નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 18,552 નવા કેસ સામે આવ્યા છે, જે અત્યાર સુધી સૌથી વધુ છે. પાછલા 24 કલાકમાં 384 લોકોનાં મોત થયાં છે. દેશમાં છેલ્લા 15 દિવસથી નવા કોરોના વાઇરસના કેસ 10,000થી વધુ આવ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 5,08,953 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 15,685 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 2,89,880 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,97,387એ પહોંચી છે. રિકવરી રેટ 58.13 ટકાએ પહોંચ્યો છે.
10 દેશોમાં બે લાખથી વધુ કેસ
બ્રાઝિલ, રશિયા, સ્પેન, યુકે, ઇટાલી, ભારત, પેરુ, ચિલી, ઇરાન અને મેક્સિકોના કોરોનાના કેસોની સંખ્યા બે લાખને પાર થઈ ગઈ છે. જ્યારે પાકિસ્તાન, તુર્કી અને જર્મનીમાં પણ 1.90 લાખથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. ભારત વિશ્વમાં સૌથી વધુ કેસોને મામલે ચોથા નંબરે છે. જ્યારે સૌથી વધુ મોતના મામલે આઠમા નંબરે છે.
અમેરિકામાં કોરોનાના સૌથી વધુ કેસ
અમેરિકામાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાયા છે. અત્યાર સુધી અમેરિકામાં કોરોનાના 25,52,956 કેસો નોંધાયા છે અને 1,27,640 લોકોનાં મોત થયાં છે.
વિશ્વમાં કોરોનાથી 99 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત
વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 4,96,866 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 99,04,906એ પહોંચી છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
નવી દિલ્હીઃ શનિવારે સતત 21મા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ 25 પૈસા અને 21 પૈસા મોંઘું થયું છે. પાછલા 21 દિવસોમાં ડીઝલ રૂપિયા 11 રૂપિયા અને પેટ્રોલ 9.12 રૂપિયા મોંઘું થયું છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 80.38 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 80.40 રૂપિયાએ પહોંચી છે. પાછલા ત્રણ દિવસોથી દિલ્હીમાં ડીઝલની કિંમત પેટ્રોલથી વધુ છે.
માત્ર દિલ્હીમાં પેટ્રોલથી મોંઘું ડીઝલ
દેશમાં આવું પહેલી વાર થયું છે કે ડીઝલની કિંમત પેટ્રોલથી વધુ છે. જોકે દેશના અન્ય ભાગોમાં ડીઝલની કિંમત પેટ્રોલથી વધુ નથી. દિલ્હીમાં ડીઝલની વધતી કિંમતનું મુખ્ય કારણ વેટ છે. દિલ્હી સરકારે લોકડાઉન દરમ્યાન ડીઝલ પર વેટના દર વધારી દીધા છે. કેન્દ્ર સરકારે પણ મેના પહેલા સપ્તાહમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં ભારે વધારો કર્યો હતો. પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટરે એક્સાઇઝ ડ્યુટી અનુક્રમે 10 રૂપિયા અને 13 રૂપિયાનો વધારો કર્યો હતો. જેને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમત ભડકે બળે છે.
અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 24 પૈસા અને ડીઝલની કિંમતમાં 21 પૈસાનો વધારો
સતત 21મા દિવસે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 24 પૈસા વધીને 77.82 રૂપિયા અને ડીઝલની કિંમત 21 પૈસા વધીને પ્રતિ લિટરે 77.68 રૂપિયા થયો છે.
દેશમાં કોરોના પ્રકોપને જોતાં આશરે અઢી મહિના સુધી લોકડાઉન લાગુ થયું હતું. આ કારણે સરકારનો ખજાનો ખાલી થઈ ગયો છે. ત્યાર બાદ સરકારની પાસે પેટ્રોલ અને ડીઝલ એકમાત્ર આવકનો સ્રોત હતો, જ્યાંથી સરકાર મોટી આવક પ્રાપ્ત કરી શકે છે. GST અને સીધા કરવેરાની વસૂલાતમાં કોરોના લોકડાઉનને પગલે ભારે ઘટાડો નોંધાયો છે. એપ્રિલમાં સેન્ટ્રલ GSTની વસૂલાત 6000 રૂપિયાની થઈ હતી, જ્યારે એક વર્ષ પહેલાં આ સમયગાળામાં CGST વસૂલાત 47.000 કરોડ થઈ હતી. એને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
ક્રૂડની કિંમતોમાં સતત ઘટાડો
જોકે કોરોના કાળમાં ક્રૂડની કિંમતોમાં સતત ઘટાડો થયો છે. ક્રૂડની કિંમતોમાં સતત ઘટાડા છતાં સરકારે ટેક્સીસ વધારીને પેટ્રોલ અને ડીઝલની કિંમતામાં વધારો કરી રહી છે. જોકે એનાથી પેટ્રોલિયમ કંપનીઓને નફો તો ના થયો, પરંતુ સરકારની આવકમાં ખાસ્સોએવો વધારો થયો.
