સેનિટાઈઝર પીધું: 10નાં મોત

અમરાવતીઃ એક ચોંકાવનારી ઘટનામાં આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લાના કુરિચેડુ મંડલના હેડક્વાર્ટર્સમાં આલ્કોહોલ યુક્ત સેનિટાઇઝર પીવાને કારણે 10 જણના મોત થયાં છે. પોલીસના જણાવ્યા પ્રમાણે કોવિડ-19ને લીધે લાગુ થયેલા લોકડાઉનને કારણે દારૂ ન મળતાં આ લોકોએ સેનિટાઇઝર પી લીધું હતું. પોલીસે કહ્યું હતું કે ગુરુવારે ત્રણ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 7 જણનાં મોત આજે થયા છે.

આદતથી મજબૂર દારૂડિયા

છેલ્લા 10 દિવસોથી લોકડાઉનને કારણે શહેર અને આસપાસનાં ગામડાંઓમાં દારૂની દુકાનો બંધ હતી, એટલે આદતથી મજબૂર પીનારા લોકો (દારૂડિયાઓએ)એ  હાથ સફાઈમાં ઉપયોગમાં આવનાર સેનિટાઇઝર પીવાનું શરૂ કર્યું હતું.

મૃતકોમાં ત્રણ ભિખારી પણ સામેલ

આ મૃતકોમાં ત્રણ ભિખારી પણ સામેલ હતા. એમાંથી બે જણ એક સ્થાનિક મંદિરમાં ભીખ માગતા હતા. ગુરુવારે રાત્રે તેમણે તેમના પેટમાં ગંભીર બળતરાની ફરિયાદ કરી હતી. જ્યારે એક વ્યક્તિનું તત્કાળ મોત થયું હતું. જ્યારે અન્ય એકનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું.

દારૂમાં સેનિટાઇઝરનું મિશ્રણ

અન્ય એક 28 વર્ષીય યુવાને દેશી દારૂ તો પીધો જ હતો, પણ તેણે આ દારૂમાં સેનિટાઇઝરનું મિશ્રણ કર્યું હતું. તે પણ તેના ઘરે બેહોશ થયો હતો. તેનું હોસ્પિટલમાં લઈ જવા દરમ્યાન મોત થયું હતું.

શુક્રવારે પ્રારંભના કલાકોમાં બાકીના છ જણને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે તે બધા પણ મૃત્યુ પામ્યા હતા. પોલીસ એ જાણવાના પ્રયાસો કરી રહી છે કે શું વધુ લોકોને આ પ્રકારની ફરિયાદો પછી હોસ્પિટલમાં લાવવામાં આવી છે કે કેમ?

ઘટનાની તપાસના આદેશ

પોલીસ સુપરિટેન્ડેન્ટ સિદ્ધાર્થ કૌશલએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું હતું કે સેનિટાઇઝરને એ વિસ્તારની દુકાનોમાંથી જપ્ત કરવામાં આવ્યાં છે અને રાસાયણિક વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યાં છે.

પોલીસ એ પ્રયાસ કરી રહી છે કે આ પીડીતોએ માત્ર સેનિટાઇઝરનો જ પીવા તરીકે ઉપયોગ કર્યો હતો કે એની સાથે અન્ય રસાયણો મેળવ્યાં હતાં કે કેમ?

