Home Blog Page 4830

નવા ટેક્સ માળખા વિશે શું વિચારે છે કરદાતા અને નિષ્ણાતો?

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા બજેટ-2020માં ઇન્કમ ટેક્સના દરોમાં ફેરફાર કર્યો છે. તેમણે ઇન્કમ સ્લેબની જાહેરાત કરી છે જેમાં નવા ટેક્સ માળખામાં નીચે મુજબ ટેક્સના સ્લેબની દરખાસ્ત કરી છે.

રૂ. 2.50 લાખ સુધી     ઝીરો
રૂ. 2.50 લાખથી વધુ અને રૂ. 5 લાખ સુધી  5 ટકા
રૂ. 5 લાખથી વધુ અને રૂ. 7.50 લાખ સુધી 10 ટકા
રૂ. 7.50 લાખથી વધુ અને રૂ. 10 લાખ સુધી 15 ટકા
રૂ. 10 લાખથી વધુ અને રૂ. 12.50 લાખ સુધી  20 ટકા
રૂ. 12.50 લાખથી વધુ અને રૂ. 15 લાખ સુધી    25 ટકા
રૂ. 15 લાખથી વધુ  30 ટકા

નાણાપ્રધાને નવા ટેક્સ માળખાની જાહેરાત કરતાં કહ્યું હતું કે આ નવી વ્યવસ્થા વિકલ્પરૂપે હશે. આનો અર્થ એ થયો કે જો કોઈ વ્યક્તિ જૂના ટેક્સ માળખા પ્રમાણે ટેક્સ ભરવા ઇચ્છે તો તે એવું કરી શકશે. નવી વ્યવસ્થા મુજબ રૂ. 2.50 લાખની આવક પહેલાંની જેમ કરમુક્ત હશે અને રૂ. 2.5 લાખથી રૂ. 5 લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ ચૂકવવો પડશે.

ઇન્કમ ટેક્સની જૂની વ્યવસ્થા મુજબ કરદાતાઓએ ટેક્સ ચૂકવતી વખતે કેટલાય પ્રકારની કપાત અને રાહત મળતી હતી. નવા ટેક્સ માળખાની જાહેરાત કરતાં તેમણે કહ્યું હતું કે જો કોઈ ટેક્સ પેયર્સ નવા ટેક્સ માળખાનો લાભ લેવા ઇચ્છે તો તેણે 100માંથી 70 કપાતને છોડવી પડશે.

ટેક્સ વિશ્લેષકોના જણાવ્યા અનુસાર આ એક નિરર્થક કવાયત છે. નાણાપ્રધાને નવા ટેક્સ માળખાને રજૂ કરતાં કહ્યું હતું કે નવા ટેક્સ માળખાને સરળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જોકે ટેક્સ નિષ્ણાતે જણાવ્યું હતું કે  ભાગ્યે જ કોઈ કરદાતા જૂના માળખામાં મળતા લાભને છોડવાનું પસંદ કરશે. આ ઉપરાંત નવા ટેક્સ માળખાના લાભ-ગેરલાભ સમજવા માટે ટેક્સ નિષ્ણાતની મદદ લેવી પડશે.

ભાગ્યે જ કોઈ કરદાતા હશે, જે 80સી હેઠળ મળનારો લાભ જતો કરશે. આ સાથે જૂના ટેક્સ માળખામાં રૂ. 50,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન, એલટીએ, હોમ લોન પરનું વ્યાજ, સિનિયર સિટિઝનને વ્યાજની આવક પર મળનારી રૂ. 50,000ની છૂટ સામેલ છે. જે નવા ટેક્સ માળખાનો લાભ લેતાં જતી કરવા પડશે.

