Home Blog Page 4746

પંચાંગ 02/07/2020

તમામ વિરોધીઓના મનસુબાઓ પર પાણી ફરી ગયું: બાબા રામદેવ

હરિદ્વાર: વિવાદોમાં ઘેરાયેલી પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશનની “કોરોનિલ” દવાને છેવટે આયુષ મંત્રાલયે લીલીઝંડી આપી દીધી છે. હવે મંત્રાલયના નિર્દેશ પ્રમાણે તેનું આખા દેશમાં વેચાણ કરી શકાશે. પતંજલિ તરફથી કહેવામાં આવ્યું છે કે બાબા રામદેવ અને પતંજલિ યોગપીઠ ભારતને વિશ્વગુરુ બનાવવાની ઝૂંબેશમાં જોડાયેલા છે, પરંતુ અમુક લોકોને ગમતું નથી.

‘કોરોનિલ દવા પર સવાલ ઉઠાવનારા લોકોને બાબા રામદેવે તીખો જવાબ આપ્યો છે. હરિદ્વાર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં યોગગુરુ બાબા રામદેવે કહ્યુ કે, ‘કોરોનિલ’ માર્કેટમાં લોન્ચ થતાં જ અમુક લોકોને મરચા લાગ્યા અને દેશભરમાં અમારી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી. પતંજલિએ પલટી મારી, પતંજલિ નિષ્ફળ કહીને બાબા રામદેવની જાતિ અને ધર્મને લઈને પણ ખૂબ ગંદો માહોલ ઊભો કર્યો છે. પતંજલિ દેશદ્રોહી અને આતંકવાદી હોય તેમ તેની સામે ફરિયાદ દાખલ કરાવી. મહત્વનું છે કે આયુષ મંત્રાલયે મંગળવારે પતંજલિ યોગપીઠને કોરોના કિટમાં સામેલ દવાઓને ઇમ્યૂનિટી બૂસ્ટર તરીકે ઉપયોગ કરવાની છૂટ આપ્યા બાદ બાબા રામદેવ તરફથી આવી પ્રતિક્રિયા આવી છે.

પતંજલિ તરફથી કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયને પોતાના ક્લિનિકલ ટ્રાયલ સંબંધિત તમામ દસ્તાવેજો આપવામાં આવ્યા હતા. જે બાદમાં આયુષ મંત્રાલયે સ્વીકાર કર્યો છે કે પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશને કોવિડ 19 મેનેજમેન્ટ અંગે તમામ નિયમોનું યોગ્ય રીતે પાલન કર્યું છે. આયુષ મંત્રાલય અને પતંજલિ વચ્ચે આ મુદ્દે હવે કોઈ અસહમતિ નથી.

બાબા રામદેવે આયુષ મંત્રાલયના નિવેદનને ટાંકીને કહ્યું કે કોરોનાથી પીડિત માનવતા માટે પતંજલિએ એક સાચી દિશામાં કામ કરવાનું શરૂ કર્યું છે, પ્રશંસા ન કરો તો કંઈ નહીં પણ અમારો ધિક્કારો તો ન કરો. બાબાએ ઉગ્ર અવાજમાં કહ્યું કે હવે જ્યારે અમે કોરોના વિશેના એક ટ્રાયલનો ડેટા રજૂ કર્યો તો તોફાન આવી ગયું. ડ્રગ માફિયાઓને લાગ્યું હતું કે ટાઇ પહેરેલા લોકો જ રિચર્ચનું કામ કરી શકે, લંગોટ વાળા નહીં, શું તેમણે ઠેકો લઈ રાખ્યો છે?

મહત્વનુ છે કે પતંજલિ તરફથી 23 જૂનના ‘કોરોનિલ’ દવાની જાહેરાત કરવામાં આવી હતી. દવા રજૂ કરતી વખતે દાવો કરાયો હતો કે આ દવાથી કોરોનાના દર્દી એક અઠવાડિયામાં સાજા થઈ શકે છે. આવા દાવા બાદ વિવાદ થયો હતો. જે બાદમાં કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયે દવાના પ્રચાર અને વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધી હતી. હવે પતંજલિએ કહ્યું છે કે, આ કોરોનાની દવા નથી પરંતુ ઈમ્યુનિટી બૂસ્ટર છે.

હેલ્થ પ્રૉફેશનલ્સને કોરોનાના ચેપ સામે સુરક્ષા આપવામાં ટેક્નોલોજીનું યોગદાન…

રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે:  કોરોના સંકટમાં ડોક્ટરો ફરી એકવાર ભગવાનની ભૂમિકા ભજવી રહ્યાં છે. જે રોગનો ઈલાજ નથી તેવા રોગ સામે લડીને હજારો કોરોના દર્દીઓને ડોક્ટરોએ સાજા કર્યા છે. કોરોનોગ્રસ્ત દર્દીઓની સારવાર કરવાના કારણે સંક્રમિત થઈને દુનિયાનાં હજારો ડૉક્ટરો, નર્સ અને અન્ય સ્વાસ્થ્યકર્મીઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. કોવિડ-19 જેવાં ચેપી વાયરસનાં ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટનાં બન્ને તબક્કે હેલ્થ પ્રોફેશનલ્સને વાયરસથી જેટલા દૂર રાખી શકાય તેટલી તેમની સલામતી વધે. શક્ય છે ખરું? ટેક્નોલાજી પાસે પ્રશ્ન બાબતે કોઈ જડબેસલાક ઉપાયો છે કે નહીં તેની માહિતી સાથેchitralekha.comઆજે વાંચકો સમક્ષ ઉપસ્થિત છે

કોરોના મહામારીને પરિણામે હેલ્થ સેક્ટરમાં કામ કરનારા ડૉક્ટર્સ, નર્સ અને અન્ય સ્વાસ્થ્યકર્મીઓની શારીરિક, માનસિક અને સામાજિક પરિપેક્ષમાં શું હાલત થઇ છે તે કોણ નથી જાણતું? દેશ-દુનિયામાં દર્દીઓની સેવા કરતા-કરતા આવા હજ્જારો આરોગ્યકર્મીઓએ ચેપથી સંક્રમિત થઈને પોતાના જીવ સુધ્ધા ગુમાવી દીધા છે.

