Home Blog Page 4825

આ છે અંડર 19 ટીમના ખેલાડીઓની રસપ્રદ સંઘર્ષ ગાથા…

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટના અંડર 19 ટીમના ખેલાડીઓના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો પર આજે નજર નાખવી છે. ભારતીય ક્રિકેટનું ભવિષ્ય કહી શકાય તેવા આ અંડર-19 ના પ્લેયર્સ, જેમાં કોઈના પિતા ડ્રાઈવર છે, કોઈ ભૂતકાળમાં મજૂરી કરતા હતા અને કોઈકની પાસે બે ટંક સારુ જમવાના પૈસા પણ નથી. ક્રિકેટના મેદાન પર કલાકો સુધી પરસેવો પાડ્યા બાદ જ્યારે તે આવે ત્યારે, મારી પાસે તેને જ્યૂસ પીવડાવવાના અથવા તો તેને સારુ જમાડવાના પૈસા નહોતા પરંતુ તે સામાન્ય ભોજનથી જ ખુશ થઈ જતો હતો. અંડર-19 વર્લ્ડ કપ જીત્યા બાદ તે છપ્પન પ્રકારના પકવાન નહી પરંતુ આ જ માંગશે. આ શબ્દો છે, દક્ષિણ આફ્રિકામાં ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ સુધીની યાત્રામાં ટીમના સ્ટાર રહેલા અથર્વ અંકોલેકરની માં વૈદીહીની.

આ પ્રકારની સ્ટોરી માત્ર અથર્વની નથી પરંતુ વિશ્વ વિજેતા બનવાના છેલ્લા પગથિયા પર પહોંચેલી ભારતની અંડર-19 ટીમના ઘણા સ્ટાર પ્લેયર્સની છે કે જેઓ તનતોડ મહેનત કરીને અહીંયા પહોંચ્યા છે.

વૈદેહીએ પતિના મૃત્યુ બાદ મુંબઈની બસોમાં કન્ડક્ટરની નોકરી કરીને પોતાના દિકરા અથર્વને ક્રિકેટના મેદાન પર મોકલ્યો, જ્યારે કેપ્ટન પ્રિયમ ગર્ગના પિતા સ્કૂલ વાન ચલાવતા હતા. પાકિસ્તાન વિરુદ્ધ સેમીફાઈનલમાં સદી ફટકારનારા યશસ્વી જયસ્વાલ પોતે પાણીપુરી વેચતા હતા. જિંદગીએ આ જાંબાઝોની પગલે-પગલે પરિક્ષા લીધી અને આ લોકો પોતાના જીવનમાં આવેલી તમામ પરિક્ષાઓ નિડરતાથી પાર કરીને, તનતોડ મહેનત અને પરિવારના સમર્પણ અને બલિદાનના પરિણામે વિશ્વ વિજેતાથી માત્ર એક સ્ટેપ દૂર જેટલે સુધી પહોંચ્યા છે.

ઉત્તર પ્રદેશના ભદોહીથી ક્રિકેટમાં નામ કમાનારા અને મુંબઈ આવેલા યશસ્વી હવે “ગોલગપ્પા બોય” ના નામથી ઓળખ બની ગઈ છે. પોતાનું ઘર છોડીને આવેલા યશસ્વી પાસે ન તો રહેવાની જગ્યા હતી અને ન તો બે ટંકના ભોજનના ઠેકાણા હતા. સંઘર્ષના સમયમાં રાત્રે પાણીપુરી વેચીને દિવસે ક્રિકેટ રમનારા યશસ્વીએ એ વાત સાબિત કરી બતાવી છે કે, જ્યાં કંઈક પામવાની ખેવના હોય છે ત્યાં રસ્તાઓ ખૂલતા જાય છે.

તેમના કોચ જ્વાલા સિંહે તેમને પોતાની છત્રછાયામાં લીધા અને અહીંયાથી જ શરુ થઈ સફળતાની એક સ્ટોરી. અત્યારસુધી અંડર-19 વર્લ્ડ કરમાં રમવામાં આવેલી પાંચ મેચમાં તેમણે પાકિસ્તાન વિરુદ્ધ અણનમ 105 રન, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 62 રન, ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ અણનમ 57 રન, જાપાન વિરુદ્ધ અણનમ 29 અને શ્રીલંકા વિરુદ્ધ 59 રન બનાવ્યા હતા.

મેરઠની નજીક કિલા પરીક્ષિત ગઢના રહેવાસી કેપ્ટન પ્રિયમ ગર્ગના માથેથી માતાની છત્રછાયા બાળપણમાં જ જતી રહી હતી. ત્રણ બહેનો અને બે ભાઈઓના પરિવારને તેમના પિતા નરેશ ગર્ગે સંભાળ્યા, જેમણે દૂધ, પેપર વેચ્યા અને બાદમાં સ્કૂલ વેન ચલાવીને પોતાના દિકરાના સ્વપ્નાઓને પૂરા કર્યા.

