Home Blog Page 4870

જેએનયુ હિંસા: દિલ્હી પોલીસની કામગીરી પર શંકાના વાદળો

નવી દિલ્હી: જેએનયુમાં થયેલી હિંસાને લઈને શુક્રવારે દિલ્હી પોલીસ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરીને કેટલાક તથ્યોને સામે રાખ્યવાનો પ્રયત્ન કર્યો. પણ દિલ્હી પોલીસ અધૂરી તૈયારીઓ સાથે મીડિયાની સામે આવી હતી. પોલીસે બંને પક્ષોના હુમલાખોરોની તસવીરો જાહેર કરી. જેમાં એક તસવીરમાં નામ કોઈનું અને વ્યક્તિ કોઈ બીજી જ હવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પોલીસ પર ભેદભાવનો પણ આરોપ લાગી રહ્યો છે કારણ કે, તેમણે ડાબેરીપક્ષોના આરોપી હુમલાખોરોનું નામ લીધું પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)નું નામ લેવાથી દૂરી રાખી હતી.

એક વિડિયોમાં 5 જાન્યુઆરીએ બપોરે 3.45 વાગ્યે કેટલાક બુકાનીધારી વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે જે કદાજ પેરિયાર હોસ્ટેલ જઈ રહ્યા હતાં. તેમની સાથે જેએનયુ વિદ્યાર્થી સંઘની અધ્યક્ષા આઈશી ઘોષ પણ દેખાઈ રહી છે. જોકે, વિડિયોમાં કોઈના હાથમાં હથિયાર નથી. બીજી તરફ બુકાનીધારીની એક ભીડ હથિયાર લઈને રાતે આવી અને તેમણે સાબરમતી હોસ્ટેલ પર હુમલો કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ હુમલો દિવસે કરેલા હુમલાનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો. બીજો હુમલો ઘણો ઉગ્ર હતો. આઈશી અને એક પ્રોફેસરના માથા પર ઈજા થઈ અને કુલ 36 લોકો ઘાયલ થયાં.

નજરે જોનારાઓનું કહેવું છે કે, હુમલો એબીવીપી દ્વારા કરાવવામાં આવ્યો છે. થોડા સમય પછી એબીવીપી સભ્યોની કેટલીક તસવીરો સામે આવી જેમાં તેઓ લાકડી હાથમાં લઈને કેમ્પસની અંદર જોવા મળી રહ્યા છે. આ સાથે જ આ હુમલામાં એ લોકો પણ સામેલ હોવાની શંકા મજબૂત બની જાય છે. પણ જ્યારે પોલીસે પ્રથમ વખત જેએનયુ હિંસામાં સામેલ આરોપીઓ અંગે જણાવ્યું તો તેમનો ઈશારો લેફ્ટીસ તરફ હતો.

પોલીસે કુલ 9 લોકોના નામ લીધા જેમાંથી 7 લોકો લેફ્ટથી છે. આ લોકોમાં આઈશી ઘોષનું નામ પણ છે જે જેએનયુ વિદ્યાર્થીસંઘની અધ્યક્ષ છે. પોલીસે યોગેન્દ્ર ભારદ્વાજની તસવીર પણ જાહેર કરી છે જે જેએનયુમાં એબીવીપીના સભ્ય છે અને કહેવામાં આવી રહ્યું છે કે, ભારદ્વાજે જ આ હુમલાની યોજના ઘડી હતી. અન્ય એક વિદ્યાર્થીની તસવીર પણ જાહેર કરવામાં આવી છે જેનું નામ વિકાસ પટેલ બતાવવામાં આવી રહ્યું છે જે ખોટું છે. આ વિદ્યાર્થીનું નામ શિવ પૂજન છે, જે એબીવીપી સાથે જોડાયેલો છે.

