Home Blog Page 4839

યુરોપિયન સંસદે CAA પર મતદાન મુલતવી રાખ્યું

ભારતે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે સિટિઝનશીપ એમેન્ડમેન્ટ ઍક્ટ (CAA) ભારતનો આંતરિક મામલો છે; ભારતની સંસદના બંને ગૃહોમાં તેને બહુમતીથી પસાર કરાયો છે અને તેના વિશેની ચર્ચા લાંબા સમયથી ચાલતી હતી; તેથી તેનો વિરોધ કરવો વિદેશી સરકારો માટે વાજબી નથી. આ ચેતવણી પછી CAA મુદ્દે દાખલ થયેલા ઠરાવો પર મતદાન કરવાનું યુરોપિયન સંસદે મુલતવી રાખ્યું છે. યુરોપિયન સંસદ એટલે કે યુરોપના દેશોએ ભેગા મળીને બનાવેલા યુરોપિય સંઘની સંસદ, જેમાં 6 જુદા જુદા ઠરાવો દાખલ થયા હતા. 29 તારીખે તેને ચર્ચા પર મૂકાયા હતા અને 30 તારીખે તેના પર ચર્ચા થવાની હતી, પણ ભારતતરફી સાંસદોના દબાણ પછી મતદાન મુલતવી રખાયું છે. આગામી માર્ચ સુધી તેના પર હવે મતદાન થશે નહિ.

 

આગામી માર્ચ મહિનામાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રસેલ્સની મુલાકાત લેવાના છે. બ્રસેલ્સમાં જ યુરોપિય સંઘની સંસદ બેસે છે. આ મુલાકાત રદ થાય અને યુરોપિય સંઘ ઉપરાંત યુરોપના જુદા જુદા દેશો સાથે ભારતના સંબંધો પર સીધી અસર થાય તેમ હતી. તેથી આખરે મતદાન ટાળી દેવાયું છે અને ભારતને વધુ એક રાજદ્વારી સફળતા મળી છે. કલમ 370 નાબુદી વખતે પણ ભારતે મક્કમતાપૂર્વક વિશ્વના દેશોને જણાવ્યું હતું કે આ આંતરિક મામલો છે અને તેના વિશે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ ચર્ચા ચલાવી લેવામાં આવશે નહિ.

યુરોપિય સંસદમાં કુલ 751 સભ્યો છે, તેમાંથી 560 તરફથી છ ઠરાવોને ચર્ચા માટે મંજૂર કરાયા હતા. જુદા જુદા જૂથોએ રજૂ કરેલા ઠરાવને મેજ પર મૂકવા આટલું સમર્થન જોયા પછી ભારતે પોતાના રાજદ્વારી પ્રયાસો તેજ કરી દીધા હતા. CAA ઉપરાંત ઠરાવોમાં NRCનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેના કારણે ભારતે આકરું વલણ લીધું હતું અને કહ્યું હતું કે જેની કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ તેની વાત કેવી રીતે થઈ શકે. ઉપરાંત સાર્વભૌમ દેશને પોતાના કાયદા કરવાનો અધિકાર છે. કોને દેશમાં પ્રવેશ આપવો, કોને નાગરિકત્વ આપવું તે દેશનો અધિકાર છે. અમેરિકા ઉપરાંત યુરોપના ઘણા દેશોમાં ઇમિગ્રન્ટ્સ વિરોધી વાતાવરણ ઊભું થઈ રહ્યું છે, ત્યારે ભારતની દલીલ સ્વીકાર્યા સિવાય છુટકો નહોતો. પોતાને ત્યાં ઇમિગ્રન્ટ્સનો વિરોધ અને ભારતની બાબતમાં બેવડા ધોરણ ચાલે તેમ નહોતા.

