નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા બજેટ-2020માં ઇન્કમ ટેક્સના દરોમાં ફેરફાર કર્યો છે. તેમણે ઇન્કમ સ્લેબની જાહેરાત કરી છે જેમાં નવા ટેક્સ માળખામાં નીચે મુજબ ટેક્સના સ્લેબની દરખાસ્ત કરી છે.
| રૂ. 2.50 લાખ સુધી | ઝીરો |
| રૂ. 2.50 લાખથી વધુ અને રૂ. 5 લાખ સુધી | 5 ટકા |
| રૂ. 5 લાખથી વધુ અને રૂ. 7.50 લાખ સુધી | 10 ટકા |
| રૂ. 7.50 લાખથી વધુ અને રૂ. 10 લાખ સુધી | 15 ટકા |
| રૂ. 10 લાખથી વધુ અને રૂ. 12.50 લાખ સુધી | 20 ટકા |
| રૂ. 12.50 લાખથી વધુ અને રૂ. 15 લાખ સુધી | 25 ટકા |
| રૂ. 15 લાખથી વધુ | 30 ટકા |
નાણાપ્રધાને નવા ટેક્સ માળખાની જાહેરાત કરતાં કહ્યું હતું કે આ નવી વ્યવસ્થા વિકલ્પરૂપે હશે. આનો અર્થ એ થયો કે જો કોઈ વ્યક્તિ જૂના ટેક્સ માળખા પ્રમાણે ટેક્સ ભરવા ઇચ્છે તો તે એવું કરી શકશે. નવી વ્યવસ્થા મુજબ રૂ. 2.50 લાખની આવક પહેલાંની જેમ કરમુક્ત હશે અને રૂ. 2.5 લાખથી રૂ. 5 લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ ચૂકવવો પડશે.
ઇન્કમ ટેક્સની જૂની વ્યવસ્થા મુજબ કરદાતાઓએ ટેક્સ ચૂકવતી વખતે કેટલાય પ્રકારની કપાત અને રાહત મળતી હતી. નવા ટેક્સ માળખાની જાહેરાત કરતાં તેમણે કહ્યું હતું કે જો કોઈ ટેક્સ પેયર્સ નવા ટેક્સ માળખાનો લાભ લેવા ઇચ્છે તો તેણે 100માંથી 70 કપાતને છોડવી પડશે.
ટેક્સ વિશ્લેષકોના જણાવ્યા અનુસાર આ એક નિરર્થક કવાયત છે. નાણાપ્રધાને નવા ટેક્સ માળખાને રજૂ કરતાં કહ્યું હતું કે નવા ટેક્સ માળખાને સરળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જોકે ટેક્સ નિષ્ણાતે જણાવ્યું હતું કે ભાગ્યે જ કોઈ કરદાતા જૂના માળખામાં મળતા લાભને છોડવાનું પસંદ કરશે. આ ઉપરાંત નવા ટેક્સ માળખાના લાભ-ગેરલાભ સમજવા માટે ટેક્સ નિષ્ણાતની મદદ લેવી પડશે.

ભાગ્યે જ કોઈ કરદાતા હશે, જે 80સી હેઠળ મળનારો લાભ જતો કરશે. આ સાથે જૂના ટેક્સ માળખામાં રૂ. 50,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન, એલટીએ, હોમ લોન પરનું વ્યાજ, સિનિયર સિટિઝનને વ્યાજની આવક પર મળનારી રૂ. 50,000ની છૂટ સામેલ છે. જે નવા ટેક્સ માળખાનો લાભ લેતાં જતી કરવા પડશે.





આવો સવાલ માત્ર પવન વર્માએ નહિ, પણ ઘણાએ પૂછ્યો છે. પરંતુ નીતિશકુમારની નૌટંકી એબ્સર્ડ ડ્રામા જેવી સાબિત થઈ રહી છે. એપ્સર્ડ પ્લે તેના લખનારાને પણ સમજાતું હશે કે કેમ, જોનારાને ભાગ્યે જ સમજાતું હોય છે. તેનું વિવેચન વાંચવું પડે ત્યારે સમજ પડે, અથવા કહો કે ગેરસમજ ઉલટાની વધે. નીતિશકુમારના કિસ્સામાં એવું જ થઈ રહ્યું છે. તેઓ વારંવાર પલટી મારીને દેશના શ્રેષ્ઠ પાટલીબદલુ સાબિત થઈ રહ્યા છે. ભાજપ સાથે દોસ્તી તોડવાની તૈયારી કરી રહ્યા છે એવું વિવેચન તેમનું એબ્સર્ડ થિયેટર જોઈને થયું હતું. તે વિવેચન ગેરસમજ કરનારું હોય તે રીતે તેઓ દિલ્હી પહોંચીને ભાજપના નેતા અમિત શાહ સાથે સભાઓ ગજવી રહ્યા છે.
