Home Blog Page 4829

કુણાલ કામરા અને એર ઇન્ડિયાઃ કરે કોઇ ને ભોગવે કોઇક!!

નવી દિલ્હીઃ વિલિયમ શેક્સપિયરે કહ્યું છે કે નામમાં શું રાખ્યું છ? પણ નામમાં જ ઘણુંબધું છે. ઘણી વખત એકસરખા નામને કારણે અસમંજતા ઊભી થતી છે. જેથી ક્યારેક કરે કોઈ અને ભરે કોઈ એવું થાય છે. કંઈક એવું જ કુણાલ કામરાની સાથે થયું. એર ઇન્ડિયાએ ભૂલથી ત્રીજી ફેબ્રુઆરીએ હાસ્ય કલાકાર કુણાલ કામરાને બદલે એક અન્ય કુણાલ કામરાની જયપુરથી મુંબઈની ટિકિટ રદ કરી દીધી હતી. આ વ્યક્તિ અમેરિકાના બોસ્ટન શહેરની રહેવાસી હતી એમ અધિકારીઓએ માહિતી આપી હતી.

હાસ્ય કલાકાર કુણાલ કામરાએ 28 જાન્યુઆરીએ મુંબઈથી લખનૌ જનારી ફ્લાઇટમાં રિપબ્લિક ટીવીના સંપાદક અર્ણબ ગોસ્વામીને પરેશાન કર્યા હતા. ત્યાર પછી ઉડ્ડયનપ્રધાન હરદીપ સિંહ પુરીની સલાહ મુજબ ઇન્ડિગો અને એર ઇન્ડિયા સહિત ચાર ઉડ્ડયન કંપનીઓએ પોતાની ફ્લાઇટોમાં કુણાલના પ્રવાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ઇન્ડિગોએ તેમના પર છ મહિનાનો પ્રતિબંધ મૂક્યો હતો, જ્યારે અન્ય કંપનીઓએ આ પ્રતિબંધની મર્યાદા નહોતી જણાવી.જોકે અધિકારીઓએ કહ્યું હતું કે જ્યારે કર્મચારીઓને માલૂમ પડ્યું કે તે પ્રવાસી હાસ્ય કલાકાર કુણાલ કામરા નથી ત્યારે તેમણે તેમની ભૂલ સુધારીને તેમને બીજી વાર ટિકિટ આપીને ફ્લાઇટમાં જવા દીધા હતા. એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હાસ્ય કલાકાર કુણાલ કામરા પર પ્રતિબંધ લાગેલો છે. આ બાબત સિસ્ટમમાં નોંધાયેલી છે, જેને કારણે તેમનું નામ (અન્ય કુણાલ કામરાનું) ઓટોમેટિક રદ થઈ ગયુ હતું, પણ બાદમાં માલૂમ પડતાં તેમને વિમાનમાં પ્રવાસ કરવા દેવામાં આવ્યો હતો.

 

શું છે કુણાલ કામરા-અર્ણબ ગોસ્વામી વિવાદ?

મશહૂર સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરા તેમની તીખી પ્રતિક્રિયા માટે સોશિયલ મિડિયા પર જાણીતા છે. તેઓ તેમના શોઝમાં કોઈ પણ પત્રકાર અને રાજકારણી પર તીખા હુમલા કરે છે. તેઓ ટ્વિટર પર રિપબ્લિક ટીવીના સ્ટાર એન્કર પત્રકાર અર્ણબ ગોસ્વામીને હંમેશાં ઘેરતા રહે છે, પણ હાલમાં કુણાલ અને અર્ણબ એકસાથે પ્લેનમાં પ્રવાસ કરી રહ્યા હતા. કુણાલે આ ઘટનાનો વિડિયો ટ્વીટર પર શેર કર્યો. કુણાલે અર્ણબ સાથે વિનમ્રતાથી વાત કરવા જણાવ્યું, પણ અર્ણબે વ્યસ્ત હોવાનું નાટક કર્યું. કુણાલે અર્ણબને અનેક પ્રશ્નો કર્યા, પણ અર્ણબે તેના કોઇ પણ સવાલો જવાબ ના આપ્યો. અર્ણબે એક પણ સવાલનો જવાબ ના આપતાં હાસ્ય કાલાકાર કુણાલ પાછો સીટ પર આવી બેસી ગયો. કુણાલે વ્યક્તિગતરૂપે બધા ક્રૂ સભ્યોની માફી માગી, સિવાય એકને છોડીને. કુણાલે આ ઘટના બાદ એક ટ્વીટ કરીને લખ્યું કે તારો માસ્ક ઊતરી ગયો અર્ણબ.

