Home Blog Page 4737

પ્રાઈવેટ પ્લેયર્સની એન્ટ્રી એ રેલવેનું ખાનગીકરણ નથી: પીયુષ ગોયલની સ્પષ્ટતા

નવી દિલ્હી: ભારતીય રેલવેના ખાનગીકરણને લઈને લાંબા સમયથી વાદ-વિવાદ અને ચર્ચા-વિચારણા ચાલી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય રેલવે મંત્રી પીયુષ ગોયલે સ્પષ્ટતા કરી કે, ભારતીય રેલવેનું ખાનગીકરણ કરવામાં નથી આવી રહ્યું. વર્તમાનમાં ચાલી રહેલી રેલવે સેવાઓ પહેલાની જેમ જ ચાલુ રહેશે. કેટલાક રૂટ્સ પર ખાનગી ટ્રેનો ચલાવવાથી રેલવેની સર્વિસમાં સુધારો થશે અને રોજગારીની નવી તકો ઉભી થશે. હકીકતમાં તાજેતરમાં જ સરકારે નવી પેસેન્જર ટ્રેનોના સંચાલનમાં ભાગીદારી માટે પ્રાઈવેટ પ્લેયર્સોને આમંત્રણ આપ્યું હતું. ત્યારપછીથી રેલવેના ખાનગીકરણનો મુદ્દો વધુ ગરમ બન્યો છે.

કેન્દ્ર સરકારે 109 રૂટ પર પ્રાઈવેટ પ્લેયર્સની મદદથી 151 પ્રાઈવેટ ટ્રેનો ચલાવવાની યોજના બનાવી છે. સરકારની આ નિર્ણયથી રેલવેના ખાનગીકરણની ચર્ચાએ જોર પકડ્યું છે. પીયુષ ગોયલે આ મામલે ટ્વીટ કરીને આ તમામ અટકળો પર પૂર્ણવિરામ લગાવ્યું છે.

પીયુષ ગોયલે ટ્વીટમાં લખ્યું કે, રેલવેની વર્તમાનમાં ચાલી રહેલી સેવાઓમાં પરિવર્તન કર્યા વગર, ખાનગી ભાગીદારી દ્વારા આધુનિક સુવિધાઓથી સજ્જ 151 નવી ટ્રેનો દોડાવાશે. આ ટ્રેનોનું ખાનગીકરણ નથી પણ ખાનગી ભાગીદારીથી આધુનિક સુવિધા, સુરક્ષા સહિત સીટોની ઉપલબ્ધતામાં વધારો થશે, જેની સીધો લાભ પેસેન્જરોને મળશે.

રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર જે રૂટ્સ પર માંગ વધારે હશે એ રૂટ્સ પર જ ખાનગી ટ્રેનો દોડાવવામાં આવશે. જેની વર્તમાન ટ્રેનો અને તેમના ટિકિટ દરમાં કોઈ અસર પડશે નહીં. માર્ડન ટ્રનો ચલાવવાનો ઉદેશ્ય મોર્ડન ટેક્નોલોજી દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાનો છે.

વર્ષ 2023 સુધીમાં 109 જેટલા રૂટ્સ પર દોડનારી આ ખાનગી ટ્રેનોમાં વિમાનની જેમ સીટ પસંદગી, લગેજ અને ઓન બોર્ડ સર્વિસ માટે તમારે એકસ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે. આમાંથી જે આવક થશે તે ગ્રોસ રેવેન્યૂ હેઠળ ગણવામાં આવશે અને રેલવે સાથે ગ્રોસ રેવેન્યૂની વહેચણી થશે. મહત્વનું છે કે, IRCTC  ત્રણ ખાનગી ટ્રેનોની શરુઆત કરી ચૂક્યું છે. જેમાં લખનૌ-નવી દિલ્હી અને અમદાવાદ-મુંબઈ રૂટ પર તેજસ ટ્રેન અને વારણસી-ઈંદૌર રૂટ પર કાશી-મહાકાલ એક્સપ્રેસ નો સમાવેશ થાય છે.

