Home Blog Page 4837

કેન્દ્રીય બજેટ-2020 વિશે આર્થિક જગતના નિષ્ણાતો શું કહે છે…

બજેટ 2020થી વધુ આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષી શકાશે

વર્ષ 2020-21ના બજેટ અંગેની ટિપ્પણીમાં બીએસઈના ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વી. બાલાસુબ્રમણિયમે જણાવ્યું કે નિયામક પાસેથી મંજૂરી મળે કે તરત જ ઈન્ડિયા આઈએનએક્સ રૂપી ડોલર ફ્યુચર્સ અને ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સ લોન્ચ કરવા સજ્જ છે. એ ઉપરાંત અમે ગિફ્ટ સિટીસ્થિત આઈએફએસસી ખાતે ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ સ્થાપવા પણ આતુર છીએ.

નાણાપ્રધાને રજૂ કરેલા બજેટમાં ઈન્ડિયા આઈએનઅએક્સ બોન્ડ્સ પરના વિથહોલ્ડિંગ ટેક્સને પાંચ ટકાથી ઘટાડીને ચાર ટકા કરવામાં આવ્યો હોઈ ઈશ્યુઅરોને ભારે ઉત્તેજન મળશે અને વધુ આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષી શકાશે.

 

 


ડો. નિરંજન હીરાનંદાની

‘બજેટ 2020 સાચી દિશાનું પણ આર્થિક ઉત્તેજન માટેના ઉદ્દીપકો વિનાનું’

એસોચેમના પ્રમુખ ડો. નિરંજન હીરાનંદાનીએ કેન્દ્રિય બજેટ અંગેની પ્રતિક્રિયામાં જણાવ્યું છે કે બજેટનો એકંદર આશય શુભ છે કે જેમાં બધાં મહત્ત્વનાં ક્ષેત્રોને સ્પર્શ આપવામાં આવ્યો છે અને વિકાસના માર્ગની રૂપરેખા ઘડવામાં આવી છે. જોકે પ્રત્યેક ક્ષેત્ર માટેના ખર્ચની જોગવાઈઓ કરાઈ છે તે બમણી કરી શકાઈ હોત એવું અમને લાગે છે. એમ લાગે છે કે નાણાપ્રધાને સમસ્યાના મૂળને પકડ્યું નથી.

હું કહીશ કે આ કૃષિલક્ષી બજેટ છે પણ જ્યારે ફુગાવાની ચિંતા નથી ત્યારે તેને સંબંધિત ખર્ચ વધારી શકાયો હોત. 2022 સુધીમાં કૃષિ આવક બમણી કરવાની નેમ એ સારું પગલું છે.

સોલર પંપને પગલે ખેડૂતોનો વીજખર્ચ 50 ટકા ઘટશે અને સરકાર બે વર્ષમાં ઈન્સ્ટોલેશનનો ખર્ચ રિકવર કરી શકશે.

જળ માટે કરાયેલી જોગવાઈ પર્યાપ્ત હોવાનું લાગતું નથી. શિક્ષણ ક્ષેત્રે શિક્ષણની ગુણવત્તા પર ભાર મૂકવામાં આવ્યો અને નવા એન્જિનિયરોને શહેરી સ્થાનિક બોડીઝમાં તાલીમાર્થીઓ તરીકે નીમવાનું પગલું સ્તુત્ય છે.

શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે પરંતુ તેમાં અપર્યાપ્ત વેગ છે. પ્રતિદિન 35 કિમીને બદલે ઓછામાં ઓછા 70 કિલોમીટર માર્ગ બાંધકામનો લક્ષ્યાંક રાખવો જોઈતો હતો. એ રીતે પાવર ક્ષેત્રમાં પણ થર્મ પાવર સ્ટેશન્સ પર વધુ ધ્યાન કેદ્રિત કરવાની જરૂર છે.

ડિવિડંડ ટેક્સની નાબૂદી એક સારું પગલું છે પરંતુ કોર્પોરેટ વેરામાં ઘટાડો અને પર્સનલ ટેક્સના માળખા હેઠળ ઉપલબ્ધ લાભો મર્યાદિત વર્ગને ઉપલબ્ધ થશે.


‘બજેટ શેરમાર્કેટની ધારણાથી વિપરીતઃ ડેરિવેટિવ્ઝમાં ધારણા પ્રમાણે વોલેટાલિટી’

જનક સલ્લા

ડેરિવેટિવ્ઝ એનાલિસ્ટ જનક સલ્લાના જણાવ્યા મુજબ, ટ્રેડરો માટેનું મહાપર્વ એટલે બજેટ. જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે બજેટની 1 ફેબ્રુઆરીએ જાહેરાત થઈ અને પરિણામ શું આવ્યું તેના વિશે વાત કરીએ. કૅશ માર્કેટમાં ઇન્ડેક્સમાં જોરદાર ધબડકો થતાં સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે 988 અને 300 પોઇન્ટ ઘટ્યા હતા.

બજેટને ડેરિવેટીવ્ઝ ટ્રેડિંગની દૃષ્ટિએ જોઈએ તો, ડેરિવેટીવ્ઝ (ફ્યુચર્સ ઍન્ડ ઑપ્શન્સ – F&O) ટ્રેડરો માટે `બજેટ-ડે’ ધારણા પ્રમાણે સતત વોલેટાઈલ રહ્યો.

નિફ્ટી ઈન્ડેક્સ ઓપ્શન અને સ્ક્રિપ ઓપ્શનમાં કિંમતમાં વધારો જોવા મળ્યો, જેણે ઈમ્પ્લાઈડ વોલેટિલિટીમાં (ઓપ્શનને ફ્યુચરથી હેજ કરી ટ્રેડ કરવાની રીત) બજેટ સેશનની શરૂઆતમાં વધારો કર્યો.

નિફ્ટી ઇન્ડેક્સ ઇમ્પ્લાઈડ વોલેટિલિટી એટ-ધી-મની સ્ટ્રાઈક પર 25 ટકાથી ઉપર ટ્રેડ થતી જોવા મળી, જ્યારે ઈન્ડિયા વિક્સ (વોલેટિલિટી ઇન્ડેક્સ) 17.40થી ઉપર જોવા મળ્યો, જે દિવસના ઉચ્ચતમ સ્તર પર ટ્રેડિંગ થઈ રહ્યો હતો.

શનિવારના રોજ બજેટને લીધે શેરબજાર ચાલુ રહ્યું હતું. સેશનમાં બજેટ સ્પીચ પૂર્ણાહુતિ નજીક પહોંચી ત્યાર સુધીમાં માર્કેટમાં નેગેટિવ વાતાવરણ બની ચૂક્યું હતું. માર્કેટમાં મોટે પાયે કરેક્શન આવ્યું. ખાસ કરીને ઈન્શ્યોરન્સ અને હાઉસિંગ ફાઈનાન્સ સેક્ટરમાં. આમ, 6 ફેબ્રુઆરીએ એક્સપાયર થનારી નિફ્ટી ઈન્ડેક્સ ફ્યુચર અને ઓપ્શન (F&O) સિરીઝમાં ઓપ્શન સ્ટ્રાઈક પર કિંમતમાં જે વધારો થયો હતો તેમાં શોર્ટ સેલિંગમાં વધારો થતો જોવા મળ્યો. 6 ફેબ્રુઆરી નિફ્ટી ઓપ્શનમાં 12200ના કોલ ઓપ્શનની સ્ટ્રાઈક પર 27.43 લાખથી વધુનું ઓપન ઈન્ટરેસ્ટ બજેટ સ્પીચ પહેલાં નોંધાયું હતું. ત્યારે ઈમ્પ્લાઈડ વોલેટિલિટી 25.60 ટકા પર ટ્રેડ થઈ રહી હતી, જ્યારે કે બજેટ સ્પીચ બાદ તુરંત જ ઈમ્પ્લાઈડ વોલેટિલિટી આ જ સ્ટ્રાઈક પર 20 ટકાથી નીચે ટ્રેડ થવા લાગી. આમ, એક ઓપ્શન લોટ પર સ્ટ્રાઈક કિંમતમાં 30 રૂપિયાથી વધુનું કરેક્શન બન્યું હતું, જે બજેટ બાદ અપેક્ષિત હતું.

6 ફેબ્રુઆરી એક્સપાયરીમાં એટ-ધી-મની 12000ના કોલ ઓપ્શનની સ્ટ્રાઈક પર બજેટ બાદ તુરંત જ 17.3 ટકાની ઈમ્પ્લાઈડ વોલેટિલિટી ટ્રેડ થતી જોવા મળી હતી, જે ઉપરમાં 24.35 ટકા સુધી ટ્રેડ થતી જોવા મળી હતી. 12000ની સ્ટ્રાઈક પર 31 લાખથી વધુનું ઓપન ઇન્ટરેસ્ટ નોંધાયું. સ્ટ્રાઈક કિંમત ઉપરમાં 72.25 રૂપિયા, તો નીચામાં 6 રૂપિયા સુધી ટ્રેડ થતી જોવા મળી હતી. કોલ ઓપ્શન શોર્ટ સેલિંગમાં ટ્રેડિંગ ફાયદાકારક સાબિત થયું હતું.

નિફ્ટી ઈન્ડેક્સ, 20 ટકાથી વધુની ઇમ્પ્લાઈડ વોલેટિલિટી જે એટ-ધ-મની સ્ટ્રાઈક પર ટ્રેડ થઈ રહી હતી તેમાં ઇવેન્ટની સમાપ્તિએ 13 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો હતો અને આવનારા ટ્રેડિંગ સેશનમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે.