 કુણાલ કામરાએ માનસિક યાતના બદલ વળતર માગ્યું

શનિવારે કુણાલ કામરાએ ઇન્ડિગો એરલાઇનને કૂનૂની નોટિસ મોકલીને બિનશરતી માફી માગવા અને પ્રતિબંધ દૂર કરવા અને રૂ. 25 લાખ વળતરની માગ કરી હતી. કામરાના વકીલે એરલાઇનને મનમાની નિર્ણયથી તેમના અસીલને માનસિક પીડા અને આઘાત લાગ્યો હોવા બદલ શુક્રવારે નોટિસ મોકલી હતી.પાછલા સપ્તાહે ઇન્ડિગોની મુંબઈ-લખનૌ ફ્લાઇટમાં રિપબ્લિક ટીવીના તંત્રીને પરેશાન કરવા બદલ હાસ્ય કલાકાર કુણાલ કામરાને છ મહિના માટે તેમની ફ્લાઇટોમાં પ્રવાસ કરવા માટે પ્રતિબંધ મૂક્યો હતો.

ઇન્ડિગોએ પણ નિવેદનમાં કહ્યું છે કે કંપની આ મામલે મળનારી કાનૂની નોટિસનો યોગ્ય જવાબ આપશે. કામરાએ ઇન્ડિગોને નોટિસનો જવાબ આપવા એક સપ્તાહનો સમય આપ્યો છે.

92 વર્ષીય કે પરાશરન સહિત આ સભ્યોનો રામ મંદિર ટ્રસ્ટમાં સમાવેશ

લખનૌ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામાં રામ મંદિરનો સમગ્ર પ્લાન બતાવ્યો છે. તેમણે જાહેરાત કરી કે રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટની રચના કરવામાં આવી છે જેનું નામ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર રાખવામાં આવ્યું છે. આ ટ્રસ્ટમાં કુલ 15 સભ્યો હશે. જેમાંથી એક સભ્ય દલિત સમુદાયમાંથી હશે. ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવેલા લોકોમાં એડવોકેટ કે.પરાશરન, કામેશ્વર ચૌપાલ, મહંત દિનેન્દ્ર દાસ અને અયોધ્યા રાજ પરિવાર સાથે જોડાયેલા બિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા જેવા નામ સામેલ છે.

સુપ્રીમ કોર્ટના આદેશ પર ભારત સરકારે રાજપત્ર જાહેર કરીને કહ્યું કે, વિવાદીત સ્થળનો આંતરિક અને બાહ્ય પ્રાંગણનો કબ્જો ન્યાસને સોંપી દીધો છે. સાથે જ એ પણ સ્પષ્ટ કર્યું કે, કેન્દ્ર સરકાર અને ટ્રસ્ટ યોજના હેઠળ મંદિરના વિકાર પર કામ કરાવશે.

હવે આ ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવેલા લોકોના નામ સામે આવ્યા છે. ટ્રસ્ટના નિયમો અનુસાર એમાં 10 કાયમી સભ્યો છે, જેને વોટિંગનો અધિકાર હશે. અન્ય પાંચ સભ્યોને વોટિંગનો અધિકાર નહી હોય. ટ્રસ્ટના તમામ સભ્યો હિન્દુ હશે.

કે. પરાશરન

સૌથી પહેલા નામ 92 વર્ષીય વરિષ્ઠ વકીલ કે. પરાશરનનું છે. પરાશરને લાંબા સમય સુધી અયોધ્યા વિવાદ કેસમાં હિન્દુ પક્ષ તરફથી લડત આપી હતી. રામલલાના પક્ષમાં ચૂકાદો અપાવવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. પરાશરનને પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ જેવા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સરકારમાં એટર્ની જનરલ રહી ચૂક્યા છે. ટ્રસ્ટની રચના કે પરાશરનને રામ મંદિરની જમીનનો કબ્જો સોંપવામાં આવ્યો છે.

જગદગુરુ શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજ

બદ્રીનાથ સ્થિત જ્યોતિષ પીઠના શંકરાચાર્ય. જોકે, તેમના શંકરાચાર્ય બનવા પર વિવાદ પણ થયો હતો. જ્યોતિષ મઠની શંકરાચાર્યની પદવીને લઇને દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીએ હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

જગદગુરુ માધવાચાર્ય સ્વામી વિશ્વ પ્રસન્નતીર્થજી મહારાજ

કર્ણાટકના ઉડુપી સ્થિત પેજાવર મઠના 33મા પીઠાધીશ્વર છે. ડિસેમ્બર 2019માં પેજાવર મઠના પીઠાધીશ્વર સ્વામી વિશ્વેશતીર્થના નિધન બાદ આ પદવી સંભાળી.

યુગપુરુષ પરમાનંદજી મહારાજ

અખંડ આશ્રમ હરિદ્વારના પ્રમુખ. વેદાન્ત પર 150થી વધુ પુસ્તકો પ્રકાશિત થઇ ચૂકી છે. તેમણે વર્ષ 2000માં સંયુક્ત રાષ્ટ્રમાં આધ્યાત્મિક નેતાઓના શિખર સમ્મેલનને સંબોધિત કર્યું હતું.

સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજ

મહારાષ્ટ્રના અહમદ નગરમાં 1950માં જન્મ થયો. રામાયણ, ભગવદગીતા, મહાભારત અને અન્ય પૌરાણિક ગ્રંથો વિશે દેશ-વિદેશમાં પ્રવચન કરે છે. સ્વામી ગોવિંદ દેવ મહારાષ્ટ્રના વિખ્યાત આધ્યાત્મિક ગુરૂ પાંડુરંગ શાસ્ત્રી અઠાવલેના શિષ્ય છે.

બિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા

તેઓ અયોધ્યા રાજપરિવારના વંશજ છે. રામાયણ મેળા સંરક્ષક સમિતિના સભ્ય અને સમાજસેવક છે. 2009માં BSPની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી અને હાર્યા. ત્યારબાદ ક્યારેય રાજકારણમાં આવ્યા નથી. અયોધ્યાના કમિશ્નર એમપી અગ્રવાલે રામ જન્મભૂમિ રિસીવર તરીકે ચાર્જ છોડી દીધો છે. તેમણે આ ચાર્જ અયોધ્યા રાજ પરિવારના બિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રાને સોંપ્યો છે. બિમલેન્દ્ર મોહનને રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીના નિયમો અનુસાર કમિશ્નર જ રામ જન્મભૂમિના રિસીવર હોય છે.

બિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા

ડો. અનિલ કુમાર મિશ્રા

મૂળ રૂપે આંબેડકરનગર નિવાસી અનિલ અયોધ્યાના પ્રસિદ્ધ હોમિયોપેથિક ડોક્ટર છે. તેઓ હોમિયોપેથી મેડિસીન બોર્ડના રજિસ્ટ્રાર છે. મિશ્રાએ 1992માં રામમંદિર આંદલોનમાં પૂર્વ સાંસદ વિનય કટિયાર સાથે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. અત્યારે સંઘના અવધ પ્રાંતના પ્રાંત કાર્યવાહક પણ છે.

કામેશ્વર ચૌપાલ, પટના (SC સભ્ય):

સંઘે કામેશ્વરને પહેલા કારસેવકનો દરજ્જો આપ્યો છે. તેમણે 1989માં રામમંદિરમાં શિલાન્યાસની પહેલી ઈંટ રાખી હતી. રામમંદિર આંદોલનમાં સક્રિય ભૂમિક અને દલિત હોવાના કારણે તેમને આ મોકો મળ્યો છે. 1991માં રામવિલાસ પાસવાન વિરુદ્ધ લોકસભાની ચૂંટણી પણ લડી હતી.

મહંત દિનેન્દ્ર દાસ:

નિર્મોહી અખાડા, અયોધ્યા બેઠક, અયોધ્યા( નિર્મોહી અખાડાના પ્રતિનિધિ), જેઓ સુપ્રીમ કોર્ટના ચૂકાદાના પેરા 805(4)ના નિર્દેશાનુસાસન ટ્રસ્ટી હશે. 10 વર્ષની ઉંમરમાં જ દિનેન્દ્ર દાસને મઠિયા આશ્રમના મહંત બનાવવામાં આવ્યા હતા. ત્યારપછી તે સાધુ પરંપરામાં સામેલ થઈ ગયા.

કેન્દ્ર સરકાર દ્વારા નોમિનેટેડ એક પ્રતિનિધિ જે હિન્દુ ધર્મના હશે અને કેન્દ્ર સરકાર અંતર્ગત IAS અધિકારી હશે. આ વ્યક્તિ ભારત સરકારના સંયુક્ત સચિવના પદથી નીચે નહીં હોય. તે એક હોદ્દાની રૂએ સભ્ય હશે. તેવી જ રીતે રાજ્ય સરકાર દ્વારા નોમિનેટેડ એક પ્રતિનિધિ જે હિન્દુ ધર્મના હશે અને ઉત્તર પ્રદેશ સરકાર અંતર્ગત IAS અધિકારી હશે. તે વ્યક્તિ રાજ્ય સરકારના સચિવ પદથી નીચે નહીં હોય. તેઓ પણ એક હોદ્દાની રૂએ સભ્ય હશે.

અયોધ્યા જિલ્લાના ડિસ્ટ્રીક્ટ કલેક્ટર જે સરકારના પૂર્વ કર્મચારી અને હિન્દુ ધર્મના હશે તેમને જ ટ્રસ્ટી બનાવવામાં આવશે. જો કોઇ કારણથી વર્તમાન કલેક્ટર હિન્દુ નહીં હોય તો અયોધ્યાના એડિશનલ કલેક્ટર (હિન્દુ ધર્મ) હોદ્દાની રૂએ સભ્ય રહેશે.

રામમંદિર વિકાસ અને પ્રશાસનથી જોડાયેલા મામલાઓના ચેરમેન અને તેની નિયુક્તિ ટ્રસ્ટનું બોર્ડ કરશે. તેમનું હિન્દુ હોવું જરૂરી છે અને સાથે તે પૂર્વ કર્મચારી રહી ચૂક્યા હોવા જોઇએ.

