Home Blog Page 4863

કોલકાતા પોર્ટ ટ્રસ્ટ હવે ઓળખાશે શ્યામાપ્રસાદ મુખરજી પોર્ટ તરીકે…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા કોલકાતા પોર્ટ ટ્રસ્ટના 150મા સ્થાપનાદિન નિમિત્તે 12 જાન્યુઆરી, રવિવારે કોલકાતાના નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત સમારોહમાં હાજરી આપી હતી અને કોલકાતા પોર્ટ ટ્રસ્ટનું નામકરણ કર્યું હતું. આ પોર્ટ હવેથી શ્યામાપ્રસાદ મુખરજી પોર્ટ તરીકે ઓળખાશે, જેઓ ભારતીય જનસંઘના સ્થાપક હતા.


શ્યામાપ્રસાદ મુખરજી નેતા, બેરિસ્ટર અને ગણિતજ્ઞ હતા. તેઓ દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુની સરકારમાં ઉદ્યોગ અને પુરવઠા પ્રધાન હતા.




વડા પ્રધાન મોદીએ કોલકાતા પોર્ટ ટ્રસ્ટની સ્થાપનાનાં 150 વર્ષ નિમિત્તે એક વિશેષ ટપાલટિકિટનું અનાવરણ પણ કર્યું હતું. એ પ્રસંગે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનકાર અને કેન્દ્રીય શિપિંગ પ્રધાન મનસુખ માંડવીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.






રણવીર સિંહે ’83’ ફિલ્મનું નવું કેરેક્ટર પોસ્ટર રિલીઝ કર્યું

મુંબઈ – અભિનેતા રણવીર સિંહે આગામી હિન્દી ફિલ્મ 83નું એક નવું કેરેક્ટર પોસ્ટર આજે રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં અભિનેતા જીવાને ભૂતપૂર્વ બેટ્સમેન કે. શ્રીકાંતના રૂપમાં બતાવવામાં આવ્યો છે.

રણવીરે પોસ્ટરની કેપ્શનમાં લખ્યું છેઃ ‘ઈટ્સ ચિકા, માચા! ધ સ્વેશબકલિંગ સાઉથ ઈન્ડિયન સ્ટ્રોકપ્લે સેન્સેશન.’

રણવીરે એ પહેલાં એક અન્ય કેરેક્ટર પોસ્ટર પણ રિલીઝ કર્યું હતું જેમાં અભિનેતા તાહિર રાજ ભાસીનને સુનીલ ગાવસકર તરીકે બતાવવામાં આવ્યો છે.

કપિલ દેવ તરીકેની ભૂમિકામાં રણવીર સિંહનો ફર્સ્ટ લૂક કપિલના પ્રસિદ્ધ નટરાજ પોઝમાં રિલીઝ કરવામાં આવ્યો હતો, જેને લોકોએ ખૂબ પસંદ કર્યો છે.

આ ફિલ્મમાં મોહિન્દર અમરનાથ તરીકે સાકિબ સલીમ, સંદીપ પાટીલ તરીકે ચિરાગ પાટીલ, બલવિન્દર સિંહ સંધુ તરીકે એમી વિર્ક, સૈયદ કિરમાણી તરીકે સાહિલ ખટ્ટર, મદનલાલ તરીકે હાર્ડી સંધુ, ફરોખ એન્જિનીયર તરીકે બમન ઈરાની, 1983ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના મેનેજર પી.આર. માનસિંહ તરીકે પંકજ ત્રિપાઠીએ ભૂમિકા અદા કરી છે.

રણવીર કપિલ દેવ બન્યો છે તો કપિલના પત્ની રોમી દેવનો રોલ કર્યો છે રણવીરની રિયલ લાઈફ પત્ની દીપિકા પદુકોણે.

ભારતના ઐતિહાસિક 1983 ક્રિકેટ વર્લ્ડ કપ વિજય પર આધારિત આ ફિલ્મ આ વર્ષની 10 એપ્રિલે રિલીઝ થવાની છે.

ફિલ્મનું નિર્માણ મધુ મન્ટેના, સાજિદ નડિયાદવાલા અને રિલાયન્સ એન્ટરટેનમેન્ટે કર્યું છે.