ગિફટ સિટીમાં શરૂ થનારા બુલિયન એક્સચેંજમાં કામ કરવું અન્ય એક્સચેંજ કરતાં સહેલું હશે

સ્મિત ભાયાણી

બુલિયન એનાલિસ્ટ સ્મિત ભાયાણી જણાવે છે કે, નાણાપ્રધાને રજૂ કરેલા બજેટમાં ગાંધીનગર ખાતે ગિફટ સિટીમાં આવેલા ઇન્ટરનૅશનલ ફાઇનાન્સ સર્વિસ સેક્ટરમાં બુલિયન એક્સચેંજ અથવા ગોલ્ડ સ્પોટ એક્સચેંજ શરૂ કરવાની મંજૂરી અપાવાની વાત કરાઈ છે.

ગિફટ સિટીમાં શરૂ થનારા બુલિયન એક્સચેંજમાં કામ કરવું અન્ય એક્સચેંજ કરતાં સહેલું હશે, કારણ કે ગિફ્ટ સિટી ફ્રી ટ્રેડ ઝોનમાં છે અને અહીં એક જ રેગ્યુલેટર છે. ભારતમાં હજુ સ્પોટ બુલિયન એક્સચેંજને કોણ રેગ્યુલેટ કરશે તે નક્કી ન હોઇ અન્ય જગ્યાએ સ્પોટ ગોલ્ડ એક્સચેંજ શરૂ કરવું અશક્ય હતું.

આઇએફએસસી-ગિફ્ટમાં ફ્રી ટ્રેડ ઝોનની મંજૂરી છે તેમ જ ગિફ્ટમાં વોલ્ટ સર્વિસ પ્રોવાઇડર કંપની પણ ઑલરેડી કાર્યરત છે. આઇએફએસી-ગિફ્ટમાં અત્યારે પણ ૧૯ વીમા કંપનીઓ અને ૪૦ બૅન્કો કાર્યરત છે.

આઇએફએસસીમાં બે ફોરેન કંપનીઓને વોલ્ટ સર્વિસ કરવા લાઇસન્સ અપાયાં છે. આ તમામ સવલતોને કારણે ગિફ્ટ સિટીમાં મંજૂર થયેલા સ્પોટ બુલિયન એક્સચેંજને અનેક પ્રકારની સુવિધાઓ મળશે, ઇમ્પોર્ટ થયેલા સોનાના સ્ટોરેજ માટે અને કોઇ જ્વેલર કે રિફાઇનર ગિફ્ટ સિટી દ્વારા લોકલ માર્કેટ માટે ગોલ્ડ ઇમ્પોર્ટ કરવા ઇચ્છે તો વોલ્ટ કંપનીઓ આ સવલત પૂરી પાડી શકે છે જેને માટે જ્વેલર કે રિફાઇનરને વોલ્ટ કંપનીને ગોલ્ડની ઇમ્પોર્ટ ડ્યુટી ચૂકવવી પડે છે.

બજેટમાં ગિફ્ટ સિટીમાં રૂપી ફયુચર અને ઓપ્શન ટ્રેડીંગ માટે પણ મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત, બોન્ડ ઇન્વેસ્ટરો માટે લોઅર વિથહોલ્ડિંગ ટૅક્સ અથવા ટીડીએસની માફીની મંજૂરી અપાઇ છે.

બીએસઇ સંચાલિત ઇન્ડિયા ઇન્ટરનૅશનલ એક્સચેંજે ગિફ્ટ સિટીમાં ગોલ્ડ સ્પોટ બુલિયન એક્સચેંજ શરૂ કરવા રસ દાખવ્યો છે. બીએસઇ સંચાલિત ઇન્ડિયા ઇન્ટરનૅશનલ એકસચેંજના મૅનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ વી. બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેંજ-આઇએનએક્સ આઇએફએસસીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેંજ શરૂ કરવા આતુર છે અને રૂપી-ડૉલર ફ્યુચર અને ઓપ્શન ટ્રેડિંગ પણ શરૂ કરવા તૈયાર છે. હવે આઇએફએસસી બુલિયન એક્સચેંજ અને રૂપી-ડૉલર ફ્યુચર અને ઓપ્શન માટે માર્ગદર્શિકા બહાર પાડશે.

સોના ઉપરની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થવાની આશા ફળીભૂત થઇ શકી નથી. આર્થિક સર્વેક્ષણમાં સોના પરની ડ્યુટી વધારાનો બચાવ કરવામાં આવ્યો હતો.


કોથળામાં પાંચશેરી નહીં, ઢગલાબંધ એક શેરીવાળો કોથળોઃ આમઆદમીને મૂંઝવતું બજેટ

બીરેન વકીલ

બીરેન વકીલ (કોમોડિટી ક્ષેત્રના અગ્રણી પત્રકાર) કહે છે, કરદાતા માટે રાહતોની ભૂલભુલામણી, ખેતી ક્ષેત્રે સાધનોની તોતિંગ ફાળવણી, આંતરમાળખા ક્ષેત્રે જંગી ફાળવણી માટે લાંબા ગાળાનાં આયોજનો અને કૉર્પોરેટ સેક્ટરને મોટી રાહતરૂપે ડિવિડિન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સમાંથી મુક્તિ આપી એ ભારણ રોકાણકાર પર નાખ્યું, લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ યથાવત્ રાખ્યો. આમઆદમીના સંદર્ભમાં કરરાહતોથી કંઇ ખાસ હરખાવા જેવું નથી. નાણાપ્રધાને કોથળમાં પાંચશેરી તો નથી મારી પણ એકશેરીના પાંચ નંગવાળો કોથળો માર્યો છે. બહુ વાગે નહીં એનું ધ્યાન રાખ્યું છે. જો કે બજારને બજેટ જરાય ના ગમ્યું, સેન્સેક્સ લગભગ 1000 પોઇન્ટ તૂટ્યો.

અર્થશાસ્ત્રીઓની નજરમાં બજેટ વરસમાં એક જ વાર આવતો મહત્ત્વનો નીતિવિષયક દસ્તાવેજ છે અને પ્રવર્તમાન તકો તથા પડકારોને ઝીલવાની સરકારની ક્ષમતા કે ઇચ્છાશક્તિ કેવી છે એનું પાઇલોટ રિડિંગ આપે છે. સમગ્રતયા રીતે જોઇએ તો, આર્થિક મામલે રાજકોષીય ખાધ વધવાની અપેક્ષા હતી જ, પણ સરકારે આ મામલે બોલ્ડ બનવાનું નક્કી કરીને ફિસ્કલ મૅનેજમેન્ટમાં સ્લિપેજની છૂટ લઇને ખાધ 3.3 ટકાને બદલે 3.8 ટકા, આવતા વરસ માટે ખાધ 3.5 ટકાનો અંદાજ મૂકયો. ’80-’90ના દાયકામાં આવતા વિસ્તરણકારી બજેટની ઝલક દેખાઇ.

સાથોસાથ ન્યુ ઇકોનોમીની ઝલક પણ મળી. રિઝર્વ બૅન્ક ઉપરનું નાણાકીય અવલંબન ટાળી શેરબજાર પાસેથી અને વિદેશી રોકાણકારો પાસેથી નાણાં મેળવવા માટે એલઆઇસીનો આઇપીઓ લાવી નાણાં ઉભાં કરવાં, પસંદગીના કૉર્પોરેટ બોન્ડમાં વિદેશી રોકાણકારો માટે રોકાણમર્યાદા 9 ટકાથી વધારીને 15 ટકા કરવી અને એ રીતે નાણાં ઉભાં કરવાં. ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સનું ભારણ કંપની પરથી હટાવી વ્યક્તિગત કરદાતા પર નાખવાની કવાયત અને કિસાનોની આવક બમણી કરવા માટે ખેતી ક્ષેત્રે 15 લાખ કરોડની ફાળવણી અને નાબાર્ડ મારફતે ફાર્મ ક્રેડિટ સુલભ બનાવવી આ બે પગલાં એટલે બજેટમાં સમાજવાદી કલેવર, પણ આત્મા મૂડીવાદી એવી છાપ પાડે છે. ખેતીના ભંડોળથી ફાર્મ પ્રોડ્યુસ કંપનીઓને ફાયદો થશે. દેશમાં અંદાજે 5000 જેટલી એફપીઓ છે. એમાં ઘણી ખરી અસ્તિત્વ ટકાવવા ઝઝૂમે છે, એમને લાઇફલાઇન મળશે.

સરકારનો ઝોક આર્થિક સ્લોડાઉનને રોકવાનો અને એ માટે બજારમાં તોતિંગ માત્રામાં નાણાં ફેંકવાનો છે. એ અર્થમાં બજેટની ડિઝાઇન ગ્લોબલ છે. વિકસિત દેશોનો નાણાકીય હળવી નીતિનો પ્રયોગ તેજી લાવી શક્યો નથી, યુરોપ અને જાપાનમાં સાવ નિષ્ફળ ગયો છે એટલે હવે રાજકોષીય હળવી નીતિ અમલી બની છે. બૅન્કોને નાણાં અપાયાં પણ એમણે નાણાં ધીર્યાં નહીં એટલે સરકાર સિસ્ટમમાં નાણાં મૂકશે. વ્યક્તિગત વેરા માટે બે વિકલ્પોનું અજીબ માળખું રચાયું છે.

