Home Blog Page 4799

મુંબઈઃ કોરોનાનો એક દર્દી હોય તો આખી સોસાયટી સીલ નહીં કરાય

મુંબઈઃ કોરોના વાઈરસને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનનો હાલ ચોથો રાઉન્ડ ચાલુ છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે કેટલીક માર્ગદર્શિકા ફેરફાર સાથે રિલીઝ કરી છે.

નવી માર્ગદર્શિકા અનુસાર, જે કોઈ રહેણાંક સોસાયટી કે મકાનમાં માત્ર એક જ જણને કોરોના વાઈરસ બીમારી લાગુ પડી હશે તો એને કારણે આખું મકાન કે સોસાયટીને સીલ કરવામાં નહીં આવે, પરંતુ માત્ર રહેવાસી રહેતો હોય એ માળને જ સીલ કરવામાં આવશે.

અત્યાર સુધી કોઈ હાઉસિંગ સોસાયટી પરિસરમાં એકાદ કોરોના વાઈરસ (કોવિડ-19) દર્દી હોવાનું માલૂમ પડતું તો મહાનગરપાલિકા તંત્ર એ ઈમારતને કન્ટેનમેન્ટ ઝોન ઘોષિત કરી દઈને એને સીલ કરી દેતું હતું. ત્યારબાદ એ મકાન કે સંકુલમાં રહેનાર કોઈ પણ વ્યક્તિને પરિસરની બહાર જવા દેવામાં આવતી નહોતી કે બહારથી કોઈ પણ વ્યક્તિને અંદર જવા દેવામાં આવતી નહોતી. સોસાયટી કે મકાનનો ગેટ સીલ કરી દેવામાં આવતો હતો.

હવે લોકડાઉનના નવા રાઉન્ડમાં, આ વિશેના નિયમોને હળવા બનાવવામાં આવ્યા છે અને માત્ર દર્દી રહેતો હોય એ માળ (ફ્લોર)ને જ સીલ કરવામાં આવે છે. આખી વિન્ગ કે સોસાયટી કે મકાનને નહીં.

કન્ટેનમેન્ટ ઝોનમાં લાગુ કરાયેલા નિયમોનો ભંગ કરનારને એપેડેમિક એક્ટ અંતર્ગત કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, સંબંધિત હાઉસિંગ સોસાયટીની કમિટી સામે પણ આઈપીસીની કલમ 188 અંતર્ગત કેસ નોંધવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ માનવ જીવન, સ્વાસ્થ્ય કે સુરક્ષા માટે જોખમ ઊભું કરે તો આ કલમનું ઉલ્લંઘન કરવાના ગુનાસર એને એક મહિનાની જેલ કે 200 રૂપિયા સુધીનો દંડ કરવાની જોગવાઈ છે.

પોઝિટીવ કોરોના લક્ષણવાળા દર્દીને ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ (ડીસીએચ)માં શિફ્ટ કરવામાં આવે છે. એવા દર્દીને પથારીની ઉપલબ્ધતા અનુસાર અને એની આર્થિક શક્તિ અનુસાર ખાનગી કે સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવે છે. પોઝિટીવ પરંતુ કોરોનાના લક્ષણ ન હોય એવા દર્દીને ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર, હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવે છે, પરંતુ એના ઘરમાં એ માટેની સુવિધાઓ પર્યાપ્ત હોવી જોઈએ અને એ વિશે દર્દીએ લેખિતમાં બાંહેધરી આપવાની રહે છે.

રહેણાંક મકાનો અને સોસાટટીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ સ્થાનિક શાકભાજી-ફળ વેચતા ફેરિયાઓ કે દુકાનદારો સાથે, મેડિકલ સ્ટોર્સ સાથે અને ઓનલાઈન વેપારીઓ સાથે સહયોગ કરે જેથી તેઓ ચીજવસ્તુઓની ડિલીવરી સોસાયટીના મકાનના પ્રવેશદ્વાર ખાતે કરે.

કોરોનાવાઈરસ રોગચાળાના સંદર્ભમાં સત્તાવાળાઓએ તમામ નાગરિકોને સૂચના આપી છે કે એમણે જાહેર સ્થળોએ ફેસ માસ્ક પહેરવો અને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનું કડક રીતે પાલન કરવું.

