Home Blog Page 4845

ગ્રેન્ડહોમની ફટકાબાજીએ NZને ભારત પર અપાવ્યો 3-0નો ક્લીન સ્વીપ વિજય

માઉન્ટ મોન્ગેનૂઈ – મિડલ ઓર્ડર બેટ્સમેન કોલીન ડી ગ્રેન્ડહોમે આજે અહીં બૅ ઓવલ મેદાન પર રમાઈ ગયેલી ત્રીજી અને સિરીઝની આખરી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં 28-બોલમાં 58 રન ઝૂડી કાઢતાં ન્યૂઝીલેન્ડે ભારતને પાંચ-વિકેટથી કચડી નાખ્યું અને એ સાથે સિરીઝમાં ભારતનો વ્હાઈટવોશ (0-3) પરાજય થયો. આમ કરીને ગૃહ ટીમે T20I સિરીઝમાં થયેલા પરાજયનો ટીમ ઈન્ડિયા પર બદલો લઈ લીધો છે.

31 વર્ષમાં આ પહેલી જ વાર ભારતને આવો વ્હાઈટવોશ પરાજય સહન કરવો પડ્યો છે.

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતે લોકેશ રાહુલની સદી (112) અને શ્રેયસ ઐયરના 62 રનના યોગદાન સાથે 50 ઓવરમાં 7 વિકેટના ભોગે 296 રનનો ચેલેન્જિંગ સ્કોર ખડો કર્યો હતો.

પણ ન્યૂઝીલેન્ડે 47.1 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 300 રન કરીને મેચ જીતી બતાવી. માર્ટિન ગપ્ટીલ (66) અને ‘પ્લેયર ઓફ ધ મેચ’ હેન્રી નિકોલ્સ (80)ની ઓપનિંગ જોડીએ 16.3 ઓવરમાં 106 રનની ભાગીદારી કરતાં ટીમની જીતનો મજબૂત પાયો રચાયો હતો. કેપ્ટન વિલિયમ્સન 22 અને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ રોસ ટેલર (12) અને જેમ્સ નિશમ (19)ની વિકેટો પડતાં ભારત માટે મેચ બચાવવાની થોડીક આશા જાગી હતી, પણ વિકેટકીપર ટોમ લેધમ (અણનમ 32) અને ગ્રેન્ડહોમની જોડીએ 80 રનની અતૂટ ભાગીદારી કરીને ભારતને જીતવા દીધું નહોતું.

ગ્રેન્ડહોમે એના દાવમાં 3 સિક્સર અને 6 બાઉન્ડરી ફટકારી હતી. લેધમ 34 બોલ રમ્યો હતો જેમાં 3 ચોગ્ગા હતા.

લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલે 10 ઓવરમાં 47 રન આપીને 3 વિકેટ લીધી હતી. ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજાએ 10 ઓવર ફેંકીને 45 રનમાં 1 વિકેટ લીધી હતી. બે ફાસ્ટ બોલર ખૂબ ઝૂડાઈ ગયા હતા. શાર્દુલ ઠાકુરે 9.1 ઓવરમાં 87 રન આપ્યા હતા તો નવદીપ સૈનીની 8 ઓવરમાં 68 રન ફટકારવામાં આવ્યા હતા.

ભારતના દાવનો આરંભ નિરાશાજનક રહ્યો હતો. ઓપનર મયંક અગ્રવાલ માત્ર 1 રન કરી શક્યો હતો, તો કેપ્ટન વિરાટ કોહલી 9 રન બનાવી શક્યો હતો. પૃથ્વી શો (40) અને ઐયરે 30 રનની ભાગીદારી કર્યા બાદ ઐયર અને રાહુલની જોડીએ બીજા 100 રન ઉમેર્યા હતા. ઐયરના 63 બોલના દાવમાં 9 ચોગ્ગા હતા, તો રાહુલે એની ચોથી વન-ડે સદીના દાવમાં બે સિક્સર અને 9 બાઉન્ડરી ફટકારી હતી. એણે 113 બોલનો સામનો કર્યો હતો. મનીષ પાંડેએ 42 રન કર્યા બાદ જાડેજા અને સૈની 8-8 રન કરીને નોટઆઉટ રહ્યા હતા.