પાછલાં પાંચ વર્ષમાં સરકારે પેટ્રોલિયમ પદાર્થો પર એક્સાઇઝ ડ્યુટી રૂપે 2.23 લાખ કરોડની આવક મેળવી છે. જોકે આ પહેલાં પેટ્રોલિયમ પદાર્થોની સરકારની આવક અડધી હતી.
આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુના અટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવા માટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજે થોડીધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુ વિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ.
આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.
આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.
આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.
આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.
આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.
આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.
આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.
આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.
મુંબઈઃ 1993ના મુંબઈ સિરિયલ બોમ્બધડાકા કેસના અપરાધી અને અંડરવર્લ્ડ ડોન ટાઇગર મેમણના ભાઈ યુસુફ મેમણનું આજે સવારે મહારાષ્ટ્રના નાશિકની જેલમાં મૃત્યુ થયું છે. એ નાશિક રોડ સેન્ટ્રલ જેલમાં 1993ના બોમ્બ બ્લાસ્ટ્સ કેસમાં સંડોવણી બદલ આજીવન સજા ભોગવી રહ્યો હતો. જેલમાં તેના મોતથી ભારે ઊહાપોહ મચી ગયો હતો. જોકે તેના મોતનું કારણ હજી સ્પષ્ટ નથી થયું. સવારે તે જ્યારે બ્રશ કરી રહ્યો હતો, ત્યારે અચાનક પડી ગયો હતો. તેને હાર્ટ એટેક આવ્યો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.નાશિક જેલના સુપરિન્ટેન્ડન્ટ પ્રમોદ વાઘે કહ્યું હતું કે યુસુફ મેમણને આજે સવારે હાર્ટ એટેક આવ્યો હતો. તેને તત્કાળ નાસિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ 11 વાગ્યે હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું.
મેમણ પરિવાર બોમ્બધડાકા કેસમાં સામેલ
1993ની 12 માર્ચે મુંબઈમાં કરવામાં આવેલા ભયાનક સિરિયલ બોમ્બ ધડાકાઓના કેસમાં દોષી જાહેર કરવામાં આવેલા લોકોમાં ચાર સભ્યો મેમણ પરિવારના હતા. એમાંના યાકુબ મેમણને નાગપુર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. તે પરિવારમાં સૌથી વધુ શિક્ષિત હતો. કેટલાંક વર્ષો પહેલાં યાકુબના ભાઈ સુલેમાન મેમણને પુરાવાના અભાવે જામીન મંજૂર કરાયા હતા.
ટાઇગર અને અયુબ મેમણ હજી પણ ફરાર
યાકુબનો સગો ભાઈ યુસુફ નાશિક જેલમાં આજીવન જેલની સજા કાપી રહ્યો હતો. ટાઇગર અને અયુબ મેમણ હજી પણ ફરાર છે. યાકુબની ભાભી રુબિના (સુલેમાનની પત્ની) પુણે જેલમાં બંધ છે. ત્યાં જ યાકુબની પત્ની પુરાવાના અભાવે જામીન મેળવી ચૂકી છે.
યાકુબની ફાંસી પર વિવાદ
યાકુબની ફાંસીને લઈને ઘણો વિવાદ થયો હતો. કોંગ્રેસ પાર્ટીએ યાકુબને ફાંસી આપવાનો વિરોધ કર્યો હતો. રાષ્ટ્રપતિથી દયા અરજી ફગાવ્યા પછી યાકુબના વકીલે કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી, જેમાં તેણે યાકુબની માનસિક હાલત યોગ્ય નહીં હોવાની વાત કરી હતી.