સૂચના અનુસાર, કોઈ પણ ઘરનોકર, ફેરિયા કે સર્વિસ પ્રોવાઈડર વ્યક્તિને મકાનની અંદર પ્રવેશવાની પરવાનગી નથી.

દર્દીના ઘર તથા એની સાથેના કોમન એરિયામાં જંતુનાશક દવા છાંટીને એ ભાગ સ્વચ્છ કરતા રહેવાનો પણ સત્તાવાળાઓએ આદેશ આપ્યો છે. દર્દીના ઘરવાળો માળ સીલ કરી દેવાય એ પછી મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) સીલ કરાયેલા ભાગ વિશેનો દસ્તાવેજ હાઉસિંગ સોસાયટીના હોદ્દેદારોને સુપરત કરશે.

સોસાયટીઓને જણાવવામાં આવ્યું છે કે હોમ-ક્વોરન્ટાઈન કરવામાં આવેલા કોરોના લક્ષણ-વિહોણા દર્દીઓને આવશ્યક ચીજવસ્તુઓની એમના ઘેર ડિલીવરી કરવામાં આવે.

તમામ સોસાયટીઓને જણાવવામાં આવ્યું છે કે કોરોના દર્દીઓ કે ક્વોરન્ટાઈન કરાયેલા નાગરિકો સાથે કોઈ પ્રકારનો ભેદભાવ રાખવો નહીં અને કોઈ પ્રકારનો ગભરાટ ફેલાવ્યા વગર એમને સપોર્ટ આપવો તથા મનોવૈજ્ઞાનિક બાંહેધરી આપવી.

લોકડાઉન 4.0: પાન-મસાલાના બંધાણીઓ બજારમાં ઉમટી પડ્યા

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાથી નહીંવત અસરગ્રસ્ત એવા વિસ્તારોમાં પાન, ગુટકા, તમાકુ, બીડી-સિગારેટનું વેચાણ કરતા પાન પાર્લરો આજે વહેલી સવારથી જ ખુલી ગયા હતા. પાન પાર્લરો ખુલતાંની સાથે જ તમાકુ, બીડી, સિગારેટના બંધાણીઓની ભીડ જામવા માંડી હતી.

કેટલા સ્થળોએ તો દીવાબત્તી બંધ કરાય અને સાફસફાઈ થાય એ પહેલાં જ વ્યસનની લોકોએ દુકાનોની બહાર અડીંગો જમાવી દીધો હતો.

સરકારે પાન પાર્લર ખોલવાની પરવાનગી તો આપી પણ 54 દિવસ કરતાં વધારે બંધ દુકાનોમાં માલનો સદંતર અભાવ છે. પાન સોપારી તમાકુ ધુમ્રપાનના ઘણાં રસિયાઓ દુકાનો તો ખૂલી પણ માલ સામાનના અભાવે નિઃસાસો નાખી પાછા ફર્યા હતા. અમદાવાદના પશ્ચિમ વિસ્તારના પાન પાર્લરના માલિકોએ સ્વચ્છતા અને સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે ધંધાની શરૂઆત કરી દીધી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

કોરોના +ve ન હોવા છતાં ટ્રમ્પ હાઈડ્રોક્સિક્લોક્વીન દવા લે છે

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એજન્સીની ચેતવણી છતાં હાઇડ્રોક્સિક્લોરોકક્વીન દવા લઈ રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિએ ગઈ કાલે કહ્યું હતું કે તેઓ હાઇડ્રોક્સિક્લોરોક્વીન લઈ રહ્યા છે. તેમણે આ દવાને કોરોના વાઇરસની સંભવિત સારવારમાં અકસીર બતાવી હતી.

ટ્રમ્પ એક સપ્તાહથી આ દવા લે છે

આ અહેવાલ મુજબ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે વાઇટ હાઉસમાં ડોક્ટરે આ દવા લેવા માટે સલાહ આપી હતી. જોકે આ દવા તેમના માટે ઉચિત નથી, કેમ કે તેઓ કોવિડ-19 પોઝિટિવ નથી. તેમણે કહ્યું હતું કે ડોક્ટરે મને આ દવા લેવા માટે સલાહ આપતાં કહ્યું હતું કે તમારે આ દવા લેવી હોય તો લો. હું આશરે એક સપ્તાહથી ઝિંકની સાથે હાઇડ્રોક્સિક્લોરોક્વીન લઈ રહ્યો છું.