કોચીમાં ગેરકાયદેસર મકાનોને કન્ટ્રોલ્ડ વિસ્ફોટ વડે ધ્વસ્ત કરાયા

કોચી – કેરળના કોચી જિલ્લાના મરાડુ નગરમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા H20 હોલી ફેઈધ કોમ્પલેક્સના ચારેય બહુમાળી રહેણાંક મકાનોને વિસ્ફોટકોનો નિયંત્રિત રીતે ઉપયોગ કરીને મકાનોની અંદરના ભાગમાં ધડાકો કરીને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. દેશમાં આ રીતે કરાયેલું આ સૌથી મોટું ડિમોલિશન બન્યું છે. બે બહુમાળી મકાનોને આજે જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. અન્ય બે મકાનોને ગઈ કાલે તોડી પાડવામાં આવ્યા હતા. આમ, સમગ્ર ઓપરેશન સફળ રહ્યું છે.

સુપ્રીમ કોર્ટના આદેશને પગલે કોચી વહીવટીતંત્રએ આ મકાનોને તોડી પાડ્યા છે.

ચાર મકાનોમાં આ સૌથી મોટું હતું, જે 17-માળવાળું જૈન કોરલ કોવ બિલ્ડિંગ હતું. એમાં 128 ફ્લેટ હતા. આ મકાનને આજે સવારે 11.03 વાગ્યે તોડી પાડવામાં આવ્યુું હતું. લોકોને આ મકાનથી 200 મીટરના ક્ષેત્રફળથી દૂર રાખવામાં આવ્યા હતા. તેમજ વાહનવ્યવહાર પણ બંધ રાખવામાં આવ્યો હતો.

આ મકાનને તેની અંદર 372 કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રી ભરીને સાઈરન વગાડવામાં આવ્યા બાદ ઈલેક્ટ્રિક વાયરોની મદદથી વિસ્ફોટ કરીને તોડી પાડવામાં આવ્યું હતું.

ત્યારબાદ બપોરે બે વાગ્યે 40 ફ્લેટ ધરાવતું બીજું એક ગેરકાયદેસર મકાન ‘ગોલ્ડન કાયાલોરમ’ પણ તોડી પાડવામાં આવ્યું હતું. આ મકાનની પાછળ ખાડી આવેલી છે તથા બાજુમાં એક બીજું કાયદેસર રહેણાંક કોમ્પલેક્સ આવેલું છે.

17-માળનું મકાન વિસ્ફોટ કરાયો એની 9 સેકંડમાં જ જમીનદોસ્ત થયું હતું. વિસ્ફોટને પગલે સમગ્ર કોમ્પલેક્સમાં ધૂળ અને ધૂમાડો છવાઈ ગયા હતા.

મકાનોને તોડી પાડવાની પ્રક્રિયા વખતે બહુ જૂજ લોકો હાજર રહે એ માટે સત્તાવાળાઓએ એ સંકુલની આસપાસ ક્રિમીનલ પ્રોસીજર કોડ (આઈપીસી)ની કલમ 144 લાગુ કરી હતી.

વિસ્ફોટ કરાયો એના અડધા કલાક પહેલાં એક મિનિટ સુધી સાઈરન વગાડીને લોકોને ચેતવી દેવામાં આવ્યા હતા કે તેઓ ડિમોલિશન ઝોનથી દૂર ચાલ્યા જાય.

8 લા સ્ક્વેર ફીટમાં પ્રસરેલા મકાનોને તોડી પાડવા માટે દક્ષિણ આફ્રિકાની જેટ ડીમોલિશન્સ કંપની અને એડીફીસ એન્જિનિયરિંગ કંપનીઓની મદદ લેવામાં આવી હતી.

મકાનો તોડી પાડવામાં આવ્યા એ પહેલાં આસપાસના રહેવાસીઓને અમુક દિવસો દૂર ચાલ્યા જવાનું કહી દેવામાં આવ્યું હતું. કાટમાળ ખસેડી દેવામાં આવશે ત્યારપછી જ રહેવાસીઓને ફરી એમના મકાનો-ઘરમાં પાછા આવવા દેવામાં આવશે.