મુંબઈમાં 1993ની 12 માર્ચે શ્રેણીબદ્ધ બોમ્બધડાકાઓમાં 317 જણ માર્યા ગયા હતા અને 1,400થી વધારે લોકો ઘાયલ થયા હતા. વિશેષ કોર્ટે યુસુફ મેમણને આજીવન કેદની સજા ફટકારી હતી. એ બોમ્બ વિસ્ફોટોના કેસનો ભાગેડુ આરોપી ઇકબાલ મેમણનો ભાઈ હતો. આ મામલે મુખ્ય આરોપી દાઉદ ઇબ્રાહિમ, ઇકબાલ મેમણ, છોટા શકીલ સહિત અનેક આરોપીઓ હજી પણ ફરાર છે. આ બધા પાકિસ્તાનમાં છુપાયા છે.
નવી દિલ્હીઃ ભારત સરકાર આવતા મહિને અમુક રૂટ્સ પર નિર્ધારિત ઔદ્યોગિક ફ્લાઈટ્સ કદાચ શરૂ કરશે, પરંતુ સામાન્ય કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ્સ પર મૂકાયેલો સંપૂર્ણ પ્રતિબંધ એણે 15 જુલાઈની મધરાત સુધી લંબાવી દીધો છે. આ પ્રતિબંધ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉન અંતર્ગતનો છે.
ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા આજે એક ઓર્ડરમાં જણાવવામાં આવ્યું છે.
ઓર્ડરમાં જણાવાયું છે કે ઈન્ટરનેશનલ શેડ્યૂલ્ડ ફ્લાઈટ્સ કદાચ પસંદગીકૃત રૂટ્સ પર શરૂ કરવા દેવામાં આવશે, પરંતુ એ પ્રત્યેક કેસના મહત્ત્વ પર આધારિત હશે.
ભારતમાંથી અને ભારત આવનારી શેડ્યૂલ્ડ ઈન્ટરનેશનલ કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ્સને 15 જુલાઈની મધરાત સુધી સસ્પેન્ડ જ રાખવામાં આવી છે. આ નિયંત્રણ ઈન્ટરનેશનલ ઓલ-કાર્ગો ઓપરેશન્સ તેમજ ડીજીસીએ દ્વારા ખાસ મંજૂરી આપવામાં આવેલી ફ્લાઈટ્સને લાગુ નહીં પડે. તે છતાં ઈન્ટરનેશનલ શેડ્યૂલ ફ્લાઈટ્સને પ્રત્યેક કેસના મહત્ત્વના આધારે પસંદગીના રૂટ્સ પર કદાચ શરૂ કરવા દેવામાં આવે.
અમેરિકા, ફ્રાન્સ, જર્મની અને યુએઈ જેવા દેશોએ ભારતને વિનંતી કરી છે કે તે એની એરલાઈન્સને એમની વિમાન સેવા ફરી શરૂ કરવા દે. ભારત હાલ માત્ર એર ઈન્ડિયા મારફત વંદે ભારત મિશન હેઠળ માત્ર વિદેશોમાં અટવાયેલા ભારતીયો તથા ભારતમાં અટવાયેલા વિદેશીઓને ચાર્ટર્ડ ફ્લાઈટ્સ ઓપરેટ કરવા દે છે.
સ્થાનિક સ્તરે એક મહિનામાં 19 લાખ લોકોએ વિમાન પ્રવાસ કર્યો
દરમિયાન, ભારતની અંદર વિમાન સેવા ફરી શરૂ કરવા દેવામાં આવી એના પહેલા મહિનાની અંદર 19 લાખ જેટલા લોકોએ પ્રવાસ કર્યો છે. સ્થાનિક વિમાન સેવાને 25 માર્ચથી સસ્પેન્ડ કરવામાં આવી હતી, પણ 25 મેથી એને ફરી શરૂ કરવામાં આવી છે.
કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન પ્રધાન એચ.એસ. પુરીએ ટ્વીટમાં જણાવ્યું છે કે એક મહિનામાં ભારતમાં 21,300 ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવી છે જે દ્વારા 18 લાખ 90 હજાર લોકોએ પ્રવાસ કર્યો હતો. આનો મતલબ એ થાય કે પ્રત્યેક ડોમેસ્ટિક ફ્લાઈટમાં સરેરાશ 90 જણે પ્રવાસ કર્યો.
