દેવેન્દ્ર ફડણવીસને કેન્દ્રીય નાણાં પ્રધાન બનાવાય એવી અટકળો
મુંબઈ – મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકારમાં સ્થાન પામે એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે. એમને નાણાં ખાતું આપવામાં આવે એવી અટકળો છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ગઈ વેળાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે બેઠક મેળવી શકી હતી તે છતાં એને સત્તાથી દૂર રહેવાનો વારો આવ્યો તે છતાં પક્ષની કેન્દ્રીય નેતાગીરીએ ફડણવીસમાં વિશ્વાસ જાળવી રાખ્યો છે.
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ફડણવીસને કદાચ નાણાં પ્રધાન બનાવવામાં આવશે.
2019ની લોકસભા ચૂંટણી જીતીને નરેન્દ્ર મોદી સરકાર ફરી સત્તા પર આવી છે. ત્યારબાદ નિર્મલા સીતારામનને નાણાં પ્રધાન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ છેલ્લા અમુક દિવસોથી એમની કામગીરીની ટીકા શરૂ થઈ છે.
નાણાં મંત્રાલય જેવું મહત્ત્વનું ખાતું સંભાળ્યા બાદ સીતારામને એને શોભે એવી કામગીરી કરી બતાવી નથી એવું ઘણાયનું માનવું છે.
કહેવાય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ એમની કામગીરીથી નારાજ થયા છે. તેથી હવે મોદી જ નાણાં મંત્રાલયની જવાબદારી ફડણવીસને સોંપે એવી શક્યતા છે.
દેવેન્દ્ર ફડણવીસને પહેલેથી જ આર્થિક વિષયનો સારો એવો અભ્યાસ છે. એમણે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મહારાષ્ટ્રનું સરસ રીતે નેતૃત્ત્વ સંભાળતા રાજ્યની આર્થિક સ્થિતિ સુદ્રઢ થયું છે. તેથી જ હવે એમને સીધા કેન્દ્રીય નાણાં પ્રધાન તરીકેની જવાબદારી આપવામાં આવી શકે છે. દેશની હાલની આર્થિક પરિસ્થિતિને જોતાં ફડણવીસ માટે નવી જવાબદારી મોટો પડકાર બની શકે એમ છે.
ફડણવીસ બે દિવસ પહેલાં જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને દિલ્હીમાં મળ્યા હતા. એ મુલાકાત બાદ ફડણવીસની વરણી કેન્દ્રીય પ્રધાનમંડળમાં કરાશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે.
જો ફડણવીસને કેન્દ્રમાં લઈ જવામાં આવે તો મહારાષ્ટ્રમાં ભાજપમાં પણ મોટા ફેરફારો આવી શકે એમ છે. હાલ ફડણવીસ મહારાષ્ટ્ર વિધાનસભમાં વિરોધ પક્ષના નેતા છે. પરંતુ જો એમનો સમાવેશ કેન્દ્રીય કેબિનેટમાં કરાશે તો મહારાષ્ટ્રમાં વિપક્ષી નેતાનું પદ મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલને અથવા ભૂતપૂર્વ રાજ્ય નાણાં પ્રધાન સુધીર મુનગંટીવારને સોંપવામાં આવે એવી ધારણા છે.
એવી જ રીતે, અનેક દિવસોથી નારાજ થયેલાં ભૂતપૂર્વ રાજ્ય પ્રધાન પંકજા મુંડેને રાજ્ય ભાજપ એકમનું નેતૃત્ત્વ સોંપવામાં આવે એવી પણ ચર્ચા છે.
હેપ્પી સ્ટ્રીટ: એક તસવીરી ઝલક…

અમદાવાદના લો ગાર્ડન ખાતે ‘હેપ્પી સ્ટ્રીટ’ ખુલ્લી મુકવામાં આવી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા, મેયર બિજલ પટેલની હાજરીમાં ‘હેપ્પી સ્ટ્રીટ’નું ઉદ્ઘાટન કર્યું હતું.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં લૉ ગાર્ડનની ફૂટપાથ પર વર્ષોથી લોકો સ્ટ્રીટ ફૂડ માણતા હતા. કોલેજ, ગાર્ડન, આર્ટ ગેલેરીઓ, મનોરંજન પૂરું પાડતા હોલની એકદમ વચ્ચે આવેલી ગલીનું જૂનું ખાણીપીણી બજાર તોડી પાડવામાં આવ્યું. થોડા સમય બાદ અમદાવાદ મહાનગરપાલિકાની મંજૂરી બાદ એકદમ અદ્યતન સુવિધાઓ સાથે ખાઉં ગલી હેપ્પી સ્ટ્રીટ ના નામે તૈયાર કરવામાં આવી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાયેલી ‘હેપ્પી સ્ટ્રીટ’માં એક તરફ લો ગાર્ડન તરફથી શરૂ થતી 31 મોટી અને ત્રણ પ્રકારની 11 નાની ફૂડ વાન ઊભી રહેશે. એક ફૂડ વાન આગળ 24 લોકો બેસી શકે તેટલી જ જગ્યા રખવામાં આવી છે.
પાર્કિંગની સાઈડમાં એક સાયકલ ટ્રેક અને ફૂટપાથ પણ બનાવવામાં આવી છે. આખી સ્ટ્રીટને હેરિટેજ સ્ટ્રીટ દેખાય તેવો લુક આપવામાં આવ્યો છે.