સોના-ચાંદી બજારો માટે રાબેતા મુજબ નિરાશા જ રહી. ઉંચી આયાતજકાત યથાવત્ રહી. ગોલ્ડ પોલિસી, મોનેટાઇઝેશન કોઇ પગલાં આવ્યાં નહી. ગિફ્ટ સિટીમાં બુલિયન એક્સચેન્જ સ્થાપવાને મંજૂરી અપાઈ, પણ એ તો ઓફશોર બજાર – વિદેશીઓ માટે. એ મામલે શાંઘાઇ ગોલ્ડ એક્સચેન્જ કે લંડન બુલિયન માર્કેટ એસોસિયેશનનો બજાર હિસ્સો ભારતને મળે એવી હાલમાં કોઇ શક્યતા નથી. કોમોડિટી વાયદા બજારો માટે પણ કોઇ જાહેરાત નથી. કોમોડિટી ઇન્ડેક્સ ટ્રેડિંગમાં શોર્ટ સેલ પર 0.01 ટકા સીટીટીનો પ્રસ્તાવ છે. સંપૂર્ણ બજેટ હાથમાં આવી ગયા પછી બિટવીન ધ લાઇન્સ માટે ઘણી કવાયત કરવી પડશે.


નવા દરઃ કેટલા સુંદર?

સ્નેહલ મઝુમદાર

જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સ્નેહલ મઝુમદારે બજેટ વિશે કહ્યું છે કે નાણાપ્રધાને વ્યક્તિગત કરદાતાઓ અને હિંદુ અવિભક્ત કુટુંબ (એચયુએફ) માટે આવક વેરાના નવા સ્લેબ અને ઘટાડેલા દર જાહેર કર્યા છે, પણ એ ઘટાડો કેટલે અંશે આકર્ષક કે લાભદાયી થશે એ હજી અસ્પષ્ટ છે.

કરદાતાની જો ધંધાની આવક હોય તો એને આ નવી જોગવાઈઓ લાગુ પડતી નથી. નવા ઘટાડેલા દરનો લાભ લેવો હોય તો લીવ ટ્રાવેલ કન્શેશન, હાઉસ રેન્ટ એલાવન્સ, સ્ટાન્ડર્ડ ડિડક્શન, પ્રોફેશનલ ટૅક્સ, કલમ 80સી હેઠળ પબ્લિક પ્રોવિડન્ડ ફંડ, વગેરે, મેડિક્લેમના વીમાની રકમ, દાનની રકમ, વગેરે અનેકાનેક રાહતો/કપાતો બાદ મળી નહીં શકે. વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટૅક્સ નાબૂદ થવાથી ડિવિડન્ડની રકમ પણ કરદાતાની કુલ આવકમાં સંપૂર્ણપણે ઉમેરાશે અને એને કારણે પણ એની આવકનો સ્લેબ અને લાગુ પડતા દર વધી જશે. ઉપરોક્ત મુદ્દાઓ ધ્યાનમાં લઈએ તો આ સૂચિત ઘટાડાનો લાભ વાસ્તવમાં કેટલા કરદાતાઓ માટે ખુશખબર છે એ જોવાનું છે. કરદાતા માટે આ જોગવાઈ વૈકલ્પિક છે અને પૂરી ગણતરી કરીને જ એણે વિકલ્પ નક્કી કરવો રહ્યો.

કેપિટલ ગેઈનની ગણતરી વેળા એગ્રીમેન્ટ વેલ્યુ કરતાં રજિસ્ટ્રેશન વેલ્યુ વધારે હોય તો રજિસ્ટ્રેશન વેલ્યુ ગણતરીમાં લેવી પડે છે. અત્યાર સુધી પાંચ ટકા સુધીનો તફાવત માન્ય હતો જે વધારીને દસ ટકા કરવામાં આવ્યો છે, જે આવકારદાયક છે.


‘પર્યટન-કૃષિ ક્ષેત્ર માટેનાં પગલાં રોજગારલક્ષી

ચંદ્રકાંત પારેખ

અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર ચંદ્રકાંત પારેખ કહે છે, સરકારે પર્યટન અને કૃષિની નિકાસ વધારવા માટે નવાં-નક્કર પગલાં ભર્યાં છે, જેનાથી રોજગારનું સર્જન પણ થશે.

બૅન્ક ડિપોઝિટરો માટેનો ઇન્સ્યોરન્સ 1 લાખથી વધારીને 5 લાખ કરાયો તેનાથી સ્મૉલ ફાઇનાન્સ બૅન્કોને પ્રોત્સાહન મળશે. તેઓ સૂક્ષ્મ, લઘુ, મધ્યમ કદના એકમોને વધુ પ્રમાણમાં ધિરાણ આપી શકશે.

કૉર્પોરેટ બોન્ડની મર્યાદા વધારીને 15 ટકા કરાઈ હોવાથી કંપનીઓનો ધિરાણ લેવાનો ખર્ચ ઘટશે.

એલઆઇસીના આઇપીઓની જોગવાઈ પણ આવકારદાયક છે. ઓછામાં ઓછા એક સરકારી પોર્ટનું પણ લિસ્ટિંગ કરાશે, જે ઘણી સારી બાત છે.

 

 

 


‘વ્યક્તિગત કરવેરાની નવી જોગવાઈ ખરેખર તો એક છેતરપિંડી છે’

વિનોદ નગદિયા

વિનોદ નગદિયા (ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ)નું કહેવું છે કે, નાણાપ્રધાને વ્યક્તિગત અને હિન્દુ અવિભક્ત કુટુંબો માટેના કરવેરાના નવા દર જાહેર કર્યા છે. આ એક ખૂબ મોટી રાહત છે, પરંતુ મારા મતે કરદાતાઓ સાથે આ ખૂબ મોટી છેતરપિંડી છે, કારણ કે નવા વિકલ્પ મુજબ કર ભરવાનું પસંદ કરનાર વ્યક્તિગત કરદાતા કે હિંદુ અવિભક્ત કુટુંબને વર્તમાન કરમાળખા હેઠળ મળતી લગભગ તમામ કપાતો જતી કરવી પડે એમ છે, દાખલા તરીકે વર્તમાન કરમાળખામાં આવકવેરા ધારાના પ્રકરણ VI હેઠળ ઘણા પ્રકારની કરરાહતો ભલે છે, જેવી કે વીમા પ્રીમિયમ, મેડિક્લેઈમ પ્રીમિયમ, ડોનેશન વિ. ના ખર્ચમાં મળતી રાહતો. આ ઉપરાંત નોકરિયાતોને લીવ ટ્રાવેલ કન્સેશન, HRA સ્ટાન્ડર્ડ ડિડક્શન, પ્રોફેશનલ ટેક્સ, મફત ભોજન, ફૂડ કૂપન્સ, વિ. ઘણું બધું બાદ મળે છે, જે બધું જ જતું કરવું પડે, જો નવો વિકલ્પ પસંદ કરે તો એટલે આ નવા કરના દરોનો વિકલ્પ નોકરિયાતો અને અન્ય વ્યક્તિઓ કે જે રેગ્યુલર રોકાણ કરે છે તેને માટે લાભદાયી નથી.

(2) પાવર જનરેશન કંપનીઓને કરના દરોમાં રાહત આપી છે, એ સારું પગલું છે.

(3) ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો છે, પણ રોકાણકારના હાથમાં ડિવિડંડ ટેક્સપાત્ર કરવામાં આવ્યું છે.

(4) ટેક્સ ઓડિટ માટે ટર્નઓવરની લિમિટ વધારીને પાંચ કરોડ કરવામાં આવી છે, પરંત તેમાં ઘણી શરતો અને મુશ્કેલીઓ ઊભી કરવામાં આવી છે, જેની વિગતે ચર્ચા અહીં થઈ ન શકે, પરંતુ ટુંકમાં આ સુધારો પણ કરદાતાના હિતમાં બિલ્કુલ નથી.

આ ઉપરાંત અન્ય નાના-નાના ઘણા સુધારાઓ કરવામાં આવ્યા છે, જેમાંથી માત્ર થોડા જ કરદાતાઓને રાહત થશે.


કૃષિ અને કૃષિ સંબંધિત ક્ષેત્રોનો મૂળભૂત વિકાસ કરનારું બજેટ-2020

પીડબ્લ્યુસી ઈન્ડિયાના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર વિભાગના વડા અજય કાકરાએ નાણાકીય વર્ષ 2020-21ના બજેટ અંગે કરેલી ટિપ્પણમાં જણાવ્યું કે કૃષિ અને કૃષિ સંબંધિત ક્ષેત્રોને 16 મુદ્દાના એજન્ડા દ્વારા આવરી લેવામાં આવ્યાં છે તે દર્શાવે છે કે સરકાર આ ક્ષેત્રોનો મૂળભૂત વિકાસ કરવા માગે છે.
કૃષિ સંબંધિત મહત્ત્વનાં ક્ષેત્રો સરકારના એજન્ડા પ્રમાણે નિશ્ચિત કામગીરી કરશે. ઝડપથી બગડી જતી કૃષિ પેદાશો માટે ‘કિસાન રેલ’ વિકસાવવાની પહેલ કોલ્ડ ચેઈન ઉદ્યોગની મૂળભૂત કામગીરીમાં ધરમૂળથી ફેરફાર કરશે. આ બાબત માત્ર દેશ માટે જ નહિ પરંતુ વિશ્વના બધા વિકાસશીલ દેશો માટે ક્રાંતિકારી બની રહેશે. કૃષિ અને તેને સંબંધિત ક્ષેત્રો માટે રૂ.1.6 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે જે દર્શાવે છે કે 16 મુદ્દાના એજન્ડા દ્વારા સરકાર મોટા પાયે સુધારા કરવા માગે છે.
એ સિવાય સરકારે મત્સ્ય ઉદ્યોગને સુનિયોજિત કરી સંપૂર્ણ વેલ્યુ ચેઈનની ક્ષમતામાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગયા વર્ષના બજેટમાં આ ક્ષેત્ર માટે ફિશરીઝ બોર્ડની રચના કરવામાં આવી હતી અને આ એ દિશામાં લેવાયેલું વધુ એક કદમ છે.

