Home Blog Page 4829

પંચાંગ 28/04/2020

Chitralekha Marathi – May 04, 2020

PDF Version
This post is only available to members.

સુવિચાર – ૨૮ એપ્રિલ, ૨૦૨૦

સુવિચાર – ૨૮ એપ્રિલ, ૨૦૨૦

નર્સનો ગણવેશ પહેરી મુંબઈનાં મેયર હોસ્પિટલમાં સેવા આપવા પહોંચ્યાં

મુંબઈઃ શહેરનાં મેયર કિશોરી પેડણેકર ભૂતપૂર્વ નર્સ છે. આજે તેઓ મહાનગરપાલિકા સંચાલિત નાયર હોસ્પિટલમાં નર્સનો યુનિફોર્મ પહેરીને ગયાં હતાં અને ત્યાંની નર્સો સાથે વાતચીત કરી હતી તેમજ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં મદદરૂપ પણ થયાં હતાં.

મુંબઈનાં મેયરે આમ 19 વર્ષે ફરી નર્સનો ગણવેશ પહેર્યો હતો.

કિશોરી પેડણેકરને અને એમાંય નર્સનાં ગણવેશમાં જોઈને હોસ્પિટલનાં કર્મચારીઓને સુખદ અનુભવ થયો હતો.

મેયર પેડણેકરે હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપી, દેખભાળ કરીને કોરોના વાઈરસ સામે લડતા સ્ટાફની પ્રશંસા કરી હતી.

મુંબઈના ધારાવી વિસ્તારમાં નવા 34 કેસ નોંધાયા

દરમિયાન, માત્ર દેશ નહીં, પણ સમગ્ર એશિયા ખંડની સૌથી મોટી ઝૂંપડપટ્ટી એવા ધારાવી વિસ્તારમાં આજે કોરોના વાઈરસના વધુ 34 કેસો નોંધાયા હતા. આ સાથે ધારાવીનો જ કોરોના કન્ફર્મ્ડ કેસનો આંકડો વધીને 275 થયો છે.

મહારાષ્ટ્રમાં આજે કોરોનાનાં નવા 440 કેસ મળ્યા હતા. આ સાથે રાજ્યમાં કોરોના દર્દીઓનો આંકડો વધીને 8 હજારને પાર ગયો છે. આમાંના 1,188 દર્દીઓ સાજા થઈ જતાં એમને તેમના ઘેર મોકલી દેવામાં આવ્યા છે.

આર્થિક રીતે બેહાલ પાકિસ્તાનથી સૌ પીઠ ફેરવી ગયા

ઈસ્લામાબાદ: પાકિસ્તાનને હવે આ મુશ્કેલ ઘડીમાં દુનિયાનો કોઈ જ દેશ આર્થિક મદદ કરવા તૈયાર નથી. વડાપ્રધાન ઈમરાન ખાને પોતે જ દાવો કર્યો છે કે, એકેય દેશ કે એકેય વૈશ્વિક સંસ્થા આ મુશ્કેલીના સમયમાં અમારી આર્થિક મદદે આવ્યા નથી. આર્થિક રીતે બેહાલ પાકિસ્તાન પર કોરોનાનો બેવડો માર પડી રહ્યો છે. પાકિસ્તાને પહેલાથી જ આઈએમએફ અને વર્લ્ડ બેંક પાસેથી અબજો ડૉલર ફંડ મેળવી પોતાનું અર્થતંત્ર જેમ તેમ કરીને આગળ ધપાવી રહ્યો છે અને તેવામાં હવે કોરોના વાઈરસે તેની કમર તોડી નાખી છે.

પ્રભાવશાળી લોકો અને પત્રકારો સાથે વાતચીત કરતા ઈમરાન ખાને કહ્યું કે, મહામારીના કારણે દેશની અર્થવ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કોઈ દેશે કે વૈશ્વિક સંગઠને એક ડોલરની પણ મદદ કરી નથી. જોકે, આઈએમએફ દ્વારા પાકિસ્તાનને લોન રિપેન્ટમાં રાહત આપવામાં આવી છે, એમ ઈમરાન ખાને કહ્યું.