કોરોના સંક્રમિતોની સંખ્યા 7.60 લાખને પાર, પશ્ચિમ બંગાળમાં લોકડાઉન

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 24,879 નવા કેસ સામે આવ્યા છે અને 487 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત સાતમા દિવસે કોરોના સંક્રમણના 20,000થી વધુ નવા કેસ સામે આવ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 7,67,296 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 21,129 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 4,76,377 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,69,789એ પહોંચી છે.

પશ્ચિમ બંગાળમાં સાત દિવસ લોકડાઉન

પશ્ચિમ બંગાળમાં એક જ દિવસમાં કોવિડ-19ના 986 કેસો સામે આવ્યા હતા. જ્યારે એક દિવસ પહેલાં 895 કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કુલ કેસ વધીને 7705 થયા છે. જેથી રાજ્યના કન્ટેનમેન્ટ ઝોન્સમાં લોકડાઉન  સાત દિવસ સુધી ગઈ કાલથી લાગુ કરવામાં આવ્યું હતું.

પાછલા 24 કલાકમાં 2,62,679ના કોરોના ટેસ્ટ

દેશમાં આઠ જુલાઈએ અત્યાર સુધીના સૌથી મોટી સંખ્યામાં ટેસ્ટિંગ કરવામાં આવ્યાં છે. પાછલા 24 કલાકમાં 2,67,061 સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 1,07,40,832 લોકોના કોરોનાના ટેસ્ટ થઈ ચૂક્યા છે.

વિશ્વમાં કોરોનાનું જોખમ વધ્યું

કોરોના સંક્રમિતોની સંખ્યા વિશ્વભરમાં ઝડપથી વધી રહી છે. અત્યાર સુધી વિશ્વમાં 1.21 કરોડથી વધુ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2.13 લાખ કોરોનાના નવા કેસ નોંધાયા છે અને પાંચ હજારથી વધુનાં મોત થયાં છે.

અમેરિકામાં 24 કલાકમાં 61,000થી વધુ નવા કેસ

અમેરિકામાં પ્રતિ દિન રેકોર્ડ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. પાછલા બે મહિનાની તુલનામાં હવે બે ગણા કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પાછલા 24 કલાકમાં અમેરિકામાં અત્યાર સુધીના સૌથી વધુ 61,000 નવા કેસ નોંધાયા છે અને 881 લોકોનાં મોત થયાં છે. જોકે વિશ્વમાં સૌથી વધુ મોત પ્રતિ દિન બ્રાઝિલમાં થઈ રહ્યા છે. અમેરિકામાં કોરોનાથી અત્યાર સુધીમાં 1,34,853 લોકોનાં મોત થયાં છે. અમેરિકામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 31.58 લાખને પાર થઈ ગઈ છે. અમેરિકાના ન્યુ યોર્કમાં સૌથી વધુ 4,24,263 કેસ નોંધાયા છે. માત્ર ન્યુ યોર્કમાં 32,311 લોકોનાં મોત થયાં છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

હિન્દી ફિલ્મોના મશહૂર કોમેડિયન જગદીપનું નિધન

મુંબઈઃ બોલિવુડના મશહૂર કોમેડિયન અને એક્ટર જગદીપનું ગઈ કાલે તેમના નિવાસસ્થાને નિધન થયું છે. તેઓ 81 વર્ષના હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમનું અસલી નામ સૈયદ ઇશ્તિયાક અહમદ જાફરી હતું. જગદીપે અનેક બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યું હતું, પણ ‘શોલે’ ફિલ્મમાં તેમણે ભજવેલું સૂરમા ભોપાલીનું પાત્ર અમર થઈ ગયું છે. તેમના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક વ્યાપી ગયો છે. જોની લિવરથી માંડીને આયુષ્માન ખુરાના જેવા કલાકારોએ ટ્વીટ કરીને જગદીપને શ્રદ્ધાંજલિ આપી છે.

