Home Blog Page 4835

અર્ણબ ગોસ્વામી પરના હુમલાને પ્રેસ કાઉન્સિલે વખોડી કાઢ્યો

મુંબઈ/નવી દિલ્હીઃ સિનિયર પત્રકાર અર્ણબ ગોસ્વામી પર કથિતપણે કરવામાં આવેલા હુમલાને પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ આજે વખોડી કાઢ્યો છે અને બનાવ અંગે અહેવાલ આપવાનું મહારાષ્ટ્ર સરકારને કહ્યું છે.

રીપબ્લિક ટીવી નેટવર્કના વડા તંત્રી ગોસ્વામીએ એક વિડિયો નિવેદન દ્વારા પોતાની પર હુમલો કરાયાની જાણકારી આપી હતી. એમણે દાવો કર્યો છે કે ગુરુવારે મધરાત બાદ 12.15 વાગ્યાના સુમારે પોતે વરલી વિસ્તારસ્થિત ટીવી ચેનલના સ્ટુડિયોમાંથી એમના પત્ની સમ્યાબ્રત ગોસ્વામી સાથે કારમાં ઘર તરફ જતા હતા ત્યારે મોટરસાઈકલ પર સવાર થયેલા બે શખ્સે એમની કાર પર હુમલો કર્યો હતો અને બારીનો કાચ તોડવાની કોશિશ કરી હતી.

ગોસ્વામીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને એવો આરોપ મૂક્યો હોવાનું કહેવાય છે કે એમની અને એમના પત્ની પર યુવા કોંગ્રેસના કાર્યકરોએ હુમલો કર્યો હતો.

પાલઘરમાં મોબ-લિન્ચિંગ ઘટનાના સંદર્ભમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કર્યા બાદ ગોસ્વામી પર કથિત હુમલાનો બનાવ બન્યો હોવાનું કહેવાય છે.

ગોસ્વામીએ ફરિયાદમાં કહ્યું છે કે અમે કારમાં મધરાત બાદ 12.15 વાગ્યે ગણપતરાવ કદમ માર્ગ પર પહોંચ્યા ત્યારે એક બાઈકે અમારી કારનો પીછો કર્યો હતો અને બાદમાં અમને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. એ બંને શખ્સે કાર કોણ ચલાવી રહ્યું છે વ્યક્તિને ઓળખવાનો પ્રયત્ન કર્યો હતો. એમણે બાઈકને આગળ લઈ જઈ અમારી કારનો માર્ગ અવરોધ્યો હતો અને મારી તરફ આંગળીથી ઈશારો કર્યો હતો.

ગોસ્વામીએ વધુમાં કહ્યું કે બાઈક પર પાછળ બેઠેલા માણસે અમારી કારની જમણી બાજુની બારી પર અનેક વાર પ્રહાર કર્યો હતો, પણ કાચને તોડી શક્યા નહોતા. તે પછી પાછળ બેઠેલા શખ્સે તરત જ એના ખિસ્સામાંથી એક બોટલ કાઢી હતી અને એમાંનું પ્રવાહી હું જ્યાં બેઠો હતો એ ડ્રાઈવરની સીટની બાજુના ભાગ પર ફેંક્યું હતું. એ કામ દરમિયાન બંને જણ બૂમો પાડતા હતા અને હિન્દીમાં ગાળો બોલતા હતા અને હિંસક ઈશારા કરતા હતા.

ગોસ્વામીએ બાદમાં કહ્યું કે પોલીસે બંને હુમલાખોરને પકડી લીધા છે. પોતાના અંગત રક્ષણ માટે નિયુક્ત કરાયેલા શિવાજી હોસ્માનીએ પોતાને જાણકારી આપી હતી કે હુમલાખોરોને યુવા કોંગ્રેસના સભ્યો તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે જેમને ઉંચા હોદ્દા પરના લોકોએ પોતાને પાઠ ભણાવવા માટે મોકલ્યા હતા.