યુરોપિય સંઘે બધા ઠરાવોને સંયુક્ત રીતે ચર્ચામાં લઈને આખરે તેના પર મતદાન કરવાનું પણ નક્કી કર્યું હતું. છ ઠરાવમાં એક ઠરાવ એવો પણ હતો કે માર્ચમાં ભારતના વડા પ્રધાન બ્રસેલ્મની મુલાકાતે આવે ત્યારે તેમની સાથે આ મુદ્દાઓ પર ચર્ચા કરવી. જોકે હવે મતદાન અટક્યું છે, ત્યારે મુલાકાત વખતે પણ આવા કોઈ મુદ્દાને છેડવામાં ના આવે તે માટે ભારતનું દબાણ રહેશે.

ભારતે દબાણ ઉપરાંત મિત્રતાનો વ્યૂહ પણ અપનાવ્યો હતો. યાદ હશે કે ત્રણેક મહિના પહેલાં યુરોપના દેશોના, મોટા ભાગે જમણેરી પક્ષોના 22 જેટલા સાંસદોને કાશ્મીરની મુલાકાતે લઈ જવાયા હતા. મુલાકાત સમગ્ર રીતે ગોઠવેલી હતી, પણ ભારતને છે તેવી જ ચિંતા ધરાવતા આ સાંસદોને ભારતે સાધ્યા હતા, જે ડિપ્લોમસીની રીત છે. આ સાંસદો ઉપરાંત થોડા વખત પહેલાં ભારત ખાતેના જુદા જુદા દેશોના રાજદૂતોને પણ કાશ્મીરની યાત્રાએ લઈ જવાયા હતા. યાત્રા ભલે પ્રચારાત્મક હોય, પણ તેનાથી ભારત માહોલ ઊભો કરી શકે છે. તે પ્રવાસમાં જોડાવા માટે યુરોપિય રાજદૂતો તૈયાર થયા નહોતા, પણ તેમને અલગથી કાશ્મીર લઈ જવાની સરકારની ગણતરી છે.

પરંતુ ઠરાવ આવવાનો અને મતદાન થવાનું બાકી હતું, કદાચ તેથી જ રાજદૂતોએ ત્યારે ના પાડી હતી. હવે મતદાન ટળી ગયું છે, ત્યારે કદાચ પ્રવાસ યોજાશે. યુરોપિય રાજદૂતોને અનુકૂળ તારીખો પર વિચાર થઈ રહ્યો છે તેવું વિદેશ મંત્રાલયના વર્તુળોએ જણાવ્યું હતું.

 

કાશ્મીર અને CAA બાબતમાં ભેદભાવ અને ભારતના વલણની ટીકા થઈ હતી. ઠરાવ B9-0077/2020 થી B9-0082/2020 એમ છ ઠરાવો હતા. ઠરાવોને બહુમતી સાથે દાખલ કરાયા ત્યારથી જ ભારતે પ્રયાસો શરૂ કરી દીધા. જોકે આ બાબતમાં સત્તાવાર  રીતે ભારતના વિદેશ મંત્રાલયે કોઈ ટીપ્પણી કરી નહોતી. પરંતુ સત્તાવાર વર્તુળોએ જુદા જુદા મીડિયા સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી કે ભારત પાસેથી હકીકતો જાણ્યા વિના આવા ઠરાવ કરવા યુરોપિય સંસદને શોભે નહિ.

યુરોપિયન કમિશનના વાઇસ-પ્રેસિડેન્ટ જોસેફ બોરેલે ‘ભારતના સિટિઝનશીપ (એમેન્ડમેન્ટ) ઍક્ટ, 2019’ વિશે નિવેદન આપીને ઠરાવોને ચર્ચા માટે મૂક્યા હતા. બધા ઠરાવોને ભેગા કરીને સંયુક્ત ઠરાવ કરવાની ગણતરી હતી, પણ તેમ થઈ શક્યું નથી. અગાઉ કલમ 370ના મુદ્દે પણ સપ્ટેમ્બર 2019માં યુરોપિય સંસદે ચર્ચાઓ કરી હતી, પણ છેલ્લી ઘડીએ મતદાન કરાયું નહોતું.