રાત્રે 8.30 કલાકે નિધન થયું

પરિવારના નજીકના મિત્ર નિર્માતા મહમૂદ અલીએ જણાવ્યું હતું કે જગદીપનું એમના બાંદરાસ્થિત નિવાસસ્થાને રાત્રે 8.30 કલાકે તેમનું નિધન થયું હતું. વૃદ્ધાવસ્થાને લગતી સમસ્યાઓને કારણે તેઓ બીમાર હતા. જગદીપના પરિવારમાં બે પુત્રો –જાવેદ અને નાવેદ જાફરી છે અને એક પુત્રી છે, મુસ્કાન.

પહેલા ડાયલોગથી જીતી લીધું દિલ

જગદીપે વર્ષ 1951માં ફિલ્મ ‘અફસાના’થી ફિલ્મી યાત્રાની શરૂઆત કરી હતી. જગદીપે અભિનયના શરૂઆતના દિવસોમાં નાની-મોટી ભૂમિકા ભજવી હતી. તેમણે પોતાના અભિનયથી બિમલ રોય જેવા ડિરેક્ટરોને પ્રભાવિત કર્યા હતા. તેમણે વર્ષ 1953માં ‘દો બીઘા જમીન’માં જગદીપને જૂતા પોલિશ કરવાવાળા લાલુ ઉસ્તાદની ભૂમિકા ભજવવાની તક આપી હતી.

પિતાના નિધન પછી શિક્ષણ છોડ્યું

જગદીપનો જન્મ બ્રિટિશ ઇન્ડિયાના દતિયા સેન્ટ્રલ પ્રોવિન્સમાં (હવે મધ્ય પ્રદેશમાં) 29 માર્ચ, 1939માં થયો હતો. તેમનું અસલી નામ સૈયદ ઇશ્તિયાક અહમદ જાફરી હતું. તેમના પિતાનું નામ સૈયદ યાવર હુસૈન હતું અને માતાનું નામ કનીજ હૈદર હતું. પિતાના નિધન અને 1947માં દેશના ભાગલા પછી પરિવાર આર્થિક તંગીમાં મુકાયો હતો, જેથી તેમની માતા પરિવાર સાથે મુંબઈ આવી ગયાં હતાં. આર્થિક તંગીને કારણે જગદીપે સ્કૂલ છોડવાનો નિર્ણય કર્યો હતો.

‘શોલે’એ અલગ ઓળખ આપી

જગદીપે 400 ફિલ્મોમાં કામ કર્યું હતું, પણ 1975માં આવેલી ફિલ્મ ‘શોલે’ના સૂરમા ભોપાલીની તેમની ભૂમિકાને પ્રશંસકો આજે પણ યાદ કરે છે.

બોલિવુડમાં અનેક કલાકારોએ ટ્વીટ કરીએ શ્રદ્ધાંજલિ આપી

જગદીપના નિધન પછી બોલિવુડમાં શોક વ્યાપી ગયો છે. અજય દેવગન, મનોજ બાજપેયી, જોની લિવર અને અનુપમ ખેર સહિતના કલાકારોએ તેમને સોશિયલ મિડિયા પર યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

સુવિચાર – ૮ જુલાઈ, ૨૦૨૦

સુવિચાર – ૮ જુલાઈ, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 09/07/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક, સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનુ આયોજન પણ થઇ શકે છે, વેપારમા નાનુ કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમા વડીલકે ઓફીસમા ઉપલીઅધિકારી સાથે ગેરવર્તન ના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમા ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનુ આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે,  તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે,અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે,માર્કેટિંગક્ષેત્રમાં જુનાઅટકેલા કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમા નાનુકામ કરવુજ યોગ્ય છે, કામકાજમા વ્યસ્તતા પણ જોવા મળે.


આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટીવ્યક્તિથી દુર રહેવુ, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમા ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમા પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામકાજ કરવુ યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમા સહકાર થોડો ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમા લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવુ, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગ ના થાય તેનુ પણ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમા કોઈની સાથે મનદુઃખ થયુ હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીયકામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળે, વેપારના કામકાજમા લાભ થઈ શકે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે,  બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમા બિનજરૂરી જોખમથી દુર રહેવુ, વાતવાતમા ઉશ્કેરાટ ના આવે તેનુ ધ્યાન રાખવુ સારુ, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમા તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમા લાભ કે નવીનતક દેખાઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમા સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમા નાનુ અને આયોજન પૂર્વકનુ કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમા દલીલબાજી ના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમા ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.

પંચાંગ 09/07/2020

નકલી બાબાઓના આશ્રમો બંધ કરાવોઃ PIL પર SCમાં સુનાવણી

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ ફેલાવાના જોખમને ધ્યાનમાં રાખતાં નકલી (ફેક) બાબાઓ દ્વારા દેશભરમાં ચલાવવામાં આવતા આશ્રમો અને આધ્યાત્મિક કેન્દ્રોને બંધ કરવાનો કેન્દ્રને આદેશ આપતી એક જનહિતની અરજી (PIL)નો સુપ્રીમ કોર્ટે બુધવારે સ્વીકાર કર્યો છે. આ અરજીમાં માગ કરવામાં આવી છે કે આ આશ્રમોમાં અને આધ્યાત્મિક કેન્દ્રોની પૂરતી તપાસ કરવામાં આવે, કારણ કે ત્યાં હજારો મહિલાઓને બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિમાં રાખવામાં આવે છે.  

ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે અને જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને એ.એસ. બોપન્નાની બેન્ચે સોલિસિટર જનરલ તુષાર મહેતા પાસેથી સિકંદરાબાદનિવાસી અરજીકર્તા ડમ્પાલા રામરેડ્ડીની અરજીનો સ્વીકાર કર્યો છે. કોર્ટે મહેતાને આ મામલે તપાસ કરવા કહ્યું છે. કોર્ટે બે સપ્તાહ પછી અરજી પર સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે.

આશ્રમો માટે પણ માર્ગદર્શિકા તૈયાર કરવાની માગ

આ સાથે અરજીકર્તા દ્વારા દેશમાં આધ્યાત્મિક સંસ્થાઓ દ્વારા સ્થપાતા આશ્રમો માટે પણ માર્ગદર્શિકા તૈયાર કરવાની માગ કરવામાં આવી છે. વકીલ શ્રવણકુમારના માધ્યમથી નોંધવામાં આવેલી આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે સરકારી અધિકારીઓ નકલી બાબાઓ સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા છે, કેમ કે આ બાબાઓ અબુધ (ભોળા) લોકો – ખાસ કરીને મહિલાઓને ફસાવે છે. હજારો મહિલાઓને આશ્રમોમાં રહેવા માટે મજબૂર કરવામાં આવે છે અને તેમને ડ્રગ્સ તથા નશીલા પદાર્થોનાં બંધાણી બનાવવામાં આવે છે.

 

અરજીકર્તા બળાત્કારના આરોપી દીક્ષિત પર પણ ગુસ્સે થયો હતો, કેમ કે જ્યાં તેને રખાયો હતો, એ દિલ્હીની રોહિણી આધ્યાત્મિકા વિશ્વ વિદ્યાલયમાં તેની પુત્રી પણ પાંચ વર્ષી રહે છે અને અનેક યુવતીઓની ફરિયાદને પગલે કોર્ટ દ્વારા નિમાયેલી પેનલે ત્યાં દરોડા પણ પાડ્યા હતા.