દેશમાં કોરોના વાઇરસના કેસ વધીને 4.90 લાખ થઈ ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે જ્યાં સુધી કોરોનાની રસી ન બને ત્યાં સુધી આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ અને ફેસ માસ્કનો ઉપયોગ કરતા જ રહેવું પડશે. સૌ જાણે છે કે દેશમાં કોરોનાના કેસોના વધારા સાથે માસ્કની માગ પણ વધી છે. અનેક લોકો માસ્ક બનાવવાના કામમાં લાગેલા છે. આમાં બાળકો, વડીલો અને યુવાઓ પણ સામેલ છે. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓએ પણ માસ્ક સીવવાનાં કામ કર્યાં છે. કર્ણાટકના ઉડુપીમાં રહેતી એક 10-વર્ષની દિવ્યાંગ બાળકી માત્ર એક હાથ હોવા છતાં માસ્ક સીવી રહી છે. એણે સીવેલાં માસ્ક વિદ્યાર્થીઓમાં વહેંચવામાં આવ્યા છે. સોશિયલ મિડિયા પર બાળકીની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
સિંધુરીએ 15 માસ્ક સીવ્યાં
કર્ણાટકના ઉડૂપીની 10 વર્ષીય દિવ્યાંગ બાળકીનું નામ છે, સિંધુરી. એને જન્મથી જ ડાબો હાથ નથી. એક હાથથી એણે 15 માસ્કની સિલાઈ કરી છે. સિંધુરીના આ માસ્ક SSLCના વિદ્યાર્થીઓને વિતરિત કરવામાં આવ્યા છે. સિંધુરીએ સીવેલાં માસ્ક પહેરીને વિદ્યાર્થીઓએ ગયા ગુરુવારે સવારે પરીક્ષા પણ આપી હતી. સિંધુરીની સોશિયલ મિડિયા પર ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. સિંધુરીને જન્મથી ડાબા હાથમાં કોણી નીચેનો ભાગ નથી.
સિંધુરી છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે
સિંધુરી સંતકેત-કલ્લિનપુરની માઉન્ટ રોઝરી ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. તેણે લોકો માટે એક લાખ માસ્ક સીવવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે.
સિંધુરીએ કહ્યું, SSLC વિદ્યાર્થીઓમાં એક લાખ માસ્ક વિતરિત કરવા માટે સ્કાઉટ અને ગાઇડ વિંગનું લક્ષ્ય છે. મેં અત્યાર સુધીમાં 15 માસ્ક બનાવ્યા છે. મને પ્રારંભમાં એક હાથથી સિલાઈ કરવામાં તકલીફ પડતી હતી, પરંતુ મારી માતાએ માસ્ક સીવવા માટે મને પ્રોત્સાહિત કરી અને મને સાથ આપ્યો. હવે બધા મારી પ્રશંસા કરી રહ્યા છે.
સોશિયલ મિડિયા પર વાઇરલ
સિલાઈ મશીન પર ફેસ માસ્ક સિવતી સિંધુરીનાં ફોટા સોશિયલ મિડિયા પર વાઇરલ થયા છે. નેટિઝન્સે માસ્ક બનાવતી આ બાળકીના પ્રયાસોની પ્રશંસા કરી છે અને તેને આશીર્વાદ આપ્યા છે.
ટ્વિટર પર એક યુઝર્સે કહ્યું છે કે તારા પગલાં જ્યાં પડે…બસ તને ખુશીઓ મળે. તો એક અન્ય યુઝરે લખ્યું છે કે આવું અદભુત કામ, ભગવાન તને આશીર્વાદ આપે.
મુંબઈઃ ભગવતી યાદવ બે-પાંચ નહીં, પણ ચાર દાયકાથી પણ વધારે સમયથી દક્ષિણ મુંબઈના નેપિયન્સી રોડ વિસ્તારમાં રસ્તા પર ઊભીને લોકોને નિયમિત સ્વાદિષ્ટ પાણીપૂરી ખવડાવતા હતા. કમનસીબે કોરોના વાઈરસ રોગચાળાએ એમનો ભોગ લીધો છે.
વૈભવશાળી ગણાતા નેપિયન્સી રોડ વિસ્તારમાં ભગવતી યાદવ જાણીતું નામ હતા. તેઓ પાણીપૂરી બનાવવામાં સ્વચ્છતાનું ખૂબ ધ્યાન રાખતા. કાયમ પેકેજ્ડ વોટરનો જ ઉપયોગ કરતા હતા. એટલે જ તેઓ રહેવાસીઓમાં તથા અન્ય લોકોમાં લોકપ્રિય બન્યા હતા.
તાજેતરમાં કોરોના બીમારીને કારણે એમનું મૃત્યુ થતાં એમના નિયમિત ગ્રાહકો તથા એમને જાણતા લોકોમાં શોક ફરી વળ્યો છે. એમના નિયમિત ગ્રાહકોએ યાદવના પરિવારજનોની આર્થિક મદદ માટે એક ભંડોળ એકઠું કરવાની ઝુંબેશ આદરી છે.
કોરોના સંકટમાં પરિવારજનોની દેખભાળ કરીને ગ્રાહકો એમના માનીતા પાણીપૂરીવાળાને શ્રદ્ધાંજલિ આપવા માગે છે.
એક ડિજિટલ એજન્સીના ટેક્નોલોજી વિભાગના વડા ગિરીશ અગ્રવાલ યાદવ પાણીપૂરીવાળાના નિયમિત ગ્રાહકોમાંના એક હતા. એમણે કહ્યું, યાદવજી છેલ્લા 46 વર્ષોથી એમનો આ ધંધો કરતા હતા. હું જન્મ્યો ત્યારથી એમને જોતો હતો. ઉનાળાનો તાપ હોય કે વરસતો વરસાદ હોય, યાદવજી કાયમ નેપિયન્સ રોડ પર સાંજે પાંચથી રાતે 9 વાગ્યા સુધી પાણીપૂરી વેચવા ઊભા રહે. એમની પાણીપૂરીના સ્વાદમાં ક્યારેય કોઈ ફેરફાર આવ્યો નહોતો.
યાદવ આ વિસ્તારમાં બિસલેરી પાણીપૂરીવાળા તરીકે ફેમસ હતા, કારણ કે એ પાણીપૂરીનું પાણી બનાવવામાં માત્ર બિસલેરી બ્રાન્ડનું પાણી જ વાપરતા હતા.
યાદવ વાલકેશ્વર વિસ્તારમાં આવેલા એમના ઘેરથી રોજ ચાલીને નેપિયન્સી રોડ ખાતે ધંધા માટે જતા. પણ કોરોનાને કારણે 20 માર્ચથી લોકડાઉન શરૂ થતાં જ યાદવનો પાણીપૂરીનો ધંધો બંધ થઈ ગયો હતો. એ પોતે પણ આ બીમારીમાં સપડાઈ ગયા હતા અને 23 મેએ એમનું મૃત્યુ નિપજ્યું હતું.
ગિરીશ અગ્રવાલને વિચાર આવ્યો હતો કે યાદવના પરિવાર માટે ભંડોળ એકઠું કરીને એને મદદરૂપ થવું જોઈએ અને તેમણે એ વિશે એમના મિત્રોને વાત કરી હતી. ઘણા લોકો તૈયાર થયા અને એમણે એક ઓનલાઈન ક્રાઉડ સોર્સિંગ પ્લેટફોર્મ ઉપર એક ફંડ રેઈઝર લિન્ક તૈયાર કરી અને ત્યારબાદ એને વોટ્સએપ પર પોતાના કોન્ટેક્ટ્સને શેર કરી.
નેપિયન્સી રોડ
અત્યાર સુધીમાં 125 દાતાઓ તરફથી દાનની રકમ મળી છે અને કુલ રકમ અઢી લાખ જેટલી થઈ છે. એમનો ટાર્ગેટ પાંચ લાખ રૂપિયાનો છે, જે રકમ તેઓ યાદવના પરિવારને આપશે.
મહાનગરની સુપર ફાસ્ટ લાઈફસ્ટાઈલ છતાં અહીંના લોકોમાં માનવતા અકબંધ છે. માનવીના મહત્ત્વને માનવીઓ ભૂલ્યા નથી.
દાતાઓ માત્ર નેપિયન્સી રોડના જ રહેવાસીઓ છે એવું નથી, પરંતુ મુંબઈના અન્ય ભાગોના પણ છે. અમુક તો વિદેશમાં રહેનારાઓ પણ છે.
ભગવતી યાદવની પુત્રી કુસુમે કહ્યું કે મારાં પિતાનાં ગ્રાહકો તરફથી અમને આવો ટેકો મળ્યો એ બદલ અમે એમનાં ખૂબ જ ઋણી છીએ.