તપાસ પર ઉઠેલા સવાલો અને સોશિયલ મીડિયામાં ચોતરફી ટીકાનો ભોગ બન્યા પછી પોલીસે તાત્કાલિક વિકાસ પટેલની સાચી તસવીર જાહેર કરી. પણ આ ઘટના બાદ પોલીસની થિયરી પર અનેક સવાલો ઉભા થયાં છે. જો પોલીસ તમામ લેફ્ટ વિદ્યાર્થી સંગઠનોના નામ લઈ રહી છે તો એબીવીપીનું નામ શા માટે નથી લઈ રહી અને બીજું કે, 5 તારીખે જે બુકાનીધારીઓ જેએનયુમાં દાખલ થયા તેના અંગે હજુ સુધી પોલીસ કેમ કોઈ જાણકારી નથી આપી રહી.

તાન્હાજી અને છપાકનો બોક્સ ઓફિસ પર સપાટો

નવી દિલ્હી: દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકને લઈને પહેલાથી જ દર્શકોમાં ભારે ક્રેઝ જોવા મળ્યો હતો.  બોક્સ ઓફિસ ઈન્ડિયાના જણાવ્યા મુજબ આ છપાક ફિલ્મે પ્રથમ દિવસે 6 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ પ્રોડ્યુસરોને આશા છે કે, ફિલ્મ શનિવાર અને રવિવારે શાનદાર કમાણી કરશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણે તેમના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે અને ફિલ્મમાં દીપિકાની એક્ટિંગના વખાણ પણ કરી રહ્યા છે.

તો આ જ સપ્તાહે રિલિઝ થયેલી ફિલ્મ તાન્હાજી એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મે પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર 15.10 કરોડ રૂપિયાની કમાણી સાથે તોફાની ઓપનિંગ કર્યું છે. આ ફિલ્મની કમાણીની જાણકારી તરણ આદર્શે ટ્વીટ કરીને આપી છે.

દીપિકા પાદુકોણની છપાકનું બજેટ લગભગ 35 કરોડ બતાવવામાં આવી રહ્યું છે. છપાકની કહાની માલતી એટલે કે દીપિકા પાદુકોણની છે જે એસિડ એટેક પીડિતા છે અને આ ઘટના છતા તે પોતાની જિંદગીની જંગ પૂરી તાકત અને હિમ્મત સાથે લડી રહી છે. માલતીની આ જંગમાં તેમનો સાથ આપી રહ્યા છે અમોલ (વિક્રાંત મેસે) અને તેમની વકીલ (મધુરજીત સર્ગી). સમગ્ર ફિલ્મ માલતીના સંઘર્ષ અને ઈચ્છાશક્તિ તરફ ઈશારો કરે છે.

શશિ થરુરે કેજરીવાલ પર કર્યા પ્રહારોઃ કહ્યું તેઓ લાચાર મુખ્યમંત્રી છે

નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ શશિ થરુરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લાચાર મુખ્યમંત્રી ગણાવ્યા છે. થરુરે કહ્યું કે, જવાહર લાલ નહેરુ યૂનિવર્સિટીમાં થયેલી હિંસા બાદ દિલ્હીના મુખ્યમંત્રીએ ઘાયલ વિદ્યાર્થીઓને મળવાનું પણ જરુરી ન સમજ્યું. કોંગ્રેસ સાંસદે કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદાને લઈને હજી સુધી આમ આદમી પાર્ટીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી.

થરુરે કહ્યું- કેજરીવાલ કદાચ ઈચ્છે છે કે, નાગરિકતા સંશોધન કાયદાના વિરોધી અને સમર્થક બંને તેમના તરફ હતા. તેથી તેઓ આ મુદ્દે કોઈ મજબૂત સ્ટેન્ડ ન લઈ શક્યા. જો તેઓ આ મામલે કઈ બોલી જ નથી શકતા તો લોકોએ કયા આધારે કેજરીવાલને વોટ આપવા જોઈએ.