આવનારો સમય પણ પાકિસ્તાન અને ઈમરાન ખાન માટે મુસીબત બનવાનો છે, કારણ કે એકેય દેશ મદદ કરવા માટે તૈયાર નથી. થોડાં દિવસ પહેલાં જ ઈમરાને વૈશ્વિક સમુદાયને અપીલ કરી હતી કે નબળા દેશોનું ઋણ માફ કરી દેવું જોઈએ. મહામારી પછી જે સ્થિતિનું નિર્માણ થશે તે સમગ્ર વિશ્વ અને પાકિસ્તાન માટે એક મોટી પરીક્ષા હશે. પાકિસ્તાનમાં ઘરવિહોણા લોકોને લોકડાઉનથી સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે અને હાલ વિદેશી પાકિસ્તાનીઓ તરફથી પણ કોઈ મદદ નથી મળી રહી.

ઓટો ઉદ્યોગની માઠી દશાઃ મંદી, ઉપરથી કોરોનાની લાત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના લોકડાઉનની વચ્ચે ઓટો ક્ષેત્રે ફેક્ટરીઓથી માંડીને ડીલરશિપ બંધ છે અને કોવિડ-19 રોગચાળાને કારણે દેશભરમાં લોકો ઘરે બેઠા છે, ત્યારે ભારતીય કારઉત્પાદકો માટે સૌથી ખરાબ મહિનો એપ્રિલ રહ્યો છે, કેમ કે સૌપ્રથમ વાર એવું બન્યું છે કે એપ્રિલમાં એક પણ કાર ના વેચાઈ હોય. ઓટો ઉદ્યોગની છેલ્લા ઘણા સમયથી મંદી હતી, એમાં એપ્રિલ મહિનો વેચાણની દ્રષ્ટિએ કોરોધાકોર રહ્યો છે.

કાર ઉત્પાદક કંપનીઓનો સેલ્સ ગ્રાફમાં સતત ઘટાડો એ ચિંતાનો વિષય બન્યો છે. આમ પણ મંદીનો માર ભારતીય ઓટો ઉદ્યોગમાં પર હતો જ અને કોરોના વાઇરસે પડતાને પાટુ મારવાનું કામ કર્યું છે. દેશમાં 24 માર્ચથી લઈને ત્રણ મે સુધી લોકડાઉન છે, જેથી ઉત્પાદનથી માંડીને માગમાં રેકોર્ડ ઘટાડો થયો છે.

કારઉત્પાદકો શું કહે છે?

સ્કોડા ઓટોના જેક હોલિસે ટ્વિટર પર એક મેસેજ શેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘ઓટો ઉદ્યોગમાં મારી 30 વર્ષની કેરિયરમાં કદાચ આ પહેલી જ વાર બન્યું છે કે એક મહિનામાં એક પણ કાર ના વેચાઈ હોય. મને વિશ્વાસ છે કે વેપાર-ધંધા બહુ ઝડપથી પાટે ચઢશે. દરેક જણે સરકારની માર્ગદર્શિકાનું પાલન કરો.’  જેક હોલિસ સ્કોડ ઇન્ડિયાના ડિરેક્ટર છે.

મારુતિ સુઝુકીના ચેરમેન આર. સી. ભાર્ગવે કહ્યું હતું કે એપ્રિલ મહિનામાં સેલ્સના ડેટામાં બહુ મોટો ઘટાડો નોંધાયો હશે. તેમણે કહ્યું હતું કે કેટલીક અસામાન્ય વાતો જોવા મળી. ઉદાહરણ તરીકે જોઈએ તો આવું પહેલાં ક્યારેય નથી થયું કે કોઈ પણ મહિનામાં એક પણ કારનું વેચાણ ના થયું. એપ્રિલ આવો જ મહિનો છે. સ્થાનિક સેલ્સમાં 46.4 ટકાનો ઘટાડા પછી મારુતિ સુઝુકીએ ઉત્પાદનમાં 32 ટકાનો કાપ મૂક્યો હતો. માર્ચમાં કંપનીએ કુલ 79,080 કારોનું વેચાણ કર્યું હતું.

