Home Blog Page 4864

રેલવે સ્ટેશન પર વાંચવા મળશે વિવેકાનંદના જીવનને સાંકળી લેતા પુસ્તકો

સુરત: સ્વામી વિવેકાનંદની 157મી જન્મ જયંતિના પ્રસંગે બીજેપી સાંસદ સી.આર.પાટીલ દ્વારા સુરત સહિત નવસારી જિલ્લાના અલગ-અલગ રેલવે સ્ટેશનો પર ‘પુસ્તક પરબ’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આઠથી વધુ રેલવે સ્ટેશનો પર મુસાફરોને આ ‘પુસ્તક પરબ’ના માધ્યમથી સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર આધારિત પુસ્તકો નિઃશુલ્ક વાંચવાનો લ્હાવો મળશે.

સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર આયોજીત ‘પુસ્તક પરબ’ કાર્યક્રમ અંતર્ગત સાંસદ સી આર પાટીલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય યુવા દિવસના ઉપલક્ષ્યમાં દેશના નાગરિકો સ્વામી વિવેકાનંદના સંદર્ભે મહત્તમ જ્ઞાન મેળવે તે આશય સાથે સુરત, ઉધના, ભેસ્તાન, સચીન, મરોલી, નવસારી, અમલસાડ અને બિલીમોરા સહિતના રેલવે સ્ટેશનો પર પુસ્તક પરબના નામે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.

અંતર્ગત સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર સાંસદ સી આર પાટીલ જ્યારે નવસારી – બિલીમોરા રેલવે સ્ટેશન પર ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતા. જેમાં મુસાફરો સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર પર આધારિત પુસ્તકો તેમના અનુકુળ સમયે વાંચીને પુસ્તક પરબ ખાતે જ પરત કરવાની રહેશે. આ પ્રયાસનો એક માત્ર ઉદ્દેશ્ય મહત્તમ નાગરિકો સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર અને તેમના સામર્થ્યથી રૂબરૂ થાય એટલો માત્ર છે.  પુસ્તક પરબમાં સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર પર આધારિત 100થી વધુ પુસ્તક-પુસ્તિકાઓ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

પતંગના વેપારમાં મોંઘવારીનો મારઃ બજારમાં મંદીનો માહોલ

અમદાવાદઃ ઉત્તરાયણને આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. પરંતુ આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હોવાથી પતંગ રસિયાઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. રાજ્યમાં ક્યાંક ધુમ્મસ તો ક્યાંક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે અમદાવાદ સહિત વડોદરા, સુરત અને રાજકોટના પતંગ બજારના વેપારીઓ પણ ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે. ગ્રાહકો પણ આ વર્ષે મોંઘવારીની સાથે વાતાવરણમાં પણ પલટો આવતા અને વરસાદની આગાહી થતાં દર વર્ષની જેમ આ વર્ષે પતંગની ખરીદીમાં પણ ઢીલા પડ્યા છે. તે જોતા વેપારીઓનું માનવું છે કે, મોંઘવારીનો તો માર હતો તેની સાથે હવામાને પણ અમારો ધંધો બગાડી દીધો છે.

તો પતંગ દોરીના બજારમાં આ વર્ષે મંદીના માહોલ વચ્ચે આજે છેલ્લા દિવસે અમદાવાદના સૌથી મોટા પતંગ બજાર એવા કાલુપુર ટંકશાળ, દિલ્લી દરવાજા અને રાયપુર બજારમાં પતંગરસિયાઓ ભારે ભીડ જામી છે. ગઈકાલે રવિવારે રજાનો દિવસ હોવાથી પતંગ બજારમાં ભારે ભીડ જામી હતી. આજ સવારથી બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. પતંગ બજારમાં આ વર્ષે અવનવી પતંગ જોવા મળી રહી છે. બાળકો માટે કાર્ટુન્સની પતંગ, મોદી અને અમિત શાહની પતંગનો લોકોમાં વધુ ક્રેઝ જોવા મળ્યો છે.