FDAની આ દવા હોસ્પિટલ બહારના ઉપયોગ સામે ચેતવણી

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને (FDAએ) હાઇડ્રોક્સિક્લોક્વીન દવાને હોસ્પિટલ બહાર એના ઉપયોગ સામે ચેતવણી ઉચ્ચારી હતી. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ આ દવા માત્ર હોસ્પિટલોના ઉપયોગ માટે મંજૂરી આપી છે.

પાછલા મહિને ભારતે અમેરિકામાં કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે લાખ્ખો હાઇડ્રોક્સીક્લોરોક્વીન ગોળીઓની નિકાસને મંજૂરી આપી હતી. અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 15 લાખથી પણ વધુ છે અને મોતનો આંકડો 90,694 પહોંચ્યો છે.

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક લાખને પાર, 3163નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં લોકડાઉન છતાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને એક લાખને પાર પહોંચી છે. મંત્રાલયના આંકડા મુજબ અત્યાર સુધી દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,01,139 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં આ વાઇરસથી 3163 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 4970 નવા કેસ મળી આવ્યા છે અને 134 લોકોનાં મોત થયાં છે. જોકે આ બીમારીમાંથી 39,174 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રિકવરી રેટ સુધરીને 38.73 ટકા થયો છે.

મહારાષ્ટ્રમાં કોરોના કેસ 35,000ને પાર

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધીને 35,000ને પાર થયા છે. છેલ્લા 24 કલાકમાં 2033 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી 1249 લોકોનાં મોત થયાં છે. મુંબઈમાં પણ કેસમાં સતત વધારો થતાં પાંચ ઝોનમાં CISF અને CRPFની કંપનીઓ તહેનાત કરવામાં આવશે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

 

પંચાંગ 19/05/2020

રાશિ ભવિષ્ય 19/05/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવુ હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતુ નથી તેવી મનમા ફરીયાદ રહે, વેપારના કામકાજમા જોખમ ટાળવુ, વડીલવર્ગ આજે કોઈને વણમાગી સલાહ ના આપે તે વધુ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનુ આયોજન થાય, તેમજ જુનામતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાકે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમા લાભ થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારીરીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનુ આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારાપરિણામની આશા જોવા મળે, યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામા તક ઝડપવામા થોડી તકલીફ પડી શકે તેવુ બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમા રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યુ હોય તેવુ મનમા ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે અને તેમા પણ કામમા વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમા ક્યાંક અશાંતિ રહે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમા ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદ ના થાય તેનુ ધ્યાન રાખવુ, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.


આજનો દિવસ સારો છે અને તેમા ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમા તેમને સારીખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, ક્યાંક નવીન ઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવુ, વેપારના કામકાજમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખ ના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.


આજનો દિવસ યાદગાર બની શકે છે તેમા પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સાંભળવા મળી શકે છે, વેપારીવર્ગને કામકાજમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.


આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવુ, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાઇ ના જવાય તેનુ ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, વડીલવર્ગે આજે કોઈને વણમાગી સલાહ ન આપવી.


આજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનુ કામ થઇ શકે જેમા તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમા લાભની તક છે.


આજનો દિવસ સામાન્ય છે તમે કામમા વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમા જલ્દીથી ઉકેલ ન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો, યુવાવર્ગ માટે પોતાના વર્તનમા શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લાગણી ના દુભાય, વેપારમા પોતાના અનુભવ મુજબ નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ સારુ રહે.


આજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમા થોડા દ્વિધામા રહો તમારે થોડો  કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવુ જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય  માર્કેટિંગમા સમયનો વ્યય વધુ થાય, વેપારના કામકાજમા ધીરજ રાખવી.

રોજગારી અને પરવાનગી માટે રઝળતા ફેરિયાઓનો રોષ

અમદાવાદ: શાકભાજી, ફળફળાદીનું વેચાણ કરતાં ફેરિયાઓ ને મહાનગરપાલિકા દ્વારા હેલ્થ કાર્ડ આપવામાં આવે છે. પરંતુ પરંપરાગત શાકભાજી નો ધંધો કરતાં અસંખ્ય ફેરિયા વેપારીઓ પરવાનગી કાર્ડ થી વંચિત રહી જતાં એ.એમ.સી કેમ્પસ માં ભારે હોબાળો મચાવ્યો હતો.

કોરોનાનો ચેપ ફેલાવવામાં અમદાવાદ શહેર માં સુપર સ્પ્રેડર તરીકે શાકભાજી વાળા ફેરિયાઓ નું નામ સામે આવ્યું. શહેરના ઘણાં વિસ્તારોના ફેરિયાઓ કોરોના વાયરસ નો શિકાર પણ બન્યા. ત્યારબાદ ડોલમાં શાકભાજી લેવી ખરીદી કર્યા બાદ સેનિટાઇઝેશન તેમજ ધોવાની સાવચેતી રાખવાની શરૂઆત થઇ ગઇ. તંત્ર એ થોડા દિવસ શાકભાજી ફળફળાદી વેચાણ કરતાં ફેરિયાઓ પર નિયંત્રણ રાખ્યું.

બીજી તરફ લોકો સુધી ફેરિયાઓ દ્વારા જીવન જરૂરી ચીજ વસ્તુઓ પહોચાડવા હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવાની શરૂઆત થઇ ગઇ. પરંતુ આ શાકભાજી નો પરંપરાગત ધંધો કરતાં હજારો ની સંખ્યા માં ફેરિયાઓ પરવાનગી થી વંચિત રહી ગયાં. જેમની પાસે સિસ્ટમ ને સમજવાની આવડત અને ચોક્કસ જરૂરી કાગળો ના આધાર હતો એમને વેપાર કરવાની પરવાનગી મળી ગઇ.

વર્ષોથી, પરંપરાગત ધંધો કરતાં હજારો ફેરિયાઓ પરવાનગી થી વંચિત રહી ગયાં છે. જેમણે સોમવાર ની સવારથી જ પેટિયું રળવાની પરવાનગી માટે મોરચો માંડયો હતો. તંત્ર ની અસમંજસ પરિસ્થિતિ, અણઘડ વહિવટી પ્રક્રિયા ને કારણે જેને ખરેખર જરૂર છે એવા લોકો પરવાનગી અને રોજગારી વગર રઝળી રહ્યા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)

લોકડાઉન 4: ગુજરાતમાં અનેક છૂટછાટો અપાતાં રાહત

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા લોકાડાઉન-4ની ગાઈડલાઈન નક્કી કરવામાં આવ્યા બાદ આજે મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાત માટે લોકડાઉનમાં વિવિધ પ્રકારની છૂટછાટો અંગે જાહેરાત કરી છે. જેમાં કન્ટેઇન્મેન્ટ ઝોનને બાદ કરતા સમગ્ર રાજ્યમાં ઘણી છૂટછાટો આપવામાં આવી છે. જેમાં ઓટો રીક્ષા, બસ સેવા, ઓફિસો, અન્ય દુકાનો, પાનના ગલ્લા સહિતની છૂટછાટની જાહેરાતો કરવામાં આવી છે. અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં દુકાનો, ઓફિસો ખુલી શકાશે, પરંતુ પૂર્વ વિસ્તારમાં પ્રથમ તબક્કામાં છૂટછાટ આપવામાં આવી નથી. જોકે ટેક્સી સેવા શરૂ કરી શકાશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું છે.

  • કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક વસ્તુઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. લોકડાઉનમાં જે પ્રકારે વ્યવસ્થા હતી તે યથાવત રહેશે.
  • સમગ્ર ગુજરાતમાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં સવારે 8થી 12 વાગ્યા સુધી જરૂરી વસ્તુઓના વેચાણની છૂટ રહેશે.
  • કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના ઝોનમાં સવારે 8થી રાત્રે 7 વાગ્યા સુધી તમામ દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવશે
  • સાંજના 7થી સવારના રાત્રે 7 વાગ્યા સુધી કડક કર્ફ્યુનો અમલ કરવામાં આવશે
  • નોન કેન્ટેઇન્મેન્ટમાં પાન-ગલ્લા, દુકાનો ખોલી શકાશે
  • નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં હેર સલૂન ખોલી શકાશે
  • સમગ્ર રાજયમાં રેસ્ટોરાં માત્ર કેન્ટેઇન્મેન્ટ ઝોનમાં હોમ ડિલીવરીના હેતુથી ચાલુ રહેશે
  • 33 ટકા કર્મચારીઓ સાથે ખાનગી ઓફિસો શરૂ કરી શકાશે
  • સવારના 8થી બપોરના ત્રણ વાગ્યા સુધી આવશ્યક વસ્તુઓના વેચાણની છૂટ
  • અમદાવાદ અને સુરત સિવાય સમગ્ર રાજ્યમાં ઓટો રીક્ષાને મંજૂરી એક રીક્ષામાં વધુમાં વધુ બે મુસાફર બેસાડી શકાશે.
  • અમૂલ પાર્લર પર મળશે એન95 માસ્ક
  • લગ્નમાં 50 લોકોને જવાની મંજૂરી અને મરણમાં 20 લોકોની હાજરીને મંજુરી
  • હીરાના કારખાના, લુમ્સના કારખાના 50 ટકાના સ્ટાફ સાથે શરૂ કરી શકાશે
  • સમગ્ર ગુજરાતમાં એસટી બસો શરૂ કરવામાં આવશે, પરંતુ અમદાવાદમાં બસોને પ્રવેશવા દેવામાં આવશે નહીં.
  • દુકાનો પર ટોળા થવા જોઈએ નહીં તે જોવાનું રહેશે
  • બ્યૂટી પાર્લર, સલૂન ખુલ્લા રહેશે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે
  • સમગ્ર રાજ્યમાં 60 ટકા કેપેસિટી સાથે પબ્લિક લાયબ્રેરી શરૂ કરવાની છૂટ
  • કેબ, ટેક્સી વગેરે કન્ટેઈનમેન્ટ ઝોનની બહાર મંજૂરી, કન્ટેઈનમેન્ટ ઝોનમાં નહીં, કેબ કે ટેક્સીમાં ડ્રાઈવર ઉપરાંત બે વ્યક્તિને છૂટ
  • અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં ખાનગી ઓફિસોને બંધ રાખવામાં આવશે
  • તમામ ગેરેજ, વર્કશોપ, સર્વિસ કાર્યરત કરી શકાશે
  • ટુવ્હીલરમાં એક જ વ્યક્તિ જઈ શકશે, ફોર વ્હીલરમાં ડ્રાઈવર ઉપરાંત બે જ વ્યક્તિને મંજૂરી
  • માલવાહક વાહનોને મંજૂરી
  • ગુજરાતમાં જાહેરમાં થૂંકનાર વ્યક્તિને 200 રૂપિયાને દંડ, જાહેરમાં માસ્ક ન પહેરનારાઓને પણ 200 રૂપિયાનો દંડ
  • બન્ને ઝોનમાં બંધ શાળા-કોલેજો, જીમ, સ્વિમિંગ પૂલ, બાગ બગીચા, મોલ, સિનેમાગૃહો, ધાર્મિક કાર્યક્રમો બંધ રહેશે, સિટી બસ સેવા, ખાનગી સેવાઓ પણ બંધ રહેશે.

ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં કોવિડ-19 હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી…

જીવલેણ એવા કોરોના વાઈરસ ચેપી રોગચાળાનો ફેલાવો રોકવા માટે મહારાષ્ટ્ર સરકાર અનેક પગલાં લઈ રહી છે. તેણે આ રોગના દર્દીઓની સારવાર કરવા માટે મુંબઈના બાન્દ્રા ઉપનગરસ્થિત બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ (બીકેસી) સંકુલ વિસ્તારમાં એક વિશાળ કામચલાઉ હોસ્પિટલ (હેલ્થ સેન્ટર) પણ બનાવી છે. નગરવિકાસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા 1000-પલંગવાળા વિશેષ કોવિડ-19 હેલ્થ સેન્ટરની મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ 18 મે, સોમવારે મુલાકાત લઈને ત્યાંની વ્યવસ્થા, સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. આ હોસ્પિટલનો કારભાર MMRDA સંસ્થાના કમિશનર આર. રાજીવે મુંબઈના મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલને સુપરત કર્યો હતો.