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના સંભવિત ઉમેદવાર અને ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું છે કે તેઓ ઇચ્છે છે કે ભારત કશ્મીરીઓને મૂળભૂત અધિકારો આપવા માટે આવશ્યક પગલાં લે. અત્યાર સુધી જેમને ભારતના મિત્ર માનવામાં આવતા હતા તે બિડેનના આ નિવેદનોને કારણે અમેરિકામાં વસતા ભારતીયો તથા ભારતવાસીઓને આંચકો લાગ્યો છે. બિડેને આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC) લાગુ કરવાની અને સિટિઝનશિપ એમેડમેન્ટ એક્ટ (CAA)ને લઈને નિરાશા વ્યક્ત કરી હતી. તેમના પ્રચાર અભિયાનની વેબસાઇટ પર હાલમાં પોસ્ટ કરવામાં આવેલા જો બિડેનના મુસ્લિમ અમેરિકી સમુદાય માટેના એજન્ડા એટલે કે નીતિ પત્રના અનુસાર દેશમાં બહુજાતિય તથા ધાર્મિક લોકતંત્ર જાળવી રાખવા અને ધર્મનિરપેક્ષતાની જૂની પરંપરાને જોતાં આ પગલું વિસંગત છે.
હિન્દુ-અમેરિકનોમાં ગુસ્સો
યુએસ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં બિડેને હાલના રાષ્ટ્રપતિ અને રીપબ્લિકન પાર્ટીના નેતા ડોનાલ્ડ ટ્રમ્પની સામે ઝૂકાવ્યું છે. આ ટિપ્પણીઓ પછી હિન્દુ-અમેરિકનોના એક જૂથે ભારતની વિરુદ્ધમાં ભાષા વાપરવા બદલ નારાજગી દર્શાવી છે અને બિડેનના પ્રચાર અભિયાન સંચાલકોનો સંપર્ક કરી આ નિવેદનો વિશે પુનર્વિચાર કરવાની વિનંતી કરી છે. આ જૂથે હિન્દુ-અમેરિકનો પર પણ આ પ્રકારનો નીતિ પત્ર લાવવાની માગ કરી છે. બિડેનના અભિયાને આ સંદર્ભે આ સવાલોનો જવાબ આપ્યો નથી. બિડેનના નીતિ પત્રમાં કહેવામાં આવ્યું છે કે તેઓ મુસ્લિમ બહુમતી દેશો અને સારી એવી મુસ્લિમ વસતિવાળા દેશોમાં જે થઈ રહ્યું છે, એને લઈને અમેરિકી મુસ્લિમોનું દુઃખ સમજે છે.
ચીનના ઉઇગર મુસલમાનોનો પણ ઉલ્લેખ
આ નીતિ પત્રમાં ભારતમાં કાશ્મીર અને આસામમાં લઈને અને પશ્ચિમી ચીનમાં લાખ્ખો મુસ્લિમ ઉઇગરોને જબરદસ્તીથી તાબામાં રાખવાના તથા મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમ અલ્પસંખ્યકોની સામે થઈ રહેલા અત્યાચારોનો એકસાથે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ નીતિ પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકારે કશ્મીરના બધા લોકોના અધિકારો આપવા આવશ્યક પગલાં લેવાં જોઈએ. શાંતિપૂર્ણ પ્રદર્શનો રોકવા અથવા ઇન્ટનેટ બંધ કરવું એ લોકતંત્રને નબળું કરે છે. જો બિડેનને આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC) લાગુ કરવાનું અને ત્યાર બાદ ત્યાં જે કંઈ થયું એને લઈને સંશોધિત સિટિઝનશિપ એમેડમેન્ટ એક્ટ (CAA)ને લઈને ભારત સરકાર દ્વારા લેવાયેલાં પગલાંથી નિરાશા થઈ છે, એમ નીતિ પત્રમાં કહેવામાં આવ્યું છે.
બિડેન ભારતના મિત્ર રહ્યા છે
આ નીતિ પત્રમાં કહેવામાં આવ્યું છે કે દાયકાઓથી અમેરિકાના સંસદસભ્યો અને આઠ વર્ષ સુધી બરાક ઓબામાના કાર્યકાળમાં ઉપરાષ્ટ્રપતિ પદે પહોંચનારા બિડેનને ભારત અને ભારતીય-અમેરિકનોના સારા મિત્રોમાંના એક માનવામાં આવતા હતા. આ નીતિ પત્રમાં કહેવામાં આવ્યું છે કે તેમણે ભારત-અમેરિકા અસૈન્ય પરમાણુ સમજૂતી કરવાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને ઉપ રાષ્ટ્રપતિ તરીકે તેમણે પ્રતિ વર્ષ 500 અબજ ડોલર સુધી દ્વિપક્ષી વેપાર વધારવાના પ્રયાસો કર્યા હતા.