સિરીઝમાં ભારતનો વ્હાઈટવોશ પરાજય (3 કે તેથી વધુ ODI મેચ)

0-5 વેસ્ટ ઈન્ડિઝ સામે – 1983-84

0-5 વેસ્ટ ઈન્ડિઝ સામે – 1988-89

0-3 ન્યૂઝીલેન્ડ સામે – 2020

(2006-07માં દક્ષિણ આફ્રિકા સામે ભારત 0-4થી હાર્યું હતું, પરંતુ 1 મેચ પડતી મૂકાઈ હતી)

કેજરીવાલની જીતની રણનીતિ ઘડનાર આ પ્રશાંત કિશોર છે કોણ?

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં એકવાર ફરી અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસ બંનેને બહારનો રસ્તો દેખાડ્યો છે. જોકે આપને આ ચૂંટણીમાં આમ આદમી પ્રાર્ટીને આ મળેલી આ અભૂતપૂર્વ સફળતાનો શ્રેય રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરને પણ આપવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે, આ ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલે પણ ચૂંટણી રણનીતિ ઘડવા માટે તેમની મદદ લીધી હતી.

રણનીતિ બનાવવામાં માહેર

પ્રશાંત કિશોરે એવું તો શું કર્યું કે ભાજપના મોદીથી લઈને શાહ સુધીના નેતા મેદાનમાં ઉતર્યા તો પણ દિલ્હીનો જંગ જીતી શક્યા નહીં. Indian Political Action Committee(આઈપેક) પ્રશાંતની સંસ્થા છે. જે રાજકીય રણનીતિ તૈયાર કરવામાં સેવા આપે છે. આ સંસ્થાએ દિલ્હીના એક એક બૂથનો અભ્યાસ કર્યો. ત્યાં રહેતા વોટરની માનસિક સ્થિતિ, તેમની જરુરિયાતોને ધ્યાને રાખીને દરેક બૂથ માટે તેમને એક ધારદાર સ્ટ્રેટેજી તૈયાર કરી. હવે તેમની આ રણનીતિનો સકારાત્મક પ્રભાવ પણ જોવા મળી રહ્યો છે. અને અરવિંદ કેજરીવાલ ફરી એક વખત મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે.

કોણ છે પ્રશાંત કિશોર?

પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ તરીકે ભારત અને ભારતની બહાર પણ પોતાની ઓળખ બનાવનાર પ્રશાંત કિશોર મૂળ બિહારના સાસારામના કોનાર ગામના રહેવાસી છે. તેમનો જન્મ 1977માં થયો હતો. પ્રશાંત કિશોરના પિતા ડૉ. શ્રીકાંત પાંડે ડોક્ટર હતા અને માતા ઈન્દિરા હાઉસ વાઇફ છે. પ્રશાંત કિશોર ઉપરાંત તેમના પરિવારમાં મોટાભાઈ અજય કિશોર અને બે બહેનો પણ છે. તેમણે પ્રાથમિક શિક્ષણ બિહારમાં મેળવ્યું હતું. હૈદરાબાદથી એન્જિનિયરિંગ કર્યા બાદ પ્રશાંત કિશોર યુનિસેફ સાથે જોડાયા અને તેની સાથે કામ કર્યું.

યૂએનમાં કામ કરતા સમયે જ ગુજરાતમાં ચાલતી કેટલીક યોજનાઓને લઈને પ્રશાંત કિશોરે તત્કાલીન રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો. તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતી. વર્ષ 2011માં તેઓ ભારત પરત ફર્યા અને વાઈબ્રન્ટ ગુજરાત સમિટ સાથે જોડાયા. ત્યારથી જ તેમના અને મોદીના સંબંધો વિકસ્યા જે 2014ની લોકસભા ચૂંટણી સુધી પહોંચ્યા.  મીડિયા રિપોર્ટ અનુસાર પ્રશાંત કિશોરની પત્ની જાન્હવી દાસ એક ડોક્ટર છે અને તેમનો એક પુત્ર પણ છે.