ભારતે ખાસ કરીને એવી દલીલો કરી હતી કે નાગરિકતા કોને, કેવી રીતે આપવી તે બાબતમાં યુરોપના મોટા ભાગના દેશોમાં આવું જ વલણ લેવાયેલું છે. તેથી ભારત સામે ઠરાવ થશે તો યુરોપનું બેવડું ધોરણ જ ખુલ્લું પડી જશે, એમ ભારતીય વર્તુળોએ જણાવ્યું હતું.

રાબેતા મુજબ ઠરાવોમાં માનવ અધિકારોના આંતરરાષ્ટ્રીય ધોરણોનો ભારતમાં થતો ભંગ, કાશ્મીરમાં રાજકીય નેતાઓની અટકાયત, સંદેશવ્યવહાર પર પ્રતિબંધો, CAAના વિરોધમાં દેખાવો કરનારા પર ઉત્તર પ્રદેશમાં પોલીસનો ગોળીબાર વગેરે ઉલ્લેખો કરીને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC) લવાશે તો મોટી સંખ્યામાં લોકો રાષ્ટ્રીયતા ગુમાવશે અને મુશ્કેલીમાં મૂકાશે વગેરે ચિંતા વ્યક્ત થઈ હતી. ઠરાવોની ચર્ચાની શરૂઆતમાં નિવેદન આપનારા બોરેલ આ મહિને જ ભારત આવ્યા હતા.

રાઇસીના ડાયલોગ્ઝ પરિષદમાં ભાગ લેવા આવ્યા હતા. તે દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન જયશંકર સાથે તેમણે અલગથી મુલાકાતો કરી હતી. તે દરમિયાન આ મુદ્દાઓ ચર્ચાયા હતા અને ભારતનું વલણ સ્પષ્ટ કરાયું હતું તેમ રાજદ્વારી વર્તુળો જણાવે છે.

ઠરાવોમાં CAA સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો સાથે ચર્ચા કરવી જોઈએ, કાશ્મીરમાંથી પ્રતિબંધો હટાવી લેવા જોઈએ તથા સમાનતાની ભાવનાને ધ્યાનમાં રાખીને CAA વિશે પુનઃવિચાર કરવો જોઈએ તેવા સૂચનો પણ હતા, પણ હવે મતદાન નથી થયું ત્યારે આ ઠરાવોનો કોઈ અર્થ રહ્યો નથી.

બીજું 13 માર્ચે યુરોપિયન યુનિયન-ભારતની શીખર પરિષદ મળવાની છે, તે પહેલાં ભારત પોતાના રાજદ્વારી પ્રયાસો તેજ કરીને હજી પણ ઘણા યુરોપિય સાંસદોને અલગ પાડી દેવાની કોશિશ કરશે. માર્ચ પહેલાં કદાચ કેટલાક યુરોપિય રાજદૂતોની કાશ્મીરની મુલાકાત પણ યોજાશે. દરમિયાન સુપ્રીમ કોર્ટના આદેશ પછી ટુજી ઇન્ટરનેટ શરૂ કરાયું છે. માર્ચમાં આકરો શિયાળો પૂરો થશે તે સાથે કાશ્મીરમાં વાહવવ્યવહાર પણ ફરીથી ચાલતો થશે તે બધી બાબતોની રજૂઆત ભારત કરી શકશે.