8 કરોડના ખર્ચે આ સ્ટ્રીટ બનાવવામાં આવી છે. નવેમ્બરમાં જ ‘હેપ્પી સ્ટ્રીટ’ના સ્ટોલની હરાજી થઈ હતી, જેમાં 31 મોટી ફૂડવાન અને 11 નાની ફૂડવાન માટે માસિક રૂ. 2 લાખ જેટલી બોલી લગાવાઇ હતી.


અમદાવાદમાં મનોરંજન અને ફૂડ બંને નો સમન્વય આ હેપ્પી સ્ટ્રીટમાં જોવા મળે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
દિલ્હીમાં મતદાનના એક દિવસ પહેલાં કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મતદાનના એક દિવસ પહેલાં ચૂંટણી પંચે નોટિસ જારી કરી છે. ચૂંટણી પંચે શનિવારના સાંજે પાંચ વાગ્યા સુધી કેજરીવાલ પાસે જવાબ માગ્યો છે. ચૂંટણી પંચે દિલ્હીના મુખ્ય પ્રધાને ત્રીજી ફેબ્રુઆરીએ ટ્વીટ કરેલા વિડિયો પર આ નોટિસ જારી કરી છે. કેજરીવાલને આ નોટિસ ભાજપ દ્વારા ફરિયાદ નોંધાવાને આધારે જારી કરવામાં આવી છે. દિલ્હીમાં શનિવારે મતદાન થવાનું છે અને મત ગણતરી 11 ફેબ્રુઆરી થવાની છે.
આ પહેલાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પત્ની સાથે કોનોટ પ્લેસની પાસે પ્રસિદ્ધ હનુમાન મંદિરમાં શુક્રવારે પૂજા-અર્ચના કરી હતી. તેમણે હનુમાન મંદિર જઈને દેશ અને દિલ્હીની પ્રગતિ માટે હનુમાનજીના આશાર્વાદ લીધા હતા. ભગવાનજીએ કહ્યું કે સારું કામ કરી રહ્યા છો, આ પ્રકારે લોકોની સેવા કરતા રહો, મહેનતનું ફળ મારી પર છોડી દો.
દિલ્હીમાં જીત માટે અમિત શાહના આત્મવિશ્વાસ પાછળ શું કારણ?
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે દાવો કર્યો કે, દિલ્હીમાં ભાજપ 70 માંથી 45 સીટ જીતીને સરકાર બનાવશે. વડાપ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે, દિલ્હીમાં વાતાવરણ ભાજપ તરફી બની ગયું છે અને કેટલાક નેતાઓના ચહેરાઓ જાણે કરમાઈ જ ગયા છે.
સ્વાભાવિક રીતે બધાને એ પ્રશ્ન થાય કે આખરે જનતા વચ્ચે આમ આદમી પાર્ટીની આટલી સારી છબી હોવા છતા પણ શા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને લાગી રહ્યું છે કે જનતા કેજરીવાલને બીજીવાર તક નહી આપે?
હકીકતમાં આ દાવા પાછળ વડાપ્રધાન મોદી અને અમિત શાહની સાથે જ પાર્ટીના કેટલાય દિગ્ગજ નેતાઓની રેલીઓમાં ઉમટી રહેલી ભીડ, પાર્ટીના આંતરિક સર્વેમાં કથિત રીતે સામે આવ્યું કે જનતાનો બદલાયેલો મિજાજ અને કેટલાક ઓપિનિયન પોલ્સના પરિણામો છે. ભાજપના નેતાઓનું માનવું છે કે, ગૃહમંત્રી અમિત શાહ અને બાદમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની રેલીઓએ દિલ્હીની ચૂંટણીના માહોલને બદલવાનું કામ કર્યું તો હવે વડાપ્રધાન મોદીની રેલીઓ બાદ માહોલ ભાજપના પક્ષમાં દેખાવા લાગ્યો છે.
આ દાવા પાછળ પાર્ટીનો એક આંતરિક સર્વે છે કે ઈસ્ટ દિલ્હીમાં થયેલી વડાપ્રધાન મોદીની રેલી બાદ દિલ્હીના તમામ વિધાનસભા ક્ષેત્રોમાં કરાવવામાં આવ્યો હતો. આ સર્વેના પરિણામોના આધાર પર કહેવામાં આવી રહ્યું છે કે શાહીનબાગ, સર્જિકલ સ્ટ્રાઈક, બાટલા હાઉસ જેવા મુદ્દાઓ પર મોદીએ જે પ્રકારે ખૂલીને પોતાની વાત જનતા સામે મૂકી છે તેની લોકો પર ખૂબ ઉંડી અસર પડતી દેખાઈ રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોદીની રેલી પહેલા જેટલા સર્વે કરાવવામાં આવ્યા હતા, તેમાં ભાજપ દિલ્હીમાં આમ આદમી પાર્ટીને ટક્કર આપતી તો દેખાઈ રહી હતી પરંતુ પરિણામો આમ આદમી પાર્ટીના પક્ષમાં જ જતા હતા. જો કે, પહેલા યોગી આદિત્યનાથ અને પછી વડાપ્રધાન મોદીની રેલીઓ બાદ ટક્કર જોરદાર બની ગઈ છે અને પરિણામો હવે ભાજપના પક્ષમાં આવતા દેખાઈ રહ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે આ સર્વેમાં ઘણી સીટો પર કોંગ્રેસ પણ બાજી મારતી દેખાઈ રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સોમવારે મોડી સાંજે કરાવવામાં આવેલા એક સર્વેમાં ભાજપને 27 સીટો, આપને 26 અને કોંગ્રેસને 8 થી 9 સીટો મળતી દેખાઈ રહી છે જ્યારે બાકીની સીટો પર ખૂબ જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે અને પરિણામો કોઈપણના પક્ષમાં આવી શકે છે. પાર્ટી નેતાઓ અનુસાર, આ સર્વે સોમવારની રેલી બાદ કરાવવામાં આવ્યો જ્યારે વડાપ્રધાન મોદીએ મંગળવારે સાંજે પણ વેસ્ટ દિલ્હીના દ્વારકા વિસ્તારમાં પણ એક મોટી રેલીને સંબોધિત કરી હતી. ત્યારે એ રેલી બાદ માહોલ બદલવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ખાસ કરીને વેસ્ટ દિલ્હીના ગ્રામીણ વિસ્તારોમાં ભાજપની સ્થિતિ વધારે સુધરે તેવી અપેક્ષાઓ છે.
પાર્ટીના નેતાઓએ ચૂંટણી પ્રચારમાં પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. અમિત શાહે એકલાએ દિલ્હીની 50 વિધાનસભામાં પ્રચાર કર્યો જે એક રેકોર્ડ ગણી શકાય. ભાજપના સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, અમિત શાહે 23 જાન્યુઆરીથી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર શરુ કર્યો હતો. 6 ફેબ્રુઆરીની સાંજે પ્રચાર ખતમ થવા સુધી તેઓ 41 વિધાનસભા ક્ષેત્રોમાં જનસભા અને 12 વિસ્તારોમાં રોડ-શો કરી ચૂક્યા હતા.તો પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ દિલ્હીમાં 29 જનસભાઓની સાથે-સાથે 15 રોડ શો કર્યા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આક્રામક અંદાજમાં પ્રચાર કર્યો હતો.
ચાલો ચેપ્લીનના મેળામાં…
ચાર્લી ચેપ્લીનની નકલ કરવાની અનેક ભારતીય કલાકારોએ કોશિશ કરી, પણ કોને મળી કેટલી સફળતા?


(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે દીપોત્સવી ૨૦૦૪ અંકનો)
વિશ્વ વિખ્યાત વિદૂષક ચાર્લી ચેપ્લીનનો બૉલીવૂડ પર પ્રભાવ એટલો બધો છે કે નૂર મોહમ્મદ ચાર્લીથી માંડીને આજના રાજેશ પૂરી, જયેશ ચૌહાણ, જૉની લીવર સુધી કોઈ પણ એવો ભારતીય હાસ્ય કલાકાર નહીં હોય જે ચેપ્લીનથી પ્રભાવિત ન હોય.
૧૯૪૦થી માંડીને પચાસના દસક સુધી હાસ્ય કલાકાર તરીકે હંગામા બની જનાર નૂર મોહમ્મદ તો ચાર્લીના સ્વાભાવિક અભિનયથી એટલા દીવાના હતા કે એમણે પોતાનું નામ જ નૂર મોહમ્મદ ચાર્લી કરી નાખ્યું. ફિલ્મોમાં હાસ્યનો એક યુગ આ કૉમેડિયનને નામે ગાજ્યો. આબેહૂબ ચેપ્લીન કટ મૂછો રાખનાર નૂર મોહમ્મદે ‘નદી કિનારે’, ‘સુખ-દુ:ખ’, ‘ઠોકર’, ‘ધીરજ’, ‘મેરી આંખે’, ‘અછૂત’, ‘ચાર ચક્રમ’, ‘ઢિંઢોરા’, ‘આજ કા હિંદુસ્તાન’, ‘સંજોગ’ અને ‘પાગલ’ જેવી ડઝનબંધ ફિલ્મોમાં દર્શકોને પેટ પકડીને હસાવ્યા.
‘પાગલ’માં તો નૂર મોહમ્મદે કમાલ કરી દીધી. એમાં એમને સંગીતજ્ઞની ભૂમિકા નિભાવી હતી. ગાતા ગાતા એ પાગલ બની જાય છે અને પરિવારના લોકો એને પાગલખાનામાં ભરતી કરાવી દે છે. ત્યારે ચાર્લી ગીતો દ્વારા પાગલખાનાના સ્ટાફ અને પાગલોનેય પોતાના ચેલા બનાવી દે છે. એક વાર રાગ માલકૌંસ ગાતા ગાતા ચાર્લી એવો તો ખોવાઈ ગયો કે કૂદીને ઝાડ પર ચડી ગયો અને બાકીનો રાગ ઝાડ પર ઊંધા લટકીને પૂરો કર્યો. એમનું આ દ્રશ્ય ચાહકોને આજે પણ યાદ છે.
૧૯૫૦નો દાયકો જૉની વૉકરને નામે રહ્યો. ‘બાઝી’થી માંડીને ‘અજી બસ શુક્રિયા’, ‘મધુમતી’, ‘પ્યાસા’, ‘નયા દૌર’, ‘ચૌદવીં કા ચાંદ’, ‘પૈગામ’, ‘ચંગેઝ ખાન’ અને ‘જૉની વૉકર’ જેવી સેંકડો ફિલ્મોમાં જૉની વૉકરે કોણ જાણે કેટલીયે ફિલ્મોના પાત્રોને ચેપ્લીનના વાઘા પહેરાવ્યા, પરંતુ જૉની વૉકરની ખૂબી એ રહી કે એણે ચાર્લીની અભિનય શૈલી અને બીજી ચીજોનો એટલી ખૂબસૂરતીથી પ્રયોગ કર્યો કે નકલ પકડાઈ ન જાય. જૉની વૉકરે કહેલું- ‘ચેપ્લીનની સ્ટાઈલ અને નૅચરલ ઍક્ટિંગની નકલ કરવી આસાન કામ નથી. અમે સેંકડો ફિલ્મોમાં કામ કર્યું પણ ચેપ્લીનથી અડધુંય ન કરી શક્યા.’ જૉની વૉકરે ચાર્લીની હેટ અને સાંકડી મોહરીવાળી પેન્ટ સિવાય ચેપ્લીનની લાકડીનો પણ કેટલીયે ફિલ્મોમાં પ્રયોગ કર્યો. ‘નયા દૌર’માં ‘મૈ બંબઈ કા બાબૂ’ ડાન્સ કરવામાં જૉનીએ ચેપ્લીનના જ સ્ટેપ્સ અને સ્ટાઈલનો અચ્છો પ્રયોગ કર્યો. ચેપ્લીનના સ્વાભાવિક અભિનયની સ્ટાઈલ જૉની વૉકરે ખૂબીપૂર્વક અપનાવી હતી. તેથી જ જૉનીએ ચેપ્લીનની વેશભૂષા અથવા પોષાકની નકલથી જાતને ઉગારી લીધી. જૉની વૉકરે ચેપ્લીનની આ ચીજોનો ખૂબીપૂર્વક અલગ અલગ શૈલીમાં પ્રયોગ કર્યો.
છેલ્લા બે દશકાથી રાજેશ પુરીએ ચેપ્લીનના વ્યક્તિત્વને આત્મસાત કરી રાખ્યું છે. પૉલિશની ડબ્બીના વિજ્ઞાપનથી માંડીને સ્ટેજ અને ફિલ્મો સુધી રાજેશ પુરીએ પોતાની જાતને ચાર્લીના આકારમાં ઢાળી લીધી છે. એટલી હદ સુધી સામ્ય જમાવ્યું છે કે રાજેશ પુરી અને ચેપ્લીનના પાત્ર મેકઅપ પછી સાથે રાખવામાં આવે તો અસલી નકલી ઓળખવા મુશ્કેલ બની જાય. એ કહે છે: ‘હું જ્યારે નવ વર્ષનો હતો ત્યારે મેં પહેલી વાર ચાર્લીની ફિલ્મ ‘ગૉલ્ડ રશ’ જોયેલી અને ફિલ્મમાંની ચાર્લીની અદાઓ મારા બાળ માનસ પર બરાબર જડાઈ ગઈ. પછી તો ચાર્લીની ફિલ્મોનો નશો જ ચડતો ગયો. ‘ધ કિડ’, ‘મોડર્ન ટાઈમ્સ’, ‘ધ ગ્રેટ ડિક્ટેટર’, ‘સીટી લાઈટ્સ’ કોણ જાણે કેટલીયે વાર જોઈ હશે. થોડો મોટો થયો નાટકોમાં અભિનય કરવા લાગ્યો ત્યારે ‘યહૂદી કી લડકી’માં ચેપ્લીન રુપે કામ કર્યું. આ પાત્ર જોયા પછી ‘ચેરી બ્લૉસમ’વાળાએ વિજ્ઞાપન ફિલ્મમાં લીધો. દર્શકો જોઈને ચકરાઈ ગયા કે અસલી ચેપ્લીન ઍડ્ ફિલ્મોમાં કેવી રીતે આવી ગયો. પછી આ જ વિજ્ઞાપનથી પ્રભાવિત થઈને સર રિચર્ડ એટબનરો (‘ગાંધી’ ફેમ) એ મને પત્ર લખ્યો, અને ચેપ્લીનની આત્મકથા પર આધારિત ફિલ્મમાં ચાર્લીની ભૂમિકા માટે કરારબદ્ધ કર્યો.
માત્ર ભારતના જ નહીં બલકે દુનિયાના કેટલાયે અભિનેતાઓએ ચેપ્લીન બનવાની કોશિશ કરી પરંતુ સફળ કોઈ ન થયું. એકમાત્ર અપવાદ છે રાજેશ પુરી. એનું રહસ્ય માત્ર એના અભિનયમાં નહીં બલકે અભિનય સાતે ઊંચાઈ અને ચહેરામાં પણ અકબંધ છે. એમનો બાંધો ચેપ્લીન સાથે જબરું સામ્ય ધરાવે છે. તેથી જ એટબનરોએ કહેલું કે અન્ય અભિનેતા તો ચેપ્લીનની નકલ કરે છે, પરંતુ રાજેશ પુરી ચેપ્લીનનો આત્મા છે.
ભારતીય કૉમેડિયનોમાં રાધાકિશન, ગોળમટોળ ગોપ, મહેમૂદ, ભગવાન દાદા, કૅશ્ટો મુખર્જીએ પણ ચેપ્લીનની મૂંછોની નકલ કરી હતી. ચેપ્લીને એ મૂંછો અડોલ્ફ હિટલર પાસેથી અપનાવી હતી. પરંતુ ચેપ્લીનના પોષાક અને અભિનયથી માંડીને હર અંદાઝમાં પોતાના અભિનયને ઢાળનાર રાજ કપૂરનું નામ અગ્રગણ્ય છે. ‘આવારા’માં પહેલી વાર રાજ કપૂરે ચેપ્લીનની વેશભૂષા અપનાવીને પડદા પર અભિનય કર્યો ત્યારે રાજ કપૂર લોકોનો માનીતો બની ગયો. પછી તો હેટ, ટૂંકું પેન્ટ અને સામાન્ય જૂતાં રાજ કપૂરના અભિનયનું અંગ બની ગયાં. ‘આવારા’થી માંડીને ‘મેરા નામ જોકર’ સુધી રાજ કપૂરે ચેપ્લીનને આદર્શ માનીને બરાબર અપનાવ્યો.

મહેમૂદે ચેપ્લીનની મૂંછો તો કેટલીયે ફિલ્મોમાં વાપરી, પરંતુ સંપૂર્ણ ઈમેજ ‘હમજોલી’ના એક ગીત-‘જોડી હમારી જમેગા કૈસે જાની’માં અરૂણા ઈરાની સાથે ઉપસાવી. પરંતુ અભિનય અને અદાઓમાં મહેમૂદ ચેપ્લીનથી ઘણો પાછળ રહી ગયો.
અસરાનીએ ‘શોલે’માં પાગલ જેલરની ભૂમિકા ભજવી ત્યારે ચેપ્લીનની સ્ટાઈલની નકલ કરી અને દર્શકોએ અસરાનીની ઑવર ઍક્ટિંગને નવાજી. એવી જ રીતે અનિલ કપૂરે ‘મિ. ઈન્ડિયા’માં ચેપ્લીનની ઈમેજ પકડવાની કોશિશ કરેલી પણ પોષાક સિવાય કાંઈ જ પકડી ન શક્યો. રિશી કપૂરે પણ ‘નસીબ’માં આબેહૂબ ચેપ્લીનની નકલ કરી અને લાકડી પકડીને ચાર્લીની સ્ટાઈલમાં નાચવા-ગાવાની કોશિશ કરી પરંતુ એ પણ વેશભૂષા સુધી જ સીમિત રહી ગયો.

ચેપ્લીનની ફિલ્મોની વાર્તાઓ અને દ્રશ્યોની નકલ ભારતીય ફિલ્મોમાં થઈ પરંતુ આ બધાથી ચડિયાતો મહેમૂદ નીકળ્યો. ‘ધ કિડ’ પરથી હિંદીમાં ‘કુંઆરા બાપ’ બનાવી અને હસાવતા હસાવતા દર્શકોના મર્મ પર પ્રભાવ પાડ્યો.
રામેશ્ર્વરીની ‘સુનયના’ ચેપ્લીનની ‘સીટી લાઈટ્સ’નું સુંદર રૂપાંતર હતી. પરંતુ આ બાબત અભિનેતા રાજેશ પુરીને જ પુષ્કળ સફળતા મળી. એણે ફ્રેન્ચ કલાકારને ચેપ્લીનની ફિલ્મોની નકલ કરીને ફિલ્મ બનાવતો જોયો અને એને થયું કે ભારતમાં આવું કેમ ન થાય?
‘બેની હિલ નામના ફ્રેન્ચ અભિનેતાને તો સફળતા ન મળી પરંતુ મેં જ્યારે ‘મિ. ફન્ટૂશ’ સિરિયલ બનાવી અને પ્રસારિત કરી ત્યારે આબાલવૃદ્ધ સૌને ગમી ગઈ. મને એકસ્ટેન્શન તો મળ્યું પણ વ્યસ્તતાને લીધે હું ‘મિ. ફન્ટૂશ’ને આગળ ન વધારી શક્યો. હવે ફરીથી ‘મિ. ફન્ટૂશ’ને ટીવીમાં શરૂ કરવાની કોશિશ કરી રહ્યો છું.’ રાજેશ પુરી કહે છે.

કિશોરકુમારથી માંડીને કેશ્ટો મુખર્જી સુધીના દરેક ભારતીય કૉમેડિયનના ઘરમાં ચેપ્લીનની તસવીરો લટકતી દેખાશે. એવી જ લાઈફ સાઈઝ તસવીર રાજેશ પુરીના ઘરમાં પણ છે. ખૂબી એ છે કે ચેપ્લીનના સ્વાંગમાં તસવીર રાજેશ પુરીની પોતાની છે. પરંતુ લોકો એને જ અસલી ચાર્લી ચેપ્લીન માની લે છે.
| ચાર્લી ચેપ્લીન: કૉમેડિયનની ટ્રૅજેડી
કૉમેડિયન તરીકે સ્વાભાવિક અભિનય દ્વારા દુનિયાભરના લોકોને હસાવનાર મહાન અભિનેતા ચેપ્લીનનો જન્મ ૧૬ એપ્રિલ, ૧૮૮૮ના દિને દક્ષિણ લંડનના એક નિર્ધન પરિવારમાં થયેલો. ચેપ્લીનના પિતા મ્યુઝિકલ પ્લેના અચ્છા કલાકાર હતા. પરંતુ શરાબની લતે ચેપ્લીનના પિતાનું જીવન છીનવી લીધું. ત્યારે ચેપ્લીનની માએ જાતે સ્ટેજ પર ગાવાનું અને કમાવાનું શરૂ કર્યું. કિશોર ચાર્લી પણ મા સાથે મંચ પર ગાવા લાગ્યો. એક વાર મા ગાતી હતી ત્યારે બીમારીને લીધે ઉધરસ ચડી અને ચાર્લીએ માનું અધૂરું ગીત જેક જોન્સ પૂરું કર્યું અને નાટ્ય મંડળીના મૅનેજરે ચાર્લીને વિદૂષક તરીકે રાખી લીધો. આ કંપનીના નાટકોમાં ચાર્લીની પ્રતિભાથી પ્રભાવિત થઈને ૧૯૧૩માં નિર્માતા-નિર્દેશક મૅક સીનેટે પોતાની ફિલ્મોમાં પાંચ-દસ મિનિટની બે રીલોવાળી મૂક ફિલ્મોમાં કૉમેડિયન રૂપે ચમકાવ્યો. વાસ્તવમાં ચાર્લીની કોથળા જેવી પેન્ટ અને ઢીલા કોટની સાથે પગમાં મોટી સાઈઝના જૂતાં અને હેટ ગરીબીની નિશાની હતા. આ કોઈ અભિનેતાનો પોષાક નહોતો બલકે એક ગરીબ ઈન્સાનની મજબૂરી અને સમાધાન હતું. અને બધી જ ફિલ્મોમાં આ પહેરવેશ ચાર્લીનો ટ્રેડમાર્ક બની ગયો. વિવેચકોએ કટાક્ષમાં કહ્યું પણ ખરું કે ચાર્લી ગરીબીને ગ્લોરિફાઈ કરે છે. પરંતુ ચાર્લી સાંભળીને હસતો અને ભૂલી જતો. ચાર્લી હંમેશાં કહેતો કે ભૂખે જ એને કલાકાર બનાવ્યો છે. ચાર્લીએ આજીવિકા ખાતર લાકડા કાપ્યા. બાળકોને નૃત્યની તાલીમ આપી. ફાટેલા જર્જરિત જૂતાં અને થીગડાંવાળા કપડા પહેરીને બે પેનીની બ્રેડ લઈને પાણીમાં બોળીને ખાધી. આ બધું એના જીવનનો હિસ્સો બની ગયું. જીવનના આ કટુ અનુભવોએ ચાર્લીના અભિનયને ધારદાર બનાવ્યો. ‘મૅબલ્સ સ્ટ્રેન્જ પ્રીડિકામૈટ’માં એણે ઉચ્ચભ્રૂ ધનવાનો પર પોતાની શૈલીમાં એવા જબરદસ્ત કટાક્ષ કર્યા હતા કે પ્રહાર સહીને પણ એ લોકો હસ્ય વિના નહોતા રહેતા. એ ફિલ્મમાં ચાર્લી એ જ ફાટેલા જૂતાં અને જર્જરિત કપડાં પહેરીને એક આલિશાન હૉટેલમાં જઈને લૉબીમાં સોફા પર બેસી જાય છે. ધનવાન સ્ત્રીઓ એના પગ કચડીને જાય છે ત્યારે એ દરેક વખતે ઊઠીને એમને નમ્રતાપૂર્વક કહે છે: વેરી સૉરી. ચાર્લી ઝાઝું ભણ્યો નહોતો, પરંતુ એની સેન્સ ઑફ હ્મુમર-વિનોદવૃત્તિ કોઈ પણ શિક્ષિત વ્યક્તિ કરતા અનેકગણી વધુ હતી. જીવનની નાની નાની ક્રિયાઓથી એ લોકોના ચહેરા પર સ્મિત પ્રગટાવતો. દારુણ ગરીબીના દિવસોમાં જ્યારે એક વાર સ્ટેજ પર ગીત ગાતો હતો, નાચતો હતો ત્યારે દર્શકોએ ખુશ થઈને સ્ટેજ પર સિક્કાઓ વરસાવ્યા. પ્રોગ્રામ મૅનેજર ખિસ્સામાંથી રૂમાલ કાઢીને સિક્કા એકઠા કરવા લાગ્યો. એ જોઈને ચાર્લીને સમજતા વાર ન લાગી કે મૅનેજર જ બધા સિક્કા લઈ જશે. ત્યારે ચાર્લીએ પોતાનું ડાન્સ સોંગ અટકાવી દીધું અને દર્શકોને ફરિયાદ ભર્યા સૂરમાં કહ્યું કે પેલો મૅનેજર બધા જ સિક્કા ઊંચકીને લઈ જશે. તેથી પહેલાં હું કેટલાક સિક્કા એકઠા કરી લઉં પછી ગીત સંભળાવીશ. સાંભળીને દર્શકોએ અટ્ટહાસ્ય કર્યું. આ મહાન વિદૂષકની એ જ તો કમાલ હતી કે ગમે તેવી સ્થિતિમાં હાસ્યકટાક્ષનો દોર વહેવડાવી શકતો.
|
(નરેન્દ્ર ઉપાધ્યાય)
ભારતીય વાસ્તુના નિયમો વિશ્વના કોઈ પણ ખૂણે અસર કરે?
હું એટલે નાની. ઘરમાં સહુથી નાની એટલે નામ પણ નાની જ પડી ગયું છે. સાત ભાઈ બહેન વાળા પરિવારમાં નાના બાળક પર કેટલું ધ્યાન અપાય તે આપ સમજી શકતા હશો. ભણવામાં મન ન લાગે. હું બારમાં ધોરણમાં આવી
ગઈ એ ખુદ મને પણ વિશ્વાસ નથી આવતો. પિતાજીની એકજ આવક અને ખાવા વાળા દસ. એમાં પાછા મોશાળના એકાદ બે જણાતો અમારે ત્યાં હોય જ. પાછો પિતાજીનો સ્વભાવ પણ ગુસ્સા વાળો. વાત ટાળવા મારી માં જુઠું બોલે અને પછી બરાબર જામે. આ તો થઇ મારી વાત. મારી જે સમસ્યા છે તે આ નથી. અને મારે સવાલો પણ બીજા જ પૂછવા છે. મારો પહેલો સવાલ છે કે મારે સારું પરિણામ લાવવું હોય તો ક્યાં બેસીને ભણવું જોઈએ? બીજો સવાલ છે કે ભારતીય વાસ્તુના નિયમ આખા વિશ્વમાં અસર કરે ખરા? અને ત્રીજો સવાલ તમે વાસ્તુ શીખવાડો ખરા? મારી બહેનો એવું કહે છે કે હું ઘરમાં પોલીટીક્સ કરું છુ. તમને લાગે છે કે મારા સવાલોમાં કોઈ પોલીટીક્સ છે? મારા સવાલોનો જવાબ ખાસ આપસો.
બહેનશ્રી. નાના હોવું એ પણ સારી વાત છે. પણ હા, મનને નાનું ન રખાય.મનતોમોટું જ સારું. નાના હોવાના લાભાલાભ તો હોયજ. વહાલ સહુથી વધારે મળે અને બધા અધિકાર પણ વધારેજ જતાવે. ફરજ અને અધિકાર બંને એકબીજા સાથે જોડાયેલા છે. તમે સતત એવું સાબિત કરવા પ્રયત્ન કરો કે તમે સારા જ છો ત્યારે ક્યારેક ભૂલથી પણ અન્ય ને ખરાબ દેખાડી દેવાય. સહુથી પહેલા તો આ વિચારમાંથી બહાર આવી જાવ.અન્યને દેખાડવા માટે જીવવાનું બંધ કરી અને પોતાના માટે જીવાશો તો ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ આવી જશે. માબાપ લડતા હોય ત્યારે બાળકોમાં અસુરક્ષાની લાગણી જન્મે છે. તમે હવે મોટા થઇ ગયા છો. તેમને માફ કરી દો. તમારા મમ્મીએ એવું માની લીધું છે કે તેઓ ખુબજ જવાબદારીઓ નિભાવે છે. સાત બાળકો કરવાનો નિર્ણય માત્ર તમારા પપ્પનોતો નહિજ હોય? એમણે પણ જીવનને સ્વીકારી લેવાની જરૂર છે. જીવનને ટુકડામાં જીવવાથી માત્ર દુખ જ મળે છે. હવે વાત વાસ્તુ અંગેના તમારા સવાલોની.

ભારતીય વાસ્તુ ભારતમાં રચાયું. પણ ભારત એટલે? અત્યારે જે ભારત છે એ? કે પછી અંગ્રેજોએ જે ભારત વિચાર્યું હતું તે? કે પછી એના પહેલા જે ભારતની કલ્પના છે એ? કે પછી ભારતવર્ષ?મારા મત પ્રમાણે ભારતવર્ષ એટલે સમગ્ર પૃથ્વી.મને ખાતરી છે કે તમારા મનમાં સવાલો ઉદ્ભવશે.માણસ જયારે વિચારે છે ત્યારેજ તેને પોતાના સવાલોના જવાબો મળે છે.વિશ્વના વિવિધ દેશોમાં ભારતીય સંસ્કૃતિના અવશેષો મળી આવે છે તેનું એક કારણ આ પણ હોઈ શકે. મયાન સંસ્કૃતિ જેના નામ સાથે જોડાયેલી છે છેતેવું માનવામાં આવે છે,તે પ્રસિદ્ધ મય દાનવનું ભારતીય વાસ્તુમાં ખુબજ સારું અને મોટું પ્રદાન છે. મયામતમનામનો ગ્રંથ રચનાર મેક્સિકોમાં કેમ પોતાની સંસ્કૃતિની સ્થાપના કરે છે? બાલી કે ગ્રીસમાં ભારતીય પ્રણાલિકાઓ કેમ દેખાય છે? ગ્રીક દેવો આપણા દેવોથી સમાન શા માટે છે? વિશ્વમાં કેટલા લોકો ઓક્સીજન વિના જીવે છે?

વિશ્વમાં કેટલી જગ્યાએ સૂર્ય અલગ દિશામાંથી ઉગે છે? વિશ્વમાં કેટલા લોકો મનની શાંતિ, સુખી જીવન, ધન, માનસન્માન, પરિવાર, જેવી મૂળભૂત જરૂરિયાતો નથી ઈચ્છતા? કોને દુખી થવું છે? આ પ્રકારનાસવાલોને સમજવાથી આપનીમોટા ભાગની ગેરસમજો દુર થઇ જશે. હવે વાત કરીએ વાસ્તુની. ભારતીય વાસ્તુમાં સંતુલિત જીવનની વાત કરવામાં આવી છે. જેના માટે વિજ્ઞાન, ગણિત, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, સમાજવિજ્ઞાન, ચુંબકીય સમજ, જેવા વિવિધ પાસાઓનો આધાર લેવામાં આવ્યો છે. વિજ્ઞાનના નિયમો દરેક જગ્યાએ લાગુ પડે છે. ગણિત પણ બધે એકજ પ્રકારનું હોય? પૃથ્વીનીચુમ્બ્કીયતા માટે કોઈ સવાલ ઉદ્ભવે ખરો? આમ દરેકે દરેક પાસાઓની સામાન્ય અસર સમગ્ર પૃથ્વી પર એક સમાન ગણી શકાય. હા, કોઈ દેશમાં માણસો કાર્બન ડાયોક્સાઈડ શ્વાસમાં લેતા હોય તો તેમના માટે અલગ નિયમો હોઈ શકે. પૃથ્વી પર દરેકે દરેક માણસ નું મૂળભૂત બંધારણ એક સમાન જ છે. તેનીમૂળભૂત જરૂરિયાતો પણ એક સમાન છે. તેને થતા રોગ અને જીજીવીશાઓ પણ લગભગ એક સમાન જ છે. તો નિયમો પણ એક સમાન જ લાગુ પડે ને? હવે છેલ્લા સવાલનો જવાબ. “હા.” પણ હું માત્ર મારી શરતો સાથે જ્ઞાન આપી શકું. જ્ઞાન સંપાદન એ કોઈ નુડલ બનવવાની પ્રક્રિયા નથી કે જેમાં ક્રેશ કોર્સમાં બધું શીખી લેવાય. જો સાચેજ શીખવું હોય તો ચોક્કસ હું મદદ કરીશ.