પ્રશાંત કિશોરની સફળતાના રહસ્યની જો વાત કરવામાં આવે તો તેમની મનપસંદ બુક છે Nehru and Bose_ Parallel Lives: રાજકીય સ્ટ્રેટેજિસ્ટ તરીકે તેમણે પોતાની ઓળખ એમ જ નથી મેળવી લીધી તેની પાછળ ખૂબ જ આકરી મહેનત છે. પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, તેમને જ્યારે પણ ખાલી સમય મળતો ત્યારે પુસ્તકો વાંચતા હતા. આ પુસ્તકોએ તેમને રાજકરણ અને લોકોના માનસને સમજવાની કળા શીખવાડી છે. આ ઉપરાંત વિઝડમ ઓફ ક્રાઉડ અને મહાત્મા ગાંધીની આત્મકથા માય એક્સપેરિમેન્ટ્સ વિથ ટ્રુથ પણ તેમને પસંદ છે.

એક ઈન્ટવ્યુમાં પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, લોકોમાં રહેલી ખૂબીઓને ઓળખવાની શીખ મને મારા પિતા પાસેથી મળી છે. હું કોઈ વ્યક્તિને મળુ તો તેમનો ધર્મ કે જાતિ નથી જોતો તેમાં રહેલી ખૂબી જોઉં છું. પ્રશાંત કિશોર 2014ની લોકસભા ચૂંટણીમાં પીએમ મોદી સાથે કામ કરી ચૂક્યા છે આ ઉપરાંત તેમણે જગન રેડ્ડી, નીતિશ કુમાર, મમતા બેનર્જી જેવા નેતાઓ સાથે પણ કામ કર્યું છે.

શીલાથી સુભાષ સુધીઃ કોંગ્રેસ કેમ અસ્તિત્વ બચાવી ન શકી?

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શનના જોરે સત્તા જાળવી રાખી છે તો ભાજપ પણ બેઠકોની સંખ્યા વધારમાં સફળ રહયો છે. જ્યારે કોંગ્રેસ પોતનું અસ્તિત્વ બચાવવામાં ય નિષ્ફળ રહી. એક બેઠક પર પણ કોંગ્રેસ પોતાની જીત નોંધાવી શકી નથી અને 70માંથી 67 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની ડિપોઝીટ ગુમાવવાની નોબત આવી છે.

દિલ્હી વિધાનસભામાં હારની જવાબદારી લેતા પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપડા પાર્ટીને રાજીનામું સોંપે તેવી શક્યતા છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપડાની પુત્રી શિવાની ચોપડા કાલકાજી બેઠક પરથી ખરાબ રીતે હારી છે. પ્રચાર સમિતિના અધ્યક્ષ કીર્તિ આઝાદની પત્ની પૂનમ આઝાદ સંગમ વિહારથી હારી ગઈ છે. મુખ્ય પ્રવક્તા મુકેશ શર્માની ડિપોઝીટ જમા થઈ ગઈ. પૂર્વ સાંસદ પરવેઝ હાશમી, પૂર્વ કેન્દ્રીય મંત્રી કૃષ્ણા તીરથ, પૂર્વ મંત્રી અરવિંદર સિંહ લવલી, હારુન યૂસુફ, ડો. નરેન્દ્ર નાથ, પૂર્વ કદાવર ધારાસભ્ય મતીન અહેમદ, જયકિશન, દેવેન્દ્ર યાદવ, સૌમેશ શૌકીન સહિત પાર્ટીના તમામ ઉમેદવારો હારી ગયા છે.