ગર્ગના કોચ સંજય રસ્તોગીએ જણાવ્યું કે, પ્રિયમે પોતાના પિતાના સંઘર્ષને જોયો કે જેઓ આટલે દૂર તેને લઈને આવતા હતા. આ જ કારણ છે કે તે ઈમાનદારીથી કંઈક બનવા માટે રમે છે. આ ભવિષ્યમાં એક મોટો પ્લેયર બનશે કારણ કે તેનામાં આ પ્રકારના ગુણો છે. પ્રિયમના પિતાએ પોતાના મિત્રો પાસેથી ઉધાર પૈસા લઈને પ્રિયમ માટે ક્યારે ક્રિકેટ કિટ અને કોચિંગની વ્યવસ્થા કરી હતી અને તેની મહેનત રંગ લાવી જ્યારે તે 2018 માં રણજીમાં સીલેક્ટ થયો.

શ્રીલંકામાં ગત વર્ષે એશિયા કપ ફાઈનલમાં બાંગ્લાદેશ વિરુદ્ધ પાંચ વિકેટ લેનારા અથર્વએ નવ વર્ષની ઉંમરે પોતાના પિતાને ગુમાવ્યા હતા. સાસુ, નણંદ અને બે દિકરાની જવાબદારી તેમની માતા વૈદેહી પર આવી પડી. વૈદેહીએ પોતાના પતિની જગ્યાએ મુંબઈમાં ઈલેકટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટની બસોમાં કન્ડક્ટરની નોકરી કરીને અથર્વને ક્રિકેટર બનાવ્યો.

વૈદેહીએ કહ્યું કે, અથર્વના પિતાનું સ્વપ્ન હતું કે તે ક્રિકેટર બને અને તેમના નિધન બાદ મેં તેમનું સ્વપ્ન સાકાર કરવામાં મારા દિકરાને ખૂબ મદદ કરી. તેઓ હંમેશા નાઈટ શિફ્ટ કરતા હતા કે જેથી દિવસે પોતાના દિકરાને પ્રેક્ટિસ કરાવી શકે. પરંતુ દિકરાની સફળતા જોવા માટે તેના પિતા ન રહ્યા. પોતાના સંઘર્ષના સમયને યાદ તેમણે જણાવ્યું કે, તે ખૂબ અઘરો સમય હતો. હું તેને મેદાન પર લઈ જતી પરંતુ બીજા બાળકો અભ્યાસ બાદ જ્યૂસ પીતા અથવા સારુ જમતા પરંતુ તે હું તેને ન ક્યારેય ન આપી શકી. તેમણે કહ્યું કે, અથર્વના મિત્રોના માતા પિતા અને તેના કોચોએ તેની ખૂબ મદદ કરી.

એશિયા કપ જીત્યા બાદ માએ પોતાના દિકરાને કોઈ ભેટ ન આપી પરંતુ તેના માટે તેને ભાવતું એક સુંદર પ્રકારનું સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર્યું. તેમણે કહ્યું કે, હવે અમારી સ્થિતિ પહેલા કરતા સારી છે, પરંતુ અમારો ખરાબ સમય, હજી અમને યાદ છે. આજે પણ ખુશીના સમયમાં તેને છપ્પન ભોગ નહી પરંતુ એ જ ભોજન પસંદ છે કે જે ખાઈને તે મોટો થયો છે. મોટાભાગે અથર્વની મેચના દિવસે વૈદેહીની ડ્યૂટી હોય છે પરંતુ હવે જ્યારે અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ રવિવારના રોજ છે તો તે આખી મેચ જોશે અને પોતાના દીકરાને મન ભરીને નિહાળશે.

નૌસેનાની તાકાત વધારવા આવી રહી છે સ્વદેશી હાઈટેક ક્રૂઝ મિસાઈલ

લખનૌ: નેવીમાં ચીન અને પાકિસ્તાનની વધતી જતી ક્ષમતા અને સમુદ્ર ખતરાને જોતા ભારત પણ તેની તાકત વધારવા માટે નવી હાઈટેક ક્રૂઝ મિસાઈલ બનાવી રહ્યું છે. લગભગ એક હજાર કિલોમીટર સુધીની દરિયાઈ સપાટી પરથી જમીન સ્તર પર હુમલો કરવામાં સક્ષમ આ ક્રૂઝ મિસાઈલને બ્રહ્મોસના લોન્ચર વડે છોડી શકાશે. આ મિસાઈલની રેન્જ સમગ્ર પાકિસ્તાન અને ભારતની સરહદ સાથે જોડાયેલા ચીનના મુખ્ય વિસ્તારોને આવરી લે એટલી છે. આ મિસાઈલ સબસોનિક સ્પીડથી ઉડાન ભરવામાં સક્ષમ છે.

ઓનમનોરમાના રિપોર્ટ અનુસાર બ્રહ્મોસના લોન્ચરને અત્યાર સુધીમાં 30 જંગી જહાજોમાં લગાવવામાં આવ્યું છે અને આ નવી મિસાઈલને પણ એ લોન્ચર વડે છોડી શકાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર નેવીએ આ પ્રકારની શક્તિશાળી મિસાઈલની માંગ કરી હતી જેને પગલે હવે ડીઆરડીઓ આ મિસાઈલનું નિર્માણ કરી રહ્યું છે. આગામી બે મહિનામાં આ પ્રોજેક્ટની મંજૂરી મળી શકે છે અને વર્ષ 2023ની શરુઆતમાં આ મિસાઈલનું પ્રથમ પરિક્ષણ કરવામાં આવે તેવી શક્યતા છે.