આ ઉપરાંત કેટલાક પ્રશાસનિક અધિકારીઓને પણ ટ્રસ્ટમાં સામેલ કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે, અયોધ્યા મંદિર નિર્માણની જવાબદારી હવે ટ્રસ્ટની રહેશે. સાથે જ સરકારનો આ ટ્રસ્ટમાં કોઈ હસ્તક્ષેપ નહીં રહે. મંદિર નિર્માણ સંબંધિત તમામ નિર્ણયો ટ્રસ્ટ દ્વાર જ લેવામાં આવશે.

કોરોના વાયરસ ચીનમાં 495 જેટલા લોકોને ભરખી ગયોઃ WHO દ્વારા વૈશ્વિક કટોકટી જાહેર કરાઈ

બેજિંગઃ ચીનમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. ચીનમાં અત્યારે હજારો લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ચીને દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક દિવસમાં વાયરસના ચેપીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. આમાં આશાઓ વધી અને અથાગ પ્રયત્નોના પરિણામે આ વાયરસને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. તો દેશમાં મૃતકોની સંખ્યા વધીને 495 જેટલી થઈ ગઈ છે. આમાં સૌથી ઓછી ઉંમરનો દર્દી માત્ર 30 કલાકનો છે. WHO દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ વિરુદ્ધ કોઈ પ્રભાવશાળી ઈલાજ નથી. આ સાથે જ તેમણે કહ્યું કે, દવા અથવા વેક્સિનના ટેસ્ટિંગમાં અને તેના વિકાસમાં ઘણા વર્ષો લાગી જાય છે.

ચીનમાં ઘાતક કોરોના વાયરસથી મૃતકઆંક 495 થઈ ગયો છે અને 24,324 જેટલા કેસ નોંધાયા છે. બીજા દેશોમાં વાયરસના કેસની સંખ્યા 182 થઈ ગઈ છે. ફિલીપીનમાં પ્રથમ મોતનો મામલો સામે આવ્યો જ્યારે હોંગકોંગે રવિવારના રોજ એક વ્યક્તિના મોતની પુષ્ટી કરી છે.

ચીનમાં કોરોના પીડિતોમાં 30 કલાકના એક નવજાતનો પણ સમાવેશ થાય છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે, તેઓ વર્ટિકલ ટ્રાંસમિશનનો મામલો હોઈ શકે છે જેમાં સંક્રમિત માંથી બાળકમાં ગર્ભાવસ્થા દરમિયાન અથવા જન્મ બાદ ચેપ ફેલાય છે. બાળકને જન્મ દેતા પહેલા માતાના તપાસ રિપોર્ટમાં ચેપનો ખુલાસો થયો હતો.

આ વચ્ચે કોરોના વાયરસની સામે લડવા માટે ચીને 10 દિવસની અંદર 1000 બેડ વાળી હોસ્પિટલ બનાવીને તૈયાર કરી લીધી છે. જ્યારે 1300 બેડવાળી બીજી હોસ્પિટલ બુધવારે બનીને તૈયાર થઈ જશે. દિવસેને દિવસે ચીનમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. 1.4 અબજની વસ્તી વાળી ચીનમાં કોરોના સામે લડવા માટે મેડિકલ સાધનોની કમી આવી ગઈ છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનઇંગે કહ્યું, ચીનમાં મેડિકલ ઉપકરણોની કમી થઈ ગઈ છે. ચીનને તત્કાલ પ્રભાવથી મેડિકલ માસ્ક, મેડિકલ ગાઉન અને સુરક્ષા ગોગલ્સની જરૂર છે.ત્યાંના ઉદ્યોગ મંત્રાલય પ્રમાણે ચીનમાં સામાન્ય પરિસ્થિતિઓમાં દરરોજ 20 મિલિયન માસ્કનું ઉત્પાદન થાય છે, પરંતુ કોરોનાના કહેરને કારણે ફેક્ટ્રીઓ આજકાલ 60થી 70 ટકા ઉત્પાદન કરી રહી છે. પરંતુ ચીનને સાઉથ કોરિયા, જાપાન, કઝાકિસ્તાન અને હંગરીએ માસ્ક મોકલ્યા છે.

૨૮ દેશોમાં કોરોના વાઇરસનો ચેપ ફેલાયો છે અને ૨૦ દેશોમાં ચેપના કન્ફર્મ કેસ નોંધાતાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોના વાઇરસને વૈશ્વિક કટોકટી જાહેર કરી છે. આના પગલે અનેક દેશોએ ચીનનો પ્રવાસ કરવા માટે પ્રતિબંધો મૂકી દીધા છે અને ચીન જતી કે આવતી ફ્લાઇટો રદ કરી દીધી છે.