“અમને આવો ખ્યાલ હોત તો અમે ભૂમિને મેડિકલમાં પ્રવેશ ન જ લેવા દીધો હોત, અમને તો હવે ખબર પડી કે મેડિકલ લાઈન બહુ જોખમી છે”; આ ચિંતા મેડિકલનાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી પોતાની દીકરી ભૂમિ માટે મુંબઈમાં રહેતા ચારુબેન જોશીની છે. આ જ પ્રકારની ચિંતા નર્સિંગ અને અન્ય ઘણા આરોગ્યલક્ષી અભ્યાસક્રમોમાં અત્યારે ભણી રહેલાં વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાઓની પણ છે. કોરોના અત્યંત ચેપી અને કદાચ હવે આપણી વચ્ચે કાયમ માટે ગોઠવાઈ ગયેલો વાયરસ હોવાથી હેલ્થકૅર આગામી સમયમાં અભિશાપરૂપ પ્રોફેશન બનશે કે આશીર્વાદરુપ તેનો આધાર હવે એક જ બાબત ઉપર છે…….અને એ છે ટેક્નોલોજી.

કોરોનાથી સંક્રમિત દર્દીનાં નિદાન અને સારવાર માટે  તેમની નજીક જવું જ ન પડે અથવા તો ઓછામાં ઓછી વાર જવું પડે તેવો કોઈ કાયમી ઉપાય મળે તો જ હેલ્થકૅરને સલામત પ્રોફેશન તરીકે આશ્વાસન મળે. કોરોનાનાં દર્દીઓને રિમોટ લોકેશનથી જ નિષ્ણાત ડૉક્ટર્સ દ્વારા સારવાર આપી શકાય તેવું વાસ્તવિક જીવનમાં શક્ય છે ખરું? રિમોટ પેશન્ટ મોનીટરીંગ (RPM) અથવા ટેલિમેડીસીન નામે ઓળખવામાં આવતી ટેક્નોલોજીનો ઉપયોગ શું કોવિડ -19ને ટક્કર આપવામાં કરી શકાય ખરો? આ બાબતે વિશ્વની મેડિકલ ટેક્નોલોજીમાં કાર્યરત કંપનીઓએ કોઈ પરિણામલક્ષી પ્રોડક્ટ્સ માર્કેટમાં રજૂ કર્યા છે ખરા?

આવો જાણીએ કેવી પ્રોડક્ટ્સ લૉન્ચ થઇ છે અને કોણે તે બનાવી છે…

ટેસ્ટિંગ સંલગ્ન કામગીરીઓ માટે:

અત્યારે કોરોનાનું સેમ્પલ મોં અથવા નાક વાટે લેવામાં આવે છે. આ માટેનાં સાધનો એ પ્રકારનાં હોવાથી સેમ્પલ લેવા દરમિયાન દર્દીને ઘણીવાર ઉધરસ કે છીંક  આવે છે. આ કારણે જે  ડ્રોપલેટસ વાતાવરણમા ઉડે છે તેનાથી આરોગ્યકર્મીઓ સંક્રમિત થઇ શકે છે. આવો ચેપ ફેલાતો અટકે તે માટે LabCorp કંપનીએ ઘરે બેઠા જ લાળ દ્વારા કોવિડ -19નો ટેસ્ટ કરી આપતી કીટ બનાવી છે. આ પ્રકારની કીટથી આરોગ્યકર્મીઓને દર્દીનાં સીધા સંપર્કમાં આવતા બચાવી શકાય છે.

કોરોનાથી સંક્રમિત દર્દીની તબિયત સુધરીને સ્થિર થતી લાગે ત્યારે આપણાં દેશની અત્યારની નવી પોલિસી મુજબ તેને હોસ્પિટલમાંથી મુક્ત કરીને હોમ-ક્વોરેન્ટાઇન રહેવાનું કહેવામાં આવે છે. થોડા દિવસો પછી તેઓ સંપૂર્ણ સાજા થઇ ગયા કે નહિ તે જાણવા તેમનો ફરીવાર કોરોના ટેસ્ટ કરવો પડતો હોય છે. આવો ટેસ્ટ અમેરિકાની University of Cincinnatiનાં સંશોધનકારોએ બનાવેલી પોર્ટેબલ સ્માર્ટફોન લેબ દ્વારા દર્દી ઘરેબેઠા પોતે જ હવે કરી શકે છે. આ એક  ક્રેડિટકાર્ડ આકારનું ઉપકરણ છે. લાળનો નમૂનો લેવા માટે આ સાધનને થોડા  સમય માટે મોમાં રાખવાનું હોય છે. સેમ્પલ લીધા પછી આ ઉપકરણ સાથે આપણો મોબાઈલ જોડી દેવાથી તેની એપ્લિકેશન દ્વારા સેમ્પલનું વિશ્લેષણ થઇને રિપોર્ટ જવાબદાર ડૉક્ટરને આગળની સારવાર નક્કી કરવાં સીધો જ પહોંચી જાય છે. આનો ફાયદો એ છે કે દર્દીનું સેમ્પલ લેવા માટે તેના ઘર સુધી જવાનું અથવા દર્દીને હોસ્પિટલ સુધી બોલાવી તેનાં સંપર્કમાં આવવાનું જોખમ આરોગ્યકર્મીઓએ લેવું પડતું નથી

લક્ષણો દેખાતા હોય તેવા ક્વોરેન્ટાઇન કરાયેલા પોઝિટિવ દર્દીઓ માટે:

ક્વોરેન્ટાઇન સેન્ટર અથવા તો ઘરમાં આઇસોલેટ કરવામાં આવેલા દર્દીઓની તબિયત ઉપર નજર રાખવા માટે કેટલાક હેન્ડહેલ્ડ મેડિકલ ઉપકરણો ખૂબ જ પ્રચલિત છે. જેમ કે; દર્દીનાં ડાયાબિટીઝને દર 5 મિનિટે માપી આપતું એક સેન્સર dexcom નામની કંપનીએ વિકસાવ્યું છે, જે દર્દીનાં શરીર ઉપર ઈનપ્લાન્ટ કરી શકાય છે. સૌથી મોટી હલચલ ઇઝરાયેલની  TYTOCARE કંપનીએ અત્યારે મચાવી છે, કારણકે; તેનું હાથમાં સમાય જાય તેટલું નાનુ ઉપકરણ કોવિડ-19 સામે ઘરબેઠા જ બાથ ભીડવા માટે દર્દીને નોંધપાત્ર સુવિધા આપે છે. આવી જ રીતે એમઆઈટીની કમ્પ્યુટર સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબોરેટરીએ Emerald (એમરોલ્ડ) નામનું દીવાલે ટીંગાડી શકાય તેવું બૉક્સ જેવું એક ઉપકરણ બનાવ્યું છે જે દર્દીનાં શ્વાસનો દર, ઊંઘની પેટર્ન અને અન્ય ગતિવિધિઓનો રેકોર્ડ એકત્ર કરે છે  અને શું ફરેફારો થઇ રહ્યા છે તેનું વિશ્લેષણ કરે છે. સ્ટેથોમી દ્વારા લૉન્ચ કરાયેલ સ્ટેથોસ્કોપ એક નાનું વાયરલેસ ડિવાઇસ છે જે  શરીરના આંતરિક અવયવોમાંથી આવતા અવાજો રેકોર્ડ કરીને પોતાની કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગ દ્વારા એનું ડૉક્ટર માફક અર્થઘટન કરી આપે છે. ResMed કંપની દ્વારા લૉન્ચ થયેલા હેન્ડહેલ્ડ વેન્ટિલેટર દર્દીની તબિયત અચાનક જ બગડે તો આવા આકસ્મિક સંજોગોમાં ખૂબ જ આશીર્વાદરૂપ છે.

