Home Blog Page 4843

‘સબકા સાથ સબકા વિકાસ’ની ભાવનાને અનુરૂપ ઉત્કૃષ્ટ બજેટ: આશિષ ચૌહાણ (BSE)

આશિષ ચૌહાણ (બીએસઈના મૅનેજિંગ ડિરેક્ટર-સીઈઓ)ના અભિપ્રાય મુજબ, સર્વ વર્ગોને સ્પર્શતું વિકાસલક્ષી બજેટ રજૂ થયું છે, જેમાં માગ અને રોજગારીમાં વૃદ્ધિ માટેની ભરપૂર જોગવાઈઓ કરવામાં આવી છે. આ એવું બજેટ છે, જેમાં દરેક માટે કોઈને કોઈ જોગવાઈ છે અને ‘સબકા સાથ, સબકા વિકાસ’ની ભાવનાને ચરિતાર્થ કરવાનો પ્રયત્ન છે.

ખેડૂતોને સોલર પંપ્સ, વિમા કવચ, ટેક્નૉલૉજીમાં રોકાણ અને અન્ય સુવિધાઓ પૂરી પાડી 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના હેતુ સાથેની પીએમ કુસુમ સ્કીમ, ફેરિયાઓને આરોગ્ય, શિક્ષણ અને વિકાસની સુવિધાઓ પૂરી પાડી સારું જીવનધોરણ પૂરું પાડવું અને પછાત વર્ગો માટેના કલ્યાણ માટે 85,000 કરોડ અને અન્ય પછાત વર્ગો માટે 53,700 કરોડ રૂપિયાની જોગવાઈ, વગેરે દર્શાવે છે કે સરકાર સર્વ વર્ગોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.

વ્યક્તિગત આવક પરના વેરાના ઘટાડાને પગલે મધ્યમ વર્ગ પાસે વધુ આવક રહેશે. સીનિયર સિટિઝન અને દિવ્યાંગ માટેની ફાળવણી વધારીને 9,500 કરોડ કરાઈ છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય નોટિફાઈડ ક્ષેત્રોમાં સોવરિન વેલ્થ ફંડ્સના મૂડીરોકાણ પરના વિથહોલ્ડિંગ ટૅક્સનો પાંચ ટકાનો દર, વ્યાજખર્ચ, ડિવિડંડ અને કેપિટલ ગેઈન્સને સંપૂર્ણ કરમુક્તિને પગલે વિદેશી રોકાણકારોને પણ આકર્ષણ પૂરું પાડવામાં આવ્યું છે.

એમએસએમઈ ક્ષેત્રમાં વિલંબિત ચુકવણી અને રોકડ પ્રવાહના અસંતુલનને નિવારવા ઈન્વોઈસિંગ ફાઈનાન્સ પૂરું પાડવામાં આવશે.

ડિવિડંડ ડિસ્ટ્રિબ્યુશન ટૅક્સની નાબૂદી, ઓડિટની ટર્નઓવર મર્યાદા એક કરોડ રૂપિયાથી વધારીને પાંચ કરોડ રૂપિયા કરાઈ અને અમુક શ્રમલક્ષી ઉત્પાદનનો પરની કસ્ટમ્સ ડ્યુટી વધારાઈ એને પગલે ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ વધશે અને એમએસએમઈ વિશ્વની નિકાસ બજારમાં સ્પર્ધાત્મક બની રહેશે.

વેપાર સાહસિકતા અને સ્ટાર્ટ-અપ્સને ઉત્તેજન આપવા માટે ટર્નઓવરની લિમિટ રૂ।. 25 કરોડથી વધારીને રૂ।. 100 કરોડની અને ડિડક્શનના દાવા માટેનો સમયગાળો સાત વર્ષથી વધારીને 10 વર્ષનો કરવામાં આવ્યો છે.

શેરબજાર માટેની સારી દરખાસ્ત એ છે કે આઈડીબીઆઈ બેન્કમાંના હિસ્સાને સરકાર વેચી કાઢશે અને એલઆઈસીનો આઈપીઓ લાવશે.

આ સિવાય આઈએફએસસી ઝોનમાં બુલિયન એક્સચેન્જીસની સ્થાપના, રૂપી ડેરિવેટિવ્ઝ શરૂ કરવાની અને લિસ્ટેડ બોન્ડ્સ પરના વ્યાજ પરના વિથહોલ્ડિંગ ટૅક્સને પાંચ ટકાથી ઘટાડીને ચાર ટકાનો કરાયો, વેરાસંબંધિત વિવાદોમાં ઘટાડો કરવા માટેના માળખાને વિસ્તૃત કરવાની, એનબીએફસી, એચએફસી માટે પાર્શિયલ ગેરન્ટી સ્કીમ, આદિ અંગેની જોગવાઈઓ ધ્યાનાકર્ષક છે.

નૅશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન પ્રોજેક્ટ માટે રૂ।. 103 લાખ કરોડની જોગવાઈ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ કંપનીઓને ઈક્વિટી સપોર્ટ અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધારવા માટે પણ પગલાં લેવામાં આવ્યાં છે. ટૂંકમાં, નાણાપ્રધાને ચાવીરૂપ ક્ષેત્રોના વિકાસ માટે ઉત્કૃષ્ટ બજેટ રજૂ કર્યું છે.

બજેટ-2020માં શું સસ્તું થયું, શું મોંઘું થયું?

સસ્તી થયેલી ચીજોઃ

વૃત્તપત્રોનો કાગળ (ન્યૂઝપ્રિન્ટ)

ખેલકૂદની સામગ્રી અને સાહિત્ય

અમુક ઈમ્પોર્ટેડ મિલિટરી સાધનસામગ્રી

ઈલેક્ટ્રિક વાહનો (ઈ-વાહનો)

માઈક્રોફોન

સોયા ફાઈબર

ભારતમાં ઉત્પાદિત મોબાઈલ ફોનના કેટલાક છૂટા ભાગો

સોયા પ્રોટીન

કાચી સાકર (Raw sugar)

અમુક આલ્કોહોલિક પીણા

સ્કિમ્ડ મિલ્ક

એગ્રો-એનિમલ બેઝ્ડ પ્રોડક્ટ્સ

લાઈટવેઈટ કોટેડ કાગળ

મોંઘી થયેલી ચીજોઃ

ઈમ્પોર્ટેડ જૂતાં-ચંપલ-પગરખાં

ઈમ્પોર્ટેડ રીફાઈન્ડ વેજિટેબલ ઓઈલ

ટ્રોફીઓ

કોફી અને ટી મેકર્સ

વોટર હીટર્સ

હેર ડાયર્સ

ઈલેક્ટ્રિક ઈસ્ત્રી

સિલીંગ ફેન

ટેબલ ફેન

પોર્ટેબલ બ્લોઅર્સ,

તમાકુ, હૂકા, સિગારેટ

ઈમ્પોર્ટેડ હેડફોન્સ/ઈયરફોન્સ

મોબાઈલ ફોન્સના ઈમ્પોર્ટેડ PCBA

ઈમ્પોર્ટેડ ગ્લાસ બીડ્સ

ઈમ્પોર્ટેડ કૃત્રિમ ફૂલો

લાકડાનું અને ધાતુનું ઈમ્પોર્ટેડ ફર્નિચર

ઈમ્પોર્ટેડ રમકડાં

ઈમ્પોર્ટેડ દાંતિયા, હેરપિન્સ

ઈમ્પોર્ટેડ ઝાડુ, બ્રશ, સફાઈ માટેના સાધનો

ઈમ્પોર્ટેડ ઘરેલુ ચીજવસ્તુઓ

ઈમ્પોર્ટેડ અખરોટ

ઈમ્પોર્ટેડ રાઉટર/મોડેમ પાવર એડેપ્ટર

ઈમ્પોર્ટેડ સેમી-કિંમતી સ્ટોન્સ

ઈમ્પોર્ટેડ ઘરેલુ અપ્લાયન્સીસ (ટોસ્ટર, કૂકર, ઓવન વગેરે)

ઈમ્પોર્ટેડ રફ-કલર્ડ જેમસ્ટોન્સ

ઈમ્પોર્ટેડ પેટન્ટ લેધર

ઈમ્પોર્ટેડ રફ-સિન્થેટિક જેમસ્ટોન્સ

ઈમ્પોર્ટેડ ઘી/બટર/તેલ/ચીઝ

MP3/MP4/MPEG4 પ્લેયર્સ

વિદ્યુત ઉત્પાદન માટે આયાત કરાયેલું નેપ્થા

ઈમ્પોર્ટેડ સરસવનું તેલ

ઈલેક્ટ્રિક મોટરસાઈકલો માટેના ભાગ

ઈમ્પોર્ટેડ ઈલેક્ટ્રિક વાહનો અને એનાં છૂટા ભાગ

ઈમ્પોર્ટેડ મોટર વેહિકલ્સ

અમુક ઈમ્પોર્ટેડ મેડિકલ સાધનસામગ્રી

સોયા પ્રોટીન

ચંપલ

શેવર્સ

હેર ક્લિપ્સ

હેર રિમુવિંગ વસ્તુઓ

ટેબલવેર

કિચનવેર

વોટર ફિલ્ટર

ગ્લાસવેર

બજેટમાં વિઝન અને એક્શનઃ વડાપ્રધાને વખાણ્યું બજેટને

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમને આજે સંસદમાં નાણાકિય વર્ષ 2020-21 નું બજેટ રજૂ કર્યું. બજેટ બાદ વડાપ્રધાન મોદીએ બજેટના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે આ દશકના પહેલા બજેટ માટે, જેમાં વિઝન પણ છે અને એક્શન પણ છે. હું નાણામંત્રી નિર્મલા સીતારમનજી અને તેમની ટીમને ખૂબ શુભેચ્છાઓ આપું છું.