નવી દિલ્હીસ્થિત પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું છે કે એક પત્રકાર તરીકે ગોસ્વામીએ એમના જે મંતવ્યો વ્યક્ત કર્યા એ બદલ એમની પર કથિતપણે કરવામાં આવેલા હુમલા વિશે જાણીને ચિંતા થઈ છે. આ દેશમાં પત્રકાર સહિત દરેક નાગરિકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે, પછી ભલે એ બીજા ઘણા લોકોને પસંદ ન પણ હોય. પરંતુ એને કારણે કોઈનો અવાજ દબાવી દેવાની કોઈને સત્તા આપવામાં આવી નથી. ખરાબ પત્રકારત્વ સામે પણ હિંસા સાંખી લેવાય નહીં.

ગોસ્વામી રીપબ્લિક ટીવીના માલિક પણ છે.

પ્રેસ કાઉન્સિલે હુમલાને વખોડી કાઢ્યો છે અને એવી આશા વ્યક્ત કરી છે કે મહારાષ્ટ્ર સરકાર ગુનાનાં સૂત્રધારોને તત્કાળ પકડશે અને સજા કરશે.

પીસીઆઈના ચેરમેને મહારાષ્ટ્ર સરકારને કહ્યું છે કે આ બાબતમાં રાજ્યના ચીફ સેક્રેટરી કે પોલીસ કમિશનર દ્વારા તપાસ કરાવે અને પોતાને વહેલી તકે એનો અહેવાલ સુપરત કરે.

નેશનલ યુનિયન ઓફ જર્નાલિસ્ટ્સ (ઈન્ડિયા)એ પણ ગોસ્વામી પરના હુમલાને વખોડી કાઢ્યો છે. જોકે સંસ્થાએ એમ પણ કહ્યું છે કે પત્રકારો અને પ્રકાશનગૃહોએ પણ કોઈ પણ હાલતમાં એમની મર્યાદાને ઓળંગવી ન જોઈએ અને વ્યાવસાયિક મૂલ્યોને જ વળગી રહેવું જોઈએ.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે હુમલાને વખોડી કાઢ્યો છે અને કહ્યું છે કે આ કૃત્ય લોકશાહી વિરુદ્ધનું છે.

ફેસબુક-જિયો સોદાથી મુકેશ અંબાણી ફરી એશિયાના શ્રીમંત વ્યક્તિ

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના અધ્યક્ષ મુકેશ અંબાણી ફરી એક વાર એશિયાની સૌથી વધુ શ્રીમંત વ્યક્તિ બની ગયા છે. RILની જિયો પ્લેટફોર્મ્સ અને ફેસબુકની વચ્ચે સોદો પાકો થયા બાદ મુકેશ અંબાણી ફરી એક વાર એશિયાની સૌથી શ્રીમંત વ્યક્તિની યાદીમાં સૌથી ટોચ પર પહોંચી ગયા છે. આ સમજૂતી હેઠળ ફેસબુકે જિયો પ્લેટફોર્મ્સમાં 9.9 ટકા હિસ્સો ખરીદ્યો છે. અર્થાત ફેસબુક હવે જિયો લિ.માં રૂ. 43,574 કરોડનું મૂડીરોકાણ કરશે. આ સોદાને કારણે RILના બજાર મૂલ્યમાં રૂ. 45,527.62 કરોડ વધીને રૂ. 8,29,084,62 કરોડ થઈ ગયું હતું.

જિયો-ફેસબુક સોદાને કારણે મુકેશ અંબાણીની સંપત્તિ જેક મા કરતાં પણ ત્રણ અબજ ડોલર વધુ થઈ ગઈ હતી. આ પહેલાં પાછલા કેટલાક દિવસોમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં જબરદસ્ત ઘટાડાને લીધે મુકેશ અંબાણીની સંપત્તિમાં 14 અબજ ડોલરનો ઘટાડો થયો હતો.