મુંબઈની ઝૂંપડપટ્ટીમાં મહાપાલિકાની ડોર-ટૂ-ડોર કોરોના ચેકઅપ ઝુંબેશ…

મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કોરોના વાઈરસ મહાબીમારીનો ફેલાવો રોકવાના પગલાંના ભાગરૂપે ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ઘેર-ઘેર સ્વાસ્થ્ય ચેકઅપ ઝુંબેશ શરૂ કરી છે. તે અંતર્ગત આરોગ્યકર્મીઓ 8 જુલાઈ, બુધવારે પોલીસ જવાનોના રક્ષણ હેઠળ ઉત્તર મુંબઈના મલાડ (વેસ્ટ) ઉપનગરના માલવણી વિસ્તારની અંબોજવાડી ઝૂંપડપટ્ટીમાં ગયા હતા અને ત્યાંના રહેવાસીઓનું કોરોના-સ્વાસ્થ્ય ચેકઅપ, ટેસ્ટિંગ કર્યું હતું. (તસવીરોઃ દીપક ધુરી)

PM આવાસ યોજનાઃ પ્રવાસી મજૂરોને મળશે વાજબી ભાડેથી ફ્લેટ્સ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ બેઠકમાં કૃષિ ક્ષેત્ર, વીમા ક્ષેત્ર સહિત ગરીબો અને જરૂરિયાતમંદો માટે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં જે સૌથી મહત્ત્વનો નિર્ણયનો લેવામાં આવ્યો છે કે શહેરી પ્રવાસી મજૂરો અને ગરીબો માટે વાજબી ભાડા પર આવાસ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય શહેરીપ્રધાન પ્રકાશ જાવડેકરે કેબિનેટના નિર્ણયોની માહિતી આપતાં કહ્યું હતું કે કેબિનેટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી પ્રવાસીઓ-ગરીબો માટે વાજબી ભાડા પર આવાસ યોજના (AHRCs)ના વિકાસને મંજૂરી આપી દીધી છે.  

આ યોજના હેઠળ ત્રણ લાખ લોકોને ઘર મળશે

આ યોજના હેઠળ ત્રણ લાખ લોકોને ઘર મળશે. આ યોજના હેઠળ હાલના સમયમાં સરકાર દ્વારા આપવામાં આવેલા ફંડથી બનેલા હાઉસિંગ કોમ્પેલેક્સને AHRCમાં તબદિલ કરી શકાય છે. આ યોજના હેઠળ લોકોને વિશેષ મંજૂરી આપવામાં આવશે, તેમને 50 ટકા વધારાના FAR/FSI, ટેક્સ છૂટ આપવામાં આવશે. આ સાથે ટેક્નોલોજી ઇનોવેશન ગ્રાંટ હેઠળ રૂ. 600 કરોડના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી છે. પ્રારંભિક તબક્કામાં આ યોજનાનો લાભ ત્રણ લાખ લોકોને થશે.

અન્ન યોજનાને નવેમ્બર સુધી વધારવામાં આવી

વડા પ્રધાનની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટની બેઠકમાં ગરીબ કલ્યાણ અન્ન યોજનાને નવેમ્બર સુધી વધારવના પર સહમતી બની હતી. માર્ચમાં જૂન સુધી આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી, હવે આ યોજનાને નવેમ્બર સુધી વધારવામાં આવી છે. આ સિવાય ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ત્રણ મહિના મફત સિલિન્ડર આપવાના સમયગાળાને ત્રણ મહિના સુધી વધારવામાં આવી છે. આ સમયગાળાને જૂનથી વધારીને હવે સપ્ટેમ્બર સુધી વધારી દેવામાં આવી છે. આમાં 13,500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આનો લાભ ચાર કરોડ લોકોને મળશે.

EPFમાં 24 ટકાની મદદને વધારવામાં આવી

સરકારે વેપારીઓ અને કર્મચારીઓ માટે એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ (EPF)માં 24 ટકાની મદદને ત્રણ મહિના વધારવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આને મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટે EPFમાં 24 ટકા સરકારી હિસ્સા (12 ટકા કર્મચારી અને 12 ટકા માલિક)ને ત્રણ મહિના માટે વધારવામાં આવ્યો છે. એટલે કે જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં સરકાર EPFમાં 24 ટકા આપશે. જાવડેકરે કહ્યું હતું કે સરકાર દ્વારા EPFમાં મદદમાં ખર્ચ આશરે 4,860 કરોડ રૂપિયા આવશે.

