Home Blog Page 4838

વાસ્તુ: સમાજ જે દિશામાં જઈ રહ્યો છે તે ખરેખર ચિંતાજનક છે?

હું ચાલીસ વરસની પરિણીત યુવતી છુ. મારા લગ્ન અરેન્જડ હતા. બરાબર સત્તરમાં વરસે સગાઇ થઇ ગઈ. મારા પતિ વારંવાર મને મળવા આવતા. મને અઢાર વર્ષ પુરા થયા એની પાર્ટી પતિ એટલે એમની સાથે મારો પ્રથમ સંબંધ બંધાયો. કાચી ઉમરમાં બધુ જ સારું લાગે છે. સગાઇ વખતે મારા પપ્પાએ શરત રાખી હતી કે હું ગ્રેજ્યુએટ થઇ જાઉં પછીજ લગ્ન કરવાના. અને બંને પક્ષે એ વાતની મંજુરી પણ મળી હતી. હું હોશિયાર હતી એટલે ફીઝીયોથેરાપીમાં એડ્મિશન મળી ગયું. હું હોસ્ટેલમાં રહેતી. મારા પતિ વારંવાર મળવા આવતા અને સંબંધ બાંધવા દબાણ કરતા. આમેય એમની સાથે જ લગ્ન કરવાના હતા એટલે ક્યારેક હું પણ સંમત થઇ જતી. એક વાર ખબર પડીકે હું માં બનવાની છું. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારા પતિ સ્વસ્થ હતા. એમના મમ્મીએ જીદ કરી અને પંદર દિવસમાં તો મારા લગ્ન થઇ ગયા. સાતમાં મહીને બેબી આવી એવું લોકોએ માની લીધું. પણ મને મનમાં રંજ હતો. કોઈ વિધિ પણ સમયસર ન કરી. મારું ભણવાનું અટકી ગયું. અંતે નર્સિંગનો કોર્સ કરીને મન મનાવી લીધું. બંને કામમાં ફેરતો ખરોજ ને?

ગયા અઠવાડિયે મારી દીકરી અઢાર વર્ષની થઇ. એના ચાર પુરુષ મિત્રો જે રીતે એની સાથે વર્તન કરતા હતા એ મને ન ગમ્યું. મારા પતિ સાથે વાત કરીતો એ મારા પર ગુસ્સે થઇ ગયા. મને કહે કે ‘મે જ એને છુટ આપી છે. એની પણ ઉંમર છે. અત્યારે મજા નહિ કરે તો ક્યારે કરશે? અને આ ઉમરમાં આપણે પણ કેવું કરતા હતા?” હું સમજાવવા પ્રયત્ન કરું છુ કે અમારી સગાઇ થઇ ગઈ હતી. મારે એકજ વ્યક્તિ સાથે સંબંધ હતા. અને મારતો સ્વપ્ન એકજ ભૂલમાં રોળાઈ ગયા. પણ એ માનવા તૈયાર નથી. મને તમારા પર ભરોસો છે. કૈક સમાધાન આપો. મારી દીકરી નાસમજ છે. એનું જીવન બરબાદ થઇ જશે.

બહેનશ્રી. તમારી ચિંતા વ્યાજબી છે. સમાજ જે દિશામાં જઈ રહ્યો છે તે સાચે જ ચિંતાજનક છે. મિત્રની કોઈ જાતી નથી હોતી. મિત્ર તો મિત્ર જ હોય છે. પરંતુ એ શબ્દને જાતિવાચક વિચારથી સમજવામાં આવે ત્યાંથી સમસ્યાની શરૂઆત થાય છે. તમારા પતિ નવા જમાનાના છે તેવું તે માને છે. મોર્ડન હોવું એટલે નિયમો તોડવા એવું નથી. પરિવર્તનનો પવન ફૂંકાય ત્યારે ઘણા ઘર વિખેરાઈ જાય છે. તમારા પતિ કહે છેકે દીકરીને ગર્ભ રહી જશે તો તેને એબોર્શન કરાવી દઈશું. કેટલી વાર કરાવશો? પ્રેમ એક સાથે હોય ચાર સાથે નહિ. તમારી દીકરી અન્યને દેખાડવા આ કરે છે એવું તમે માનો છો તે સાચું છે. દીકરી તમારા બંનેની છે. તમે પણ ભણેલા છો. પહેલું તો તમારો અસંતોષ ભૂલી જાવ. બીજું કે તમારી દીકરીના મિત્ર બની જાવ. ભલે શરૂઆતમાં બાપ દીકરી મળીને તમારી મજાક કરે. તમારા અનુભવો સારી રીતે દીકરી સાથે શેર કરો. દીકરીને લાગણી, સ્નેહ, પ્રેમ અને સંબંધોનું મહત્વ સમજાવો. એને જીવતા શીખવાડો. માત્ર ફરિયાદો કરવાથી કે જવાબદારીમાંથી ભાગવાથી તમે કાંઈજ નહિ કરી શકો. અત્યારે તમારા પતિ કેવા છે એ અગત્યનું નથી. તમે કેટલા સફળ માતા છો એ સમજવાનું છે અને સાબિત કરવાનું છે. આ ઉમરમાં બાળકોને એક સાચા મિત્રની જરૂર હોય છે. તમે એ મિત્ર બની જાવ.