ફેસબુક અને જિયોની વચ્ચે થયેલા સોદાની માહિતી આપતાં ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગે કહ્યું હતું કે જિયો ભારતમાં બહુ મોટું પરિવર્તન લઈને આવશે. જિયોએ ચાર વર્ષથી ઓછા સમયમાં 38.80 કરોડથી વધુ લોકોને ઓનલાઇન સેવાઓમાં જોડ્યા છે. આ સોદો જિયો પ્રત્યે અમારા ઉત્સાહને દર્શાવે છે. બીજી બાજુ RILના અધ્યક્ષ મુકેશ અંબાણીએ કહ્યું હતું કે આ સમજૂતીથી ઘણી ઉત્સાહિત છે. તેમણે કહ્યું છે કે જિયોમાર્ટ જિયોનું નવું ડિજિટલ પ્લેટફોર્મ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે જિયોમાર્ટ અને ફેસબુકના વોટ્સએપની ત્રણ કરોડ નાની કરિયાણાની દુકાનોને ઓનલાઇન કરવાની યોજના છે.

 

 

ફંડ આપવા માટે WHOની અમેરિકાને ફરી આજીજી

જિનિવાઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના પ્રમુખે આશા વ્યક્ત કરી છે કે સંયુક્ત રાજ્ય અમેરિકા ફંડિંગ અટકાવવાના નિર્ણય માટે પુનર્વિચાર કરશે. કોરોના રોગચાળાના પ્રસાર પછી WHO પર ચાલી રહેલા રાજકારણની વચ્ચે WHOના પ્રમુખે મૌન તોડતાં કહ્યું હતું કે વિશ્વને આ રોગચાળાથી બચાવવાનો સંકલ્પ લીધો છે. WHOના ડિરેક્ટર જનરલ ટ્રેડ્રોસ અદનોમ ઘેબિયસનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકામાં તેમના રાજીનામાની વાતોએ જોર પકડ્યું છે. WHOના ડિરેક્ટર જનરલે કહ્યું છે કે તેમને આશા છે કે અમેરિકા એ વાતમાં વિશ્વાસ કરતું હશે કે એજન્સીમાં ફંડિંગ એક મહત્ત્વપૂર્ણ રોકાણ છે. આ ફંડિંગ બીજાને મદદ કરવા માટે જ નહીં, પણ આ રોગચાળાની વચ્ચે સુરક્ષિત રહેવા માટે અત્યંત આવશ્યક છે.   અમેરિકી પ્રતિનિધિ સભામાં રિપબ્લિકન સંસદસભ્યોના એક જૂથે પાછલા સપ્તાહે સૂચનો કર્યાં હતાં કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટેડ્રોસને સ્વૈચ્છિક રાજીનામાની માગ રાખવી જોઈએ. આવ  સવાલના જવાબમાં ડ્રોસે કહ્યું હતું કે હું તો દિવસ-રાત કામ કરતો રહીશ, કેમ કે આ એક ઉમદા કાર્ય છે. તેમણે કહ્યું હતું કે આ સમયે મારી જવાબદારી લોકોના જીવનને સુરક્ષિત રાખવાની છે અને હું એના પર ધ્યાન કેન્દ્રિત કરતો રહીશ. તેમણે કહ્યું હતું કે આ જ કારણ છે કે તમે મને ક્યારેય ફરિયાદ કરતો નહીં જુઓ, કેમ કે આપણને સૌનો સહકાર મળવો જોઈએ.

સભ્ય દેશોને અમેરિકી સહાયતાની એક નવા હપતાની જાહેરાત

ગઈ કાલે એટલે કે 22 એપ્રિલે વોશિંગ્ટનમાં એક સંવાદદાતા સંમેલનમાં અમેરિકી વિદેશપ્રધાન માઇક પોમ્પિઓએ કહ્યું હતું કે વિશિષ્ટ દેશોને અમેરિકી મદદનો એક હપતાની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે કુલ વાઇરસ સહાયતા 700 મિલિયન ડોલરથી વધુની થઈ છે. અન્ય અમેરિકી અધિકારીઓએ કહ્યું હતું કે WHO માટે નહીં ફાળવાયેલા પૈસાનો ઉપયોગ આ ઉદ્દેશ માટે કરવામાં આવશે. એ પૈસાને બસ માત્ર વ્યક્તિગત જૂથોને જ વિતરણ કરવામાં આવશે.