વડાપ્રધાને કહ્યું કે, ખેડુતોની આવક બેગણી થાય તેના પ્રયત્નોની સાથે જ 16 એક્શન પોઈન્ટ્સ બનાવવામાં આવ્યા છે કે જે ગ્રામીણ ક્ષેત્રમાં રોજગારને વધારવાનું કામ કરશે. બજેટમાં નવા રિફોર્મ્સની પણ જાહેરાત કરવામાં આવી છે, તે આપણી અર્થવ્યવસ્થાને ગતિ આપવાનું, દેશના પ્રત્યેક નાગરિકને આર્થિક રુપે સશક્ત બનાવવાનું અને આ દશકમાં અર્થવ્યવસ્થાના મૂળને મજબૂત કરવાનું કામ કરશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રોજગારના પ્રમુખ ક્ષેત્રો એગ્રીકલ્ચર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્સટાઈલ અને ટેક્નોલોજી છે. એમ્પ્લોયમેન્ટ જનરેશનને વેગ આપવા માટે આ ચારેય મુદ્દાઓ પર આ બજેટમાં જોર આપવામાં આવ્યું છે.

‘ભારતના કૃષિ પ્રાધાન્ય અર્થતંત્રના વિકાસના ભાવિને ડામાડોળ કરતું બજેટ’

કોમોડિટી વર્લ્ડ અને કૃષિપ્રભાતના તંત્રી મયૂર મહેતાના જણાવ્યા મુજબ, કૃષિપ્રધાન ભારતની ૬૦ ટકા પ્રજા ખેતી અને તેને સંલગ્ન ક્ષેત્ર સાથે સંકળાયેલી છે, ભારતને પાંચ ટ્રિલિયન (લાખ કરોડ) ડૉલરની ઇકોનોમી બનાવવાનાં અને ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાનાં સપનાં આમપ્રજાને દેખાડવામાં આવ્યાં છે ત્યારે બજેટમાં ક્રાંતિકારી પગલાંની જાહેરાત થવાની અપેક્ષા હોવી સ્વાભાવિક છે, પણ કમનસીબે નાણાપ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા બજેટમાં કોઇ ક્રાંતિકારી પગલાં લેવાયાં નથી. ૧૬ મુદ્દાના એક્શન પ્લાનમાં બે-ત્રણ મુદ્દાઓ અને કૃષિ વાવેતર તથા એક્સપોર્ટ-ઇમ્પોર્ટના ડેટાને સચોટ કરવાની જાહેરાત કરાઇ; તે સિવાય કૃષિ ક્ષેત્રનો ઠોસ અને લાંબાગાળાનો વિકાસ થાય તેવી કોઇ જાહેરાત કરાઇ નથી.

દેશનો આર્થિક વિકાસ હાલ તળિયા તરફ જઇ રહ્યો છે અને બેરોજગારી દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે આ સમસ્યાનું નિરાકરણ એક માત્ર કૃષિ ક્ષેત્રના વિકાસ દ્વારા જ થઈ શકે છે. આથી કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી તમામ સમસ્યાનું નિરાકરણ આ બજેટમાં આવવાની અપેક્ષા હતી.

સૌ પ્રથમ, દેશની ખાદ્યતેલોની આયાત સતત વધી રહી છે, કારણ કે દેશની ખાદ્યતેલોની વાર્ષિક જરૂરિયાત ૨૨૦થી ૨૨૫ લાખ ટનની છે. તેની સામે છેલ્લા બે દાયકાથી ખાદ્યતેલોનું ઉત્પાદન ૭૦થી ૭૫ લાખ ટનની આસપાસ સ્થિર થયું છે. દેશનો ખાદ્યતેલોનો વપરાશ દર વર્ષે બેથી ચાર ટકા વધી રહ્યો છે પણ ઉત્પાદન વધતું નથી. ખાદ્યતેલોમાં સ્વનિર્ભરતા મેળવવા માટે સરકારે ૨૦૧૮થી ખાદ્યતેલોની આયાત ડ્યુટી વધારવાનું શરૂ કર્યું છે. ૨૦૧૮ પહેલાં ખાદ્યતેલોની આયાત ડ્યુટી સાડા સાતથી સાડા બાર ટકા હતી, તે વધારીને ૪૫થી ૫૦ ટકા કરી હતી, જેમાં ટ્રેડ એગ્રીમેન્ટને કારણે તા. ૧ જાન્યુઆરીથી થોડો ઘટાડો થયો હતો, પણ અહીં બજેટમાં તે ફરી વધારી દેવામાં આવ્યો છે. માત્ર આયાત ડ્યુટી વધારવાથી ખાદ્યતેલોમાં સ્વનિર્ભરતા આવી શકે તેમ નથી, ત્યારે દેશનું તેલીબિયાંનું ઉત્પાદન વધારવાની તાતી જરૂરિયાત છે.

વડાપ્રધાને બજેટ પૂર્વે ઓઇલ ડેવલપમેન્ટ ફંડ ઉભું કરવાની વાત કરી હતી, પણ ૧૯૯૧-૯૨માં પામ ડેવલપમેન્ટ ફંડની રચના થયા બાદ અત્યાર સુધીના દર બીજા બજેટમાં તેલીબિયાંનું ઉત્પાદન વધારવા નાની-મોટી નાણાકીય ફાળવણી કરવામાં આવી રહી છે, પણ તેલીબિયાંનું ઉત્પાદન તસુભાર પણ વધતું નથી.

બજેટમાં તેલીબિયાંનું ઉત્પાદન વધારવાની દૃષ્ટિએ જીનેટિકલી મોડિફાઇડ રાયડાનું ઉત્પાદન વધારવાને મંજૂરી, પ્રાઇવેટ સેક્ટરને પામની ખેતી માટે પ્રોત્સાહન આપવાની અને તેલીબિયાંની ખેતી કરનારા ખેડૂતોને નાણાકીય પ્રોત્સાહન આપવાની જાહેરાત થવાની બજેટમાં અપેક્ષા હતી, પણ આવી કોઇ જાહેરાત થઇ નથી. ખાદ્યતેલોની આયાત પાછળ ગત નાણાકીય વર્ષમાં રૂા. ૭૫ હજાર કરોડનું વિદેશી હૂંડિયામણ વપરાયું હતું, જે વર્તમાન સીઝનમાં વધીને રૂા. એક લાખ કરોડે પહોંચવાનો અંદાજ છે.

દેશમાં સૌથી વધુ રોજગારી ટૅક્સટાઇલ સેક્ટર આપી રહ્યું છે, કોટન એસોસિયેશન ઑફ ઇન્ડિયાના અંદાજ પ્રમાણે ટૅક્સટાઇલ સેક્ટર દેશમાં ૧૨થી ૧૬ કરોડ લોકોને રોજગારી આપી રહ્યું છે ત્યારે રૂ, કોટન યાર્ન અને ટૅક્સટાઇલની નિકાસ એપ્રિલથી નવેમ્બર ૨૦૧૯ દરમિયાન ૧૪થી ૨૨ ટકા ઘટી હતી. કોટન કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા કપાસની ખરીદી કરીને ખેડૂતોને એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇસ) આપી રહી છે પણ કોટન અને ટૅક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહી છે, કારણ કે એક્સપોર્ટ સતત ઘટી રહી છે. આવા સમયે બજેટમાં કોટન યાર્ન અને ટૅક્સટાઇલની એક્સપોર્ટ પર ડ્યુટી ડ્રૉ બૅક સ્કીમ દ્વારા પ્રોત્સાહન આપવાની અપેક્ષા હતી, પણ તેવી કોઇ જાહેરાત થઇ નથી.