નરેન્દ્ર મોદી બ્રસેલ્સમાં આ શીખર પરિષદમાં ભાગ લેવા જાય તે પહેલાં યુરોપના બીજા દેશો સાથે પણ ડિપ્લોમેટિક પ્રયાસો થતા રહેશે. બ્રેક્ઝિટનો નિર્ણય લેવાઈ ગયો છે અને બ્રિટનમાંથી યુરોપિય સંઘમાં ગયેલા સાંસદ અને ઠરાવ લાવનારા એક સાંસદની વિદાય પણ કદાચ થઈ ગઈ હશે. એક ઠરાવમાં ભારત અને યુરોપિય સંઘ વચ્ચેની શીખર પરિષદ વખતે બ્રસેલ્સમાં ભારતની પીએમ સાથે ચર્ચા કરવાની વાત પણ હતી. ભારત આ મુદ્દે અલગથી ચર્ચા નહિ સ્વીકારે તે સ્પષ્ટ છે. યુરોપના દેશોને ભારત સાથે સારા સંબંધો, વેપારી સંબંધોમાં રસ હોય ત્યારે આ પ્રકારના બેવડાં ધોરણો ભારત સ્વીકારી શકે નહિ.

મોટો હુમલો કરવા જમ્મૂ-કાશ્મીરમાં ઘુસ્યા આતંકીઓ, સેનાએ કર્યા ઠાર

શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરમાં મોટો આંતકી હુમલો કરવાની ફીરાકમાં ઘુસેલા આશરે ચાર આતંકીઓ પૈકી 3 આતંકવાદીઓને સુરક્ષાદળો દ્વારા ઠાર કરવામાં આવ્યા છે. અત્યારે સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ ચાલું છે. શ્રીનગર તરફ જઈ રહેલા આતંકવાદીઓએ ઘાટીમાં જવાના પ્રયત્નમાં નગરોટા નજીક સુરક્ષા દળોની નાકાબંધી કરીને ઉભેલી ટીમ પર ચેકીંગ દરમિયાન ગોળીબાર કર્યો હતો. આમાં એક આતંકી ઘાયલ થયો છે. જમ્મૂ-કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે, આતંકવાદીઓનું આ સમૂહ શ્રીનગર તરફ જઈ રહ્યું હતું અને શક્યતાઓ છે કે તેમણે કઠુઆ, હીરાનગર બોર્ડર પરથી ઘુસણખોરી કરી હતી. આ મામલે તપાસ ચાલી રહી છે.

શક્યતાઓ છે કે, આ આતંકીઓનું ષડયંત્ર આત્મઘાતી હુમલો કરવાનું હતું. આતંકવાદી ટ્રકમાં છુપાઇને ઘાટીમાં ઘૂસવાની ફિરાકમાં હતા. તેમનો પ્રયત્ન કાશ્મીરમાં પ્રવેશ કરવાનો હતી. અત્યાર સુધી 3 આતંકીઓને ઠાર કરાઇ ચૂકયા છે. સુરક્ષાબળોએ ઘટનાસ્થળ પર મોટી માત્રામાં હથિયાર જપ્ત કર્યા છે.

અત્યારે સર્ચ ઓપરેશન ચાલુ છે અને આસપાસના વિસ્તારોમાં તપાસ અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. જમ્મૂ-શ્રીનગર બાઇવે પર અત્યારે ટ્રાફિકને રોકી દેવાયો છે. જમ્મુ-કાશ્મીર પોલીસના આઇજી મુકેશ સિંહનું કહેવું છે કે ક્ષેત્રમાં 4થી વધુ આતંકી હોઇ શકે છે. આખા ક્ષેત્રને ઘેરી લેવાયો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે પોલીસે જમ્મુ-શ્રીનગર હાઇવે પર બનેલા ટોલ પ્લાઝા પર શ્રીનગર જઇ રહેલી એક ટ્રકને રોકી તો ટ્રકમાં છુપાયેલા આતંકવાદીઓએ પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું. આ હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થઇ ગયો જ્યારે એક આતંકવાદીને ઠાર કરાયો. એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