આંબેડકરના નિવાસ ‘રાજગૃહ’માં તોડફોડની ઘટનામાં શકમંદની ધરપકડ

મુંબઈઃ દેશના બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ ‘બાબાસાહેબ’ આંબેડકર એક સમયે મધ્ય મુંબઈના માટુંગા (પૂર્વ) ઉપનગરમાં જ્યાં નિવાસ કરતા હતા એ ‘રાજગૃહ’માં અજ્ઞાત ઉપદ્રવીઓએ ગઈ કાલે રાતે તોડફોડ કરી હતી. પોલીસે એના સંબંધમાં એક શકમંદને અટકમાં લીધો છે.

રાજગૃહમાં તોડફોડની ઘટના મંગળવારે રાતે બની હતી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સહિત અનેક રાજકીય નેતાઓએ આ કૃત્યને વખોડી કાઢ્યું છે. ઠાકરેએ કહ્યું છે કે આ કૃત્ય કરનાર સામે કડક પગલું ભરવામાં આવશે.

આંબેડકરના પૌત્ર ભીમરાવ આંબેડકરે માટુંગા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એમણે કહ્યું હતું કે એક અજાણ્યો શખ્સ સીસીટીવીમાં ઝડપાઈ ગયો છે, એ મંદબુદ્ધિનો હોય એવું લાગતું હતું. એ માણસ સોમવારે સાંજે રાજગૃહની નજીક ફરતો દેખાયો હતો. જ્યારે પોતે એને પૂછ્યું હતું કે તું અહીંયા શું કામ આંટા મારે છે, ત્યારે એ ગુસ્સે ભરાયો હતો અને પછી ત્યાંથી જતો રહ્યો હતો.

મુંબઈ પોલીસે રાજગૃહમાં તોડફોડ કરવા બદલ અજ્ઞાત વ્યક્તિઓ સામે એફઆઈઆર નોંધી છે. કહેવાય છે કે બે વ્યક્તિએ મકાનની કાચની બારીઓ પર પથ્થર ફેંક્યા હતા અને સીસીટીવી કેમેરાઓને નુકસાન પહોંચાડ્યું હતું. એમણે રાજગૃહમાં રાખવામાં આવેલા કૂંડાઓને પણ જમીન પર પછાડી દીધા હતા.

સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું છે કે એક શખ્સ મકાનના કમ્પાઉન્ડમાં રાખેલા ફૂલના કૂંડાઓને પછાડે અને પછી ત્યાંથી ભાગી જાય છે.

રાજગૃહ માટુંગા-દાદર (પૂર્વ) સ્થિત હિન્દુ કોલોની વિસ્તારમાં આવેલું છે. આ બે માળવાળો હેરિટેજ બંગલો છે. એ આંબેડકરનું મ્યુઝિયમ છે, કારણ કે ત્યાં આંબેડકરના પુસ્તકો, છબીઓ, અસ્થિઓ તથા એ જે ઉપયોગમાં લેતા હતા તે વાસણો તથા અન્ય ચીજવસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.

આ રાજગૃહમાં આંબેડકરના પુત્રવધુ તથા પૌત્રો રહે છે. આ પૌત્રો છે – પ્રકાશ આંબેડકર (વંચિત બહુજન આઘાડીના નેતા), આનંદરાવ અને ભીમરાવ.

પ્રકાશ આંબેડકર હાલ અકોલા ગયા છે. ત્યાંથી એમણે એમના સાથીઓ, કાર્યકર્તાઓને અપીલ કરી છે કે તેઓ શાંતિ જાળવે અને રાજગૃહની બહાર એકઠાં ન થાય.