Home Blog Page 4831

ચીનમાં કોરોના વાઈરસના મૃતકોના અંતિમસંસ્કાર પર પ્રતિબંધ

બીજિંગ – ચીનની સરકારે એકદમ નવી એવી કોરોના-વાઈરસ બીમારીને કારણે મૃત્યુ પામેલા લોકોના દેહને અગ્નિદાહ આપવા, દફનવિધિ કરવા કે એની અંતિમયાત્રા કાઢવા જેવી વિધિઓ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

ઉલ્લેખનીય છે કે ચીનમાં કોરોના વાઈરસને કારણે અત્યાર સુધીમાં 304 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે અને બીજાં હજારો લોકોને તે બીમારી લાગુ પડી છે.

આ રોગના ફેલાવાને નિયંત્રણમાં રાખવા માટે ચીને અંતિમસંસ્કાર વિધિઓ પર પ્રતિબંધ મૂક્યો છે.

જાહેર સુરક્ષા મંત્રાલય અને નાગરિક બાબતોના મંત્રાલયે તેમજ નેશનલ હેલ્થ કમિશને માર્ગદર્શિકા બહાર પાડી છે જેમાં જણાવાયું છે કે મૃતદેહોના એમનાં લોકેશનની નજીકના નિર્ધારિત સ્મશાનગૃહોમાં જ અંતિમસંસ્કાર કરવા અને મૃતદેહોને એક શહેર કે પ્રદેશમાંથી બીજા શહેરમાં લઈ જવા નહીં. એવી જ રીતે એને દફનવિધિ કરવા માટે કે કોઈ અન્ય કારણસર સાચવી રાખવા નહીં.

મૃતદેહોની અંતિમયાત્રા જેવી વિધિઓ ઉપર પણ પ્રતિબંધ મૂકાયો છે. એવી જ રીતે વધુ સૂચના એ આપવામાં આવી છે કે મૃતદેહો મેડિકલ કર્મચારીઓ દ્વારા ચેપમુક્ત કરાય અને સીલ કરેલી બેગમાં મૂકી દેવામાં આવશે અને ત્યારબાદ એને બેગ ફરી ખોલી શકાશે નહીં.

સ્મશાનગૃહોને પણ આદેશ આપવામાં આવ્યો છે કે એમણે મૃતદેહો લઈ આવવા માટે કર્મચારીઓને વિશેષ વાહનો સાથે મોકલવા તથા વાહનોને નિર્ધારિત રૂટ પરથી જ સ્મશાનગૃહે લઈ જવા.

ચીનનું વુહાન શહેર કોરોના રોગચાળાનું કેન્દ્રબિંદુ ગણાય છે. ચીનમાં હજી 400થી વધારે કોરોનાગ્રસ્ત લોકોની હાલત અત્યંત ગંભીર છે અને 1,118 જણની હાલત ગંભીર છે.

ચીનમાં કોરોનાનાં શંકાસ્પદ કેસોની સંખ્યા 19,544 છે.

ચીનમાંથી રોગ ભારત સહિત ઓછામાં ઓછા 23 દેશોમાં ફેલાયો છે. ભારતમાં બે કેસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ ઉપદ્રવને આંતરરાષ્ટ્રીય કટોકટી તરીકે ઘોષિત કરી છે.

NRI લોકોએ માત્ર ભારતમાં કમાયેલી આવક ઉપર જ ટેક્સ ભરવો પડશે

નવી દિલ્હી – કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે કહ્યું છે કે નોન-રેસિડન્ટ ઈન્ડિયન્સ (NRIs) વ્યક્તિઓએ માત્ર ભારતમાં મેળવેલી કમાણી ઉપર જ ટેક્સ ભરવો પડશે, ભારતની બહાર કમાયેલી આવક પર નહીં.

સીતારામને એમ પણ જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2020-21 માટેના કેન્દ્રીય બજેટમાં સૂચવાયેલા નવા ટેક્સ નિયમ અંગે અધિકારીઓ ગૂંચવણમાં પડી જાય એવું હું ઈચ્છતી નથી.