WHO ચીનના હાથનું રમકડું બની ગયું છે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રે આરોપ લગાવ્યો છે કે WHO ચીનના દુષ્પ્રચારનું સાધન બની ગયું છે. આ કોરોના વાઇરસના સંકટગ્રસ્ત કાળમાં WHO પોતાની શાખ ગુમાવી ચૂકી છે. હાલમાં ટ્રમ્પે WHOને અપાતા ફંડિંગને અટકાવવાની જાહેરાત કરી હતી. તેમણે આ વાઇરસના રોગચાળા દરમ્યાન ચીનનો પક્ષપાત કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. WHOનો સૌથી મોટો નાણાસ્રોત અમેરિકા છે.

કોરોના સંકટમાં WHOની શાખ તળિયે

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ બ્રાયને કહ્યું હતું કે WHOની સાથે મુશ્કેલી એ છે કે આ કપરા કાળમાં એની શાખ સાવ તળિયે ગઈ છે. તેમણે કહ્યું હતું કે અમેરિકા આ સંસ્થા પર 50 કરોડ ડોલરથી વધુ ખર્ચે છે. ચીન એના પર આશરે ચાર કરોડ ડોલર ખર્ચ કરે છે, જે અમેરિકાના યોગદાનના દસમો હિસ્સો છે. એ પછી પણ WHO ચીનના દુષ્પ્રચારનું સાધન બની ગઈ છે.

 

અજય દેવગન અભિનીત ‘રેડ’ની સિક્વલ બનાવવાનું નક્કી થયું

મુંબઈઃ 2018માં આવેલી ‘રેડ’ ફિલ્મની સિક્વલ બનાવવાનું નિર્માતાઓએ નક્કી કર્યું છે. અજય દેવગન અભિનીત ‘રેડ’ ફિલ્મની સિક્વલની હાલ સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી રહી છે.

2018ની ‘રેડ’નું દિગ્દર્શન રાજકુમાર ગુપ્તાએ કર્યું હતું. તે ફિલ્મ એક શક્તિશાળી નેતાના નિવાસસ્થાન પર આવકવેરા વિભાગે પાડેલા દરોડાની સત્યઘટના પર આધારિત હતી. તે દરોડા ઈતિહાસમાં સૌથી લાંબો સમય સુધી ચાલ્યા હતા – 18 કલાક સુધી. અજય દેવગને ‘રેડ’ ફિલ્મમાં અમય પટનાયક નામના ઈન્કમ ટેક્સ ઓફિસરનો રોલ કર્યો હતો.

”રેડ’ ફિલ્મને દર્શકોએ ખૂબ જ વખાણી હતી. ત્યારે જ અમને થયું હતું કે દર્શકોને આવા સ્માર્ટ વિષય બહુ જ ગમે છે. હવે હું, અજય દેવગન અને નિર્માતા કુમાર મંગત ‘રેડ’ની સિક્વલ બનાવવા વિશે ચર્ચા કરી રહ્યા છીએ. ફિલ્મનો બીજો ભાગ હાલ સ્ક્રિપ્ટના તબક્કામાં છે,’ એમ ટી-સિરીઝના માલિક અને નિર્માતા ભૂષણ કુમારે કહ્યું છે.

ટી-સિરીઝની લેટેસ્ટ ફિલ્મ હતી ‘તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર’. આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર તરખાટ મચાવ્યો હતો. આ ફિલ્મમાં પણ અજય દેવગન મુખ્ય ભૂમિકામાં હતો.

‘રેડ’ની સિક્વલનું શૂટિંગ આવતા વર્ષના આરંભ પહેલા શરૂ થવાની ધારણા નથી.