કદાચ બંને પક્ષે ગરજ ઊભી થઈ છે. બિહારમાં એકલે હાથે ચૂંટણી જીતી શકાશે નહિ તે ભાજપને સમજાઈ ગયું છે. સાથે જ નીતિશકુમારને ખ્યાલ આવી ગયો કે પાટલીબદલુની છાપ પછી હવે તેના પર આરજેડી અને કોંગ્રેસના ટેકેદારો વિશ્વાસ કરશે નહિ. તેથી તેમના માટે પણ એકલા હાથે ચૂંટણી લડવી મુશ્કેલ છે. આરજેડી અને કોંગ્રેસના શરણમાં જઈને સમાધાન થઈ શકે તેવી એક શક્યતા હતી, પણ તે બહુ મુશ્કેલ કામ તેમને લાગ્યું હશે. શરણમાં બેસીને સાવ સામાન્ય થઈ જવાનું હોય તો પછી ભાજપ સાથે જ સામાન્ય થઈને શા માટે ના રહેવું? કદાચ એવું તેમણે વિચાર્યું હશે.
નોટબંધીમાં સામાન્ય માણસ હેરાન હેરાન થઈ ગયો હતો. આસામમાં એનઆરસી આવ્યું તેના કારણે પાંચ લાખ હિન્દુઓ જ બાકાત થઈ ગયા. અમે બિહારના ગરીબોને, જમીનવિહોણાને, જન્મતારીખના દાખલા ના ધરાવતા લોકોને હેરાન કરવા માગતા નથી તેવો મુદ્દો જેડીયુને કામ લાગે તેવો હતો, પણ નીતિશકુમારે તેમની નૌટંકીમાં નવો જ અંક શરૂ કર્યો છે. તેમણે પ્રશાંત કિશોર અને પવન વર્મા બંનેને દૂર કર્યા છે. આ બંને કદાચ હવે આમ આદમી પાર્ટી કે પછી સરપ્રાઇઝ સાથે કોંગ્રેસમાં પણ જોડાઈ શકે છે. વચ્ચે પવન વર્માએ એક મુલાકાતમાં એવો ધડાકો પણ કર્યો હતો કે નીતિશકુમાર એક તબક્કે કોંગ્રેસમાં જોડાઈ જવા માગતા હતા. આખી પાર્ટી સહિત કોંગ્રેસમાં ભળી જવાની તેમની ગણતરી હતી તેવું પવન વર્માએ કહ્યું હતું. જોકે તે વિવાદ બહુ આગળ વધ્યો નથી.
પ્રશાંત કિશોર અને પવન વર્મા બીજા કયા ચોંકાવનારા ખુલાસા કરે છે તેની હવે રાહ જોવાઈ રહી છે. તે સાથે જ બિહારનું અને નીતિશકુમારનું નાટક વધારે રોચક બનવાનું છે. દિલ્હી રાજ્ય નાનું છે અને પૂર્ણ કક્ષાનું રાજ્ય નથી. ભાજપે વાતને આડે પાટે ચડાવવા કોશિશ કર્યા પછીય દિલ્હીમાં તક દેખાતી નથી, તેથી દિલ્હીને બહુ મહત્ત્વ ના આપવું તેવું વલણ લીધેલું જણાય છે. દિલ્હીમાં ભાજપની બેઠકો વધવાની છે તે નક્કી છે, તેથી આ ચૂંટણીને તેનાથી વધુ મહત્ત્વ ના આપવું તે ભાજપની સ્ટ્રેટેજી છે.
નીતિશકુમાર આ વાત સમજતા હશે. તેઓ જાણતા હશે કે એનઆરસી મુદ્દે દબાણ કરીને પોતાનું નેતૃત્ત્વ પાકું કરાવી શકાશે. મહારાષ્ટ્રમાં શિવસેના અને ઝારખંડમાં આજસુ જેવી પોતાની સ્થિતિ ના થાય તે માટે તેઓ સાવધ થઈ ગયા હતા. રાષ્ટ્રીય સ્તરે જવાનું તેમનું સપનું હવે સાકાર થાય તેવું લાગતું નથી, કેમ કે તેમણે જાતે જ પગ પર કુહાડો માર્યો છે. તે સંજોગોમાં બિહાર સાચવી રાખવું તેમના માટે જરૂરી છે. સાથે જ બિહાર જાળવી રાખવું ભાજપ માટે પણ જરૂરી છે. તેથી પરસ્પરની ગરજને કારણે અત્યારે બંને પક્ષો સાથે રહ્યા છે, પણ ભાજપ બિહારમાં પોતાની રીતની તૈયારી તો રાખશે જ. નીતિશના નાટકને ભાજપ એકથી વધુ વાર જોઈ ચૂક્યું છે. દિલ્હીના પરિણામો, બજેટના પડઘા શેરબજારમાં અને નાણા બજારમાં અને ઉદ્યોગમાં શું પડે છે તે પણ નાણાકીય વર્ષના અંત સુધીમાં ખબર પડશે. નાણાકીય વર્ષનો અંત માર્ચમાં આવશે તે સાથે ગરમી વધશે, રાજકીય ગરમી પણ વધશે અને તે પછી રાજકીય નાટકોના નવા અંક ખુલશે. જોતા રહેજો.