ભારતની ટૅક્સટાઇલની નિકાસનો હિસ્સો ઝડપથી બાંગ્લાદેશ, વિયેટનામ અને પાકિસ્તાન તરફ જઇ રહ્યો છે ત્યારે કોટન અને ટૅક્સટાઇલ સેક્ટરનો વિકાસ કરીને દેશમાં રોજગારીની નવી તકો ઊભી કરવા કોઇ પગલાં બજેટમાં લેવાયાં હોત તો બેરોજગારીની સમસ્યાનું નિરાકરણ થઇ શક્યું હોત પણ આવાં પગલાં લેવાયાં નથી.

આર્થિક સર્વેક્ષણમાં દેશના જીવીએ (ગ્રોસ વેલ્યુ એડેડ)માં એટલે કે આર્થિક વિકાસમાં કૃષિ ક્ષેત્રના વિકાસનો ફાળો ૨૦૧૪-૧૫માં ૧૮.૨ ટકા હતો તે ઘટીને ૨૦૧૮-૧૯માં ૧૬.૧ ટકા રહ્યો છે. આ આંકડા બતાવે છે કે દેશના ખેડૂતોને સરકારી સહાય દ્વારા મદદ મળી છે, પણ કૃષિ ક્ષેત્ર અધોગતિ તરફ જઇ રહ્યું છે. આ ઉપરાંત આર્થિક સર્વેક્ષણ અનુસાર ભારતમાં ફાર્મ મિકેનિઝમ માત્ર ૪૦ ટકા છે જેની સામે અમેરિકામાં ૯૫ ટકા, બ્રાઝિલમાં ૭૫ ટકા અને ચીનમાં ૫૯.૫ ટકા છે. કૃષિ ક્ષેત્રના વિકાસ માટે બજેટમાં કોઇ ઠોસ કદમ લેવાવાની જરૂર હતી, જે લેવાયાં નથી. કૃષિ નિષ્ણાતોની અપેક્ષા હતી કે બજેટમાં કૃષિ ક્ષેત્રમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન, કૉર્પોરેટ ફાર્મિંગમાં ટૅક્સ બેનિફિટ અને વેરહાઉસિંગ કંપનીઓને ટૅક્સ બેનિફિટ આપવાની જાહેરાત થશે. ઉપરાંત, કોમોડિટી વાયદા બજારને સુદૃઢ કરીને પણ ખેડૂતોને માર્કેટ દ્વારા વધુ નાણાં મળી શકે તેવી વ્યવસ્થા થઇ શકે તેમ નથી. કોમોડિટી વાયદા બજારનો વ્યાપ વધારીને તેને વધુ પારદર્શક બનાવવા ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરો અને બેન્કોને કોમોડિટી એક્સચેંજમાં ટ્રેડ કરવાની મંજૂરી મળવાની અપેક્ષા હતી. હાલ કોમોડિટી વાયદા બજારો એગ્રિકલ્ચર કોમોડિટીના ભાવ નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે ત્યારે કોમોડિટી વાયદા બજારમાં આવતાં ભાવ વધુ પારદર્શક અને માર્કેટની સાચી સ્થિતિનું પ્રતિબિંબ પાડનારા બને તો કૃષિ ક્ષેત્રનો વિકાસ ઝડપી બની શકે તેમ છે, પરંતુ બજેટમાં આવી કોઇ જાહેરાત કરવામાં આવી નથી.

દેશમાં જીરું, ધાણા, મસાલા અને અન્ય એગ્રિકલ્ચર પ્રોડક્ટોનું સરપ્લસ ઉત્પાદન થાય છે તેની એક્સપોર્ટ વધે તે માટે સરકાર દ્વારા એગ્રિકલ્ચર એક્સપોર્ટનો ટાર્ગેટ ૩૦ અબજ ડૉલરથી વધારીને ૧૦૦ અબજ ડૉલર કરાયો છે પણ એગ્રીકલ્ચર એક્સપોર્ટને પ્રોત્સાહન આપતી સ્કીમ તા. ૩૧મી માર્ચે બંધ થઇ રહી છે. આ સ્કીમ લંબાવવાની ઉપરાંત એક્સપોર્ટરોને લાભ આપતી નવી સ્કીમ લાવવાની જાહેરાત બજેટમાં થવાની ધારણા હતી, પણ એવું થયું નથી.

બજેટમાં કૃષિ વાવેતર અને એક્સપોર્ટ-ઇમ્પોર્ટના ડેટા સચોટ મળે તે માટે નાણાકીય ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત, રાજ્ય સરકારને કેન્દ્ર સરકારની એગ્રિકલ્ચર અને માર્કેટ રિફૉર્મની સ્કીમનો અમલ કરવા પ્રોત્સાહન આપવાની જાહેરાત કરાઇ હતી. કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ ઓછો કરીને પરંપરાગત ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનો ઉપયોગ વધારવાની સ્કીમ અને કિશાન રેલ, કૃષિ ઉડાન જેવી કેટલીક કાગળ પર સારી દેખાતી સ્કીમની જાહેરાત કરાઇ છે પણ તેનો અમલ ઢંગથી થશે તો જ તેનો લાભ કૃષિ ક્ષેત્રના વિકાસ માટે થશે. બજેટમાં જાહેર થયેલી સ્કીમોથી ખેડૂતોની આવક બમણી થવાનું નથી અને ફાર્મ માર્કેટ લિબરાઇઝેશન જેવા અગાઉ દેખાડવામાં આવેલાં સપનાં પૂરાં થવાનાં નથી તે હકીકત છે.

આમ, એકંદરે દેશના કૃષિ ક્ષેત્રને ધબકતું કરીને આર્થિક વિકાસના લક્ષ્યને હાંસલ કરવા માટે બજેટમાં અનેક ક્રાંતિકારી જાહેરાત થવાની અપેક્ષા હતી, પણ ધારણા પ્રમાણેની કોઇ જાહેરાત થઇ નથી. આથી ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી કઇ રીતે થશે, ફાર્મ માર્કેટ લિબરલાઇઝેશન થશે કે કેમ અને પાંચ અબજ ડૉલરનું અર્થતંત્ર ભારત બની શકશે કે કેમ તે અંગે શંકાઓ વધી હતી, જેના કારણે ભારતના આર્થિક વિકાસનું ભાવિ ડામાડોળ બન્યાનો અહેસાસ બજેટ બાદ થઇ રહ્યો છે.

છેલ્લાં 10 બજેટમાંનો અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડોઃ સેન્સેક્સ 988 પોઇન્ટ અને નિફ્ટી 300 પોઇન્ટ તૂટ્યા

અમદાવાદ: ભારતીય શેરબજારમાં છેલ્લા 10 બજેટમાંનો અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. બજેટમાં કોઈ મોટી પ્રોત્સાહક જાહેરાત નહીં આવતાં બજાર ત્રણ મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયું હતું. બેન્ક નિફ્ટીમાં પણ 1000 પોઇન્ટ કરતાં વધુનો કડાકો થતાં બેન્ક નિફ્ટી 29,000ની નીચે સરક્યો હતો. સરકારી કંપનીઓમાં પણ ભારે વેચવાલીને પગલે પીએસયુ ઇન્ડેક્સ પાંચ મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો હતો. જેથી સેન્સેક્સ 988 પોઇન્ટ તૂટીને 39,736 અને નિફ્ટી ઇન્ડેક્સ 300 પોઇન્ટ તૂટીને 11,662ના સ્તરે બંધ થયા હતા. મિકડેક ઇન્ડેક્સ 490 પોઇન્ટ તૂટ્યો હતો.


બજારની દ્રષ્ટિએ બજારને ઘણી અપેક્ષાઓ હતી. એલટીસીજીને મામલે બજારને નિરાશા હાથ લાગી છે. બજેટમાં સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં પણ કોઈ બદલાવ ન કરાતાં બજારમાં વેચવાલી ફરી વળી હતી. આ ઉપરાંત બજેટમાં અર્થતંત્રને વેગ આપવા માટે કોઈ પ્રોત્સાહન પેકેજ ન મળતાં અને મોટા મૂડીરોકાણની જાહેરાત ન કરાતાં બજાર નિરાશ થયું હતું. ઇન્ફ્રા ક્ષેત્રે પણ મોટાં પ્રોત્સાહન જાહેર ન થતાં બજારમાં રિયલ્ટી અને ઇન્ફ્રા શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. નાણાપ્રધાને ડીડીટી નાબૂદ કરવા છતાં બજારમાં કોઈ સાનુકૂળ સ્થિતિ જોવા મળી નહોતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા ઘટાડાને પગલે રૂ. 2.76 લાખ કરોડ ઘટી ગયા હતા. આઇટી સિવાય તમામ ઇન્ડેક્સમાં મંદી ફરી વળી હતી. રિયલ્ટી ઇન્ડેક્સ પણ 8.16 ટકા તૂટ્યો હતો.