કાર કંપનીઓના વેચાણમાં ઘટાડો

માર્ચ મહિનામાં હ્યુન્ડાઈ મોટર્સના વેચાણમાં 40.69 ટકાનો જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો. આ કંપનીએ માર્ચમાં કુલ 36,300 કારો વેચી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ અને ટાટા મોટર્સના વેચાણમાં 90 ટકા અને 84 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

નવા લોન્ચિંગમાં પણ સંકટ

માર્કેટ વિશ્લેષકો અનુસાર લોકડાઉન પછી નવી વ્યૂહરચના હેઠળ કામ કરવું પડશે. કાર ઉત્પાદકો હવે નવી કારોનું લોન્ચિંગ કરવાની સ્થિતિમાં નથી. કેમ કે દરેક કારઉત્પાદકો પાસે પહેલેથી જ માલભરાવો છે. વળી હાલના સમયમાં નિકાસ પણ થઈ શકે એમ નથી, કેમ કે વિશ્વભરમાં કોરોના વાઇરસનો ફેલાવો છે.

મુંબઈ પોલીસની મદદે અક્ષય કુમાર; આપ્યા રૂ. બે કરોડ

મુંબઈઃ કોરોના વાઈરસ સામેના યુદ્ધમાં મુંબઈના ફિલ્મઉદ્યોગનાં સેલિબ્રિટી વ્યક્તિઓ વિવિધ તંત્રોની મદદ માટે ખડેપગે રહે છે. કેટલાક કલાકારોએ વડા પ્રધાન સહાયતા ભંડોળમાં રકમ દાનમાં આપી છે, તો કેટલાકે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાં મદદ કરી છે તો કેટલાક અન્ય સેવાભાવી સંસ્થાઓના સહયોગમાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યા છે.

અભિનેતા અક્ષય કુમારે જાગતિક રોગચાળા સામેના જંગમાં દિવસ-રાત મહેનત કરી રહેલા મુંબઈના પોલીસજવાનોની મદદ માટે આગળ આવ્યો છે. એણે મુંબઈ પોલીસને રૂ. બે કરોડની મદદ કરી છે.

મુંબઈના પોલીસ કમિશનરના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે. એમણે અક્ષય કુમારનો આભાર વ્યક્ત કર્યો છે.

અક્ષયે મુંબઈ પોલીસ ફાઉન્ડેશન સંસ્થાને રૂ. બે કરોડ દાનમાં આપ્યા છે. આ રકમ મુંબઈ શહેર અને શહેરીજનોને સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ રહેતા પુરુષ અને મહિલા પોલીસકર્મીઓની તબીબી દેખભાળ માટે ઉપયોગમાં લેવામાં આવશે.

અક્ષય આ પહેલાં પીએમ કેર્સ ફંડમાં રૂ. 25 કરોડ, મહારાષ્ટ્ર મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાં રૂ. પાંચ કરોડ તેમજ થિયેટર માલિકો તથા ફિલ્મસિટીના કર્મચારીઓની મદદ માટે પણ રકમનું દાન કરી ચૂક્યો છે.

કોરોના મામલે મુખ્ય પ્રધાનો સાથે મોદીની ચોથી વિડિયો પરિષદ…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઈરસ મહામારી સામે કેન્દ્ર સરકારે આદરેલી લડાઈના સંદર્ભમાં લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે 27 એપ્રિલ, સોમવારે નવી દિલ્હીમાંથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય પ્રધાનો સાથે વિડિયો કોન્ફરન્સ યોજી હતી.

પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં લોકડાઉન લાગુ કરવાથી સકારાત્મક પરિણામો મળ્યા છે. દેશ દોઢ મહિનામાં હજારો લોકોના જીવ બચાવી શક્યો છે.

મોટા ભાગના મુખ્ય પ્રધાનોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે લોકડાઉનને ઉઠાવી લેવું જોઈએ. પરંતુ મેઘાલયે વિરોધ કર્યો હતો અને કહ્યું કે લોકડાઉન લંબાવવું જોઈએ.

ઓડિશાસ, ગોવા અને હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાનોએ મેઘાલયને ટેકો આપ્યો હતો.

આજની બેઠકમાં હાજરી આપનાર મુખ્ય પ્રધાનોમાં દિલ્હીના અરવિંદ કેજરીવાલ, કેરળના પી. વિજયન, ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકરે, તામિલનાડુના ઈ.કે. પલાનીસ્વામી, મેઘાલયના કોનરાડ સંગમા અને ઉત્તરાખંડના ત્રિવેન્દ્રમ સિંહ રાવતનો સમાવેશ થાય છે.

બેઠકમાં અમિત શાહ, ડો. હર્ષવર્ધન જેવા કેન્દ્રીય પ્રધાનો તેમજ વડા પ્રધાન કાર્યાલય, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ટોચના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

લોકડાઉનમાં કંટાળી ગયા છો? ટ્રાઈ કરો વિશેષ ગૂગલ ડૂડલ

નવી દિલ્હી: ઈન્ટરનેટ સર્ચ એન્જિન ગૂગલ હંમેશા લોકો માટે કંઈક નવી એક્ટિવિટી કરતું રહે છે. કોરોના લોકડાઉનમાં લોકો ઘરે બેઠા બેઠા કંટાળી ન જાય અને સાથે કંઈક નવું શીખે એ ઉદેશ્યથી ગૂગલે એક વિશેષ ડૂડલ બનાવ્યું છે. ગૂગલે જે ડૂડલ લાઈવ કર્યું છે તેને કિડ્સ કોડિંગના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે બનાવવામાં આવ્યું છે. આ કિડ્સ કોડિંગ ગેમને વર્ષ 2017માં ગૂગલે ડૂડલ તરીકે રજૂ કરી હતી.

ગૂગલનું આજનું ડૂડલ બાળકો માટે ખૂબ જ મજેદાર છે. આ ડૂડલ ગેમમાં એક સસલુ છે જેણે ગૂગલમાં રહેલા તમામ ગાજર એક્ઠા કરવાના છે. આ ગેમ સરળ હોવાની સાથે તમે તેને નોન પ્રોગ્રામર્સ તરીકે પણ રમી શકો છો. 1960ના દાયકામાં બાળકો માટે પ્રથમ કોડિંગ લેંગ્વેજ લોગ આવી હતી ત્યારે લોકોએ એને અશક્ય અને અર્થ વગરની ગણાવી હતી. આ લેંગ્વેજને સેમોર પેપર્ટ અને એમઆઈટીના રિસર્ચર્સે ડિઝાઈન અને ડેવલપ કરી હતી.

લોગો બાળકોને ટર્ટલ પ્રોગ્રામ અને મૂવમેન્ટ કન્ટ્રોલ કરવાની મંજૂરી આપે છે. સાથે આ ગણિત અને વિજ્ઞાનમાં આઈડિયા એક્સપ્લોર કરવાની પણ તક આપે છે. જો તમે હાલ લોકડાઉનમાં ઘરે કંટાળી ગયા હો તો આ ગેમ ટ્રાઈ કરી શકો છો. આ મજેદાર ગેમને ગૂગલ ડૂડલ ટીમ, ગૂગલ બ્લોકલી ટીમ, અને એમઆઈટી સ્ક્રેચ ટીમે મળીને બનાવી છે. આ ગેમ રમવાની સાથે તમે નવી વસ્તુ પણ શીખી શકો છો. આશા છે કે, આગામી દિવસો ગૂગલ આવી અન્ય કોડિંગ ગેમ પણ લઈને આવશે.