શહેરના મુખ્ય બજારો એવા રાયપુર દરવાજા, ટંકશાળ, દિલ્હી દરવાજા સહિતના સ્થળોએ આજે મોડી રાત સુધી ખરીદી માટે ભીડ જામશે. અલગ અલગ જાતના અને જુદીજુદી વેરાઇટીના પતંગો હોય છે. ખંભાતીગોળ ઢાલ, જોધપુરી ઢાલ, ચાઇનીઝ- પ્લાસ્ટિકના પતંગ અને મોદીના ચહેરાવાળા પતંગોનું વેચાણ વધુ જોવા મળ્યું છે. તુક્કલ અને ફુગ્ગાઓનું તેના વર્ગ પ્રમાણે સારુ એવું વેચાણ થઇ રહ્યું છે. આ જ પ્રકારે દોરીના ભાવોમાં પણ 20થી 25 ટકાનો ભાવવધારો નોંધાયો છે. હાથથી ઘસેલી દોરી અને ડોઘલામાં રંગાતી દોરીના ભાવોમાં પણ તે પ્રમાણેનો વધારો જોવા મળી રહ્યો છે.

વડોદરાના પતંગ બજારમાં ઉત્તરાયણના 10 દિવસ પહેલાથી જ લોકો પતંગો સહિતની ખરીદી માટે લોકો ઉમટી પડતા હોય છે. ઉત્તરાયણ આગલા દિવસે હજારોની સંખ્યામાં લોકો પતંગ-દોરાની ખરીદી માટે ઉમટી પડે છે. શહેરના માંડવીથી ગેંડીગેટ રોડ પર પતંગોનું મોટું બજાર ભરાય છે અને રાત્રે 12 વાગ્યાથી પતંગોની હરાજી શરૂ થાય છે. જે વહેલી સવાર સુધી ચાલે છે. ચાર દરવાજા વિસ્તારમાં પતંગોનો મોટો વ્યવસાય છે. જોકે, વડોદરાનો વિકાસ અને વિસ્તાર વધતા હવે શહેરના હરણી રોડ, રાવપુરા રોડ, વાઘોડિયા રોડ, દિવાળીપુરા, રેસકોર્ષ સર્કલ, કારેલીબાગ મુક્તાનંદ ચાર રસ્તા, તરસાલી, માંજલપુર, ગોત્રી, સુભાનપુરા સહિતના વિસ્તારોમાં પતંગ બજારો શરૂ થઇ ગયા છે. વડોદરા શહેરમાં ઉતરાયણ નિમિત્તે અંદાજ પ્રમાણે રૂ.15થી રૂ.20 કરોડની પતંગો વેચાય છે. આ ઉપરાંત લોકોએ ટોપી, ગુંદરપટ્ટી, પિપૂડાં અને ચશ્મા, ટોપા વગેરે ખરીદવા માટેની ઉમટી પડે છે.

BSE SME પ્લેટફોર્મ પર 315મી કંપની ગિયાન લાઈફ કેર લિસ્ટ થઈ

મુંબઈ – બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 13 જાન્યુઆરી, 2020ના રોજ 315મી કંપની ગિયાન લાઈફ કેર લિ. લિસ્ટ થઈ હતી. ગિયાન લાઈફ કેરનો રૂ.10ની મૂળ કિંમતના 14,16,000 ઈક્વિટી શેર્સનો કુલ રૂ.311.52 લાખનો પબ્લિક ઈશ્યુ 3 જાન્યુઆરી, 2020ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ઈક્વિટી શેર્સ રૂ.22ની કિંમતે ઓફર કરવામાં આવ્યા હતા.

ગિયાન લાઈફ કેર ઉત્તર પ્રદેશ સ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ કાનપુરમાં છે. કંપની કાનપુર અને તેના નજીકના વિસ્તારોમાં ડાયગ્નોસ્ટિક અને તેના સંબંધિત હેલ્થકેર ટેસ્ટ સેવાઓ જેમ કે, પેશન્ટ ડાયગ્નોસ્ટિક સર્વિસ અને પ્રિવેન્શન એન્ડ વેલનેસ ડાયગ્નોસ્ટિક સર્વિસની વિશાળ શ્રેણી પૂરી પાડે છે.

બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટેડ 315 કંપનીઓએ 13 જાન્યુઆરી, 2020 સુધીમાં રૂ.3,281.95 કરોડની રકમ એકત્ર કરી છે અને તેમનું કુલ માર્કેટકેપિટલાઈઝેશન રૂ.18,218.75 કરોડ છે. બીએસઈ આ ક્ષેત્રમાં 60.46 ટકાના બજાર હિસ્સા સાથે માર્કેટ લીડર છે.

વાનખેડે સ્ટેડિયમમાં ભારત, ઓસ્ટ્રેલિયાની નેટ-પ્રેક્ટિસ…

વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમ અને આરોન ફિન્ચના નેતૃત્ત્વ હેઠળની ઓસ્ટ્રેલિયા ટીમ વચ્ચે 3-મેચોની સિરીઝની પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચ 14 જાન્યુઆરીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે. એની પૂર્વસંધ્યાએ, 13 જાન્યુઆરીએ બંને ટીમના ખેલાડીઓ મેદાન પર નેટ-પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. બીજી મેચ 17મીએ રાજકોટમાં અને ત્રીજી મેચ 19મીએ બેંગલુરુમાં રમાશે.
















પાકિસ્તાની ડ્રાઈવરે જ્યારે ભારતીય યુવતીનું ખોવાયેલું વોલેટ પાછું આપ્યું

નવી દિલ્હીઃ દુબઈના એક પાકિસ્તાની ડ્રાઈવરે ભારતીય યુવતીનું ખોવાયેલું પાકીટ પાછું આપ્યું છે. હકીકતમાં રૈશેલ રોજ નામની એક યુવતીનું પાકીટ ખોવાયું હતું, જેમાં તેના યૂકેના સ્ટૂડન્ટ વિઝા સહિત અન્ય જરુરી કાગળીયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર રૈશેલ રોજ નામની આ યુવતી દુબઈ ગઈ હતી અને પાછી આવવાના ત્રણ દિવસ પહેલા તેનું પાકીટ ખોવાયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર રૈશેલે 4 જાન્યુઆરીના રોજ મોદાસર ખાદિમની ટેક્સીમાં વોલેટ ભૂલી ગઈ હતી જ્યાં તે 8 જાન્યુઆરીના રોજ માન્ચેસ્ટર જવા નીકળી ગઈ હતી.

જ્યારે આ ઘટના ઘટી તો કેલેસ્ટર યૂનિવર્સિટીમાં કોર્પોરેટની લો ની વિદ્યાર્થીની પોતાના દોસ્તના જન્મ દિવસમાં જઈ રહી હતી. 4 જાન્યુઆરીના રોજ સાંજે સાડા સાત વાગ્યે તેણે પોતાના એક મિત્ર સાથે ટેક્સી લીધી હતી. ત્યાર બાદ તુરંત જ તેણે પોતાના એક અન્ય દોસ્તની બીજી કારમાં જોયો અને પછી તેની સાથે જ વેન્યુ પર જવાનો નિર્ણય કર્યો પછી રૈશેલ અને તેની બહેનપણી ટેક્સીમાંથી ઉતરી ગયા પરંતુ પોતાનું પાકીટ ટેક્સીમાં જ ભૂલી ગયા.

યુવતીના વોલેટમાં કેટલાક મહત્વના ડોક્યુમેન્ટ્સ હતા અને 1000 રુપિયાથી વધારેના દિરહમ પણ હતા. ટેક્સી ડ્રાઈવર ખાદિમે જ્યારે તેમને પોતાના વેન્યુ સુધી પહોંચાડ્યા બાદમાં તેમનું પાકીટ જોયું તો તેમાંથી કેટલાક કોન્ટેક્ટ નંબર નિકળ્યા. બાદમાં ખાદીમે રોડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીની મદદથી આ વોલેટને યુવતીના ઘર સુધી પહોંચાડ્યું.