અમે જામિયાના બાળકોની સાથેઃ ઓવૈસીએ પણ ઝંપલાવ્યું

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસથી સીએએ-એનઆરસીનો મજબૂત કરી રહેલા જામિયા મિલિયાના વિદ્યાર્થીઓની વ્હારે ઓવૈસી આવ્યા છે. AIMIMના ચીફ અવાસુદ્દીન ઓવૈસીએ જામિયા મિલિયાના વિદ્યાર્થીઓનો મુદ્દો આજે સંસદમાં ઉઠાવ્યો હતો અને કહ્યું કે હું તેમનું સમર્થન કરું છું. તો આજે લોકસભામાં પણ ઓવૈસીએ જાહેરાત કરી કે તેઓ જામિયાના બાળકોની સાથે છે. તેમણે કહ્યું કે, સરકાર વિદ્યાર્થીઓ સાથે અત્યાચાર કરી રહી છે, દીકરીઓને મારી રહી છે.

લોકસભામાં કાર્યવાહી દરમિયાન ઓવૈસીએ કહ્યું કે, સરકાર બાળકો પર અત્યાચાર કરી રહી છે. તેમણે કહ્યું કે, અમે બધા જામિયાના વિદ્યાર્થીઓ સાથે છીએ. આ સરકાર બાળકો પર અત્યાર કરે છે. એક બાળકની આંખ જતી રહી, જણાવો કે શાં માટે એમને મારી રહ્યા છો. આ લોકોનામાં શરમ નથી, બાળકોને મારી રહ્યા છે.

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં જામિયાના વિદ્યાર્થીઓ આશરે એક મહિનાથી વિરોધ કરી રહ્યા છે. દિલ્હી પોલીસે સીએએ વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા અને તોડફોડના ગુનામાં અનેક લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓનો ભૂતકાળ ગુનાહિત છે અને આમાં કોઈપણ વિદ્યાર્થી નથી.

લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચોધરીએ કહ્યું કે, દેશના સામાન્ય માણસો સંવિધાન બચાવવા માટે પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, સંવિધાન પકડીને બેઠેલા અને રાષ્ટ્રગિત ગાઈ રહેલા આ લોકો પર ગોળીઓ વરસાવવામાં આવી રહી છે. દેશના લોકોને ક્રૂરતાથી મારવામાં આવી રહ્યા છે.

રાશિ ભવિષ્ય 03/02/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે સાવચેતી અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, કામકાજઅર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરીનુંજ કામ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ મસ્તીમજાકમાં પસાર થઈ શકે છે, તમને તમારા કામમાં અન્યનો સાથ-સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , જુનાકોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, કોઈની સાથે અગત્યની વાર્તાલાપ કરવાની હોયતો તેમાં પણ તમને કોઈનો સારોસહયોગ મળી શકે છે, તમારા મનમાં રહેલી કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે, બજારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનુંકામ કરવું યોગ્ય છે, પ્રિયજન સાથે ખરીદીકે મુસાફરી થોડીખર્ચાળ બને તેવું બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટ પટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું.કોઈની ઉશ્કેરીજનક વાતથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય , મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈ લાભની વાત આપલે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, પોતાની પસંદગીની કોઈ ખરીદી કરવી હોયતો પણ ફળીભૂત થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મોજશોખમાં સમય પસાર થાય.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, અગત્યની કોઈ વાર્તાલાપ ક્યાંક ફળીભૂત થાય તેવા સંજોગો ઉભા થાય અને તેમાં તમારો ઉત્સાહ વધે.


આજનો દિવસે સાવચેતી રાખવી, કોઈ વાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, પ્રેશર, ડાયાબીટીસના દર્દીએ આજના દિવસે કાળજી રાખવી, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ મનમાં રહ્યા કરે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યું કે મનનું કામ થઇ  શકે તેથી તમે સારી ખુશી અનુભવી શકો, અગત્યની વાત ક્યાંક કરવાની હોયતો તેમાં પણ સારું કામ થાય અને કોઈની મદદ સલાહ પણ મળી શકે છે, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં અનુભવ મુજબ નાનુંકામ સારું કહી શકાય, કોઈ અણધાર્યા કામ આવી જવાથી સમયનો વ્યય થાય અને તમે કંટાળો અનુભવો તેવું બની શકે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરીના યોગ છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો તેમજ કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં સારો પ્રતિસાદમળી શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.

મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ વધ્યોઃ શું અર્થતંત્ર પાટે ચડી રહયું છે?

અમદાવાદઃ જાન્યુઆરીમાં દેશમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની કામગીરી આશરે આઠ વર્ષની ઊંચાઈએ પહોંચી હતી. જાન્યુઆરીમાં  નવા બિઝનેસ ઓર્ડર્સમાં વધારો થયો હતો, જે માગમાં રિકવરી થઈ રહી હોવાના સંકેત છે. વેચાણમાં વધારો થવાને કારણે ઉત્પાદન એકમોમાં વધુ કર્મચારીઓની ભરતી થઈ હતી, જે પાછલાં સાત વર્ષમાં સૌથી વધુ છે. જેથી અર્થતંત્ર પાટે ચડી રહ્યું હોવાનું જણાય છે. આ એક ખાનગી સર્વેમાં જણાઇ આવ્યું છે.

દેશમાં અર્થતંત્રમાં પ્રસરેલી મંદીની વચ્ચે પાછલા કેટલાક મહિનાઓમાં પહેલી વાર સકારાત્મક આંકડા આવ્યા છે. દેશનો જીડીપી ગ્રોથ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 4.5 ટકાએ હતો, જે છ વર્ષમાં સૌથી નીચલા સ્તરે હતો.

જાન્યુઆરીમાં માગમાં નોંધપાત્ર વધારો થવાને કારણે નવા વેપાર, ઉત્પાદનવધારો, નિકાસ, એકમોની ખરીદીમાં વધારો અને રોજગારમાં વધારો થયો હતો. આ સમયગાળામાં બિઝનેસ સેન્ટિમેન્ટ પણ સાનુકૂળ રહ્યું હતું.

જાન્યુઆરીમાં ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ ડિસેમ્બરના 52.7ની તુલનાએ 55.3 આવ્યો હતો. જે છેલ્લાં આઠ વર્ષમાં સૌથી વધુ હતો. જે ફેબ્રુઆરી, 2012 પછી પીએમઆઇનો સૌથી વધુ ગ્રોથ છે. આ પીએમઆઇ ઇન્ડેક્સ 50ની નીચે હોય તો વેપારનું સંકોચન દર્શાવે છે અને 50ની ઉપર હોય તો વેપારનું વિસ્તરણ દર્શાવે છે.

સતત છેલ્લા 30 મહિનાથી મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ 50ની ઉપર આવી રહ્યો છે, જે દર્શાવે છે કે વેપારમાં  વિસ્તરણ થઈ રહ્યું છે. વળી, કુલ વેચાણમાં વધારો વિદેશનાં બજારોની માગને મજબૂત કરશે.  નવેમ્બર, 2018થી નવા નિકાસ ઓર્ડર્સમાં ઝડપી વધારો થઈ રહ્યો છે.

નીતિશકુમારની નૌટંકીઃ કોઈને ના સમજાતું નાટક

બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમારે નવી નૌટંકી શરૂ કરી છે. તેમણે ખાસ ગણાતા પ્રશાંત કિશોરને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. પ્રશાંત કિશોરને જનતા દળ (યુ)ના ઉપપ્રમુખ બનાવાયા હતા. એવું લાગતું હતું કે જાણે તેઓ કિશોરને વારસદાર તરીકે નીમી રહ્યા છે. આગળ જતા પોતે દિલ્હીમાં જાય તો પાછળ બિહારનું સુકાન કિશોરને સોંપી શકાય. જેડીયુના દિલ્હી ખાતેના સારા પ્રવક્તા તરીકે જાણીતા પવન વર્માને પણ હાંકી કાઢવામાં આવ્યા છે. પવન વર્માએ વિરોધ કર્યો હતો કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે જોડાણ કરવાનો શો અર્થ છે. એક તરફ સીએએ અને એનઆરસીનો વિરોધ અને વળી પાછી ભાજપ સાથે દિલ્હીમાં દોસ્તી – એ ક્યા નૌટંકી હુઈ ભઈ?

આવો સવાલ માત્ર પવન વર્માએ નહિ, પણ ઘણાએ પૂછ્યો છે. પરંતુ નીતિશકુમારની નૌટંકી એબ્સર્ડ ડ્રામા જેવી સાબિત થઈ રહી છે. એપ્સર્ડ પ્લે તેના લખનારાને પણ સમજાતું હશે કે કેમ, જોનારાને ભાગ્યે જ સમજાતું હોય છે. તેનું વિવેચન વાંચવું પડે ત્યારે સમજ પડે, અથવા કહો કે ગેરસમજ ઉલટાની વધે. નીતિશકુમારના કિસ્સામાં એવું જ થઈ રહ્યું છે. તેઓ વારંવાર પલટી મારીને દેશના શ્રેષ્ઠ પાટલીબદલુ સાબિત થઈ રહ્યા છે. ભાજપ સાથે દોસ્તી તોડવાની તૈયારી કરી રહ્યા છે એવું વિવેચન તેમનું એબ્સર્ડ થિયેટર જોઈને થયું હતું. તે વિવેચન ગેરસમજ કરનારું હોય તે રીતે તેઓ દિલ્હી પહોંચીને ભાજપના નેતા અમિત શાહ સાથે સભાઓ ગજવી રહ્યા છે.

એવું કહેવાય છે કે અમિત શાહે થોડા વખત પહેલાં, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ હતા ત્યારે જ, જાહેરમાં એવી સ્પષ્ટતા કરી દીધી હતી કે બિહારમાં નીતિશના નેતૃત્ત્વમાં ચૂંટણી લડાશે. ગઠબંધન રહેશે, પણ મુખ્યપ્રધાન નીતિશ રહેશે તેવી ખાતરી મળી એટલે તેઓ અમિત શાહની જીહજૂરી કરવા માટે દિલ્હીમાં હાજર થઈ ગયા. પણ તો પછી તક મળ્યે, એટલે કે ઝારખંડ પછી દિલ્હીમાં પણ વિધાનસભામાં ભાજપને જીત ના મળે તો ભાજપથી જુદા થઈ જવાની વાત ક્યાં જતી રહી?

કદાચ બંને પક્ષે ગરજ ઊભી થઈ છે. બિહારમાં એકલે હાથે ચૂંટણી જીતી શકાશે નહિ તે ભાજપને સમજાઈ ગયું છે. સાથે જ નીતિશકુમારને ખ્યાલ આવી ગયો કે પાટલીબદલુની છાપ પછી હવે તેના પર આરજેડી અને કોંગ્રેસના ટેકેદારો વિશ્વાસ કરશે નહિ. તેથી તેમના માટે પણ એકલા હાથે ચૂંટણી લડવી મુશ્કેલ છે. આરજેડી અને કોંગ્રેસના શરણમાં જઈને સમાધાન થઈ શકે તેવી એક શક્યતા હતી, પણ તે બહુ મુશ્કેલ કામ તેમને લાગ્યું હશે. શરણમાં બેસીને સાવ સામાન્ય થઈ જવાનું હોય તો પછી ભાજપ સાથે જ સામાન્ય થઈને શા માટે ના રહેવું? કદાચ એવું તેમણે વિચાર્યું હશે.

સીએએ માટે ટેકો આપ્યો પણ પછી નીતિશકુમારે ગણગણાટ શરૂ કર્યો હતો. ત્યારબાદ એનઆરસીના મુદ્દે સ્પષ્ટ વલણ લીધું હતું કે બિહારમાં તેનો અમલ નહિ થાય. તેમણે કબાટમાં પડેલા પોતાના બિનસાંપ્રદાયિક ધોતિયાને કાઢીને ફરી પહેરી લીધું હતું. પ્રશાંત કિશોરની સલાહ પ્રમાણે એનઆરસીનો વિરોધ કોમવાદી ધોરણે નહિ, પણ ગરીબવાદી ધોરણે કરવાની સ્ટ્રેટેજી ઉપયોગી થાય તેવી હતી. પ્રશાંતની સલાહ પ્રમાણે ભાજપનો, નરેન્દ્ર મોદીનો, સીએએ કે એનઆરસીનો સીધો વિરોધ કરવાના બદલે, ગરીબ માણસો પાસે દસ્તાવેજો ના હોય, ગરીબ માણસોને હેરાન ના કરાય એવો સૂર વ્યક્ત કરવાનો હતો.

નોટબંધીમાં સામાન્ય માણસ હેરાન હેરાન થઈ ગયો હતો. આસામમાં એનઆરસી આવ્યું તેના કારણે પાંચ લાખ હિન્દુઓ જ બાકાત થઈ ગયા. અમે બિહારના ગરીબોને, જમીનવિહોણાને, જન્મતારીખના દાખલા ના ધરાવતા લોકોને હેરાન કરવા માગતા નથી તેવો મુદ્દો જેડીયુને કામ લાગે તેવો હતો, પણ નીતિશકુમારે તેમની નૌટંકીમાં નવો જ અંક શરૂ કર્યો છે. તેમણે પ્રશાંત કિશોર અને પવન વર્મા બંનેને દૂર કર્યા છે. આ બંને કદાચ હવે આમ આદમી પાર્ટી કે પછી સરપ્રાઇઝ સાથે કોંગ્રેસમાં પણ જોડાઈ શકે છે. વચ્ચે પવન વર્માએ એક મુલાકાતમાં એવો ધડાકો પણ કર્યો હતો કે નીતિશકુમાર એક તબક્કે કોંગ્રેસમાં જોડાઈ જવા માગતા હતા. આખી પાર્ટી સહિત કોંગ્રેસમાં ભળી જવાની તેમની ગણતરી હતી તેવું પવન વર્માએ કહ્યું હતું. જોકે તે વિવાદ બહુ આગળ વધ્યો નથી.

બીજી વાત એ છે કે પ્રશાંત કિશોર અને પવન વર્મા દિલ્હીમાં હોવાથી તેમનું કદ વધવા લાગ્યું હતું. નીતિશકુમારે (અને તેમના જેવા ચાલાક દરેક નેતાએ) તેમના અસલ રાજકારણ પ્રમાણે ક્યારેય પોતાના ટેકેદારોને એક હદથી આગળ વધવા દીધા નથી. આ બંને નેતાઓનું કદ વધી રહ્યું હતું એટલે તેમને હટાવવા જરૂરી હતા. રાષ્ટ્રીય કક્ષાએ આ બંને નેતા જેડીયુના ચહેરા બની ગયા હતા. પ્રવક્તા તરીકે અને વ્યૂહકાર તરીકે બંને ટીવીમાં સતત ચમકતા હતા. હવે આ બંનેને જેડીયુના નવા આવેલા પ્રવક્તાઓ ‘કોરોના વાયરસ’ કહે છે! નીતિશકુમારે કહ્યું કે પોતાને અમિત શાહની ભલામણ હતી એટલે પ્રશાંત કિશોરને પક્ષમાં લીધા હતા. આ રીતે તેમણે પ્રશાંત કિશોરની છાપને ભાજપતરફી, હિન્દુત્વતરફી, ઉગ્રતાતરફી ઠરાવવાની પણ કોશિશ કરી છે.

પ્રશાંત કિશોર અને પવન વર્મા બીજા કયા ચોંકાવનારા ખુલાસા કરે છે તેની હવે રાહ જોવાઈ રહી છે. તે સાથે જ બિહારનું અને નીતિશકુમારનું નાટક વધારે રોચક બનવાનું છે. દિલ્હી રાજ્ય નાનું છે અને પૂર્ણ કક્ષાનું રાજ્ય નથી. ભાજપે વાતને આડે પાટે ચડાવવા કોશિશ કર્યા પછીય દિલ્હીમાં તક દેખાતી નથી, તેથી દિલ્હીને બહુ મહત્ત્વ ના આપવું તેવું વલણ લીધેલું જણાય છે. દિલ્હીમાં ભાજપની બેઠકો વધવાની છે તે નક્કી છે, તેથી આ ચૂંટણીને તેનાથી વધુ મહત્ત્વ ના આપવું તે ભાજપની સ્ટ્રેટેજી છે.

અસલી પડકાર હવે પછીની બે ચૂંટણીઓમાં આવવાનો છે – બિહારની અને પશ્ચિમ બંગાળની. તેમાં પ્રથમ વર્ષના અંતે બિહારની ચૂંટણી આવશે. બિહાર પશ્ચિમ બંગાળનું પડોશી રાજ્ય છે અને થોડી ઘણી અસર પડોશી રાજ્યના રાજકારણમાં કરી શકે છે. તેથી બિહારમાં પરિણામોમાં અણધાર્યું કશુંક થાય તો પશ્ચિમ બંગાળમાં ભાજપની સ્ટ્રેટેજી ઊંધી વળી શકે છે. ભાજપનો અસલી પડકાર અને લક્ષ્ય પશ્ચિમ બંગાળ છે. ત્રિપુરાની જેમ ઉલટફેર કરીને પશ્ચિમ બંગાળમાં પ્રથમવાર સત્તા મેળવવાનું ભાજપનું લક્ષ્ય છે. દક્ષિણમાં કર્ણાટક માર્ગે પ્રવેશ થયો છે, તે રીતે પૂર્વમાં પશ્ચિમ બંગાળ મારફતે પ્રવેશને મજબૂત કરવાનો છે. અરૂણાચલ, આસામ, ત્રિપુરામાં સફળતા મળી છે, પણ તે નાના રાજ્યો છે. પશ્ચિમ બંગાળ જેવું મોટું રાજ્ય અને એક જમાનાનું ડાબેરીનું ગઢ ગણાતું રાજ્ય હાથમાં આવે તેની અસર નજીકમાં ઓડિશામાં અને દૂર કેરળમાં પણ પડી શકે.

નીતિશકુમાર આ વાત સમજતા હશે. તેઓ જાણતા હશે કે એનઆરસી મુદ્દે દબાણ કરીને પોતાનું નેતૃત્ત્વ પાકું કરાવી શકાશે. મહારાષ્ટ્રમાં શિવસેના અને ઝારખંડમાં આજસુ જેવી પોતાની સ્થિતિ ના થાય તે માટે તેઓ સાવધ થઈ ગયા હતા. રાષ્ટ્રીય સ્તરે જવાનું તેમનું સપનું હવે સાકાર થાય તેવું લાગતું નથી, કેમ કે તેમણે જાતે જ પગ પર કુહાડો માર્યો છે. તે સંજોગોમાં બિહાર સાચવી રાખવું તેમના માટે જરૂરી છે. સાથે જ બિહાર જાળવી રાખવું ભાજપ માટે પણ જરૂરી છે. તેથી પરસ્પરની ગરજને કારણે અત્યારે બંને પક્ષો સાથે રહ્યા છે, પણ ભાજપ બિહારમાં પોતાની રીતની તૈયારી તો રાખશે જ. નીતિશના નાટકને ભાજપ એકથી વધુ વાર જોઈ ચૂક્યું છે. દિલ્હીના પરિણામો, બજેટના પડઘા શેરબજારમાં અને નાણા બજારમાં અને ઉદ્યોગમાં શું પડે છે તે પણ નાણાકીય વર્ષના અંત સુધીમાં ખબર પડશે. નાણાકીય વર્ષનો અંત માર્ચમાં આવશે તે સાથે ગરમી વધશે, રાજકીય ગરમી પણ વધશે અને તે પછી રાજકીય નાટકોના નવા અંક ખુલશે. જોતા રહેજો.

ઉધ્ધવ ઠાકરેને સીએએ નહીં, એનઆરસી સામે વાંધો

મુંબઈઃ NRC અને CAA મામલે તમામ વિપક્ષી પાર્ટીઓ એકસૂરમાં વિરોધ કરી રહી છે પરંતુ આ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો મિજાજ કંઈક અલગ છે. ઉદ્ધવ ઠાકરેએ સંકેત આપ્યા છે કે તેઓ નાગરિકતા કાયદાની વિરુદ્ધમાં નથી પરંતુ એનઆરસી અને એનઆરપીનો વિરોધ કરશે. જો કે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની મહારાષ્ટ્રમાં સહયોગી પાર્ટી કોંગ્રેસ આ મામલે જોરદાર વિરોધ કરી રહી છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના મુખપત્ર સામનામાં ઈન્ટરવ્યૂ આપતા કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદા અંતર્ગત કોઈપણને દેશમાંથી બહાર ન કાઢી શકાય. આ સાથે જ તેમણે કહ્યું કે, અમે મહારાષ્ટ્રમાં એનઆરસી લાગૂ નહી થવા દઈએ, કારણ કે આનાથી હિંદુઓને પણ પોતાની નાગરિકતા સાબિત કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, એનઆરસી અંતર્ગત ન માત્ર મુસ્લિમ પરંતુ હિંદુઓને પણ પોતાની નાગરિકતા સાબિત કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. એટલા માટે હું એનઆરસીને અહીંયા લાગુ નહી થવા દઉં.

ઉલ્લેખનીય છે કે, નાગરિકતા કાયદાને લઈને દેશના ઘણા ભાગોમાં વિરોધ થઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ ઘણી જગ્યાઓ પર લોકો ઘણા દિવસથી પ્રદર્શન કરી રહ્યા છે. જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી બહાર ગઈકાલે રાત્રે બે લોકો દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. જો કે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

જામિયાઃ ચાર દિવસમાં ફાયરિંગની ત્રીજી ઘટના

નવી દિલ્હી: જામિયા યુનિવર્સિટીના ગેટ નંબર-5 પાસે રવિવારે મોડી રાત્રે ફાયરિંગ થયું હતું. નજરે જોનારાઓના કહેવા અનુસાર સ્કૂટી સવાર લોકોએ ફાયરિંગ કર્યું. ફાયરિંગ કરનારમાંથી એક એ લાલ જેકેટ પહેર્યું હતું. ફાયરિંગથી કોઇ નુકસાનના સમાચાર નથી. દિલ્હીમાં ગત 4 દિવસથી ફાયરિંગની આ ત્રીજી ઘટના છે. પોલીસે અત્યાર સુધી ફાયરિંગની સત્તાવાર પુષ્ટિ કરી નથી. ફાયરિંગની સૂચના મળતાં જ જામિયા મિલ્લિયા ઇસ્લામિયાના બહાર લોકો એકઠા થયા છે. લોકોએ જામિયા નગર પોલીસ સ્ટેશનની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા. એસએચઓ ઘટનાસ્થળે હાજર છે. કેસની તપાસ ચાલુ છે. પોલીસે કોઇપણ કાનૂની કાર્યવાહી કરતાં પહેલાં તથ્યોની તપાસ કરી રહી છે.ડીસીપી કુમાર જ્ઞાનેશના જણાવ્યા અનુસાર ‘ઘટના પર બુલેટનું કોઇ કવર મળ્યું નથી. જામિયા કોર્ડિનેશન કમિટી દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે કોઇ પીસીઆર કોલ થયો નથી. ઘણા લોકો જામિયા પોલીસ મથકમાં ફરિયાદ આપવા માટે ગયા હતા. ફરિયાદના આધારે પોલીસ કાર્યવાહી કરશે. અલગ-અલગ નિવેદન લોકોના મળી રહ્યા છે કોઇ ટૂ-વ્હીલ્ર તો કોઇ ફોર વ્હીલર પોલીસને જણાવી રહ્યું છે. પોલીસ ફરિયાદના આધારે તપાસને આગળ વધારશે.

આ પહેલાં શનિવારે સાંજે એક યુવકે શાહિન બાગમાં ગોળીબારી કરી હતી. ત્યાં હાજર પોલીસે ગોળી ચલાવનાર યુવકને તાત્કાલિક પકડી પાડ્યો હતો. ગોળીબારીની આ ઘટના શાહીબાગમાં તે સ્થળથી થોડે દૂર થયું હતું, જ્યાં દોઢ મહિનાથી સીએએના વિરોધી ધરણા કરી રહ્યા છે. ગોળી ચલાવનાર યુવક પૂર્વી દિલ્હીના દલ્લૂપુરા ગામનો રહેવાસી છે. આરોપીનું નામ કપિલ ગુર્જર છે અને તે એક પ્રાઇવેટ કોલેજમાં અભ્યાસ કરે છે. આરોપીએ હવામાં ફાયરિંગ કર્યું હતું.

ભાજપના સાંસદ અનંતકુમાર હેગડેનું રાષ્ટ્રપિતા ગાંધીજી વિરુદ્ધ શરમજનક નિવેદન

બેંગલુરુ – ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય અનંતકુમાર હેગડેએ ગઈ કાલે એક જાહેર સભામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે અત્યંત શરમજનક નિવેદન કર્યું હતું. આ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને ગાંધીજી પર પ્રહારો કરતાં એમ કહ્યું હતું કે એમની આઝાદીની ચળવળ એક નાટક હતું.

હેગડે ઉત્તર કનાડા મતવિસ્તારમાંથી છ વખત લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. એમણે કહ્યું કે આઝાદીની ચળવળ બ્રિટિશરોના ટેકા અને મંજૂરી મુજબ લડવામાં આવી હતી.

હેગડે અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદનો કરી ચૂક્યા છે.

ગાંધીજી વિશે હેગડેના નવા નિવેદનને કારણે મોટો ઉહાપોહ થાય એવી શક્યતા છે.

બેંગલુરુમાં એક જાહેર કાર્યક્રમમાં હેગડેએ કહ્યું હતું કે કથિત નેતાઓમાંના એકેય જણે પોલીસની લાઠીનો માર ખાધો નહોતો. એ આઝાદીની સાચી લડાઈ નહોતી. એ તો પરસ્પર સહમતિથી રચાયેલું એક નાટક હતું.

હેગડેએ ત્યાં ન અટકતાં વધુમાં એમ કહ્યું હતું કે ગાંધીજીના ઉપવાસનું આંદોલન પણ એક નાટક હતું. કોંગ્રેસના સમર્થકો કહે છે કે ગાંધીજીએ આમરણ ઉપવાસ અને સત્યાગ્રહ કરીને ભારતને આઝાદી અપાવી હતી, પણ એ સાચું નથી. અંગ્રેજોએ કંઈ ગાંધીજીના સત્યાગ્રહને કારણે દેશ છોડ્યો નહોતો. એ લોકો નિરાશ થઈને દેશ છોડી ગયા હતા. એવા લોકો આપણા દેશના મહાત્મા બની ગયા.