નાણાં ખરડા 2020માં દર્શાવેલી જોગવાઈ, જેનો વિવાદ થયો છે, એમાં જણાવાયું હતું કે જે કોઈ ભારતીય નાગરિક, કે જેની આવક પર બીજા કોઈ પણ દેશ કે પ્રદેશમાં વેરો વસૂલાતો નથી, તેઓ ભારતીય રહેવાસી ગણાશે. વર્તમાન કાયદા અનુસાર, ભારતીય રહેવાસીની દુનિયાભરમાંની આવક પર ભારતમાં ટેક્સ લાગુ કરવામાં આવશે.

આને કારણે જ્યાં વ્યક્તિગત આવક પર વેરો વસુલ કરાતો નથી એવા સંયુક્ત આરબ અમિરાત (યુએઈ) જેવા દેશોમાં કામ-ધંધો કરતા બિનનિવાસી ભારતીયોને ચિંતા પેઠી છે, કારણ કે એમણે ભારતમાં કરવેરો ચૂકવવો પડશે. NRIs વ્યક્તિઓએ વિદેશમાં મેળવેલી આવક ઉપર 30 ટકા ટેક્સ ઉપરાંત સેસ અને સરચાર્જ લાગુ કરાશે.

 

સીતારામનનું કહેવું છે કે કરવેરાના હેતુઓ માટે રહેવાસી (રેસિડન્ટ) કોન્સેપ્ટની પરિભાષામાં ફેરફાર કરવા પાછળનો હેતુ ભારતમાં રહેતા નથી એવા NRIsની ભારતમાંની આવક કરવેરાની જાળથી બાકાત રહી જતી હોવાથી એને પણ જાળની અંદર લાવવાનો છે.

નાણાં મંત્રાલયે આજે ઈસ્યૂ કરેલા નિવેદનમાં એવી સ્પષ્ટતા કરી છે કે જો કોઈ ભારતીય નાગરિક ભારતના રહેવાસી હોય તો એમણે ભારતની બહાર મેળવેલી આવક પર ભારતમાં કોઈ ટેક્સ નહીં લાગે, પણ એ શરતે કે એમણે તે આવક કોઈ ભારતીય બિઝનેસમાંથી કે વ્યવસાયમાંથી મેળવેલી હોવી ન જોઈએ.

આ સ્પષ્ટતાની જરૂર જણાશે તો એને કાયદાની સંબંધિત જોગવાઈમાં જોડી દેવામાં આવશે, એમ પણ નિવેદનમાં જણાવાયું છે.

ધારો કે કોઈ ભારતીય પાસે ભારતીય પાસપોર્ટ હોય અને પોતે નોન-રેસિડન્ટ ઈન્ડિયન છે એવો તે દાવો કરે તો અન્ય કોઈ દેશમાંનું પોતાનું રહેવાસી સ્ટેટસ એણે સાબિત કરવાનું રહેશે.

પાંચમી T20Iમાં 7-રનથી હરાવી ભારતે NZનો કર્યો વ્હાઈટવોશ

માઉન્ટ મોન્ગેનુઈ – વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે એક વધુ ઈતિહાસ સર્જ્યો છે. આજે અહીં બૅ ઓવલ મેદાન પર રમાઈ ગયેલી પાંચમી અને શ્રેણીની છેલ્લી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ પણ જીતીને લઈને ન્યૂઝીલેન્ડને એની જ ધરતી પર T20 સિરીઝમાં 5-0થી હરાવી વ્હાઈટવોશ પરાજય આપનાર ટીમ ઈન્ડિયા દુનિયાની પહેલી જ ટીમ બની છે.

આજની મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડ, બંને ટીમ તેમના રેગ્યૂલર કેપ્ટન વિના રમી હતી. વિરાટ કોહલી અને કેન વિલિયમ્સન મેચમાં રમ્યા નહોતા અને એમની જગ્યાએ અનુક્રમે રોહિત શર્મા તથા ટીમ સાઉધીએ પોતપોતાની ટીમનું નેતૃત્ત્વ કર્યું હતું. રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું.