2015ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વોટ શેર 9 ટકા હતો જે આ વખતેની ચૂંટણીમાં ઘટીને ચારથી પાંચ ટકા પર આવી ગયો છે. કોંગ્રેસના મતો આમ આદમી પાર્ટીને ફાળે ગયા. હવે સ્થિતિ એવી છે કે, કોંગ્રેસ ચૂંટણીની ચર્ચામાંથી પણ બાકાત થતી જોવા મળી રહી છે. પાર્ટી નેતા એટલે હદે શોકમાં છે કે, તેમને હારનું કારણ પણ નથી સમજાઈ રહ્યું. પાર્ટીના કેટલાક નેતાઓ પર ટિકિટ વિતરણમાં ભ્રષ્ટાચાર અને પક્ષપાતનો આરોપ પણ લાગી રહ્યો છે.

દિલ્હી પાર્ટી અધ્યક્ષ સુભાષ ચોપડાએ આ હારની નૈતિક જવાબદારી લીધી છે. તેમણે કહ્યું કે, હારના કારણોની સમીક્ષા કરવામાં આવશે અને જ્યાં જરૂર જણાશે ત્યાં સુધારો પણ કરવામાં આવશે. પાર્ટી જનહિતના મુદ્દાઓ ભવિષ્યમાં પણ ઉઠાવતી રહેશે.

મહત્વનું છે કે, આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેણે દિલ્હીના તખ્તા પર 15 વર્ષ સુધી શીલા દીક્ષિતના નેતૃત્વ હેઠળ શાસન કર્યું હતું. 1998માં શીલા યુગની શરૂઆત થઈ હતી. આ ચૂંટણીમાં મોંઘવારી એક પ્રમુખ મુદ્દો રહ્યો હતો. જેના કારણે ભાજપની સરકાર પડી ગઈ હતી. એ સમયે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી. શીલા દીક્ષિત મુખ્યમંત્રી તરીકે આવ્યા. એ સમયે વિધાનસભામાં શીલા દીક્ષિતને 52 સીટો મળી હતી. જેમાં કોંગ્રેસના લગભગ 48 ટકા વોટ કોંગ્રેસને મળ્યા હતા. સુષ્મા સ્વરાજના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની હાર થઈ. તેને માત્ર 15 સીટો મળી. અને બીજેપીને 34 ટકા વોટ મળ્યા.

મહિલા ક્રિકેટર શેફાલી શર્માનું ક્યું સ્વપ્ન સાકાર થયું?

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સૌથી યુવા સભ્ય શેફાલી વર્માનું આદર્શ ક્રિકેટર અને ક્રિકેટના ગોડ ગણાતા લીટલ માસ્ટર સચિન તેંડુલકરને મળવાનું પોતાનું બાળપણનું સ્વપ્ન ઓસ્ટ્રેલિયામાં પૂરું થયું. સોળ વર્ષની શેફાલીએ તેંડુલકર સાથે એક ફોટો ક્લિક કરીને તેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. તેમણે આ ફોટો શેર કરતા લખ્યું કે, હું ક્રિકેટમાં સચિન સરના કારણે જ જોડાઈ હતી. મારો આખો પરિવાર તેમને ન માત્ર આદર્શ માને છે પરંતુ તેમની પૂજા પણ કરે છે. આજે મારા માટે ખાસ દિવસ છે, કારણ કે હું મારા બાળપણના નાયકને મળી હતી. આ મારા માટે સ્વપ્ન જેવું છે.

ગત નવેમ્બર મહિનામાં શેફાલીએ સચિન તેંડુલકરના લાંબા સમયથી ચાલી રહેલા રેકોર્ડને તોડ્યો હતો. તે વેસ્ટ ઈન્ડિઝ સામે 49 બોલમાં 73 રનોની તોફાની બેટિંગ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હાફ સેન્ચ્યુરી મારનારી સૌથી ઓછી ઉંમરની ભારતીય બની હતી. તે 2020 માં આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ માટે હરમતપ્રીત કોરની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયા આવેલી ભારતીય ટીમની મેમ્બર છે.