શાહીનબાગમાં ગોળી ચલાવનારના પિતાએ આપ્યું નવું નિવેદન અને થયો વિવાદ

નવી દિલ્હીઃ સીએએ વિરુદ્ધ દિલ્હીના શાહીનબાગમાં ચાલી રહેલા પ્રદર્શનમાં હવામાં ગોળીબાર કરનાર કપિલ ગુજ્જરના પિતાએ એક નિવેદન આપતા વિવાદ થયો છે, તેમણે દાવો કર્યો છે કે મારો પુત્ર વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો સમર્થક છે. જો કે તેમણે આ પહેલા દાવો કર્યો હતો કે અમારા પુત્રને રાજનીતિ સાથે કોઈ લેવાદેવા નથી. પોલીસે જણાવ્યું હતું કે, શાહીનબાગમાં ગોળી ચલાવનારા 25 વર્ષીય કપિલ ગુજ્જરે આમ આદમી પાર્ટીનો સભ્ય હોવાનું સ્વિકાર્યું છે. પોલીસે ફોટોગ્રાફ્સ પણ જાહેર કર્યા હતા, જે મામલે તેમણે જણાવ્યું હતું કે આ ફોટોઝ કપિલના ફોનમાંથી મળ્યા છે જેનાથી તે આપનો સદસ્ય હોવાનું સાબિત થાય છે. ફોટોગ્રાફ્સમાં કપિલ પાર્ટીની ટોપી પહેરીની આતિશી અને સંજય સિંહ જેવા આપ નેતાઓ સાથે દેખાઈ રહ્યો છે.

કપિલના પિતા અને ભાઈએ દિલ્હીમાં સત્તારુઢ આપ પાર્ટી સાથે કોઈ પ્રકરનો સંબંધ ન હોવાની વાત કહી હતી. કપિલના પિતા ગજે સિંહે કહ્યું હતું કે, ન મારો અને ન તો મારા પુત્રનો આપ સાથે કોઈ સંબંધ છે. તેઓ ગત વર્ષે લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે આવ્યા હતા અને બધાને આમ આદમી પાર્ટીની ટોપી પહેરાવી હતી.

દિલ્હી વિધાવસભા ચૂંટણી માટે શનિવારે (8 ફેબ્રુઆરી) ના રોજ થવા જઈ રહેલા મતદાનથી માત્ર ત્રણ દિવસ પહેલા કપિલ ગુજ્જરના સંદર્ભમાં પોલીસના નિવેદનથી આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે વાક્યુદ્ધ શરુ થઈ ગયું છે. આમ આદમી પાર્ટીના સંજય સિંહે પોલીસ પર ગૃહમંત્રી અમિત શાહના આદેશ પર કામ કરવાનો આરોપ લગાવ્યો, તો ભાજપે દાવો કર્યો કે પુરાવાઓથી અમારો દાવો સાચો સાબિત થાય છે કે આમ આદમી પાર્ટી અને તેના પ્રમુખ જ આ વિરોધ પ્રદર્શનો પાછળ જવાબદાર છે.

રિઝર્વ બેન્કે ધિરાણ નીતિની સમીક્ષા કરીઃ રેપો રેટ યથાવત્

નવી દિલ્હીઃ સતત ઘટી રહેલા જીડીપી ગ્રોથ અને મોંઘવારીમાં દરમાં થઈ રહેલા વધારાને લીધે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પાછલી ધિરાણ નીતિ ચાલુ નાણાકીય વર્ષ માટે પણ યથાવત્ રાખી હતી.  રિઝર્વ બેન્કે છઠ્ઠી દ્વિમાસિક ધિરાણ નીતિની સમીક્ષા કરી હતી અને નાણાકીય વર્ષ 2019-20ના છેલ્લા બે મહિના માટે ચાવીરૂપ વ્યાજદરો યથાવત્ રાખ્યા હતા. રેપો રેટ 5.15 ટકાએ જાળવી રાખ્યો હતો. આ ઉપરાંત આરબીઆઇએ એકોમોડેટિવ વલણ પણ જાળવી રાખ્યું છે.

રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ની બેઠક ચોથીથી છઠ્ઠી ફેબ્રુઆરી દરમ્યાન મળી હતી, એમ બેન્કે કહ્યું હતું. રિઝર્વ બેન્કે મહત્ત્વના વ્યાજદરો જાળવી રાખ્યા હતા. ચાલુ નાણાકીય વર્ષમાં સરકારે વિવિધ સ્થાનિક અને વૈશ્વિક પરિબળોને આધારે અને દેશની નબળી ખપતની માગને જોતાં દેશનો જીડીપી ગ્રોથ પાંચ ટકાનો અંદાજ્યો છે.

ડિસેમ્બરમાં રિટેલ ફુગાવાનો દર શાકભાજી- ખાસ કરીને ડુંગળી-ટામેટાં મોંઘાં બનતાં ફુગાવાનો દર વધીને પાંચ વર્ષની ઊંચાઈએ 7.3 ટકા આવ્યો હતો. જોકે સંસદમાં રજૂ કરાયેલા 2019-20ના આર્થિક સર્વેમાં આગામી નાણાકીય વર્ષે  અર્થતંત્ર અંદાજે છથી સાડા છ ટકાના દરે વધવાનું અદાજવામાં આવ્યું છે.