ભારતે તેના હિસ્સાની 20 ઓવરમાં 3 વિકેટે 163 રન કર્યા હતા. ઓપનિંગમાં લોકેશ રાહુલ (45)ની સાથે સંજુ સેમસન જોડાયો હતો. પણ એ માત્ર 2 જ રન કરી શક્યો હતો. રોહિત શર્મા વન-ડાઉન આવ્યો હતો અને 41 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 60 રન કર્યા હતા. પગની પીંડીમાં દુખાવો થતાં એને દાવ પડતો મૂકીને પેવિલિયનમાં પાછા ફરવું પડ્યું હતું. શિવમ દુબે માત્ર પાંચ રન કરીને આઉટ થયો હતો. છેલ્લે, શ્રેયસ ઐયર 33 રન કરીને અને મનીષ પાંડે 11 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

ન્યૂઝીલેન્ડના દાવમાં બે અડધી સદી નોંધાઈ હતી. વિકેટકીપર ટીમ સાઈફર્ટે 30 બોલમાં 50 રન (પાંચ ચોગ્ગા, 3 છગ્ગા) સાથે ફટકાર્યા હતા તો રોસ ટેલર 53 રન કરીને આઉટ થતાં ન્યૂઝીલેન્ડની લડતનો અંત આવી ગયો હતો.

જસપ્રિત બુમરાહ ભારતનો સૌથી સફળ બોલર રહ્યો હતો. એણે 4 ઓવરમાં માત્ર 12 રન આપીને 3 વિકેટ લીધી હતી. એને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો. અન્ય બે ફાસ્ટ બોલર – નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુરે 2-2 વિકેટ લીધી હતી. શિવમ દુબેએ એક જ ઓવર ફેંકી હતી અને એમાં 34 રન આપ્યા હતા.

ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં એક જ ઓવરમાં સૌથી વધારે રન આપનાર બોલરોમાં દુબે બીજા નંબરે છે. પહેલા નંબરે ઈંગ્લેન્ડનો ક્રિસ બ્રોડ છે – 36 રન. 2007માં ડરબનમાંની મેચમાં યુવરાજ સિંહે બ્રોડની ઓવરમાં 36 રન ફટકાર્યા હતા.

લોકેશ રાહુલને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.

વિદેશની ધરતી પર ભારતે મેળવેલા ક્લીન સ્વીપ વિજય (3 કે તેથી વધુ મેચો)

3-0 ઓસ્ટ્રેલિયા સામે – ઓસ્ટ્રેલિયામાં 2015/16

3-0 વેસ્ટ ઈન્ડિઝ સામે – અમેરિકા/વેસ્ટ ઈન્ડિઝમાં 2019

5-0 ન્યૂઝીલેન્ડ સામે – ન્યૂઝીલેન્ડમાં 2020

























મહારાષ્ટ્રમાં NRC લાગુ કરવામાં નહીં આવેઃ CM ઠાકરેની જાહેરાત

મુંબઈ – મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સંસદમાં પાસ કરવામાં આવેલા નાગરિકતા સુધારિત કાયદા (CAA)ને સમર્થન આપ્યું છે, પણ એમ કહ્યું છે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC)ને તેઓ મહારાષ્ટ્રમાં લાગુ નહીં કરાવે.

ઠાકરેએ કહ્યું છે કે CAA કાયદો કોઈનું નાગરિકત્વ છીનવી લેવા માટેનો નથી, પરંતુ દેવા માટેનો છે. પરંતુ, જો દેશમાં એનઆરસી લાગુ કરવામાં આવશે તો હિન્દુઓ અને મુસલમાનો, બંને કોમનાં લોકો માટે એમનું નાગરિકત્વ સાબિત કરવાનું મુશ્કેલ બની જશે. એટલે હું મહારાષ્ટ્રમાં એને લાગુ થવા નહીં દઉં.

અત્યાર સુધીમાં દેશના 10 રાજ્યો CAA કે NRC અથવા બંનેને લાગુ કરવાનો ઈનકાર કરી ચૂક્યા છે. અન્ય રાજ્યો છે – રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, દિલ્હી, ઓડિશા, પંજાબ, કેરળ.

ઠાકરેએ આ નિવેદન એમની શિવસેના પાર્ટીના મુખપત્ર અને મરાઠી અખબાર ‘સામના’નાં તંત્રી તથા પક્ષના રાજ્યસભાના સદસ્ય સંજય રાઉતને આપેલી એક મુલાકાતમાં ઉપર મુજબ કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે સીએએ અને એનઆરસી, બંને મુદ્દે હાલ દિલ્હીમાં શાહીનબાગ વિસ્તારમાં વ્યાપક વિરોધ-દેખાવો ચાલી રહ્યા છે.

‘નાગરિકતાને લગતા કાયદાઓ વિશે તમારું શું વલણ છે?’ એવા સવાલના જવાબમાં ઠાકરેએ કહ્યું કે ‘સીએએ અંતર્ગત કોઈને પણ ભારત દેશમાંથી બહાર કાઢવાની જોગવાઈ નથી, પરંતુ એનઆરસી અંતર્ગત માત્ર મુસ્લિમોને જ નહીં, પણ હિન્દુઓને પણ એમની નાગરિકતા સાબિત કરવાનું મુશ્કેલ બની જશે. એટલે એ કાયદાને હું મહારાષ્ટ્રમાં લાગુ કરવા નહીં દઉં. મેં મારા પિતા (શિવસેના સ્થાપક સ્વ. બાલ ઠાકરે)ને જે વચન આપ્યું હતું તે પૂરું કરીને જ રહીશ.’

ઠાકરેની આ મુલાકાત 3, 4 અને પાંચ ફેબ્રુઆરીએ સામના અખબારની વેબસાઈટ http://www.saamana.com પર જોવા મળશે.

દિલ્હી એરપોર્ટ પર કોરોના વાઈરસ માટે ચકાસણી…

ચીનમાં જ્યાં જીવલેણ કોરોના વાઈરસ ફેલાયો છે તે વુહાન શહેરમાં ફસાયેલા વધુ 323 ભારતીય નાગરિકોને એર ઈન્ડિયાના ખાસ વિમાન દ્વારા 2 ફેબ્રુઆરી, રવિવારે ભારત લાવવામાં આવ્યા હતા. એમાંના તમામ પ્રવાસીઓની નવી દિલ્હી એરપોર્ટ ખાતે જ તબીબી ચકાસણી કરવામાં આવી હતી.


















ભારતમાં વિજ્ઞાનીઓ કોરોના વાઈરસની રસી-દવાની શોધમાં વ્યસ્ત

નવી દિલ્હી – ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) સંસ્થાની પુણેસ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી, જે દેશની સૌથી મોટી મેડિકલ ટેસ્ટિંગ લેબોરેટરી છે, એમાં અત્યાર સુધીમાં ‘નોવેલ કોરોના વાઈરસ’ના 128 નમૂનાનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જોકે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે એ વાતને સમર્થન આપ્યું કે દેશમાં આ વાઈરસના બે કેસ પોઝિટિવ આવ્યા છે.

બીજો કેસ કેરળ રાજ્યમાં નોંધાયો છે. તે દરદી એક પુરુષ છે અને તે ચીનમાં જ્યાં સૌથી વધારે પ્રમાણમાં કોરોના વાઈરસ ફેલાયો છે તે વુહાન શહેરથી આવ્યો છે.

એને એક હોસ્પિટલમાં અલાયદા વોર્ડમાં રાખવામાં આવ્યો છે. એના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે, એમ આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે.

ચીનનો પ્રવાસે આવેલા 763 જણની હાલ દેશના 26 રાજ્યોમાં તબીબી ચકાસણી કરવામાં આવી રહી છે, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સેક્રેટરી પ્રીતિ સુદાને જણાવ્યું છે.

દરમિયાન, બીજા 323 ભારતીય નાગરિકો સાથેનું એર ઈન્ડિયાનું વિશેષ વિમાન આજે સવારે વુહાનથી નવી દિલ્હી આવી પહોંચ્યું હતું.

આ 323 જણમાં જો કે 7 માલદીવના નાગરિકનો પણ સમાવેશ થાય છે.

પહેલા બેચમાં ભારત લવાયેલા નાગરિકોની જેમ, આ બેચના લોકોને પણ ભારતીય સેના તથા ITBP દ્વારા તૈયાર કરવામાં આવેલી બે જુદી જુદી હોસ્પિટલમાં મેડિકલ ચકાસણી કરવામાં આવી રહી છે.