હવે આખી સ્થિતિને વાસ્તુના સંદર્ભમાં જોઈએ. લગ્ન પહેલા તમે અગ્નિમાં દક્ષીણ તરફ માથું રાખીને સુતા હતા. ભાઈના લગ્ન થયા એટલે તમે વાયવ્યના રૂમમાં પશ્ચિમ તરફ માથું રાખીને સુવા લાગ્યા. સગાઇ પણ થઇ અને બહાર રહેવાનું પણ થયું. તમારા પતિ નૈરુત્યમાં માથું રાખીને વાયવ્યમાં સુતા હતા. તેથી તેમની શારીરિક ઈચ્છાઓ પ્રબળ હતી. તમારા લગ્ન ધાર્યા કરતા વહેલા થયા. તમારા પતિને અન્ય સ્ત્રીઓ પણ ગમતી. પોતે સાચા હતા કે છે એ સાબિત કરવા એ પોતાની દીકરીને રોકી નથી શકતા. તમારા સંબંધોની અસર દીકરી પર પડી છે. એને આત્મવિશ્વાસ નથી તેથી એક કરતા વધારે મિત્રો રાખે છે કે એક છોડી જાય તો અન્ય તો રહે. બધા સાથે શારીરિક સંબંધો હોય અને એ બધાને આની જાણ હોય ત્યારે એમાંથી એક પણ વફાદાર હશે કે નહિ? એ સવાલ ઉદ્ભવે જ. દીકરીને અગ્નિમાં પૂર્વ તરફ માથું રાખીને સુવરાવો. એને યોગ્ય રીતે ગાયત્રી મંત્ર કરવા કહો. તમે લોકો પૂર્વમાં માથું રાખીને સુવો અને શિવલિંગ પર અભિષેક કરો. બધુજ બરાબર થવા લાગશે.

 

ટ્રમ્પ મહાભિયોગઃ મતદાનનો મંચ તૈયાર?

વોશિંગ્ટનઃ અમેરિકી સાંસદોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મહાભિયોગ કેસને વ્હાઈટ હાઉસના વકીલો અને સદનના ફરિયાદીઓની 2 દિવસ સુધી ગહન પૂછપરછની પ્રક્રિયા સમાપ્ત કરી લીધી છે. બાદમાં નવા પુરાવા રજૂ કરવાની ડેમોક્રેટ્સની માંગ પર થનારા મતદાનનું મંચ તૈયાર થઈ ગયું છે.

ત્યારે હવે સાક્ષીઓના નવા નિવેદનો લેવાને લઈને એક સપ્તાહની સમય મર્યાદાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. કેલિફોર્નિયાના સાંસદે ઐતિહાસિક કેસમાં જ્યૂરી તરીકે ઉપસ્થિત 100 સાંસદોને કહ્યું કે, અહીંયા એક તાર્કિક શક્યતાઓ છે.

તેમણે કહ્યું કે, અમે એક સપ્તાહનો સમય વધારે લઈશું અને બાદમાં તમે સંસદીય કામકાજ ચાલુ રાખી શકશો. જો કે ટ્રમ્પની બચાવ ટીમે વધારે સાક્ષીઓ બોલાવવાની ડેમેક્રેટિક પાર્ટીની માંગને એ કહેતા ફગાવી છે કે, વ્હાઈટ હાઉસ આ પગલાને પડકારશે જેનાથી મામલો કોર્ટમાં ચાલ્યો જશે અને સંસદનું કામ ઘણા મહિના સુધી ઠપ્પ થઈ જશે. વ્હાઈટ હાઉસના વકીલ પેટ્રિક ફિલબિને કહ્યું કે, તેમણે ઘણા સપ્તાહ સુધી કહ્યું કે આ સ્પષ્ટ મામલો છે. તેમણે પૂછ્યું કે, જો આ તેમનો દાવો છે તો તેમને પ્રત્યક્ષદર્શીઓની શું જરુર છે?

હકીકતમાં ડેમોક્રેટ્સ પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનો પક્ષ જાણવા માટે વધારે ઈચ્છુક છે જેમણે પોતાના આગામી પુસ્તકમાં દાવો કર્યો છે કે ટ્રમ્પે તેમને જણાવ્યું હતું કે યૂક્રેનને સૈન્ય સહાયતા ટ્રમ્પના ડેમોક્રેટિક પ્રતિસ્પર્ધી જો બાઈડેનની તપાસ કરવાના બદલે આપવામાં આવી હતી. અમેરિકાના 45મા રાષ્ટ્રપતિ પર સત્તાના દુરુપયોગ માટે ચલાવવામાં આવી રહેલા મહાભિયોગનો મામલો  હકીકતમાં આ જ આરોપ પર આધારિત છે.

 

BSE સ્ટાર MF પર ટર્નઓવરનો નવો વિક્રમઃ જાન્યુઆરીમાં 54.43 લાખથી અધિક ટ્રાન્ઝેક્શન્સ થયા

મુંબઈ તા. 31 જાન્યુઆરી, 2020ઃ દેશના અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફની પ્રભાવશાળી કામગીરીની ચાલી રહેલી આગેકૂચમાં જાન્યુઆરી, 2020માં પ્લેટફોર્મ પર 54.43 લાખ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ થયા હતા અને રૂ.16,235 કરોડના ટર્નઓવરનો રેકોર્ડ નોંધાયો હતો. અગાઉ ડિસેમ્બર, 2019માં 49.60 લાખ ટ્રાન્ઝેક્શન થયા હતાં. એપ્રિલથી ડિસેમ્બર, 2019ના ગાળા દરમિયાન પ્લેટફોર્મ પર 4.47 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા છે.

આ પ્લેટફોર્મ પર જાન્યુઆરી મહિનામાં 2.98 લાખ નવા એસઆઈપી રજિસ્ટર થયા હતા એ સાથે સ્ટાર એમએફ પર નોંધાયેલા એસઆઈપીઝની સંખ્યા 35.68 લાખની થઈ છે, જેઓ રૂ.1025.85 કરોડનું કોર્પસ ધરાવે છે.

બીએસઈ સ્ટાર એમએફ એપ (સ્ટાર એમએફ મોબિલિટી) લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી તેણે રૂ.2181.50 કરોડના 2.26 લાખથી અધિક ટ્રાન્ઝેક્શન્સ હાથ ધર્યા છે. આ એપ ડિસ્ટ્રિબ્યુટર્સ અને ઈન્ડિપેન્ડન્ટ ફાઈનાન્સિયલ એડવાઈઝર્સ રિયલ ટાઈમ ધોરણે ક્લાયન્ટ્સની નોંધણી કરી શકે અને પેપરલેસ ટ્રાન્ઝેક્શન્સ કરી શકે એ માટે લોન્ચ કરવામાં આવેલું છે અને તેના પગલે પ્લેટફોર્મ ભારે વૃદ્ધિ પામ્યુ છે. અત્યારે પ્લેટફોર્મ પર ભારત ભરના 56,000થી અધિક ડિસ્ટ્રિબ્યુટર્સ રજિસ્ટર્ડ છે.

એક વધુ રોમાંચક સુપર ઓવર પરિણામઃ ભારતે ચોથી T20Iમાં NZને હરાવ્યું

વેલિંગ્ટન – ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ્સ શ્રેણીએ એક વધુ રોમાંચક મેચ આપી. આજે સ્કાઈ સ્ટેડિયમમાં રમાઈ ગયેલી મેચ પણ ટાઈ થયા બાદ સુપર ઓવરમાં ગઈ હતી અને એમાં વળી ભારતે જ જીત હાંસલ કરી.

આજે ચોથી મેચમાં ન્યૂઝીલેન્ડ ટીમને એના કેપ્ટન કેન વિલિયમ્સનની મદદ મળી શકી નહોતી. ઈજાગ્રસ્ત થવાથી એ મેચમાં રમી શક્યો નહોતો. એની જગ્યાએ ફાસ્ટ બોલર ટીમ સાઉધીએ સુકાન સંભાળ્યું હતું.

સાઉધીએ ટોસ જીતીને પહેલા ભારતને બેટિંગ કરવા કહ્યું હતું. ભારતે તેના અમુક સ્ટાર ખેલાડીઓને આ મેચમાં આરામ આપ્યો હતો, જેમ કે રોહિત શર્મા, મોહમ્મદ શમી. ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 165 રનનો સામાન્ય સ્કોર કર્યો હતો. 6ઠ્ઠા ક્રમે આવેલો મનીષ પાંડે 50 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એના 36 બોલના દાવમાં 3 બાઉન્ડરી હતી. ઓપનર લોકેશ રાહુલે 26 બોલમાં બે સિક્સ, 3 બાઉન્ડરી સાથે 39 રન કર્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ 11, શ્રેયસ ઐયરે 1, શિવમ દુબેએ 12, શાર્દુલ ઠાકુરે 20, યુઝવેન્દ્ર ચહલે 1 રન કર્યો હતો. નવદીપ સૈની 11 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

સાઉધીએ તેની 4 ઓવરમાં 28 રન આપ્યા હતા અને ચહલની વિકેટ લીધી હતી. લેગસ્પિનર ઈશ સોઢીએ 3 વિકેટ ઝડપી હતી. કોહલી મધ્યમ ઝડપી બોલર હેમીશ બેનેટની બોલિંગમાં આઉટ થયો હતો. બેનેટે 4 ઓવરમાં 41 રન આપ્યા હતા.

ન્યૂઝીલેન્ડ ટીમના દાવમાં, ઓપનર માર્ટિન ગપ્ટીલ બુમરાહની બોલિંગમાં (4) સસ્તામાં આઉટ થયા બાદ કોલીન મુનરો (64) અને વિકેટકીપર ટીમ સેઈફર્ટ (57)ની જોડીએ બીજી વિકેટ માટે 74 રનની ભાગીદારી કરી હતી. આ બંને બેટ્સમેન રનઆઉટ થયા હતા. ટોમ બ્રુસ ઝીરો પર આઉટ થતાં ન્યૂઝીલેન્ડની બાજી બગડી ગઈ હતી. રોસ ટેલર (24)એ બાજી સુધારવાની કોશિશ કરી હતી, પણ શાર્દુલ ઠાકુરે ફેંકેલી 20મી ઓવરમાં ન્યૂઝીલેન્ડે 4 વિકેટ ગુમાવી હતી, બે બેટ્સમેન રનઆઉટ થયા હતા અને સ્કોર પણ 165ના આંકે બરાબર થતાં મેચ ટાઈ થઈ હતી અને સુપર ઓવર દ્વારા પરિણામ લાવવાની ફરજ પડી હતી.

ભારત વતી બુમરાહે ફેંકેલી સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડના કોલીન મુનરો, સાઈફર્ટ અને રોસ ટેલરે મળીને 6 બોલમાં 13 રન કર્યા હતા.

એને જવાબ આપવા માટે લોકેશ રાહુલ અને કેપ્ટન કોહલી મેદાનમાં ઉતર્યા હતા. રાહુલે પહેલા બોલમાં સિક્સર અને બીજા બોલમાં બાઉન્ડરી ફટકારી હતી. ત્રીજા બોલમાં એ કેચ આઉટ થયો હતો. ક્રોસ થઈ ગયેલા કોહલીએ ચોથા બોલમાં 2 રન દોડ્યા હતા અને પાંચમા બોલે વિનિંગ શોટના રૂપમાં બાઉન્ડરી ફટકારી હતી.

આ જીત સાથે ભારતે પાંચ-મેચોની સિરીઝમાં પોતાની અપરાજિત સરસાઈ વધારીને 4-0 કરી છે.

પાંચમી મેચ બીજી ફેબ્રુઆરીએ માઉન્ટ મોંગાનુઈમાં રમાશે.

બેટિંગમાં 20 રન કર્યા બદ બોલિંગમાં બે વિકેટ ઝડપનાર શાર્દુલ ઠાકુરને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.

ન્યૂઝીલેન્ડ ટીમ અત્યાર સુધીમાં કુલ 8 ટ્વેન્ટી-20 મેચોમાં સુપર ઓવર રમી છે, પણ એમાંથી 7માં હાર્યું છે. ભારત સામે સતત બે સુપર ઓવર મેચ હાર્યું છે.















દિલ્હીની ચૂંટણીમાં કેમ પાકિસ્તાનને પણ રસ જાગ્યો?

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં 2020ની વિધાનસભાની ચૂંટણીની ચર્ચા દેશમાં તો થઈ રહી છે પણ સાથે સાથે પાડોશી દેશ પાકિસ્તાન પણ આ ચૂંટણી પર નજર રાખીને બેઠું છે. પાકિસ્તાનના મંત્રી પણ આ ચૂંટણીમાં કૂદી પડ્યા છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવાની માંગ પાકિસ્તાનમાં ઉઠી છે. પાકિસ્તાનના સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી ચૌધરી ફવાદ હુસેને મોદીને આ ચૂંટણીમાં હરાવવાની અપીલ કરતું વિવાદાસ્પદ નિવેદન આપ્યુ અને એક ટ્વિટ પણ કર્યું છે. ફવાદે આ ટ્વિટ મોદીના એક ભાષણ પર કર્યું હતું.

 

ફવાદે કહ્યું કે, ભારતના લોકોએ મોદીમેડનેસને હરાવવી પડશે. વધુ એક ચૂંટણી હારવાના દબાણ હેઠળ પીએમ મોદી હવે ધમકી આપવાની ભાષા બોલી રહ્યા છે. તેમણે કશ્મીર મુદ્દે તેમજ સીએએ મુદ્દે દુનિયાએ આપેલી પ્રતિક્રિયા બાદ સંતુલન ગુમાવી દીધુ છે.

ટ્વિટર પર આ નિવેદન સામે લોકોના આકરા પ્રત્યાઘાત જોઈને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ફવાદ ચૌધરીને જવાબ આપતા કહ્યું કે, મોદીજી ભારતના અને મારા પણ પીએમ છે. દિલ્હીની ચૂંટણી ભારતનો આંતરિક મામલો છે અને આંતકવાદના સૌથી મોટા પ્રાયોજકો તેમાં દખલગીરી કરે તે સહન નહી થાય. પાકિસ્તાન ગમે તે કરે પણ દેશની એકતા પર પ્રહાર નહી કરી શકે.

 

પોતાના અભિભાષણમાં રાષ્ટ્રપતિએ કહી આ વાતો

નવી દિલ્હી: સંસદના બજેટ સત્રની શરુઆત થઈ ગઈ છે. સંસદના બંને સદનોની સંયુક્ત બેઠકને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંબોંધિત કરી. રાષ્ટ્રપતિએ કહ્યું કે, સંવિધાન જ આપણા બધાનું માર્ગદર્શક છે અને આ દાયકો ભારત માટે ઘણો મહત્વનો છે. નવા ભારતનું નિર્માણ થાય. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 11 ફેબ્રુઆરી સુધી ચાલશે ત્યારબાદ એક અંતરાલ પછી તેનો બીજો તબક્કો 2 માર્ચથી શરુ થઈને 3 એપ્રિલ સુધી ચાલશે.

રાષ્ટ્રપતિના અભિભાષણની મુખ્ય વાતો

કલમ 370ને દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય: રાષ્ટ્રપતિએ કલમ 370ને દૂર કરવાના નિર્ણયને ઐતિહાસિક ગણાવતા સંસદમાં કહ્યું આ ન માત્ર ઐતિહાસિક છે પણ આના કારણે જમ્મુ કશ્મીર અને લડાખના સમાન વિકાસનો માર્ગ પણ મોકળો થયો છે. સરકાર કશ્મીર અને લડાખના વિકાસ માટે સતત કામ કરી રહી છે.

વાદ વિવાદ લોકતંત્રને મજબૂત બનાવે છે: રામનાથ કોવિંદે કહ્યું કે, સરકારનો સ્પષ્ટ મત છે કે, આંતરિક ચર્ચા પરિચર્ચા તેમજ વાદ વિવાદ લોકતંત્રને વધુ સશક્ત બનાવે છે. પણ સાથે જ તેમણે કહ્યું કે, વિરોધના નામ પર કોઈ પણ પ્રકારની હિંસા, સમાજ અને દેશને નબળી પાડે છે.

અયોધ્યા મુદ્દે લોકોએ પરિપક્વતા દેખાડી: રામનાથ કોવિંદે અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી દેશભરમાં જળવાઈ રહેલી શાંતિ બદલ લોકોની પ્રશંસા કરતા કહ્યું કે, દેશવાસીઓએ જે રીતે પરિપક્વતાથી વ્યવહાર કર્યો એ ખૂબ જ પ્રશંસનીય છે.

બોડો સમસ્યાનું સમાધાન મહત્વનું પગલું: રાષ્ટ્રપતિએ કહ્યું કે, પાંચ દાયકાઓથી ચાલી આવતી બોડો સમસ્યાના નિરાકરણ માટે કેન્દ્ર અને અસમ સરકારે હાલમાં જ બોડો સંગઠનો સાથે ઐતિહાસિક કરાર કર્યા છે. આ કરારથી એવી જટિલ સમસ્યા જેમાં 4 હજારથી વધુ લોકોના મોત થયા છે તેનું સુખદ સમાધાન આવ્યું છે. કરાર પછી બોડો સમુદાયના વિકાસ માટે સરકાર દ્વારા 1500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

સેનાને મજબૂત બનાવવામાં આવી રહી છે: રામનાથ કોવિંદે કહ્યું કે, બદલાતા સમયમાં દેશની રક્ષા સાથે જોડાયેલા નવા અને જટિલ પડકારોનો સમાનો કરવા માટે અમારી સરકાર, સૈનાને વધુને વધુ સશક્ત, પ્રભાવશાળી અને આધુનિક બનાવી રહી છે. સીડીએસની નિયુક્તિ અને સેન્ય બાબતોના વિભાગની રચના આ દિશામાં ઉઠાવેલું મહત્વનું પગલું છે.

ભારતનેટ યોજના: રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારતનેટ યોજના હેઠળ અત્યાર સુધીમાં સવા લાખથી વધુ ગ્રામ પંચાયતોને હાઈ સ્પિડ બ્રોડબેન્ડ કનેક્ટિવિટીથી જોડવામાં આવી છે. 2014માં દેશના ગ્રામીણ વિસ્તારોમાં 60 હજાર કોમન સર્વિસ સેન્ટર હતા, આજે એની સંખ્યા વધીને 3 લાખ 65 હજારથી વધુ થઈ ગઈ છે.

ચીનથી ભારતીયોને પાછા લાવવા એર ઈન્ડિયાનું વિમાન રવાના

નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાયરસના સંકટને લઈને ભારતીય નાગરિકોને પાછા લાવવા માટે એર ઈન્ડિયાનું 423 સીટની વ્યવસ્થા ધરાવતું બી 747 વિમાન આજે વુહાન એરપોર્ટ માટે રવાના થયું. અધિકારીઓએ જણાવ્યું કે સ્વાસ્થ્ય મંત્રાલયના પાંચ ડોક્ટર અને એક પેરામેડિક કર્મચારી વિમાનમાં સવાર થશે. એર ઈન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, બી 747 વિમાન દિલ્હીથી બપોરે સાડા બાર વાગ્યે રવાના થયું છે. આ મુંબઈથી દિલ્હી આવ્યું છે. તેમણે જણાવ્યું કે વિમાનમાં એક પેરામેડિક કર્મચારી પણ હશે. એર ઈન્ડિયાના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટરે કહ્યું કે, વિમાનમાં કોઈ સેવા નહી આપવામાં આવે. જે પણ ખાદ્ય પદાર્થ હશે તે સીટ પોકેટમાં રાખવામાં આવેલા હશે. કોઈ સેવા નહી હોય તો (ક્રૂ મેમ્બર્સ અને યાત્રીઓ વચ્ચે) કોઈ વાતચીત પણ નહી થાય. જાણીએ 10 મહત્વના મુદ્દા…

  1. એર ઈન્ડિયાના અધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટર અશ્વની લોહાનીએ કહ્યું કે, ક્રૂ મેમ્બર્સ અને યાત્રીઓ માટે માસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે. અમે વિમાનના કર્મચારીઓ માટે સુરક્ષા કવચની પણ વ્યવસ્થા કરી છે. લોહાનીએ કહ્યું કે, સ્વાસ્થ્ય મંત્રાલયના પાંચ ડોક્ટર્સ સાથે જઈ રહ્યા છે. વિમાન વુહાન એરપોર્ટ પર બે-ત્રણ કલાક માટે રોકાશે.
  2. સરકારે જણાવ્યું કે, વુહાનથી પાછા લાવવામાં આવી રહેલા ભારતીયોને દિલ્હી અને માનેસર આઈસોલેશન સેન્ટરમાં પણ રાખવામાં આવશે. જેથી એ સ્પષ્ટ થઈ શકે કે બીમારી ફેલાવાની કોઈ શક્યતા નથી.
  3. વિમાનમાં પાંચ ડોક્ટર અને એક પેરામેડિકલ સ્ટાફની ટીમ હશે. આમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા તૈયાર વિશેષ મેડિકલ કિટ પણ હશે, જેમાં હાથના મોજા, માસ્ક અને દવાઓનો સમાવેશ થાય છે.
  4. ડોક્ટરો અને વિમાનના કર્મચારીઓને આદેશ આપવામાં આવ્યા છે કે, તેઓ વિમાનની બહાર નિકળવાનું ટાળે અને માત્ર જેને ચેપ ન હોય, તેવા જ લોકોને વિમાનમાં પ્રવેશવાની મંજૂરી આપે.
  5. વિમાનના કર્મચારીઓ- પાયલટ, એન્જિનિયર અને ડોક્ટર દેશમાં પરત આવ્યા બાદ એક સપ્તાહ સુધી આઈસોલેશનમાં રહેશે. જો કોઈપણ પ્રકારના લક્ષણો દેખાય તો તેમને આઈસોલેશન વોર્ડમાં જાણકારી આપવાની રહેશે.
  6. દિલ્હીની રામમનોહર લોહિયા હોસ્પિટલમાં 5 વધારે શંકાસ્પદ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. દર્દીઓમાં ચાર પુરુષો અને એક મહિલાનો સમાવેશ થાય છે. તમામ લોકોને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. તપાસ માટે તેમના સેમ્પલને NIV પુણે મોકલવામાં આવ્યા છે.
  7. સરકારે ચીનના હુબેઈ પ્રાંતમાં રહેનારા 600 ભારતીય લોકોને ત્યાંથી પાછા આવવાની તેમની ઈચ્છા માટે સંપર્ક કર્યો હતો. હુબેઈ પ્રાંતના વુહાનમાં આ પ્રકારના વાયરસથી સૌથી વધારે લોકો પ્રભાવિત છે.
  8. ચીનમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા આજે 213 પર પહોંચી ગઈ છે. તો કુલ 9,692 કેસ નોંધાયા છે. આ પૈકી 5,806 કેસ હુબેઈ પ્રાંતના છે અને ત્યાં 204 લોકોના મોત થયા છે.

સીએએ બનાવીને ગાંધીજીની ઈચ્છા પૂરી કરી: રામનાથ કોવિંદ

નવી દિલ્હી: સંસદના બજેટ સત્રના પ્રથમ દિવસે બંને સદનોને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, સરકારે સીએએ બનાવીને ગાંધીજીની ઈચ્છા પૂરી કરી છે. જોકે, નાગરિકતા કાયદાનો ઉલ્લેખ થતાંની સાથે જ સંસદમાં વિપક્ષીદળોએ જોરદાર વિરોધ શરુ કર્યો. રાષ્ટ્રપતિએ વિપક્ષના વિરોધ વચ્ચે તેમનું ભાષણ ચાલુ રાખતા કહ્યું કે, અમારી સરકાર એ ફરી વખત સ્પષ્ટ કરે છે કે, ભારતમાં આસ્થા રાખનારા અને દેશની નાગરિકતા મેળવવા ઈચ્છુક વિશ્વના તમામ ધર્મના લોકો માટે પહેલા જે પ્રક્રિયા આજે પણ એ જ છે. વિભાજન પછી સર્જાયેલા માહોલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં રહેલા હિન્દુઓ અને શીખો જે ત્યાં નથી રહેવા ઈચ્છતા તે ભારત આવી શકે છે તેમને સામાન્ય જીવન ઉપલબ્ધ કરાવવું સરકારનું કર્તવ્ય છે.

પૂજ્ય બાપુના આ વિચારનું સમર્થન કરતા સમયાંતરે તેમના રાષ્ટ્રીય નેતાઓ અને રાજકીય દળોએ પણ પણ આને આગળ ધપાવ્યું છે. આપણા રાષ્ટ્રનિર્માતાઓને એ ઈચ્છાનું સમ્માન દાયિત્વ છે. મને આનંદ છે કે, સંસદના બંને સદનો દ્વારા નાગરિકતા સંશોધન કાયદો બનાવીને તેમની ઈચ્છાને પૂર્ણ કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાકિસ્તાનમાં રહેતા અલ્પસંખ્યકોની સાથે અત્યાચારનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો પર થઈ રહેલા અત્યાચારની નિંદા કરતા, વિશ્વ સમુદાયને આ મુદ્દે નોંધ લેવા અને આ દિશામાં જરૂરી પગલા લેવા પણ આગ્રહ કરીએ છીએ. તેમણે હાલમાં જ થયેલા નનકાના સાહિબની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, એ દાયિત્વ છે કે, પાકિસ્તાનમાં થઈ રહેલા અત્યાચારથી સમગ્ર વિશ્વ પરિચિત થાય.

રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, પાંચ દાયકાથી ચાલી રહેલી બોડો સમસ્યાને સમાપ્ત કરવા માટે કેન્દ્ર અને અસમ સરકારે હાલમાં જ બોડો સંગઠનો સાથે ઐતિહાસિક કરાર કર્યો છે. આ કરારથી એક એવી જટીલ સમસ્યા જેમાં 4 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા, એનું સમાધાન આવ્યું છે.

આર્થિક સર્વેમાં જીડીપી અનુમાન 6 થી 6.5 ટકા

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આર્થિક સર્વે આપ્યો છે. આમાં વર્ષ 2020-21 માટે જીડીપીનું અનુમાન 6 થી 6.5 ટકા આંકવામાં આવ્યું છે. આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિ દર પાંચ ટકા રહેવાનો અંદાજ છે. સાથે જ આર્થિક વૃદ્ધિને તેજ કરવા માટે ચાલુ નાણાકીય વર્ષના રાજકોષીય ખાદ લક્ષ્યમાં ઢીલ આપવી પડી શકે છે. આર્થિક સર્વેક્ષણમાં દેશમાં વ્યવસાય કરવાને સરળ બનાવવા માટે અને સુધારો કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. સર્વે અનુસાર સરકારને ચૂંટણીમાં મળેલા જનાદેશનો ઉપયોગ કરતા આર્થિક સુધારની પ્રક્રિયાને તેજીથી આગળ વધારવી જોઈએ. ભારતીય અર્થવ્યવસ્થા પર આંતરરાષ્ટ્રીય સ્તર પર જો મંદી છે તેની ખરાબ અસર પડી છે. આ વર્ષના પહેલા બે ત્રિમાસીક ગાળામાં આર્થિક વિકાસદરમાં ઘટાડો થયો છે પરંતુ વર્ષના બીજા ભાગમાં અર્થવ્યવસ્થામાં સુધારો આવવાની શક્યતાઓ રહેલી છે. આશા છે કે વર્ષ 2019-20 ના બીજા ભાગમાં અર્થવ્યવસ્થામાં સુધારો નોંધાશે. આ સાથે જ નવો વ્યાપાર શરુ કરવા, પ્રોપર્ટી રજિસ્ટ્રેશન, કર ચૂકવણી અને કરારોના અમલીકરણને સરળ કરવા માટે ઉપાયોની જરુરિયાત બતાવવામાં આવી છે. આર્થિક સમીક્ષામાં સરકારી બેંકોની સંચાલન વ્યવસ્થામાં સુધારો અને ભરોસો સ્થાપિત કરવા માટે વધારે સુચનાઓ સાર્વજનિક રુપે પ્રકાશિત કરવા પર જોર આપવા માટે કહેવામાં આવ્યું છે.

આર્થિક સર્વે અંતર્ગત દેશની આર્થિક સ્થિતિ વિસ્તારપૂર્વક રજૂ કરવામાં આવે છે. આખા વર્ષમાં દેશમાં વિકાસ ટ્રેન્ડ શું રહ્યો? કયા ક્ષેત્રમાં કેટલું રોકાણ થયું? કયા ક્ષેત્રમાં કેટલો વિકાસ થયો? કઈ યોજનાઓને કયા પ્રકારે અમલી બનાવાઈ? વગેરે જેવા તમામ મુદ્દાઓ પર આ સર્વેમાં માહિતી આપવામાં આવે છે. અર્થવ્યવસ્થા, પૂર્વાનુમાન અને નીતિગત સ્તર પર પડકારો સંબંધિત વિસ્તૃત સૂચનાઓનો પણ આમાં સમાવેશ થાય છે.

આમાં તમામ રાજ્યો કે ક્ષેત્રોની સ્થિતિની રુપરેખા અને સુધારાના ઉપાયો મામલે જણાવવામાં આવે છે. આ સર્વેક્ષણ ભવિષ્યમાં બનાવવામાં આવનારી નીતિઓ માટે એક દ્રષ્ટીકોણ પર કામ કરે છે. આર્થિક સર્વેક્ષણ દેશની આર્થિક સ્થિતિનો અરીસો હોય છે એટલા માટે આના દ્વારા આગામી બજેટમાં કયા ક્ષેત્રો પર ફોકસ કરવામાં આવશે, આની એક ઝલક મળી જાય છે.