એમેઝોને આંતરરાષ્ટ્રીય વેપાર થકી Q2માં રેકોર્ડ નફો કર્યો

ન્યૂયોર્કઃ કોરોના વાઈરસ ચેપના સંકટને લીધે દુનિયાભરમાં લોકોને ઘરમાં પૂરાઈ રહેવાની કરાયેલી મજબૂરી ઓનલાઇન સેલ્સ પ્લેટફોર્મ માટે વરદાન બની ગઈ છે. એમેઝોન દ્વારા જારી કરવામાં આવેલાં પરિણામો મુજબ જૂનમાં પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીએ અમેરિકામાં અત્યાર સુધીનો રેકોર્ડ નફો કર્યો. આંતરરાષ્ટ્રીય બિઝનેસમાં કંપનીએ વર્ષો પછી પહેલી વાર નફો કર્યો છે. બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીનું વેચાણ 40 ટકા વધીને 88.9 અબજ ડોલરના સ્તરે પહોંચ્યું છે, ગયા વર્ષે સમાન ગાળામાં કંપનીનું વેચાણ 63.4 અબજ ડોલરના સ્તરે હતું. કંપનીનો નફો બે ગણો વધીને 5.2 અબજ ડોલરે પહોંચ્યો છે.

આંતરરાષ્ટ્રીય બિઝનેસમાં 34.5 કરોડ ડોલરનો નફો

આ ત્રિમાસિક ગાળામાં કંપનીને આંતરરાષ્ટ્રીય બિઝનેસમાં 34.5 કરોડ ડોલરનો નફો થયો હતો. પાછલાં કેટલાંય વર્ષોમાં પહેલી વાર કંપનીને અન્ય દેશોમાં વેપાર દ્વારા નફો કર્યો હતો. માર્ચ, ત્રિમાસિક ગાળામાં કંપનીને આંતરરાષ્ટ્રીય વેપારમાં 40 કરોડ ડોલર, ડિસેમ્બર ત્રિમાસિકમાં 61 કરોડ ડોલરનું અને પાછલા વર્ષે બીજા ત્રિમાસિક ગાળામાં આંતરરાષ્ટ્રીય વેપારમાં 60 કરોડ ડોલરનું નુકસાન થયું હતું. પાછલા કેટલાય ત્રિમાસિકથી કંપનીને આ સેગમેન્ટમાં નુકસાન થયું હતું અને ત્રિમાસિકને આધારે એ 90 કરોડ ડોલર સુધી નુકસાન થયું હતું.

પોણા બે લાખની ભરતી

કંપનીના જણાવ્યા પ્રમાણે કોરોના સંકટને કારણે બગડતા સિનારિયોની વચ્ચે લોકોની ખરીદદારીની તરાહ બદલાતાં તેમને લાભ થયો હતો. જોકે કંપનીએ પણ વ્યૂહરચનામાં પરિવર્તન કર્યું હતું. જે વખતે કેટલીય કંપનીઓ છટણી કરી રહી હતી, ત્યારે એમેઝોને માગને ધ્યાનમાં રાખતાં હજ્જારો લોકોની ભરતી કરી હતી. કંપનીએ હાલના મહિનાઓમાં આશરે પોણા બે લાખની ભરતી કરી હતી. કંપનીએ આતરરાષ્ટ્રીય વેપારમાં યુરોપ, ભારત અને જાપાનનો મોટો હિસ્સો છે.

સુશાંત સિંહ મૃત્યુ કેસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસે આજે નવો વળાંક લીધો છે. કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે આ કેસમાં મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે. એજન્સીએ સુશાંતના મૃત્યુના સંબંધમાં રૂ. 15 કરોડની રકમના શંકાસ્પદ સોદાઓ થયા હોવાના મામલે તપાસ આદરી છે.

સુશાંતના બેન્ક એકાઉન્ટમાંથી કરાયેલા રૂ. 15 કરોડના સોદા તેમજ એના ઘરમાંથી કેટલીક રકમ અને ચીજવસ્તુઓની કરાયેલી ઉઠાંતરીના મામલે તપાસ કરી રહેલી બિહાર પોલીસની એફઆઈઆરને આધાર ગણીને ઈડી એજન્સીએ તપાસ આદરી છે.