હાઈટેક મિસાઈલના 20 પરિક્ષણ કરવામાં આવશે

આ મિસાઈલના નિર્માણનું કામ ડીઆરડીઓની બેંગ્લુરુ સ્થિત લેબને સોંપવામાં આવ્યું છે. આ જ લેબોરેટરીમાં ભારતની પ્રથમ સબસોનિક ક્રૂઝ મિસાઈલ નિર્ભયનું પણ નિર્માણ કર્યું હતું. લખનૌમાં આયોજીત ડિફેન્સ એક્સપોમાં સરંક્ષણ સૂત્રોએ જણાવ્યું કે, આ હાઈટેક મિસાઈલના 20 પરિક્ષણ કરવામાં આવશે અને આ મિસાઈલને સંપૂર્ણ રીતે સ્વદેશી ટેકનીકથી બનાવવામાં આવશે. આ મિસાઈલ ઓછી ઉંચાઈ પર ઉડતા દુશ્મનો પર પ્રહાર કરવામાં સક્ષમ છે.

બુધવારે ડીઆરડીઓના એક્સપોમાં પહોંચેલા નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહે ઈચ્છા વ્યક્ત કરી કે આ નવી મિસાઈલનું શક્ય તેટલી ઝડપે પરિક્ષણ કરીને ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક વખત આ મિસાઈલનું ટ્રાયલ પૂર્ણ થઈ જશે તો નેવી તેના નિર્માણનો આર્ડર આપશે. 200 મિસાઈલો ખરીદવા પર નેવીને અંદાજે 5 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. આ મિસાઈલો શોર્ટ ટર્બો ફેન એન્જિનની મદદથી ચાલશે.

આ મિસાઈલમાં સ્વદેશમાં નિર્મિત સીકર લગાવવામાં આવશે. આ મિસાઇલનું એર વર્ઝન અને સબમરીન વર્ઝન પણ બનાવવામાં આવી રહ્યું છે. મિસાઈલ કાર્યરત થયા પછી નૌસેના એક હજાર કિલોમીટરના અંતરેથી દુશ્મન પર હુમલો કરી શકશે. આ મિસાઇલ ખૂબ ઓછી ઉંચાઇથી ઉડાન ભરશે, તેથી રડાર પકડવાની શક્યતા ઓછી રહેશે.

ડિફેન્સ પેન્શનના ખર્ચમાં તોતિંગ વધારોઃ સંરક્ષણ બજેટના 28 ટકા

નવી દિલ્હીઃ સરકારે 2015માં વન રેન્ક વન પેન્શન લાગુ કરવાની જાહેરાત કરી હતી, જેથી સેનાના કર્મચારીઓને મળનારા પેન્શનના બજેટમાં રૂ. 8600 કરોડનો વધારો થયો હતો. એ પછી વર્ષ 2017માં સરકારે જ્યારે સાતમા પગાર પંચની ભલામણોને લાગુ કરી ત્યારે એમાં ઓર વધારો થયો.

નાણાપ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા નાણાકીય વર્ષ 2020-21ના બજેટમાં સંરક્ષણ ક્ષેત્રના કર્મચારીઓના પેન્શન માટે રૂ. 1,33,825 કરોડની તોતિંગ ફાળવણી કરવામા આવી છે. સંરક્ષણ કર્મચારીઓના પેન્શનની રકમ છેલ્લાં 15 વર્ષોમાં 10.5 ગણી ઝડપથી વધતી અહીં સુધી પહોંચી છે. વર્ષ 2005-06માં સંરક્ષણ ક્ષેત્રે નોકરી કરતા કર્મચારીના પેન્શન માટે રૂ. 12,715 કરોડ ફાળવવામાં આવ્યા હતા.

સરકારના કુલ ખર્ચના 4.4 ટકા પેન્શનમાં

સંરક્ષણ કર્મચારીઓના પેન્શન માટે ફાળવવામાં આવેલી રકમ રૂ. 1,33,825 કરોડ કેન્દ્ર સરકારના 4.4 ટકા જેટલી થાય છે. આટલું જ નહીં, એ સંરક્ષણ બજેટના 28 ટકા હિસ્સો થાય છે.

પેન્શનથી ઓછો ખર્ચ આધુનિકીકરણ કરવા માટે

સંરક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવતા મૂડી ખર્ચ કરતાં પણ એ રૂ. 15,291 કરોડથી અધિક છે. મંત્રાલય દ્વારા કરવામાં આવતાં મૂડી ખર્ચનો મોટો હિસ્સો સશસ્ત્ર દળોના આધુનિકીકરણ પર ખર્ચ થાય છે. એ તો સ્પષ્ટ છે કે સરકાર પગાર અને પેન્શન પર જેટલો વધુ ખર્ચ કરશે, એનાથી ઓછો સેનાના આધુનિકીકરણ પર ખર્ચ કરશે.

મનરેગા, હેલ્થ અને એજ્યુકેશનના બજેટ પેન્શનથી પણ ઓછાં

સરકાર દ્વારા મનરેગા માટે ફાળવવામાં આવેલા રૂ. 61,500 કરોડની રકમ ડિફેન્સ પેન્શનના 46 ટકા બરાબર છે. આ સિવાય સરકારે પીએમની ફ્લેગશિપ યોજના સ્વચ્છ ભારત યોજના માટે રૂ. 12,300 કરોડ ફાળવ્યા છે. આ પ્રકારે સરકારે શિક્ષણ ક્ષેત્ર માટે રૂ. 99,300 કરોડ અને હેલ્થ માટે રૂ. 69,000 કરોડની જોગવાઈ કરી છે.

 

 

 

રાશિ ભવિષ્ય 07/02/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે તો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસ થઈ  શકે છે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે ,વડીલવર્ગે બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસ કરીને વાણી સયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, ડાયાબીટીસના દર્દી એ થોડી તકેદારી રાખવી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ  કામ કરવુ  યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં શાંતિ રાખવી અને તેમના કામમાં સહકાર આપવો યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે,


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસ પણ થઈ શકે છે, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બની શકે છે, તમારી કરેલી મહેનતનું  ફળ સારું મળે, યુવાવર્ગને અન્યનો સાથસહકારકે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, વડીલવર્ગને  માનસિકથાકની લાગણી વધુ લાગે તેવું બની શકે છે, ઉતાવળ અને ઉશ્કેરાટથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનુંજ કામ કરવું યોગ્ય છે, ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેબાબત તકેદારી રાખવી સારી કહી શક્ય..


આજનોદિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો, કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામકરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી કામ કર્યાનો સારો સંતોષ થાય.

રાશિ ભવિષ્ય 03/02/20 થી 09/02/20

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન તમારા મગજ માં વધુ વિચારો માનસિક થાકની લાગણી અને કામ ટાળવાની વૃતિ જગાવે તેના કારણે ક્યાંક ખોટી વાર્તાલાપ કે વાદ વિવાદ ની સંભાવના બની શકે.નાની નાની વાત માં ગુસ્સો ના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરી માં તકેદારી રાખવી જરૂરી છે. બજાર માં કામકાજ કરતી વખતે કામ માં ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લાવ્યા ની લાગણી નો અનુભવ થયા કરે. કોઈને વણમાંગી સલાહ સુચન ના આપવી. ખટપટ કે મજાક કરવાવાળા લોકો થી દુર રહેવામાજ શાણપણ છે.


લાગણીશીલ બની જવાય તેવું સપ્તાહ છે. તમારા સ્વભાવ માં કોઈના કામ માં સહભાગી થવાના ગુણ જાગે વળી ક્યાંક અંગત સંબંધ જેવાકે મિત્રતામાં,સગા સ્નેહીમી તમે મજાક કરવાની વૃતિ વાળા બનો. જૂની ઓળખાણ કે જૂની યાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિક પ્રસંગમાં તમારી હાજરી પ્રભાવી બની શકે છે.બજાર ના કામકાજ માં ઉત્સાહ ને સફળતા જોવા મળે તેવી સંભાવના વધુ રહેલી છે. જુના મતભેદ ભૂલવાની તક મળી શકેછે. નવી નોકરી કે ફેરબદલી કરવામાટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવી વસ્તુ શીખવી હોય તો આ સમય નો સદઉપયોગ કરવો સારો છે.


સપ્તાહ દરમિયાન ક્યારેય વાણી વિલાસના થાય તેનું દયાન રાખવું ઇચ્છનીય છે. ધરમાં કે કુટુંબ માં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજ માં ગેરસમજ થવાની સંભાવના રહેલી છે. કોઈ જગ્યા એ આકસ્મિક ખર્ચ થાય તેવું પણ બની શકે છે. આરોગ્ય બાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. બજાર ના કામકાજ માં ધીરજ અને અનુભવ થી કામકાજ કરવું અન્ય ની વાત માં દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરી કે વ્યવસાય માં સમય નો દુરુપયોગ અને કારણ વગર ની કામકાજ માં સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવું જરૂર પુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.


મિલન મુલાકાત કે હરવા ફરવા માં સમય વધુ પસાર થાય, તમારા કામ ની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીન ઓળખાણ થઇ શકે છે તેમાં લાભ ની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબ કે આસપાસ ના કોઈ જાહેર કાર્યક્રમ માં જવા ના યોગ છે તેમાં તમારી હાજરી નું વર્ચસ્વ પણ દેખાય.બજાર ના કામકાજ માં તમને ઉત્સાહ અને નવીન કાર્ય કરવા ની વૃતિ જાગે. યુવા વર્ગ ને તેમના મિત્ર વર્તુળ માંથી સારી જાણકારી કે વાત સંભાળવા મળે તેમજ મિત્ર વર્તુળ માંથી સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખત થી કોઈ વાત મન માં રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


સપ્તાહ દરમિયાન થોડો માનસિક ઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક ને ક્યાંક અશાંતિ રહ્યા કરે. વિચારો ની માયાજાળ માં ફસાયેલા રહો. કોઇની વાતને કારણે કોઈના પર ગુસ્સો ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. બજાર ના કામકાજ માં ધીરજ નો અને અનુભવ નો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજ માં દેખાઈ આવે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફ થી પણ પરેશાની રહે તેવી સંભાવના રહેલી છે. તમારી લાગણી દુભાતી હોય તેવું તમને માનશીક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુ ભક્તિ માં ધ્યાન અને મન પોરવી રાખો તો ઘણી માનશીક શાંતિ નો અનુભવ કરી શકો.