સૂત્રોએ કહ્યું કે મૃત્યુ પામેલા આતંકીએ સેનાની વર્દી પહેરી રાખી હતી. આતંકી હુમલા માટે કાશ્મીર ઘાટીમાં ઘૂસવાની ફિરાકમાં હતા. આ બધાની વચ્ચે જમ્મુ-કાશ્મીર પોલીસના આઇજી મુકેશ સિંહે કહ્યું કે એક આતંકવાદીને ઠાર કરી દીધો છે. 3 આતંકી હજી છે અને એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે આની પહેલાં ગુરૂવારના રોજ જમ્મુ-કાશ્મીરના કુપવાડા વિસ્તારમાં સુરક્ષા બળોએ એક આતંકીને પકડી પાડ્યો હતો. ધરપકડ કરાયેલા આતંકી હિઝબુલ મુઝાહિદ્દીનના છે. તેમની ઓળખ ફયાઝ મીર તરીકે થઇ છે.

તો મંગળવારના રોજ ઉતર કાશ્મીરના બારામુલ્લાથી લશ્કર-એ-તૈયબાના આતંકીને ધરપકડ કરી હતી. આ મામલે એક પોલીસ અધિકારીએ કહ્યું કે બાંદીપોર જિલ્લાના હાજિન નિવાસી સજ્જાદ અહમદ ડાર ઉર્ફે અદનાનને બારામુલ્લા સ્થિત પટ્ટનના અંદેરગમ ગામથી પકડી પાડ્યો.

એક મોટા ઓપરેશન બાદ બંધક બનાવાયેલા 23 બાળકોને પોલીસે મુક્ત કરાવ્યા

ફરુખાબાદઃ ઉત્તરપ્રદેશના ફરુખાબાદમાં એક શખ્સ દ્વારા બંધક બનાવવામાં આવેલા 23 બાળકોને સ્થાનિક પોલીસે 11 કલાકના ઓપરેશન બાદ સુરક્ષિત મુક્ત કરાવ્યા છે. પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં આરોપી ઠાર માર્યો ગયો છે. ઉત્તર પ્રદેશના DGP ઓ.પી. સિંહે જણાવ્યું હતું કે, સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસે બદમાશને વ્યસ્ત રાખ્યો હતો અને પોલીસે પાછળના દરવાજેથી ઘરમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ક્રોસ ફાયરિંગમાં તેનું મોત થયું છે. જેમાં સુભાષ બાથમ ઠાર માર્યો ગયો હતો. ઘર્ષણમાં ઓરોપીની પત્ની પણ ઘાયલ થઇ હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોલીસની ટીમને 10 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.

જિલ્લાના મોહમ્દાબાદ વિસ્તારમાં જેલમાંથી જામીન પર બહાર આવેલ સુભાષે પોતાની પુત્રીના જન્મદિવસની ઉજવણીના નામે ગામના બાળકોને પોતાના ઘરે બોલાવ્યા હતાં. બાળકોને મુક્ત કરાવવા માટે પહોંચેલી પોલીસ પર આરોપીએ ફાયરિંગ કરતા 2 પોલીસકર્મી ઘાયલ થયા હતા. પોલીસે આરોપીના એક મિત્રને સમજાવવા માટે અંદર મોકલ્યો હતો, તેને પણ ગોળી વાગી છે. આરોપીએ 6 વખત ગોળીબાર કર્યો હતો અને ઘરની બહાર હેન્ડગ્રેનેડ પણ ફેંક્યા હતા. આરોપીએ બાળકોને અંડરગ્રાઉન્ડ રૂમમાં બંધ કરી દીધા હતાં. આરોપીએ 35 કિલોગ્રામ દારૂગોળાથી આખા ઘરને ફૂંકી મારવાની ધમકી આપી હતી.

ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલા પર ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. મુખ્ય સેક્રેટીર, ડીજીપી, એડીજી લો એન્ડ ઓર્ડર અને ગૃહ વિભાગના પ્રમુખ સચિવને યોગીએ બાળકોને સુરક્ષિત છોડવાવા માટે તાત્કાલિક એક્શન લેવા માટે આદેશ આપ્યો હતો. બાદમાં યોગીએ ફરુખાબાદના ડીએમ અને એસપી સાથે ચર્ચા કરી. યોગીએ વીડિયો કોન્ફોરન્સિંગ કરીને ફરુખાબાદ પોલિસની ઝાટકણી કાઢી. તેમણે કહ્યું કે કલાકોથી ફારુખાબાદ પોલીસ શું કરી રહી હતી. કોઈ પણ રીતે બાળકો અને મહિલાઓને મુક્ત કરાવવામાં આવે. ત્યાર બાદ પોલીસની કાર્યવાહીમાં આરોપી ઠાર મરાયો હતો.

ઈલિયાનાની સ્વિમસૂટ તસવીરોએ ઈન્ટરનેટ પર લાવી દીધી ગરમી…

બોલીવૂડ અભિનેત્રી ઈલિયાના ડીક્રૂઝે સ્વિમસૂટમાં સજ્જ થયેલી પોતાની નવી મોહક તસવીરો સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર પોસ્ટ કરીને ઈન્ટરનેટ પર ગરમી લાવી દીધી છે. તસવીરની કેપ્શનમાં એણે લખ્યું છે, મારે થોડાક ‘વિટામીન Sea’ની જરૂર છે.

આજથી બે દિવસ બેન્ક હડતાળ છે; ATM સેવાને પણ અસર થઈ શકે છે

મુંબઈ – જાહેર ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓના સંગઠનો આજથી બે દિવસ માટે રાષ્ટ્રવ્યાપી હડતાળ પર છે. એને કારણે બેન્કિંગ સેવાઓને માઠી અસર પડી શકે છે.

કર્મચારીઓના પગાર વધારાના મુદ્દે બેન્કોના વહીવટીતંત્ર સાથે થયેલી વાટાઘાટ નિષ્ફળ ગયા બાદ કર્મચારીઓના સંગઠનોએ હડતાળ પર જવાનું નક્કી કર્યું છે. બેન્ક કર્મચારીઓના સંગઠનો કર્મચારીઓના પગારમાં 20 ટકા વધારાની માગણી કરી રહ્યા છે. ભૂતકાળમાં કરાયેલી પગાર સમજૂતી અનુસાર એમને કર્મચારીઓને 15 ટકા પગાર વધારો મંજૂર કરાયો હતો.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ એક નોટિફિકેશન દ્વારા જણાવ્યું છે કે બેન્કકર્મીઓની હડતાળને કારણે એસબીઆઈની કામગીરીઓ ખોરવાઈ જવાનો સંભવ છે.

હડતાળને કારણે રોકડ જમા કરાવવા, ઉપાડવા, ચેક ક્લીયરન્સ, ઈન્સ્ટ્રૂમેન્ટ (ચેકબુક સહિત) ઈસ્યૂ કરવા, લોન છૂટી કરવા જેવી કામગીરીઓને અસર પડી શકે છે.

ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA)ના એક ટોચના સભ્યના જણાવ્યા મુજબ હડતાળમાં સરકારી તેમજ ખાનગી ક્ષેત્રની કેટલીક બેન્કોના 10 લાખ જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાશે. દેશભરમાં બે દિવસ સુધી 80 હજાર બેન્ક શાખાઓ બંધ રહેશે.

જોકે ખાનગી ક્ષેત્રની ICICI Bank અને એચડીએફસી બેન્ક ખુલ્લી રહેશે.

આજથી બે દિવસ હડતાળને કારણે સતત 3 દિવસ સુધી બેન્કો બંધ રહેશે. શુક્રવાર-શનિવાર હડતાળ અને રવિવારે અઠવાડિક રજાને કારણે. બેન્કો હવે સોમવારે 3 ફેબ્રુઆરીએ ખૂલશે.