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ કાયદાનો અમલ કરાવતી કેન્દ્રીય એજન્સી છે. આ ઉપરાંત તે આર્થિક બાબતો માટેની ગુપ્તચર એજન્સી પણ છે, જે દેશમાં આર્થિક ગુનાઓને ઉકેલે છે અને આર્થિક કાયદાઓનો અમલ કરાવે છે. આ એજન્સી કેન્દ્રીય રેવેન્યૂ વિભાગ તથા નાણાં મંત્રાલયનો હિસ્સો છે.

સુશાંતના પિતાએ એમના દીકરાની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તિ, એનાં પરિવારજનો તથા અન્ય છ જણ વિરુદ્ધ સુશાંત સાથે છેતરપીંડી કરવા, એનું શોષણ કરવા અને એને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવા બદલ પટનામાં એફઆઈઆર નોંધાવ્યા બાદ આ કેસમાં ઈડી એજન્સીની એન્ટ્રી થઈ છે.

દેવેન્દ્ર ફડણવીસે ED દ્વારા તપાસ કરાવવાની માગણી કરી

બોલીવૂડના 34 વર્ષીય પ્રભાવશાળી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુથી સર્જાયેલું રહસ્ય ઘેરું બનતું જાય છે અને આજે સવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ આપેલી પ્રતિક્રિયાને કારણે કેસમાં નવો વળાંક આવ્યો છે.

ફડણવીસે કહ્યું છે કે સુશાંતના મૃત્યુ કેસમાં કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) દ્વારા તપાસ કરાવવી જોઈએ, કારણ કે એવું લાગે છે કે આ કેસમાં મોટા પાયે નાણાંની ઉચાપત થઈ હોવાનો (મની લોન્ડરિંગ)નો મુદ્દો સામેલ છે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષી નેતા ફડણવીસે ટ્વિટર પર શેર કરેલા એક વિડિયો નિવેદનમાં મરાઠીમાં કહ્યું છે કે સુશાંત મૃત્યુ કેસમાં મુંબઈ પોલીસને બદલે કેન્દ્રીય સત્તાવાળાઓએ તપાસ કરવાની જરૂર છે.

ફડણવીસે કહ્યું કે સુશાંતના કેસ સાથે જનતાની વિશાળ પાયે લાગણી સંકળાયેલી છે એટલે આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવી જોઈએ, પરંતુ મહારાષ્ટ્ર સરકાર એમ કરવા તૈયાર નથી. આ કેસમાં કંઈ નહીં તો ED વિભાગ દ્વારા તપાસ કરાવવી જોઈએ. ED અધિકારીઓએ ECIR ફરિયાદ નોંધવી જોઈએ, કારણ કે આમાં પૈસાની ગોલમાલ અને મની લોન્ડરિંગનો મુદ્દો બહાર આવ્યો છે.

એવી જ રીતે, ભાજપના મુંબઈવાસી અન્ય સ્થાનિક નેતા આશિષ શેલારે પણ આરોપ મૂક્યો છે કે સુશાંત મૃત્યુ કેસમાં તપાસ યોગ્ય રીતે કરવામાં આવી નથી. માત્ર શકમંદોના નામ વિશે ચર્ચા જ કરાય છે, એમની પૂછપરછ કરાતી નથી. પોતે આ સંદર્ભમાં રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખને મળશે અને આ કેસની તપાસ સીબીઆઈને સુપરત કરી દેવાની વિનંતી કરશે.

 

હવે 14 દિવસમાં ખોલી શકાશે કન્ટેનમેન્ટ ઝોન: કેન્દ્રનો નિર્ણય

નવી દિલ્હી: કોરોના સંક્રમણને પગલે દેશના અલગ અલગ વિસ્તારોમાં આવેલા કન્ટેનમેન્ટ ઝોનનો લઈને હવે કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. હવે આ ઝોનમાં એક પણ કેસ નહીં હોય તો બે સપ્તાહમાં ખૂલી જશે. કેજરીવાલ સરકારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (Mohfw) પાસે માંગ કરી હતી કે, કન્ટેનમેન્ટ ઝોનના નિયમોમાં વધુ છૂટછાટ આપવામાં આવે. પહેલા એવો નિયમ હતો કે કન્ટેનમેન્ટ ઝોનમાં છેલ્લો દર્દી સાજો થયાના 28 દિવસ પછી એ વિસ્તારને ખોલવામાં આવે પણ હવે સમયમર્યાદા ઘટાડીને 14 દિવસની કરી દેવામાં આવી છે