કર્મચારીઓની નિવૃત્તિ વય ઘટાડવાનો કેન્દ્ર સરકારનો કોઈ વિચાર નથી

નવી દિલ્હીઃ કર્મચારીઓ, જાહેર ફરિયાદો, પેન્શનને લગતી બાબતોના ખાતાના કેન્દ્રીય રાજ્યકક્ષાના (સ્વતંત્ર ચાર્જ) પ્રધાન જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓની નિવૃત્તિની વય ઓછી કરવા માટે કોઈ વિચાર નથી થઈ રહ્યો. તેમણે આ સંબંધમાં મિડિયામાં આવેલા અહેવાલોને પણ ફગાવી દીધા હતા. કેન્દ્ર સરકારના કર્મચારીઓની નિવૃત્તિ વય હાલ 60 વર્ષ નક્કી કરવામાં આવી છે. સરકારી કર્મચારીઓની  નિવૃત્તિની વયને 50 વર્ષની કરવા માટે સરકાર દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હોવા સંબંધિત સમાચારોને ફગાવતાં જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે ન તો સરકાર દ્વારા એવો કોઈ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે અને ન તો સરકારમાં કોઈ પણ સ્તરે આવી કોઈ વિચારણા થઈ રહી છે.

તેમણે કહ્યું હતું કે  દરેક વખતે આવા સમાચારોનું ખંડન કરવું પડે છે, જેથી એનાથી લોકોનો ભ્રમ દૂર થઈ શકે. તેમણે કહ્યું હતું કે આ દુઃખની વાત છે, કે જ્યારે દેશ કોરોના વાઇરસના સંકટ સામે લડી રહ્યો છે ત્યારે કેટલાંક તત્ત્વો એમના અંગત હિતો માટે સરકારનાં કાર્યો પર પાણી ફેરવી રહ્યાં છે અને એટલે મિડિયામાં આવા સમાચારો ફેલાવી રહ્યાં છે. આનાથી વિરુદ્ધ સરકાર અને DOPTએ શરૂઆતથી જ કર્મચારીઓનાં હિતોની રક્ષા માટે તત્કાળ પગલાં ભર્યાં છે.

ઓછા કર્મચારીઓને ઓફિસ બોલાવવા

લોકડાઉનની જાહેરાત સાથે જ DOPTએ ઓફિસો માટે દિશા-નિર્દેશ જારી કર્યા હતા કે બહુ જરૂરી હોય તો અથવા ન્યૂનતમ કર્મચારીઓને ઓફિસ બોલાવવા. આ ઉપરાંત DOPTએ દિવ્યાંગ કર્મચારીઓને આવશ્યક સેવાઓમાંથી પણ રાહત આપવાનો નિર્દેશ ક્યો હતો.

પેન્શનમાં 30 ટકાનો કાપ મૂકવાની પણ અફવા

સિંહેર કહ્યું હતું કે પાછલા સપ્તાહે પણ એક ખોટા સમાચાર હતા કે સરકાર પેન્શનમાં 30 ટકાનો કાપ મૂકવાની છે અને 80 વર્ષથી વધુ વયવાળા કર્મચારીઓનું પેન્શન બંધ કરવાનો નિર્ણય લેવાની છે. તેમણે કહ્યું કે ગઈ 31 માર્ચ સુધી એક પણ પેન્શનધારક એવા નહોતા, જેમના ખાતામાં પેન્શનની રકમ જમા થઈ ન હોય. એટલું જ નહીં, જ્યાં જરૂર લાગી ત્યાં પેન્શનધારકને એમના નિવાસસ્થાને જઈને પેન્શનની રકમ પહોંચાડવા માટે ટપાલ વિભાગની સેવા લેવામાં આવી હતી.