બજેટને સરકારે વખાણ્યું તો વિરોધીઓએ વખોડ્યું

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમને આજે મોદી સરકાર 2.0 નું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં અનેક પ્રકારની જાહેરાતો કરવામાં આવી છે. જો કે વિપક્ષે આ બેજટને લઈને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.જાણીએ કોણો શું કહ્યું…

રાહુલ ગાંધીએ કહ્યું કે, મુખ્ય મુદ્દો બેરોજગારી છે. મેં આ બજેટમાં તેવો કોઈ રણનીતિક વિચાર જોયો નથી, જેથી યુવાઓને રોજગારી મળે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આટલા લાંબા બજેટમાં માત્ર આંકડાનો જુમલો હતો. વારંવાર વસ્તુ રિપીટ થતી હતી. તેમણે કહ્યું કે, સરકારને ખ્યાલ છે શું થઈ રહ્યું છે? અર્થવ્યવસ્થા ક્યાં જઈ રહી છે?

ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યું કે, નાદાર સરકારનું નાદાર બજેટ છે. ભાજપ અર્થવ્યવસ્થાને લઈને નિષ્ફળ છે. યૂપીમાં ભાજપની સરકાર છે, પરંતુ રોકાણ લાવવાના નામ પર કંઇ નથી. રોજગાર કેમ ઉભો થશે, મોદી સરકાર બેરોજગાદી કેમ દૂર કરશે? આ બજેટ આંકડાની માયાજાળ છે જેથી અન્ય મુદ્દાથી ધ્યાન ભટકાવી શકાય.

અરવિંદ કેજરીવાલે બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, દિલ્હીને બજેટમાંથી મોટી અપેક્ષાઓ હતી. પરંતુ એકવાર ફરીથી દિલ્હી વાળા લોકો સાથે સોતેલા જેવો વ્યવહાર થયો છે.દિલ્હી ભાજપની પ્રાથમિકતાઓમાં નથી આવતું, તો પછી દિલ્હીના લોકો ભાજપને શાં માટે વોટ આપે? પ્રશ્ન એપણ છે કે ચૂંટણી પહેલા જ જ્યારે ભાજપ દિલ્હીને નિરાશ કરી રહી છે તો પછી ચૂંટણી પછી પોતાના વચનો કેવી રીતે નિભાવશે?

બજેટ રજૂ કર્યા પછી નાણામંત્રી નિર્મલા શું બોલ્યા?

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સિતારમને આજે બજેટ રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે ભારત હવે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે અને કેન્દ્ર સરકાર ઋણ ઘટાડીને જીડીપીના 48.7 ટકા પર આવી ગયું છે જે માર્ચ 2014 માં 52.2 હતું. નાણામંત્રીએ આજે બજેટ2020-21 નું બજેટ રજૂ કરતા કહ્યું કે 2014-19 દરમિયાન સરેરાશ વૃદ્ધિ દર 7.4 ટકાથી વધારે રહ્યો. બજેટ રજૂ કર્યા બાદ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.

  • પ્રેસ કોન્ફરન્સમાં નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે, ગ્રેજ્યુટી અને એનપીએસ પર છૂટ મળતી રહેશે. તેમણે કહ્યું કે, ટેક્સ સિસ્ટમને સરળ બનાવવામાં આવી છે. હવે ટેક્સ ભરવા માટે એક્સપર્ટની પણ જરુર નહી પડે.
  • નાણામંત્રીએ કહ્યું કે, નવી આવકવેરા વ્યવસ્થા વૈકલ્પિક હશે, કરદાતાઓને જૂની વ્યવસ્થા અથવા નવી વ્યવસ્થા બંન્નેમાંથી એકને પસંદ કરવાનો વિકલ્પ મળશે.
  • અઢી લાખ રુપિયા સુધીની આવક ટેક્સ ફ્રી હશે. અઢી લાખ રુપિયાથી પાંચ લાખ રુપિયા સુધીની આવક પર પાંચ ટકાના દરથી ટેક્સ લાગશે, પરંતુ છૂટ બાદ પાંચ લાખ રુપિયાની આવક પર ટેક્સ નહી લાગે.
  • નાણામંત્રીએ કહ્યું કે, દેશમાં જલ્દી જ નવી શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવશે. શિક્ષણ માટે 99 હજાર 300 કરોડ તેમજ કૌશલ વિકાસ માટે 3000 કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે.
  • આ બજેટનું લક્ષ્ય લોકોને રોજગારી ઉપ્લબ્ધ કરાવવાનું, વ્યાપારને મજબૂત કરવાનું, તમામ અલ્પસંખ્યકો, અનુસૂચિત જાતિ/જનજાતિની મહિલાઓની અપેક્ષાઓને પૂરી કરવાનું છે.
  • કે ટેક્સ અંગે કોઈને પરેશાન નહીં કરવામાં આવે. કાયદા પ્રમાણે ટેક્સ ચાર્ટર લાવવામાં આવશે. લોકોના મનમાં ટેક્સ અંગેનો ડર ખતમ કરવામાં આવશે. ટેક્સ કલેક્શન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવશે. કુલ મળીને સરકાર ટેક્સ અંગે કરદાતાઓને પરેશાન નહીં કરે. જ્યારે ટેક્સ ચોરી કરનારાઓ માટે કાયદો કડક કરવામાં આવશે.

કેન્દ્રીય બજેટ-2020 વિશે આર્થિક જગતના નિષ્ણાતો શું કહે છે…

બજેટ 2020થી વધુ આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષી શકાશે

વર્ષ 2020-21ના બજેટ અંગેની ટિપ્પણીમાં બીએસઈના ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વી. બાલાસુબ્રમણિયમે જણાવ્યું કે નિયામક પાસેથી મંજૂરી મળે કે તરત જ ઈન્ડિયા આઈએનએક્સ રૂપી ડોલર ફ્યુચર્સ અને ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સ લોન્ચ કરવા સજ્જ છે. એ ઉપરાંત અમે ગિફ્ટ સિટીસ્થિત આઈએફએસસી ખાતે ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ સ્થાપવા પણ આતુર છીએ.

નાણાપ્રધાને રજૂ કરેલા બજેટમાં ઈન્ડિયા આઈએનઅએક્સ બોન્ડ્સ પરના વિથહોલ્ડિંગ ટેક્સને પાંચ ટકાથી ઘટાડીને ચાર ટકા કરવામાં આવ્યો હોઈ ઈશ્યુઅરોને ભારે ઉત્તેજન મળશે અને વધુ આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષી શકાશે.

 

 


ડો. નિરંજન હીરાનંદાની

‘બજેટ 2020 સાચી દિશાનું પણ આર્થિક ઉત્તેજન માટેના ઉદ્દીપકો વિનાનું’

એસોચેમના પ્રમુખ ડો. નિરંજન હીરાનંદાનીએ કેન્દ્રિય બજેટ અંગેની પ્રતિક્રિયામાં જણાવ્યું છે કે બજેટનો એકંદર આશય શુભ છે કે જેમાં બધાં મહત્ત્વનાં ક્ષેત્રોને સ્પર્શ આપવામાં આવ્યો છે અને વિકાસના માર્ગની રૂપરેખા ઘડવામાં આવી છે. જોકે પ્રત્યેક ક્ષેત્ર માટેના ખર્ચની જોગવાઈઓ કરાઈ છે તે બમણી કરી શકાઈ હોત એવું અમને લાગે છે. એમ લાગે છે કે નાણાપ્રધાને સમસ્યાના મૂળને પકડ્યું નથી.

હું કહીશ કે આ કૃષિલક્ષી બજેટ છે પણ જ્યારે ફુગાવાની ચિંતા નથી ત્યારે તેને સંબંધિત ખર્ચ વધારી શકાયો હોત. 2022 સુધીમાં કૃષિ આવક બમણી કરવાની નેમ એ સારું પગલું છે.

સોલર પંપને પગલે ખેડૂતોનો વીજખર્ચ 50 ટકા ઘટશે અને સરકાર બે વર્ષમાં ઈન્સ્ટોલેશનનો ખર્ચ રિકવર કરી શકશે.

જળ માટે કરાયેલી જોગવાઈ પર્યાપ્ત હોવાનું લાગતું નથી. શિક્ષણ ક્ષેત્રે શિક્ષણની ગુણવત્તા પર ભાર મૂકવામાં આવ્યો અને નવા એન્જિનિયરોને શહેરી સ્થાનિક બોડીઝમાં તાલીમાર્થીઓ તરીકે નીમવાનું પગલું સ્તુત્ય છે.

શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે પરંતુ તેમાં અપર્યાપ્ત વેગ છે. પ્રતિદિન 35 કિમીને બદલે ઓછામાં ઓછા 70 કિલોમીટર માર્ગ બાંધકામનો લક્ષ્યાંક રાખવો જોઈતો હતો. એ રીતે પાવર ક્ષેત્રમાં પણ થર્મ પાવર સ્ટેશન્સ પર વધુ ધ્યાન કેદ્રિત કરવાની જરૂર છે.

ડિવિડંડ ટેક્સની નાબૂદી એક સારું પગલું છે પરંતુ કોર્પોરેટ વેરામાં ઘટાડો અને પર્સનલ ટેક્સના માળખા હેઠળ ઉપલબ્ધ લાભો મર્યાદિત વર્ગને ઉપલબ્ધ થશે.


‘બજેટ શેરમાર્કેટની ધારણાથી વિપરીતઃ ડેરિવેટિવ્ઝમાં ધારણા પ્રમાણે વોલેટાલિટી’

જનક સલ્લા

ડેરિવેટિવ્ઝ એનાલિસ્ટ જનક સલ્લાના જણાવ્યા મુજબ, ટ્રેડરો માટેનું મહાપર્વ એટલે બજેટ. જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે બજેટની 1 ફેબ્રુઆરીએ જાહેરાત થઈ અને પરિણામ શું આવ્યું તેના વિશે વાત કરીએ. કૅશ માર્કેટમાં ઇન્ડેક્સમાં જોરદાર ધબડકો થતાં સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે 988 અને 300 પોઇન્ટ ઘટ્યા હતા.

બજેટને ડેરિવેટીવ્ઝ ટ્રેડિંગની દૃષ્ટિએ જોઈએ તો, ડેરિવેટીવ્ઝ (ફ્યુચર્સ ઍન્ડ ઑપ્શન્સ – F&O) ટ્રેડરો માટે `બજેટ-ડે’ ધારણા પ્રમાણે સતત વોલેટાઈલ રહ્યો.

નિફ્ટી ઈન્ડેક્સ ઓપ્શન અને સ્ક્રિપ ઓપ્શનમાં કિંમતમાં વધારો જોવા મળ્યો, જેણે ઈમ્પ્લાઈડ વોલેટિલિટીમાં (ઓપ્શનને ફ્યુચરથી હેજ કરી ટ્રેડ કરવાની રીત) બજેટ સેશનની શરૂઆતમાં વધારો કર્યો.

નિફ્ટી ઇન્ડેક્સ ઇમ્પ્લાઈડ વોલેટિલિટી એટ-ધી-મની સ્ટ્રાઈક પર 25 ટકાથી ઉપર ટ્રેડ થતી જોવા મળી, જ્યારે ઈન્ડિયા વિક્સ (વોલેટિલિટી ઇન્ડેક્સ) 17.40થી ઉપર જોવા મળ્યો, જે દિવસના ઉચ્ચતમ સ્તર પર ટ્રેડિંગ થઈ રહ્યો હતો.

શનિવારના રોજ બજેટને લીધે શેરબજાર ચાલુ રહ્યું હતું. સેશનમાં બજેટ સ્પીચ પૂર્ણાહુતિ નજીક પહોંચી ત્યાર સુધીમાં માર્કેટમાં નેગેટિવ વાતાવરણ બની ચૂક્યું હતું. માર્કેટમાં મોટે પાયે કરેક્શન આવ્યું. ખાસ કરીને ઈન્શ્યોરન્સ અને હાઉસિંગ ફાઈનાન્સ સેક્ટરમાં. આમ, 6 ફેબ્રુઆરીએ એક્સપાયર થનારી નિફ્ટી ઈન્ડેક્સ ફ્યુચર અને ઓપ્શન (F&O) સિરીઝમાં ઓપ્શન સ્ટ્રાઈક પર કિંમતમાં જે વધારો થયો હતો તેમાં શોર્ટ સેલિંગમાં વધારો થતો જોવા મળ્યો. 6 ફેબ્રુઆરી નિફ્ટી ઓપ્શનમાં 12200ના કોલ ઓપ્શનની સ્ટ્રાઈક પર 27.43 લાખથી વધુનું ઓપન ઈન્ટરેસ્ટ બજેટ સ્પીચ પહેલાં નોંધાયું હતું. ત્યારે ઈમ્પ્લાઈડ વોલેટિલિટી 25.60 ટકા પર ટ્રેડ થઈ રહી હતી, જ્યારે કે બજેટ સ્પીચ બાદ તુરંત જ ઈમ્પ્લાઈડ વોલેટિલિટી આ જ સ્ટ્રાઈક પર 20 ટકાથી નીચે ટ્રેડ થવા લાગી. આમ, એક ઓપ્શન લોટ પર સ્ટ્રાઈક કિંમતમાં 30 રૂપિયાથી વધુનું કરેક્શન બન્યું હતું, જે બજેટ બાદ અપેક્ષિત હતું.

6 ફેબ્રુઆરી એક્સપાયરીમાં એટ-ધી-મની 12000ના કોલ ઓપ્શનની સ્ટ્રાઈક પર બજેટ બાદ તુરંત જ 17.3 ટકાની ઈમ્પ્લાઈડ વોલેટિલિટી ટ્રેડ થતી જોવા મળી હતી, જે ઉપરમાં 24.35 ટકા સુધી ટ્રેડ થતી જોવા મળી હતી. 12000ની સ્ટ્રાઈક પર 31 લાખથી વધુનું ઓપન ઇન્ટરેસ્ટ નોંધાયું. સ્ટ્રાઈક કિંમત ઉપરમાં 72.25 રૂપિયા, તો નીચામાં 6 રૂપિયા સુધી ટ્રેડ થતી જોવા મળી હતી. કોલ ઓપ્શન શોર્ટ સેલિંગમાં ટ્રેડિંગ ફાયદાકારક સાબિત થયું હતું.

નિફ્ટી ઈન્ડેક્સ, 20 ટકાથી વધુની ઇમ્પ્લાઈડ વોલેટિલિટી જે એટ-ધ-મની સ્ટ્રાઈક પર ટ્રેડ થઈ રહી હતી તેમાં ઇવેન્ટની સમાપ્તિએ 13 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો હતો અને આવનારા ટ્રેડિંગ સેશનમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે.


ગિફટ સિટીમાં શરૂ થનારા બુલિયન એક્સચેંજમાં કામ કરવું અન્ય એક્સચેંજ કરતાં સહેલું હશે

સ્મિત ભાયાણી

બુલિયન એનાલિસ્ટ સ્મિત ભાયાણી જણાવે છે કે, નાણાપ્રધાને રજૂ કરેલા બજેટમાં ગાંધીનગર ખાતે ગિફટ સિટીમાં આવેલા ઇન્ટરનૅશનલ ફાઇનાન્સ સર્વિસ સેક્ટરમાં બુલિયન એક્સચેંજ અથવા ગોલ્ડ સ્પોટ એક્સચેંજ શરૂ કરવાની મંજૂરી અપાવાની વાત કરાઈ છે.

ગિફટ સિટીમાં શરૂ થનારા બુલિયન એક્સચેંજમાં કામ કરવું અન્ય એક્સચેંજ કરતાં સહેલું હશે, કારણ કે ગિફ્ટ સિટી ફ્રી ટ્રેડ ઝોનમાં છે અને અહીં એક જ રેગ્યુલેટર છે. ભારતમાં હજુ સ્પોટ બુલિયન એક્સચેંજને કોણ રેગ્યુલેટ કરશે તે નક્કી ન હોઇ અન્ય જગ્યાએ સ્પોટ ગોલ્ડ એક્સચેંજ શરૂ કરવું અશક્ય હતું.

આઇએફએસસી-ગિફ્ટમાં ફ્રી ટ્રેડ ઝોનની મંજૂરી છે તેમ જ ગિફ્ટમાં વોલ્ટ સર્વિસ પ્રોવાઇડર કંપની પણ ઑલરેડી કાર્યરત છે. આઇએફએસી-ગિફ્ટમાં અત્યારે પણ ૧૯ વીમા કંપનીઓ અને ૪૦ બૅન્કો કાર્યરત છે.

આઇએફએસસીમાં બે ફોરેન કંપનીઓને વોલ્ટ સર્વિસ કરવા લાઇસન્સ અપાયાં છે. આ તમામ સવલતોને કારણે ગિફ્ટ સિટીમાં મંજૂર થયેલા સ્પોટ બુલિયન એક્સચેંજને અનેક પ્રકારની સુવિધાઓ મળશે, ઇમ્પોર્ટ થયેલા સોનાના સ્ટોરેજ માટે અને કોઇ જ્વેલર કે રિફાઇનર ગિફ્ટ સિટી દ્વારા લોકલ માર્કેટ માટે ગોલ્ડ ઇમ્પોર્ટ કરવા ઇચ્છે તો વોલ્ટ કંપનીઓ આ સવલત પૂરી પાડી શકે છે જેને માટે જ્વેલર કે રિફાઇનરને વોલ્ટ કંપનીને ગોલ્ડની ઇમ્પોર્ટ ડ્યુટી ચૂકવવી પડે છે.

બજેટમાં ગિફ્ટ સિટીમાં રૂપી ફયુચર અને ઓપ્શન ટ્રેડીંગ માટે પણ મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત, બોન્ડ ઇન્વેસ્ટરો માટે લોઅર વિથહોલ્ડિંગ ટૅક્સ અથવા ટીડીએસની માફીની મંજૂરી અપાઇ છે.

બીએસઇ સંચાલિત ઇન્ડિયા ઇન્ટરનૅશનલ એક્સચેંજે ગિફ્ટ સિટીમાં ગોલ્ડ સ્પોટ બુલિયન એક્સચેંજ શરૂ કરવા રસ દાખવ્યો છે. બીએસઇ સંચાલિત ઇન્ડિયા ઇન્ટરનૅશનલ એકસચેંજના મૅનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ વી. બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેંજ-આઇએનએક્સ આઇએફએસસીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેંજ શરૂ કરવા આતુર છે અને રૂપી-ડૉલર ફ્યુચર અને ઓપ્શન ટ્રેડિંગ પણ શરૂ કરવા તૈયાર છે. હવે આઇએફએસસી બુલિયન એક્સચેંજ અને રૂપી-ડૉલર ફ્યુચર અને ઓપ્શન માટે માર્ગદર્શિકા બહાર પાડશે.

સોના ઉપરની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થવાની આશા ફળીભૂત થઇ શકી નથી. આર્થિક સર્વેક્ષણમાં સોના પરની ડ્યુટી વધારાનો બચાવ કરવામાં આવ્યો હતો.


કોથળામાં પાંચશેરી નહીં, ઢગલાબંધ એક શેરીવાળો કોથળોઃ આમઆદમીને મૂંઝવતું બજેટ

બીરેન વકીલ

બીરેન વકીલ (કોમોડિટી ક્ષેત્રના અગ્રણી પત્રકાર) કહે છે, કરદાતા માટે રાહતોની ભૂલભુલામણી, ખેતી ક્ષેત્રે સાધનોની તોતિંગ ફાળવણી, આંતરમાળખા ક્ષેત્રે જંગી ફાળવણી માટે લાંબા ગાળાનાં આયોજનો અને કૉર્પોરેટ સેક્ટરને મોટી રાહતરૂપે ડિવિડિન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સમાંથી મુક્તિ આપી એ ભારણ રોકાણકાર પર નાખ્યું, લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ યથાવત્ રાખ્યો. આમઆદમીના સંદર્ભમાં કરરાહતોથી કંઇ ખાસ હરખાવા જેવું નથી. નાણાપ્રધાને કોથળમાં પાંચશેરી તો નથી મારી પણ એકશેરીના પાંચ નંગવાળો કોથળો માર્યો છે. બહુ વાગે નહીં એનું ધ્યાન રાખ્યું છે. જો કે બજારને બજેટ જરાય ના ગમ્યું, સેન્સેક્સ લગભગ 1000 પોઇન્ટ તૂટ્યો.

અર્થશાસ્ત્રીઓની નજરમાં બજેટ વરસમાં એક જ વાર આવતો મહત્ત્વનો નીતિવિષયક દસ્તાવેજ છે અને પ્રવર્તમાન તકો તથા પડકારોને ઝીલવાની સરકારની ક્ષમતા કે ઇચ્છાશક્તિ કેવી છે એનું પાઇલોટ રિડિંગ આપે છે. સમગ્રતયા રીતે જોઇએ તો, આર્થિક મામલે રાજકોષીય ખાધ વધવાની અપેક્ષા હતી જ, પણ સરકારે આ મામલે બોલ્ડ બનવાનું નક્કી કરીને ફિસ્કલ મૅનેજમેન્ટમાં સ્લિપેજની છૂટ લઇને ખાધ 3.3 ટકાને બદલે 3.8 ટકા, આવતા વરસ માટે ખાધ 3.5 ટકાનો અંદાજ મૂકયો. ’80-’90ના દાયકામાં આવતા વિસ્તરણકારી બજેટની ઝલક દેખાઇ.

સાથોસાથ ન્યુ ઇકોનોમીની ઝલક પણ મળી. રિઝર્વ બૅન્ક ઉપરનું નાણાકીય અવલંબન ટાળી શેરબજાર પાસેથી અને વિદેશી રોકાણકારો પાસેથી નાણાં મેળવવા માટે એલઆઇસીનો આઇપીઓ લાવી નાણાં ઉભાં કરવાં, પસંદગીના કૉર્પોરેટ બોન્ડમાં વિદેશી રોકાણકારો માટે રોકાણમર્યાદા 9 ટકાથી વધારીને 15 ટકા કરવી અને એ રીતે નાણાં ઉભાં કરવાં. ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સનું ભારણ કંપની પરથી હટાવી વ્યક્તિગત કરદાતા પર નાખવાની કવાયત અને કિસાનોની આવક બમણી કરવા માટે ખેતી ક્ષેત્રે 15 લાખ કરોડની ફાળવણી અને નાબાર્ડ મારફતે ફાર્મ ક્રેડિટ સુલભ બનાવવી આ બે પગલાં એટલે બજેટમાં સમાજવાદી કલેવર, પણ આત્મા મૂડીવાદી એવી છાપ પાડે છે. ખેતીના ભંડોળથી ફાર્મ પ્રોડ્યુસ કંપનીઓને ફાયદો થશે. દેશમાં અંદાજે 5000 જેટલી એફપીઓ છે. એમાં ઘણી ખરી અસ્તિત્વ ટકાવવા ઝઝૂમે છે, એમને લાઇફલાઇન મળશે.

સરકારનો ઝોક આર્થિક સ્લોડાઉનને રોકવાનો અને એ માટે બજારમાં તોતિંગ માત્રામાં નાણાં ફેંકવાનો છે. એ અર્થમાં બજેટની ડિઝાઇન ગ્લોબલ છે. વિકસિત દેશોનો નાણાકીય હળવી નીતિનો પ્રયોગ તેજી લાવી શક્યો નથી, યુરોપ અને જાપાનમાં સાવ નિષ્ફળ ગયો છે એટલે હવે રાજકોષીય હળવી નીતિ અમલી બની છે. બૅન્કોને નાણાં અપાયાં પણ એમણે નાણાં ધીર્યાં નહીં એટલે સરકાર સિસ્ટમમાં નાણાં મૂકશે. વ્યક્તિગત વેરા માટે બે વિકલ્પોનું અજીબ માળખું રચાયું છે.

સોના-ચાંદી બજારો માટે રાબેતા મુજબ નિરાશા જ રહી. ઉંચી આયાતજકાત યથાવત્ રહી. ગોલ્ડ પોલિસી, મોનેટાઇઝેશન કોઇ પગલાં આવ્યાં નહી. ગિફ્ટ સિટીમાં બુલિયન એક્સચેન્જ સ્થાપવાને મંજૂરી અપાઈ, પણ એ તો ઓફશોર બજાર – વિદેશીઓ માટે. એ મામલે શાંઘાઇ ગોલ્ડ એક્સચેન્જ કે લંડન બુલિયન માર્કેટ એસોસિયેશનનો બજાર હિસ્સો ભારતને મળે એવી હાલમાં કોઇ શક્યતા નથી. કોમોડિટી વાયદા બજારો માટે પણ કોઇ જાહેરાત નથી. કોમોડિટી ઇન્ડેક્સ ટ્રેડિંગમાં શોર્ટ સેલ પર 0.01 ટકા સીટીટીનો પ્રસ્તાવ છે. સંપૂર્ણ બજેટ હાથમાં આવી ગયા પછી બિટવીન ધ લાઇન્સ માટે ઘણી કવાયત કરવી પડશે.


નવા દરઃ કેટલા સુંદર?

સ્નેહલ મઝુમદાર

જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સ્નેહલ મઝુમદારે બજેટ વિશે કહ્યું છે કે નાણાપ્રધાને વ્યક્તિગત કરદાતાઓ અને હિંદુ અવિભક્ત કુટુંબ (એચયુએફ) માટે આવક વેરાના નવા સ્લેબ અને ઘટાડેલા દર જાહેર કર્યા છે, પણ એ ઘટાડો કેટલે અંશે આકર્ષક કે લાભદાયી થશે એ હજી અસ્પષ્ટ છે.

કરદાતાની જો ધંધાની આવક હોય તો એને આ નવી જોગવાઈઓ લાગુ પડતી નથી. નવા ઘટાડેલા દરનો લાભ લેવો હોય તો લીવ ટ્રાવેલ કન્શેશન, હાઉસ રેન્ટ એલાવન્સ, સ્ટાન્ડર્ડ ડિડક્શન, પ્રોફેશનલ ટૅક્સ, કલમ 80સી હેઠળ પબ્લિક પ્રોવિડન્ડ ફંડ, વગેરે, મેડિક્લેમના વીમાની રકમ, દાનની રકમ, વગેરે અનેકાનેક રાહતો/કપાતો બાદ મળી નહીં શકે. વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટૅક્સ નાબૂદ થવાથી ડિવિડન્ડની રકમ પણ કરદાતાની કુલ આવકમાં સંપૂર્ણપણે ઉમેરાશે અને એને કારણે પણ એની આવકનો સ્લેબ અને લાગુ પડતા દર વધી જશે. ઉપરોક્ત મુદ્દાઓ ધ્યાનમાં લઈએ તો આ સૂચિત ઘટાડાનો લાભ વાસ્તવમાં કેટલા કરદાતાઓ માટે ખુશખબર છે એ જોવાનું છે. કરદાતા માટે આ જોગવાઈ વૈકલ્પિક છે અને પૂરી ગણતરી કરીને જ એણે વિકલ્પ નક્કી કરવો રહ્યો.

કેપિટલ ગેઈનની ગણતરી વેળા એગ્રીમેન્ટ વેલ્યુ કરતાં રજિસ્ટ્રેશન વેલ્યુ વધારે હોય તો રજિસ્ટ્રેશન વેલ્યુ ગણતરીમાં લેવી પડે છે. અત્યાર સુધી પાંચ ટકા સુધીનો તફાવત માન્ય હતો જે વધારીને દસ ટકા કરવામાં આવ્યો છે, જે આવકારદાયક છે.


‘પર્યટન-કૃષિ ક્ષેત્ર માટેનાં પગલાં રોજગારલક્ષી

ચંદ્રકાંત પારેખ

અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર ચંદ્રકાંત પારેખ કહે છે, સરકારે પર્યટન અને કૃષિની નિકાસ વધારવા માટે નવાં-નક્કર પગલાં ભર્યાં છે, જેનાથી રોજગારનું સર્જન પણ થશે.

બૅન્ક ડિપોઝિટરો માટેનો ઇન્સ્યોરન્સ 1 લાખથી વધારીને 5 લાખ કરાયો તેનાથી સ્મૉલ ફાઇનાન્સ બૅન્કોને પ્રોત્સાહન મળશે. તેઓ સૂક્ષ્મ, લઘુ, મધ્યમ કદના એકમોને વધુ પ્રમાણમાં ધિરાણ આપી શકશે.

કૉર્પોરેટ બોન્ડની મર્યાદા વધારીને 15 ટકા કરાઈ હોવાથી કંપનીઓનો ધિરાણ લેવાનો ખર્ચ ઘટશે.

એલઆઇસીના આઇપીઓની જોગવાઈ પણ આવકારદાયક છે. ઓછામાં ઓછા એક સરકારી પોર્ટનું પણ લિસ્ટિંગ કરાશે, જે ઘણી સારી બાત છે.

 

 

 


‘વ્યક્તિગત કરવેરાની નવી જોગવાઈ ખરેખર તો એક છેતરપિંડી છે’

વિનોદ નગદિયા

વિનોદ નગદિયા (ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ)નું કહેવું છે કે, નાણાપ્રધાને વ્યક્તિગત અને હિન્દુ અવિભક્ત કુટુંબો માટેના કરવેરાના નવા દર જાહેર કર્યા છે. આ એક ખૂબ મોટી રાહત છે, પરંતુ મારા મતે કરદાતાઓ સાથે આ ખૂબ મોટી છેતરપિંડી છે, કારણ કે નવા વિકલ્પ મુજબ કર ભરવાનું પસંદ કરનાર વ્યક્તિગત કરદાતા કે હિંદુ અવિભક્ત કુટુંબને વર્તમાન કરમાળખા હેઠળ મળતી લગભગ તમામ કપાતો જતી કરવી પડે એમ છે, દાખલા તરીકે વર્તમાન કરમાળખામાં આવકવેરા ધારાના પ્રકરણ VI હેઠળ ઘણા પ્રકારની કરરાહતો ભલે છે, જેવી કે વીમા પ્રીમિયમ, મેડિક્લેઈમ પ્રીમિયમ, ડોનેશન વિ. ના ખર્ચમાં મળતી રાહતો. આ ઉપરાંત નોકરિયાતોને લીવ ટ્રાવેલ કન્સેશન, HRA સ્ટાન્ડર્ડ ડિડક્શન, પ્રોફેશનલ ટેક્સ, મફત ભોજન, ફૂડ કૂપન્સ, વિ. ઘણું બધું બાદ મળે છે, જે બધું જ જતું કરવું પડે, જો નવો વિકલ્પ પસંદ કરે તો એટલે આ નવા કરના દરોનો વિકલ્પ નોકરિયાતો અને અન્ય વ્યક્તિઓ કે જે રેગ્યુલર રોકાણ કરે છે તેને માટે લાભદાયી નથી.

(2) પાવર જનરેશન કંપનીઓને કરના દરોમાં રાહત આપી છે, એ સારું પગલું છે.

(3) ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો છે, પણ રોકાણકારના હાથમાં ડિવિડંડ ટેક્સપાત્ર કરવામાં આવ્યું છે.

(4) ટેક્સ ઓડિટ માટે ટર્નઓવરની લિમિટ વધારીને પાંચ કરોડ કરવામાં આવી છે, પરંત તેમાં ઘણી શરતો અને મુશ્કેલીઓ ઊભી કરવામાં આવી છે, જેની વિગતે ચર્ચા અહીં થઈ ન શકે, પરંતુ ટુંકમાં આ સુધારો પણ કરદાતાના હિતમાં બિલ્કુલ નથી.

આ ઉપરાંત અન્ય નાના-નાના ઘણા સુધારાઓ કરવામાં આવ્યા છે, જેમાંથી માત્ર થોડા જ કરદાતાઓને રાહત થશે.


કૃષિ અને કૃષિ સંબંધિત ક્ષેત્રોનો મૂળભૂત વિકાસ કરનારું બજેટ-2020

પીડબ્લ્યુસી ઈન્ડિયાના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર વિભાગના વડા અજય કાકરાએ નાણાકીય વર્ષ 2020-21ના બજેટ અંગે કરેલી ટિપ્પણમાં જણાવ્યું કે કૃષિ અને કૃષિ સંબંધિત ક્ષેત્રોને 16 મુદ્દાના એજન્ડા દ્વારા આવરી લેવામાં આવ્યાં છે તે દર્શાવે છે કે સરકાર આ ક્ષેત્રોનો મૂળભૂત વિકાસ કરવા માગે છે.
કૃષિ સંબંધિત મહત્ત્વનાં ક્ષેત્રો સરકારના એજન્ડા પ્રમાણે નિશ્ચિત કામગીરી કરશે. ઝડપથી બગડી જતી કૃષિ પેદાશો માટે ‘કિસાન રેલ’ વિકસાવવાની પહેલ કોલ્ડ ચેઈન ઉદ્યોગની મૂળભૂત કામગીરીમાં ધરમૂળથી ફેરફાર કરશે. આ બાબત માત્ર દેશ માટે જ નહિ પરંતુ વિશ્વના બધા વિકાસશીલ દેશો માટે ક્રાંતિકારી બની રહેશે. કૃષિ અને તેને સંબંધિત ક્ષેત્રો માટે રૂ.1.6 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે જે દર્શાવે છે કે 16 મુદ્દાના એજન્ડા દ્વારા સરકાર મોટા પાયે સુધારા કરવા માગે છે.
એ સિવાય સરકારે મત્સ્ય ઉદ્યોગને સુનિયોજિત કરી સંપૂર્ણ વેલ્યુ ચેઈનની ક્ષમતામાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગયા વર્ષના બજેટમાં આ ક્ષેત્ર માટે ફિશરીઝ બોર્ડની રચના કરવામાં આવી હતી અને આ એ દિશામાં લેવાયેલું વધુ એક કદમ છે.