અમેરિકાની આ યુનિવર્સિટીઓએ ફંડ પરત આપશે

ન્યૂયોર્કઃ કોરોના વાઈરસ સામેની લડાઈ વચ્ચે હાર્વર્ડ યુનિવર્સિટીએ જાહેરાત કરી છે કે, તે કોરોના વાઈરસ સંઘીય રાહત કોષ (Federal Coronavirus Relief)ને 87 લાખ ડોલરનું ફંડ પરત કરશે. મહત્વનું છે કે, એક દિવસ પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વની સૌથી ધનિક યુનિવર્સિટીઓને કરદાતાઓ તરફથી મળતા ફંડને પરત કરવા અપીલ કરી હતું.

તો હાર્વર્ડને પગલે સ્ટેનફોર્ડ, પ્રિન્સટન અને યેલ યુનિવર્સિટીએ પણ તેમને મળતા ફંડને પરત કરવાનો નિર્ણય કર્યો છે. હાર્વર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર મહામારીને કારણે સ્કુલને અનેક મહત્વપૂર્ણ નાણાકીય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે છતા અમે ફંડ પરત કરીશું.

હાર્વર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે સમજીએ છીએ કે આ સંસાધનોનો પુન: નિર્ધારણ શિક્ષણ વિભાગ માટે વિચારણાની બાબત છે, છતા પણ આશા રાખીએ છીએ કે મેસેચ્યુસેટ્સની સંસ્થાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે જે આ મુશ્કેલ અને પડકારરૂપ સમયમાં વિદ્યાર્થીઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સમાં હાર્વર્ડ અને સ્ટેનફોર્ડનો આભાર માનતા કહ્યું કે યુનિવર્સિટીઓના ભંડોળ પરત કરવાના નિર્ણયથી તે ખુશ છે. આ અગાઉ મંગળવારે ટ્રમ્પે કહ્યું હતું કે હાર્વર્ડ તેના હિસ્સાનું ફંડ ન લેવું જોઈએ કારણ કે તેમની પાસે અનેક નાણાકીય અનામત છે.

 

કેન્દ્રીય કર્મચારીઓનો મોંઘવારી વધારો અટકાવાયો

નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓને વધેલા મોંઘવારી ભથ્થાં (DA)ની ચુકવણીને નાણાં મંત્રાલયે હાલ પૂરતું અટકાવી દીધી છે. 13 માર્ચે સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘાવારી ભથ્થામાં ચાર ટકા વધારાનું એલાન કર્યું હતું કે જેથી કર્મચારીઓને એપ્રિલ મહિનાની સેલરીમાં જાન્યુઆરીથી માર્ચ સુધીનું એરિયર્સની સાથે વધેલા DA મળવાની આશા હતી, પણ હવે આ નિર્ણયની સાથે 1.4 કરોડ કર્મચારીઓ અને પેન્શનરોની આશા પર પાણી ફરી ગયું છે. આમ કોરોના વાઇરસ પર કાબૂ મેળવવાના પ્રયાસોમાં કેન્દ્ર સરકારે વધતા આર્થિક બોજને જોતાં ખર્ચોમાં કાપ મૂકવાનું શરૂ કર્યું છે.

નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં નિવેદનમાં કહ્યું હતું કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને એક જાન્યુઆરી, 2020થી બાકીનું મોંઘવારી ભથ્થું નહીં ચૂકવવામાં આવે. આ સિવાય એક જુલાઈ, 2020થી ડિસેમ્બર, 2020 સુધી લાગુ થનારું મોંઘવારી ભથ્થું પણ નહીં મળે. આટલું જ નહીં આગામી વર્ષે જાન્યુઆરીમાં પણ મોંઘવારી ભથ્થામાં વધારો નહીં થાય. નાણાં મંત્રાલયના આ આદેશનો સીધો અર્થ એ છે કે કેન્દ્રીય કર્મચારીઓએ હવે વધેલા મોંઘવારી ભથ્થા માટે જુલાઈ, 2021 સુધી રાહ જોવી પડશે. જોકે હાલના દરે પર મોંઘવારી ભથ્થાની ચુકવણી થતી રહેશે. હાલ 17 ટકાના દરે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું મળશે. જો સરકાર દ્વારા આ વધેલા મોંઘવારી ભથ્થાની ચુકવણી કરવામાં આવત તો સરકાર પર રૂ. 14,500 કરોડ કરોડનો બોજ પડત.

રાજ્યોમાં પણ કર્મચારીના પગાર અને ભથ્થામાં કાપ

કેન્દ્ર સરકાર સિવાય રાજ્યોએ પણ સરકારી કર્મચારીઓના પગાલ અનમે ભથ્થામાં કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. કેરળ સરકારે મેથી લઈને સપ્ટેમ્બર સુધી કર્મચારીઓની સેલરીમાંથી દર મહિને છ દિવસનો પગાર કાપવાનો નિર્ણય કર્યો છે. આ જ રીતે સરકાર પાંચ મહિનામાં હપતા દ્વારા કુલ એક મહિનામાં સેલરી કાપવાની યોજના બનાવી છે. આ જ રીતે તેલંગાણા સરકારે પણ સેલરી કાપ મૂકવાનો  કાપ મૂક્યો છે. મધ્ય પ્રદેશ સરકારે પણ કર્મચારીઓના વધેલા મોંઘવારી ભથ્થાની ચુકવણીને અટકાવી દીધી છે.

લોકડાઉનઃ મહિલા ક્રિકેટ કેપ્ટન હરમનપ્રીત કૌરે બતાવ્યો જાદૂ

મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળાને કારણે હાલ આખા ભારતમાં તાળાબંધી લાગેલી છે. લગભગ એક મહિનાથી લાગુ થયેલા આ લોકડાઉનમાં તમામ લોકો – સામાન્ય જનતાથી લઈને સેલિબ્રિટી વ્યક્તિઓ, ઘરની ચાર દીવાલ વચ્ચે કેદ થયેલા છે. ઘણી સેલિબ્રિટી વ્યક્તિઓ આ સમયગાળા દરમિયાન એમનો જુસ્સો ટકાવી રાખવા અને ટાઈમ પાસ કરવા માટે એમના જુદા જુદા પ્રકારના શોખને કેળવે છે અથવા કંઈક નવી પ્રવૃત્તિ કરે છે.

દેશની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન અને ઓલરાઉન્ડર હરમનપ્રીત કૌર એક જાદૂ શીખી છે.

એણે આ જાદૂ બતાવતો એક વિડિયો એનાં ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. એમાં તે અરીસા સાથે નાનકડા પિંગ-પોંગ બોલથી રમી રહી છે. તે એક કાચના ગ્લાસમાં રાખેલો બોલ જેવો અરીસા પર ફેંકે છે ત્યારે એવું દેખાય છે કે અરીસામાંના તેના પ્રતિબિંબે બોલને કલેક્ટ કર્યો છે. બોલ જાણે અરીસાની આરપાર જતો રહે છે. આશ્ચર્ય ઉપજાવનારી વાત એ છે કે બોલ સામેની બાજુએ જઈને પાછો આવી જાય છે.

આ ટ્રિકે ઈન્ટરનેટ યુઝર્સને ઘેલાં કરી મૂક્યાં છે. તમે પણ આ વિડિયો જુઓ તો જ ખ્યાલ આવશે.

View this post on Instagram

Mirror, mirror on the wall, who the realest of them all.

A post shared by Harmanpreet Kaur (@imharmanpreet_kaur) on

31 વર્ષીય હરમનપ્રીત કૌરે આ વિડિયોની કેપ્શનમાં લખ્યું છેઃ ‘મિરર, મિરર ઓન ધ વોલ. આમાં અસલી કોણ?’

અનેક જણે હરમનપ્રીતની પોસ્ટ વિશે કમેન્ટ આપી છે. એક જણે હરમનના સવાલના જવાબમાં આમ લખ્યું છેઃ અરીસો ક્યારેય જુઠું ન બોલે, અસલી તો તું જ છો.

આ વિડિયોને ઈન્સ્ટાગ્રામ પર બે લાખથી પણ વધારે વખત જોવામાં આવ્યો છે.

હાલ લોકડાઉનને કારણે ક્રિકેટની રમત રમવાનું પ્રતિબંધિત છે ત્યારે ભારતની ટ્વેન્ટી-20 મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર ઘરમાં અનેક કામ કરે છે. એની તસવીરો એણે સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી છે, જેમ કે એ રસોઈ બનાવે છે, માસ્ક સીવે છે, શાંતિથી ચા પીવે છે.

પુરુષ ક્રિકેટ ટીમનો ખેલાડી શ્રેયસ ઐયર પણ એના ઘરમાં રહીને મેજિક ટ્રિક્સ બતાવતો હોય છે.

હરમનપ્રીત કૌરે આ બોલ-ટ્રિક બતાવીને જાણે ઐયરને ચેલેન્જ ફેંકી છે.

હરમનપ્રીત કૌરનાં નેતૃત્ત્વમાં ભારતીય ટીમ ટ્વેન્ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી, પણ ત્યાં ઓસ્ટ્રેલિયા સામે એનો પરાજય થયો હતો. જોકે આખી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમના દેખાવે સૌ કોઈનું દિલ જીતી લીધું હતું.

નવી મુંબઈની ફળ-શાકભાજીની હોલસેલ માર્કેટમાં લોકડાઉન…

મુંબઈની પડોશના નવી મુંબઈ શહેરના વાશી ઉપનગરમાં ફળ અને શાકભાજીની હોલસેલ માર્કેટ આવેલી છે. મુંબઈ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (એગ્રીકલ્ચરલ પ્રોડ્યૂસ માર્કેટ કમિટી – APMC) માર્કેટમાં કોરોના વાઈરસને કારણે લોકડાઉન છે. જૂજ પ્રવૃત્તિઓ જ ચાલુ છે. એ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, સ્વચ્છતાના નિયમોનું કડક રીતે પાલન કરવામાં આવી રહ્યું છે.

APMC એ મહારાષ્ટ્ર સરકારે રચેલું માર્કેટિંગ બોર્ડ છે, જેનો ઉદ્દેશ્ય ખેડૂતોને મોટા રીટેલરો દ્વારા શોષણનો ભોગ બનતા અટકાવવાનો તેમજ કૃષિ ઉત્પાદનોની કિંમતને વધારે પડતા ઊંચા સ્તરે જતી રોકવાનો છે.

(તસવીરોઃ દીપક ધુરી)

દરેક પરિવારને ઓછામાં ઓછા 7500 રૂપિયા આપોઃ સોનિયા

નવી દિલ્હી: કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક વાર ફરી PPEની અછત અને ખરાબ ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યો છે. કોંગ્રેસ વર્કિગ કમિટી (સીડબ્લ્યૂસી)ની બેઠકમાં સોનિયા ગાંધીએ PPE કિટની ખરાબ ક્વોલીટી પર ચિંતા વ્યક્ત કરી છે. સાથે સાથે દેશમાં કોરોના ટેસ્ટ બહુ ઓછા થઈ રહ્યા છે તે બહું ગંભીર બાબત છે એમ પણ જણાવ્યું હતુ.

બેઠકમા સોનિયા ગાંધીએ માંગણી કરી હતી કે ગરીબો અને મજૂરો તેમજ ખેડૂતોના ખાતામાં 7500 રુપિયા ટ્રાન્સફર કરવામાં આવે. મજૂરોને અનાજ પુરુ પાડવા તાત્કાલીક પગલા ભરવામાં આવે. આપણે કોરોના વોરિયર્સનો આભાર માનવો જોઈએ કેમ કે તેઓ મેડિકલ ઈક્વિપમેન્ટ વગર લોકોની સેવા કરી રહ્યા છે.

સોનિયા ગાંધીએ લોકડાઉનના કારણે દેશના ખેડૂતો સૌથી વધારે ચિંતિત હોવાનું જણાવી તેમની સમસ્યાઓના સમાધાન અને ખરીફ પાક માટે સુવિધા આપવાની માંગ કરી હતી. તેમના મતે અસ્પષ્ટ તથા નબળી ખરીદ નીતિઓ અને સપ્લાય ચેનની મુશ્કેલીઓના કારણે ખેડૂતો દુખી છે. હાલ બેરોજગાર બની ગયેલા પરપ્રાંતીય મજૂરોનો મુદ્દો ઉઠાવીને તેમણે મજૂરોને ખાદ્ય સુરક્ષા અને નાણાંકીય સુરક્ષા ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી.

મોદી સરકાર પર આરોપ મુકતા સોનિયા ગાંધીએ કહ્યું કે, તેઓ વારંવાર ટેસ્ટિંગનો કોઈ વિકલ્પ ન હોવાનું કહી રહ્યા છે પરંતુ છતા ખૂબ ઓછા ટેસ્ટિંગ થઈ રહ્યા છે અને પીપીઈ પણ સારી ગુણવત્તાના નથી. સોનિયા ગાંધીના કહેવા પ્રમાણે તેમણે અનેક સૂચનો આપ્યા પરંતુ સરકાર તેને અમલમાં મુકવા કોઈ સક્રિયતા નથી દેખાડી રહી.

લોકડાઉન પછી મજૂરો માટે મુંબઈ, પુણેથી સ્પેશિયલ ટ્રેનો શરૂ કરજોઃ અજિત પવાર

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કેન્દ્ર સરકારને આજે વિનંતી કરી છે કે કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે લાગુ કરવામાં આવેલું દેશવ્યાપી લોકડાઉન હટાવી લેવાય તે પછી પરપ્રાંતીય મજૂરો માટે મુંબઈ, પુણેથી વિશેષ ટ્રેનો શરૂ કરજો જેથી તેઓ એમના વતન પાછા જઈ શકે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે લાગુ કરેલા દેશવ્યાપી લોકડાઉનની લંબાવેલી મુદત 3 મેએ પૂરી થાય છે.

3 મેએ લોકડાઉન સમાપ્ત થશે એ પછી જો લાંબા અંતરની ટ્રેનો શરૂ થશે તો મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં અટવાઈ ગયેલા પરપ્રાંતીય મજૂરો એમના વતન જવા માટે મોટી સંખ્યામાં બહાર પડશે, ધસારો કરશે અને રેલવે સ્ટેશનો પર, પરિસરમાં જબ્બર ગીરદી થવાની શક્યતા છે.

એને કારણે કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી થવાનો સંભવ પણ રહેશે. એ માટે મુંબઈ અને પુણેમાંથી સ્પેશિયલ ટ્રેનો દોડાવવી જોઈએ જેથી સ્થળાંતરિત મજૂરો એમના વતન જઈ શકે. આ માગણી અજિત પવારે કેન્દ્રીય રેલવે પ્રધાન પીયૂષ ગોયલને કરી છે.

આ પહેલાં, રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ આવી માગણી કરી હતી, પરંતુ કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરીએ એવી વિશેષ ટ્રેનો દોડાવવાનો ઈનકાર કરી દીધો હતો.

તેથી આજે નાયબ મુખ્ય પ્રધાન પવારે રેલવે પ્રધાન પીયૂષ ગોયલને પત્ર લખીને વિનંતી કરી છે.

કેન્દ્ર સરકારે ગઈ 24 માર્ચથી દેશભરમાં તાળાબંધી જાહેર કરી છે અને એ જ દિવસથી ટ્રેનસેવા પણ બંધ કરી દીધી છે. એને કારણે ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં જુદા જુદા ભાગોમાં કમાવા માટે આવેલા મજૂરો, કામદારો અટવાઈ ગયા છે.

મહારાષ્ટ્ર સરકાર જોકે આ મજૂરો માટે ઠેરઠેર રાહત શિબિરો શરૂ કરીને એમને નિવાસ, ભોજન અને આરોગ્યની સુવિધા પૂરી પાડી રહી છે.

મહારાષ્ટ્ર સરકાર સંચાલિત આવી શિબિરોમાં આશરે સાડા છ લાખ જેટલા મજૂરો રહે છે.

કેટલીક સ્વયંસેવી સંસ્થાઓએ પણ ઘણા મજૂરોને સંભાળવા માટે પોતાની રીતે વ્યવસ્થા કરી છે.