મોદી-શાહ લોકોને ગેરમાર્ગે દોરે છે: સોનિયા ગાંધી

નવી દિલ્હી: નાગરિકતા કાયદા વિરુદ્ધ વિપક્ષી દળોની બેઠક પછી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, સરકાર લોકોને દબાવવા, નફરત ફેલાવવા અને લોકોને સાંપ્રદાયિકતાના આધારે ભાગલા પાડવાનો પ્રયત્ન કરી રહી છે. દેશમાં અભૂતપૂર્વ ડરનો માહોલ છે. બંધારણને નબડું પાડવામાં આવી રહ્યું છે અને તંત્રનો દુરપયોગ થઈ રહ્યો છે.

મહત્વનું છે કે, કોંગ્રેસે નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ એક સરખી વિચારધારા ધરાવતા તમામ રાજકીય પક્ષોને રણનીતિ બનાવવા માટે આમંત્રિત કર્યા હતા. પણ આ વિપક્ષી એકતામાં એક પછી એક તિરોડો પડતી ગઈ અને પહેલા મમતા અને ત્યારબાદ માયાવતી અને કેજરીવાલે પણ આ બેઠકમાં હાજરી આપવાથી દૂરી બનાવી લીધી.

બેઠકમાં સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. સોનિયા ગાંધીએ કહ્યું કે, યુવાઓ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્સન થયા છે, જેને દેશવાસીઓનું સમર્થન પણ મળ્યું હતું. સીએએ અને એનઆરસી આની પાછળ મુખ્ય કારણ રહ્યું છે. આ વિરોધ પ્રદર્શન લોકોની અંદરનો ગુસ્સો અને નિરાશાને દેખાડે છે, હવે આ ખુલીને બહાર આવી ગયો છે. દિલ્હી અને યૂપીમાં પોલીસની પ્રતિક્રિયા ક્રૂર અને પક્ષપાતપૂર્ણ રહી છે.

સોનિયા ગાંધીએ કહ્યું કે, લાગે છે કે, અસમમાં એનઆરસીએ બેક ફાયર કર્યું છે. મોદી શાહ સરકાર હવે થોડા મહિનામાં શરુ થનારી એનપીઆર પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. તેમણે કહ્યું કે, દેશભરમાં એનઆરસીને લાગુ કરવાને લઈને આ બધુ કરવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષી દળોની બેઠક પછી રાહુલ ગાંધીએ કહ્યું કે, યુવાઓની સમસ્યાઓને ઉકેલવાને બદલે નરેન્દ્ર મોદી દેશનું ધ્યાન ભટકાવવા અને સાંપ્રદાયિકતાના ભાગલા પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. યુવાઓની માગણીઓ યોગ્ય છે અને તેને દબાવવી ન જોઈએ, પણ સરકારે આ માગણીઓને સાંભળવી જોઈએ.

જેએનયુમાં દીપિકાની હાજરી: કંપનીઓમાં બ્રાન્ડવેલ્યુને લઈને ડર?

નવી દિલ્હી: જેએનયુમાં ડાબેરી વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજર રહ્યા બાદ દીપિકા અને તેની ફિલ્મ છપાકનો જબરજસ્ત વિરોધ શરુ થઈ ગયો હતો. જેની અસર ફિલ્મના બોક્સઓફિસ કલેક્શન પર પણ જોવા મળી રહી છે. હવે આ વિવાદને લઈને દીપિકાને મોડેલ તરીકે ઉપયોગ કરતી બ્રાન્ડ્સ પણ સતર્ક થઈ ગઈ છે. દેશમાં જાહેરાત અને ફિલ્મો માટે સૌથી વધુ પેમેન્ટ મેળવતી અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે પોતાની બ્રાન્ડનું નામ જોડાયેલું હોઈ મોટાભાગની કંપની સતર્કતા દાખવવા લાગી છે.

કેટલીક બ્રાન્ડ્સે કહ્યું કે જે જાહેરાતમાં દીપિકા હોય તેવી જાહેરખબર અમે હાલ દેખાડવી ઓછી કરી દીધી છે. તો ટોચના સ્ટાર્સના જાહેરખબરોના કોન્ટ્રાક્ટર માટે કામ કરતા મેનેજર્સનું કહેવું છે કે આગામી સમયમાં જાહેરખબરોના કરારમાં એ બાબત ઉમેરવામાં આવી શકે છે કે જે તે કલાકાર જો કોઈ રાજકીય પગલું ભરે તો તેનાથી સરકાર કે લોકોના વર્ગની નારાજગીથી કંપનીને થતા નુકસાન અંગેનો ઉલ્લેખ હોઈ શકે છે. કોકા-કોલા અને અમેઝોન જેવી કંપનીઓને રિપ્રેઝેન્ટ કરતી IPG મીડિયાબ્રાન્ડ્સમાં ચીફ એક્જેક્યુટિવ શશિ સિન્હાએ કહ્યું કે, ‘સામાન્ય રીતે કંપનીઓ અને બ્રાન્ડ્સ હંમેશા સુરક્ષિત દાવ જ રમવા માગે છે. તેઓ કોઈપણ જાતના વિવાદથી બચવા માગે છે.

ઉલ્લેખનીય છે કે, પોતાની ફિલ્મ છપાકની રિલીઝના 3 દિવસ પહેલા જ દીપિકા 7 જાન્યુઆરીના રોજ JNU કેમ્પસ પહોંચી હતી. અહીં તે JNU વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઈશી ઘોષ પાસે ઉભેલી જોવા મળી. તેની આ તસવીર સામે આવતા ડાબેરી વિચારધારા તરફ ઝોક ધરાવતા કલાકારોથી લઈને મંત્રીઓએ તેના સાહસના વખાણ કર્યા હતા. તો જમણેરી વિચારધારા સાથે સંકળેયાલા તમામે તેના પર નિશાન સાધ્યું હતું. ટ્રોલર્સે પણ તેને આ માટે ટ્રોલ કરી હતી. બાયકોટ છપાકના વિરોધ વચ્ચે ફિલ્મે પ્રથમ બે દિવસમાં 11.67 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મનો કુલ ખર્ચ 35 કરોડ જેટલો છે.

દીપિકા બ્રિટાનિયાના ગુડ ડે, લોરિયલ, તનિષ્ક, વિસ્તારા એરલાઇન્સ અને એક્સિસ બેંક સહિત 23 બ્રાન્ડ માટે જાહેરખબર કરે છે. દીપિકાની નેટવર્થ 103 કરોડની છે. ટ્વિટર પર તેના 2.68 લાખ ફોલોઅર્સ છે. કહેવાય છે કે એક ફિલ્મ માટે દીપિકા 10 કરોડ અને એક જાહેરખબર માટે 8 કરોડ રુપિયા લે છે.

સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડોઃ સોનું 40,432 ના ભાવે

નવી દિલ્હીઃ સોનાના ભાવમાં સોમવારના રોજ જબરદસ્ત ઘટાડો નોંધાયો છે. એચડીએફસી સિક્યુરીટીઝ અનુસાર વૈશ્વિક સ્તર પર ભારે વેચવાલી અને રુપિયો મજબૂત થવાથી સોમવારના રોજ રાષ્ટ્રીય રાજધાનીમાં સોનું 236 રુપિયાના ઘટાડા સાથે 40,432 રુપિયા પ્રતિ દસ ગ્રામના સ્તર પર આવી ગયું છે. ગત સત્રમાં સોનું 40,668 રુપિયા પ્રતિ દસ ગ્રામના સ્તર પર બંધ થયું હતું. દિલ્હીમાં ચાંદીની કીંમતમાં 376 રુપિયાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. શહેરમાં ચાંદી સપ્તાહના પ્રથમ સત્રમાં 47,635 રુપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયું. ગત સત્રમાં ચાંદી 48,011 પ્રતિ કિલોગ્રામના સ્તર પર બંધ થયું હતું.  

HDFC Securities માં સીનિયર એનાલિસ્ટ તપન પટેલે કહ્યું કે, ભારે વેચવાલી અને મજબૂત રુપિયાના કારણે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ સોમવારના રોજ પ્રતિ દસ ગ્રામ 236 રુપિયા જેટલો ઘટી ગયો. દિવસના વ્યાપારમાં ડોલરના મુકાબલે રુપિયો 13 પૈસા મજબૂત થઈ ગયો.

આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક સ્તર પર સોનાનો ભાવ 1,550 ડોલર પ્રતિ ઓંસ થઈ ગયું છે. તો પ્રતિ ઓંસ ચાંદીનું મૂલ્ય 17.97 ડોલર રહ્યું.

મહિલા ક્રિકેટર જૂલન ગોસ્વામીની બાયોપિકમાં અનુષ્કા મુખ્ય ભૂમિકા કરશે?

મુંબઈ – અનુષ્કા શર્મા છેલ્લે ‘ઝીરો’ ફિલ્મમાં જોવા મળી હતી. એ ફિલ્મ બોક્સ ઓફિસ પર સદંતર પીટાઈ ગઈ હતી. 2019નું આખું વર્ષ અનુષ્કા ફિલ્મોથી દૂર રહી હતી. એનાં પ્રશંસકો અનુષ્કા સ્ક્રીન પર પાછી ફરે એ જોવા માટે ખૂબ આતુર છે.

આખરે અનુષ્કા રૂપેરી પડદા પર પાછી ફરવા સજ્જ થઈ ગઈ છે. એની નવી ફિલ્મ ભારતની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટ કેપ્ટન અને પશ્ચિમ બંગાળનિવાસી ફાસ્ટ બોલર જુલન ગોસ્વામીનાં જીવન પર આધારિત બાયોપિક હશે.

એક અહેવાલ મુજબ, અનુષ્કા આવતી 25 જાન્યુઆરીથી કોલકાતામાં જૂલન ગોસ્વામી બાયોપિક ફિલ્મનું શૂટિંગ શરૂ કરે એવી ધારણા છે.

અનુષ્કા ગઈ કાલે રવિવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે જૂલન ગોસ્વામી સાથે જોવા મળી હતી. અનુષ્કા ક્રિકેટરનાં ડ્રેસમાં સજ્જ થઈ હતી. કહેવાય છે કે એ જુલનની બોલિંગ સ્ટાઈલ તથા એની બીજી સ્ટાઈલને અપનાવવાની કોશિશ કરી રહી છે.

જુલન ગોસ્વામી જમણેરી મધ્યમ ઝડપી બોલર ઓલરાઉન્ડર તરીકે રમી છે. 2002માં એણે કારકિર્દીનો આરંભ કર્યો હતો અને હજી પણ રમી રહી છે.

અત્યાર સુધીમાં એ 10 ટેસ્ટ મેચ, 177 વન-ડે ઈન્ટરનેશનલ અને 68 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમી ચૂકી છે. ટેસ્ટમેચોમાં એણે 283 રન કર્યા અને 40 વિકેટ લીધી છે. વન-ડે ક્રિકેટમાં 1061 રન કર્યા છે અને 218 વિકેટ લીધી છે જ્યારે ટ્વેન્ટી-20 ક્રિકેટમાં 405 રન કર્યા છે અને 56 વિકેટ લીધી છે. એ 2008થી 2011ની સાલ સુધી ભારતની કેપ્ટન રહી હતી.

જુલન ગોસ્વામીને 2007માં આઈસીસી મહિલા પ્લેયર ઓફ ધ યર ઘોષિત કરવામાં આવી હતી. એ ભારતની સૌથી સફળ મહિલા ક્રિકેટરોમાંની એક છે.

2010માં એને ‘અર્જૂન એવોર્ડ’ આપવામાં આવ્યો હતો અને 2012માં ‘પદ્મશ્રી’ ખિતાબથી એને નવાજવામાં આવી હતી.

જાણીતી વ્યક્તિઓની બાયોપિક ફિલ્મ બનાવવાનો બોલીવૂડમાં છેલ્લા કેટલાક વખતથી ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ભૂતપૂર્વ મહિલા ક્રિકેટ કેપ્ટન મિતાલી રાજનાં જીવન પર આધારિત હિન્દી ફિલ્મ બનાવવાનું પણ નિર્માણ હેઠળ છે. એમાં તેની ભૂમિકા તાપસી પન્નૂ કરવાની છે.

દિગ્દર્શક કબીર ખાને 1983માં ભારતે મેળવેલા ઐતિહાસિક ક્રિકેટ વર્લ્ડ કપ વિજય પર આધારિત હિન્દી ફિલ્મ ’83’ બનાવી છે જેમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવની ભૂમિકા રણવીર સિંહે કરી છે.

વોલમાર્ટે ભારતમાં 56 કર્મચારીઓને છૂટા કર્યા

મુંબઈ – અમેરિકાસ્થિત ગ્લોબલ રીટેલ કંપની વોલમાર્ટની ભારતસ્થિત પેટાકંપની વોલમાર્ટ ઈન્ડિયાએ ભારતમાં 56 કર્મચારીઓને છૂટા કરી દીધા છે. આમાં આઠ સિનિયર મેનેજમેન્ટ સ્તરના છે.

કંપનીએ તેની પુનઘર્ડતર પ્રક્રિયા શરૂ કરી છે અને તેના ભાગરૂપે એણે 56 કર્મચારીઓને છૂટા કર્યા છે.

વોલમાર્ટ ઈન્ડિયા ભારતમાં 28 કેશ-એન્ડ-કેરી સ્ટોર્સ ચલાવે છે. આ સ્ટોર્સને વધારે સરસ રીતે ચલાવવાનો તે પ્લાન ઘડી રહી છે.

વોલમાર્ટ ઈન્ડિયાના પ્રેસિડન્ટ અને સીઈઓ ક્રિશ ઐયરે એક નિવેદનમાં જણાવ્યું છે કે અમે અમારા સ્ટોર્સને વધારે કુશળતાપૂર્વક ચલાવવા માગીએ છીએ. એ માટે અમારે અમારા કોર્પોરેટ સ્ટ્રક્ચરની સમીક્ષા કરવી આવશ્યક છે, જેથી અમે યોગ્ય રીતે ઓર્ગેનાઈઝ થઈ શકીએ. આ સમીક્ષાના ભાગરૂપે અમે કોર્પોરેટ ઓફિસમાં તમામ સ્તરે અમારા 56 સહયોગીઓને છૂટા કર્યા છે.

આ 56 જણમાં 8 જણ સિનિયર મેનેજમેન્ટ સ્તરે છે અને 48 જણ મધ્યમ તેમજ નીચલા સ્તરના મેનેજમેન્ટમાં છે.

ઐયરે જોકે એક સ્પષ્ટતા કરી છે કે કંપની આવતા એપ્રિલ મહિનામાં રીસ્ટ્રક્ચરિંગનો બીજો રાઉન્ડ લાવવાની નથી. એ વિશેની બધી અફવાઓ પાયાવિહોણી અને ખોટી છે.

વોલમાર્ટે ભારતમાં છ નવા બેસ્ટ પ્રાઈસ મોડર્ન હોલસેલ સ્ટોર્સ શરૂ કર્યા છે અને 2019માં કંપનીનું વેચાણ 22 ટકા જેટલું વધ્યું હતું. કંપની વાસ્તવિક (બ્રિક એન્ડ મોર્ટર અથવા નોર્મલ) સ્ટોર્સ તથા ઈ-કોમર્સ બિઝનેસમાં વધુ મૂડીરોકાણ કરવાની છે.

ઉલ્લેખનીય છે કે 2018માં વોલમાર્ટે ભારતની ઈ-કોમર્સ રીટેલર કંપની ફ્લિપકાર્ટમાં 16 અબજ ડોલરમાં બહુમતી હિસ્સો ખરીદી લીધો હતો અને ત્યારબાદ કંપનીના બ્રિક એન્ડ મોર્ટર બિઝનેસમાં છટણીઓ કરવાનું શરૂ કર્યું હતું.

વોલમાર્ટનો મુકાબલો હરીફ ગ્લોબલ કંપની એમેઝોન સાથે છે. આ બંને કંપની વચ્ચે ભારતમાં ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે.

વોલમાર્ટે 2014માં ભારતમાં પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો અને પહેલો સ્ટોર લખનઉ અને હૈદરાબાદમાં ઈ-કોમર્સ બિઝનેસ શરૂ કર્યો હતો. બાદમાં એણે બીજા સ્ટોર્સ પણ શરૂ કર્યા હતા.