મન ની ઈચ્છા પૂરી થતી હોય તેવા એંધાણ દેખાવાની સંભાવના વધુ રહેલી છે. કોઈ તમારી પસંદગી ની વાત જાણે અજાણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ કરી જાય તેવા સંજોગો સંભવિત વધુ બને છે. ધાર્મિક ભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિક કે ધાર્મિક કાર્ય માં કઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય, બજાર ના કામકાજ માં કોઈ નવીન સમાચાર તમારા આત્મવિશ્વાસ માં વધારો કરી શકે છે. ઘણી જૂની ઓળખાણ તાજી થાય અને તેમાં તમારું મન આનંદ ની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થી વર્ગ કે યુવા વર્ગ જે કોઈ નોકરી કે વ્યવસાય માં નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારી વાત જાણવા મળે.


વિદેશ જવા ઈચ્છા ધરાવતી વ્યક્તિ માટે કોઈ લાભ ના કે સારી જાણકારી પ્રાપ્ત થાય તેવા સંજોગ ઉભા થઇ શકે છે. લગ્ન ની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવા વર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાની સંભાવના રહેલી છે જૂની વાત ક્યાય અટકેલી હોય તેમાં પણ પ્રયત્ન કરવા માં આવે તો નસીબ જોગ સંજોગ પણ સાથ આપી શકે છે. બજાર ના કામકાજ માં ગણતરી અને આયોજન પૂર્વક ના કામકાજ માં પણ સફળતા સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસ ના યોગ પણ બની રહ્યા છે તેમાં તમે આનંદ ઉત્સાહ અનુભવી શકો છે. તમારામાં સહકાર આપવાની ની ભાવના વધુ જાગે તેવું પણ બની શકે છે.


જાહેર જીવન માં તમને લોકો વચ્ચે થોડી મજાક મસ્તી કરવાની વૃતિ વધુ જાગે પરંતુ તેમાં તમારાથી કોઈ ની લાગણી ના દુભાય કે કોઈ ની ઉશ્કેરાટ ના ભોગ ના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જુના ક્યાય ઘરમાં કે નજીક ના સગા સ્નેહી માં કોઈ અણબનાવ કે મનદુઃખ થયું હોય તો તેવા સંબંધને સુધારવા ની કોશિશ કરતા તેમાં પણ સફળતા દેખાઈ શકે છે. બજાર ના કામકાજ માં તમને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામ માં સારી ઉપસી આવે.નવીન કાર્ય કરવા માં તમને અન્ય નો સાથ સહકાર કે માર્ગ દર્શન સારું મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ વધી શકે છે.


ધીરજ નો અભાવ અને અધીરા પણું વધુ જોવા મળી શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબત થી તકેદારી રાખવી. ખટપટ કરનાર વર્ગ થી દુર રેહવાની જરૂર છે જેથી ખોટી વાત માં દોરવાઈ ના જવાય. બજાર ના કામકાજ માં ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે. સલાહ, ઠપકો કે કઈ પણ પ્રકારનું માર્ગદર્શન કોઈ ને આપતા પેહલા વિચાર કરવો જરૂ છે કે તેમાં તેને કોઈ ગેરસમજ ના થઇ જાય. વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટ શબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહ પૂર્વક વર્તવા થી ઘણી શાંતિ અને સરળતા રહી શકે છે.


યાત્રા કે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારા માં ધાર્મિક ભાવના,વધુ જાગે લોક કલ્યાણ ના વિચારો વધુ જાગે તેવું સંભવિત છે સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવા માં અઘરો પડતો હોય તો તે વિષય શીખવા માં વધુ મહેનત કરવાથી સરાફ ફળ ની પ્રાપ્તિ થઇ શકે છે.બજાર ના કામકાજ માં લાભ ની કોઈ વાત સંભવિત બની શકે છે. લગ્ન માટે ની વાતચીત ગોઠવવી અને તેમાં મિલન મુલાકાત કરવી તેમાં કોઈ નો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશ જવા ઈચ્છા રાખનાર વર્ગ આ સપ્તાહ દરમિયાન તેમાં કોઈ પણ પ્રકાર ની કાર્યવાહી કરે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળી શકે.


કામકાજ માં વ્યસ્તતા અને માનસિક થાકની લાગણી અનુભવો. કામકાજ માં સમય નો વ્યય પણ વધુ થઇ શકે કોઈ નો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવી સંભાવના રહેલી છે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસ થી કામ માં રચ્યા પચ્યા રેહવું વધુ યોગ્ય છે. બજાર માં કામકાજ દરમિયાન નિર્ણય શક્તિ નો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘર માં વડીલ વર્ગ કે ઓફીસ માં ઉપરી અધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થવા ની સંભાવના રહેલી છે માટે “ ઓછું બોલવું વધુ સંભાળવું “ ની નીતિ અપનાવી વધુ યોગ્ય છે. મુસાફરી, પ્રવાસ થોડો કંટાળાજનક અને સમયના વ્યય થાય તેવો રહી શકે.