 

ગિરિરાજ સિંહે કહ્યુંઃ હવે આ આંદોલન નથી રહ્યું, સ્યુસાઈડ બોમ્બરનો નવો કાફલો બની રહ્યો છે

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા ગિરિરાજ સિંહે શાહીનબાગમાં થઈ રહેલા નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ પ્રદર્શનો પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, હવે આ આંદોલન નથી રહ્યું, સ્યુસાઈડ બોમ્બરનો નવો કાફલો બની રહ્યો છે. તેમણે ટ્વીટ કરતા કહ્યું કે, આ શાહીનબાગ હવે માત્ર આંદોલન નથી રહ્યું. અહીંયા સ્યુસાઈડ બોમ્બરો બની રહ્યા છે. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે તાજેતરમાં જ એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર આરોપ લગાવ્યો હતો કે તે જામિયા મિલિયા ઈસ્લામિયા અને એએમયૂ જેવા શૈક્ષણિક સંસ્થાનોમાં દેશ વિરુદ્ધ ઝહેર ઘોળી રહ્યા છે. સાથે જ કહ્યું કે, પાકિસ્તાનનું ગઠન આવા જ લોકોએ કહ્યું છે. સિંહે ટ્વીટ કર્યું હતું, ઓવૈસી જેવા ચરમપંથી જામિયા અને એએમયૂ જેવી સંસ્થાઓમાં દેશ વિરુદ્ધ ઝેર ઘોળીને દેશદ્રોહીઓની સેના તૈયાર કરી રહ્યા છે. ઓવૈસી અને તેમના જેવા અન્ય સંવિધાન વિરોધીઓને રોકવા પડશે. ભારતીય હવે જાગી ઉઠ્યા છે. અમને દબાવો નહી અને તોડો નહી. પાકિસ્તાન આપના માટે બનાવવામાં આવ્યું હતું, અમને શાંતિથી જીવવા દો.

કેન્દ્રીય મંત્રી ઓવૈસીનો વિડીયો ટેગ કર્યો હતો, જેમાં તેઓ લોકસભામાં બોલી રહ્યા હતા અને પ્રદર્શન કરી રહેલા જામિયાના વિદ્યાર્થીઓને પોતાનું સમર્થન આપી રહ્યા છે. સાથે જ સરકાર પર અત્યાચાર કરવાનો આરોપ લગાવી રહ્યા છે. સીએએ વિરોધ પ્રદર્શનો અને ઉત્તર પ્રદેશ પોલીસનો સંદર્ભ આપતા ઓવૈસીએ કહ્યુંકે, એક બાળકની આંખ જતી રહી, દીકરીઓને મારવામાં આવી રહી છે અને બાળકો પર ગોળીઓ ચલાવવામાં આવી રહી છે.

‘ગૂગલ ફોટોઝ’ માં ખામી: તમારો પણ અંગત ડેટા લીક થયો હોઈ શકે

નવી દિલ્હી: શું તમે ગૂગલની ફોટોઝ એપ વાપરો છો? તો તમારા માટે માઠા સમાચાર છે. ગૂગલની ફોટો એપ ગૂગલ ફોટોઝમાં મોટી ખામી હોવાનું સામે આવ્યું છે. આ કારણે યૂઝર્સની પ્રાઈવેસીને મોટું નુકસાન પહોંચ્યું છે. ગૂગલની આ ખામીને લીધે તમારા ગૂગલ ફોટોઝમાં રાખેલો પર્સનલ વીડિયો અજાણ્યા લોકોને શેર થઈ ગયા છે. ગૂગલે કેટલાક લોકોનો ક્લાઉડ ડેટા અન્ય લોકોને આપી દીધો છે. શક્ય છે કે તેમાં તમારો પણ સમાવેશ થયો હોય. ગૂગલે આ માટે યૂઝર્સને એલર્ટ કરવાના પણ શરૂ કરી દીધું છે.

કંપનીએ કહ્યું કે, સોફ્ટવેરમાં આવેલા એક બગને કારણે કેટલાક યૂઝર્સના અંગત વીડિયો ઈમેલ મારફતે અજાણ્યા લોકોની પાસે પહોંચી ગયા છે. ગયા વર્ષે 21 નવેમ્બરથી 25 નવેમ્બરની વચ્ચે ગૂગલની ટેકઆઉટ સર્વિસમાં આ ખામી સર્જાઈ હતી. ગૂગલ ટેકઆઉટ સર્વિસનો ઉપયોગ યૂઝર્સ પોતાના ડેટા ડાઉનલોડ કરવા માટે કરે છે.