દર્દીનાં  ક્લિનિકલ પેરામીટરમાં જો કોઈ જોખમી ફેરફારો થાય તો ઉપરોક્ત ઉપકરણો તેનું એલાર્મ રિમોટ લોકેશન ઉપર બેસેલા ડૉક્ટર્સને મોબાઈલ એપ અથવા અન્ય માધ્યમો દ્વારા મોકલી આપે છે. જેનો અભ્યાસ કરીને સારવારને લગતાં જરૂરી ફેરફારો ડૉક્ટર્સ સૂચવતા હોય છે. મેડટ્રોનિક, SOC Telemed, DrFirst જેવી કંપનીઓ દ્વારા પણ આ પ્રકારનાં અનેક સોલ્યુશન્સ માર્કેટમાં ઉપલબ્ધ છે.

હોસ્પિટલમાં દાખલ પોઝિટિવ દર્દીઓ માટે:

કોરોનાથી સંક્રમિત અને જેમને બિમારીના થોડા ઘણાં લક્ષણો હોય તેવા દર્દીઓથી અત્યારે સમગ્ર વિશ્વની હોસ્પિટલો ઉભરાઈ રહી છે. વોર્ડમાં સરળતાથી ચાલી શકાય તેવી પણ મોકળાશ બચી નથી. અફડાતફડી એટલી બધી મચેલી છે કે આરોગ્યકર્મીઓ ક્યા દર્દીનું ધ્યાન રાખે અને કોનું નહીં? ક્યા દર્દીને કઈ દવા કે ક્યા ઇન્જકેશન ક્યારે આપવાના છે તેનું સમયપત્રક જાળવવું પણ અત્યારનાં સંજોગોમાં મુશ્કેલ થઇ રહ્યું હોવાથી મૃત્યુદર વધી રહ્યો છે. આવા સંજોગોમાં દરેક પથારીએ દર્દીને કેટલાક હેન્ડહેલ્ડ ઉપકરણો આપી રાખ્યા હોય તો ખૂબ જ ઓછા આરોગ્યકર્મીઓ દ્વારા પણ દર્દીઓ ઉપર બારીકાઈથી નજર રાખી શકાય છે અને દર્દીઓનો સાજા થવાનો દર ઘણો વધારી શકાય છે.

Clarius કંપની દ્વારા લૉન્ચ કરાયેલું હેન્ડહેલ્ડ અલ્ટ્રાસાઉન્ડ પોર્ટેબલ ડિવાઇસ દર્દીના મોબાઈલ ફોન સાથે જોડી દીધા  પછી માત્ર 10  સેકંડમાં  હૃદય, ફેફસાં અને પેટ સહિતનું ફૂલ બોડી ચેકઅપ કરીને દર્દીનો રિપોર્ટ તૈયાર કરી આપે છે. લાઈફસિગ્નલસ કંપનીએ લૉન્ચ કરેલું છાતી ઉપર ચોંટાડી શકાય તેવું એકદમ પાતળું, હળવું, યુઝ-એન્ડ-થ્રો અને વોટર રેઝિસ્ટન્ટ સેન્સર એકવાર ચીપકાવ્યા પછી દર્દીના શરીરનું ECG, ઓક્સિજન, હદયનાં ધબકારા, શરીરનું ટેમ્પરેચર, શ્વાસોચ્છવાસની ગતિ વિગેરે ક્લિનિકલ ડેટા મોબાઈલ એપમાં સતત રેકોર્ડ કરે છે.

દર્દીનાં ક્લિનિકલ પેરામીટરમાં કોઈ અગત્યનાં ફેરફાર નોંધાય ત્યારે આ ઉપકરણો સ્થાનિક આરોગ્યકર્મી અને રિમોટ લોકેશન સ્થિત ડૉક્ટરને એલાર્મ મોકલી આપે છે, જેથી એવા દર્દીઓની સારવાર અને દવાઓમાં જરૂરી ફેરફારો કરી શકાય. જ્યાં અગત્યતા છે ત્યાં જ ધ્યાન દેવાની આરોગ્યકર્મીઓની સુગમતા આ કારણે વધે છે. આના પરિણામે વૉર્ડમાં ઓછી દોડાદોડી અને ઘણાં ઓછા સ્ટાફથી પણ વધુ અસરકારક સારવાર આપી શકાય છે.

હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા અતિ ગંભીર પોઝિટિવ દર્દીઓ માટે:

હેલ્થ પ્રોફેશનલ્સને કોરોનાનો ચેપ લાગવાની અહીં સૌથી વધુ સંભાવના રહે છે. અતિ ગંભીર પરિસ્થિતિ ધરાવતાં જે દર્દીઓ ICUમાં હોય તેમની ઉપર ચોવીસે કલાક નજર રાખવી પડતી હોવાથી ટેક્નોલોજીની દ્રષ્ટિએ અતિ ઉચ્ચ ક્વૉલિટીનાં રિમોટ પેશન્ટ મોનીટરીંગના સાધનો અહીં ઉપયોગમાં લેવા પડે છે.

AGNES Interactive દ્વારા લૉન્ચ કરવામાં આવેલું AMD-3750 મોડલનું ઇન્ટરેક્ટિવ સ્ટેથોસ્કોપ રિમોટ લોકેશન ઉપર બેસેલા ડૉક્ટરને દર્દીનાં હૃદય, ફેફસા અને અન્ય અંગોમાં ઉત્પન્ન થતાં અવાજો સ્પષ્ટ રીતે મોકલી શકે છે, જે ડૉક્ટરને ક્રિટિકલ કન્ડિશનનાં દર્દીની આગળની સારવાર નક્કી કરવામાં મદદરૂપ થાય છે.