સપ્તાહ દરમિયાન ક્યાંક લાભ ની વાત ની આપ-લે થઇ શકે છે. મિત્રો, સગા સ્નેહી સાથે મિલન મુલાકાત માં તમે તમારી કોઈ ગમતી વાત સંભાળવા કે રજુ કરવાની તક મળી શકે છે. બજાર ના કામકાજ માં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. માર્કેટિંગ ક્ષેત્ર માં તમારી જૂની મિલન મુલાકાત ની યાદી બનાવી તેમાં કામ કરવાથી લાભ સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસ નું આયોજન સંભવિત બની શકે છે.  પેટ,અપચા ની તકલીફ સંભવિત છે, વડીલ વર્ગ ને જુના સંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિક કે ધાર્મિક કામકાજ માં જોડવા ની વૃતિ વધુ જાગે, કોઈ પ્રવૃત્તિ માં અન્ય નો સાથ સહકાર મળી શકે છે.

તું મને “સુખ” આપ, હું તને ડિગ્રી અપાવીશ..

તું મારું કામ કરીશ?

હા બોલો ને?

મારી એક ઇચ્છા છે…

હા તો કહો ને શું ઈચ્છા છે?

તું હા પાડે તો મારે એક વાર..સુખ…

કાચી વયે ફક્ત પરસ્પર આકર્ષણને લીધે એકબીજા સાથે સંપર્કમાં આવેલા યુવક-યુવતી વચ્ચે આવો સંવાદ થયો હોય એવું લાગે, પરંતુ અહીં એક શબ્દ નથી લખ્યો એ છે: ‘સર’.

આ વાતમાં જ્યારે એવું પૂછવામાં આવે છે કે શું ઇચ્છા છે? ત્યારે પાછળ સંબોધન ‘સર’નું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડી. માટે પોતાના ભવનના અધ્યક્ષને વિનંતી કરનાર એક વિદ્યાર્થિનીને એવું કહેવામાં આવ્યું કે પીએચ.ડી. તો શું, તને પ્રોફેસર પણ બનાવી દઈશ. બસ તું એક વાર….

આપણે આજે બધો દોષ સોશિયલ મીડિયા પર નાંખીએ છીએ પરંતુ અહીં આ માંગણી વિદ્યાર્થિની પાસે કરનાર પ્રોફેસર હરેશ ઝાલા સમાજશાસ્ત્ર-સોશિયોલોજી ભવનના અધ્યક્ષ છે. સૌરાષ્ટ્રના શિક્ષણક્ષેત્રે ફરી એક વાર ચર્ચાસ્પદ બનેલા કિસ્સામાં જો કે પ્રોફેસર ઝાલા સસ્પેન્ડ તો થઇ ગયા છે, પરંતુ વારંવાર આવું બને એનો ઉપાય ફક્ત સસ્પેન્શન છે?  જો કે હવે એમની વિરુધ્ધ પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય પણ લેવાયો છે. અને એ મુદ્દો પણ વિવાદ ધારણ કરે એમ લાગી રહ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના પ્રો.હરેશ ઝાલા કેમ્પસમાં આમ પણ જાણીતા છે. એમની વિરુદ્ધ ફરજના સમયે, ફરજના સ્થળે નશો કરેલી હાલતમાં હોવાનો પણ કેસ છે, પરંતુ આ કિસ્સાની ગંભીરતા વધારે છે. રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ચાલી રહી હતી ત્યારે આ બનાવ પ્રકાશમાં આવ્યો. અહીં આક્ષેપ કે પછી કોઇએ સાંભળેલી વાત નહોતી, પરંતુ સ્પષ્ટ સાંભળી શકાય એવી ઓડિયો ક્લિપ હતી.

ઓડિયો વાયરલ થયાના અડતાલીસ કલાકમાં એન્ટી-સેક્સ્યુઅલ વુમન હેરેસમેન્ટ સેલને તપાસની તાકિદ કરીને સત્ય શોધવા આદેશ થયો અને કુલપતિ ડો.નીતિન પેથાણીના જણાવ્યા મુજબ, પ્રો.હરેશ ઝાલાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.  કેમ્પસ પર એમના આવવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. ફોરેન્સિક સાયન્સના નિષ્ણાતની મદદ તપાસમાં લેવાઇ છે.