‘કંપનીઓ આ વર્ષે વધુ ડિવિડંડ જાહેર કરશે’

કે.આર. ચોક્સી સિક્યૉરિટીઝના મૅનેજિંગ ડિરેક્ટર દેવેન ચોક્સીએ નાણાકીય વર્ષ 2020-21 માટેના કેન્દ્રીય બજેટ વિશે કહ્યું છે કે સરકારે કંપનીઓ માટેનો ડિવિડંડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ દૂર કરવાનું નક્કી કર્યું હોવાથી ઘણી કંપનીઓ વર્ષ 2019-20 માટે મોટા પ્રમાણમાં ડિવિડંડ જાહેર કરે એવી શક્યતા છે. તેનું કારણ એ છે કે કંપનીઓના પ્રમોટરો 10 લાખથી વધુ રકમની ડિવિડંડની આવક પર 10 ટકાના કરવેરાનો લાભ લઈ લેશે. આ બાબતને અનુલક્ષીને કહેવાનું કે જે કંપનીઓ અત્યાર સુધી ઉંચું ડિવિડંડ આપતી આવી છે તેના શેર રાખી મૂકવા, જેથી વર્તમાન નાણાકીય વર્ષ પહેલાં ડિવિડંડની સારી આવક થઈ જાય.

 

 

 


‘સરકારે ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ માટે લીધેલાં પગલાં પ્રોત્સાહક છે’

યસ સિક્યૉરિટીઝના ઇન્સ્ટિટ્યુશનલ રિસર્ચ હેડ અમર અંબાણીએ કહ્યા મુજબ આ વખતનું બજેટ ધારણા મુજબનું છે. સરકારે બજેટમાં કરેલી નાણાકીય જોગવાઈઓ વાજબી જણાય છે. ઉપરાંત, તેણે અનેક ડ્યુટીનાં માળખાંને સુધારી દીધાં છે. બજેટ બોન્ડ માર્કેટ માટે સકારાત્મક છે. એ સાથે જ ડિવિડંડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ નાબૂદ કરી દેવાયો હોવાથી અને સોવરિન વેલ્થ ફંડને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ પર મળતી વ્યાજ/ડિવિડંડની આવકને કરમુક્ત કરી દેવાઈ હોવાથી વિદેશી રોકાણ માટે સાનુકૂળ વાતાવરણ તૈયાર થશે. કૉર્પોરેટ બોન્ડમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ માટેની મર્યાદા વધારી દેવાઈ એ પણ સારું પગલું છે.

અહીં જણાવવું રહ્યું કે અનેક મોરચે પગલાં ભરવાની તક સરકારે ગુમાવી છે તથા વ્યક્તિગત કરવેરાનું માળખું વધુ ગૂંચવણભર્યું બનાવી દેવાયું છે.

સરકારે અનેક એક્ઝેમ્પશન્સ અને ડિડક્શન્સ દૂર કરી દઈને બચત કરવાની પ્રવૃત્તિને નુકસાન પહોંચાડ્યું છે. જીવન વીમાના ક્ષેત્રને તેની પ્રતિકૂળ અસર થશે.

સરકારે જીએસટીનું કામકાજ સરળ બનાવવા માટે, અમુક ક્ષેત્રોમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ આકર્ષવા માટે, જમીન અને શ્રમસંબંધી સુધારાઓ માટે તથા ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ માટે લીધેલાં પગલાં પ્રોત્સાહક છે.

વ્યક્તિગત કરવેરામાં સરકારે ‘એક હાથ લે, એક હાથ દે’ પ્રકારની જોગવાઇ કરી 

• 15 લાખની આવકવાળાને 78,000 રૂપિયાની કરબચત થવાનું ઉદાહરણ આપ્યું સીતારામને

• 70 એક્ઝેમ્પ્શન્સ રદ કરવામાં આવ્યાં

તમે જો વિવિધ એક્ઝેમ્પ્શન્સ અને રાહતોને છોડવા તૈયાર હો તો તમને આવકવેરાના દરમાં રાહત મળે એવી ‘એક હાથ લે, એક હાથ દે’ પ્રકારની જોગવાઇ સરકારે કરી છે.

નાણા પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યા મુજબ 100 કરતાં વધારે ટેક્સ એક્ઝેમ્પ્શન્સમાંથી આશરે 70 એક્ઝેમ્પ્શન્સ કાઢી નાખવામાં આવ્યા છે.

5 લાખથી 7.5 લાખ સુધીની આવક ધરાવનારાઓ માટે વ્યક્તિગત કરવેરાનો દર 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવ્યો છે. એ જ રીતે 7.5 લાખથી 10 લાખ સુધીની આવકવાળા માટેનો દર 20 ટકાથી ઘટાડીને 15 ટકા અને 10 લાખથી 12.5 લાખ સુધીની આવકવાળા માટે કરવેરાનો દર 30 ટકાથી ઘટાડીને 20 ટકા કરવામાં આવ્યો છે. જેમની આવક લાગતી 15 લાખ રૂપિયા સુધીની હશે તેમણે અત્યાર સુધીના 30 ટકાના દરની સામે 25 ટકાના દરે કરવેરો ચુકવવાનો રહેશે. રૂપિયા 15 લાખથી વધુની આવક ધરાવનારાઓ માટે કરવેરાના દર 30 ટકા યથાવત્ રાખવામાં આવ્યો છે. જો કે, આ બધી રાહતના દરની સુવિધા મેળવવા માટે કરદાતાએ અલગ અલગ એક્ઝેમ્પ્શન્સ અને કરરાહતોનો લાભ છોડી દેવો પડશે.

આથી, દરેક કરદાતાને કેટલો લાભ થાય છે એ દરેકની નાણાકીય સ્થિતિ પર અને તેમના રોકાણ પર નિર્ભર રહે છે. આ બાબતે નિર્મલા સીતારામને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સરકાર જાતે કરવેરાના સ્વરૂપે રકમ લઈ લે તેને બદલે કરદાતાના હાથમાં વધુ રકમ રહેવા દે, જેથી કરદાતા પોતાની રકમનું રોકાણ ક્યાં કરવું અથવા તો તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ જાતે નક્કી કરી શકે એવો આ જોગવાઈ પાછળનો ઉદ્દેશ છે.

અહીં જણાવવું રહ્યું કે કંપનીઓ માટેનો ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ રદ થયો છે, પણ એ ડિવિડન્ડ જ્યારે શેરધારકને મળે ત્યારે શેરધારકના હાથમાં એને કરપાત્ર બનાવવામાં આવ્યું છે. આમ, ખરેખર વ્યક્તિગત કરદાતાને કેટલો લાભ થયો છે તેના વિશે અસ્પષ્ટતા છે.

નાણાપ્રધાને જણાવ્યા મુજબ સરકારે કરવેરાના નવા દર દ્વારા વાર્ષિક 40,000 કરોડ રૂપિયાની કરવેરાની આવકનો ભોગ આપ્યો છે. અત્યાર સુધી વર્ષે 15 લાખ રૂપિયાની આવક ધરાવનાર વ્યક્તિ જો કરવેરાનાં એક્ઝેમ્પ્શન્સ અને રાહતોનો ભોગ આપશે તો વર્ષે તેમને 78,000 રૂપિયાના કરવેરાની બચત થશે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરનારાં સોવરિન વેલ્થ ફંડોને કરમુક્ત આવક મળશે

સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં સોવરિન વેલ્થ ફંડો દ્વારા કરવામાં આવતા રોકાણને સંપૂર્ણપણે કરમુક્ત રાખવાની જાહેરાત કરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે દેશમાં વધુ રોકાણ આવે એવો આ જાહેરાત પાછળનો ઉદ્દેશ્ય છે.

નાણા પ્રધાને બજેટ ભાષણમાં જણાવ્યા મુજબ સોવરિન વેલ્થ ફંડને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા અન્ય નોટિફાઇડ ક્ષેત્રોમાં 31 માર્ચ 2024 પહેલાં કરેલા રોકાણ સંબંધે વ્યાજ, ડિવિડંડ અને કેપિટલ ગેઇન્સ એ બધી આવક સંપૂર્ણપણે કરમુક્ત મળશે. જોકે, તેના માટે તેમણે એ રોકાણ ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી રાખી મૂકવું પડશે.