GE Healthcare અને Microsoft દ્વારા મ્યુરલ વર્ચ્યુલ કેર સોલ્યુશન નામની એક  સિસ્ટમ વિકસાવવામાં આવી છે. દર્દી સાથે જોડવામાં આવેલ વેન્ટિલેટર સહિતનાં તમામ ઉપકરણો ઉપરાંત દર્દીનાં મેડિકલ રેકોર્ડ્સ, લેબોરેટરીનાં રિપોર્ટ્સ અને અન્ય નિદાનોનાં રીઅલ-ટાઇમ ડેટા એકત્રિત કરીને આ સિસ્ટમ રિમોટ સ્થળે હાજર તજજ્ઞ ડૉક્ટર્સની ટીમને આ સઘળું અવિરત મોકલ્યા કરે છે. આ સિસ્ટમનો ઉપયોગ કરતા 100 બેડ સુધીનાં ICUમાં માત્ર 3 નર્સ અને બે ડૉક્ટર્સ જ પૂરતા થઇ પડે છે. ICUમાં સારવાર લઇ રહેલા અતિ ગંભીર હાલતના દર્દીઓ માટે આ પ્રકારનાં હાઈ-એન્ડ  સોલ્યુશન આપવા માટે Honeywell Life Sciences અને Philips Healthcare કંપનીનાં નામ પણ દુનિયાભરમાં જાણીતા છે.

આપણાં દેશમાં ટેકનોલોજીઓનાં વપરાશની શક્યતા કેટલી…

એકંદરે મામલો એ છે કે કોરોનાથી સંક્રમિત દર્દીનાં નિદાન અને સારવાર માટે આરોગ્યકર્મીઓને   તેમની નજીક જવું જ ન પડે અથવા તો ઓછામાં ઓછી વાર જવું પડે. જો જવું જ પડે તો એકદમ જ ઓછા સ્ટાફથી પણ દર્દીઓની એકદમ ઉત્તમ સારવાર થઇ શકવી જોઈએ. ઉપર જેની નોંધ લીધી છે તે સિવાયની બીજી અનેક કંપનીઓએ પણ એકએકથી ચડિયાતી આવી પ્રોડક્ટ્સ માર્કેટમાં મૂકેલી જ છે. આપણાં દેશની આઈ.આઈ.ટી.ઓ દ્વારા સંચાલિત સંશોધનકેન્દ્રો પણ અનેક આવિષ્કારો કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ આવી પ્રોડક્ટ્સ એકદમ કિફાયતી ભાવે ઉપલબ્ધ થવા લાગશે તે નક્કી છે.

હમ લાયે હૈ તુફાન સે કસ્તી નિકાલ કે…..હેલ્થ પ્રોફેશન કો રખેગી ટેક્નોલોજી સમાલ કે

થોડો ઘણો ખર્ચ કરીને પણ ડૉક્ટર્સ, દવાખાનાઓ અને હોસ્પીટલોએ ક્રમશ: આ બધી ટેકનોલોજીઓ હવે ઝડપથી અપનાવી લેવી જોઈએ. કારણકે….. જીવનની કિંમત કરતાં ટેક્નોલોજી હમેશા સસ્તી જ રહેવાની છે.

(લેખક:પુનીત આચાર્ય સોમપુરા)

ગોલ્ડ મિનીના ‘ઓપ્શન્સ ઈન ગુડ્સ’ કોન્ટ્રેક્ટમાં સંપૂર્ણ ફિઝિકલ ડિલિવરીઃ BSE દેશનું પ્રથમ એક્સચેન્જ

મુંબઈ: મંગળવારે ગોલ્ડ મિનીના ‘ઓપ્શન્સ ઈન ગુડ્સ’ કોન્ટ્રેક્ટમાં બીએસઈએ સૌપ્રથમ ફિઝિકલ ડિલિવરી પાર પાડી હતી. દિલ્હીસ્થિત મેમ્બરે પંજાબના ખરીદદારને ડિલિવરી કરી હતી. ફિઝિકલ ડિલિવરી ગુજરાતના અમદાવાદમાં એક્સચેન્જ દ્વારા નિયુક્ત વોલ્ટ મારફતે આપવામાં આવી હતી. ચાલી રહેલા લોક-ડાઉન વચ્ચે બીએસઈએ આ આખી પ્રક્રિયા સફળતાપૂર્વક પાર પાડી હતી.

બીએસઈએ 1 જૂન, 2020ના રોજ ગોલ્ડ મિની અને સિલ્વર કિલોની સ્પોટ પ્રાઈસીસ આધારિત ઓપ્શન્સ ઈન ગુડ્સ કોન્ટ્રેક્ટ લોન્ચ કર્યા હતા. ટ્રેડિંગ માટેના ગોલ્ડ મિની ઓપ્શન્સ 100 ગ્રામના અને 10 ગ્રામની બેઝ વેલ્યુના છે. 100 ગ્રામના યુનિટ્સમાં અમદાવાદ ખાતેના બીએસઈ નિયુક્ત વોલ્ટ્સ ખાતે ડિલિવરી થાય છે અને ઓર્ડરની મહત્ત્મ સાઈઝ 10 કિલોની છે.

બીએસઈને તેના આ કોન્ટ્રેક્ટ્સને બધા સહભાગીઓ પાસેથી સારો પ્રતિસાદ સાંપડ્યો છે અને બુલિયન ઓપ્શન્સ સેગમેન્ટમાં તે માર્કેટ લીડર છે. આ કોન્ટ્રેક્ટ લોન્ચ કર્યાને મહિનો થયો છે અને ઓપ્શન્સ ઈન ગુડ્સ સેગમેન્ટમાં બીએસઈ ખાતે રૂ.2442 કરોડનું મહત્તમ ટર્નઓવર નોંધાયું હતું.

બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું”એક્સચેન્જ મિકેનીઝમ મારફત વિના અવરોધ કરવામાં આવતી સંકલિત ડિલિવરી નાના અને મધ્યમ સ્તરના ઝવેરીઓ અને બુલિયન ડીલરો માટે અત્યંત ફાયદાકારક છે. તેઓ માત્ર ભાવના જોખમને નિવારી શકશે એટલું જ નહિ પણ કરારની સમાપ્તિને અંતે ડિલિવરી પણ મેળવી શકશે.  ભારતના વિઝનને અનુરૂપ બીએસઈએ તેના કોમોડિટી ડેરિવેટિવ્ઝ પ્લેટફોર્મ માટે ભારત સરકારના બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા નોટિફાય કરાયેલાં ગુડ ડિલિવરી સ્ટાન્ડર્ડ અપનાવ્યાં છે.

કોરોના કાળમાં IIM-A તરફથી જરૂરિયાતમંદ પરિવારો, પ્રવાસી મજૂરોને મદદ

અમદાવાદઃ દેશમાં કોરોના વાઈરસના ફેલાવાને કારણે લાગુ કરાયેલા સંપૂર્ણ લોકડાઉનમાં અનેક ગરીબ લોકો, જે મોટા ભાગે દૈનિક મજૂરી પર નિર્ભર હતા, તે બધા આવક અને અનાજથી વંચિત હતા. જ્યારે સમાજનો એક વર્ગ પોતાનાં ઘરોની અંદર સુરક્ષિત પ્રમાણમાં આરામદાયક અવસ્થામાં હતો, ત્યારે મોટી સંખ્યામાં લોકો આ સંકટમાં જીવનને ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. IIM-અમદાવાદ હંમેશાં સમાજ પ્રતિ દાન આપવામાં સક્રિય રહી છે. સમયની માગ પ્રમાણે IIM- Aની ટીમે સમાજને મદદ કરવા માટે સમર્પણની સાથે કામ કર્યું. આ રાહત કાર્યનું લક્ષ્ય સરકાર અને અન્ય સિવિલ સોસાયટીની નજરે ન ચઢેલા લોકો સુધી પહોંચવાનું હતું.

IIM- અમદાવાદએ 80થી વધુ સ્વયંસેવકોની ટીમની રચના કરી

IIM- અમદાવાદમાં ફેકલ્ટી, સ્ટુડન્ટ્સ, સંશોધનકર્તાઓ અને કર્મચારીઓના એક જૂથે ઓછી આવકવાળા પરિવારો અને પ્રવાસી મજૂરોને લોકડાઉનમાં મદદ કરવા માટે 80થી વધુ સ્વયંસેવકોની એક ટીમની રચના કરી હતી.

2300થી વધુ પરિવારો અને 800 પ્રવાસી મજૂરોને મદદ કરી

IIM- Aની ટીમે અત્યાર સુધીમાં 2300થી વધુ પરિવારો અને 800થી વધુ પ્રવાસી મજૂરોને રાશન કિટ, નાણાકીય સહાયતા, સામૂહિક રસોઈની સહાયતા પૂરી પાડી છે તેમજ ઘણા પ્રવાસીઓને તેમના વતન પહોંચાડવામાં પણ મદદ કરી હતી.

ટીમે જરૂરિયાતને આધારે પરિવારોનું વિભાજન કર્યું

IIM- Aની ટીમે એવા લોકો કે જેમને સૌથી વધુ મદદની જરૂર છે અને તેમને મદદ કરવા એક વ્યવસ્થિત દ્રષ્ટિકોણથી રાહત કાર્ય કર્યું. આ ટીમે તે ગરીબ ઘરોનું સર્વેક્ષણ કર્યું, આ સર્વેક્ષણોને આધારે પરિવારોને તાત્કાલિકની જરૂરિયાતને આધારે ચાર શ્રેણીઓમાં વિભાજિત કર્યા- લાલ, નારંગી, પીળા અને લીલા. આ સર્વેક્ષણે એ પણ સંકેત આપ્યો હતો કે આશરે 85 ટકા ઘરોમાં નિયમિત આવક નથી. આશરે 54 ટકા પરિવારોએ પ્રતિ દિન ખાવાના ભોજનમાં ઘટાડો કર્યો હતો અને કેટલાક લોકોને PDSના માધ્યમથી રાશન ખરીદવામાં પણ મુશ્કેલીઓ પડતી હતી.

બે મહિનામાં વિવિધ ઘરોમાં 550થી વધુ રાશન કિટનું વિતરણ

IIM- Aની ટીમે બે મહિનાના સમયગાળામાં વિવિધ ઘરોમાં 550થી વધુ રાશન કિટનું વિતરણ કર્યું હતું. આ કિટ અમદાવાદના ગુલબાઈ ટેકરા, બોમ્બે હોટેલ-બાપુનગર, દાણીલીમડા, વાડજ, વટવા, જુહાપુરા, ગોતા અને બહેરામપુરા ક્ષેત્રોમાં ઝૂંપડપટ્ટીમાં વિતરિત કરવામાં આવી. આ ક્ષેત્રોમાં IIM- Aના સુરક્ષા ગાર્ડોની મદદથી આ વિતરણ કાર્ય કરવામાં આવ્યું. જ્યાં રાશન કિટ પહોંચાડી ના શકાઈ ત્યાં પૈસા અથવા પરિવારોના ખાતાંઓમાં સીધા પૈસા જમા કરવામાં આવ્યા હતા અથવા એની પાસેની રાશનની દુકાનમાં આપવામાં આવતા હતા, જેથી પરિવાર ફરી મફતમાં રાશન પ્રાપ્ત કરી શકે. આશરે 2.3 લાખ રૂપિયા લોકોને આ પ્રકારે મદદ કરવા માટે સીધાં ઘરોમાં મોકલવામાં આવ્યા હતા.

પ્રવાસી મજૂરોને મદદ માટે ટીમની પ્રશંસનીય કામગીરી

લોકડાઉનના બે દિવસની અંદર સ્વયંસેવકોના એક સામુદાયિક કાર્યકર્તા એજાઝ શેખને સમર્થન આપ્યું, જેથી એ કામદારોને શોધી શકાય, જ્યાં પ્રવાસી મજૂરો ભોજન કે આવક વગર ફસાયેલા હતા અને પરિવારોની મદદ માટે ધન ભેગું કરી શકાય. શહેરના પૂર્વ વિસ્તાર ગોમતીપુર, રખિયાલ, બાપુનગર, સરસપુર, અમરાઈવાડી,બહેરામપુરા અને વટવામાંથી 252થી વધુ પરિવારોને શોધી કઢાયા અને સ્થાનિક પોલીસની મદદથી તેમને પૈસા પહોંચાડવામાં આવ્યા. આ પ્રયાસોને કારણે આશરે 4000 મજૂરો માટે સામૂહિક રસોઈ બનાવવામાં આવી અને જનવિકાસ, ઇન્ફોએનાલિટિકા ફાઉન્ડેશન અને અમદાવાદની પરિયોજના દ્વારા સમર્થન કરવામાં આવ્યું. IIM- Aની ટીમે આ સ્થળોએ જિયો ટેગ કરવામાં અને બેક-એન્ડ કામ કરવામાં મદદ કરી, કેમ કે સ્વયંસેવકોનો વોટ્સએપ પર સૂચના આપી હતી, જેથી 45 દિવસ સુધી પ્રત્યેક દિવસે તૈયાર ભોજન વિતરણ કરવાનુંસરળ બન્યું.

90 મજૂરોને એક મહિના સુધી મદદ

IIM- Aની ટીમે નારોલ સ્થિત ઝારખંડના 90 મજૂરોને એક સામૂહિક રસોઈ સ્થાપિત કરવામાં મદદ કરી અને એક મહિના સુધી તેમને ભોજન ઉપલબ્ધ કરાવ્યું હતું.

ટીમે 800 લોકોને વતન મોકલ્યા

IIM- A ટીમે અત્યાર સુધી લગભગ 800 લોકોને ટ્રેન ટિકિટ, બસ ટિકિટ માટે પૈસા અને ખાનગી વાહનની વ્યવસ્થા કરવામાં મદદ કરી હતી. આ ટીમે બિહાર અને ઝારખંડના 112 પ્રવાસી મજૂરોને વતન મોકલવા માટે આશરે પાંચ લાખ રૂપિયા એકત્ર કરવાનું કામ કર્યું.

IIM- Aની ટીમે 14 લાખ રૂપિયા એકત્ર કર્યા

IIM- Aના કર્મચારીઓ અને IIM- Aના જૂથ દ્વારા મહત્ત્વવનું યોગદાન આપવામાં આવ્યું હતું. આ સાથે જનસહયોગ મંચ IIM- A પર એક પૈસા એકત્ર કરવાનું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું. એનાથી લગભગ ત્રણ લાખ રૂપિયા ભેગા કરાયા. આ ઉપરાંત IIM- Aના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આયોજિત એક ઓનલાઇન કાર્યશાળાથી આશરે 1.2 લાખ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા.

અનલોક જાહેર થતાં IIM- Aની ટીમ રાહત કામગીરી ચાલુ રાખશે. જેમને હજી રોજગારી છીનવાઈ જવાને કારણે મદદની જરૂર છે, તેમને IIM- Aની ટીમ કેટલીક સંસ્થાઓ સાથે મદદ કરવાનું જારી રાખશે.

લોકડાઉનઃ સારા ત્રણ મહિને પહેલી વાર ઘરની બહાર નીકળી…

બોલીવૂડની યુવા અભિનેત્રી સારા અલી ખાન કોરોના વાઈરસ-લોકડાઉનને કારણે 3 મહિના સુધી ઘરમાં રહ્યાં બાદ 30 જૂન, મંગળવારે પહેલી જ વાર બહાર નીકળી હતી. એણે મોઢાં પર માસ્ક પહેર્યો હતો. પોતાની તસવીરો ક્લિક કરતા પ્રેસ ફોટોગ્રાફરો સામે જોઈને સારાએ હસીને એની જાણીતી સ્ટાઈલમાં ‘નમસ્તે’ કર્યું હતું.

સારાએ 2018માં ‘કેદારનાથ’ ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. એમાં સુશાંત સિંહ રાજપૂત એનો હિરો હતો.

સુશાંત આત્મહત્યા કેસઃ બિહારના કેસોમાં કરણ, સલમાન, એકતા આરોપી

પટનાઃ બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના મામલે બિહારના પટના અને મુઝફ્ફરપુરમાં સલમાન ખાન અને કરણ જોહર સહિત બોલિવુડની કેટલીક સેલિબ્રિટીઓની સામે કેસ નોંધવામાં આવ્યા છે. ત્યાર બાદ મંગળવારે હાજીપુરના ચીફ જસ્ટિસ મેજિસ્ટ્રેટ (CJM) કોર્ટમાં એક વધુ કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂર સહિત બોલિવુડથી સંલગ્ન આઠ જણને આરોપી બનાવવામાં આવ્યા છે.હાજીપુરમાં સલમાન-કરણ અને એકતા કપૂર પર કેસ

હાજીપુર નગર પોલીસ સ્ટેશનના પોખરા મોહલ્લાનિવાસી ડો. અજિત કુમારે CJM કોર્ટમાં એ કેસ નોંધવામાં આવ્યો છે. આમાં ફિલ્મ અભિનેતા અને નિર્માતા-નિર્દેશક કરણ જોહર, આદિત્ય ચોપડા, સાજિદ નડિયાદવાલા, સલમાન ખાન, સંજય લીલા ભણસાલી, દિનેશ વિજયદાન, T સિરીઝના ભૂષણકુમાર અને બાલાજી પ્રોડક્શનની એકતા કપૂરને આરોપી બનાવવામાં આવ્યા છે. તેમની સામે છેતરપિંડી કરવા, પ્રતિષ્ઠા હનન કરવા, ધમકી આપવા અને આત્મહત્યા માટે પ્રેરિત કરવાના આરોપ લગાડવામાં આવ્યા છે.

કરણ અને સલમાનની ફિલ્મો પર આજીવન પ્રતિબંધની માગ

આ પહેલાં 19 જૂને સવર્ણ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાગવત શર્માએ પટનાની CJM કોર્ટમાં સલમાન ખાન, કરણ જોહર, એકતા કપૂર, સાજિદ નડિયાદવાલા સહિત અન્ય કેટલાક પર કેસ કર્યા હતા. એમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે સુશાંત સિંહ રાજપૂતને ષડયંત્ર હેઠળ અનેક ફિલ્મોમાંથી બહાર કઢાયો હતો. આ કેસમાં માગ કરવામાં આવી છે કે બિહારમાં કરણ જોહર અને સલમાન ખાનની ફિલ્મો પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવે.

મુઝફ્ફપુરમાં નોંધાયેલા કેસની સુનાવણી ત્રીજી જુલાઈએ

પટનાના કેસ અગાઉ મુઝફ્ફરપુરમાં સુધીર કુમાર ઓઝા નામના એક વકીલે સલમાન સહિત આઠ વ્યક્તિ પર કેસ નોંધાવ્યો હતો. તે કેસમાં તેમના પર સુશાંતને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ કેસનો કોર્ટે સ્વીકાર કર્યો છે, જેના પર આગામી સુનાવણી ત્રીજી જુલાઈએ થશે.

માર્ગ અકસ્માતોના ઈજાગ્રસ્તોને મળશે કેશલેસ સારવારની સુવિધા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતોમાં ઈજા પામનારા લોકો માટે ટૂંક સમયમાં કેશલેસ સારવારની સુવિધા શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ યોજના હેઠળ દરેક કેસમાં મહત્તમ મર્યાદા 2.5 લાખ રૂપિયા રહેશે. ભારતમાં દર વર્ષે થતાં માર્ગ અકસ્માતના આંકડા જોતા આ યોજના ઘણી મહત્વપૂર્ણ સાબિત થશે. દેશમાં દર વર્ષે લગભગ પાંચ લાખ માર્ગ અકસ્માતો થાય છે જે દુનિયામાં સૌથી વધુ છે.

દેશમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં દોઢ લાખ લોકોનાં મોત થાય છે જ્યારે ત્રણ લાખ લોકો અપંગ (ઈજાગ્રસ્ત) થઈ જાય છે. રાજ્યોના પરિવહન સચિવો અને કમિશ્નરોને મોકલવામાં આવેલા પત્રમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કહ્યું કે કેશલેસ સારવારની યોજના માટે એક મોટર વાહન દુર્ઘટના ફંડ ઊભું કરવામાં આવે. માર્ગ દુર્ઘટના ફંડની સ્થાપના ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સંસદ દ્વારા પાસ કરવામાં આવેલા સંશોધિત મોટર વેહિકલ એક્ટની મુખ્ય જોગવાઈઓ પૈકીની એક હતી.