દરમિયાન, ICMR સંસ્થાના રોગચાળા અને સંપર્કથી થતા રોગોના વિભાગના વડા ડો. આર. ગંગાખેડકરે કહ્યું છે કે આ નવા વાઈરસને અંકુશમાં રાખી શકે એવી રસી અને દવાઓ શોધી કાઢવા પર હાલ સંશોધન ચાલી રહ્યું છે. જો કે આ વાઈરસની રસી શોધતાં વિજ્ઞાનીઓને ઓછામાં ઓછા બે વર્ષ જેટલો સમય લાગી શકે છે. આ વાઈરસ ભૂતકાળમાં ક્યારેય માનવીને લાગુ પડ્યો નહોતો.

બુમરાહની સ્વિંગ બોલિંગ પર ફીદા થઈ ગઈ છે દિશા પટની

મુંબઈ – ભારતીય ક્રિકેટ ટીમના સ્ટ્રાઈક બોલર જસપ્રિત બુમરાહની કાતિલ ફાસ્ટ બોલિંગથી હરીફ બેટ્સમેનો થથરે છે અને એમને થથરતા જોઈને ભારતીય ક્રિકેટપ્રેમીઓ ખુશ થાય છે. એમાંની એક છે બોલીવૂડ અભિનેત્રી દિશા પટની.

આગામી હિન્દી ફિલ્મ ‘મલંગ’ની અભિનેત્રી દિશા બુમરાહની બોલિંગ ક્ષમતાથી ખૂબ પ્રભાવિત થઈ છે અને મુક્તકંઠે એની પ્રશંસા કરી છે.

દિશાએ કહ્યું, ‘જો તમને મને કહેશો કે મેચવિનિંગ ખેલાડી કોણ, તો હું જસપ્રિત બુમરાહનું નામ આપીશ. આપણી ટીમમાં ઉત્તમ ખેલાડીઓમાંનો તે એક છે. રવિવારે માઉન્ટ મોન્ગેનુઈમાં ભારત ન્યૂઝીલેન્ડ સામે પાંચમી ટ્વેન્ટી-20 મેચ રમશે અને એમાં યજમાનોને બુમરાહ પછાડી દે તો એ જોવાની મજા આવશે.’

ખૂબસૂરત અભિનેત્રી દિશા તેની આગામી ફિલ્મ ‘મલંગ’ના પ્રચાર માટે ગઈ હતી ત્યારે એને ક્રિકેટ વિશેના સવાલો પૂછવામાં આવ્યા હતા અને ત્યારે એણે ઉપર મુજબ બુમરાહની પ્રશંસા કરી હતી.

‘મલંગ’ ફિલ્મમાં દિશાની સાથે આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર, કુણાલ ખેમૂ પણ છે.

આ કલાકારોએ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર ક્રિકેટ લાઈવ પ્રોગ્રામ વખતે પોતપોતાનાં અભિપ્રાય જણાવ્યાં હતાં.

અનિલ કપૂરને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે એણે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું નામ આપ્યું હતું. એણે કહ્યું, વિરાટ કોહલી સબકા બોસ હૈ. ક્રિકેટ પ્રત્યેનો એનો જુસ્સો કોઈ પણ હરીફ ટીમને પછાડી દે એવો છે. રવિવારની મેચમાં પણ ભારત જીતશે તો અમે મલંગના કલાકારો એની ઉજવણી કરીશું.

કુણાલ ખેમૂએ કહ્યું કે પોતે રોહિત શર્માનો ચાહક છે. એની બેટિંગ ક્ષમતા ખૂબ જ પ્રભાવિત કરનારી છે. એ ટીમ ઈન્ડિયાનો હિટ મેન છે અને આત્મવિશ્વાસથી ભરપૂર છે. એ મોટા શોટ નિર્ભયતાપૂર્વક ફટકારે છે અને ટીમ માટે મેચવિનિંગ રન ફટકારે છે.

આદિત્ય રોય કપૂરે કહ્યું કે કે.એલ. રાહુલ ભારતીય ટીમનો અસાધારણ ઓલરાઉન્ડ ક્રિકેટર છે. રાહુલ મેચને આનંદદાયક બનાવી દે છે.