જ્યારે કોંગ્રેસે પૂછયું ભાજપનેઃ ‘આપ’ને કેટલી બેઠકો મળી?!

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ આમ આદમી પાર્ટી ફરી વખત સરકાર બનાવવા જઈ રહી છે. ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી માત્ર પોતાની હાજરી પુરાવવા પૂરતી જ ચૂંટણી લડી હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના 67 ઉમેદવારોએ પોતાની ડિપોઝીટ પણ ગૂમાવવાનો વારો આવ્યો છે માત્ર 3 ઉમેદવારોએ ડિપોઝીટ પાછી મેળવવા સફળ રહ્યા છે.

ચૂંટણી પરિણામોની સૌથી વધુ મજા લોકો સોશિયલ મીડિયામાં લઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકોને મજા પડી ગઈ છે. 2015નું જ પ્રદર્શન કોંગ્રેસ રિપીટ કરી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો કોંગ્રેસ અને ભાજપના મીમ્સ  મૂકી રહ્યા છે. અમે અહીં આપને કેટલા ટ્વીટર યૂઝર્સે કરેલા રમૂજી ટ્વીટ બતાવી રહ્યા છે જે જોઈને તમે પણ તમારું હાસ્ય રોકી નહીં શકો…

 

જેને બચાવી હતી તેને જ આપી દીધી પુરસ્કારની અડધી રકમ!

નવી દિલ્હીઃ આ વર્ષે બાળ વિરતા પુરસ્કાર પ્રાપ્ત કરનારી મિઝોરમની 12 વર્ષની કૈરોલિન મલસામતુઆંગીએ પોતાના ઈનામની રકમ એક નાનકડી બાળકી સાથે શેર કરી છે. કેરોલિને તે બાળકીને મહિલા ટ્રાફિકરથી બચાવી હતી જે તેને કિડનેપ કરીને પોતાની સાથે લઈ ગઈ હતી. કેરોલીનની સુઝથી બાળકી સહીસલામત બચી ગઈ અને આરોપી મહિલાને પોલીસે પકડી લીધી.

આઈજોલના જુઆંગતુઈની રહેવાસી કેરોલિને ગત શુક્રવારના રોજ થુઆલથૂ ગામ ગઈ હતી અને તે બાળકીને મળી હતી, જેને તણે કિડનેપરથી બચાવી હતી. કેરોલિને બાળકીને પોતાને મળેલા પુરસ્કારની અડધી રકમ આપી હતી અને તેને 10,000 રુપિયાનો ચેક આપ્યો હતો. થુઆલથૂના ગ્રામીણોએ કેરોલિનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું કે, બાળકીએ કેરોલિનને ગળે લગાવી હતી.

કેરોલીન એ 22 બાળકોમાં જોડાયેલી હતી, જેમને અદભૂત સાહસ બતાવવા માટે આ વર્ષે વિરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. કેરોલીને પોતાના બાજુના ગામની એક 7 વર્ષની બાળકીને કિડનેપ કરીને લઈ જઈ રહેલી મહિલાથી બચાવી હતી. ગત વર્ષે જૂનમાં કેરોલિન જ્યારે પોતાના મિત્રો સાથે વોલિબોલ રમી રહી હતી ત્યારે તેણે બાળકીને મહિલા સાથે જોઈ હતી.

તે સમયે કેરોલિનને લાગ્યું કે, બન્ને સંબંધી છે પરંતુ પોલીસે જ્યારે માનવ તસ્કરી મામલે બીજા દિવસે સતર્ક કર્યા ત્યારે તે મહિલા પાસે બીજીવાર ગઈ અને વાતચિત શરુ કરી. કેરોલીને જોયું કે મહિલા કોઈ કામમાં વ્યસ્ત છે. કેરોલિને સમય ન બગાડતા તે મહિલાને કહ્યું કે, તે આ બાળકીની સારસંભાળ રાખી શકે છે.

મહિલાએ કેરોલિનની વાત માની અને બાદમાં તક જોઈને કેરોલિન તે બાળકીને પોતાના ખભે બેસાડીને ઘરેથી ભાગી ગઈ. બાદમાં પોલીસને જાણ થતા પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી.

પત્નિના જન્મ દિવસ પર કેજરીવાલે આપી જીતની આ ભેટ…

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 ના પરિણામો થોડા જ સમયમાં સ્પષ્ટ થઈ જશે. વોટની ગણતરી ચાલી રહી છે. તમામ 70 વિધાનસભા સીટોના વલણો આવી ગયા છે. શરુઆતના વલણો અનુસાર, આમ આદમી પાર્ટી એકવાર ફરીથી દિલ્હીમાં સરકાર બનાવવા જઈ રહી છે. આમ આદમી પાર્ટી આશરે 50 અને ભાજપ 20 જેટલી સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર તમામ સીટો પર પાછળ ચાલી રહ્યા છે. જીત તરફ આગળ વધી રહેલી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહિત છે. પાર્ટીની ઓફિસમાં ઉજવણીનો માહોલ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સંબોધન માટે સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ચૂંટીના પરિણામોથી અલગ આજે કેજરીવાલ માટે ખાસ દિવસ છે. હકીકતમાં તેમની પત્ની સુનીતા કેજરીવાલનો આજે જન્મ દિવસ છે અને મુખ્યમંત્રી પોતાની પત્નીને જીતની ભેટ આપવા જઈ રહ્યા છે.   

આમ આદમી પાર્ટીની સંભવિત જીત પર સુનીતા કેજરીવાલના જન્મ દિવસનો ઉત્સાહ બેગણો થઈ ગયો છે. અરવિંદ કેજરીવાલના ઘર પર આપ કાર્યકર્તાઓ પહોંચવા લાગ્યા છે. મુખ્યમંત્રીને જીત અને તેમના જન્મ દિવસની શુભેચ્છાઓ આપી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર થોડા સમયમાં કેજરીવાલ પાર્ટી કાર્યાલયમાં જશે અને કાર્યકર્તાઓને જીતની શુભેચ્છાઓ આપતા સંબોધિત કરશે. મુખ્યમંત્રી નવી દિલ્હી વિધાનસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે અને વલણોમાં તેઓ સૌથી આગળ છે.

‘મેરે પાસ મોદી હૈ’ છતાં, ભાજપ માટે દિલ્હી દૂર કેમ રહી ગયું?

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાના ચૂંટણીમાં આજે પરિણામનો દિવસ. અત્યાર સુધીમાં જે પરિણામો સામે આવી રહ્યા એ જોતાં સ્પષ્ટ થાય છે કે, દિલ્હીમાં ફરી એક વખત આમ આદમી પાર્ટી સત્તા પર આવી રહી છે. 70 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીને બે તૃતિયાંશથી પણ વધુ બેઠકો મળવાનું અનુમાન છે. ગયા ઈલેક્શન કરતા સારુ પ્રદર્શન છતાં ભાજપ માટે દિલ્હી અભી દુર હૈ…

દિલ્હીની જનતાએ દરેક મુદ્દાને ધ્યાનમાં રાખ્યા પછી ભાજપને વિકલ્પ તરીકે નથી અપનાવી. બીજી રીતે જોઈએ તો દિલ્હીની ચૂંટણીમાં ભાજપે દરેક પોસ્ટર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરાનો ઉપયોગ કર્યો, પણ અહીં મોદીનો ચહેરો પણ કામ લાગ્યો નહીં. દિલ્હીની ચૂંટણીમાં ભાજપની હાર પાછળ કયા કારણો જવાબદાર રહ્યા?

દિલ્હી વિધાનસભાની ચૂંટણી ને રાષ્ટ્રવાદનો પ્રચાર

ભાજપના ચૂંટણી પ્રચારમાં રાષ્ટ્રવાદનો મુદ્દો મુખ્ય રહ્યો, જેમાં ત્રણ તલાખ અને સીએએ જેવા મુદ્દાઓ મુખ્ય રહ્યા. પણ દિલ્હીની જનતા એટલી પણ ભોળી નથી કે, સ્થાનીય અને રાષ્ટ્રીય મુદ્દાઓમાં ફરક ન સમજી શકે. દિલ્હીના મતદાતાઓએ પાણી, વીજળી, શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દાઓને વધારે મહત્વ આપ્યું. આ મુદ્દાઓ આપ પાર્ટીના પ્રચારમાં સૌથી આગળ રહ્યા.

અમારી પાસે મોદી છે…

આજની તારીખે ભાજપનો માત્ર એક જ ચહેરો છે નરેન્દ્ર મોદી. પણ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે, મોદીના નામનો ઉપયોગ મરજી મુજબના પરિણામો લાવી શક્યો નહી. મતદાતાઓને એક વાત સમજાઈ ગઈ હતી કે તે ભાજપને મત આપશે તો પણ નરેન્દ્ર મોદી દિલ્હીના મુખ્યમંત્રી નહીં બને. એક નજર દિલ્હી ભાજપના નેતાઓ પર કરીએ તો એક પણ નેતા અરવિંદ કેજરીવાલને પડકાર આપતો ન જોવા મળ્યો. આ સ્થિતિમાં ભાજપ દિલ્હીના લોકોને વિકલ્પ ન આપી શકી.

ઈલેકશન કેમ્પેઈનમાં નકારાત્મકતા

ભાજપે ચૂંટણી પ્રચાર દરમ્યાન વિપક્ષી પાર્ટીઓ પર કરેલા પ્રહારો એકદમ નકારાત્મક ચરિત્રના હતા. અરવિંદ કેજરીવાલ માટે આતંકવાદી જેવા શબ્દનો પ્રયોગ દિલ્હીવાસીઓના ગળે ન ઉતર્યો. આ ઉપરાંત શાહીનબાગ મુદ્દે ભાજપના અનેક સ્ટાર પ્રચારકોએ અર્થવિહોણા અને સંપ્રદાય વિશેષ વિરુદ્ધ ભડકાઉ નિવેદનો આપ્યો. આ પ્રકારનો ચૂંટણી પ્રચાર મતદારોને પસંદ ન પડ્યો.

 

દિલ્હીનો મોટાભાગનો વિસ્તાર શહેરી ક્ષેત્ર છે. દિલ્હીમાં દેશના દરેક રાજ્યના લોકો રહે છે. આ એક મહાનગર છે. એટલે કે એક એવું રાજ્ય જેમાં નબળી પડતી જતી અર્થવ્યવસ્થાની સૌથી વધુ અસર જોવા મળે છે. દેશમાં મંદીની અસર દિલ્હીની માર્કેટ પર પણ જોવા મળે છે. પણ દેશમાં સબ સહી હૈ એવી બીજેપી નેતાની વાતો પાર્ટી માટે ભારે પડી…

જે રીતે પરિણામો આવ્યા એ પરથી સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસ પાર્ટીએ આ ચૂંટણીમાં માત્ર ભાગ જ લીધો એ સિવાય બીજું કંઈ નહીં. ના કોઈ રણનીતિ ના કોઈ નેતા. એક સમયે દિલ્હીમાં સતત ત્રણ વખત સત્તા પર રહેલી પાર્ટી જમીનદોસ્ત થઈ ગઈ છે. આ વખતે તો સ્થિતિ એવી છે કે, ગયા વખતની ચૂંટણી કરતા પણ ઓછા મત મળ્યા છે. અહીં સવાલ એ છે કે, કોંગ્રેસના મતનો કોને ફાયદો મળ્યો? ભાજપના મતો વધ્યા પણ અમુક બેઠકો પર કોંગ્રેસના નબળા પ્રદર્શને આમ આદમી પાર્ટી માટે રસ્તો સરળ બનાવી દીધો.

 

લ્યો, JNU વિસ્તારમાં ડાબેરી ઉમેદવારને નોટાથીય ઓછા મત!!

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો એક્ઝિટ પોલ્સની આસપાસ આવતા દેખાઈ રહ્યા છે, પણ મહારૌલી સીટના પ્રારંભિત ટ્રેન્ડ આશ્ચર્યજનક છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ડાબેરી પક્ષોની બોલબાલા હોય છે, એ વિસ્તારમાં આવેલી છે, પણ લેફ્ટ પાર્ટીને અહીં નોટાથી પણ ઓછા વોટ મળ્યા છે.અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર મહારૌલી સીટથી આમ આદમી પાર્ટીના નરેશ યાદવ સૌથી આગળ ચાલી રહ્યા છે. આ બેઠકથી નોટાને અત્યાર સુધી 198 મતો મળ્યા છે.

આ બેઠક પર ઓલ ઇન્ડિયા ફોર્વર્ડ બ્લોક નામની લેફ્ટ પાર્ટીને માત્ર 46 મતો મળ્યા છે. પાર્ટીને ડી. કે ચોપડાને ટિકિટ આપી હતી. મહાર1લી સાઉથ દિલ્હી વિસ્તારમાં આવે છે. સંગમ વિહાર, છત્તરપુર, પાલમ, તુગલકાબાદ, કાલકાજી, મહારૌલી, દેવલી, બદરપુર, આંબેડકર નગર અને બ્રિજવાસન દક્ષિણ દિલ્હીમાં આવે છએ.

સિંગાપુરમાં લોકોને એસી બંધ રાખવાની ચેતવણી કેમ અપાઇ?

નવી દિલ્હીઃ ચીનમાં 900 જેટલા લોકોના જીવ લેનારો કોરોના વાયરસ વિશ્વના અન્ય દેશોમાં પણ પહોંચ્યો છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે તે હવાથી લોકોમાં ફેલાય છે. ત્યારે સિંગાપુરમાં ત્યાંના તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, કોરોના વાયરસથી બચવા માટે એસીને બંધ રાખો અને તાજી હવા માટે પંખાનો ઉપયોગ કરો.

ચીનની શાંઘાઈ સિવિલ અફેર્સ બ્યૂરોના ઝેંગ ક્યૂને કહ્યું કે, કોરોના વાયરસનો ચેપ સીધા કોઈ વ્યક્તિના સંપર્કમાં આવવાથી અને હવાથી પણ સીધો જ ચેપ લાગી શકે છે. તેમણે કહ્યું કે એરોસોલ ઈન્ફેક્શન એવી વસ્તું છે કે જે કોઈ પરફ્યૂમ સ્પ્રે અથવા તો અન્ય સ્પ્રેના કારણે હવામાં ફેલાય છે અને કોઈ વ્યક્તિ તે હવાને શ્વાસમાં લે તેનાથી ફેલાય છે.

કોરોના વાયરસ ચાઈનીઝ સી-ફૂડ એટલે કે માછલીઓ સહિત અન્ય સમુદ્રી ભોજનથી ફેલાવાનો શરુ થયો. ખૂબ ઓછા સમયમાં આ વાયરસ ચીનના તમામ પ્રાંતોમાં ફેલાયો. ભારતને આ મામલે ચીન તરફથી પ્રથમ સૂચના 31 ડિસેમ્બરના રોજ મળી હતી.

ડિસેમ્બરની શરુઆતમાં આ વાયરસના પ્રકોપને ચીનના હુબેઈ પ્રાંતના વુહાન શહેરના સીફૂડ માર્કેટમાં નોટિસ કરવામાં આવ્યો હતો. ત્યાંથી આ વાયરસ વુહાન શહેર અને પછી ચીનના અન્ય 30 રાજ્યોમાં ફેલાઈ ગયો.