3 દિવસ બેન્કિંગ કામગીરીઓ બંધ રહેશે એટલે એટીએમ મશીનોમાં પણ ચલણી નોટો ખલાસ થઈ જવાનો સંભવ રહેશે.

દેશભરમાં કુલ 9 બેન્ક કર્મચારી સંગઠનો હડતાળમાં જોડાયા છે. આ તમામ સંગઠનો યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સના નેજા હેઠળ એકત્ર થયા છે.

આવતીકાલે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે ત્યારે દેશભરમાં બેન્કકર્મચારીઓ હડતાળ પર હશે.

Chitralekha Marathi – February 10, 2020

  E-Magazine – Desktop Version PDF Version
This post is only available to members.

આજે સંસદમાં રજૂ થશે એ આર્થિક સર્વે છે શું?

નવી દિલ્હી: કેન્દ્રીય બજેટ રજૂ કરાયાના એક દિવસ પહેલા એટલે કે આજે નાણાકીય વર્ષ 2019-20ની આર્થિક સમીક્ષા એટલે કે, ઈકોનોમિક સર્વે સંસદમાં રજૂ કરવામાં આવશે. આર્થિક સર્વેથી દેશની અર્થવ્યવસ્થાની સંપૂર્ણ જાણકારી મળે છે. આર્થિક સર્વે ભારતીય ઈકોનોમીની સ્થિતિ અને ભવિષ્યમાં જરૂરી એક્શનનું વિવરણ હોય છે. આજે આપણે જાણીએ આર્થિક સર્વે શું હોય છે અને તેને કોણ તૈયાર કરે છે?

આર્થિક સમીક્ષા ભારતીય અર્થવ્યવસ્થાની દ્રષ્ટીએ ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ હોય છે. સમાન્ય રીતે સરકારના મુખ્ય આર્થિક સલાહકારની આગેવાની વાળી સમિતિ આર્થિક સમીક્ષા તૈયાર કરે છે. આ દસ્તાવેજમાં દેશની આર્થિક સ્થિતિનો ઉલ્લેખ હોય છે. આ દસ્તાવેજ ત્રણ ખંડમાં હોય છે. જેમાં વોલ્યૂમ 1, વોલ્યૂમ 2 અને સ્ટેટિસ્ટિકલ અપેન્ડિક્સ હોય છે.

દર વર્ષે રજૂ કરવામાં આવતા આર્થિક સર્વેને દેશના મુખ્ય આર્થિક સલાહકારની આગેવાનીવાળી એક ટીમ તૈયાર કરે છે. આર્થિક સમીક્ષા દેશના મુખ્ય આર્થિક સલાહકારની દ્રષ્ટિ અને ભવિષ્યમાં અર્થતંત્ર અંગે સરકારના વલણને દર્શાવે છે. જૂન 2018 માં અરવિંદ સુબ્રમણ્યમે મુખ્ય આર્થિક સલાહકાર પદેથી રાજીનામું આપ્યા બાદ આ પદ લગભગ છ મહિના સુધી ખાલી હતું. એ પછી, નરેન્દ્ર મોદી સરકારે હૈદરાબાદની ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસમાં પ્રોફેસર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમની નિમણૂક કરી હતી. આ બીજી વાર છે જ્યારે તેમના નેતૃત્વ હેઠળ આર્થિક સર્વે તૈયાર કરવામાં આવ્યો.

ફાઈલ ફોટો

કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમની લિંક્ડિન પ્રોફાઇલ મુજબ, તેણે આઈઆઈટી કાનપુરથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બીટેક કર્યું, ત્યારબાદ તેણે કોલકાતાના આઈઆઈએમમાંથી પીજીડીએમ કર્યું હતું. તેમણે શિકાગો યુનિવર્સિટીમાંથી પણ અભ્યાસ કર્યો છે.

રાશિ ભવિષ્ય 31/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું,


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે,


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે