Home Blog Page 4711

રાશિ ભવિષ્ય 30/07/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજે તમને કોઈ સારી આશા જન્માવે, તમે પસંદગીના કામમાં સારો સમય પસાર કરો, તમારા પરિચિત સાથે કોઈ લાભની વાત થાય, મુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી અનુભવો, વેપારના કામકાજમાં નવીનતક દેખાઈ શકે છે, યુવાવર્ગને ઉત્સાહ સારો રહે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની શકે છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, મુસાફરી થવાના યોગ છે.


આજે મુસાફરી દરમિયાન તમને ઉત્સાહ જોવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકકે અધ્યાત્મિક વાતમાં રૂચી વધુ લો અને કોઈ જગ્યાએ ધાર્મિકબાબત પર નાણાનું દાનકે સદ્કાર્ય માટેનું આયોજન પણ કરો, વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો હિતાવહ છે, પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ છે.


આજે વ્યવસાયમાં થોડી વ્યસ્તતા જોવા મળે, સહકર્મચારીનો સહયોગ તમને મળી રહે અને કામપૂરું થયાનો સંતોષ પણ મળે, તમારા કોઈ જુનાઅટકેલા કામકાજમાં સમય ફાળવોતો તેમાં પણ કામ આગળ ચાલવાની શક્યતા રહે, બજારના કામમાં આકસ્મિકલાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક કોઈ વાત બની શકે.


આજે અચાનક તમને કોઈ સારી તક દેખાય અને તમે ખુશી અનુભવો, આજના દિવસમાં તમારામાં ધીરજનો થોડો અભાવ દેખાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે કોઈ અઘરો વિષય શીખવામાં વધુ સમય ફાળવાયતો તે વિષયમાં આવડત વધી શકે છે, વેપારમાં નવું જાણવાનું મળવાથી ખુશી અનુભવાય.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે કેમકે તમને નાનીનાની વાતમાં ગુસ્સો આવે અને તેની અસર તમારી સાથેના અન્ય લોકો પર પડે જેથી ક્યાંક મનદુઃખના થાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં કોઈપણ પ્રકારનું મોટું જોખમના કરવું, પ્રિયજન સાથે ગેરસમજના થાય માટે શાંતિથી વાર્તાલાપ કરવી.


આજે તમને કોઈપણ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેની અસર તમારા કામ અને અન્ય લોકો સાથેના વ્યવહાર પર પડે, તમે આજે ઉદાર અને સહયોગી વૃત્તિવાળા બનો. વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ સારો દેખાય. યુવાવર્ગ માટે પસંદગીના કામ થાય તેવા સંજોગો પણ બની શકે છે.


તમારી વાણીનો પ્રભાવ અન્ય પર સારો પડે અને તમે તમારા શબ્દો વડે તમારી વાતને કોઈની આગળ સારી રીતે રજુ કરી શકો, કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય તેવું પણ બની શકે છે, પરિચિત સાથેની મિલનમુલાકાત તમને યાદગાર બની શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે સગાસ્નેહી સાથે ક્યાંક લાભની વાત આપલે થઇ શકે તેમજ કોઈની સાથે જુના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક પણ મળી શકે છે, વેપારના કામકાજમાં થોડી હિંમત અને અનુભવના ઉપયોગથી સારું કામ થઈ શકે છે, વ્યસ્તતા વચ્ચે પણ કામમાં ઉત્સાહ રહે અને અન્યનો સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.


આજે કોઈ જૂનીવાતને યાદ આવવાથી મન થોડું અશાંત રહે, ખટપટકરનાર વ્યક્તિથી દુર રહેવું યોગ્ય છે, નજીકના સગાસંબંધી સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ નાપસંદ વાત સાંભળવાથી માનસિકઅશાંતિની લાગણી અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું સલાહ ભર્યું છે.


આજે તમારી લાગણી અને તમારા ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થઇ શકે છે, તમારા અનુભવ અને માર્ગદર્શનનો લાભ અન્યના સારા હિતમાં આપો તેવું પણ બની શકે છે, વેપારના કામકાજમાં લાભની વાત બની શકે છે, પ્રિયજન તરફથી સારો પ્રતિસાદ મળવાથી સારી ખુશી અનુભવાય.