જેમને ગુરુ કહેવામાં આવે, જેમના પર વાલી,વિદ્યાર્થી અને વિદ્યાપીઠ ત્રણેયનો ભરોસો હોય એવા વ્યક્તિ પણ આવી વૃત્તિ ધરાવે એ કેવું?  કોઈ પ્રોફેસરને અંગત જીવનમાં કોઈ શોખ હોય કે સંબંધ, એની ચર્ચા અહીં નથી, પરંતુ જ્યારે એ અધ્યાપન જેવા પવિત્ર વ્યવસાયમાં છે ત્યારે પોતાના દરજ્જાનો આટલી હદે દુરુપયોગ કરે? આનો એક અર્થ તો એવો થાય કે આવી મનોવૃત્તિ ધરાવતા લોકો પાસે વિદ્યાર્થિનીઓએ મેરિટ પર માર્ક્સ કે ડિગ્રી લેવાની અપેક્ષા જ ન રાખવી?  અને એક ડિગ્રી માટે દીકરીઓએ પોતાની લાજ શું નેવે મૂકવી પડે?  આ તે કેવું શિક્ષણ અને કેવા સંસ્કાર?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવું પહેલીવાર નથી બન્યું. દોઢ વર્ષમાં આ ત્રીજો કિસ્સો છે. બાયો-સાયન્સ ભવનના અધ્યક્ષ નીલેશ પંચાલ અને અર્થશાસ્ત્ર ભવનના અધ્યાપક રાકેશ જોશી આવા કારણે જ સસ્પેન્ડ થયા હતા. બન્ને સામે વિદ્યાર્થિની પાસે અભદ્ર માંગણી કર્યાનો આક્ષેપ હતો. નીલેશ પંચાલના કિસ્સામાં નિવૃત્ત જજ પાસે તપાસ પણ થઈ હતી. યુનિવર્સિટીએ એ પછી તો ભવનના અધ્યક્ષ કે પ્રોફેસર્સની ચેમ્બરના દરવાજામાં કાચ રાખવા, એમાં સનફ્રેમ ન લગાડવી, સીસીટીવી કેમેરા રાખવા એવા નિર્ણય લેવાયા હતા. જો કે એનો અમલ પણ ચુસ્ત રીતે થતો નથી. જોકે, આ બધા વચ્ચે સવાલ તો એ છે કે પ્રાધ્યાપક દરજ્જાના લોકો માટે આવા નિયમ ઘડવા પડે?  કોઇ નિયમ ન હોય તો પણ પોતાની જાતને, વૃત્તિને આ વર્ગ કાબુમાં ન રાખી શકે?

જો પ્રોફેસર્સ જ આવું કરે તો વિદ્યાર્થીવર્ગને કોણ સંસ્કાર શીખવે? આ ત્રણ કિસ્સા તો બહાર આવ્યા છે એ સિવાય આવું નહીં બન્યું હોય એની પણ કોઇ સાબિતી નથી. અન્ય કોઇ પ્રોફેસરે કે આ જ લોકોએ અન્ય કોઇ વિદ્યાર્થિની પાસે આવી માંગણી નહીં કરી હોય એવું પણ નક્કી નથી. એટલે વાંક પ્રોફેસર્સનો તો છે જ પરંતુ જો કોઇ વિદ્યાર્થિની ફક્ત પાંચ-દસ માર્ક્સ કે એકાદ ડિગ્રીના સર્ટિફિકેટ માટે આવી માંગણીને વશ થાય તો એમના પક્ષે પણ એ યોગ્ય નથી.

અહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છાપ પણ સ્વભાવિક રીતે ખરડાઇ છે. હવે વિચારણા એવી ચાલી રહી છે કે વિદ્યાર્થિનીને મહિલા ગાઇડ પીએચ.ડી. માટે ફાળવવા. પરંતુ આ પણ પ્રેક્ટિકલ રસ્તો નથી. પુરુષ પ્રાધ્યાપક જ હોય અને છતાં વિદ્યાર્થિની સુરક્ષિત રહે એવું વાતાવરણ અને વ્યવસ્થા કેમ ઉભાં ન થાય?

દરમિયાન વળાંક તો એવો આવ્યો છે કે પ્રો. હરેશ ઝાલા અને વિદ્યાર્થિનીએ કહ્યું કે ઓડીયો ક્લિપમાં સંભળાતા અવાજ એ બન્નેના નથી. જો કે ફોરેન્સિક તપાસની પ્રક્રિયા તો ચાલુ રહી. સિન્ડીકેટની બેઠક મળી એમાં નિર્ણય થયો કે ફરિયાદ તો થશે. અને એમાં બીજો મુદ્દો પણ ભળ્યો કે તો પછી અગાઉના કિસ્સામાં શા માટે ફરિયાદ નહીં? એક ચર્ચા એવી પણ છે કે સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષપદની ખુરશી પણ અહીં કારણભૂત છે. કદાચ એ મુદ્દો પણ ન હોય તો નવાઇ.

દરમ્યાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણી ચિત્રલેખા.કોમને કહે છે અમે કોઇ પણ ભોગે આવું ચલાવી લેવા માંગતા નથી.

ત્રણેય કિસ્સામાં ત્વરિત પગલાં લીધા છે. શક્ય હોય ત્યાં સુધી વિદ્યાર્થિનીને મહિલા ગાઈડ પાસે પીએચ. ડી. કરવાનું થાય એવી વ્યવસ્થા કરીએ છીએ. દરેક ભવનમાં સી.સી.ટી.વી. કેમેરા છે. ભવનમાં અધ્યક્ષની અંગત ચેમ્બર પણ બંધ કરાવી દીધી છે. કોઈપણ વિદ્યાર્થિની જરૂર જણાય તો વુમન એન્ટી હેરેસમેન્ટ સેલમાં પણ રજૂઆત કરી શકે છે. એમના નામ ગુપ્ત જ રહેશે.

જો કે આ બધી વાતો હજી તો ચાલી રહી છે ત્યાં જ આખા પ્રકરણને સંકેલી લેવામાં આવ્યું છે. એન્ટિ-વુમન સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલે રિપોર્ટ આપી દીધો છે કે આમા પ્રોફેસર હરેશ ઝાલા દોષી નથી. પ્રોફેસર અને વિદ્યાર્થિનીએ કહ્યું કે, આ અમારો આવાજ નથી એ પછી ફોરેન્સિક લેબના તારણ વગર એવું માની લેવામાં આવ્યું કે આ અવાજ એમના નથી અને એમને ક્લીન ચીટ આપવામાં આવી છે.

(જ્વલંત છાયા-રાજકોટ)

RBIએ વ્યાજદરો જાળવી રાખતાં શેરોમાં સતત ચોથા દિવસે તેજીની આગેકૂચ

 અમદાવાદઃ રિઝર્વ બેન્કે ધિરાણ નીતિની જાહેર કર્યા બાદ શેરબજારોમાં સતત ચોથા દિવસે તેજીથઈ હતી. જેથી સેન્સેક્સ 163 પોઇન્ટ ઊછળીને 41,306ના મથાળે બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 48 પોઇન્ટ વધીને 12,137ના મથાળે બંધ આવ્યો હતો. આરબીઆઇએ આગામી સમયમાં એકોમોડેટિવ વલણ રાખીને વ્યાજકાપના સંકેતો આપ્યા હતા.

વૈશ્વિક બજારો અને એશિયન બજારોમાં પણ જળવાયેલી તેજીને પગલે સ્થાનિક બજારોમાં પણ તેજીની આગેકૂચ રહી હતી. બીજી બાજુ ચીનમાં પ્રસરેલો કોરોનો વાઇરસની અસર શેરબજારો ઓછી થઈ હતી. નિફ્ટી 50 ઇન્ડેક્સે મહત્ત્વની એવી 12,100ની સપાટી વટાવી હતી. રિઝર્વ બેન્કે ધિરાણ નીતિની સમીક્ષા કરતી વખતે ચાવીરૂપ વ્યાજદરો જાળવી રાખતાં એકોમોડેટિવ વલણ રાખ્યું હતું. જેથી આગામી સમયમાં વ્યાજદરોમાં કાપ મૂકવાના સંકેતો આપ્યા હતા.

રિઝર્વ બેન્કે અપેક્ષા અનુસાર રેપો રેટ 5.15 ટકાએ જાળવી રાખ્યો હતો. બેન્કે રિવર્સ રેપો રેટ 4.9 ટકાના દરે જાળવી રાખ્યો હતો.સ્થાનિક શેરબજારોમાં તેજીવાળાઓએ  પીએસયુ બેન્ક, ઓટો, મિડિયા, મેટલ, ફાઇનાન્શિયલ ફાર્મા અને ખાનગી ભેન્ક શેરોમાં ભારે લેવાલી ચાલુ રાખી હતી. જોકે  એફએમસીજી અને આઇટી શેરોમાં નફારૂપી વેચવાલી થઈ હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજીનું વલણ હતું.

 

 

શાહીનબાગમાં નવજાતનું મોતઃ 10 વર્ષની બાળકીએ માંગી “સુપ્રીમ” મદદ

નવી દિલ્હીઃ દિલ્હીના શાહીનબાગમાં સીએએ વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં ગત દિવસોમાં 4 મહિનાના એક નવજાત બાળકના મોતને લઈને 10 વર્ષની બાળકીએ સીજેઆઈને પત્ર લખીને મદદ માંગી છે.

રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર જીતનારી 10 વર્ષની બાળકી જેન ગુણારત્ન સદાવર્તેએ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને પત્ર લખ્યો છે. જેને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને મદદ માંગી છે કે, આ પ્રકારના ધરણા પ્રદર્શનમાં બાળકોને ન જોડવામાં આવે. આને લઈને સુપ્રીમ કોર્ટ ગાઈડ લાઈન જાહેર કરે.

ઉલ્લેખનીય છે કે, જેન ગુણારત્ન સદાવર્તે એક બહાદૂર બાળકી છે. જેનને આ વર્ષે રાષ્ટ્રીય વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. જેનને મુંબઈના ક્રિસ્ટલ ટાવરમાં લાગેલી આગમાંથી 17 લોકોના જીવ બચાવવા માટે રાષ્ટ્રીય વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી.જેને સ્કૂલમાં દુર્ઘટનાના સમયે કયા પ્રકારે પગલા લેવા તે શીખ્યું હતું. જ્યારે ક્રિસ્ટલ ટાવરમાં આગ લાગી હતી ત્યારે 10 વર્ષની બાળકીએ પોતાની હિંમત અને સૂઝબૂઝથી કામ કરીને ક્રિસ્ટલ ટાવરની આગથી 17 લોકોના જીવ બચાવ્યા હતા.