દિલ્હી સ્વાસ્થ્ય વિભાગ તરફથી આ માહીતી જાહેર કરાયા પછી જે વિસ્તારોમાં લોકો લાંબા સમયથી કન્ટેનમેન્ટ ઝોનમાં કેદ છે એ લોકોને મોટી રાહત મળશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં અનેક વિસ્તારો કન્ટેનમેન્ટ ઝોનમાં પૂર્ણ લોકડાઉનને પગલે 3 મહિનાથી બંધ હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ જાહેર કર્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક રાજ્યોમાં કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોનમાં નવા નવા કેસ આવતા રહે છે આ કારણે આ વિસ્તારો મહિનાઓ સુધી લોકડાઉનમાં રહે છે. આ મામલે કન્ટેનમેન્ટ ઝોનને 28 દિવસ વધુ લંબાવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણા રાજ્યોએ આ નિયમમાં ફેરફાર કરવા સૂચન કર્યું હતું.

કેન્દ્રના નિર્ણય પછી દિલ્હીની કેજરીવાલ સરકારે આ નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું કે, દિલ્હી એવું પ્રથમ રાજ્ય હતું જેને કેન્દ્રને આગ્રહ કર્યો કે, તે કન્ટેનમેન્ટ ઝોનને સીલ કરવાની સમયમર્યાદામાં ઘટાડો કરે. દિલ્હીમાં નવા દિશાનિર્દેશોનું કડક રીતે અમલ કરવામાં આવશે. હાઈરિસ્ક ગ્રુપ અને સંક્રમિત વ્યક્તિઓનું કોન્ટેક્ટ ટ્રેસિંગ ચાલુ રહેશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે જે રાજ્યોમાં લાંબા સમયથી કન્ટેનમેન્ટ ઝોનમાં રહેલા વિસ્તારોમાં હવે છેલ્લો કેસ સાજો થઈ ગયાના 14 દિવસની અંદર તે વિસ્તારને પ્રતિબંધિત વિસ્તારની યાદીમાં હટાવી શકાશે.

દેશમાં કોરોનાના કેસો 16 લાખને પારઃ વિશ્વમાં 6.75 લાખનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં શુક્રવારે સવારે એક દિવસમાં કોરોના વાઇરસના સંક્રમણના સૌથી વધુ કેસો સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 55,078 નવા કેસ સામે આવ્યા છે અને 779 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોવિડ-19ના સંક્રમણના સતત બીજા દિવસે 50,000થી વધુ નવા કેસ નોંધાયા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 16,38,870 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 35,747 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 10,57,805 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,45,318એ પહોંચી છે.

દેશમાં 1,88,32,970 ટેસ્ટ

30 જુલાઈ સુધીમાં કોવિડ-19ના કુલ 1,88,32,970 સેમ્પલોના ટેસ્ટિંગ થઈ ચૂક્યાં છે. છેલ્લા 24 કલાકમાં 6,42,588નાં સેમ્પલના ટેસ્ટિંગ થયાં છે, એમ ICMRએ કહ્યું હતું.

વિશ્વમાં કોરોના પાછલા 24 કલાકમાં 2.80 લાખ કેસ

વિશ્વમાં અત્યાર સુધી 213 દેશોમાં કોરોના સંક્રમણ ફેલાયું છે. અમેરિકા, બ્રાઝિલ અને ભારત જેવા દેશોમાં કોરોનાની સંખ્યા ઝડપથી વધી રહી છે. અત્યાર સુધી 1.74 કરોડથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. વિશ્વમાં પાછલા 24 કલાકમાં 2.80 લાખ નવા કેસ નોંધાયા છે અને 6649 લોકોનાં મોત થયાં છે. વિશ્વમાં અત્યાર સુધી 1.71 કરોડ લોકોના સંક્રમણના કેસ નોંધાયા છે અને 6.75 લાખ લોકોનાં મોત થયાં છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

રિલાયન્સનાં પ્રોત્સાહક પરિણામોઃ અન્ય આવકથી નફો 31 ટકા વધીને 13,233 કરોડ

મુંબઈઃ ટેલિકોમ ક્ષેત્રના શાનદાર પ્રદર્શન અને હિસ્સાના વેચાણ થકી મળેલી આવકના જોરે કોવિડ-19ના રોગચાળા દરમ્યાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જૂન ત્રિમાસિક ગાળામાં રેકોર્ડ નફો નોંધાવ્યો છે. કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 30.97 ટકા વધીને 13,233 કરોડ થયો છે. કંપનીની અન્ય આવક વાર્ષિક ધોરણે 54 ટકા વધીને 4388 કરોડ રૂપિયા થઈ છે.

કંપનીએ ઈંધણના રિટેલ બિઝનેસમાં 49 ટકા હિસ્સો વેચ્યો

કંપનીને 4966 કરોડ રૂપિયાનો વન ટાઇમ પ્રોફિટ રહ્યો છે. બ્રિટિશ ઓઇલ કંપની BPએ કંપનીના ફ્યુઅલ માર્કેટિંગ બિઝનોસ રિલાયન્સ BP મોબિલિટી સર્વિસમાં મૂડીરોકાણ કર્યું છે. જોકે કંપનીની રિફાઇનિંગ, પેટ્રોકેમિકલ અને રિટેલ બિઝનેસની આવક પર લોકડાઉનની અસર પડી છે. કંપનીને ઈંધણના રિટેલ બિઝનેસમાં 49 ટકા હિસ્સો BP PLCને વેચીને 4966 કરોડનો નફો થયો હતો.
રિલાયન્સ જિયોનો બમ્પર નફો

30 જૂન, 2020એ પૂરા થતા ત્રિમાસિક ગાળામાં રિલાયન્સ જિયોનો ચોખ્ખો નફો 183 ટકા વધીને 2520 કરોડ રૂપિયા થયો હતો અને એણે અન્ય ક્ષેત્રોમાં કમાણીના ઘટાડાને સરભર કર્યો હતો. કંપનીનું EBITDAમાં યોગદાન 33 ટકાથી વધુ અને ગ્રોસ નફામાં એનું સૌથી વધુ યોગદાન રહ્યું હતું

EBITDA 11 ટકા ઘટ્યો

ઓઇલથી માંડીને કેમિકલ્સના વેપારના ઓછા યોગદાનને કારણે વ્યાજ, કર, સંપત્તિના મૂલ્યમાં ઘટાડાને કારણે EBITDA 11.8 ટકા ઘટીને 21,585 કરોડ રહ્યો હતો. કંપનીના ઓઇલથી માંડીને (O ટુ C) માગમાં ઘટાડાને લીધે અને માર્જિન દબાણને કારણે નફા પર પ્રતિકૂળ અસર પડી હતી.   
ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું લોકડાઉનને લીધે અસર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે વૈશ્વિક સ્તરે લોકડાઉનને કારણે અમારા હાઇડ્રોકાર્બન બિઝનેસ પર અસર પડી હતી, પરંતુ અન્ય કામગીરીની લવચિકતાને કારણે અમે કામકાજને સામાન્ય સ્તરે લઈ આવ્યા હતા અને પ્રોત્સાહક પરિણામો આપ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે કોવિડ-19 રોગચાળાને પગલે થયેલા લોકડાઉન છતાં કંપનીએ ત્રિમાસિક દરમ્યાન રેકોર્ડ ફંડ એકત્ર કર્યું હતું.


કંપનીએ જૂન ત્રિમાસિક ગાળામા કુલ ખર્ચમાં 42 ટકા ઘટાડો કર્યો

કંપની જૂન ત્રિમાસિક ગાળામાં કુલ ખર્ચમાં આશરે 42 ટકાનો ઘટાડો કરવામાં સફળ રહી હતી. જૂન, 2020 ત્રિમાસિકમાં કંપનીનો કુલ ખર્ચ 87,406 કરોડ રૂપિયા રહ્યો હતો, જે ગયા વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં 1,50,858 કરોડ રૂપિયા હતો. એની સાથે કંપનીની કોન્સોલિડિટેડ કુલ આવક વાર્ષિક ધોરણે 42 ટકા ઘટીને 95,626 કરોડ રૂપિયા રહી હતી.

રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સે પહેલા ત્રિમાસિક ગાળામાં 1.52 લાખ કરોડ એકત્ર કર્યા

કંપનીએ રાઇટ ઇશ્યુ દ્વારા 53,124 કરોડ અને જિયો પ્લેટફોર્મ્સમાં આશરે 33 ટકા હિસ્સો ફેસબુક અને ગૂગલ જેવી કંપનીઓને વેચીને 1,52,056 કરોડ એકત્ર કર્યા હતા.

 

 

મિલિટરી પોલીસ સોલ્જર બનવાની મહિલાઓ માટે ઉત્તમ તક

નવી દિલ્હી: ભારતીય ભૂમિદળ (Indian Army)માં જોડાઈને દેશ માટે સેવા કરવાની ઉત્તમ તક છે. ભારતીય ભૂમિદળમાં સોલ્જર જનરલ ડ્યૂટી (મહિલા સેન્ય પોલીસ)માં ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આમાં 99 ખાલી જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવાર joinindianarmy.nic.in વેબસાઈટ પરથી 31 ઓગસ્ટ 2020 સુધીમાં અરજી કરી શકે છે.

ભારતીય ભૂમિસેના દ્વારા અંબાલા, લખનૌ, જબલપુર, બેંગ્લોર, શિલોન્ગ અને પૂણેમાં ભરતી રેલીનું આયોજન કરશે. રેલીમાં જોડાવા માટે એડમિટ કાર્ડ રજિસ્ટર્ડ ઈ-મેલના માધ્યમથી મોકલવામાં આવશે.

સૈનિક જનરલ ડ્યુટી (મહિલા સૈન્ય પોલીસ) માટે પાત્રતા માપદંડ:

  • શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર મેટ્રિક/10મી/ એસએસએલસીમાં ઓછામાં ઓછા 45 ટકા માર્કસ સાથે પાસ હોવા જોઈએ.
  • ન્યૂનતમ શારીરિક આવશ્યકતાઓ: ઉંચાઈ – 152 સે.મી.
  • વજન – ઉંચાઈ અને વયનું પ્રમાણ આર્મીના તબીબી ધોરણો અનુસાર હોવું જોઈએ.
  • ઓછામાં ઓછી વય મર્યાદા 17 અને વધુમાં વધુ 21 વર્ષ. 

પસંદગી પ્રક્રિયા:

મેડિકલી ફીટ ઉમેદવારોની પસંદગી સામાન્ય પ્રવેશ પરીક્ષાના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષાનું સ્થાન, રેલી સ્થળની તારીખ અને સમય ભારતીય સૈન્યના પ્રવેશ કાર્ડના માધ્યમથી જણાવવામાં આવશે. યોગ્ય અને રુચિ ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ્સ માટે 31 ઓગસ્ટ 2020 સુધી સત્તાવાર વેબસાઇટ પરથી અરજી કરી શકે છે.

રાશિ ભવિષ્ય 31/07/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે,  માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા, વાગવા, કફ, છાતી, પ્રેસર જેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો  યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.