અગ્નિશામક વિભાગના જવાનો વોટર જેટ્સ સાથે ત્યાં હાજર હતા અને એમણે કાટમાળને નિયંત્રિત કર્યો હતો.

મકાન જમીનદોસ્ત થયા બાદ એનો કાટમાળ ચાર માળ જેટલો ઊંચો હતો. 70 હજાર ટનના કાટમાળને એક મહિનામાં દૂર કરવાનું સત્તાવાળાઓએ વચન આપ્યું છે.

કોસ્ટલ ઝોન રેગ્યૂલેશન નિયમોનો ભંગ કરીને આ કોમ્પલેક્સ બાંધવામાં આવ્યું હતું. એના ચારેય મકાન તોડી પાડવાનો સુપ્રીમ કોર્ટે ગયા મે મહિનામાં આદેશ આપ્યો હતો. અને સપ્ટેંબરમાં કેરળ સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું.

હવે કેરળ સરકાર આ મકાનોને ધ્વસ્ત કરી દેવાયા છે એની જાણ સોમવારે સુપ્રીમ કોર્ટને કરશે.

આ મકાનોમાં ફ્લેટ ખરીદનાર પ્રત્યેક માલિકને વચગાળાનું વળતર ચૂકવવાનો પણ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે.

 

 

પાલઘરમાં ફેક્ટરી વિસ્ફોટ દુર્ઘટનામાં મરણાંક 8: મૃતકોમાં ફેક્ટરી માલિક સામેલ

મુંબઈ – નજીકના પાલઘર જીલ્લાના કોલવડે ગામ નજીક મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ એસ્ટેટ (MIDC)માં શનિવારે એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટને કારણે મકાનનો નાશ થયો હતો અને દુર્ઘટનામાં 8 જણનાં મરણ નિપજ્યા છે. મૃતકોમાં ફેક્ટરીના માલિક, નટુભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે.

એ ફેક્ટરીનું નામ હતું ‘તારા નાઈટ્રેટ’. એ પ્લાન્ટ બાંધકામ હેઠળ હતો. શનિવારે સાંજે એમાં કેટલાક રસાયણોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ભયાનક વિસ્ફોટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી.

સાંજે 6.55 વાગ્યાના સુમારે થયેલી દુર્ઘટનામાં અન્ય સાત જણ જખ્મી થયા છે. એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મૃતકોમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

વિસ્ફોટની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે 10થી 15 કિ.મી. સુધીના વિસ્તારમાં એનો અવાજ સંભળાયો હતો.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પ્રત્યેક મૃતકના પરિવારને સરકાર તરફથી રૂપિયા પાંચ લાખની મદદની જાહેરાત કરી છે. ઈજા પામેલી દરેક વ્યક્તિને રૂ. 50 હજાર આપવામાં આવશે. ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ સરકાર ઉપાડશે.

તારાપૂર ઔદ્યોગિક વસાહતમાં પ્લોટ એમ-2માં આવેલી કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો બધો પ્રચંડ હતો કે ફેક્ટરીના મકાનની બાજુમાં આવેલું બાંધકામ હેઠળનું એક મકાન પણ જમીનદોસ્ત થઈ ગયું હતું.

ફેક્ટરીમાં એમોનિયમ નાઈટ્રેટ નામનું સ્ફોટક રસાયણ બનાવવામાં આવતું હતું. ધડાકો થયા બાદ સાવચેતીના પગલા તરીકે એમઆઈડીસી તરફ જતા તમામ માર્ગો પર ટ્રાફિક કામચલાઉ બંધ કરી દેવામાં આવ્યો હતો.

મૃતકોનાં નામ છે – નટુભાઈ પટેલ, ઈલિયાઝ અન્સારી (40), નિશુ રાહુલસિંહ (26), માધુરી વશિષ્ઠ સિંહ (46), ગોલૂ સુરેન્દ્ર યાદવ (46), રાજમતીદેવી સુરેન્દ્ર યાદવ (40), મોહન ઈંગળે. ઘાયલ થયેલાઓના નામ છે – મુલાયમ જગત બહાદુર યાદવ, રાકેશ કુમાર, ચેતરામ જાયસ્વાલ, સચીનકુમાર, રામબાબૂ યાદવ, રોહિત વશિષ્ઠ સિંહ, નટવરલાલ પટેલ, પ્રાચી રાહુલ સિંહ, ઋતિકા રાહુલ સિંહ.