કોંગ્રેસ સાંસદોએ મારા પર હુમલો કર્યો: કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનનો આરોપ
નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને આરોપ લગાવ્યો કે જ્યારે તે પીએમ મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીએ કરેલા અભદ્ર ભાષાના પ્રયોગ બદલ લોકસભામાં તેની નિંદા કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના સાંસદ તેમની બેઠક વ્યવસ્થા નજીક આવીને તેમના હુમલો તેમજ ડોક્યુમેન્ટ ખેંચવાનો પ્રયાસ કરવા લાગ્યા.

મહત્વનું છે કે, લોકસભામાં શુક્રવારે સત્ર શરૂ થયાની થોડીવારમાં જ હોબાળો શરૂ થઈ ગયો હતો. ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. હકીકતમાં લોકસભામાં રાહુલ ગાંધીએ વાયનાડ વિશે સવાલ પૂછ્યા હતા. ત્યારપછી જવાબ આપવા માટે ઉભા થયેલા સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે- રાહુલ ગાંધીના સવાલનો જવાબ આપવામાં આવે તે પહેલાં તેમણે કોઈ પણ શરત વગર ગૃહની માફી માંગવી જોઈએ. તેમણે કહ્યું કે, સમગ્ર ગૃહે એક સ્વરમાં વડાપ્રધાન વિરુદ્ધ તેમણે વાપરેલા શબ્દોની નિંદા કરવી જોઈએ. આ બાબતે ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. અને કોંગ્રેસના મણિક ટાગોર હર્ષવર્ધનની નજીક પહોંચી ગયા હતા. અને તેમના હાથમાંથી ડોક્યુમેન્ટ ખેંચવાનો પ્રયત્ન કર્યો.

ભાજપ સાંસદ જગદમ્બિકા પાલે કહ્યું- કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન ભાષણમાં રાહુલ ગાંધીના વડાપ્રધાનના નિવેદન વિશે નિંદા કરી રહ્યા હતા. તે દરમિયાન કોંગ્રેસ સાંસદ મણિક ટાગોર તેમની તરફ દોડ્યા. લોકતંત્ર માટે આ ખૂબ ખરાબ વાત છે. જોકે રાહુલ ગાંધીએ આ વિશે ખુલાસો આપતા કહ્યું કે, ગૃહમાં અમને અમારી વાત રજૂ ન કરવા દીધી. રાહુલ ગાંધીએ કોંગ્રેસ સાંસદ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની વાતનો પણ ઈન્કાર કર્યો. અંતે ગૃહમાં હંગામો એટલી હદે વધી ગયો કે, સદનની કાર્યવાહી આજના દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી.
કોરોનાના કારણે મહિલા હોકી ટીમનો ચીન પ્રવાસ રદ્દ
નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે ભારતીય મહિલા હોકી ટીમે પોતાનો ચીનનો પ્રવાસ રદ્દ કરવો પડ્યો છે. હવે હોકી ઈન્ડિયાની સામે ઓલિમ્પિકની તૈયારી માટે વૈકલ્પિક પ્રવાસના આયોજન કરવાનો કઠિન પડકાર છે. ભારતીય ટીમે 14થી 25 માર્ચ સુધી ચીનના પ્રવાસ પર જવાનું હતું પરંતુ આ બીમારીને કારણે પ્રવાસ રદ્દ કરવો પડ્યો છે.
ભારતીય કેપ્ટન રાનીએ કહ્યું, ‘અમારે ચીન જવાનું હતું, પરંતુ વાયરસને કારણે પ્રવાસ રદ્દ થયો છે. અન્ય બીજી ટીમો પણ ઉપલબ્ધ નથી કારણ કે તે પ્રો હોકી લીગ રમી રહી છે.’ તેણે કહ્યું, ‘હોકી ઈન્ડિયા અને અમારા કોચ વ્યવસ્થા કરી રહ્યાં છે.’ ઓલિમ્પિકની તૈયારી માટે મોટી ટીમો સાથે રમવું જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે ચીનમાં આ વાયરસના કારણે અત્યાર સુધીમાં 640 લોકોએ પોતાના જીવ ગૂમાવ્યા છે. આ વાયરસથી ચીનમાં મૃતકઆંક અનેક ઘણો વધારે હોવાનું કહેવાય છે. તેવી જ રીતે કોરોના વાયરસની ઉત્પત્તિને લઈને પણ ચીન તરફ દુનિયાભરમાંથી આંગળી ચિંધાઈ રહી છે. ચીન સિવાય પણ આ વાયરસ દુનિયાના અન્ય દેશોમાં પણ ફેલાયો છે.