આ ખામીનો શિકાર એવા યૂઝર્સ થયા છે જેમણે પોતાની ગૂગલ ફોટોઝ એપમાં રહેલા ડેટાને એક્સપોર્ટ કરવા માટે રિક્વેસ્ટ મોકલી હતી. ચાર દિવસ સુધી ગૂગલને પણ આ ખામી અંગે જાણકારી નહતી જેથી એક્સપોર્ટ ટૂલે અજાણ્યા યૂઝર્સના આર્કાઈવ્સમાં એ વિડિયો એડ કરી દીધા હતાં.

ગૂગલના એક પ્રવક્તાએ કહ્યું કે, અમે આ ખામીથી પ્રભાવિત બધા જ યૂઝર્સને એલર્ટ કરવાનું શરૂ કરી દીધું છે. અમે આ ખામીની સુધારી લીધી છે અને આ સમગ્ર ઘટનાની યોગ્ય રીતે તપાસ ચાલી રહી છે જેથી ભવિષ્યમાં આવી કોઈ ખામી ન સર્જાય. આ બદલ અમે યૂઝર્સની માફી માંગીએ છીએ.

આ ટેક્નીકલ ખામીને લીધે કેટલા લોકોના અંગત વિડિયો અજાણ્યા લોકો પાસે પહોંચ્યા છે એ અંગે ગૂગલે કોઈ જાણકારી નથી પણ ગૂગલે કહ્યું છે કે, તેનાથી 0.01 ટકા કરતા પણ ઓછા યૂઝર્સ પ્રભાવિત થયા છે. મહત્વનું છે કે, વિશ્વભરમાં ગૂગલ ફોટોઝના 100 કરોડથી પણ વધુ યૂઝર્સ છે, જેથી 0.01 ટકાનો અર્થ છે કે, ખામીને કારણે લાખો યૂઝર્સના ડેટાને નુકસાન પહોંચ્યું છે.

ભારતીય સેનામાં ત્રણ વર્ષમાં સૈન્ય કમાન્ડઃ સૌથી મોટું પુનર્ગઠન

નવી દિલ્હીઃ આગામી ત્રણ વર્ષમાં ભારતીય સેનાના ઇતિહાસમાં સૌથી મોટું પુનર્ગઠન આર્મી, એરફોર્સ અને નેવીની કામગીરીને એકીકૃત કરવાવાળા સેના કમાન્ડસનું સંચાલન શરૂ કરવામાં આવશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ સંભાળ્યા પછી સૌપ્રથમ વાર પોતાના સંબોધનમાં જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે તેમનું લક્ષ્ય સેનાની ત્રણ પાંખની સર્વિસિસને વિકસિત કરવામાં આવે, જેમાં તેમની આંતરિક ક્ષમતા, માલસામાન અને સૈનિકોને મિલિટરી કમાન્ડ્સ માટે એકીકૃત કરવી. તેમનો ઉદ્દેશ છે ખર્ચમાં ઘટાડો કરવો,  સૈનિકોની યોગ્ય રીતે ગોઠવણી કરવી અને સશસ્ત્ર દળો (ત્રણે પાંખ)ને એકજૂટ રૂપે લડાઈ લડે –એ માટે તૈયાર કરવાં.

ચીફ ઓફ ડિફેન્સ (સીડીએસ) સ્ટાફને હાલ અંતિમ સ્વરૂપ નથી અપાયું. સીડીએસ તૈયાર થઈ રહેલા પ્રસ્તાવો જોઈ રહ્યું છે. જેથી તેમાં એક પશ્ચિમી થિયેટ કમાન્ડ, નોર્થન થિયેટ કમાન્ડ જે લદ્દાખથી લઈને નેપાળની સરહદને કવર કરશે અને જમ્મુ-કાશ્મીર માટે એક અલગ થિયેટ કમાન્ડનું ગઠન થશે.

પાકિસ્તાન અને ચીનને લગતી જમીનની સરહદોને કવર કરવાવાળી સિવાય ભારતની પાસે નેવી હેઠળ એક પેનિન્સુલા કમાન્ડ હશે. આ સાથે જ એર ડિફેન્સ હેઠળ એક એર ડિફેન્સ કમાન્ડ, સ્પેસ કમાન્ડ, વિવિધ સર્વિસ લોજિસ્ટિક અને તાલીમ કમાન્ડ પણ હશે. દરેક થિયેટ કમાન્ડમાં એક અભિન્ન એર ફોર્સ કમાન્ડ હશે અને તે આવશ્યકતાનુસાર વધારાના વિમાન તહેનાત કરી શકશે. સીડીએસે કહ્યું હતું કે સ્ટોક સંચાલન, હાલનો બધો શસ્ત્ર સરંજામ એક છત્ર હેઠળ એકીકૃત રહેવો જોઈએ અને એના નિયંત્રણ મુદ્દે સરળીકરણ થવું જોઈએ.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને સેનાની ત્રણે પાંખના પ્રમુખોની વચ્ચે પ્રારંભિક ચર્ચા થઈ ચૂકી છે. જેથી એ સ્પષ્ટ થાય છે કે નિયત સમયની અંદર કમાન્ડોને સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ કરવાનો તેમનો ઉદ્દેશ છે.