માર્ગ દુર્ઘટનાના પીડિતોને કેશલેસ સારવાર પૂરી પાડવા માટે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ (NHA)ના મજબૂત આઈટી માળખાનો ઉપયોગ કરવામાં આવશે. પરિવહન મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં દરરોજ સરેરાશ 1200 માર્ગ અકસ્માત થાય છે અને લગભગ 400 લોકો પોતાના જીવ ગુમાવે છે.

માર્ગ દર્ઘટનાનો ભોગ બનેલા લોકો માટે ટ્રોમા અને હેલ્થકેર સેવાઓને એક ખાતાના માધ્યમથી ફંડ આપવામાં આવશે જેને યોજના લાગુ કરવા માટે પરિવહન મંત્રાલય હેઠળ સ્થાપિત કરવામાં આવશે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે જો દુર્ઘટનાગ્રસ્ત ગાડીનો વીમો નહીં હોય તો વળતર તરીકે સારવારનો ખર્ચ ગાડી માલિકને આપવો પડશે.

કોરોનાના કેસ વધવા માંડતા મુંબઈમાં ફરી રાતનો કર્ફ્યૂ લાગુ કરાયો

મુંબઈઃ દેશભરમાં એક તરફ અર્થતંત્રને હળવું કરવા માટે ‘અનલોક’નો બીજો તબક્કો શરૂ થયો છે ત્યારે બીજી બાજુ કોરોના વાઈરસના કેસો વધી રહ્યા છે. મહારાષ્ટ્ર રાજ્યમાં, ખાસ કરીને પાટનગર મુંબઈમાં કોરોનાના કેસ ભયજનક રીતે વધવા માંડ્યા હોવાથી મુંબઈ પોલીસે તાત્કાલિક રીતે અમલમાં આવે એ રીતે શહેરભરમાં 144મી કલમ લાગુ કરી દીધી છે.

1973ના ક્રીમિનલ પ્રોસીજર કોડની આ કલમ આમ તો પાંચથી વધારે વ્યક્તિના ભેગા થવા પર પ્રતિબંધ મૂકે છે, પરંતુ પોલીસના ઓર્ડરમાં જણાવાયું છે કે કોરોના ચેપનું જોખમ વધી જતાં મહાનગરપાલિકા દ્વારા ઘોષિત કન્ટેનમેન્ટ ઝોનમાં એકથી વધારે વ્યક્તિના ભેગા થવાની મનાઈ છે. જોકે આમાં આવશ્યક પ્રવૃત્તિઓ, આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય તથા મેડિકલ ઈમરજન્સીને બાકાત રાખવામાં આવી છે.

મુંબઈના નાયબ પોલીસ કમિશનર પ્રણય અશોકે ઈસ્યૂ કરેલા ઓર્ડરમાં જણાવાયું છે કે શહેરમાં 15 જુલાઈ સુધી રાતે 9 વાગ્યાથી લઈને સવારે પાંચ વાગ્યા સુધી કર્ફ્યૂ નિયમ લાગુ રહેશે. એક કે તેથી વધારે વ્યક્તિની અવરજવરની મનાઈ રહેશે. માત્ર આ સાત બાબતોને જ રાત્રી કર્ફ્યૂમાંથી બાકાત રાખવામાં આવી છેઃ

1. ઈમરજન્સી સેવાઓ

2. ફરજ પર રહેલા સરકારી તેમજ સેમી-સરકારી એજન્સીઓના અધિકારીઓ

3. અન્ન, શાકભાજી, દૂધ, રેશનિંગ, કરિયાણાની દુકાનો

4. મેડિકલ ઈમરજન્સીઓ

5. પત્રકારો

6. બંદર વિસ્તારો

7. ખાદ્યપદાર્થો, કરિયાણાની ચીજવસ્તુઓ તથા આવશ્યક ચીજવસ્તુઓની હોમ ડિલિવરી

8. હોસ્પિટલો, દવાઓ, ફાર્માસ્યુટિકલ્સ અને તેને સંબંધિત દુકાનો, પેથોલોજી લેબોરેટરીઝ, મેડિકલ અને નર્સિંગ કોલેજો

9. ટેલીફોન અને ઈન્ટરનેટ સેવાઓ

10. ઈલેક્ટ્રિસિટી, પેટ્રોલિયમ, ઓઈલ એન્ડ એનર્જી સંબંધિત સેવાઓ

11. બેન્કિંગ, શેરબજાર, ક્લિયરિંગ કોર્પોરેશનો, શેરદલાલો

12. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી તથા IT સંબંધિત સેવાઓ, મહત્ત્વના રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સેવા પૂરી પાડતા ડેટા સેન્ટરો.

13. ઈ-કોમર્સ પ્રવૃત્તિઓ (આવશ્યક તથા બિન-આવશ્યક, બંને પ્રકારની ચીજવસ્તુઓ માટે)

14. પીવાના પાણીની સેવા અને સફાઈ-જાળવણી કાર્યો

15. ઉપર જણાવેલી તમામ આવશ્યક બાબતો સંબંધિત ગોડાઉન અને વેરહાઉસીસ

બીજી બાજુ, દુકાનો, બજારો, હજામતની દુકાનો, સ્પા, આઉટડોર કસરતની પ્રવૃત્તિઓ જેવી બિન-આવશ્યક પ્રવૃત્તિઓ માટે વ્યક્તિઓની અવરજવરને માત્ર જે-તે વિસ્તારની અંદર જ પરવાનગી રહેશે. બિન-આવશ્યક હેતુ માટે લાંબા અંતરે જવાની મનાઈ છે.

બુધવારાન આંકડા અનુસાર, મુંબઈમાં અત્યાર સુધીમાં કોરોનાના 77,658 કેસ નોંધાયા છે અને 4,556 જણના મૃત્યુ થઈ ચૂક્યા છે.

રોજીંદી ઘટમાળમાંથી બહાર નીકળો તો નિસર્ગની સુંદરતા દેખાય!

લૉકડાઉન પહેલાં દૈનિક જીવનમાં કામકાજની દોડધામમાં નિરાંતનો સમય મળવો મુશ્કેલ હતો. સવારે બહારની રૂટિન કસરત જેવી કે જોગિંગ, સાયકલિંગ કરવામાં પણ લોકોનું ધ્યાન ફક્ત કસરતમાં તેમજ દિવસ દરમ્યાન કરવાના કામોની યાદીમાં રહેતું હતું. પરંતુ લૉકડાઉને એક ફાયદો એ કરાવી આપ્યો છે કે, આસપાસની પરિસ્થિતિ તેમજ કુદરત પ્રત્યે લોકોનું ધ્યાન દોરાવા લાગ્યું છે!

આવી જ રોચક ઘટના વિશે ફિલ્મ નિર્માત્રી તાહિરા કશ્યપ જણાવે છે. જે ચંડીગઢની રહેવાસી છે. તાહિરા કશ્યપે અભિનેતા આયુષ્માન ખુરાના સાથે લગ્ન કર્યા છે.

તાહિરા અત્યારે એમના વતન ચંડીગઢમાં રહે છે અને ત્યાં એ નાનકડા શહેરની ખુશનુમા રોગનિવારક કુદરતી આબોહવા માણે છે. પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચંડીગઢની અલગ અલગ જગ્યા પર લીધેલી તસવીરોની શ્રેણી ‘small town life’ હેશટેગ હેઠળ તેણે મૂકી છે.

તાહિરાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘ચંડીગઢમાં શહેર ફરતે સાઈકલ રાઈડ દરમ્યાન તે પોતાની ફોટોગ્રાફી સ્કીલને સુધારી રહી છે.’ સાયકલિંગ માટે તે લખે છે, ‘મેં સાયકલિંગ શરૂ કર્યું ફક્ત એક સ્પોર્ટ તરીકે અને સાથે સાથે માનસિક ચિંતાઓ, વિચારોથી મુક્ત થવાના પ્રયત્ન તરીકે! પરંતુ સાયકલિંગ વખતે રોજના રસ્તાઓ, વૃક્ષો, મકાનો મેં કંઈક જુદા જ અનુભવ્યા! કુદરતમાં રહેલા સૌંદર્યની આ પહેલાં મેં કોઈ દિવસ નોંધ લીધી નહોતી. આ અનુભવ તો એકદમ આહલાદ્ક હતો. કુદરતનું સાંન્નિધ્ય મને રોગનિવારક લાગે છે. આ પહેલાં સાયકલિંગ એ ફક્ત મારા માટે કસરત પૂરતી જ મર્યાદિત હતી. પરંતુ હાલમાં તો એ મારા માનસિક સ્વાસ્થ્ય માટે ઉપચાર સમી લાગે છે અને ખુશી આપે છે તે વધુમાં!

આ સાથે તાહિરાએ પોતાનો સાયકલ સાથેનો ફોટો જોડતાં લખ્યું છે કે, કઈ રીતે એ પોતાની રોજની સવારી સાયકલ પર ચંડીગઢની દરેક જગ્યા, દરેક ગલીઓની સુંદરતા નોંધી રહી છે! સાથે તે લખે છે, ‘અને હા, હું આ બધા દૃશ્યોને મારા મોબાઈલ કેમેરામાં કેદ કરી રહી છું. ફોટોઝ ભલે ઉત્તમ નથી, પણ એ દરેકે દરેક ફોટા મારા હૃદય સાથે જોડાયેલાં છે! મેં જોયેલા દૃશ્યો ફોટામાં અપ્રતિમ લાગે છે!

ફૂલના ઝાડમાંથી ઉગતા સુરજનું ચિત્ર લઈ તાહીરા લખે છે, ‘ગઈકાલે મેં આ ચિત્ર એના સૌંદર્યને કારણે મોબાઈલથી લીધું હતું. પરંતુ આજે આ પિક્ચર જાણે કહી રહ્યું છે, આશા રાખો, ખીલો, આબાદ થાઓ, વૃદ્ધિ પામો, હિંમત રાખો! આ જ બધા બદલાવ હું મારામાં પણ જોઈ શકું છું. એક માનવ જ છે, જે હંમેશા નિરાશ થઇ જાય છે. ઠીક છે, તમે હારી ગયાનો અનુભવ પણ કરો. પરંતુ આ વિચારને ત્વરિત મનમાંથી કાઢી નાખો. આ જ વાતે હું પોતે પણ દ્રઢ નિશ્ચય રાખું છું. જે હું તમારી સાથે વહેંચવા માંગુ છું. તમે તમારો નિશ્ચય અહીં મને જણાવો. મારા નિશ્ચય વિશે કહું તો, હું કોઈ એક ધ્યેયને પકડીને મારી જિંદગી જીવી લેવા માંગું છું.’

તાહિરાએ બીજો એક ફોટો શંકર ભગવાનની પ્રતિમાનો મૂક્યો છે. જે એંગલથી ફોટો લેવા એણે કષ્ટ કર્યું છે તે વિશે તાહિરા લખે છે, ‘હું મારા રોજીંદા નિયમ પ્રમાણે સાયકલ પર જઈ રહી હતી,. આ સુંદર પ્રતિમા જોઈ. પરંતુ તેના પર પ્રકાશ નહોતો પડી રહ્યો. આથી બીજા દિવસે સમયની ગણતરી કરીને વહેલાસર હું ત્યાં પહોંચી ગઈ. પ્રતિમાને જોઈને હું તો અભિભૂત થઈ ગઈ! સૂર્યનો પ્રકાશ સીધો ભગવાનના ત્રિશૂળ પર જ પડી રહ્યો હતો. આ વાત તમે ફોટામાં નોંધી હશે! અને ઉપરથી એક પક્ષી પણ ઊડી રહ્યું હતું. બસ, મેં આ ક્ષણને મારા કેમેરામાં કેદ કરી લીધી! પણ આ વાતે મારો દિવસ સુધારી દીધો!’

તાહિરા પોતે કેન્સર સર્વાઈવર છે. તેણે તે દરમ્યાન પણ ઈન્સ્ટાગ્રામ પર ‘feeling very low’ કરીને પોસ્ટ લખી હતી. તે વખતે તેના ઇન્સ્ટાગ્રામ ફેનથી લઈને આયુષ્માન સાથે ‘ડ્રીમગર્લ’ ફિલ્મમાં કામ કરનાર અભિનેત્રી નુસરત ભરૂચાએ પણ ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ અને શુભેચ્છાઓ પાઠવ્યા હતા.

અઠવાડિયા પહેલાં તાહિરાના ઇન્સ્ટાગ્રામ પરના ફોટા જોઈને અભિનેત્રી યામી ગૌતમ જે આયુષ્માન સાથે ફિલ્મ કરી રહી છે. તેણે પણ તાહિરાની પોસ્ટના પ્રત્યુત્તરમાં લાલ હ્રદયનું ચિહ્ન મૂક્યું હતું. યામી ગૌતમ પણ ચંડીગઢની રહેવાસી છે.

તાહિરા કશ્યપ અને આયુષ્માન ખુરાના નવેમ્બર 2008માં પરણ્યાં હતા. તેમને વિરાજવીર અને વરુષ્કા નામે બે બાળકો છે.