BSE, SEBI દ્વારા સાયબર સિક્યુરિટી કોન્ફરન્સનું આયોજન
મુંબઈ – દેશમાં સાયબર ફૂટપ્રિન્ટનો વધારો થવાથી સાયબરઅટેક્સ અને તેના સંબંધિત જોખમોમાં વધારો થઈ રહ્યો છે. આ સંભવિત જોખમોની વૃદ્ધિને રોકવા તેમ જ સાયબર ગુનાઓના વધતાં જતાં જોખમો વિશે જાગૃતિ લાવવા માટે, બીએસઈ દ્વારા સેબી અને મહારાષ્ટ્ર સાયબરના સહયોગથી શુક્રવાર, 10 જાન્યુઆરી, 2020ના રોજ બીએસઈના આંતરરાષ્ટ્રીય કન્વેન્શન હોલમાં ‘સાયબર સિક્યુરિટી કોન્ફરન્સ’ યોજવામાં આવી હતી.
આ કોન્ફરન્સમાં સંજય બહલ (ડીજી, સીઇઆરટી-ઈન), અજીત બાજપાઇ (અધ્યક્ષ, એનસીઆઈપીસી), બ્રિજેશ સિંઘ (આઈપીએસ, સ્પેશિયલ આઇજીપી સાયબર) અને શ્રીમતી રમા વેદાશ્રી (સીઈઓ, ડીએસસીઆઈ)એ વક્તવ્ય આપ્યાં હતાં. સેબીના પૂર્ણ-સમયના સભ્ય, શ્રી એસ કે મોહંતી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિરૂપે ઉપસ્થિત રહ્યા હતા.
રજિસ્ટર્ડ બ્રોકર્સને પ્રક્રિયા અને ટેકનોલોજીની દૃષ્ટિએ સલામત ટ્રેડિંગ ઇકોસિસ્ટમ સુનિશ્ચિત કરી નીતિઓનું પાલન કરવા સેબીએ સ્ટોક બ્રોકર્સ અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ માટે 3 ડિસેમ્બર, 2018ના રોજ સાયબર સિક્યુરિટી અને સાયબર રેસિલેન્સ ફ્રેમવર્ક બહાર પાડ્યું હતું. સાઇબર સિક્યુરિટીઝ દ્વારા સ્પાયવેર, હેક્સ અને અન્ય અનિચ્છનીય પ્રોગ્રામોથી બજારના ડેટાને કેવી રીતે સુરક્ષિત રાખવામાં મદદ કરી શકે તેની જાણકારી બજારના સહભાગીઓ અને રોકાણકારોને સમજાય તે માટે આ સાયબર સિક્યુરિટીની કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
આ પ્રસંગે બીએસઈના એમડી અને સીઈઓ, શ્રી આશિષકુમાર ચૌહાણએ સૌને આવકારતાં કહ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયા પર સરકારનું ધ્યાન કેન્દ્રિત થયેલું છે તેને પગલે અહીંના વ્યવસાયની રીત ખૂબ પ્રભાવિત થઈ છે. પાછલા દાયકામાં, નાણાકીય ક્ષેત્રમાં નોંધપાત્ર ફેરફાર થયો છે અને નવી ઈન્ફોર્મેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં સક્ષમ છે. મોબાઈલ ટ્રેડિંગ અને એલ્ગોરિધમ ટ્રેડિંગ જેવી ઘણી નવી ટેક્નોલોજીઓએ મૂડી બજારોને વધુ ઝડપી અને સસ્તી બનાવી છે, જે વધુ જોખમી પણ છે. મૂડી બજારોની ઇકોસિસ્ટમમાં વ્યક્તિગત રોકાણકારો, સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે અને મૂડી બજારોમાં એક મજબૂત સાયબર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું ખેલાડીઓ માટે એક વિશેષાધિકાર બની ગયો છે.
આ કોન્ફરન્સમાં મૂડી બજારોના હિતધારકો માટે સાયબર રિસ્ક અને ડેટા ગોપનીયતાના ક્ષેત્રમાં પ્રગતિ કરવા અંગેની ચર્ચા થઈ હતી. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી), નેશનલ ક્રિટિકલ ઈન્ફોર્મેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શન સેન્ટર (એનસીઆઈઆઈપીસી), મહારાષ્ટ્ર પોલીસ (સાયબર સેલ), નેશનલ સાયબર સિક્યુરિટી કોર્ડિનેટર (એનસીએસસી), એક્સચેન્જ, ક્લિયરિંગ કોર્પોરેશન્સ, માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્સ્ટિટ્યુશન (એમઆઈઆઈ) આ કોન્ફરન્સમાં જોડાયા હતા. શ્રી હરીશ બૈજલ (ડીઆઈજી સાયબર) અને શ્રી બાલસિંગ રાજપૂત (એસપી સાયબર)એ ‘ફાઇટિંગ સાયબર ક્રાઇમ’ પર પ્રકાશ પાડ્યો હતો અને મહારાષ્ટ્ર સાયબર દ્વારા સાયબર ક્રાઇમ કેસના અભ્યાસ અંગે પ્રેક્ષકો સાથે ચર્ચા કરી હતી.
બજેટ 2020: મોદી સરકાર સામે રહેલા છે આ પડકારો
નવી દિલ્હી: બજેટની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. દરેક વ્યક્તિની નજર 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા કેન્દ્રીય બજેટ પર રહેલી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આગામી બજેટને લઈને લોકોના મંતવ્યો માગ્યા છે. આ ઉપરાંત મોદી દેશના તમામ ઉદ્યોગપતિઓ અને આર્થિક જાણકારો સાથે બેઠક કરી ચૂક્યા છે. નાણામંત્રી પણ આર્થિક જાણકારો અને બેંકરો સાથે સતત મુલાકાત કરી રહી છે.

આર્થિક સુસ્તીના કારણે વિકાસ દર છ વર્ષના ન્યુનતમ સ્તર પર પહોંચી ચૂક્યો છે. સરકારની તિજોરી ઝડપથી ખાલી થઈ રહી છે જેના કારણે એકવખત ફરી રિઝર્વ બેંક પાસેથી 45 હજાર કરોડની મદદ તલાશ કરવામાં આવી રહી છે. બેરોજગારી દર ચરમ પર છે, આર્થિક ગતિવિધિ ઠપ છે. આ સ્થિતિમાં નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણએ અત્યાર સુધીમાં શું કર્યું અને બજેટમાં તેમની પાસેથી શું આશા રાખી શકીએ એ અંગે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ.
બજેટ 2019ની જાહેરાત પછી નાણમંત્રીએ ઉદ્યોગ જગતની માંગને સ્વીકાર કરતા કોર્પોરેટ ટેક્સને 30 ટકાથી ઘટાડીને 22 ટકા કરી દીધું. આ નિર્ણયની સરકારી તિજોરી પર દર વર્ષે 1.5 લાખ કરોડ રૂપિયાનો બોજો પડ્યો છે. આ બજેટમાં કોર્પોરેટ ટેક્સ પર નિર્ણય ઘણો મોટો પડકાર હશે.

સુપર રિચ ટેક્સના નિર્ણયને પાછળથી પરત લેવામાં આવ્યો, કારણ કે, વિદેશી રોકાણકારો દૂર ભાગવા લાગ્યા હતા અને રોકાણ સતત પરત ખેંચવા લાગ્યા હતા. આ કારણે પણ સરકારની આવકમાં ઘટાડો થયો.
સ્ટાર્ટઅપ્સને રાહત આપીને એન્જલ ટેક્સ પાછો ખેંચાયો હતો. જો કે, આનો લાભ લેવા માટે, સ્ટાર્ટઅપ્સને ડીપીઆઇઆઇટીમાં નોંધણી કરાવવી જરૂરી છે.
સરકારે જીએસટીથી જે અપેક્ષા રાખી હતી તેટલી કમાણી કરી નથી. જીએસટીની કમાણી લક્ષ્ય કરતા ઘણી પાછળ છે. આની અસર પણ તિજોરી પર પડી છે. આ તમામ કારણોસર રાજકોષીય ખાધ વધી રહી છે. અનેક પ્રયાસો છતાં સરકાર નક્કી કરેલા નાણાકીય ખાધના લક્ષ્યાંકને પાર કરી રહી છે અને તેને આ બજેટમાં લક્ષ્યની અંદર રાખવી એ એક મોટો પડકાર છે.

ચાલુ નાણાકીય વર્ષમાં સરકારે 19.6 લાખ કરોડના ખર્ચનું લક્ષ્યાંક નક્કી કર્યું છે, પરંતુ તિજોરી ખાલી હોવાથી ફંડ નથી મળી રહ્યું. આ સ્થિતિમાં સરકાર ફરીથી રિઝર્વ બેંક પાસેથી 45000 કરોડની મદદની અપેક્ષા રાખી રહી છે.

આ બજેટમાં સરકારનું સંપૂર્ણ ધ્યાન આર્થિક મંદી દૂર કરવા પર રહેશે. માંગમાં થયેલા ઘટાડાને આર્થિક મંદીનું સૌથી મોટું કારણ ગણાવવામાં આવી રહ્યું છે. માંગને વેગ આપવાનો સરકારની પ્રાથમિકતા રહેશે. માંગને વેગ આપવા માટે સરકાર લોકોના હાથમાં વધુને વધુ પૈસા આપવા માંગે છે, પરંતુ અત્યાર સુધીના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે. તેથી, આશા છે કે બજેટમાં ટેક્સ સ્લેબમાં ઘટાડો અને ફેરફાર કરવામાં આવી શકે છે.
મિશન યુપી: લોકોની વચ્ચે જઈ તેનો અવાજ બની રહી છે પ્રિયંકા ગાંધી
મેરઠ: છેલ્લા ત્રણ દાયકાથી ઉત્તર પ્રદેશમાં સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ હવે સત્તા વાપસી માટે બેતાબ છે. રાજ્યમાં સંગઠનને મજબૂત કરવા પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી રાજકીય ગુગલી ફેંકવાની કોઈ તક નથી છોડી રહી. લોકોને પાર્ટી સાથે જોડવા માટે દરેક સ્તરે પ્રયત્નો કરી રહી છે. હાલ દેશમાં સીએએને લઈને ચાલી રહેલા વિરોધના વંટોળ વચ્ચે પ્રિયંકા સતત આ મુદ્દે યુપીમાં પ્રભાવિતોની મુલાકાત લઈ રહી છે. તેમની આર્થિક મદદ કરી રહી છે. એટલું જ એ લોકોની સાથે કદમ મિલાવીને ઉભા રહેવાનો ભરોસો આપી રહી છે. હવે એક કદમ આગળ વધીને પ્રિયંકાએ એવું કહેવાનું શરુ કર્યું છે કે, 2020માં યુપીમાં કોંગ્રેસની સરકાર સત્તામાં આવી તો તે સીએએ અને એનઆરસી લાગુ નહીં કરવા દે.

રાજકીય જાણકારોનું માનવું છે કે, કોંગ્રેસ અને પ્રિયંકાનો આ પ્રયત્ન હાથમાંથી છટકી ગયેલા જનાધારને પ્રાપ્ત કરવા અને ખાસકરીને મુસ્લિમોને રિઝવવાનો છે. કોંગ્રેસનું માનવું છે કે, જો મુસ્લિમો તેમની સાથે જોડાઈ ગયા તો દલિત અને બ્રાહ્મણને આકર્ષવામાં સરળતા રહેશે. એટલા માટે જ પ્રિયંકા ગાંધી કાયદો અને વ્યવસ્થાને લઈને પ્રદેશના દરેક જ્વલંત મુદ્દા પર જાતિય બંધનને તોડીને મદદ માટે પહોંચી રહી છે.

કોંગ્રેસના મહાસચિવએ સંગઠનાત્મક માળખામાં ફેરફાર કર્યો. પ્રથમ, યુપીની જમ્બો કમિટીનો અંત લાવીને, તેમણે જુગાડુ અને જુસ્સાદાર થોડા યુવાનોના હાથમાં યુપીની કમાન્ડ સોંપી. ત્યારપછી જિલ્લા અને શહેર પ્રમુખની જગ્યાઓ પર પચાસ વર્ષથી ઓછી ઉંમરના નેતાઓની નિમણુંક કરી. પ્રદેશ ઉપપ્રમુખ (વેસ્ટ યુપી પ્રભારી) પંકજ મલિક કહે છે કે હવે જિલ્લા અને સમિતિઓમાં ઘટાડો કરવામાં આવ્યો છે. શહેર સમિતિમાં 21 અને જિલ્લા સમિતિમાં 31 લોકો રહેશે. જાહેર પ્રશ્નોને કેવી રીતે લડવા, સંગઠન કેવી રીતે ચલાવવું તે અંગે જિલ્લા પ્રમુખોને તાલીમ આપવામાં આવશે.

પાર્ટી સતત લોકોની વચ્ચે જઈને તેમની સાથે જોડાવાનો પ્રયત્ન કરી રહી છે. આ સાથે જ મહિલાઓને આકર્ષવા માટે દરેક કમિટીમાં ઓછામાં ઓછી ત્રણ મહિલાઓને રાખવાનું ફરજીયાત કરી દીધું છે. મહિલાઓને સમાનતા માટે પાર્ટીના કાર્યક્રમોના મંચો પર પણ સ્થિતિમાં સ્થાન આપવુ ફરજીયાત કરવામાં આવ્યું છે. કોંગ્રેસની પ્રદેશ મહાસચિવ શબાના ખંડેલવાલ મુજબ મહિલાઓને પાર્ટી મુખ્યધારામાં લાવી રહી છે. વૃદ્ધ નેતાઓના અનુભવનો ફાયદો ઉઠાવવા તેઓને કાર્યક્રમોમાં આમંત્રણ આપવાનું કહેવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હાર પછી સમિક્ષા બેઠકોમાં સામે આવ્યું છે કે, સામાન્ય ચૂંટણીમાં હારનું મુખ્યકારણ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચે કમ્યુનિકેશન ગેપ રહ્યો છે. ત્યારપછી પ્રિયંકા સતત અનેક જીલ્લાઓના નેતાઓ સાથે દિલ્હી અને લખનૌમાં બેઠકો કરીને આગળની રણનીતિ પર ચર્ચા વિચારણા કરી રહી છે. વિપરીત પરિસ્થિતિમાં કામ કરનારા કોંગ્રેસના ઈમાનદાર અને મહેનતી કાર્યકર્તાઓની સતત તલાશ કરી રહી છે જેથી તેમને સંગઠનની મુખ્યધારામાં રાખી શકાય.
વિવાદાસ્પદ કાયદાઃ રાજ્ય અને કેન્દ્રના ઝઘડામાં કોણ પહોંચે?
ગુજરાતમાં એક દિવસ માટેનું વિધાનસભાનું સત્ર 10 જાન્યુઆરીએ મળ્યું. કેન્દ્રએ પસાર કરેલા નાગરિકતા સુધારા કાયદાને અનુમોદન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો. કેન્દ્ર સરકાર કાયદો કરે તેને દેશની 50 ટકા વિધાનસભા પણ પસાર કરે તે પછી સમગ્ર દેશમાં લાગુ પડે છે. નાગરિકતા કાયદાનો વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે કેરળ વિધાનસભાએ તેને નકારી કાઢતો ઠરાવ પસાર કર્યો હતો. પશ્ચિમ બંગાળની સરકાર સહિત આઠેક રાજ્યોએ વિરોધ કર્યો છે કે તે CAA અને NRCને પોતાને ત્યાં લાગુ કરશે નહિ. સવાલ એ છે કે કોઈ વિવાદાસ્પદ કાયદાના મુદ્દે આવો વિરોધ ઊભો થાય ત્યારે કોણ પહોંચે – કેન્દ્ર કે રાજ્ય?

ભારતના લોકતંત્રનો ઢાંચો સંઘપ્રકારનો છે. રાજ્યોએ ભેગા મળીને સંઘની રચના કરી છે અને સંઘમાં બેઠેલી સરકાર દેશનો વહીવટ ચલાવે. મૂળ તો સરદાર પટેલે સાડા પાંચસોથી વધુ રજવાડાંને ભારત સંઘમાં જોડીને રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું. આ ફેડરલ સ્ટ્રક્ચરમાં સ્વાભાવિક રીતે જ સંઘ સરકાર મજબૂત છે, કેન્દ્ર સરકાર વધારે મજબૂત છે. અમેરિકામાં પ્રમુખ ચલાવે તે ફેડરલ સરકાર હોય છે, અને તેના 50 રાજ્યો છે. અમેરિકામાં રાજ્યો પ્રમાણમાં વધારે સત્તા ભોગવે છે. અમેરિકામાં રાજ્યો પ્રમાણે કાયદા બહુ જુદા હોય છે. ભારતમાં થોડા અપવાદ બાદ કરતાં કાયદા એકસમાન છે.
તેથી જ નાગરિકતા સુધારા ખરડો પસાર કરીને તે કાયદો બન્યો તે સમગ્ર દેશમાં લાગુ પડે. તેનો વિરોધ હોય પણ સંસદે કાયદો કર્યો હોવાથી તેનો અમલ સમગ્ર દેશમાં થાય. વાસ્તવિક અમલ રાજ્યના વહિવટીતંત્ર દ્વારા થતો હોય છે, પણ અમલ કરવો પડે ખરો. જેમ કે જિલ્લામાં નાગરિકતા આપવાની દસ્તાવેજની કાર્યવાહી થાય તે કલેક્ટર કચેરીમાં થાય અને કલેક્ટર કચેરી રાજ્ય સરકારના વહીવટમાં આવતી હોય છે, પણ કાયદો રાજ્યની કચેરી કે કેન્દ્રની કચેરી એવો ભેદ કરતી નથી.

આવા સંજોગોમાં ગયા મંગળવારે કેરળની વિધાનસભાએ નાગરિકતા સુધારા કાયદા સામે સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) સામે ઠરાવ પસાર કર્યો. આ કાયદો બંધારણના મૂળભૂત અધિકારોનો ભંગ કરનારો છે એમ કહીને તેને નકારી કાઢતો ઠરાવ ગૃહે કર્યો. રાજ્ય અને કેન્દ્રની સીધી ટક્કર અહીં જોવા મળી છે. આવી ટક્કર થતી આવી છે, પણ તે મુખ્યત્વે કેન્દ્રમાં શાસન કરનાર રાજકીય પક્ષની અને રાજ્યમાં શાસન કરનારા પક્ષની હોય છે, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ટક્કર ના થાય તે માટે બંધારણના ઘડવૈયાઓએ વિચાર્યું હતું અને તેની જોગવાઈ પણ કરી હતી.
કાયદો બંધારણની વિરુદ્ધ હોય તો સંસદે પસાર જ ના કર્યો હોત. બીજું, સંસદે પસાર કરેલો કાયદો પણ સર્વોચ્ચ અદાલતમાં પડકારી શકાય છે. સર્વોચ્ચ અદાલત અર્થઘટન કરીને કોઈ સરકારે બહુમતીથી પસાર કરેલો કાયદો બંધારણની મૂળભૂત ભાવના વિરુદ્ધ છે કે કેમ તેનો ચુકાદો આપી શકે છે, પણ કોઈ રાજ્ય સરકારને તેનો અધિકાર બંધારણે જ આપ્યો નથી. ભૂતકાળમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધોની ચર્ચા, રાષ્ટ્રપતિ શાસન લાગે ત્યારે થતી હતી. કેન્દ્રમાં બેઠેલી સરકાર કિન્નાખોરીથી અન્ય પક્ષની રાજ્ય સરકારને સત્તા પરથી હટાવે ત્યારે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતો હતો.

આ વખતે મામલો વધારે ગૂંચવાશે એમ લાગે છે, કેમ કે કેરળ સરકારે ઠરાવ પસાર કર્યો છે, જ્યારે પશ્ચિમ બંગાળ સહિત 11 રાજ્યો CAA અને NRCનો વિરોધ કરી રહ્યા છે. ભાજપના સાથી પક્ષ બિહારના જેડી(યુ)હ પણ વિરોધમાં છે. આંધ્રના પણ ભાજપના દોસ્તના દોસ્ત જગમોહનનો વિરોધ છે. જોકે કોંગ્રેસ શાસિત કેટલાક રાજ્યોએ CAAનો ખુલ્લીને વિરોધ કર્યો નથી, પણ NRCનો વિરોધ કરે છે.
વિરોધમાં રાજકીય મુદ્દા વધારે છે, એટલે તેની ચર્ચા ચાલ્યા કરશે, પણ કેન્દ્ર અને રાજ્યના સંબંધો વિશે બંધારણીય ચર્ચા પણ વિદ્વાનોમાં ચાલી છે. બંનેના સંબંધોને સાંકળતી કેટલીક કલમો વિશે ધારાશાસ્ત્રીઓ ચર્ચા કરી રહ્યા છે. કલમ 356 સિવાયની કેટલીક કલમો સંબંધોની શરતો નક્કી કરનારી છે, જેમ કે કલમ 256, 257, 258, 355 અને 356 તો ખરી જ. CAA કાયદો પસાર થયો છે અને તેના કારણે નાગરિકતાની વ્યાખ્યા થઈ છે અને તેની અસર NRC પર થાય, કેમ કે તેમાં નાગરિકોની નોંધણી કરવાની છે. તેથી રાજ્યોમાં બેમાંથી એકેય કાયદા માટે મનાઈ કરી શકે તેમ નથી. બંને વચ્ચેની કડી જોડીને જોરદાર વિરોધ ચાલી રહ્યો છે તે એટલો અત્યારે તો તાર્કિક લાગતો નથી. અત્યારે એટલા માટે નથી લાગતો કે NRC સત્તાવાર જાહેર થાય ત્યારે તેના નિયમો જોવા પડે.
ધારાશાસ્ત્રીઓનો મત એવો બેસે છે કે કેરળ કે કોઈ વિધાનસભા વિરુદ્ધમાં કાયદો કરી શકે તેમ નથી. કેન્દ્રનો કોઈ કાયદો રાજ્યને સાનુકૂળ ના હોય ત્યારે સુપ્રીમ કોર્ટમાં જ જવું પડે. સુપ્રીમ કોર્ટમાં મામલો પહોંચ્યો પણ છે, પણ દરમિયાન આ ચર્ચા ચાલતી રહેશે. વિશ્લેષકોનો મત છે કે આ લડાઈ કાયદાકીય અને બંધારણીય ઓછી અને રાજકીય અને વિચારધારાની વધારે છે. વિપક્ષે પણ તેનો સામનો રાજકીય અને પ્રજાકીય મુદ્દાથી જ કરવો પડશે.

આ મુદ્દે રાજકારણ કેવું આગળ વધશે તે આગળ જતા ખબર પડશે, પણ અત્યારે આપણે રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના સંબંધો નક્કી કરતી કલમો વારાફરતી જોઈ લઈએ.
કલમ 256
| આ કલમ પ્રમાણે દરેક રાજ્યનો શાસન કરવાનો અધિકાર એવો હોવો જોઈએ, જેનાથી સંસદે પસાર કરેલા અને રાજ્યોને લાગુ પડતા કાયદાનું પાલન થાય. આવા કાયદાના પાલન માટે જરૂરી હુકમો ભારત સરકાર રાજ્યને આપી શકે છે.
અહીં સ્પષ્ટ છે કે કોઈ કાયદો કેન્દ્રે પસાર કર્યો હોય અને તે યોગ્ય રીતે લાગુ ના પડતો હોય, ત્યારે તેને લાગુ પાડવાના હેતુ સાથે, ‘પાલન માટે જરૂરી હુકમ’ કેન્દ્ર રાજ્ય સરકારને આપી શકે છે. |
કલમ 257
| આ કાયદામાં પરિભાષા વધારે સ્પષ્ટ છે. કલમ 257 (1)નું શિર્ષક જ છે ‘કેટલાક કિસ્સામાં રાજ્યો પર સંઘનું નિયંત્રણ’. આ કલમ પ્રમાણે સ્પષ્ટ જણાવાયું છે કે કોઈ રાજ્ય પોતાના શાસનના અધિકારને એવી રીતે બજવી ના શકે, જેના કારણે સંઘના શાસનના અધિકારમાં ‘અવરોધ કે પ્રતિરોધ’ ઊભો થાય.
ઘણી વાર રાજ્ય સરકાર કાયદાનું પાલન કરતી વખતે એવા ઢંગથી પાલન કરે કે છટકબારીનો લાભ મળે. તેવું થતું અટકાવવા માટે કેન્દ્ર સરકાર કાયદાનું પાલન જ નહિ, પાલન કઈ રીતે, કેવા પ્રકારે, કેવા ઢંગથી કરવું તેનો આગ્રહ પણ રાખી શકે છે. આ કલમ NRCમાં વધારે અગત્યની બની શકે છે. NRCમાં અમુકતમુક દસ્તાવેજો આપીને પોતે નાગરિક છે તેવો દાવો કરવાનો આવશે. તે વખતે ઘણા બધા દસ્તાવેજોમાંથી કોઈ એક દસ્તાવેજ પણ માન્ય રહે અને રાજ્ય સરકાર સહેલાઇથી બનાવી શકતા દસ્તાવેજના આધારે દાવાને માન્ય પણ કરી શકે. રાજ્યના અધિકારીઓ પોતાની રીતે દાવા માન્ય પણ કરવા માંડે. તેનાથી વિપરિત કેન્દ્રની ઇચ્છાથી અલગ અમાન્ય પણ કરવા પડે. આ બંને સંજોગોમાં કેન્દ્ર દરમિયાન કરી શકે, કેમ કે તેના કાયદાના પાલનમાં અવરોધ કે વિપરિત સ્થિતિ કશી પેદા થવી જોઈએ નહિ. |
કલમ 258
| કલમ 258 (2) પ્રમાણે કેન્દ્ર સરકારે પસાર કરેલો કાયદો રાજ્ય સરકાર બજાવે તે માટે તેને ફરજ પાડી શકાય છે અથવા સારી ભાષામાં ‘ફરજ સોંપી શકાય’ છે. રાજ્ય દલીલ કરે કે અમુક પ્રકારની કાર્યવાહી કરવાની, વહિવટ કરવાની, પ્રક્રિયા કરવાની ફરજ તેના કાર્યક્ષેત્રમાં આવતી નથી, પણ તે સંજોગોમાં કેન્દ્ર રાજ્યને તેવી ફરજ બજાવણીની જવાબદારી સોંપી શકે છે.
આ કલમમાં જણાવાયું કે રાજ્ય વિધાનસભાને જે વિષયમાં કાયદો પસાર કરવાની, સત્તા સોંપવાની, ફરજ સોંપવાની, સત્તા સોંપણી કે ફરજ બજવણી માટે કોઈને અધિકાર આપવાની, અધિકારીઓને હુકમો કરવાની સત્તા ના હોય તેવા વિષયનો સંસદનો કાયદો પણ લાગુ પડે છે. આ જ કલમમાં એવી જોગવાઈ છે કે આવી ફરજ રાજ્યને પાડવામાં આવે ત્યારે રાજ્યને ખર્ચનું વળતર આપી શકાય છે. દાખલા તરીકે પડોશી દેશ સાથેની સરહદે કોઈ કામગીરી કરવાની હોય ત્યારે રાજ્ય સરકારે સંરક્ષણ તેનો વિષય ના હોવા છતાં કરવી પડે; તે માટેનો ખર્ચ કેન્દ્ર પાસે માગી શકે એટલું ખરું. |
આવા કોઈ વિષયમાં સૂચના છતાં રાજ્ય સરકાર કામ ના કરે ત્યારે આ કલમની સાથે કલમ 256 અને 257 પ્રમાણે પણ કેન્દ્ર સરકાર રાજ્યને પાલન માટે સૂચના આપી શકે છે.
ધારી લો કે વિષય બહારની બજવણી કલમ 258 હેઠળ રાજ્ય સરકારે ના કરી, ત્યાર બાદ કેન્દ્ર સરકારે 256 અને 257 પ્રમાણે સૂચના આપી. આમ છતાં પાલન ના થયું તો? બંધારણના ઘડવૈયાઓએ કેવી સ્થિતિ ઊભી થઈ શકે તેની કલ્પના કરી હતી. કેટલીક કલ્પનાઓ તેઓ કરી શક્યા નહોતા, જે આજના યુગના સંદર્ભમાં ઊભી થઈ છે, પરંતુ મોટા ભાગે શું થઈ શકે તે વિશે ઘડવૈયાઓએ વિષદ વિચારણા કરી જ હતી.
તેથી ઉપરની ત્રણ કલમો પ્રમાણે કેન્દ્ર સરકારનું કામ ના ચાલે, ત્યારે તેને આગળની કાર્યવાહી કરવા અને રાજ્યોની ઉપરવટ, રાજ્ય સરકારોને હટાવવા સુધીની સત્તા કલમ 355 અને 356માં આપવામાં આવી હતી.
કલમ 355
| કલમ 355 સરળ છે અને તેની ચર્ચા ઓછી થાય છે, વધારે ચર્ચા આપણે કલમ 356 પ્રમાણે કરતા હોઈએ છીએ, કેમ કે તેના હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે છે.
કલમ 355 હેઠળ કેન્દ્ર સરકારની ફરજ બને છે કે તેણે બંધારણની જોગવાઈઓનું પાલન બધા જ રાજ્યોમાં થતું રહે તેની ફરજ બજાવવી. બધા રાજ્યોમાં બંધારણની જોગવાઈ પ્રમાણે જ રાજ્ય સરકારો ચાલતી રહે તે જોવાની કેન્દ્ર સરકારની જવાબદારી છે. રાષ્ટ્રપતિ શાસન લાગતા પહેલાં કેન્દ્ર સરકાર આ કલમ હેઠળ રાજ્ય સરકારોને ચેતવણી આપે છે. બંધારણની જોગવાઈ પ્રમાણે સરકાર ચાલતી નથી અને સરકાર તે રીતે ચાલે તે જોવાની અમારી ફરજ હોવાથી અમે તમને યોગ્ય માર્ગે વળવા જણાવીએ છીએ એવું કેન્દ્ર કહી શકે છે. CAA, NPR અને NRC વગેરેના મુદ્દે પણ કેન્દ્ર સરકાર આવી ચેતવણી રાજ્ય સરકારને આપી શકે છે. ચેતવણી પછીય પાલના ના થાય ત્યારે કેન્દ્ર સરકારના વડા રાષ્ટ્રપતિના પ્રતિનિધિ રાજ્યપાલના અહેવાલના આધારે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ રાષ્ટ્રપતિને કરી શકાય છે. |
કલમ 356
| આ કલમ પ્રમાણે ચૂંટાયેલી રાજ્ય સરકારને હટાવી શકવાની સત્તા કેન્દ્ર સરકારને મળે છે. ભૂતકાળમાં તેનો બહુ દૂરુપયોગ થયો છે. કોંગ્રેસમાં કેન્દ્રનું એકહથ્થુ શાસન હતું ત્યારે રાજ્યમાં વિપક્ષની સરકાર આવે ત્યારે નાનકડા બહાને તેને ઉથલાવી નાખવામાં આવતી હતી. તે પછી આ મુદ્દો બહુ વિવાદાસ્પદ બન્યો હતો અને સરકારિયા પંચ પણ બેસાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત કર્ણાટકમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું ત્યારે ચુકાદો આપીને સુપ્રીમ કોર્ટે કેટલીક માર્ગદર્શિકા પણ આપી હતી.
તે પછી રાષ્ટ્રપતિ શાસન લગાવવું સહેલું નથી. અરૂણાચલ પ્રદેશ, ઉત્તરાખંડના કિસ્સામાં થયું હતું તેમ સુપ્રીમ કોર્ટે તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન હટાવવાના પણ આદેશ આપ્યા હતા. |
પરંતુ કલમ 355 અને 356 સાથે ઉપર જણાવેલી અન્ય ત્રણ કલમો સાથે કેન્દ્ર સરકારે કાર્યવાહી કરવી પડે.
ધારાશાસ્ત્રીઓ એક નોંધપાત્ર બાબત તરફ ધ્યાન દોરી રહ્યા છે કે રાજ્ય સરકાર બરાબર કામગીરી ના બજાવે ત્યારે તેને હટાવવા માટેની જોગવાઈ અને પ્રોસેસ છે, પણ બરાબર કામ ના કરતી કેન્દ્ર સરકારને રાજ્યો સરકારો ભેગી થઈને પણ હટાવી શકે નહિ. કેન્દ્રની સરકાર બંધારણનો ભંગ કરે તો પણ રાજ્ય સરકારો ઠરાવ કરીને તેને હટાવી શકે નહિ. ઇન્દિરા ગાંધીએ કટોકટી પણ લગાવી દીધી હતી અને તે ત્યારે દૂર થઈ જ્યારે તેમની સરકારે જાતે જ ચૂંટણી આપી અને ચૂંટણીમાં તેમની હાર થઈ. કટોકટી લાંબી ચાલી હોત તો કેવી રીતે દૂર થઈ હોત તે પણ સવાલ છે.
બંધારણના ઘડવૈયા આઝાદ થઈ રહેલા ભારતમાં કેન્દ્ર સરકાર મજબૂત અને સ્થિર બને તેમ ઇચ્છતા હતા. તેથી કલમ 356 પ્રમાણે રાજ્ય સરકારે સામે કામગીરી થઈ શકે, પણ કેન્દ્ર સરકાર સામે કામગીરી માટેની કોઈ કલમ નથી. કેન્દ્ર સરકાર બહુમતી ગુમાવે ત્યારે જ સરકાર પડી ભાંગે, પણ તેના માટે વિપક્ષ પાસે સામી બહુમતી હોવી જોઈએ, સ્પષ્ટ હોવી જોઈએ અને કટોકટી લાગુ પડેલી ના હોવી જોઈએ.

આગળ જતા હવે કેન્દ્ર સરકાર અને વિપક્ષની સત્તા છે તે રાજ્ય સરકારો વચ્ચે કેવી ખેંચતાણ થાય છે તે જોવાનું રહે છે. જોકે ઝારખંડ પછી દિલ્હીના અને આ વર્ષના અંતે બિહારના પરિણામો અને તે પછી આવતા વર્ષની શરૂઆતમાં પશ્ચિમ બંગાળના પરિણામો દેશનું આગળનું રાજકારણ નક્કી કરનારા પણ બનશે. તેથી બંધારણીય મુદ્દા સાથે રાજકીય મુદ્દાઓની પણ ચર્ચા થતી રહેશે. પરંતુ વિપક્ષે બંધારણીય મુદ્દાઓ સાથે રાજકીય મુદ્દાઓ પર પણ લડાઈ આપવાની રહેશે અને મજબૂત ટક્કર આપવાની રહેશે તે વિપક્ષે ખાસ તો સમજવાનું છે.
રાશિ ભવિષ્ય 12/01/2020
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવુ, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવુ, વાર્તાલાપમા ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવુ, પ્રિયજન સાથેની ખરીદી પાછળકે ફરવામા ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય.
આજનો દિવસ સરસ રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ સારો રહે અને નવીનકામનુ આયોજન થાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વાત આપલે થાય, ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય અને તેમા તમને ખુશીની લાગણી અનુભવાય, તમે આજે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવુ બની શકે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય સારી રીતે પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રિયજન સાથે હરવાફરવામા ઉત્સાહ સારો જોવા મળે, તેમને કોઇ પરિચિત સાથેના સંપર્ક દ્વારા તમારા કોઈ કામની સારી વાત સાંભળવા મળી શકે કે લાભની વાત થઈ શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવુ જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવુ, કફ, છાતી, પ્રેસર જેવી તકલીફથી સાચવવુ, કામકાજમા મહેનત કરતા ઓછુફળ મળે, જીવનસાથી સાથે ખોટીવાર્તાલાપ ના થાય તેનુ ધ્યાન રાખવુ.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમા થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમા થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના-ઝવેરાત, ફાર્મા જેવા ક્ષેત્રમા કામકરનારને માનસિક થાકની લાગણી વધુ અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમા તમને સમયનોવ્યય વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુનાકામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ છે, તમારા મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થાયકે તેમા તમને કોઇ મદદ કરતા મળે તેવુ પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઉત્સાહ સારો જોવા મળે, પ્રિયજનસાથે ફરવા જવાના યોગ પણ છે.
આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટીલોકોથી દુર રહેવાની જરૂર છે, ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ થોડી તકેદારી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા માનસિકથાક અને કામ ટાળવાની વૃતિ જોવા મળી શકે છે.
આજનો દિવસ સરસ છે અને તેમા પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણી તમારા મુખ પર સ્પષ્ટ દેખાઈ આવે, તમારા કોઈ કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, જમીન, બાંધકામ, વાહનવ્યવહાર, ધાતુ, જેવા ક્ષેત્રમા કામકરનારને નવીનતક ઝડપવાના યોગ બને છે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવુ જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ તકેદારી રાખવી, થોડી આરામકરવાની વૃતી રહે, આજે ધીરજ, પ્રભુભક્તિમા સમય પસાર કરવો શ્રેષ્ઠ છે.
આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમા ઉત્સાહ સારો રહે, પ્રિયજન સાથે ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યાકામ થઇ શકે તેવા યોગ બની રહ્યા છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવવો યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત કાર્યનો સંતોષ જોવા મળી શકે છે, મિલનમુલાકાત સફળ રહે.
આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમા વ્યસ્તતા વધુ રહે તેવા સંજોગો બની શકે છે, લાકડા,ચામડા, ધાતુ, ઓઈલ,પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રમા કામ કરનારવર્ગમા નવીનતા જોવા મળે, તમે જુનાકામમા અટવાવતો તેમા જલ્દીથી ઉકેલ ન આવે અને સમયનો વ્યય થાય, હરવાફરવામા બિનજરૂરી ખર્ચાકે ખરીદી થાય.
આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમા તમારી ગણતરીમુજબ કામ થાય તેવુ બની શકે છે, મુસાફરીના યોગ છે, માર્કેટિંગક્ષેત્રમા રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામા ધાર્મિકભાવના પણ સારી જોવા મળે અને ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય.
મકર સંક્રાંતિ અને ગ્રહોનો સંબંધ
આપણા દરેક તહેવાર પાછળ કોઈને કોઈ વિજ્ઞાન અથવા કુદરતી ઘટનાનો આધાર રહ્યો છે. મોટા ભાગે આપણે
પૂછવું પડે છે કે આ વખતે એ તહેવાર ક્યારે છે? પણ આ એક તહેવાર એવો છે કે તે હમેશા આપણે એકજ તારીખે ઉજવીએ છીએ. જયારે આકાશ રંગોથી ભરાઈ જાય. અગાસીઓ માણસોથી ઉભરાવા લાગે અને કાપ્યો છે અને નારાથી વાતાવરણ ગુંજવા લાગે ત્યારે બધાને ખબરજ હોય કે આ ઉત્તરાયણ અથવાતો મકર સંક્રાંતિનો તહેવાર છે.

આ બંને નામ પાછળ પણ કારણો છે. સૂર્યની આસપાસ પૃથ્વી પ્રદક્ષિણા કરે છે તે આપણે સહુ જાણીએ છીએ. પૃથ્વી પોતાની ધરી પર નમેલી છે. જેના કારણે જયારે સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં સીધા કિરણો નાંખે ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં તેની અસર ઓછી થાય છે અને ક્યારે દક્ષિણ ગોળાર્ધમાં સીધા કિરણો જતા હોય ત્યારે ઉત્તરમાં તેની અસર ઓછી રહે છે. તેથીજ આપણે ત્યાં શિયાળો હોય ત્યારે કેન્યામાં ઉનાળો હોય. ઉત્તરાયણના સમયે સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ પ્રયાણ કરે છે. તેથી આ સમયને ઉત્તરાયણ કહે છે. જેના કારણે પવનની દિશા પણ બદલાય. પછી પતંગ ચડાવવાની તો મજાજ આવે ને?

સૂર્ય જયારે મકર વૃત પર આવે ત્યારે મકર સંક્રાંતિ થાય છે તેવી એક વાત છે. તો જ્યોતિષના સંદર્ભમાં સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં જાય ત્યારે મકર સંક્રાંતિ થાય છે. જોકે આવું તો ડીસેમ્બર મહિનામાં થાય છે. વળી આ સમય ખેતી માટે પણ અગત્યનો છે. કારણકે મકર સંક્રાંતિ પછી અમુક જગ્યાએ કાપણી શરુ થાય છે. તેથી ૧૪ ડીસેમ્બર થી ૧૪ જાન્યુઆરી સુધી કોઈ સારા કર્યો કરતા નથી. આ વખતે સંક્રાંતિ ૧૪ જાન્યુઆરી ના ૨૦:૦૫ થી થશે.
આ દિવસે સ્નાન, દાન, પૂજા અને પુણ્ય માટેનો દિવસ ગણાય છે. આત્મ શુદ્ધિ માટે આ દિવસ શ્રેષ્ઠ ગણાય છે. સાધના માટે પણ આ દિવસનું મહત્વ છે. ઉત્તર ભારતમાં ગંગા સ્નાન જેમ મહત્વનું છે તેવીજ રીતે ગુજરાતમાં તાપી અને નર્મદા સ્નાન કરી શકાય. નદીના પટમાં ઉભા રહી અને સૂર્યને અર્ઘ આપવાથી સારી ઉર્જા મળે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ગંગા પુથ્વી પર આવી અને સમુદ્રને મળી હતી. તેથી સારા સંબંધો માટે પણ આ દિવસની ખાસ પૂજા મદદરૂપ થાય છે. આ દિવસે સૂર્ય એમના પુત્ર શનિદેવને મળ્યા હતા તેથી પિતા પુત્ર વચ્ચે અણબન હોય તો પણ સંક્રાંતિની પૂજા મદદરૂપ થાય છે. ભારતમાં વિવિધ જગ્યાએ આ તહેવારને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. નેપાળ, મ્યાનમાર, શ્રીલંકા વિગેરે પડોસી દેશોમાં પણ આ તહેવારની ઉજવણી થાય છે.

સ્નાન માટેનો શ્રેષ્ઠ સમય સૂર્યોદય પછી બે કલાકનો છે. આ દરમિયાન સૂર્યની હાજરીમાં નદીમાં સ્નાન કરવાથી સારું રહે. બપોરે બાર વાગ્યા પછી આ સ્નાન નો મહિમા રહેતો નથી. સવારે સૂર્યની સામે ઉભા રહીને શરીર પર કોમળ તાપ આવે તેવી રીતે ઉભા રહેવું કે બેસવું જોઈએ. આ દિવસે દાનનું પણ ખુબજ મહત્વ છે. તલ, ગોળ, ચોખા, હળદર જેવા દ્રવ્યોનું દાન શુભ મનાય છે.
મહારાષ્ટ્રમાં એવું કહે છે કે તિલ ગુડ ધ્યા ગુડ ગુડ બોલા. એટલેકે તલ ગોળ ખાવ અને મીઠું મીઠું બોલો. એટલેકે પાછળ જે કઈ ગયું તે ભૂલી અને ફરી સંબંધોમાં મીઠાશ લાવીએ.કેવો સરસ વિચાર છે? ઋતુ બદલાતી હોવાથી તલ અને ગોળ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ દિવસે ગાયને ઘૂઘરી ખવરાવવાનો પણ રીવાજ છે. ગાય એ એક સમયની જીવાદોરી હતી અને તેના બાળકના જન્મ પહેલા તેને સારો ખોરાક જરૂરી હોય છે. આપણા રિવાજોમાં બધાજ પશુપક્ષીઓ સચવાઈ જાય તેવો વિચાર જોવા મળે છે.

આ દિવસે ગુપ્ત દાનનું મહત્વ છે. તેથીજ તલ ગોળના લાડવામાં કોઈને આપતા પહેલા સિક્કા નાખવામાં આવે છે. સાધના માટે બ્રહ્મ મુહૂર્તથી શરૂઆત કરી શકાય. સ્ત્રીઓએ ગાયત્રી મંત્રની સાધના યોગ્ય રીતે કરી શકાય. જે તેમની આંતરિક શક્તિ વધારવામાં મદદરૂપ થઇ શકે. ઉત્તર પ્રદેશમાં આ સમયે માઘ મેલા યોજાય છે. જેમાં સ્નાનનું ખુબજ મહત્વ ગણાય છે. પશ્ચિમ બંગાળમાં પણ ગંગાસ્નાન માટે મેળા આયોજિત થાય છે. કેરળમાંઅનુષ્ઠાન કરવામાં આવે છે તો દક્ષિણના અન્ય રાજ્યોમાં સૌભાગ્યવતીને હળદર અને કંકુ લગાવવામાં આવે છે. આ દિવસે પતંગની મજા લેવા ઉપરાંત આત્મશક્તિ વધારવા માટે પણ પ્રયત્ન કરવો જોઈએ.
ઓમાનના સુલ્તાનનું અવસાનઃ વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
નવી દિલ્હીઃ ઓમાનના સુલતાન કબુસ બિન સૈદનું શુક્રવારે સાંજે અવસાન થયું હતું. સ્થાનિક મીડિયાએ શનિવારે તેની પુષ્ટિ કરી છે. જોકે,ઓમાનના સુલતાન કબુસ બિન સૈદ અવસાનનું સત્તાવાર રીતે કારણ હાલ સુધી જણાવવામાં આવેલ નથી. કબુસ બિન સઈદના અવસાન પછી ઓમાનમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક રજા જાહેર કરવામાં આવ્યો છે.
ઓમાન સાથે ભારતનાં પણ સારા રાજદ્વારી સબંધો છે. ઓમાનનાં સુલતાન કબુસ બિન સૈદ અલ સૈયદના નિધન પર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ પોતાનાં ટ્વીટમાં લખ્યું હતું કે “મને મહાશય સુલતાન કબુસ બિન સૈદ અલ સૈયદના નિધન વિશે જાણ થતા ખૂબ દુ:ખ થયું છે. તે એક સ્વપ્નદ્રષ્ટા નેતા અને રાજકારણી હતા, જેણે ઓમાનને આધુનિક અને સમૃદ્ધ રાષ્ટ્રમાં પરિવર્તિત કર્યો છે. તે આપણા ક્ષેત્ર અને વિશ્વ માટે શાંતિનો એક આદર્શ હતા.
પીએમ મોદીએ પોતાનાં વધું એક ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે કે, સુલતાન કબુસ ભારતનાં સાચો મિત્ર હતા અને ભારત અને ઓમાન વચ્ચે જીવંત વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવા માટે મજબૂત નેતૃત્વ પ્રદાન કરતા હતા. હું તેની પાસેથી મને મળતી હૂંફ અને સ્નેહની હંમેશા કદર કરીશ. તેના આત્માને શાંતિ મળે.
કાબૂસ બિન સઇદ ઓમાનના સૌથી વધુ સમય સુધી સુલ્તાન રહ્યાં. કાબૂસે 1970માં પોતાના પિતાને ગાદી પરથી હટાવી દીધા હતા અને પોતે સુલ્તાનની ગાદી પર બેઠા હતા. સુલ્તાન કાબૂસે લગ્ન કર્યા નહોતા. તેમના નિધન બાદ સુલ્તાનના પદને લઇને કોઇ ઉત્તરાધિકારી નથી.