જનરલ રાવતે કહ્યું હતું કે ઉચ્ચ મૂલ્યવાળા સેના અધિગ્રહણ, જેમ નૌસેના માટે પ્રસ્તાવિત ત્રીજું વિમાનવાહક જહાજ-અર્થતંત્ર કેવી રીતે આગળ વધે છે, એના પર નિર્ભર કરે છે. નેવીએ ત્રીજા સ્વદેશી વિમાનવાહક જહાજની મંજૂરી આપવા માટે વર્ષો સુધી સરકારથી લડાઈ લડી છે, જે હાલમાં આઇએનએસ વિક્રમાદિત્ય અને આઇએનએસ વિક્રાંત, જેનું જલદી પરીક્ષણ શરૂ થવાનું છે- એ પૂરક હશે.

આ જ પ્રકારે ભારતીય એરફોર્સ માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને લાગે છે કે ઉચ્ચ સર્વિસ પૂરી પાડવા માટે મોંઘાં લડાકુ વિમાનની ખરીદીને ઘટાડવી મહત્ત્વપૂર્ણ છે. દેશ 114 લડાકુ વિમાનોને અધિગ્રહણ કરવાની પ્રક્રિયામાં છે, જેને માટે વૈશ્વિક ટેન્ડર પહેલાં જ બહાર પાડવામાં આવ્યાં છે.

જનરલ રાવતે વિગતવાર સમજાવતાં કહ્યું કે મેઇનટેનન્સ સાઇકલને જુઓ તો ઓછા સમયમાં વધુ વિમાનો અધિગ્રહણ થાય તો એકસાથે તેમની જાળવણની જરૂર પડશે. એનો અર્થ એ થયો કે આમાંથી કેટલાય એકસાથે એક સમય માટે કમિશનની બહાર થી જશે.આ સિવાય એરફોર્સ માટે શ્રેણીબદ્ધ અધિગ્રહણની એક પ્રણાલીનો મતલબ થશે કે કમસે કમ કેટલાંક મહત્ત્વનાં સંસાધન જેવા કે લડાકુ વિમાન હેલિકોપ્ટર અને ડ્રોનના ઉપયોગમાં લેવા માટે ઉપલબ્ધ હશે, જ્યારે અન્યની સર્વિસ કરવામાં આવી રહી હશે.

દેશમાં ગોળા-બારુદનું ઉત્પાદન

સેનાનો ખર્ચ ઘટાડવાનો અન્ય એક ઉપાય એ હશે કે ઉચ્ચ ગુણવત્તાવાળા ગોળા-બારુદનું દેશમાં ઉત્પાદન કરવામાં આવે. તેમણે સવાલ કર્યો હતો કે જો ગોળા-બારુદની ઉપયોગિતાનો યોગ્ય સમય 10 વર્ષ છે તો શું તમે એને 20 વર્ષ માટે સ્ટોક કરશો? એ જરૂરી છે કે જરૂરત વખતે ઝડપથી ગોળા-બારુદના ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસાવવામાં આવે.

પેન્શન ખર્ચમાં ઘટાડો કરવો

સૌથી દૂરગામી પ્રસ્તાવોમાં એક છે સશસ્ત્ર દળોના રૂ. 1.33 લાખ કરોડના પેન્શન બજેટમાં કાપ કરવાની આવશ્યકતાથી જોડાયેલી છે. જે  અધિકારી રેન્કના કર્મચારીને 58 વર્ષની વય સુધી નિયોજિત કરવામાં સક્ષમ કરશે. તેમણે કહ્યું હતું કે એક તૃતીયાંશ લોકો 58 વર્ષની ઉંમર સુધી કામ કરી શકે છે, હાલમાં સશસ્ત્ર દળોના સૈનિકો 37-38 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જાય છે, જ્યારે અધિકારી સામાન્ય રીતે 58 વર્ષની વયે નિવૃત્ત થાય છે. પેન્શનનું બજેટ બહુ વધુ છે. શું એ વધુ હોવું જોઈએ?

બિનજરૂરી વ્યયને ઘટાડવો એ પ્રાથમિકતા

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે પ્રાથમિકતાઓ જણાવતાં કહ્યું હતું કે તેઓ ખોટા વ્યયને કમસે કમ કરવાની કોશિશો કરશે. બિનજરૂરી પુરવઠો અને સ્ટોકિંગને અટકાવશે અને સંભવ હશે તો જનરેટર અને વાહનોના પુર્જાઓ જેવા સામાનોનું ઝીરો સ્ટોકિંગ તરફ વધશે, કેમ કે આવો માલસામાન બજારમાં સરળતાથી મળી રહેશે. તેમણે કહ્યું હતું કે સરપ્લસ માલસામાન અને કર્મચારીઓનું અસરકારક સંચાલન કરવાની તાતી જરૂર છે.

 

રાશિ ભવિષ્ય 06/02/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે,  માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા,વાગવા,કફ,છાતી,પ્રેસરજેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો  યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.