થરુરે દાવો કર્યો છે કે, કેજરીવાલે એક સમયે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિતને લાચાર મુખ્યમંત્રી ગણાવ્યા હતા. હવે તેમણે જાતે પોતાનું એ ટ્વિટ વાંચવુ જોઈએ. શું લોકો આવા મજબૂર મુખ્યમંત્રી ઈચ્છે છે કે તેમના બાળકો સાથે લાઠીચાર્જ થાય અને મુખ્યમંત્રી તેમને મળવા પણ ન જઈ શકે.

થરુરે કહ્યું- હું નથી જાણતો કે કેજરીવાલ કોનો આદેશ સાંભળી રહ્યા છે. પણ તમને કોણે કહ્યું કે, વિદ્યાર્થીઓ સાથે થયેલી હિંસા સામે ન બોલશો, તેમને ન મળશો અથવા પછી નાગરિકતા સંશોધન કાયદા મામલે સ્પષ્ટ સ્ટેન્ડ ન લેશો? તમે તો મુખ્યમંત્રી છો. બીજુ કોઈ નથી જે તમને આદેશ આપે.

5 જાન્યુઆરીએ JNUના કેમ્પસમાં બુકાનીધારીઓએ શિક્ષકો અને વિદ્યાર્થીઓ પર રૉડ અને પથ્થરથી હુમલો કર્યો હતો. જેમાં 30થી વધારે લોકો ઘાયલ થયા હતા. દિલ્હી પોલીસે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં આ મામલે JNUSU અધ્યક્ષ આઈશી ઘોષ સહિત 9 વિદ્યાર્થીઓની ઓળખ જાહેર કરી હતી. કેજરીવાલે JNU હિંસા વિશે કહ્યું હતું કે, પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી કારણકે તેમને કેન્દ્ર તરફથી આદેશ હતો કે હસ્તક્ષેપ ન કરવો.

યૂપીના કન્નોજમાં ભયંકર અકસ્માતઃ બસમાં આગ લાગતા 21 લોકો જીવતા ભૂંજાયા

કન્નોજઃ ઉત્તર પ્રદેશના કન્નૌજમાં શુક્રવારે ફર્રુખાબાદથી જયપુર જઈ રહેલી સ્લીપર બસમાં ટ્રકે સામેથી જોરદાર ટક્કર મારી દેતા ભીષણ અકસ્માત સર્જાયો. જેનાથી ટ્રક અને બસમાં જોરદાર વિસ્ફોટ થયો અને આગ લાગી. આ અકસ્માતમાં 21 લોકો જીવતા ભૂંજાઈ ગયાં. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે કન્નૌજના ડીએમ અને એસપીને ઘાયલ મુસાફરોના ઉપચાર માટે દરેક શક્ય પગલાં લેવાના નિર્દેશ આપ્યા છે. પીએમ મોદીએ  પણ ટ્વીટ કરીને આ અકસ્માત પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે ઉત્તર પ્રદેશના કન્નૌજમાં થયેલા ભીષણ રોડ અકસ્માત અંગે જાણીને અત્યંત દુ:ખ થયું. આ દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યાં. હું મૃતકોના પરિજનો પ્રત્યે મારી સંવેદનાઓ વ્યક્ત કરું છું અને સાથે જ ઘાયલો જલદી સાજા થાય  તેવી કામના કરું છું.

પ્રાપ્ત વિગતો અનુસાર, બસમાં લગભગ 45 લોકો સવાર હતાં આ અકસ્માતમાં બસમાં લાગેલી આગમાં 21 લોકો માર્યા ગયાં. જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમને સારવાર માટે તિર્વા મેડિકલ કોલેજ અને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અહીં તેમની સારવાર ચાલુ છે.

અકસ્માત બાદ ઉત્તર પ્રદેશના ડીજીપી ઓપી સિંહે મીડિયાને કહ્યું કે રાહત અને બચાવ કાર્યના નિર્દેશ આપ્યા છે. અકસ્માત ખુબ જ દુ:ખદ છે. શક્ય તમામ મદદના પ્રયત્નો થઈ રહ્યાં છે. અમારી પ્રથમ પ્રાથમિકતા લોકોને બચાવવાની હતી. બસમાં આગ સંપૂર્ણ રીતે કાબુમાં લેવાઈ છે. ભીષણ આગમાં બળી ચૂકેલા મૃતદેહોની ઓળખ ચાલુ છે. આ માટે ડીએનએ ટેસ્ટની મદદ લેવાશે. તપાસ ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. જ્યારે ફોરેન્સિક ટીમને પણ મોકલવામાં આવી છે.

યુપી ડીજીપી ઓ પી સિંહે જણાવ્યું કે બસ-ટ્રકમાંથી કોઈ એકમાં જ્વલનશીલ પદાર્થ હતો જેના કારણે વિસ્ફોટ સાથે આગ લાગી. કાનપુર એડીજી જોન પ્રેમપ્રકાશને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યાં.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ છિબરામઉથી 5 કિમી આગળ જીટી રોડ પર ગ્રામ ધિલોઈ પાસે ધુમ્મસના કારણે આ ભયાનક અકસ્માત થયો. ભીડંતથી ટ્રકની ડીઝલ ટેંક ફાટી ગઈ અને આગ લાગી. જેણે બસને પણ તેની ચપેટમાં લીધી. થોડીવારમાં બસ આગનો ગોળો બની ગઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે સ્લીપર બસમાં ફસાયેલા મુસાફરોને બહાર નીકળવાની તક સુદ્ધા ન મળી. લગભગ ડઝન જેટલા મુસાફરોએ યેનકેન પ્રકારે કૂદીને પોતાનો જીવ બચાવ્યો.

આખરે ઈરાને સ્વીકાર્યુંઃ હા ભૂલથી અમે જ યુક્રેનનું વિમાન તોડી પાડ્યું હતું

તેહરાન: તેહરાનથી ઉડાણ ભર્યા બાદ ગણતરીની પળોમાં ક્રેશ થયેલા યુક્રેનના વિમાનને તોડી પાડવાની જવાબદારી આખરે ઈરાને લીધી છે. ઈરાન સરકાર તરફથી અપાયેલા નિવેદનમાં કહેવાયું છે કે ઈરાની મિસાઈલોએ જ વિમાનને ભૂલથી નિશાન બનાવ્યું હતું. આ વિમાન અકસ્માતમાં 176 લોકોના મોત થયા હતાં. જેમાં ઈરાનના 82, અને કેનેડાના 63 મુસાફરો હતા. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન જેવા દેશો પહેલેથી જ ભૂલથી વિમાન ઈરાનની મિસાઈલોનો શિકાર બન્યું હોવાની વાત કરતા હતાં.

ઈરાનની નાગરિક ઉડ્ડયન વિભાગ સાથે બેઠક બાદ પહેલેથી જ આ અંગેની આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી. હવે ઈરાન પ્રશાસને નિવેદન બહાર પાડીને કહ્યું કે યુક્રેનનું વિમાન માનવીય ભૂલના કારણે નિશાન બન્યું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા હતાં. યુક્રેન ઈન્ટરનેશનલનું વિમાન બોઈંગ 737-800 ટેક ઓફની ગણતરીની મિનિટોમાં ક્રેશ થયું હતું. પ્રાથમિક તપાસમાં આ વિમાન ટેક્નિકલ ખામીના કારણે ક્રેશ થયું હોવાનું કહેવાયું  હતું.

ઈરાને ઓસ્ટ્રેલિયા અને કેનેડાના દાવા વચ્ચે શુક્રવારે કહ્યું હતું કે યુક્રેનનું વિમાન ઈરાનની મિસાઈલનો ભોગ બન્યું નથી. અત્રે જણાવવાનું કે કમાન્ડર કાસિમ સુલેમાની અમેરિકાની એર સ્ટ્રાઈકમાં માર્યો ગયો તેનો બદલો લેવા માટે ઈરાને ઈરાકમાં રહેલા અમેરિકી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે મિસાઈલો છોડી હતી. આ દરમિયાન જ યુક્રેનનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. હવે ઈરાને સ્વીકાર્યું કે આ એક માનવીય ભૂલના કારણે થયું અને ઈરાનની મિસાઈલથી જ વિમાન ક્રેશ થયું.

વિવાદાસ્પદ બનેલો નાગરિકતા સુધારિત કાયદો (CAA) અમલમાં

નવી દિલ્હી – કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેરાત કરી છે કે નાગરિકતા (સુધારિત) કાયદો અથવા CAA 10 જાન્યુઆરી, 2020ની તારીખથી દેશમાં અમલમાં આવી ગયો છે.

ગેઝેટ નોટિફિકેશનમાં ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે આ કાયદો 10 જાન્યુઆરીથી અમલમાં આવી ગયો છે, જે અંતર્ગત પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ભારતમાં આવેલા બિન-મુસ્લિમ નિરાશ્રીતોને નાગરિકત્વ આપવામાં આવશે.

નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે આ કાયદાની તમામ જોગવાઈઓ 10 જાન્યુઆરીથી અમલમાં આવી ગઈ છે.

CAA કાયદાને સંસદે 2019ની 11 ડિસેંબરે મંજૂરી આપી દીધી હતી.

આ કાયદા અનુસાર, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક અત્યાચારોનો ભોગ બનેલા અને 2014ની 31 ડિસેંબર સુધીમાં ભારતમાં આશરો લેવા આવી પહોંચેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી લોકોને ગેરકાયદેસર વસાહતીઓ તરીકે ગણવામાં નહીં આવે અને એમને ભારતનું નાગરિકત્વ આપવામાં આવશે.

આ કાયદા સામે જોકે દેશના અનેક ભાગોમાં વિરોધ થયો છે.

આ કાયદાનો વિરોધ કરનારાઓનું કહેવું છે કે ભારતમાં આ પહેલી જ વાર ધર્મના આધારે નાગરિકતા આપવામાં આવી રહી છે. આ પ્રથા દેશના બંધારણના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. ભારતનું બંધારણ બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર તરીકેનું છે.

તે છતાં સરકાર અને શાસક ભારતીય જનતા પાર્ટી આ કાયદાનો જોરદાર રીતે બચાવ કરે છે અને કહ્યું છે કે ઉક્ત ત્રણ દેશમાં ધાર્મિક ભેદભાવને કારણે અત્યાચારોનો ભોગ બનેલા લઘુમતી સમુદાયોનાં લોકોને ભારતમાં આવ્યા સિવાય બીજો કોઈ છૂટકો રહ્યો નહોતો.

ગૃહ મંત્રાલયે જોકે આ કાયદા માટે નિયમો ઘડવાના હજી બાકી છે.

રહાણેએ વડાપાવ સાથે તસવીર શેર કરી તો સચિને આપ્યો આ જવાબ

નવી દિલ્હી: ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેએ વડાપાવ સાથે પોતાની એક તસવીર શેર કરી છે. સાથે તેમણે તેમના ચાહકોને સવાલ પૂછયો છે કે, તમને કયા પ્રકારનું વડાપાવ પસંદ છે. રહાણેએ એ તસવીર ટ્વિટ કરતા લખ્યું કે, તમને તમારું વડાપાવ કયા પ્રકારનું પસંદ છે?

ચા સાથે વડાપાવ, ચટણી સાથે વડાપાવ કે માત્ર એકલું વડાપાવ. રહાણેના આ ટ્વિટ પર તેમના અનેક પ્રશંસકોએ પ્રતિક્રિયા આપી પણ રહાણેના સવાલનો મહાન ક્રિકેટર સચિન તેડુંલકરે પણ જવાબ આપ્યો છે. સચિને પણ જણાવ્યું કે તેમને કયા પ્રકારનું વડાપાવ પસંદ છે.

સચિને રહાણેના ટ્વિટનો જવાબ આપતા લખ્યું કે, ‘મને વડાપાવ લાલ ચટણીની સાથે પસંદ છે, જેમાં થોડી લીલી ચટણી અને થોડી ખાટી ચટણી ભેળવેલી હોય આ કોમ્બિનેશન મને લાજવાબ લાગે છે. જેનો જવાબ આપતા રહાણેએ લખ્યું કે, ગ્રેટ કોમ્બિનેશન.

ઉલ્લેખનીય છે કે, 46 વર્ષીય સચિનને વડાપાવ ખૂબ જ પસંદ છે. સચિને અગાઉ મારઠી ચેનલને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મને મારા પુત્ર અર્જૂન સાથે શિવાજી પાર્ક જીમખાનામાં વડાપાવ ખાવું ખૂબ જ પસંદ છે.

મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આવ્યો જીવ, નવેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.8 ટકાની વૃદ્ધિ

નવી દિલ્હી: બજેટ પહેલા આર્થિક મોરચે સરકાર માટે રાહતના સમાચાર છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વૃદ્ધિને પગલે નવેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.8 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. સતત ત્રણ મહિનામાં ઘટાડા પછી ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ આવી છે. શુક્રવારે જાહેર કરાયેલા સરકારી આંકડામાં આ જાણકારી આપવામાં આવી છે.

2019ના કેલેન્ડર વર્ષનો બીજો હાફ દેશના અર્થતંત્રને હંફાવી રહ્યો હતો પરંતુ, નવેમ્બર અને ડિસેમ્બર માસના આંકડા દેશની આર્થિક પ્રવૃતિઓ ફરી સુધારાના પાટે ચઢી રહી હોવાના સંકેત આપી રહી છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં જીએસટી કલેકશન 1 લાખ કરોડને પાર નીકળ્યું છે.

નવેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદન આંક એટલે કે ઇન્ડેક્સ ઓફ ઇન્સ્ટ્રીયલ પ્રોડક્શન (IIP) વધીને 1.8 ટકા નોંધાયો છે જે છેલ્લા ચાર મહિનાનો સૌથી ઊંચો ઉત્પાદન વૃદ્ધિદર છે. સતત બે મહિના નકારાત્મક રહ્યા બાદ આઇઆઇપી ગ્રોથમાં રિકવરી જોવા મળી છે. એક વર્ષ પહેલા નવેમ્બર 2018માં આઈઆઈપીમાં 0.2 ટકાની વૃદ્ધિ થઈ હતી.  જ્યારે ઓક્ટોબરમાં IIP ગ્રોથ 3.9 ટકા નકારાત્મક રહ્યો હતો.

NSO દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, નવેમ્બર 2019માં માઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન અનુક્રમે 1.7 ટકા અને 2.7 ટકા વધ્યું છે. જો કે ઇલેક્ટ્રીસિટી જનરેશન 5 ટકા ઘટ્યું છે.  આ સાથે ચાલુ નાણાંકીય વર્ષ 2019-20ના એપ્રિલથી નવેમ્બર સુધીના પ્રથમ આઠ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિદર 0.6 ટકા નોંધાયો છે જ્યારે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં IIP ગ્રોથ 5 ટકા નીચો રહ્યો હતો.

દેશના મહત્વપૂર્ણ 23માંથી 13 ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન વૃદ્ધિદર નવેમ્બર 2019માં નકારાત્મક રહ્યો છે. વપરાશ આધારિત છ માંથી 4 સેક્ટરનું ઉત્પાદન ઘટ્યું છે. જેમાં ઇન્ટરમીડિયેટ ગુડ્સ સેક્ટરનું ઉત્પાદન ઝડપથી 17.1 ટકા વધ્યું છે અને જે ગ્રામીણ માંગનો નિર્દેશાંક મનાય છે તેવા કન્ઝ્યુમર નોન-ડ્યુરેબલ્સનું ઉત્પાદન બે ટકા વધ્યું છે. જોકે બીજી બાજુ મૂડીરોકાણનો માપદંડ મનાતા કેપિટલ ગુડ્સનું ઉત્પાદન 8.6 ટકા ઘટ્યું. આ સાથે કેપિટલ ગુડ્સનું પ્રોડક્શન એપ્રિલથી નવેમ્બર દરમિયાન 11.6 ટકા ઘટ્યું છે. શહેરી માંગનો નિર્દેશાંક એટલે કે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનું પ્રોડક્શન નવેમ્બરમાં 1.5 ટકા ઘટ્યું છે ઉપરાંત પ્રાયમરી ગુડ્સનું પણ ઉત્પાદન 0.3 ટકા ઘટ્યું છે.

 

રાશિ ભવિષ્ય 11/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમા ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવુ લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમા આવી શકો છો. વેપારમા નાનુ કામ કરવુ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકારમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા આયોજનવાળુ કામ કરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકેમોટો પ્રવાસ થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોય તે પૂરી થાય તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામ કરવુ યોગ્ય છે, પ્રિયજનસાથે સારો સમય પસાર થઈ શકે.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદર ના થતી હોય તેવુ વધુ લાગે, મન પરાણે મોટુ રાખવું પડતુ હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટાશબ્દપ્રયોગ ના થાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. વેપારમા કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામા આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમા તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા જૂનીઓળખાણ મુજબ કામકાજ કરવામા આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમા અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષભાષા ન બોલવી, ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોયકે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શકાય તેવા સંજોગો બની શકે છે. વેપારમા નાનુ કામ યોગ્ય છે,


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમા થોડું ચિડીયાપણુ જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવુ, આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમા ન ઉતરવુ, માર્કેટિંગમા મહેનત વધુ પડે, વેપારના કામકાજમા જોખમ ન કરવુ.


આજનો દિવસ સામાન્ય છે, કામમા સમય વ્યસ્તાને લીધે થોડી માનસિકઅશાંતિ રહે, યુવાવર્ગ માટે ક્યાય વાર્તાલાપમા ઉત્તેજનાને લીધે ગેરસમજ ના થાય તેનુ ખાસ ધ્યાન રાખવુ, આકસ્મિકનાણાકીયખર્ચ થાય અને તેની વ્યથા તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ પણ આવે, વેપારમા નાનુ કામ કરવુ જ યોગ્ય છે


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળેકે કોઈ ગમતી વાત સાંભળવા મળી જાય, કોઈ સામાજિકકે ધામિકકામકાજમા તમે તમારુ યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમા જરૂરી માર્ગદર્શન માટે કે ભલામણ માટે જવાનુ હોયતો તેમા પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, કામકાજમા થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમા સુમેળ થોડો ઓછો જોવા મળી શકે છે, કામકાજમા થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ સલાહ્ભર્યું છે.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે, જાહેરપ્રસંગોમા તમારો પ્રભાવ અલગજ તારી આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે,


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાયકે તમારી વાત જાણવાની જીજ્ઞાસા અન્યને વધી શકે છે પરંતુ તેમા તમને કોઈ મોટીતકલીફ ન થઇ શકે. માર્કેટિંગક્ષેત્રમા થોડી નિરાસા જોવા મળી શકે છે, વેપારમા જોખમ ન કરવુ, પ્રિયજન સાથે કોઈ મનદુખ ના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે, વડીલવર્ગને ભૂતકાળમા કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમા યોગદાન આપેલ હોય તેની કદરકે સંભારણા થાય તેવુ બની શકે છે, નોકરીકે વ્યવસાયમા ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન પણ મળી શકે છે, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે.