Home Blog Page 4880

સ્પિનના જાદુગર વોર્નની ટોપીએ પણ તોડ્યો રેકોર્ડ

સિડની: વિશ્વના મહાન લેગ સ્પિનર અને પૂર્વ ઓસ્ટ્રેલિયન શેન વોર્ને તેના ટેસ્ટ કરિયર દરમ્યાન પહેરેલી કેપ ‘બેગી ગ્રીન’ ની હરાજી 1 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે 4.92 કરોડ રૂપિયામાં થઈ છે. આ સાથે જ ‘બેગી ગ્રીન કેપ’એ એક વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે, હવે તે ક્રિકેટ ઇતિહાસમાં વેચાયેલી સૌથી મોંઘી અને યાદગાર વસ્તુ બની ગઈ છે. ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગથી અસરગ્રસ્તોને મદદ કરવા વોર્નને તેની ટેસ્ટ ડેબ્યૂ મેચ ગ્રીન કેપની હરાજી કરવાનો નિર્ણય લીધો હતો.

50 વર્ષીય શેન વોર્ને ટ્વીટ કરીને જે લોકોએ હરાજીમાં બોલી લગાવી હતી તેમનો આભાર માન્યો છે. શેનની આ કેપ માટેની હરાજીની પ્રક્રિયા 6 જાન્યુઆરીથી શરુ થઇ હતી જે 10 જાન્યુઆરીએ સવાર સુધી ચાલી. ગણતરીના કલાકોમાં જ કેપની કિંમત 1.5 કરોડને પાર પહોંચી ગઈ હતી. આ કેપની રકમ સીધી રેડ ક્રોસ બુશફાયર અપીલને જતી રહેશે.

હરાજીની વેબસાઇટ પરથી મળતી માહિતી મુજબ શેન વોર્ને ટેસ્ટ કારકિર્દીમાં રમનારી તમામ 145 મેચ દરમ્યાન આ કેપ પહેરી હતી. જેમાં તેણે ઓસ્ટ્રેલિયા તરફથી 708 વિકેટ ઝડપી હતી. આ કેપ વોર્ન દ્વારા ઓટોગ્રાફ કરેલા પ્રમાણપત્ર સાથે આવશે.

હરાજીમાં વેચાયેલી અત્યાર સુધીની સૌથી મોંઘી ક્રિકેટ એસેસરીઝ:

  • ડોન બ્રેડમેને પોતાની અંતિમ ટેસ્ટમાં પહેરેલી કેપ 2003માં 1,70,000 પાઉન્ડમાં વેચાઈ હતી.
  • એમએસ ધોનીએ 2011ના વર્લ્ડ કપ ફાઇનલમાં વાપરેલું બેટ 2011માં 1,00,000 પાઉન્ડમાં વેચાયું હતું.
  • જોન વિઝ્ડન ક્રિકેટર્સ અલમાનકનું આખું સેટ 2008માં 84,00 પાઉન્ડમાં વેચાયું હતું.
  • ગેરી સોબર્સે જે બેટથી 6 બોલમાં 6 સિક્સ મારી હતી તે 2000માં 54,257 પાઉન્ડમાં વેચાયું હતું.
  • સોબર્સે જે બેટથી પાકિસ્તાન સામે 365* રન કર્યા હતા તે 2000માં 47,475 પાઉન્ડમાં વેચાયું હતું.

 

ઉલ્લેખનીય છે કે, એક અનુમાન મુજબ 50 કરોડથી વધુ વન્ય જીવ જંતુઓ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગમાં બળીને ખાખ થઈ ગયા છે. આ ઉપરાંત આગમાં કેટલાક લોકોના પણ મોત થવાની સાથે અનેક ઘરો પણ સળગીને રાખ થઈ ગયા છે.

46 વર્ષનો થયો હ્રતિક રોશન, જાણો તેના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

નવી દિલ્હીઃ બોલીવુડનો મોસ્ટ હેન્ડસમ હ્રતિક રોશન આજે 46 વર્ષનો થયો છે. હ્રતિક રોશને 6 વર્ષની ઉંમરથી જ પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી. તેણે શ્રીદેવી અને સુપરસ્ટાર રજનીકાંતના દિકરાનું પાત્ર ભજવ્યું હતું. આજે હ્રતિક રોશને પોતાની એક્ટિંગ-ડાંસિગના દમ પર બોલીવુડમાં પોતાની એક અલગ જગ્યા બનાવી છે.

હ્રતિક રોશનનો જન્મ 10 જાન્યુઆરી 1774ના રોજ થયો હતો અને ખૂબ ઓછા લોકો જાણે છે કે હ્રતિક રોશનનું સાચું નામ હ્રતિક રાકેશ નાગરથ છે. રાકેશ તેના પપ્પા અને નાગરથ તેના દાદાનું નામ છે. હ્રતિક રોશનનો સંબંધ સંગીત પરિવાર સાથે છે અને તેને સંગીતનું જ્ઞાન જન્મથી જ છે. એટલા માટે ‘જિંદગી ના મિલેગી દુબારા’ અને ‘ગુજારિશ’ જેવી ફિલ્મોમાં તેણે ગીત ગાયું હતું.

હ્રતિક રોશને પોતાની પહેલી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ બાદ પોતાના ફર્સ્ટ લવ સુજેન સાથે વર્ષ 2000માં લગ્ન કર્યા હતા, પરંતુ કેટલાક મતભેદો બાદ બંન્નેનું 14 વર્ષનું લગ્નજીવન પૂર્ણ થઈ ગયું અને વર્ષ 2014 માં બંન્નેના છુટ્ટાછેડા થઈ ગયા. આ બંન્નેના બે દિકરા છે. મોટા દિકરાનું નામ રેહાન છે, જેની ઉંમર 13 વર્ષ અને નાના દિકરાનું નામ રિદાન છે, જેની ઉંમર આશરે 11 વર્ષ છે. આ બંન્નેએ ભલે પોતાના સંબંધોને 2014માં પૂરા કરી દીધા હોય. પરંતુ બંન્ને પોતાના બાળકો માટે હંમેશા સમય કાઢે છે અને સાથે સમય વિતાવતા પણ જોવા મળે છે. તાજેતરમાં જ તે પોતાના પરિવાર અને એક્સ વાઈફ સુજૈન સાથે રજાઓ મનાવવા ગયો હતો અને તેના ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, હ્રતિક રોશને એકવાર જણાવ્યું હતું કે તેની પહેલી ફિલ્મ રિલીઝ થયા બાદ, તેને લગ્ન માટે ઘણાં પ્રપોઝલ આવ્યા હતાં. પરંતુ હ્રતિક રોશને સુજેન સાથે લગ્ન કરી લીધા હતા.

હ્રતિક રોશનની લીડ એક્ટર તરીકેની પ્રથમ ફિલ્મ ‘કહો ના પ્યાર’ હતી. આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. ત્યારબાદ તેણે પોતાના એક્ટિંગ કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી હતી. ગત વર્ષ હ્રતિક રોશન માટે ખૂબ શાનદાર રહ્યું. તેને એશિયાના ‘મોસ્ટ હેન્ડસમ મેન’નો એવોર્ડ મળ્યો હતો અને તેની બે ફિલ્મો ‘વૉર’ અને ‘સુપર 30’ ખૂબ હિટ રહી.

એક સમયે હ્રતિક રોશન ચેઈન સ્મોકર હતો. પરંતુ તેણે એક પુસ્તક વાંચ્યું જેનું નામ હતું ‘ઈઝી વે ટૂ સ્ટોપ સ્મોકિંગ’. આ પુસ્તકને વાંચ્યા બાદ હ્રતિક રોશને પોતાની સિગરેટની લતને છોડી દીધી હતી.

અમેરિકા-ઈરાન: ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છશે તો પણ ઈરાન પર હુમલો નહીં કરી શકે

વોશિગ્ટન: કુદ્સ ફોર્સના પ્રમુખ મેજર જનરલ કાસિમ સુલેમાનીના મોત પછી ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ બની ગઈ છે. અમેરિકન કોંગ્રેસ આ યુદ્ધને રોકવા માટે યુએસ સેનેટના નીચલી સદન (હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવ)માં આ પ્રસ્તાવ પાસ કરી દીધો છે. મહત્વનું છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અધિકાર સમિતિ કરવા માટે વોર પાવર્સ પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો છે. યુએસના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવમાં વોટિંગ દરમ્યાન પ્રસ્તાવના પક્ષમાં 194 મત પડ્યા હવે આ પ્રસ્તાવને સેનેટના ઉપલા સદનમાં રજૂ કરવામાં આવશે.

મહત્વનું છે કે, જો અમેરિકન કોંગ્રેસના ઉપલા સદનમાં પણ આ પ્રસ્તાવ પાસ થઈ જશે તો આ પ્રસ્તાવને લાગુ કરવામાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષરની જરૂર નહીં પડે. જોકે, રિપબ્લિકન સાંસદોની બહુમતિ વાળા સેનેટમાં આ પ્રસ્તાવનું પાસ થવું ઘણું મુશ્કેલ લાગી રહ્યું છે.

હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવના સ્પીકર અને ડેમોક્રેટ સાંસદ નેન્સી પેલોસીની અધ્યક્ષતામાં અમેરિકન કોંગ્રેસના નિચલા સદનમાં વોર પાવર્સ પ્રસ્તાવ માટે વોટિંગ કરવામાં આવ્યું હતું. આ વોટિંગમાં 224 સાંસદએ ભાગ લીધો હતો.

ઈરાન સાથે શાંતિની અપીલ કરી ચૂક્યા છે ટ્રમ્પ

ઈરાન સાથે તણાવની વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું હતું કે, અમે ઈરાનને હુમલાની બદલે જવાબ આપવાને બદલે કોઈ અન્ય વિકલ્પ અંગે વિચારી રહ્યા છીએ. ઈરાનને આર્થિક પ્રતિબંધ લગાવીને દંડિત કરશું.

ટ્રમ્પના આ નિવેદનથી અટકળો લાગી રહી છે કે, ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતાઓ હાલ શાંત પડી ગઈ છે. ટ્રમ્પના આ નિવેદનને પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો કરવા માટે ખૂબ જ મહત્નું માનવામાં આવી રહ્યું છે.

મમતા બેનર્જી અને ઓવૈસીનું સીએએના વિરોધમાં પ્રદર્શન

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સીએએના વિરોધમાં ધરણા કરશે, તો હૈદરાબાદમાં અસદુદ્દીન ઓવૈસી તરફથી તિરંગા યાત્રા કાઢવામાં આવશે. આ તમામ વચ્ચે મુસ્લિમ સંગઠનોએ આજે સીએએના વિરોધમાં રોજા રાખવાની જાહેરાત કરી છે. મુસ્લિમ સંગઠનો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે અમે લોકો સીએએના વિરોધમાં એક દિવસના રોજા રાખીશું. પ્રાપ્ત વિગતો અનુસાર સીએએના વિરોધમાં આજે પણ મુસ્લિમ સંગઠનો જૂની દિલ્હીમાં આવેલી જામા મસ્જિદ વિસ્તારમાં એકવાર ફરીથી પોતાનો અવાજ ઉઠાવશે. સાંજે સંવિધાનની પ્રસ્તાવના વાંચ્યા બાદ જ રોજા તોડવામાં આવશે.

દેશની ઘણી હાઈકોર્ટમાં સીએએ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી. આને લઈને કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે નોટિસ આપી છે. આવતી સુનાવણી હવે 22 જાન્યુઆરીના રોજ થશે.

વડોદરાથી પકડાયેલા આતંકીની પૂછપરછમાં થયા અનેક મોટા ખુલાસાઓ

વડોદરા: ગુજરાત ATSએ વડોદરાના ગોરવા વિસ્તાર પાસેથી આતંકવાદી ઝફર અલી ઉર્ફે ઉમર નામના આતંકવાદીને ઝડપી લીધો છે. તમિલનાડુનો રહેવાસી આ આતંકી ગુજરાતમાં રહી ISIS માટે કામ કરતો હોવાની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે. આ આતંકી ભરૂચ અને વડોદરા શહેરની આસપાસના વિસ્તારોમાં રહીને નેટવર્ક ઉભુ કરવાની ફિરાકમાં હતો. ઝફર ગોરવામાં એક કાચા મકાનમાં છેલ્લા થોડાક દિવસથી રહેતો હતો. આતંકવાદીની વધારે પૂછપરછ માટે અમદાવાદમાં ગુજરાત એટીએસ ખાતે લાવવામાં આવ્યો છે.

આ આતંકી 26 ડિસેમ્બરથી ઝફર વડોદરામાં રહી રહ્યો હતો. આ આતંકીનો ઈરાદો વડોદરામાં સિમિના નવા અવતાર PFI નું માળખું તૈયાર કરવાનો હતો. આતંકી ઝફર પાસેથી એ.ટી.એસએ ઓટોમેટિક પિસ્તલ કબજે કરી છે. આ આતંકી ગોરવામાં અબ્દુલ રહીમના નામથી રહેતો હતો. આતંકીને જંબુસરથી વડોદરા આવવા લોજિસ્ટિક સપોર્ટ મળ્યો. લોજિસ્ટિક સપોર્ટ માટે મદદ કરનારની પણ પોલીસે અટકાયત કરી છે:

સૂત્રોના મતે તમિલનાડુના તમિલનાડુનું ફંડામેન્ટલિસ્ટ ગ્રૂપના 6 આતંકીઓએ દેશના અલગ અલગ ભાગમાં હિજરત કરી હતી. જેમાંથી ઝફર ઉર્ફે ઉમર વડોદરાના ગોરવા પાસેથી ઝડપાયો છે. જ્યારે ત્રણ આતંકવાદી દિલ્હીથી ઝડપાયા છે.

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ આવતા અઠવાડિયે ભારત આવશે

નવી દિલ્હી – અમેરિકાની કંપની એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ આવતા અઠવાડિયે ભારતની મુલાકાતે આવવાના છે અને નવી દિલ્હીમાં એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા અન્ય ટોચના અધિકારીઓ તથા ભારતના ઉદ્યોગક્ષેત્રના આગેવાનોને પણ મળે એવી ધારણા છે.

બેઝોસ 15-16 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં નિર્ધારિત એક કાર્યક્રમ ‘SMBhav’માં હાજરી આપવા ભારત આવી રહ્યા છે. એ કાર્યક્રમ ભારતમાં નાના તથા મધ્યમ સ્તરના ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરવાને લગતો છે.

ભારતના પ્રવાસ અને વડા પ્રધાન મોદી સાથે મુલાકાત અંગે બેઝોસે પોતે હજી સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.

એમેઝોન કંપની ભારતમાં તેના વ્યાપારમાં નોંધપાત્ર વૃદ્ધિ કરવા ધારે છે. જોકે એમેઝોન અને વોલ્માર્ટની માલિકીની ફ્લિપકાર્ટ સહિત ઈ-કોમર્સ કંપનીઓ સામે ભારતમાં નાના અને મધ્યમ સ્તરના વેપારીઓમાં રોષ પ્રગટે છે, એનાથી પણ એમેઝોન વાકેફ છે. આવી ઈ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને વધારે પડતા ઊંચા ડિસ્કાઉન્ટ ઓફર કરીને અયોગ્ય ધંધાકીય પ્રથા ચલાવે છે એવો ભારતના વેપારીઓનો આરોપ છે.

ભારત સરકારે વિદેશી મૂડીરોકાણની સાથે ઈ-કોમર્સ માર્કેટપ્લેસીસ માટેના નિયમોને ગયા વર્ષે વધારે કડક બનાવ્યા હતા.

આ નિયમો અંતર્ગત ઈ-કોમર્સ કંપનીઓ પર અમુક નિયંત્રણો લાદ્યા છે. એને પગલે એમેઝોનને તેનાં જોઈન્ટ વેન્ચર્સમાં પુનર્ઘડતર કરવાની ફરજ પડી છે.

Chitralekha Marathi – January 20, 2020

  E-Magazine – Desktop Version PDF Version
This post is only available to members.

અમેરિકા-ઈરાનઃ ટ્રમ્પને યુદ્ધ કરતાંય ચૂંટણીમાં વધારે રસ છે

મેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ થશે કે કેમ તેવી વાતો વચ્ચે ભારતીય સમય પ્રમાણે 8 જાન્યુઆરી રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરી ‘ઑલ ઇઝ વેલ’ની વાતો કરી. તેમણે લાંબું નિવેદન આપ્યું, તેનો સાર એટલો હતો કે હાલમાં અમેરિકાને ઈરાન સામે યુદ્ધ કરવામાં રસ નથી. ઈરાને એવા દાવો કર્યો હતો કે મિસાઇલ હુમલો કરીને અમેરિકી દળોના 80 સૈનિકોને તેમણે ખતમ કર્યો છે. આ દાવા સામે પોતાના દેશના લોકોને ટ્રમ્પ જણાવવા માગતા હતા કે એક પણ સૈનિકનો જીવ ગયો નથી. તેમણે કહ્યું કે ઇરાક ખાતેના જે થાણા પર ઈરાનની મિસાઇલો પડી ત્યાં સામાન્ય નુકસાન થયું છે.

ગયા અઠવાડિયે અમેરિકાએ ડ્રોન હુમલો કરીને ઈરાની સેનાના ટોચના કમાન્ડર કાસેમ સોલેમાનીને  (ભારતમાં કાસિમ સુલેમાની ઉચ્ચાર પ્રચલિત બન્યો છે) ઠાર કર્યા પછી ઈરાને બદલો લેવાની વાત કરી હતી. સુલેમાની માત્ર સેનાના કમાન્ડર નહોતા, પણ એક રાજકારણી જેવા હતા અને ઈરાનની વિદેશ નીતિ તેમના હાથમાં હતી. સુલેમાનીના મોતથી ઈરાનની પ્રજામાં ભારે રોષ છે અને તેના કારણે ઈરાની સત્તાધીશોએ કાર્યવાહી કરવી જરૂરી બની છે. આ સંજોગોમાં ફરી અખાતમાં યુદ્ધ થશે કે કેમ તેની ચિંતા ઊભી થઈ હતી.


આવી ચિંતા વચ્ચે ઈરાને જાહેરાત કરી તેણે ઇરાકમાં આવેલા અમેરિકી દળોના બે થાણા પર હુમલો કર્યો છે. અલ અસદ અને ઇરબિલ હવાઇ અડ્ડા પર મિસાઇલ્સનો મારો ચલાવ્યો હતો. 80 અમેરિકી સૈનિકોને ઠાર માર્યાનો દાવો કરાયો હતો, પણ ટ્રમ્પે સોશ્યલ મીડિયામાં મેસેજ મૂક્યો હતો કે ઑલ ઇઝ વેલ. પત્રકાર પરિષદમાં તેમણે સ્પષ્ટતા કરી કે કોઈ અમેરિકી જવાન માર્યો ગયો નથી. તેમણે ઈરાન સામે કોઈ મોટી કાર્યવાહીની વાતો ના કરી, બલકે દેશના મતદારોને સંબોધતા હોય તેવી રીતે વાતો કરી. તેમણે કહ્યું કે ઈરાને જે મિસાઇલો નાખી તે ભૂતકાળના અમેરિકી પ્રમુખોએ આપેલી આર્થિક સહાયના કારણે જ બની હતી. મારા નેતૃત્ત્વમાં અમેરિકા સેના બહુ મજબૂત બની છે અને અમેરિકા ફરી ગ્રેટ બન્યું છે તેવી ચૂંટણી જેવી વાતો પણ કરી.

તેથી વિશ્લેષકોએ તારણ એ કાઢ્યું છે કે ટ્રમ્પને હાલમાં ઈરાન સામે યુદ્ધમાં રસ નથી. તેમને પોતાની 2020માં આવી રહેલી ચૂંટણીમાં રસ છે. તેમણે ઇમ્પિચમેન્ટનો સામનો કરવાનો છે અને તે પછી બીજી વાર પ્રમુખ બનવા માટે ચૂંટણી જીતવાની છે. ટ્રમ્પની ભરપુર મજાક અમેરિકામાં થઈ રહી છે, પણ તેમની લોકપ્રિયતામાં બહુ ફરક પડ્યો નથી. તે ઇમિગ્રન્ટ્સ વિરોધી, માત્ર શ્વેત લોકોના હિતની, તોડફોડ અને આમ કરી નાખવાની અને તેમ કરી નાખવાની વાતો કરે છે તે અમેરિકાના રૂઢિચૂસ્ત લોકોને ગમે છે.

બીજી બાજુ અમેરિકા સેના વિશ્વમાં ઠેર ઠેર જઈને દખલ કરે છે અને તેની પાછળ અબજો ડૉલર વેડફાઇ છે તેનો સ્થાનિક ધોરણે થોડો વિરોધ પણ છે. અમેરિકામાં ગરબી વધી રહી છે – ચાર કરોડો અમેરિકીઓ ગરીબી રેખાની નીચે હોવાનો અંદાજ છે. તે સંજોગોમાં દુનિયાના રાજકારણમાં બિનજરૂરી દખલ દેવાના બદલે દેશના અર્થતંત્રને ફરી દોડતું કરવાની માગણી થઈ રહી છે. સાચી વાત એ છે કે વૈશ્વિક મંદી વચ્ચે પણ અમેરિકાનું અર્થતંત્ર ઓછા નુકસાન સાથે અને રાબેતા મુજબ ચાલી રહ્યું છે. બેકારીનું પ્રમાણ વધ્યું નથી, તેથી ટ્રમ્પ દાવો કરી શકે છે કે તેમના શાસનમાં અર્થતંત્ર સૌથી સારું છે, જે અર્ધસત્ય છે. અમેરિકા વધારે ગતિથી પ્રગતિ કરી શકે છે, પણ ટ્રમ્પ જેવા નેતાઓ આપવડાઇમાં દેશને જુદી દિશામાં લઈ જઈ રહ્યા છે તેની ચિંતા અમેરિકાના ઘણા લોકોને છે.

આ બધા વચ્ચે તેમણે કાસિમ સુલેમાનીને ઠાર કરવા માટે મંજૂરી આપી હતી. બગદાદમાં એરપોર્ટ નજીક તેમના કાફલા પર ડ્રોનથી હુમલો થયો હતો. આઈએસના વડા બગદાદીને સિરિયામાં તે છુપાયો હતો ત્યાં હુમલો કરીને ઠાર કરાયો તે પછી ટ્રમ્પ માટે આ મોટી સફળતા હતી. જોકે સુલેમાની અને બગદાદી કે બિન લાદેન વચ્ચે ફરક છે. બગદાદી અને લાદેન આતંકવાદી હતા, જ્યારે સુલેમાની ઈરાનના કૂદ્સ ફોર્સ તરીકે જાણીતા અર્ધલશ્કરી દળના સત્તાવાર કમાન્ડર હતા અને મહત્ત્વના નેતા પણ હતા. ઈરાનની શિયા પ્રભુત્વની મહત્ત્વાકાંક્ષા છે, તેમાં સુલેમાનીની ભૂમિકા અગત્યની હતી. તેમની આગેવાનીમાં કૂદ્સના કમાન્ડો ઈરાનની બહાર, ઇરાક સહિત સમગ્ર મધ્ય પૂર્વમાં ફેલાયેલા છે. સિરિયામાં કબજો જમાવ્યા પછી સુન્ની કટ્ટરપંથી આતંકવાદી આઈએસ આસપાસના દેશોને કબજે કરવા લાગ્યું હતું, ત્યારે તેની સામે લડવામાં ઈરાને પણ ભૂમિકા ભજવી છે. ઇરાકના બગદાદ પર આઈએસનો કબજો થવાનો હતો, પણ ઈરાનના સૈનિકોએ તેમનો સામનો કર્યો હતો. તુર્કીમાં અને ઈરાનની સરહદની નજીક આઈએસના આતંકવાદીઓ પહોંચી ગયા ત્યારે પણ સુલેમાનીએ પોતાના દળો દ્વારા તેને પાછા ભગાડ્યા હતા.

આ બધા કારણોસર સુલેમાનીને ઠાર કરવાના ટ્રમ્પના નિર્ણયને વિશ્વમાંથી વ્યાપક ટેકો મળ્યો નથી. નાટોના સાથે દેશો પણ બહુ રાજી નથી. યુરોપમાંથી પણ એટલો ટેકો મળ્યો નથી. ગલ્ફમાં અશાંતિ થાય તેની અસર યુરોપના અર્થતંત્ર પર થાય છે. જર્મની અને ફ્રાન્સે ખુલ્લો વિરોધ કર્યો છે. આ ઘટના પછીય જર્મની અને ફ્રાન્સે પોતાના દળો ગલ્ફમાંથી ઓછા કરવાની વાતને વળગી રહ્યા છે. ભારતના પોતાના મોટા હિતો ગલ્ફમાં છે. ભારતના 80 લાખ લોકો સંયુક્ત આબર અમિરાત સહિત અખાતના જુદા જુદા દેશોમાં કામ કરે છે. વર્ષ 40 કરોડ ડૉલરની કમાણી કરીને તેઓ ભારત મોકલે છે. ભારતની ક્રૂડની અને કુદરતી ગેસની આયાત ગલ્ફમાંથી થાય છે. તેના કારણે ભારત પણ આ બાબતમાં ટ્રમ્પને ટેકો આપી શકે નહિ. ગમે તેવી દોસ્તી છતાં નરેન્દ્ર મોદી ટ્રમ્પને ટેકો આપી શકે તેવી સ્થિતિમાં નથી.

બીજું અમેરિકાએ ક્રૂડ અને ગેસનું ઉત્પાદન વધારી દીધું છે અને તેને હવે ગલ્ફના ઑઇલની ગરજ નથી. ટ્રમ્પે પત્રકાર પરિષદમાં તેનો ઉલ્લેખ પણ કર્યો હતો. અમેરિકાએ ઉર્જાની જરૂરિયાતની બાબતમાં સ્વાવલંબન હાંસલ કરી લીધું છે. આપણને ગલ્ફના ઑઇલની જરૂર નથી એમ તેમણે કહ્યું. તેમનો કહેવાનો ભાવ ચૂંટણી પ્રચારમાં હોય તેવો, મેં જ બધું કર્યું છે તેવું કહેવાનો પણ હતો, પણ વાત ખોટીય નથી. યુરોપના દેશો એટલે જ અમેરિકાથી નારાજ થયા છે. અમેરિકાએ પોતાના હિતો સાધી લીધા અને હવે યુરોપના દેશોનો ગલ્ફમાંથી ઑઈલ આયાતમાં મુશ્કેલી થાય તેવું પગલું લીધું છે.

ભારતનું ક્રૂડ આયાતનું બિલ ઓલરેડી આ અઠવાડિયે વધી ગયું છે. તંગદિલી વધશે અને ક્રૂડનો ભાવ ઊંચો જશે તો ભારતને ફટકો પડશે. બીજું ઈરાન સાથે ભારતના સંબંધો સારા છે. ભારત ત્યાં ચાબહર પોર્ટ પણ ડેવલપ કરી રહ્યું છે. તેથી ખુલ્લેઆમ યુદ્ધ થાય ત્યારે ભારત માટે વિમાસણ થાય તેવું છે. ભારત અમેરિકાના પ્રયાસોને ગમે તેવા સારા સંબંધો છતાં ટેકો આપી શકે તેમ નથી. જોકે હવે લાગે છે કે વાત ઠંડી પડી ગઈ છે. ટ્રમ્પને પણ લાગ્યું છે કે વિશ્વમાં તેને ટેકો મળ્યો નથી. સુલેમાનીને ઠાર કરવાના નિર્ણયનો સાથી દેશોએ વિરોધ જ કર્યો છે. બગદાદી અને બિન લાદેનન ઠાર કરવા જોઈએ, કેમ કે તે આતંકવાદી હતા, પણ કોઈ દેશના રાજકીય નેતાને ઠાર કરવામાં આવે અને તેને ચલાવી લેવામાં આવે તો ખોટો ચાલ પડે. તેના કારણે પણ ટ્રમ્પે પીછહેઠ કરી હોય તેવું લાગે છે.

બીજું કે તેમનો હેતુ સરી ગયો છે. 2020 ચૂંટણીમાં છાતી ફુલાવીને પ્રચાર કરવા માટેનો તેમનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. ટ્રમ્પ અને અમેરિકા પાસે મજબૂત દલીલો પણ છે. ઈરાનને વારંવાર ચેતવણી આપવામાં આવી હતી. ઈરાને અગાઉ અખાતમાંથી પસાર થતા વહાણો પર હુમલો કર્યો હતો. અમેરિકાનું ડ્રોન પણ તોડી પાડ્યું હતું. ઇરાકમાં અમેરિકાના અડ્ડા છે તેના પર વારંવાર હુમલા પણ કર્યા હતા. હુમલા કરનારામાં કૂદ્સના કમાન્ડો હતા, તેથી સુલેમાની અમેરિકી નાગરિકોના હત્યારા છે તેવું અમેરિકાએ કહ્યું હતું. આવા એક હુમલામાં જોકે એક સિવિલિયન અમેરિકન કોન્ટ્રેક્ટર માર્યો ગયો હતો. તેનું બહાનું કરીને, બીજાની ધરતી પર, ઇરાકની ધરતી પર ડ્રોનથી સુલેમાની પર હુમલો કર્યો તે વધારે પડતું હતું તેમ ઘણા દેશોએ માન્યું છે. અમેરિકા ઈરાની સેનાના અડ્ડા પર વળતા હુમલા કરી શક્યું હોત.

સામી બાજુ ઈરાન પણ ભલે પ્રજાના રોષને જોઈને બદલો લેવાની વાત કરે, પણ અમેરિકા સામે તે બાથ ભીડી શકે તેમ નથી. આર્થિક પ્રતિબંધોને કારણે ઈરાન મુશ્કેલીમાં છે પણ ખરું. તેથી જ જાણકારો એવું કહે છે કે ઇરાકમાં રહેલા અમેરિકી થાણા પર ઈરાને મિસાઇલોનો મારો કર્યો તે કાળજીપૂર્વક કર્યો હતો. એવી રીતે હુમલો થયો છે કે અમેરિકી સૈનિકો કે ઇરાકના નાગરિકો માર્યા ના જાય. તાજા અહેવાલો પ્રમાણે બુધવારે રાત્રે ફરી ઈરાને બગદાદમાં એક વિસ્તાર પર હુમલો કર્યો હતો. બગદાદના ગ્રીન ઝોન કહેવાતા વિસ્તાર પર બોમ્બમારો થયો છે. ભારે સુરક્ષા બંદોબસ્ત ધરાવતા આ વિસ્તારમાં અમેરિકાની એમ્બેસી સહિત ઘણા દેશોની એમ્બેસીઓ આવેલી છે. બે રોકેટ તે વિસ્તારમાં પડ્યા હતા તેવા અહેવાલો છે. તેમાં કોઈ જાનહાની થઈ છે કે કેમ તે સ્પષ્ટ નથી.


ટૂંકમાં તાત્કાલિક ઈરાન અને અમેરિકા બંનેને યુદ્ધમાં રસ નથી તેમ લાગે છે, પણ નાના મોટા હુમલા થતા રહેશે. ઈરાનમાં લોકોના આક્રોશ વચ્ચે કામગીરી થઈ રહી છે તેવું દેખાડવું જરૂરી છે. તેથી ઇરાક તથા મધ્ય પૂર્વમાં અમેરિકી દળો ગોઠવાયેલા છે તેના પર હુમલા થતા રહેશે. એમ્બેસી કે અમેરિકી સંસ્થાઓની કચેરીઓ પર પણ હુમલા થઈ શકે છે. તેમાં મોટા પાયે જાનહાની થશે ત્યારે ફરી તંગદિલી થઈ શકે છે. જાનહાની ઓછી હશે તો અમેરિકા પણ સામી એવી જ હુમલાની નાની મોટી કાર્યવાહી કરી શકે છે. મોટા પાયે આક્રમણ કરવામાં આવે અને તેમાં અમેરિકાના સૈનિકોની વધારે જાનહાની થાય તે ટ્રમ્પને પણ ચૂંટણીના વર્ષમાં પરવડે તેવું નથી. આ રીતે અમેરિકા અને ઈરાન બંનેની પોતપોતાની મજબૂરીઓ છે તે ભારત માટે રાહતની વાત છે. ભારતને આ ઝઘડામાં નાહકનું નુકસાન થાય તેવું છે, ત્યારે ભારતે પણ પોતાની રીતે તંગદિલી ના વધે તે માટેના પ્રયાસોમાં જોડાવું જોઈએ. સાઉદી અને ઇરાક જેવા અમેરિકાના સાથી દેશો પણ સ્થિતિ બગડવા દેવા માગતા નથી. યુરોપના દેશોનું દબાણ ટ્રમ્પ પર સંયમ રાખવા માટે છે. આ દબાણ કામ કરતું રહે તે ભારતના પણ હિતમાં છે.