આ હેલ્થ સેન્ટર વિક્રમસર્જક સમયમાં યુદ્ધના ધોરણે તૈયાર કરવામાં આવ્યું છે. એમાં 250થી વધારે ઓક્સિજન સપ્લાય સુવિધા સાથેના પલંગ છે, 250 હાઈ-ડીપેન્ડેન્સ બેડ પણ છે.

કોરોના દર્દીઓના પરીક્ષણની વ્યૂહરચનામાં મહત્ત્વના ફેરફાર કરાયા

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. સોમવાર સુધી દેશમાં કોવિડ-19ના 96,169 કેસો સામે આવી ચૂક્યા છે. આની સાથે 3,029 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. દેશમાં કોરોનાથી લડવા માટે કોવિડ-19 ટેસ્ટિંગને પ્રોત્સાહન આપવામાં આવી રહી છે. આ દરમ્યાન ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા કોવિડ-19 ટેસ્ટિંગને લઈને વ્યૂહરચનામાં બદલાવ કર્યો છે.

આ લોકોની તપાસ થશે

  1. ICMRના જણાવ્યા મુજબ હવે એ લોકોની તપાસ થશે, જેમણે 14 દિવસમાં કોઈ આંતરરાષ્ટ્રીય યાત્રા કરી હશે અને તેમનામાં કોવિડ-19 જેવાં લક્ષણો હશે.
  2. આ ઉપરાંત લેબોરેટરીમાં દર્દીના કોવિડ-19ના કેસની પુષ્ટિ થવા પર તેમના સંપર્કમાં આવેલા લોકોની તપાસ થશે.
  3. કોવિડ-19ના કન્ટેનમેન્ટ ઝોનમાં કામ કરતા બધા સ્વાસ્થ્ય કર્મચારીઓ અતવા અન્ય કર્મચારીઓની તપાસ (જેનામાં તાવ-ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવા કોવિડ-19નાં લક્ષણ હશે).
  4. જે લોકોને એક્યુરેટ રેસ્પિરેટરી ઇન્ફેક્શનની સાથે તાવ, ખાંસીનાં લક્ષણ મળશે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની આવશ્યકતા રહેશે.
  5. કોવિડ-19 પોઝિટિવના સંપર્કમાં આવેલા હાઈ રિસ્કના લક્ષણો વગરના લોકોની તપાસ, તેમની તપાસ કોવિડ-19 પોઝિટિવના સંપર્કમાં આવેલી વ્યક્તિની પાંચમા અને 10મા દિવસની વચ્ચે થશે.
  6. કન્ટેનમેન્ટ અનમે હોટસ્પોટ ઝોનમાં રહેતા બધા લોકોની તપાસ- જેમાં કોવિડ-19નાં લક્ષણો જેવાં કે તાવ,ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હશે.
  7. હોસ્પિટલમાં દાખલ એ બધા દર્દીઓની તપાસ થશે, જેમાં તાવ-ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ફરિયાદ હશે.
  8. પ્રવાસી અથવા અન્ય જગ્યાએથી આવતી વ્યક્તિની તપાસ, તબિયત ખરાબ થવા પર સાત દિવસની અંદર થશે. તાવ-ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થવાવાળા લોકોની તપાસ થશે.
  9. ટેસ્ટિંગમાં ઘટાડાને કારણે ઇમર્જન્સી પ્રક્રિયામાં મોડું નહીં કરવામાં આવે, પણ કોઈ પણ પ્રકારના કોવિડ-19નાં લક્ષણ જોવી મળશે તો સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવશે.
  10. ઉપર આપવામાં આવેલી તમામ શ્રેણીઓમાં કોવિડ-19ના ટેસ્ટિંગનો રિયલ ટાઇમ RT-PCR દ્વારા થશે.