‘કંપનીઓ આ વર્ષે વધુ ડિવિડંડ જાહેર કરશે’

કે.આર. ચોક્સી સિક્યૉરિટીઝના મૅનેજિંગ ડિરેક્ટર દેવેન ચોક્સીએ નાણાકીય વર્ષ 2020-21 માટેના કેન્દ્રીય બજેટ વિશે કહ્યું છે કે સરકારે કંપનીઓ માટેનો ડિવિડંડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ દૂર કરવાનું નક્કી કર્યું હોવાથી ઘણી કંપનીઓ વર્ષ 2019-20 માટે મોટા પ્રમાણમાં ડિવિડંડ જાહેર કરે એવી શક્યતા છે. તેનું કારણ એ છે કે કંપનીઓના પ્રમોટરો 10 લાખથી વધુ રકમની ડિવિડંડની આવક પર 10 ટકાના કરવેરાનો લાભ લઈ લેશે. આ બાબતને અનુલક્ષીને કહેવાનું કે જે કંપનીઓ અત્યાર સુધી ઉંચું ડિવિડંડ આપતી આવી છે તેના શેર રાખી મૂકવા, જેથી વર્તમાન નાણાકીય વર્ષ પહેલાં ડિવિડંડની સારી આવક થઈ જાય.

 

 

 


‘સરકારે ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ માટે લીધેલાં પગલાં પ્રોત્સાહક છે’

યસ સિક્યૉરિટીઝના ઇન્સ્ટિટ્યુશનલ રિસર્ચ હેડ અમર અંબાણીએ કહ્યા મુજબ આ વખતનું બજેટ ધારણા મુજબનું છે. સરકારે બજેટમાં કરેલી નાણાકીય જોગવાઈઓ વાજબી જણાય છે. ઉપરાંત, તેણે અનેક ડ્યુટીનાં માળખાંને સુધારી દીધાં છે. બજેટ બોન્ડ માર્કેટ માટે સકારાત્મક છે. એ સાથે જ ડિવિડંડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ નાબૂદ કરી દેવાયો હોવાથી અને સોવરિન વેલ્થ ફંડને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ પર મળતી વ્યાજ/ડિવિડંડની આવકને કરમુક્ત કરી દેવાઈ હોવાથી વિદેશી રોકાણ માટે સાનુકૂળ વાતાવરણ તૈયાર થશે. કૉર્પોરેટ બોન્ડમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ માટેની મર્યાદા વધારી દેવાઈ એ પણ સારું પગલું છે.

અહીં જણાવવું રહ્યું કે અનેક મોરચે પગલાં ભરવાની તક સરકારે ગુમાવી છે તથા વ્યક્તિગત કરવેરાનું માળખું વધુ ગૂંચવણભર્યું બનાવી દેવાયું છે.

સરકારે અનેક એક્ઝેમ્પશન્સ અને ડિડક્શન્સ દૂર કરી દઈને બચત કરવાની પ્રવૃત્તિને નુકસાન પહોંચાડ્યું છે. જીવન વીમાના ક્ષેત્રને તેની પ્રતિકૂળ અસર થશે.

સરકારે જીએસટીનું કામકાજ સરળ બનાવવા માટે, અમુક ક્ષેત્રોમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ આકર્ષવા માટે, જમીન અને શ્રમસંબંધી સુધારાઓ માટે તથા ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ માટે લીધેલાં પગલાં પ્રોત્સાહક છે.

વ્યક્તિગત કરવેરામાં સરકારે ‘એક હાથ લે, એક હાથ દે’ પ્રકારની જોગવાઇ કરી 

• 15 લાખની આવકવાળાને 78,000 રૂપિયાની કરબચત થવાનું ઉદાહરણ આપ્યું સીતારામને

• 70 એક્ઝેમ્પ્શન્સ રદ કરવામાં આવ્યાં

તમે જો વિવિધ એક્ઝેમ્પ્શન્સ અને રાહતોને છોડવા તૈયાર હો તો તમને આવકવેરાના દરમાં રાહત મળે એવી ‘એક હાથ લે, એક હાથ દે’ પ્રકારની જોગવાઇ સરકારે કરી છે.

નાણા પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યા મુજબ 100 કરતાં વધારે ટેક્સ એક્ઝેમ્પ્શન્સમાંથી આશરે 70 એક્ઝેમ્પ્શન્સ કાઢી નાખવામાં આવ્યા છે.

5 લાખથી 7.5 લાખ સુધીની આવક ધરાવનારાઓ માટે વ્યક્તિગત કરવેરાનો દર 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવ્યો છે. એ જ રીતે 7.5 લાખથી 10 લાખ સુધીની આવકવાળા માટેનો દર 20 ટકાથી ઘટાડીને 15 ટકા અને 10 લાખથી 12.5 લાખ સુધીની આવકવાળા માટે કરવેરાનો દર 30 ટકાથી ઘટાડીને 20 ટકા કરવામાં આવ્યો છે. જેમની આવક લાગતી 15 લાખ રૂપિયા સુધીની હશે તેમણે અત્યાર સુધીના 30 ટકાના દરની સામે 25 ટકાના દરે કરવેરો ચુકવવાનો રહેશે. રૂપિયા 15 લાખથી વધુની આવક ધરાવનારાઓ માટે કરવેરાના દર 30 ટકા યથાવત્ રાખવામાં આવ્યો છે. જો કે, આ બધી રાહતના દરની સુવિધા મેળવવા માટે કરદાતાએ અલગ અલગ એક્ઝેમ્પ્શન્સ અને કરરાહતોનો લાભ છોડી દેવો પડશે.

આથી, દરેક કરદાતાને કેટલો લાભ થાય છે એ દરેકની નાણાકીય સ્થિતિ પર અને તેમના રોકાણ પર નિર્ભર રહે છે. આ બાબતે નિર્મલા સીતારામને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સરકાર જાતે કરવેરાના સ્વરૂપે રકમ લઈ લે તેને બદલે કરદાતાના હાથમાં વધુ રકમ રહેવા દે, જેથી કરદાતા પોતાની રકમનું રોકાણ ક્યાં કરવું અથવા તો તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ જાતે નક્કી કરી શકે એવો આ જોગવાઈ પાછળનો ઉદ્દેશ છે.

અહીં જણાવવું રહ્યું કે કંપનીઓ માટેનો ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ રદ થયો છે, પણ એ ડિવિડન્ડ જ્યારે શેરધારકને મળે ત્યારે શેરધારકના હાથમાં એને કરપાત્ર બનાવવામાં આવ્યું છે. આમ, ખરેખર વ્યક્તિગત કરદાતાને કેટલો લાભ થયો છે તેના વિશે અસ્પષ્ટતા છે.

નાણાપ્રધાને જણાવ્યા મુજબ સરકારે કરવેરાના નવા દર દ્વારા વાર્ષિક 40,000 કરોડ રૂપિયાની કરવેરાની આવકનો ભોગ આપ્યો છે. અત્યાર સુધી વર્ષે 15 લાખ રૂપિયાની આવક ધરાવનાર વ્યક્તિ જો કરવેરાનાં એક્ઝેમ્પ્શન્સ અને રાહતોનો ભોગ આપશે તો વર્ષે તેમને 78,000 રૂપિયાના કરવેરાની બચત થશે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરનારાં સોવરિન વેલ્થ ફંડોને કરમુક્ત આવક મળશે

સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં સોવરિન વેલ્થ ફંડો દ્વારા કરવામાં આવતા રોકાણને સંપૂર્ણપણે કરમુક્ત રાખવાની જાહેરાત કરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે દેશમાં વધુ રોકાણ આવે એવો આ જાહેરાત પાછળનો ઉદ્દેશ્ય છે.

નાણા પ્રધાને બજેટ ભાષણમાં જણાવ્યા મુજબ સોવરિન વેલ્થ ફંડને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા અન્ય નોટિફાઇડ ક્ષેત્રોમાં 31 માર્ચ 2024 પહેલાં કરેલા રોકાણ સંબંધે વ્યાજ, ડિવિડંડ અને કેપિટલ ગેઇન્સ એ બધી આવક સંપૂર્ણપણે કરમુક્ત મળશે. જોકે, તેના માટે તેમણે એ રોકાણ ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી રાખી મૂકવું પડશે.

નાના નિકાસકારો માટે સરકાર ઓછા પ્રીમિયમે વધુ વીમો આપનારી નિર્વિક યોજના લાવશે

સરકારે નાના નિકાસકારો માટે ઓછા પ્રીમિયમે વીમાનું વધુ કવચ પૂરું પાડનારી યોજના લાવવાનો પ્રસ્તાવ બજેટમાં રજૂ કર્યો છે. દેશમાંથી નિકાસ ઘટી રહી છે એવા સમયે આ યોજના સમયસરની હોવાનું નિકાસ ઉદ્યોગનું કહેવું છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારામને શનિવારે બજેટમાં જાહેર કરેલી આ યોજનાને ‘નિર્વિક’ એટલે કે ‘નિર્યાત ઋણ વિકાસ યોજના’ નામ આપ્યું છે.

તેમણે બજેટના ભાષણમાં કહ્યું હતું કે નિકાસ માટે વધુ ધિરાણ આપી શકાય એ માટે આ યોજના લાવવામાં આવી રહી છે, જેમાં દાવાની પતાવટ માટેની કાર્યપ્રણાલી સરળ હશે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય એક્સપોર્ટ ક્રેડિટ ઇન્સ્યૉરન્સ સ્કીમ નામની યોજના પણ લાવવા માટેનું કાર્ય કરી રહ્યું છે, જેમાં મુદ્દલ અને વ્યાજ મળીને થતી રકમના 90 ટકા સુધીની રકમ માટે વીમાનું કવચ આપવામાં આવશે.

આજની તારીખે એક્સપોર્ટ ક્રેડિટ કોર્પોરેશન 60 ટકા સુધીના નુકસાનની ભરપાઇ કરવાનો વીમો પૂરો પાડે છે.

બજેટ રાહતઃ હાશ! બેંકમાં મૂકાતી ડિપોઝીટ સામેનું વીમા રક્ષણ પાંચ લાખ સુધીનું કરાયું

(જયેશ ચિતલિયા – આર્થિક પત્રકાર)

બેંક ખાતા ધારકોને જેની ખાસ આશા હતી એ આશા ઉમ્મીદ સે જ્યાદા ફળી છે. થોડા વખત પહેલાની પીએમસી (પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓ.બેંક) બેંકની કટોકટી બાદ અનેક ખાતા ધારકોના નાણાં અટવાયા ત્યારે બેંકમાં મૂકાયેલા નાણાં કેટલા સુરક્ષિત છે એ સવાલ ઊઠયા હતા અને એ સમયે બેંકમાં મૂકાયેલી-જમા કરાયેલી રકમ કેટલી પણ હોય તેનું વીમા રક્ષણ માત્ર એક લાખ રૂપિયા જેટલું જ છે. અર્થાત બેંક ડૂબે કે નાદાર થાય તો ધારકને માત્ર એક લાખ રૂપિયા સુધીની રકમ વીમા પેટે પાછી મળતી. આ રકમ લગભગ અઢી દાયકાથી એની એ જ રહી હતી. આ વખતના બજેટમાં આ વીમા રક્ષણની રકમ વધારીને પાંચ લાખ રૂપિયા કરી દેવાઈ છે. જે અત્યારસુધી માત્ર એક લાખ રૂપિયા હતી. આ મર્યાદા રૂ. બે લાખ સુધી વધવાની ધારણા કે આશા હતી, જેની સામે નાણાં પ્રધાને પાંચ લાખ કરીને બેંક ખાતા ધારકોને મોટી રાહત આપી છે.

નોંધનીય વાત એ છે કે બેંકમાં નાણા જમા કરતા લોકોમાંથી 61 ટકા લોકોની ડિપોઝીટ એક લાખ રૂપિયાથી ઓછી હોય છે, જયારે બે લાખ રૂપિયા સુધી ડિપોઝિટ ધરાવતા લોકો 70 ટકા જેટલાં હોય છે, જેથી તેમને આ નવી ઊંચી મર્યાદાની જોગવાઈ આવે તો રાહત થશે. જો કે બેંકમાં 15 લાખ રૂપિયા સુધીની ડિપોઝીટ ધરાવનાર વર્ગની ટકાવારી 98 ટકા જેવી ઊંચી છે. જેને હિસાબે બે લાખની રકમ હજી ઘણી નાની ગણાય.

બજેટ 2020: નાણાં પ્રધાને સામાન્ય જનતાને આવકવેરામાં શરતો સાથે રાહત આપી

નવી દિલ્હી – આર્થિક મંદીના વાતાવરણ વચ્ચે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે સંસદમાં વર્ષ 2020-21 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. સંસદમાં તેમણે આ બીજી વાર બજેટ રજૂ કર્યું છે. આ વખતના બજેટમાં એમણે સામાન્ય માનવીને મોટી રાહત આપી છે અને 2.5 લાખ સુધીની આવક કરમુક્ત રહેશે એમણે હવે કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે. 2.5 લાખથી 5 લાખ સુધીની આવકને 5 ટકાનો દર લાગુ કરાશે.
એવી જ રીતે, જેમની વાર્ષિક આવક પાંચ લાખથી વધારે હોય અને 7.5 લાખ સુધીની હોય તો એમણે 10 ટકા ટેક્સ ચૂકવવો પડશે, જે દર અત્યાર સુધી 20 ટકા હતો. 7.5 લાખથી 10 લાખ સુધીની વાર્ષિક આવકવાળાઓ માટેનો આવકવેરા સ્લેબ 20 ટકાથી ઘટાડીને 15 ટકા કર્યો છે. એવી જ રીતે, 10 લાખથી 12.50 લાખ સુધીની આવકવાળાઓ માટેનો ટેક્સ સ્લેબ 30 ટકાથી ઘટાડીને 20 ટકા કર્યો છે. 12.50 લાખથી 15 લાખ સુધીની આવકવાળાઓએ 25 ટકા અને 15 લાખથી વધુ આવકવાળાઓએ 30 ટકા વેરો ચૂકવવો પડશે.

આવકવેરાનો નવો સ્લેબ વૈકલ્પિક હશે. નવી ટેક્સ છૂટનો લાભ લેવા માટે જૂના ટેક્સમાંની છૂટને છોડી દેવી પડશે. મતલબ કે, આનો ફાયદો ત્યારે મળશે જ્યારે તમે તમને મળનારી છૂટને છોડી દેશો.

નાણાં પ્રધાને કહ્યું કે 15 લાખ સુધીની આવકવાળાઓ જો હાલની છૂટનો લાભ જતો કરશે તો તેમને કરવેરાના નવા દરનો લાભ લઈને વાર્ષિક 78,000 રૂપિયાની બચત થશે.

નાણાંપ્રધાન નિર્મલા સીતારામને બજેટ વક્તવ્યમાં કહ્યું કે, 2022ની સાલ સુધીમાં અમારી સરકાર કિસાનોની આવક બમણી કરી દેશે. કુલ 6.11 કરોડ કિસાનોને ફસલ બીમા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

અગાઉ, નિર્મલા સીતારામન એમનાં બજેટ ફોલ્ડર સાથે આજે સવારે 10 વાગ્યે સંસદભવન પહોંચી ગયાં હતાં.

2019માં જ્યારે ભાજપ-NDAની સરકારે લોકસભા ચૂંટણીમાં જીત મેળવીને તેની બીજી ટર્મ શરૂ કરી હતી ત્યારબાદ સપ્ટેંબરમાં સીતારામને એમનું પહેલું બજેટ રજૂ કર્યું હતું.


બજેટ-2020 હાઈલાઈટ્સ…

આખા બજેટ-2020નાં મહત્ત્વપૂર્ણ પગલાં

• એલઆઇસીનો આઇપીઓ લવાશે

• ડિવિડંડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ નાબૂદ કરાયો

• વ્યક્તિગત કરવેરાના દરને સરળ બનાવાયા

• હોમ લોન માટેનું 1.5 લાખ રૂપિયાનું એક્ઝેમ્પશન વધુ એક વર્ષ માટે લંબાવાયું

• 5 લાખ રૂપિયા સુધીની બૅન્ક ડિપોઝિટને સુરક્ષિત કરાઈ

• 2020-21 માટેની રાજકોષીય ખાધ 3.5 ટકા રહેવાનો અંદાજ

******

સંસદમાં બજેટ-2020 રજૂ કરાયા બાદ શેરબજારમાં નિરાશા વ્યાપી ગઈ. સેન્સેક્સ 446 પોઈન્ટ તૂટ્યો

******

જૂતા-ચંપલો અને ફર્નિચર પરની કસ્ટમ્સ ડ્યૂટી વધારવામાં આવી

સસ્તી હોમ લોનના વ્યાજ પર હવે 1.5 લાખની રાહત

આધાર કાર્ડ મારફત તરત જ PAN કાર્ડ મળશે

કસ્ટમ્સ ડ્યૂટીમાંથી 14 રાહત સરકારે પાછી ખેંચી

******

નાણાં પ્રધાન નિર્મલા સીતારામનનું બજેટ ભાષણ સમાપ્ત થયું. લોકસભાની કાર્યવાહી 3 ફેબ્રુઆરી સુધી સ્થગિત રાખવામાં આવી.

******

આટલાં વર્ષોની સૌથી લાંબી બજેટ સ્પીચ હોવાની શક્યતા.
નિર્મલા સીતારામન 2 કલાક 40 મિનિટથી ઊભાં હતાં, તેમને તકલીફ થવા લાગી.
આખરે તેમણે બેસવું પડ્યું, અને બ્રેક લીધો.

******

કંપનીઓ માટેના કરવેરાના સુધારા

• હવે કંપનીઓએ ડિવિડંડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ ભરવો નહીં પડે, જેને ડિવિડંડ મળે તેણે જ ટેક્સ ભરવાનો રહેશે

• વીજનિર્માણ કરતી કંપનીઓએ ઓછા દરે કરવેરો લાગુ પડશે. નવી કંપનીઓને 15 ટકાના દરે લાગુ પડશે.

******

કરવેરાની જોગવાઈઓ

• પ્રત્યક્ષ કરવેરામાં વ્યક્તિગત કરદાતાને રાહત
• વ્યક્તિગત કરદાતાની સુવિધા માટે નવા દર ઘટાડાશે
• અમુક ડિડક્શન જવા દઈને ઓછા દરનો લાભ લઈ શકાશે
• 2.5 લાખ રૂપિયા સુધીની આવક હાલની જેમ કરમુક્ત, 2.5 લાખથી 5 લાખ સુધીની આવકને 5 ટકાનો દર લાગુ કરાશે
• 5થી 7.5 લાખ રૂપિયા સુધીની આવક માટે કરવેરાનો દર 10 ટકા
• 7.5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની આવક માટે કરવેરાનો દર 15 ટકા
• 10 લાખથી 12.5 લાખ રૂપિયા સુધીની આવક માટે કરવેરાનો દર 20 ટકા
• 12.5 લાખથી 15 લાખ માટે કરવેરાનો દર 25 ટકા
• 15 લાખ રૂપિયાથી વધારેને 30 ટકા

******

પ્રાપ્ત ટ્રેન્ડ્સના આધારે વર્ષ 2020-21 માટે જીડીપીનો નોમિનલ ગ્રોથ 10 ટકાનો અંદાજવામાં આવ્યો છેઃ નિર્મલા સીતારામન

******

રાજકોષીય ખાધ માટેનાં પગલાં

• સરકારે કરવેરાની આવક વધારવા માટેનાં પગલાં ભર્યાં છે, જો કે, તેનાં પરિણામ મળવામાં સમય લાગશે
• 2019-20 માટેની રાજકોષીય ખાધ 3.8 ટકા રહેવાની ધારણા
• વર્ષ 2020-21 માટેની રાજકોષીય ખાધ 3.5 રહેવાનો અંદાજ
• 2020-21 માટેના ખર્ચનો મોટો હિસ્સો મૂડીગત ખર્ચમાં જશે

******

સરકાર એલઆઇસીમાંથી પોતાનો અમુક હિસ્સો વેચશે

******

નાણાકીય બજાર માટેનાં પગલાં

• અમુક સરકારી સિક્યૉરિટીઝમાં ભારતીયોની સાથે સાથે વિદેશી રોકાણકારોને પણ રોકાણ કરવા દેવાશે
• ડેટ આધારિત ઈટીએફ સફળ રહ્યું છે. હવે ખાસ સરકારી સિક્યૉરિટીઝ માટેનું ડેટ ઈટીએફ લવાશે
• એનબીએફસી અને એચએફસીની પ્રવાહિતાની સમસ્યાને નાથવા માટે નવી વ્યવસ્થા કરાશે
• ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ માટે 22,000 કરોડ રૂપિયા અપાયા છે
• ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર બનવાની ક્ષમતા ધરાવે છે. હવે ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ બનાવાશે
• આઇડીબીઆઇ બૅન્કમાંથી સરકારનો બાકીનો હિસ્સો વેચી દેવાશે

*******

બૅન્કોમાં મૂકાતી રકમ હવે 1 લાખને બદલે 5 લાખ રૂપિયા સુધી સલામત રહેશે
• 5 ટ્રિલ્યન ડૉલરનું અર્થતંત્ર બનાવવા માટે નાણાકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર રચાશે.
• સરકારે 3,50,000 કરોડ રૂપિયા જાહેર ક્ષેત્રની બૅન્કોને આપ્યા છે
• અમુક સરકારી બૅન્કોને વધુ નાણાં પ્રાપ્ત કરવા માટે આઇપીઓ લાવવા દેવાશે
• ડિપોઝિટરોનાં નાણાં સંપૂર્ણપણે સલામત રહે એ માટે શેડ્યુલ્ડ કોમર્શિયલ બૅન્કોની સલામતી માટેની વ્યવસ્થા છે. ડિપોઝિટર વીમો 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવ્યો

******

કરદાતાઓને હેરાનગતિ થતી અટકશે

• દરેક નાગરિક પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે
• બિઝનેસને કરવેરા તંત્રમાં વિશ્વાસ હોવો જોઈએ
• આ બજેટ દ્વારા કરદાતા માટેનું ચાર્ટર રજૂ કરાયું
• કરદાતાઓને ખાતરી કરાવવામાં આવશે કે તેમને કોઈ હેરાનગતિ નહીં કરવામાં આવે. તેના માટે કાયદા ઘડાશે
• કંપનીઝ ઍક્ટમાં આવશ્યક સુધારા કરાશે.
• નોન-ગેઝેટેડ સ્તરે સમાન પ્રકારના હોદ્દાઓ માટે અલગ અલગ પરીક્ષાઓના સ્થાને રાષ્ટ્રીય ભરતી એજન્સી સ્થાપવામાં આવશે, જે કોમન પરીક્ષા લેશે
• ડેટા કલેક્શનનું આધુનિકીકરણ કરવામાં આવશે
• 2022માં જી-20 પ્રેસિડન્સી પરિષદ થવાની છે. તેના માટે તૈયારીઓ શરૂ કરવા 100 કરોડ રૂપિયા ફાળવાયા

********

  • સંપત્તિનું સર્જન કરનારાઓનો દેશમાં આદર કરવામાં આવશે. કરવેરા વસૂલી માટે એમની પજવણી કરાય એ સાંખી નહીં લેવાયઃ નિર્મલા સીતારામન

******

સારો દેશ કેવો હોય એના વિશે થિરુવલ્લુવરે શું કહ્યું છે તેની વાત કરતાં નાણાપ્રધાને તેમની પંક્તિઓ રજૂ કરી, જેનો અનુવાદ આ પ્રમાણે છેઃ
• સારા દેશના પાંચ રત્નો – રોગચાળો ન હોય, સમૃદ્ધ હોય, સારો પાક થવો જોઈએ, સુખ હોવું જોઈએ, સલામતી હોવી જોઈએ.
• વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમાં શું કર્યું? – આરોગ્ય માટે આયુષ્માન ભારત, સમૃદ્ધિ લાવનારાને આદર, સારા પાક અર્થે કૃષિ માટેની યોજનાઓ, સુખ માટે ઈઝ ઑફ લિવિંગ, સલામતી માટે સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ટોચની પ્રાથમિકતા આપી છે.

********

• ગુજરાતના પુરાતત્ત્વીય પર્યટન ધામ ધોળાવિરાનો વિકાસ કરવામાં આવશે
• 2020-21માં 85,000 કરોડ રૂપિયા અનુસુચિત જાતિ માટે ફાળવાશે
• 2020-21માં 53,700 કરોડ રૂપિયા અનુસુચિત જનજાતિ માટે ફાળવાશે
• ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ફોર હેરિટેજ ઍન્ડ કન્ઝર્વેશન બનાવાશે
• પાંચ પુરાતત્ત્વ સ્થળોનો વિકાસ કરવામાં આવશે, જેમાં ગુજરાતના ધોળાવિરાનો સમાવેશ
• ઝારખંડના રાંચીમાં આદિવાસી મ્યુઝિયમ બનાવવામાં આવશે
• લોથલમાં મેરિટાઇમ મ્યુઝિયમ બનાવાશે. 3,150 કરોડ રૂપિયા સાંસ્કૃતિક મંત્રાલય માટે ફાળવાશે

******

અન્ય મહત્ત્વપૂર્ણ પગલાંની જાહેરાત
• 2024 સુધીમાં 100 નવાં ઍરપોર્ટ બનાવાશે

• વીજગ્રાહકો માટે પ્રિ-પેઇડ મીટર્સ આવશે. ગ્રાહકો પોતાના સપ્લાયર જાતે નક્કી કરી શકશે
• 2020-21માં પરિવહન ક્ષેત્ર માટે 1.7 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ
• ઇનોવેશન પર આધારિત નવું અર્થતંત્ર વિકસાવવામાં આવશે
• દેશમાં ખાનગી ક્ષેત્ર ડેટા સેન્ટર પાર્ક બનાવી શકશે. સરકારે તેના માટે મંજૂરી આપવાનું નક્કી કર્યું
• ગામોમાં આંગણવાડી, સરકારી શાળાઓ, પોલીસ સ્ટેશન, વગેરેને ડિજિટલ કનેક્ટિવિટી આપવાનું આયોજન
• 2020-21માં 6,000 કરોડ રૂપિયા ભારત નેટ કાર્યક્રમ માટે ફાળવાશે
• 1 લાખ ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઇબર લિંક આપવામાં આવશે

******

ભારતીય રેલવે માટે પગલાં

• રેલવે પાટા આજુબાજુ સૌરઊર્જા સુવિધા ઊભી કરાશે
• ખાનગી ક્ષેત્રના સહકારથી રેલવેનો વિકાસ
• મુંબઈ-અમદાવાદ વચ્ચે પર્યટન માટે તેજસ ટ્રેનનો ઉપયોગ

******

આર્થિક વિકાસ માટેનાં પગલાં
• વેપારસાહસિકતા આજે પણ ભારતની શક્તિ છે, જે સદીઓથી રહી છે
• રોકાણ માટે મંજૂરી આપનારો વિશેષ કક્ષ બનાવવામાં આવશે
• 5 નવાં સ્માર્ટ શહેર બનાવાશે
• દેશમાં મોબાઇલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટેની યોજના લવાશે
• રાષ્ટ્રીય ટેક ટેક્સટાઇલ મિશન સ્થાપવામાં આવશે
• દરેક જિલ્લાને નિકાસનું કેન્દ્ર બનાવવાનું વડા પ્રધાનનું સ્વપ્ન
• 20,300 કરોડ વેપાર-વાણિજ્ય માટે ખર્ચવામાં આવશે
• આગામી પાંચ વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 100 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે

******

શિક્ષણ ક્ષેત્ર માટેની જોગવાઈઓ

• વંચિત વર્ગના વિદ્યાર્થીઓને ડિગ્રી લેવલ સુધીનું શિક્ષણ પૂરું પાડવામાં આવશે
• વધુ રોજગારલક્ષી અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે
• એશિયન અને આફ્રિકન દેશોના વિદ્યાર્થીઓ માટે ઇન્ડ-સેટ પરીક્ષા લેવામાં આવશે, જેથી તેઓ ભારતમાં શિક્ષણ લેવા આવી શકે
• મેડિકલ ડૉક્ટરની અછતને દૂર કરવા માટે સરકાર હાલની જિલ્લા સ્તરની હૉસ્પિટલની સાથે મેડિકલ કૉલેજ સાંકળવામાં આવશે. સરકાર-ખાનગી ક્ષેત્રના સહકારથી આ મેડિકલ કૉલેજો ખોલવામાં આવશે.
• શિક્ષકો, નર્સ, પેરા મેડિકલ સ્ટાફ માટે વિદેશમાં માગ છે. આથી આરોગ્ય મંત્રાલય અને કૌશલ્ય વિકાસ મંત્રાલય તેના માટે વિશેષ તાલીમ પૅકેજ લવાશે.
• 2020-21માં શિક્ષણ ક્ષેત્ર માટે 99,300 કરોડ રૂપિયાની ફાળવણી

******

આરોગ્ય – સ્વચ્છતા માટે સરકારનાં પગલાં

• ‘ટીબી હારેગા, દેશ જિતેગા’. 2025 સુધીમાં ટીબી નાબૂદ કરવાનું લક્ષ્ય
• 69,000 કરોડ આરોગ્ય ક્ષેત્ર માટે ફાળવાયા છે
• આયુષ્માન ભારત યોજનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવશે
• 2020-21માં 12,300 કરોડ સ્વચ્છ ભારત મિશન માટે ખર્ચાશે
• જલ જીવન મિશન માટે 3.6 લાખ કરોડની ફાળવણી કરાશે

******

  • દેશમાં કૃષિ ક્ષેત્ર માટેનું સરકારનું આયોજન
    • ખેડૂતની આવક બમણી કરવાનું લક્ષ્ય
    • સરકાર વેરહાઉસ માટે ગૅપ ફન્ડિંગ પૂરું પાડશે
    • ગામના સ્તરે મહિલાઓને ધાન્ય લક્ષ્મી બનાવવામાં આવશે, જેઓ ગામને આવશ્ય બિયારણ પૂરું પાડશે
    • ખેડૂતો માટે ગામના સ્તરે પાકના સંગ્રહ માટેની યોજના
    • બાગકામ ક્ષેત્રમાં અનાજ કરતાં વધુ પાક થઈ રહ્યો છે. તેના યોગ્ય માર્કેટિંગ અને સહયોગ માટે દરેક જિલ્લાના સ્તરે તેને સંબંધિત એક પ્રૉડક્ટને પ્રોત્સાહન આપવામાં આવશે
    • શૂન્ય ખર્ચની ખેતીની વિભાવના રજૂ કરાઈ
    • નાબાર્ડ રિફાઇનાન્સ સ્કીમને વિસ્તૃત બનાવાશે
    • કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમનો પ્રસ્તાવ
    • દૂધનું ઉત્પાદન વર્ષ 2021 સુધીમાં 108 મિલ્યન મેટ્રિક ટન સુધી લઈ જવાશે
    • 2022-23 સુધીમાં મત્સ્યોદ્યોગમાં ઉત્પાદન 200 લાખ ટન સુધી લઈ જવાશે
    • 20 લાખ ખેડૂતોને સૌર ઊર્જાથી સંચાલિત પંપ આપવામાં આવશે
    • કૃષિ ઉડાન યોજના શરૂ કરવામાં આવશે
  • 2022ની સાલ સુધીમાં કિસાનોની આવક બમણી કરીશું. કુલ 6.11 કરોડ કિસાનોને ફસલ બીમા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છેઃ નિર્મલા સીતારામનઆ બજેટના ત્રણ પાયા1. મહત્ત્વાકાંક્ષી ભારતઃ દરેકને સારું જીવનધોરણ
    2. આર્થિક વિકાસઃ બધાને આવરી લેનારો વિકાસ, જે સબકા સાથ સબકા વિકાસની પ્રતિઘોષ છે
    3. દેખભાળ રાખનારો સમાજઃ માનવીય અને કરુણામય સમાજ
  • ******

નવા દાયકાનું પ્રથમ બજેટ રજૂ થઈ રહ્યું છે, નિર્મલા સીતારામને કહ્યું,

• લોકોએ અમારી આર્થિક નીતિઓમાં વિશ્વાસ મૂક્યો છે
• સરકાર તંદુરસ્ત બિઝનેસ માટે પ્રતિબદ્ધ
• ટેક્નોલોજીની મદદથી અર્થતંત્રને ધમધમતું કરવાની પ્રતિબદ્ધતા
• અર્થતંત્રનાં ફંડામેન્ટલ્સ મજબૂત છે
• 2014-19ના ગાળામાં વહીવટમાં આમૂલ પરિવર્તન લાવ્યા છીએ
• ફુગાવો નિયંત્રણમાં રખાયો છે. સરકારે માળખાકીય સુધારાઓ માટે પગલાં ભર્યાં છે
• ડરામણું ઇન્સ્પેક્ટર રાજ નાબૂદ થઈ ગયું છે
• દરેક ચીજવસ્તુ પરનો વાસ્તવિક કરવેરાનો દર ઘણો ઘટી ગયો છે
• જીએસટીને કારણે દરેક પરિવારને 4,000 રૂપિયાની બચત થવા લાગી છે
• મોદી સરકારમાં 16 લાખ નવા કરદાતાઓ ઉમેરાયા છે

******

  • ભારત સરકારે 2015-16ના વર્ષ દરમિયાન 27 કરોડ 10 લાખ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાની કામગીરી બજાવી હતીઃ નાણાંપ્રધાન સીતારામન
  • કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારામને કહ્યું, હું દૂરંદેશી નેતા સ્વર્ગીય અરૂણ જેટલીને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
  • નાણાં પ્રધાન નિર્મલા સીતારામને લોકસભામાં એમનું બજેટ વક્તવ્ય શરૂ કર્યું છે.
  • બજેટની રજૂઆત. કાર્યવાહી નિહાળવા માટે નિર્મલા સીતારામનનાં પુત્રી વાંગમયી સંસદભવન પહોંચ્યાં.
  • સંસદભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય બજેટ-2020ને મંજૂરી આપવામાં આવી છે.
  • ઔપચારિકતા અને પરંપરા અનુસાર, નાણાંપ્રધાન નિર્મલા સીતારામન એમનાં બજેટ ફોલ્ડર સાથે રાષ્ટ્રપતિ ભવનમાં ગયાં હતાં અને રાષ્ટ્રપતિ કોવિંદને બજેટની કોપી સુપરત કરી હતી.
  • કેન્દ્રીય બજેટ-2020ની કોપીઓને સંસદભવન ખાતે લાવવામાં આવી છે.

ગુજરાતની આ પ્રાચીન વિરાસત હવે આઇકોનિક બનશે….

અમદાવાદઃ નાણામંત્રી નિર્મલા સીતારામને આજે વર્ષ 2020-21 નું બજેટ રજૂ કરતી વખતે બજેટમાં ભારતની કુલ પાંચ પુરાતત્વ સાઈટને આઈકોનિક સાઈટ તરીકે ડેવલપ કરવાની જાહેરાત કરી છે. આ પાંચ પુરાતત્વ સાઈટમાં ગુજરાતના ધોળાવીરાનો પણ સમાવેશ થાય છે. ધોળાવીરા ઉપરાંત શિવસાગર (આસામ), રાખીગઢ (હરિયાણા), હસ્તિનાપુર (ઉત્તર પ્રદેશ) સાઇટસનો પણ એમાં સમાવેશ થાય છે. આ સાઇટસમાં ઓન-સાઇટ મ્યુઝીયમ ઉપરાંત ઘણી નવી સુવિધાઓ વિકસાવવામાં આવશે.

શું છે આ ધોળાવીરા પુરાતત્વ સાઇટ?

ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલું છે. ધોળાવીરાની સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને તે સમયે આશરે 50,000 જેટલા લોકો આ મહાનગરમાં રહેતા હોવાનું અનુમાન છે. આ નગરની પાણીની વ્યવસ્થા, રાજમહેલ અને પ્રાંતના મહેલની રચના, તે સમયે ત્યાં રહેતા લોકોની રહેણી કરણી, ત્યાંની વ્યવસ્થા વગેરે જાણવા જેવું છે.

મોહેં-જો-દડો અને હડ્ડપાના સમયમાં કાચી પાકી ઈંટો દ્વારા અહીંયા બાંધકામ કરવામાં આવેલું છે. જ્યારે આ ધોળાવીરામાં લગભગ ચોરસ અને લંબચોરસ પથ્થરોથી બાંધકામ થયું છે અને પથ્થરો નજીકમાં આવેલી ખાણોમાંથી કાઢેલા છે. ધોળાવીરામાં નગરની ચારેબાજુ દીવાલ આવેલી છે. ૪૭ હેક્ટર (૧૨૦ એકર) ચતુર્થાંશ શહેર બે મોસમી સ્ટ્રીમ્સ, ઉત્તરમાં માનસાર અને દક્ષિણમાં મનહાર વચ્ચે આવેલું છે.

આ સાઇટનો સી ૨૬૫૦ બી.સી. સુધી ઉપયોગ કરવામા આવ્યો હતો, જે આશરે ૨૧૦૦ બી.સી. પછી ધીમે ધીમે ઉ૫યોગ ઘટતા, ટૂંકમાં તે સ્થળ છોડી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ.૧૫૦૫૦ બી.સી. સુધી ફરીથી ઉપયોગમાં લેવામાં આવ્યું હતું.

ધોળાવીરા નગર મુખ્ય ત્રણ ભાગમાં વહેચવામા આવ્યું હતું

(૧) રાજાનો/શાસક અધિકારીનો રાજમહેલ કે જે ઊંચાઇવાળી જગ્યા પર છે. તેની ચારેબાજુથી મજબૂત કિલ્લાબંદી કરવામાં આવી હતી. આ કિલ્લામાં ચાર દરવાજા હતાં.

(૨) અન્ય અધિકારીઓનાં આવાસ કે જેના ફરતે પણ રક્ષણાત્મક દિવાલ હતી અને બેથી પાંચ ઓરડાવાળા મકાન હતાં.

(૩) સામાન્ય નગરજનોનાં આવાસ હાથે ઘડેલી ઈંટોના બનાવેલા હતા. આ નગરમાં મોતી બનાવાનું મોટુ કારખાનુ પણ મળી આવ્યું છે. અહીંથી પ્રાપ્ત થયેલા અવશેષોમાં તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ મળી આવી છે.

સિંધુ ખીણની સંસ્કૃતિ ‘મૉર્ડન ટાઉન પ્લાનિંગ’ માટે જાણીતી હતી. આ સંસ્કૃતિનાં શહેરો એમના મકાનો, સ્થાપત્યો, જાહેર સ્થળો, ગટરવ્યવસ્થા માટે આજે પણ આદર્શ માનવામાં આવે છે. વજન નિયમન, માપ, સિરૅમિક, કળા અને કૌશલ્યોમાં સિંધુ ખીણની સંસ્કૃતિએ ભારે મહારત હાંસલ કરી લીધી હતી. રણમાં વસેલું હોવા છતાં ધોળાવીરા સિંધુ સંસ્કૃતિનું મહાનગર હતું અને અત્યંત સમૃદ્ધ હતું. રણને કારણે ઊભી થયેલી પાણીની અછતને પહોંચી વળવા એ સમયે સિંધુ ખીણની સંસ્કૃતિનું ઇજનેરી કસબ કામે લગાડવામાં આવ્યું હતું.

 

“તારીખ પે તારીખ” : શા માટે ફાંસી આપવામાં થઈ રહ્યું છે મોડું?

નવી દિલ્હીઃ નિર્ભયા કાંડના દોષિતોને આજે ફાંસી થવાની હતી પરંતુ તે ટળી ગઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે નિર્ભયાના દોષિત વિનય શર્માની દયા અરજી ફગાવી દીધી છે. ચારેય દોષિતોમાંથી આ બીજી દયા અરજી છે કે જે રાષ્ટ્રપતિને મોકલવામાં આવી હતી. આ પહેલા મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિ ફગાવી ચૂક્યા છે. ત્યારે દોષિતોને થનારી ફાંસીની સજા ફરીએકવાર ટળી ગઈ છે. પટિયાલા હાઉસ કોર્ટે આવતા આદેશ સુધી ફાંસી ટાળી દીધી છે.

નિર્ભયા ગેંગરેપ અને હત્યાના ચાર દોષિતોને ફાંસી લગાવવાના લગભગ 12 કલાક પહેલા દિલ્હીની એક કોર્ટે શુક્રવારે તિહાડ જેલ પ્રશાસનને આ દોષિતોને આગામી આદેશ સુધી ફાંસી ન આપવા જણાવ્યું હતું. કોર્ટે શુક્રવારે તિહાડ જેલના અધિકારીઓને દોષિતો વિરુદ્ધ જારી ડેથ વોરન્ટનો અમલ હાલ ન કરવાનો નિર્દેશ આપ્યો હતો.

નિર્ભયાના દોષિતોની આ બીજી વખત ડેથ વોરંટ ટળ્યુ છે. પહેલી વખત 7 જાન્યુઆરીએ ફાંસીની સજા ટળી હતી. ચારેય દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી આપવાનું ડેથ વોરંટ ઇશ્યુ કરાયુ હતુ. જેના પર 17 જાન્યુઆરીએ રોક લગાવવામાં આવી છે. ફરીથી ફેબ્રુઆરીમાં ફાંસી આપવા માટે બીજુ વોરંટ ઇશ્યુ થયુ જેના પર શુક્રવારે ફરી રોક લગાવવામાં આવી છે.

દોષિતો તરફથી આ વખતે દિલ્હી પ્રિઝન રૂલ્સનો હવાલો અપાયો નિર્ભયાના દોષિતોના વકીલ એ.પી. સિંહે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરી ફાંસીની તારીખ ફરી એક વખત લંબાવવા માટે માંગણી કરી છે. આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. દોષિતો તરફથી આ વખતે દિલ્હી પ્રિઝન રૂલ્સનો હવાલો આપવામાં આવ્યો છે.

નિર્ભયાના ચારેય દોષિતોના વકીલ એ.પી. સિંહે જણાવ્યું કે દિલ્હી પ્રિઝન રૂલ્સ મુજબ ચાર પૈકી કોઇ પણ દોષિતોને ત્યાં સુધી ફાંસી ન આપી શકાય કે જ્યાં સુધી આખરી દોષિત દયા અરજી સહિત તમામ કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ ન કરી લે.

આ મામલે જજ એન.વી.રમન્ના, અરૂણ મિશ્રા, આર.એફ. નરીમ, આર ભાનુમતિ અને અશોક ભૂષણની પાંચ જજોની ખંડપીઠે સુનાવણી હાથ ધરી છે. મહત્વનું છે કે આ કેસમાં અન્ય બે દોષિતો વિનય શર્મા અને મુકેશ સિંહે દાખલ કરેલી અરજીઓ સુપ્રીમ કોર્ટ પહેલા જ ફગાવી ચૂકી છે. જે બાદ વિનયે ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી દાખલ કરી હતી. તિહાડ જેલે વિનય સિવાય બાકીના 3 નરાધમોને ફાંસી આપવાની તૈયારી પણ દર્શાવી છે. જલ્લાદ પવન પણ તિહાડ જેલમાં પહોંચી ચૂક્યો છે.

ચીનથી ભારતીયોને લઈને પરત આવ્યું વિમાનઃ તમામ દેખરેખ હેઠળ

નવી દિલ્હીઃ ચીનમાં અત્યારે કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો છે અને અનેક લોકોએ તેમાં જીવ ગુમાવ્યા છે. ત્યારે ચીનમાં રહેલા ભારતીયોને ત્યાંથી માદરે વતન પરત લાવવા માટે રવાના થયેલું એર ઈન્ડિયાનું બી-747 વિમાન ચીનથી ભારતીયોને લઈને પરત આવી ગયું છે. આ વિમાન ગઈકાલે રાત્રે ચીનથી ભારત પરત આવવા માટે રવાના થયું હતું. આ વિમાનમાં દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલની 5 ડોક્ટરોની ટીમ ઉપસ્થિત હતી.(ફાઇલ ફોટો-પ્રતીકાત્મક)

આ વિમાનમાં પેરામેડિકલ સ્ટાફ પણ હતો, જેમની પાસે જરુરી દવાઓ, માસ્ક, ઓવરકોટ અને પેક કરેલું ભોજન હતું. આ સાથે જ એન્જિનીયર્સ અને સુરક્ષા અધિકારીઓની એક ટીમ આ ફ્લાઈટમાં ઉપસ્થિત હતી. આ વિમાન આજે સવારે 7 વાગ્યા પછી નવી દિલ્હી પહોંચ્યું હતું.

ચીનથી આવેલા તમામ લોકોને ITPB ના છાવલા કેમ્પ લઈ જવામાં આવ્યા છે. અહીંયા 14 દિવસ સુધી તમામ લોકોને સૌથી અલગ મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. કુલ 324 જેટલા ભારતીયો ચીનથી આ વિમાનમાં ભારત પરત આવ્યા છે. આ 324 લોકોમાં 211 જેટલા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. આ સીવાય 3 નાબાલિક પણ છે.

રાશિ ભવિષ્ય 01/02/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે


આજે થોડીધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.


આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.