અમદાવાદમાં 72 વર્ષીય ‘પદ્મશ્રી’ અસ્તાદ દેબૂનો મંત્રમુગ્ધ નૃત્ય પરફોર્મન્સ

અમદાવાદ – ભારતમાં સ્ટ્રેટેજિક માર્કેટિંગ અને કમ્યુનિકેશન માટેની અગ્રગણ્ય મેનેજમેન્ટ સ્કૂલ ગણાતી MICA સંસ્થાએ તાજેતરમાં અહીં તેની છઠ્ઠી આંતરરાષ્ટ્રીય કમ્યુનિકેશન મેનેજમેન્ટ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. એ કાર્યક્રમમાં વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ પેશકશ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં 72 વર્ષીય સમકાલીન નૃત્યકાર અસ્તાદ દેબૂએ અદ્દભુત સ્ટેજ પરફોર્મન્સ રજૂ કર્યો હતો. એમનો ડાન્સ જોઈને શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

અસ્તાદ દેબૂએ 3 પરફોર્મન્સ રજૂ કર્યા હતા. પહેલા એમણે એક નાટ્યકૃતિ રજૂ કરી હતી ‘આહવાન’. એમાં તેમણે દ્રુપદ ગાયન શાળામાં તાલીમ લેનાર ઈટાલીયન ગાયિકા અમેલિયા કુની દ્વારા રેલાવેલા હૃદયસ્પર્શી સંગીતની ધૂનો પર પરફોર્મ કર્યું હતું.

એમનો બીજો પરફોર્મન્સ હતો, ‘સ્ટેપિંગ આઉટ’ શીર્ષક સાથેની ક્રીએટિવ કોરિયોગ્રાફી. જેમાં રોશની, પડછાયા તથા મુદ્રણના સમન્વય સાથે દેબૂએ એમની નૃત્ય કળા પ્રસ્તુત કરી હતી. બર્લિનથી આવેલા જાણીતા સેક્ઝાફોનિસ્ટ ગર્ટ એન્કરે સેક્ઝાફોન વાદ્ય પડે સંગીત પિરસ્યું હતું.

આખરી પરફોર્મન્સ હતો ‘એવરી ફ્રેગમેન્ટ ઓફ ડસ્ટ ઈઝ અવેકન્ડ.’ જે રવિન્દ્રનાથ ટાગોરની રચનાઓ પ્રેરિત હતો. અસ્તાદ દેબૂએ એમાં પણ તેમની કળા દ્વારા શ્રોતાઓને પ્રભાવિત અને આનંદિત કર્યા હતા. જાપાનીઝ સંગીતના સૂરોએ શ્રોતાઓનાં મન ડોલાવી દીધા હતા.

અસ્તાદ દેબૂની નૃત્ય રચના ભારતના એ સમયની છે જ્યારે ભારતીય નૃત્યમાં નવીનતા આવકાર્ય નહોતી.

નૃત્ય પરફોર્મન્સ બાદ દેબૂનું એક શાલ અને મહાત્મા ગાંધીજીનાં હસ્તાક્ષર દર્શાવતી એક ભરતકામ ગૂંથેલી ગિફ્ટ આપવામાં આવી હતી.

અસ્તાદ દેબૂને ભારત સરકારે બે પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજેશ કર્યા છે. 1995માં એમને સંગીત નાટક એકેડેમી સંસ્થા તરફથી ક્રીએટિવ ડાન્સ એવોર્ડ આપવામાં આવ્યો હતો અને 2007માં એમને ભારતીય નૃત્યના ક્ષેત્રમાં પાયાનું પ્રદાન કરવા બદલ ‘પદ્મશ્રી’ ખિતાબથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

અદિતી, સંજીવ કપૂરે નિહાળ્યો ઈન્ડિયા આર્ટ ફેસ્ટિવલ…

બોલીવૂડ અભિનેત્રી અદિતી રાવ હૈદરી અને પ્રખ્યાત શેફ સંજીવ કપૂરે મુંબઈમાં નેહરૂ સેન્ટર ખાતે ઈન્ડિયા આર્ટ ફેસ્ટિવલ-2020ની મુલાકાત લીધી હતી તે વેળાની તસવીરો.




















પાકિસ્તાનમાંના ધાર્મિક ભેદભાવથી દુનિયાને CAA કાયદાએ વાકેફ કરીઃ મોદી

કોલકાતા – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા નાગરિકતા સુધારિત કાયદા (CAA)નો આજે જોરદાર રીતે બચાવ કર્યો હતો અને કહ્યું કે આ મુદ્દે થયેલા વિવાદથી દુનિયાને ખબર પડી છે કે પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓનાં લોકો પર કેવું દમન આચરવામાં આવે છે.

CAA કાયદા મામલે ગેરસમજ ફેલાવવા બદલ વડા પ્રધાને અમુક યુવા વ્યક્તિઓને વખોડી કાઢી હતી. એમણે કહ્યું કે આ કાયદો કોઈનું નાગરિકત્વ લેવા માટેનો નથી, પરંતુ દેવા માટેનો છે.

વડા પ્રધાન મોદીએ અહીં રામકૃષ્ણ મિશનના મુખ્યાલય – બેલૂર મઠ ખાતે આયોજિત સમારંભમાં આમ જણાવ્યું હતું.

મોદીએ એમ પણ કહ્યું હતું કે આજે રાષ્ટ્રીય યુવા દિવસે હું દેશના, પશ્ચિમ બંગાળના અને ઈશાન ભારતનાં યુવાઓને એટલું કહેવા માગું છું કે નાગરિકત્વ આપવા માટેનો આ કાયદો કંઈ એક જ રાતમાં ઘડવામાં આવ્યો નથી. આપણે એ તો સમજવું જ જોઈએ કે ભારતને અને ભારતના બંધારણમાં વિશ્વાસ રાખનાર દુનિયાના કોઈ પણ દેશમાં કોઈ પણ ધર્મના લોકો યોગ્ય પ્રક્રિયા મારફત ભારતીય નાગરિકત્વ માટે અરજી કરી શકે છે. એમાં કોઈ સમસ્યા જ નથી.

મોદી બેલૂર મઠ ખાતેથી રવાના થઈ ગયા બાદ રામકૃષ્ણ મિશન સંસ્થાએ કહ્યું કે પોતે એક બિનરાજકીય સંસ્થા છે જ્યાં તમામ ધર્મોનાં લોકો એક જ માતાપિતાનાં બંધુઓની જેમ રહી શકે છે. વડા પ્રધાનના સંબોધન વિશે રામકૃષ્ણ મિશન કોઈ ટીકાટિપ્પણ નહીં કરે.

એમ રામકૃષ્ણ મિશન સંસ્થાના મહામંત્રી સ્વામી સુવિરાનંદે પત્રકારોને જણાવ્યું હતું કે અમે રાજકારણથી પર છીએ. અમારે મન નરેન્દ્ર મોદી ભારતના નેતા છે અને મમતા બેનરજી પશ્ચિમ બંગાળનાં નેતા છે. અમારી સંસ્થામાં હિન્દુ, ઈસ્લામ, ખ્રિસ્તી ધર્મોનાં સાધુઓ છે. અમે એક જ માતાપિતાનાં બંધુઓની જેમ રહીએ છીએ.

અંતિમ સંસ્કારમાં ખુશીની ધૂન ગાતા આ જોસેફ વેસાવકર….

મુંબઈઃ કોઈપણના અંતિમ સંસ્કાર હોય અને બાજુમાં કોઈ શોકની જગ્યાએ જિંદગીની ધુન વગાડી રહ્યું હોય, તો આ થોડું અતડું લાગે. પરંતુ 70 વર્ષના જોસેફ વેસાવકરે આને પોતાના જીવનનું મિશન બનાવી લીધું છે. તેમનું માનવું છે કે મૃત્યુ તો સનાતન સત્ય છે અને બાદમાં વ્યક્તિ અનંતમાં ચાલ્યો જાય છે અને આની તો ઉજવણી કરવી જોઈએ. જોસેફ પોતાની ફિલોસોફી અને ટ્રંપેટ પર પોતાના મ્યૂઝિક માટે ખૂબ જાણીતા છે. અંતિમ સંસ્કાર સિવાય તે બોલીવુડ ફિલ્મોમાં પણ સંગીત આપી ચૂક્યા છે.

જોસેફના ફેમિલીમાં તેઓ 10 ભાઈ-બહેન હતા. તેમણે જણાવ્યું કે મને ટ્રંપેટ મારા પિતાએ વગાડતા શિખવાડ્યું છે. તેઓ જણાવે છે કે મેં સૌથી પહેલા મારી શાળામાં પ્લે કર્યું હતું. મને પહેલાથી રિધમની સમજ છે. તેઓ 7 વર્ષની ઉંમરથી અંતિમ સંસ્કારોમાં ટ્રંપેટ વગાડી રહ્યા છે. તેઓ જણાવે છે કે, મારા પિતા એક બેંડમાં હતા કે જે અંતિમ સંસ્કારમાં પ્લે કરતા હતા. તેઓ માત્ર ક્લાસિકલ અને ચર્ચ મ્યૂઝિક અને ટ્રંમબોન, ક્લૈરિનેટ, ફ્રેંચ હોર્ન, ટ્રંપેટ અને સેક્સોફોન વગાડતા હતા. એક બાળક તરીકે મેં આ જોયું અને તેમાં રસ વધતો ગયો.

જોસેફ માત્ર ઈસાઈ કાર્યક્રમોમાં જ નહી, પરંતુ મરાઠી, સિંધી અને મુસ્લિમોના ત્યાં ટ્રંપેટ વગાડે છે. આવી જ એક ઘટના યાદ કરતા તેમણે જણાવ્યું કે, એક 93 વર્ષની જૈન મહિલાનું રસ્તા વચ્ચોવચ નિધન થઈ ગયું. 1970 માં તે 9 દિવસ સુધી એક જૈન મંદિરમાં ઉપવાસ કરી રહી હતી. તેમની મોહન જ્વેલર્સ નામની એક દુકાન હતી. તેમનો પરિવાર મારી પાસે આવ્યો અને કહ્યું કે મારા બાના અંતિમ સંસ્કારમાં પ્લે કરો. તેમના પાર્થિવ શરિરને એક ટેમ્પોમાં સજાવેલા સિંહાસન પર રાખવામાં આવ્યો હતો અને અમે બોગી માર્ચ અને વેન ધ સેંટ્સ ગો માર્ચિગ ઈન પ્લે કરી રહ્યા હતા. તમામ કૈથલિક્સ એ વાતથી અચંબિત રહી ગયા કે હું માઉન્ટ કાર્મેલ ચર્ચથી ઉંધી દિશામાં કેમ જઈ રહ્યો છું.

તેઓ જણાવે છે કે, જ્યારે હું બ્લેક શુટ અને ટાઈ પહેરું છું તો લોકો પૂછે છે કે હવે કોનું નિધન થયુ? તેઓ જણાવે છે કે, હું યૂ આર માય સનશાઈન અને સેંટ્સ ગો માર્ચિંગ પ્લે કરું છું. બોગી માર્ચ પણ પ્લે કરે છે કારણ કે તે વિદાય ગીત છે, એવા લોકો માટે કે જે અનંત દુનિયામાં જઈ રહ્યા છે. આપણે એમને તેમના જીવનની અંતિમ યાત્રાની યાત્રામાં ખુશી-ખુશી વિદાય આપવી જોઈએ. આપણે મોતથી ભાગી ન શકીએ. દરેકને મરવાનું છે. આપણે બધા દુઃખનું જીવન જીવી રહ્યા છીએ.

હાર્દિક પંડ્યા ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ ગયો; ટીમમાંથી બાકાત

મુંબઈ – ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડના પ્રવાસે જનારી ઈન્ડિયા-A ટીમમાંથી બાકાત થઈ ગયો છે, કારણ કે એ ફિટનેસ ટેસ્ટમાં પાસ થઈ શક્યો નથી.

ખેલાડીઓ માટે ફિટનેસ સાબિત કરવા માટે ક્રિકેટ બોર્ડે શનિવારે ફરજિયાત ટેસ્ટ રાખી હતી, પરંતુ હાર્દિક પંડ્યા એમાં આવશ્યક પોઈન્ટ્સ હાંસલ કરી શક્યો નહોતો.

હાર્દિકની જગ્યાએ ટીમમાં વિજય શંકરને સામેલ કરવામાં આવ્યો છે.

હાર્દિક પંડ્યા થોડાક મહિના પહેલાં પીઠની પીડા દૂર કરવા કરાવેલી સર્જરીમાંથી ધીમે ધીમે સાજો થઈ રહ્યો છે.

પરંતુ ઈન્ડિયા-A ટીમમાં સ્થાન ન મેળવી શકતાં રાષ્ટ્રીય સ્તરની ટીમમાં કમબેક કરવાના હાર્દિક પંડ્યાના પ્રયાસોને ધક્કો પહોંચ્યો છે.

એવું જાણવા મળ્યું છે કે હાર્દિક શનિવારે બે ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો, આનો મતલબ એ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કરવા માટે એ હજી તૈયાર નથી.

હાર્દિક એની પીઠની પીડાની સમસ્યાથી ગયા સપ્ટેંબર મહિનાથી ક્રિકેટથી દૂર છે. જો એ શનિવારની ટેસ્ટમાં પાસ થયો હોત અને ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં સામેલ થઈ શક્યો હોત તો એ ગયા સપ્ટેંબર પછીની એની પહેલી સ્પર્ધાત્મક શ્રેણી બની શકી હોત.

ઈન્ડિયા-A ટીમ ન્યૂઝીલેન્ડમાં 3 બિનસત્તાવાર એક-દિવસીય મેચો અને બે ટેસ્ટ મેચો રમવાની છે.

હજી થોડા જ સમય પહેલાં હાર્દિકે ઉપચારથી થયેલા ફાયદા દર્શાવતા અમુક વિડિયો સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યા હતા, જેમાં એ બોલને સરસ રીતે ફટકારતો જોઈ શકાયો હતો.

આઈપીએલ સ્પર્ધાની મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કોચ મહેલા જયવર્દનેને વિશ્વાસ હતો કે હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ માટે સુસજ્જ થઈ જશે. પરંતુ હવે જ્યારે હાર્દિક ટેસ્ટમાં નિષ્ફળ ગયો છે તેથી રાષ્ટ્રીય ટીમમાં એનું પુનરાગમન લંબાઈ શકે છે.

ભારતીય રાષ્ટ્રીય ટીમ ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે 3-વનડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી રમવાની છે.

ઈન્ડિયા-A ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જવા રવાના થઈ ચૂકી છે. ત્યાં ટીમ ન્યૂઝીલેન્ડ-A ટીમ સામે 50-ઓવરવાળી બે વોર્મ-અપ મેચ રમશે, 3 એક-દિવસીય મેચો રમશે અને ચાર-દિવસવાળી બે ટેસ્ટ મેચ રમશે.

હાર્દિકના કોચ કંઈક જૂદું કહે છે

દરમિયાન, હાર્દિકના કોચ એસ. રજનીકાંતને ટાંકીને એક અખબારી અહેવાલે કહ્યું છે કે ક્રિકેટ બોર્ડે હાર્દિકને કોઈ ફિટનેસ ટેસ્ટ કરાવવા કહ્યું નહોતું. વાસ્તવમાં હું હજી હાર્દિકની બોલિંગ ક્ષમતાની ચકાસણીની તાલીમ લઈ રહ્યો છું. એટલે એની પર આંતરરાષ્ટ્રીય મેચોમાં રમવાનો બોજો હજી હમણાં નાખવાની જરૂર નથી. એ 100% ફિટ છે, એમાં કોઈ શંકા નથી, પરંતુ હું ઈચ્છતો નથી કે એ બેક-ટુ-બેક ઈન્ટરનેશનલ મેચોમાં રમવાનો બોજો ઉઠાવે. ક્રિકેટ બોર્ડે પંડ્યાની હજી સુધી કોઈ ફિટનેસ ટેસ્ટ લીધી નથી, તેથી એ ટેસ્ટમાં નિષ્ફળ ગયો છે એનો કોઈ પ્રશ્ન જ ઉઠતો નથી.