જાહેરજીવનના કાર્યમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામમાં અન્યનો સાથ સહકાર મળતા તમે કામ બાબતે સારા ઉત્સાહી બનો, ભાગીદાર,પત્ની સાથે કોઈ અગત્યની વાર્તાલાપમાં પણ તમને સારો પ્રતિભાવ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક પ્રસંગના એંધાણ મળે.

વધુ પડતી તાણ: શરીર અને મન બંને માટે જોખમી!

વજન વધવું કે, ડાયાબિટીસ, થાયરોઈડ જેવી અન્ય બિમારી થવી એ લાંબા સમયથી રહેલી તાણનું પરિણામ છે. લાંબા સમયથી મનમાં ધરબી રાખેલી ચિંતાને કારણે બિમારીઓ થાય છે. જેવી કે, અપચાને લીધે વજન વધવું અને એ જ પરિસ્થિતિ લાંબો સમય રહી તો તે કોલેસ્ટ્રોલ તેમજ ઉચ્ચ રક્તચાપને આમંત્રે છે, જે હૃદય રોગનું જોખમ ઉભું કરે છે.

લાંબા સમયની તાણ તમે ધારો એના કરતાં ઘણી જ ખતરનાક છે. તે કોર્ટીસોલ એટલે કે, સ્ટ્રેસ હોર્મોન્સને વધારે છે. કોર્ટીસોલ શરીરમાં ચરબી અને કાર્બોહાઈડ્રેટની ચયાપચયની ક્રિયાને અસર કરે છે. વધુ પડતું ઈન્સ્યુલિન ઉત્પન્ન કરીને લોહીમાં સાકરનું પ્રમાણ વધારી દે છે. આ બધાને કારણે શરીરમાં અપચો થાય છે અને વજન વધે છે.

લાઈફસ્ટાઈલ કોચ લ્યુક કુટીનો કહે છે, ‘તમે જો તાણને તમારા મન પર ઓછી હાવી થવા દો, તો ફાયદો એ છે કે, કારણ વગર વજન વધતું અટકે છે તથા ડિપ્રેશન જેવી માનસિક બિમારીથી બચી શકાય છે.’ વધુમાં કુટીનો તાણ મેનેજ કરવાના થોડાં ઉપાય પણ અહીં જણાવી રહ્યાં છે.

પેટનો ઘેરાવો વધવો, ડાયાબિટીસ થવું કે થાયરોઈડ, કોલેસ્ટ્રોલ તેમજ ઉચ્ચ રક્તચાપ જેવી બિમારી થવી એ બધાનું મુખ્ય કારણ અતિશય તાણ તેમજ તેને લીધે શરીરના હોર્મોન્સનું સમતુલન વિખેરાવું છે.

1. તમે જ્યારે તાણમાં હોવ છો, ત્યારે શરીરમાં કોર્ટીસોલ તથા એડ્રેનલાઈનનું પ્રમાણ વધી જાય છે. પરિણામે કોલેસ્ટ્રોલ તેમજ બ્લડ પ્રેશરનું સ્તર વધવાની સાથે પાચન ક્રિયા પણ નબળી થતી જાય છે. એવું કુટીનો આઈજીટીવીને જણાવે છે.

2. આ જ કારણસર અતિશય તાણમાં રહેતી વ્યક્તિ ગેસ, એસિડિટી, પેટનું ફૂલવું તેમજ કબજીયાતનો અનુભવ કરે છે.

3. અસમતોલ હોર્મોન્સને લીધે ઉંઘની ગુણવત્તામાં પણ અસર થાય છે. પૂરતી ઉંઘ ન લેવાવાળા લોકોને કાં તો ભૂખ નથી લાગતી અથવા વધુ પડતી ભૂખ લાગે છે, જે શરીરનું વજન વધારી દે છે.

4. શારીરિક શ્રમ કરતી વખતે વચ્ચે એક પણ દિવસ આરામ ના લેવામાં આવે તો, આ ઓવરટ્રેનિંગ તમારા શરીરને સિમ્પથેટીક નર્વસ સિસ્ટમ તરફ વાળી દે છે, જે આખરે હોર્મોન્સમાં અસમતુલનપણું લાવે છે.

5. બ્લડ પ્રેશર તેમજ કોલેસ્ટ્રોલનું ઉંચું પ્રમાણ હૃદય રોગ નોતરે છે.

ઉપર જણાવેલાં બધા કારણો એટલું કહેવા માટે પર્યાપ્ત છે કે, તાણમાં રહેવું શરીર માટે કેટલું બધું નુકસાનકારક છે. તમે ગમે તેટલી અણગમતી, તાણભરી સ્થિતિમાંથી પસાર થતાં હોવ, તો પણ તમારો અભિગમ બદલી નાખો. બને ત્યાં સુધી એ પ્રયત્ન કરવો કે, દરેકે દરેક ચિંતાપ્રેરક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને એને રીએક્ટ કરવાની જરૂર નથી હોતી. અમુક બાબતોને પડતી મૂકવી જોઈએ.

તો છતાં જો તમે અઠવાડિયા કે મહિના સુધી ચિંતામુક્ત નથી થઈ શકતા, નિરાશા, હતાશા, કે અસમર્થતા ઘેરી વળતી હોય, તો ડોક્ટરની સલાહ અચૂક લેવી.

પંચાંગ 30/07/2020

અનલોક-3 માટે માર્ગદર્શિકાઃ 1 ઓગસ્ટથી રાત્રિકર્ફ્યુનો અંત

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અનલોક-3 માટેની માર્ગદર્શિકા જારી કરી દીધી છે. એ ગાઇડલાઇન્સ પ્રમાણે બહારની કામગીરીને મોટા ભાગે ખોલવામાં આવી છે. એની સાથે કન્ટેનમેન્ટ ઝોન સિવાયના બાકીના હિસ્સાઓમાં રાત્રિ કરફ્યુ પણ હટાવવામાં આવશે. જોકે સ્કૂલ-કોલેજ અને કોચિંગ ક્લાસિસ 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે.

 યોગ સંસ્થાઓ અને જિમને પાંચ ઓગસ્ટથી ખોલવાની મંજૂરી

રાત્રિ દરમ્યાન આવ-જા પરનો પ્રતિબંધ (રાત્રિ કરફ્યુ) દૂર કરવામાં આવ્યો છે. યોગ સંસ્થાઓ અને જિમને પાંચ ઓગસ્ટથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ જગ્યાઓ પર માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરીને લોકો જઈ શકશે. સ્વતંત્ર્યતા દિવસના કાર્યક્રમમાં પણ લોકો સામાજિક અંતરનું પાલન કરીને સામેલ થઈ શકશે.

આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રાની મંજૂરી

વંદે ભારત મિશન હેઠળ સીમિત પ્રકારે પેસેન્જરોને આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રાની મંજૂરી આપવામાં આવી છે.

નીચેની પ્રવૃત્તિઓ છોડીને બાકીની બધી કામગીરી માટે બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી છે.

  • મેટ્રો રેલવે
  • સિનેમા હોલ સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ અને એ પ્રકારનાં સ્થાન
  • સામાજિક, રાજકીય, સ્પોર્ટ્સ, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્ય અને અન્ય મોટી મંડળીઓ- એ બધાને ખોલવા માટે સ્થિતિને આધારે નિર્ણય લેવામાં આવશે.
  • કન્ટેનમેન્ટ ઝોનમાં 31 ઓગસ્ટ સુધી લોકડાઉનનું સખતાઈથી લાગુ પડશે. બાંધકામ પ્રવૃત્તિઓ ચાલુ રખાશે, પણ સામાજિક અંતર અને માસ્કનું પાલન કરવાનું રહેશે.
  • આ માર્ગદર્શિકા બધા કલેક્ટરો અને રાજ્ય સરકારોની વેબસાઇટ પર જારી કરવામાં આવશે.

દેશનાં બધાં કન્ટેનમેન્ટ ઝોનની નિગરાની કેન્દ્ર સરકાર કરશે. રાજ્ય સરકારોને કન્ટેનમેન્ટ ઝોનની બહાર પ્રવૃત્તિઓ પર નિર્ણય લેવાનો રહેશે. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ કન્ટેનમેન્ટ ઝોનની બહાર કેટલીક પ્રવૃત્તિઓને પ્રતિબંધિત કરી શકે છે.

કોઈ પણ રાજ્યની અંદર અને એક રાજ્યથી બીજા રાજ્યમાં લોકો અને ચીજવસ્તુઓના આવવા-જવા પર કોઈ પ્રતિબંધ નહીં હોય. આના માટે અલગથી મંજૂરી અથવા ઈ-પરમિટ લેવાની જરૂર નહીં પડે. અનલોક-3માં કોવિડ-19 પર કેન્દ્ર સરકાર દ્વારા જારી થયેલા બધા પ્રોટોકોલ સંપૂર્ણ રીતે લાગુ પડશે. બધી દુકાનો ખુલ્લી રહેશે, પરંતુ દુકાનદારોએ ગ્રાહકોની વચ્ચે પર્યાપ્ત સામાજિક અંતરનું ધ્યાન રાખવાનું રહેશે. લોકોએ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવાનો રહેશે. બીમાર વ્યક્તિઓ, સિનિયર સિટિઝનો, બાળકો અને ગર્ભવતી મહિલાઓએ બને ત્યાં સુધી પોતાના ઘરમાં રહેવું પડશે.

 

 

 

કોરોના કાળમાં શટલની સવારી..ને..નિયમો નેવે!

અમદાવાદ: શહેરમાં હજારો ઓટો રિક્ષા ચાલકો શટલ સર્વિસ ચલાવી પેટિયું રળે છે. શહેરના જમાલપુર, નારોલ, નરોડા જેવા જુદા જુદા વિસ્તારોમાં મોટી સંખ્યામાં સવારથી સાંજ સુધી શટલ રિક્ષાઓનો જમાવડો જોવા મળે છે. કોરોના ની મહામારી વચ્ચે પણ શટલીયાઓનો ધમધોકાર ચાલે છે.  શહેરમાં ચાલતી પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાની ખામીઓ અને બીજી તરફ રોજગારી માટે માર્ગો પર વધતી રિક્ષા ઓના કારણે શટલીયાનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે.

ચારરસ્તા ઉપર, બ્રિજ ના છેડે, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન જેવા અનેક સ્થળોએ શટલ રિક્ષા ઓનો જમાવડો જોવા મળે છે. રિક્ષા એસોસિએશન સાથે સંકળાયેલા હોદ્દેદારો ચિત્રલેખા.કોમને કહે છે શટલ રિક્ષાથી ગરીબ, શ્રમજીવી , મધ્યમ વર્ગ ને ખૂબજ ફાયદો થાય છે. નોકરી, ધંધા કે કામ પરથી છુટ્યા બાદ જો શટલીયા મળી જાય તો બેસવાની જગ્યા પણ મળી જાય અને સસ્તા ભાડામાં જ્યાં ઉતરવું હોય ત્યાં ઉતરી પણ શકાય. જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટની બસોમાં ચોક્કસ સ્ટેન્ડ પર જ ઉતરવું પડે છે.

બીજી તરફ પેસેન્જર મેળવવાની પડાપડીમાં જમાલપુર અને નારોલ ચોકડી જેવા વિસ્તારોમાં માર્ગોની વચ્ચે જ ઓટો રિક્ષાઓ ઉભેલી જોવા મળે છે. ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારોમાં ટીઆરબી, હોમગાર્ડઝ, પોલીસની ઉપસ્થિતિમાં જ શટલીયા રિક્ષાઓ ચાલે છે. શટલીયા રિક્ષા ચાલકોની રોજગારી માટે કે અન્ય કારણસર તંત્ર દ્વારા આંખ આડા કાન થઇ રહ્યા છે, કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને સાવચેતી એટલી જ જરૂરી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

રફાલ બનાવનાર કંપની સાથે ભારતનો 67 વર્ષ જૂનો નાતો

નવી દિલ્હી: ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક છે. આજે પાંચ રફાલ લડાકુ વિમાન ફ્રાન્સથી ભારત આવી પહોંચ્યા છે. આ પાંચેય રફાલ ફાઈટર જેટનું હરિયાણાના અંબાલા એરબેઝ પર ભવ્ય આગમન થયું. આ રફાલ લડાકુ વિમાન ફ્રાંસની કંપની દસોલ્ટ એવિએશન એ બનાવ્યા છે. દસોલ્ટ એવિએશન લશ્કરી અને નાગરિક જરૂરિયાતો માટે ઉપયોગમાં લેવાતા વિમાનો બનાવે છે. દસોલ્ટ સાથે ભારતનો સંબંધ 67 વર્ષ જૂનો છે. એટલે કે દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુથી લઈને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધીનો.

ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુના સમયે, 1953માં દસોલ્ટ એવિએશને ‘તૂફાની’ બોમ્બર વિમાન ભારતને આપ્યા હતા. તે સમયે ભારતે 113 તૂફાની વિમાન ખરીદ્યા હતા. આ સમય દરમિયાન ભારત દસોલ્ટનું પ્રથમ વિદેશી ગ્રાહક બન્યું હતું. ભારત દ્વારા દિવ ટાપુને પોર્ટુગલથી આઝાદ કરાવવા માટે 1961માં તૂફાની વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ લડાકુ વિમાનનો ઉપયોગ 1962 માં આસામ અને નાગાલેન્ડમાં આતંકવાદીઓને હાંકી કાઢવા માટે કરવામાં આવ્યો હતો. ત્યારપછી 1962 માં ચીન સામેના યુદ્ધ વખતે પણ આ વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે, 1965 માં, આ વિમાનોનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો કારણ કે 1957 માં 100 Mystère IV A લડાકુ વિમાન ખરીદવામાં આવ્યા હતા, જે તૂફાની કરતાં વધુ શક્તિશાળી અને ઘાતક હતા.

1960માં ભારતે દસોલ્ટ પાસેથી એલિઝ વિમાન ખરીદ્યા હતા જે એન્ટી સબમરીન વિમાન હતા. 1978માં ભારતે ફ્રાંસ પાસેથી 40 રેડી ટુ ફ્લાય જગુઆર બોમ્બર વિમાન ખરીદ્યા અને 120 જગુઆરનું ઉત્પાદન ભારતમાં જ કરવામાં આવ્યું. જેની શ્રીલંકા અને કારગિલના યુદ્ધમાં મહત્વપૂર્ણની ભૂમિકા રહી હતી.

1982માં 49 ‘મિરાજ 2000’ ફાઇટર એરક્રાફ્ટ અંગે કરાર થયો. ‘મિરાજ 2000’ની કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા રહી હતી. મિરાજ 2000નો ઉપયોગ 26 ફેબ્રુઆરી 2019 ના રોજ, બાલાકોટમાં આતંકવાદીઓના સ્થળોનો નાશ કરવામાં આવ્યો હતો. હવે રફાલની ભારતમાં એન્ટ્રીથી દસોલ્ટ સાથે વર્ષો જૂના સંબંધો વધુ મજબૂત બન્યા છે.

મહત્વનું છે કે, પ્રથમ રફાલ વિમાન ઓક્ટોબર 2019માં ભારતને સોંપી દેવામાં આવ્યું હતું. આ એક ટ્રેનર વિમાન હતું જેમાં ભારતીય પાઇલટ્સને તાલીમ આપવામાં આવી રહી હતી. આજે ભારત પહોંચેલા પાંચ વિમાનોમાંથી ત્રણ સિંગલ-સીટર લડાકુ વિમાન છે જ્યારે બે ટ્રેનર અને ટૂ-સીટર વિમાન છે.

પરિવારથી દૂર રહેવાને બદલે વોર્નર કદાચ ક્રિકેટને છોડી દેશે

સિડની: કોરોના વાઈરસને કારણે ક્રિકેટ પર લાગેલો બ્રેક પૂરો થઈ ગયો છે. તેમ છતાં, ખેલાડીઓ માટે કોરોના કાળમાં રમવું એટલું સરળ નથી, કારણ કે તેમને ઘણા પ્રતિબંધોમાંથી પસાર થવું પડી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના નિયમો અને પ્રોટોકોલ મુજબ, ખેલાડીઓને બાયો-સુરક્ષિત બબલમાં રાખવામાં આવી રહ્યા છે અને તેમના બહાર નીકળવા પર અથવા કોઈને પણ મળવા પર પ્રતિબંધ છે. એટલું જ નહીં ખેલાડીઓ તેમના પરિવારને કોઈપણ ટૂર પર નહીં લઈ જઈ શકે. આ પ્રતિબંધોને જોતાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ઓપનર ડેવિડ વોર્નરને લાગે છે કે આ સ્થિતિમાં ખેલાડીઓ પરિવારથી દૂર રહેવાને બદલે સંન્યાસ લેશે.

33 વર્ષીય વોર્નરનું માનવું છે કે, ખેલાડીઓ માટે તેમના પરિવારથી દૂર રહેવું સરળ નથી. તેણે ESPNcricinfo સાથે વાત કરતાં કહ્યું કે, ‘મારી ત્રણ દીકરીઓ અને પત્ની મારી કારકિર્દીનો મહત્વપૂર્ણ ભાગ છે. તમારે હંમેશાં સૌથી પહેલા તમારા પરિવાર વિશે વિચારવું જોઈએ અને જ્યારે આવી કોઈ મુશ્કેલ પરિસ્થિતિ હોય ત્યારે તમારે ગંભીર નિર્ણયો લેવા પડતા હોય છે. આ વખતે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી 20 વર્લ્ડ કપ મુલતવી રાખવામાં આવ્યો છે. હવે જ્યારે ટી -20 વર્લ્ડ કપ ભારતમાં યોજાશે ત્યારે મારે તેના વિશે ફરીથી વિચાર કરવો પડશે.વોર્નરે વધુમાં કહ્યું કે, ‘મારે દરેક મુદ્દા પર વિચારવું પડશે. જેમ કે, શું મારી દીકરીઓ શાળાએ જઇ રહી છે, મારી પત્ની તબિયત બરાબર છે, મારે આ બધા વિશે વિચાર કરવો પડશે. આમાંથી ઘણું બધુ મારા નિર્ણયનો એક ભાગ છે. એવા અવસરો આવે છે જ્યારે તમે બહાર જાવ છો અને તમારા પરિવારને યાદ કરો છો. વર્તમાન સંજોગોમાં, કોઈપણ ટૂર્નામેન્ટ વખતે અમને પરિવારને સાથે રાખવાની મંજૂરી નઈ મળી શકે અને ભવિષ્ય ખૂબ જ ડરામણું બનવાનું છે. પરિવારને ધ્યાનમાં રાખીને જ હું ભવિષ્ય અંગે નિર્ણય લઈશ.

79 ટી-20 ક્રિકેટ મેચોમાં 2,207 રન બનાવનાર વોર્નરે મે મહિનામાં કહ્યું હતું કે 2021માં ભારતમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ બાદ તે આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેશે. તેણે કહ્યું હતું કે, “સતત બે ટી-20 વર્લ્ડ કપ રમવાના છે અને ટી-20 ક્રિકેટ સાથે કારકિર્દી શરૂ કર્યા પછી, મને લાગે છે કે હવે યુવા ખેલાડીઓને તક મળવી જોઈએ.”

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ તરફથી રમતા ડેવિડ વોર્નરે 84 ટેસ્ટ મેચોમાં 48.95 એવરેજથી 7244 રન બનાવ્યા છે. તો એકદિવસીય ક્રિકેટ (વન-ડે)માં 123 મેચોમાં 45.41 ની સરેરાશથી 5,267 રન બનાવ્યા છે. વોર્નરે ટેસ્ટમાં 24 સદી અને વન ડેમાં 18 સદી ફટકારી છે. તો ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં પણ વોર્નરના નામે એક સદી અને 17 અડધી સદી છે.

દેશમાં 34 વર્ષે શિક્ષણ નીતિમાં કરાયા મહત્ત્વના ફેરફારઃ જાણો…

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાનમંડળે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી છે, એમ કેન્દ્રીય પ્રધાનો પ્રકાશ જાવડેકર અને રમેશ પોખરિયાલે માહિતી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પ્રધાનમંડળની બેઠકમાં 21મી સદીની નવી શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી હતી. આ બહુ મહત્ત્વપૂર્ણ છે, કેમ કે છેલ્લાં 34 વર્ષોમાં શિક્ષણ નીતિમાં કોઈ બદલાવ નથી થયો મને આશા છે કે દેશવાસીઓ એનું સ્વાગત કરશે, એમ તેમણે કહ્યું હતું.

ઉચ્ચ શિક્ષણ માટે એક નિયામક

ઉચ્ચ શિક્ષણ સચિવ અમિત ખરેએ કહ્યું હતું કે ઉચ્ચ શિક્ષણ માટે એક નિયામક હશે, એમાં મંજૂરી અને નાણા માટે અલગ-અલગ વર્ટિકલ હશે. એ નિયામક ઓનલાઇન સેલ્ફ ડિસ્કલોઝર બેઝ્ડ ટ્રાન્સપરન્ટ સિસ્ટમ પર કામ કરશે. મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ સિસ્ટમમાં પહેલા વર્ષ પછી સર્ટિફિકેટ, બીજા વર્ષ પછી ડિપ્લોમા અને ત્રણ-ચાર વર્ષ પછી ડિગ્રી આપવામાં આવશે. ચાર વર્ષના ડિગ્રી કાર્યક્રમ પછી MA અને અને પછી M.phil કર્યા વગર PhD કરી શકાશે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020

નવી શિક્ષણ નીતિ પ્રમાણે હવે ત્રણ વર્ષથી 18 વર્ષનાં બાળકોનો શિક્ષણનો અધિકાર અધિનિયમ, 2009 હેઠળ લાવવામાં આવશે. આગામી સમયમાં શિક્ષક અને વિદ્યાર્થીઓનો ગુણોત્તર 1:30નો રહેશે. નવી શિક્ષણ નીતિમાં વાર્તા, રંગમંચ, સામૂહિક વાચન, વાચન, ચિત્રોના ડિસ્પ્લે, લેખન કુશળતા, ભાષા અને ગણિત પર ભાર હશે. આ નવા શિક્ષણ નીતિ હેઠળ દેશમાં શિક્ષણનો અર્થ બદલાઈ જશે. આમાં ના યુવાનો માટે શિક્ષણને લઈને નવી તકો મળશે, બલકે રોજગાર પ્રાપ્ત કરવામાં સરળતા રહેશે.

નવી શિક્ષણ નીતિમાં મોટા સ્તરે સલાહ લેવામાં આવી

નવી શિક્ષણ નીતિ માટે મોટા પાયે સલાહ લેવામાં આવી છે. અઢી લાખ ગ્રામ પંચાયતો, 6600 બ્લોક્સ, 676 જિલ્લાથી સલાહ લેવામાં આવી હતી.

એક કોર્સની વચ્ચે બીજા કોર્સની છૂટ  

સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ હેઠળ કોઈ વિદ્યાર્થી એક કોર્સની અંદર વચમાં જો કોઈ બીજો કોર્સ કરવા ઇચ્છે તો પહેલા કોર્સથી સીમિત સમયમાં બ્રેક લઈને કરી શકે છે.

અમિક ખરેએ કહ્યું હતું કે અમે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે કે GDPના છ ટકા શિક્ષણ ક્ષેત્રે લગાવવામાં આવે, જે હાલ 4.43 ટકા છે. અમે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન લાવી રહ્યા છીએ એમાં માત્ર સાયન્સ જ નહીં બલકે સોશિયલ સાયન્સને પણ સામેલ થશે. આ મોટા પ્રોજેક્ટ્સનું ફાઇનાન્સિંગ કરશે. આ શિક્ષણની સાથે રિસર્ચમાં આપણને આગળ આવવામાં મદદ કરશે.

નવી શિક્ષણ નીતિ હેઠળ સરકાર યુવા એન્જિનિયરોને ઇન્ટર્નશિપને તક આપવાના ઉદ્દેશથી શહેરી સ્થાનિક એકમો માટે એક કાર્યક્રમ શરૂ કરવાની યોજના બની રહી છે. રાષ્ટ્રીય પોલીસ યુનિવર્સિટી અને રાષ્ટ્રીય ફોરેન્સિક યુનિવર્સિટીનો પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે. ટોપ 100 યુનિવર્સિટી સંપૂર્ણ રીતે ઓનલાઇન શિક્ષણ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. એની પણ યોજના તૈયાર થઈ રહી છે.

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસપ્રધાન રમેશ પોખરિયાલ ‘નિશંક’એ કહ્યું હતું કે અમારી જે શિક્ષણ નીતિ આવી રહી છે, એ અનેક બાબતોએ સમાધાન કરશે. શિક્ષણ નીતિમાં સરકાર ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવાની વાત કહેવામાં આવી છે. એની સાથે યુવાનો ઉચ્ચ શિક્ષણ લેવા માટે પહેલાં કરતાં ઘણું સરળ થઈ જશે.

સ્મશાનમાં કોરોના દર્દીના મૃતદેહના અંતિમ સંસ્કાર…

કોરોના વાઈરસનો ભોગ બનેલા એક દર્દીના મૃતદેહના 29 જુલાઈ, બુધવારે મુંબઈના જોગેશ્વરીની ઓશિવરા સ્મશાનભૂમિમાં ત્યાંના કર્મચારીઓએ કેન્દ્ર સરકારે નક્કી કરેલી માર્ગદર્શિકા અનુસાર પીપીઈ કિટ પહેરીને તથા અન્ય સાવચેતીના પગલાં લઈને તેમજ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અંતિમ સંસ્કાર કર્યા હતા. કોરોના વાઈરસનો ચેપ ફેલાય નહીં એટલા માટે મૃતકના માત્ર 20 નિકટનાં સગાંઓને જ સ્મશાનભૂમિમાં પ્રવેશવા દેવામાં આવે છે. એમણે પણ આરોગ્યને લગતા નિયમોનું કડક રીતે પાલન કરવું પડે છે. મૃતકનાં અસ્થિથી રોગના ચેપનું જોખમ હોતું નથી તેથી સગાંઓ અંતિમ સંસ્કાર બાદ તે લઈ જઈ શકે છે. (તસવીરોઃ દીપક ધુરી)

પનીરની ઈન્સ્ટન્ટ મીઠાઈ

કોરોના સંક્રમણ તેમજ લૉકડાઉનને કારણે આ રક્ષા બંધનમાં તમને મીઠાઈ બહારથી લેવામાં મુશ્કેલી પડતી હોય તો તમે ઈન્સ્ટન્ટ મીઠાઈ ઘરે જ બનાવી શકો છો!

સામગ્રી:

1 કપ દૂધ, 1 કપ પનીર (નાના ટુકડામાં તોડેલું અથવા ખમણેલું), 1 કપ કાજૂ, 1 કપ સાકર, 1/4 ટી. સ્પૂન એલચી પાવડર, 2 ટે. સ્પૂન ઘી, 1/2 કપ બદામ પિસ્તાની કાતરી

કાજૂને મિક્સીમાં બારીક પીસી લો. ત્યારબાદ પનીર ઉમેરીને એ પણ ક્રશ કરી લો. હવે એમાં સાકરનો પણ બારીક પાવડર કરી લેવો.

એક જાડા તળિયાવાળી કઢાઈમાં ઘી ઉમેરીને ગેસ પર ગરમ કરવા મૂકો. ત્યારબાદ તેમાં દૂધ ઉમેરો અને પનીર- કાજૂનું મિશ્રણ ગઠ્ઠા ના થાય તે રીતે ધીરે ધીરે મિક્સ કરી દો. એલચી પાવડર પણ ઉમેરી દો.

હવે ઝારા વડે આ મિશ્રણને એકસરખું હલાવતા રહો. ગેસની આંચ મધ્યમ રાખવી. મિશ્રણ ઘટ્ટ થવા આવે એટલે ગેસની આંચ ધીમી કરી દો અને હાથમાં લઈ એના ગોલા વળે છે કે નહીં એ જોઈ લો. જો ગોલા વળે તો ગેસ બંધ કરી દો. થોડીવાર બાદ મિશ્રણ થોડુ ઠંડુ થયા બાદ એને એક થાળીમાં ઘી ચોપડીને પાથરી દેવું. બદામ પિસ્તાની કાતરી ઉપરથી સજાવી દો . અડધો કલાક પછી એના ચોસલા પાડવા. તમે એના ગોલા વાળીને પેંડા પણ બનાવી શકો છો.