Home Blog Page 4881

17 રાજ્યોમાં કોરોનાના 1,023 કેસ મરકઝથી જોડાયેલાઃ કેન્દ્ર

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે દેશનાં 17 રાજ્યોમાં કોરોના વાઇરસના 1,023 મામલા તબલિગી જમાતના નિઝામુદ્દીનના મરકઝમાં થયેલા કાર્યક્રમ સાથે જોડાયેલા છે. દેશમાં કુલ આવેલા કોરોનાના કેસોમાં 30 ટકા કેસો એક જગ્યા મરકઝ સાથે સંબંધિત છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે નવ ટકા કોરોનાના દર્દીઓ 0થી 20 વર્ષની વચ્ચેની ઉંમરના છે, જ્યારે 42 ટકા 20થી 40, 33 ટકા 40થી 60 અને 17 ટકા દર્દીઓ 60 વર્ષથી ઉપરના છે.

છેલ્લા 24 કલાકમાં 601 પોઝિટિવ કેસ

સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે અત્યાર સુધી ભારતમાં 2,902 મામલા સામે આવ્યા છે. ગઈ કાલથી અત્યાર સુધી એક દિવસમાં 601 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 12 મોત થયાં છે. આ આંકડાની સાથે અત્યાર સુધી દેશમાં કોરોનાથી 68 લોકોનાં મોત થયાં છે, જ્યારે 183 લોકો આ રોગમાંથી મુક્ત થયા છે. તેમણે કહ્યું કે જો કોઈએ આ રોગને ગંભીરતાથી ના લીધો તો સ્થિતિ વધુ વણસી શકે છે.  

મરકઝે કોરોના જંગ મુશ્કેલ બનાવ્યો

તબલિગી જમાતે દેશમાં કોરોના વાઇરસ સામેનો જંગ જટિલ બનાવી દીધો છે. એનો અંદાજ એ વાત પરથી જ કાઢી શકાય છે કે પાછલા બે દિવસથી જે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે એ મોટા ભાગે જમાતથી આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે ગઈ કાલે કહ્યું હતું કે 14 રાજ્યોમાં 647 કોરોના પોઝિટિવ મામલે તબલિગી જમાતથી જોડાયેલા હતા. આ મામલા આંદામાન-નિકોબારથી માંડીને આસામ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાના, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાંથી મળ્યા છે.

8 એપ્રિલે રાજકીય પક્ષો સાથે વડાપ્રધાન કરશે વિડીયો કોન્ફરન્સ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે વડાપ્રધાન મોદી 8 એપ્રીલના રોજ સવારે 11 વાગ્યે કોન્ફરન્સિંગના માધ્યમથી રાજનૈતિક દળો સાથે વાત કરશે. વિડીયો કોન્ફરન્સિંગમાં એ જ દળો જોડાશે કે જેમની પાસે સંસદમાં પાંચથી વધારે સાંસદ છે. વડાપ્રધાન મોદીના આ વિડીયો કોન્ફરન્સિંગની જાણકારી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આપી છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, બેઠકમાં કોરોના વાયરસના મુદ્દાને લઈને વાત કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન મોદી આ દરમિયાન તમામ રાજનૈતિક દળના નેતાઓ સાથે કોરોના વાયરસને રોકવા સિવાય દેશવ્યાપી લોકડાઉનને લઈને ચર્ચા કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં વધતા કોરોના વાયરસના કેસોને લઈને વડાપ્રધાન મોદી સતત વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકો કરી રહ્યા છે અને આ મુશ્કેલીના સમયમાં દેશવાસીઓને સંદેશ આપી રહ્યા છે. વડાપ્રધાન મોદી દ્વારા ગઈકાલે એક વિડીયો સંદેશ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે દેશવાસીઓને અપીલ કરતા કહ્યું હતું કે, રવિવાર એટલે કે પાંચ એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યે લાઈટ બંધ કરીને દિવડા પ્રગટાવજો. વડાપ્રધાન મોદીની આ અપીલને સોશિયલ મીડિયા પર લોકોનું અપાર સમર્થન મળી રહ્યું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, રાજ્યમાં અત્યારસુધી કોરોના વાયરસના 2650 કેસો સામે આવ્યા છે અને 68 જેટલા લોકોના મોત થયા છે. 183 જેટલા લોકોને કોરોનાની સારવાર બાદ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. કોરોનાની મહામારીથી દેશને બચાવવા માટે સરકાર યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.

વૈશ્વિક મંદીની ભારતીય અર્થતંત્ર પર ઘેરી અસર નહીંઃ ADB

નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોના સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતિને કારણે વૈશ્વિક દેશોમાં કારમી મંદી છવાઈ જવાની આશંકા છે, એક અહેવાલ મુજબ ભારતીય અર્થતંત્ર પર જોકે એની ગંભીર અસર નહીં પડે. એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB) દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં ભારતનો વિકાસદર ચાર ટકા રહેવાની શક્યતા છે. જોકે આ દરમ્યાન એશિયાનો વિકાસદર માત્ર 2.2 ટકા રહેવાનું અનુમાન છે. બેન્કે આગામી નાણાકીય વર્ષ (2020-21)માં ભારતનો આર્થિક વૃદ્ધિદર 6.2 ટકા રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.   

ભારત પર ખાસ અસર નહીં

ADBએ અહેવાલમાં કહ્યું છે કે ભારતીય અર્થંતંત્રનો પાયો મજબૂત હોવાને કારણે આગામી નાણાકીય વર્ષ દરમ્યાન ભારતનો વિકાસ દરમાં તેજી આવવાની શક્યતા છે. બેન્કના જણાવ્યા મુજબ અત્યાર સુધી ભારતમાં કોરોનાના કેસમાં અસામાન્ય વધારો નથી થયો. તેમ છતાં સરકાર દ્વારા આને રોકવા માટે અસરકારક પગલાં લેવાની સાથે કોર્પોરેટ અને ઇનકેમ ટેક્સને લઈને નાણાકીય સુધારા કરવામાં આવ્યા છે. જેની અસર આગામી નાણાકીય વર્ષમાં જોવા મળશે.

ચીનમાં ઉદ્યોગ, વેચાણ, રોકાણ ઘટ્યાં

બેન્કના અંદાજ મુજબ કોવિડ-19ને લીધે આ વર્ષે પહેલા ત્રિમાસિક ગાળામાં ચીનના ઉદ્યોગ, વેચાણ અને મૂડીરોકાણમાં ભારે ઘટાડો જોવા મળશે અને આને કારણે ત્યાંની આર્થિક વિકાસ દર 2.3 ટકા રહે એવી શક્યતા છે. આગામી નાણાકીય વર્ષમાં ચીનનો જીડીપી વૃદ્ધિદરની ઝડપ 7.3 ટકા સુધી પહોંચી શકે છે.

બેન્કનો અંદાજ અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કેમ કે શુક્રવારે ફિચ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો વિકાસ દરમાં બે ટકા સુધી સીમિત રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.

વિશ્વ સામે આર્થિક અને આરોગ્યની બેવડી ગંભીર સમસ્યાઃIMF

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)નાં પ્રમુખ ક્રિસ્ટાલિના જોર્જિવાએ કહ્યું હતું કે કોરોના વાઇરસને કારણે વૈશ્વિક મંદીનો પ્રારંભ થયો છે. તેમણે કહ્યું હતું કે 2020ની મંદી 2008ની નાણાકીય કટોકટીથી વધુ ગંભીર છે. આ બેવડું સંકટ છે. હાલ આર્થિક અને આરોગ્યની બેવડી સમસ્યા ગંભીર છે, એમ તેમણે કહ્યું હતું.

રોજગારી મુદ્દે સાથે કામ કરવાની જરૂર

વિશ્વભરમાં કોવિડ-19થી જંગમાં જીવન બચાવવા અને આજીવિકાના રક્ષણ માટે સાથે મળે કામ કરીને આવશ્યકતા છે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના આંકડા અનુસાર હાલમાં વિશ્વભરમાં કોવિડ-19થી 11 લાખથી વધુ લોકો સંક્રમિત થે, જેમાં 50,00થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

લોકડાઉનથી કામચલાઉ મજૂરોને ખાવાના ફાંફાં

દેશભરમાં 21 દિવસ સંપૂર્ણ લોકડાઉન છે, જેને કકારણે દૈનિક મજૂરો અને કામચલાઉ મજૂરોમોટી સંખ્યામાં છે, વળી, હાલમાં કારખાનાં અને ઉત્પાદન એકમો બંધ છે, જેની સૌથી પ્રતિકૂળ અસર કામચલાઉ મજૂરો પર પડી છે. તેમને ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે.

લોકડાઉનમાં રાહતની અપીલ

કેટલાક આર્થિક ક્ષેત્રના નિષ્ણાતો સરકારને સલાહ આપી રહ્યા છે કે લોકડાઉનની વચ્ચે થોડી રાહત આ મજૂરોને ધ્યાનમાં રાખીને આપવામાં આવે. તેમનું કહેવું છે કે જો લોકડાઉન લાબું ચાલ્યું તો એ ભારતની વસતિનો એક મોટો હિસ્સો ભૂખથી મરી જશે. મનરેગા જેવી યોજનાથી લાખ્ખો ગરીબો વંચિત છે. IMFએ કહ્યું હતું કે લોકડાઉનની સાથે સરકારોએ આજીવિકાને પણ સુરક્ષિત કરવાની જરૂર છે.

ફિચનો અંદાજ બે ટકા

કોરોનાને કારણે અને ત્યાર બાદની પરિસ્થિતિને લીધે ભારતમાં ગંભીર સ્થિતિ ઊભી થઈ રહી છે. જેથી તમામ રેટિંગ એજન્સીઓએ ગ્રોથ રેટ ઘટાડી દીધો છે. ફિચે પણ વર્ષ 2019-20 માટે આર્થિક વિકાસ દર ઘટાડીને બે ટકા કર્યો છે, જ્યારે વર્ષ 2020-21 માટે એ 5.6 ટકાથી ઘટાડીને 5.1 ટકા કર્યો હતો.

મૂડીઝે 2.5 ટકા અંદાજ્યો

માર્ચ મહિનામાં મૂડીઝ ઇન્વેસ્ટર્સે 2020ના કેલેન્ડર વર્ષ માટે આર્થિક વૃદ્ધિદર 2.5 ટકા અંદાજ્યો હતો. જે આ પહેલાં 5.3 ટકા અંદાજ્યો હતો.

ADBએ ચાર ટકા અંદાજ્યો

એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB)એ કહ્યું હતું કે કોરોનાને કારણે નાણાકીય વર્ષ 2020 આર્થિક વિકાસ દર ચાર ટકા થશે અને આ રોગચાળાને કારણે વૈશ્વિક અર્થતંત્રને 4.1 ટ્રિલિયન ડોલરનું નુકસાન થવાનો અંદાજ મૂક્યો હતો.

કોરોનાઃ બીજિંગ અને નવી દિલ્હી એકબીજાની મદદમાં

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના સંકટમાં ભારત અને ચીનને એકમેકની નજીક લાવી દીધા છે. આ વાઇરસના શરૂઆતના કેસો ચીનમાં આવ્યા પછી ભારતે ગ્લોબમાસ્ટર વિમાનથી મેડિકલ સપ્લાય મોકલ્યો હતો. જોકે હવે બીજિંગ પણ એ જ રીતે નવી દિલ્હીની મદદ કરી રહ્યું છે. આ પહેલ માટે આગળ આવેલા ચીનના ઉદ્યોગપતિ જેકમા અલીબાબા ફાઉન્ડેશન દ્વારા ભારતને મેડિકલ સપ્લાય મોકલી રહ્યા છે. અત્યાર સુધી તેઓ મેડિકલ સપ્લાયનો ત્રીજો ફેરો મોકલી ચૂક્યો છે.

ભારત-ચીનની રાજકીય મિત્રતાની 70મી વર્ષગાંઠ

ભારત અને ચીન આ વર્ષે કૂટનીતિ મિત્રતાની 70મી વર્ષગાંઠ મનાવીન રહ્યા છે. ભારતમાં ચીની વિદેશપ્રધાન સુન વિડોંગે કોવિડ19 સામેના જંગમાં એકજૂટતાનું પ્રદર્શન કરતાં મોડી રાત્રે ટ્વીટ કર્યું હતું કે જૈક મા અને અલીબાબા ફાઉન્ડેશન દ્વારા ટેસ્ટ કિટના દાનનો ત્રીજો જથ્થો આજે રાતે દિલ્હી પહોંચી જશે અને IRCSને આપવામાં આવ્યો હતો. ભારત અને ચીનના લોકો વચ્ચેની એકજૂટતાથી કોરોના રોગચાળા સામેના પડકારોને પહોંચી વળાશે.  જોકે પહેલાં આ વર્ષગાંઠની ઉજવણી કરવાની હતી, એને કોરોનાને લીધે રદ કરવામાં આવી છે.

ભારત પણ ચીનની મદદ કરી ચૂક્યું છે

ભારતે કોરોના વાઇરસના પ્રારંભના પ્રસારના સમયે જ જાન્યુઆરીમાં પ્રતિબંધોમાં રાહત આપતાં ચીનને સીમિત મેડિકલ ઉપકકરણોની નિકાસને મંજૂરી આપી હતી. એ પછી ફેબ્રુઆરીમાં 15 ટન મેડિકલ સપ્લાય પણ ચીનને મોકલ્યો હતો. જ્યારે ભારતે વેન્ટિલેટરની જરૂર માટે ચીનનો સંપર્ક કર્યો ત્યારે એણે અસમર્થતા જાહેર કરી હતી. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે આ સમયે વિશ્વભરમાં વેન્ટિલેટરોની ભાર માગ છે. ચીન આ રોગચાળાના દોરમાં દબાણનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે અમે ભારતને વેન્ટિલેટર આપવા ઇચ્છુક છીએ, પણ એને બનાવવા માટેના જરૂરી પુરજાની અછત છે અને એને આયાત કરવા પડશે.

બ્રિટનઃ જ્હોન્સનની તબિયત સુધરી, પણ રહેશે આઈસોલેશનમાં

લંડનઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યું છે કે હવે મારી તબિયત સારી છે પરંતુ જ્યાં સુધી મારા કોરોનાના લક્ષણ પૂર્ણ રીતે દેખાવાના બંધ ન થઈ જાય ત્યાં સુધી આઈસોલેશનમાં જ રહીશ. તેમણે આ સાથે જ દેશવાસીઓને અપીલ કરી છે કે તેઓ લોકડાઉનનું પૂર્ણ રીતે પાલન કરે કારણ કે ઘરમાં રહીને જ ઘણી જીંદગીઓ બચાવી શકાશે. જોનસને કોરોના વાયરસ પોઝિટિવ જણાયો છે અને એક સપ્તાહથી તેઓ ડાઉનિંગ સ્ટ્રીટમાં પોતાના ઘરેથી જ કામ કરી રહ્યા છે.

તેમણે ટ્વીટર પર વિડીયો મેસેજ જાહેર કરીને પોતાની તબિયતની જાણકારી આપી છે. જોનસને કહ્યું કે, મારા કેસમાં હું ભલે હવે મારી તબિયત સારી છે તેવું અનુભવી રહ્યો હોવ પરંતુ સાત દિવસ હું આઈસોલેશનમાં રહી ચૂક્યો છું પણ હજી સામાન્ય લક્ષણો મને દેખાઈ રહ્યા છે. હજી શરીરમાં ટેમ્પરેચર છે. સરકારની સૂચના અનુસાર હું મારું આઈસોલેશન ત્યાં સુધી યથાવત રાખીશ કે જ્યાં સુધી મારામાં કોરોનાના લક્ષણ સંપૂર્ણ રીતે દેખાવાના બંધ ન થઈ જાય ત્યાં સુધી.

જોનસને 23 માર્ચના રોજ 3 સપ્તાહનું લોકડાઉન જાહેર કર્યું હતું. તેમણે પોતાના સંદેશમાં દેશવાસીઓને કહ્યું છે કે તેઓ વિકેન્ડમાં બહાર ન જાય, ભલે વાતાવરણ ગમે તેટલું સારું હોય. તેમણે કહ્યું કે, તમે લોકો ઘરમાં રહીને કેટલીય જીંદગઓ બચાવી રહ્યા છો.

અમેરિકી વૈજ્ઞાનિકોનો કોરોનાની વેક્સિન શોધ્યાનો દાવો

ન્યૂયોર્કઃ અમેરિકામાં કોરોના વાયરસના કારણે અત્યારે અમેરિકામાં સ્થિતિ ગંભીર છે. અમેરિકાના વૈજ્ઞાનિકો કોરોના વાયરસની વેક્સિન શોધવાના કામમાં લાગ્યા છે. હવે કોવિડ-19 સાથે જોડાયેલી એક વેક્સિન બનાવવામાં આવી છે કે જેનો પ્રયોગ અત્યારે ઉંદર પર કરવામાં આવ્યો છે. આ પ્રયોગ દરમિયાન જોવા મળ્યું છે કે એક સ્તર પર આવીને આ નવા કોરોના વાયરસ વિરુદ્ધ એક ઈમ્યુનિટી તૈયાર કરી લે છે કે જે કોરોનાના સંક્રમણથી બચાવી શકે છે. અમેરિકી વૈજ્ઞાનિકો અનુસાર જ્યારે આનો પ્રયોગ ઉંદર પર કરવામાં આવ્યો તો પ્રોટોટાઈપ વેક્સિને બે સપ્તાહની અંદર એન્ટી બોડીઝ તૈયાર કરી લીધી છે. આ વેક્સિનનું નામ અત્યારે પિટકોવેક રાખવામાં આવ્યું છે. યૂનિવર્સિટી ઓફ પિટ્સબર્ગ સ્કૂલ ઓફ મેડિસીનના સંશોધક એપણ કહે છે કે જાનવરો પર લાંબા સમય સુધી નજર ન રાખી શકાઈ તો એ કહેવું ઉતાવળ હશે કે ક્યાં સુધી તેમનામાં ઈમ્યુનિટી બનેલી રહેશે. સંશોધકોની ટીમને ભરોસો છે કે આવનારા કેટલાક મહિનાઓમાં આનો પ્રયોગ માણસો પર કરી શકાશે.

કોરોનાએ કેન્સલ કરાવ્યા આ ક્રિકેટરોના લગ્ન

નવી દિલ્હીઃ કોવિડ-19 મહામારીની અસર જ્યાં એકબાજુ મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટ પર પડી છે તો બીજી તરફ લોકોની પ્રાઈવેટ લાઈફ પણ આનાથી પ્રભાવિત થઈ રહી છે. આવામાં ઓસ્ટ્રેલિયાના 8 એવા ક્રિકેટર કે જેમના લગ્ન પર આ ઘાતક વાયરસની અસર પડી છે અને આને સ્થગિત કરવા પડશે. ચીનથી ફેલાયેલા આ વાયરસને WHO એ આ વાયરસને મહામારી જાહેર કરી છે અને ટોક્યો ઓલમ્પિક, યૂરો કપ, આઈપીએલ, ફીફા અંડર-17 મહિલા વર્લ્ડ કપ જેવી મોટી-મોટી સ્થિત કરવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયાના યુવા સ્પિનર એડમ જમ્પા સહિત 8 ક્રિકેટરોને કોરોના વાયરસને લઈને પોતાના લગ્ન સ્થગિત કરવા પડ્યા છે.

ઓસ્ટ્રેલિયાના પેસર જેક્સન બર્ડ, એન્ડ્ર્યૂ ટાઈ, ડાર્સી શોર્ટ, જેસ જોનસન, કેટલિન ફ્રેટ, એલેસ્ટર મેક્ડરમોટ અને મિશેલ સ્વેપ્સનને પોતાના લગ્ન અત્યારે બંધ રાખવા માટે મજબૂર થવું પડ્યું છે. ક્રિકેટ શિડ્યુલને લઈને ઓસ્ટ્રેલિયામાં મોટાભાગના ક્રિકેટર એપ્રીલમાં જ લગ્ન કરે છે. આ દરમિયાન ક્રિકેટ સીઝન પણ ખતમ થઈ રહી હોય છે.

અમેરિકામાં પણ ગુજરાતીઓનો સેવાયજ્ઞ

વોશિંગ્ટનઃ અમેરિકામાં સૌપ્રથમ વાર શુક્રવારે કોરોના વાઇરસના નવા 30,000 કેસો સામે આવ્યા છે, જેથી અમેરિકામાં કોરોના વાઇરસના કુલ કેસ વધીને ,273,000 થયા હતા. આ ઉપરાંત અમેરિકામાં કોરોનાના વાઇરસથી 7,000થી વધુ લોકોનાં મોત થયઈ ચૂક્યાં છે. આ સાથે વિશ્વભરમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 10 લાખને પાર થઈ ચૂકી છે. આમ આ રોગચાળો વિશ્વવ્યાપી બન્યો છે અને આની હજી સુધી કોઈ વેક્સિન કે દવા બનાવી શકાઈ નથી.

 

આવામાં દરેક જણ એકમેકની બને એટલી મદદ કરી રહ્યું છે. આવા સંકટ સમયે ઇન્ડો અમેરિકન કલ્ચર સોસાયટી પણ સમાજની વહારે આવી છે.

આવા કપરા સમયમાં ઇન્ડો અમેરિકન કલ્ચર સોસાયટી ઓફ નોર્ધન અમેરિકાના પ્રમુખ પરિમલ શાહ અને સેક્રેટરી યોગી પટેલ છે, જેઓ લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના પણ  પ્રમુખ છે, તેમણે સંયુક્ત રીતે આશરે 2,500 જરૂરિયાતમંદ લોકોને ફૂડ પાર્સલ પહોંચાડ્યાં હતાં.

ઉત્તરીય અમેરિકાના ભારતીય સંસ્કૃતિ સમાજે આ ફૂડ પાર્સલ માટે મોટા પ્રમાણમાં દાન આપ્યું હતું. આપણે સૌ જાણીએ છીએ કે કોરોના વાઇરસ વિશ્વભરના લોકો માટે પ્રણઘાતક વાઇરસ છે. આ કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ ખૂબ જરૂરી છે. આ રોગથી બચવા માટે સુરક્ષિત રહેવું ખૂબ જ જરૂરી છે.

આવા કપરા સમયમાં સમિતિના જે સભ્યોએ ઉદાર હાથે દાન આપ્યું એ માટે તેમનો ખૂબ-ખૂબ આભાર માનીએ છીએ, એમ આ સંસ્થાના પ્રમુખ પરિમલ શાહે જણાવ્યું હતું. આ ઉપરાંત યોગી પટેલે પણ દાન આપવા સાથે જે સભ્યોએ આ ફૂડ પાર્સલ તૈયાર કરવા માટે મદદ કરી છે તેમનો પણ આભાર માન્યો હતો.

 

કોરોનાઃ ગુજરાતમાં ગરીબો માટેનો સેવા યજ્ઞ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે. ગુજરાતના લાખો લોકો લોકડાઉનમાં પોતાના ઘરમાં પૂરાયેલા છે. કારણકે કોરોના સામે લડવાનો એકમાત્ર ઉપાય, સોશિયલ ડિસ્ટન્સિંગ જ છે. ત્યારે ગુજરાતમાં રોજ કમાઈને રોજ ખાનારા મજૂર વર્ગના લોકો અને ગરીબી રેખા હેઠળ આવતા લોકો અત્યારે મુશ્કેલીમાં મૂકાયા છે.

આ લોકોને મદદ કરવા માટે અનેક સામાજીક સંસ્થાઓ આગળ આવી છે કે જે લોકોને મદદ કરી રહી છે. અમદાવાસ્થિત ગુલમોહર ગ્રીન્સે જે લોકોને લોકડાઉનની ખૂબ માઠી અસર થઈ છે તેવા લોકોને 1.5થી 2 યા શાકભાજીની2,100 બેગનું વિતરણ કર્યુ હતું. આમાંથી 1700 બેગનુ વિતરણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સહાયથી કરવામાં આવ્યું હતું. 250થી વધુ બેગનુ વિતરણ સેટેલાઈટ વિસ્તારમાં કોર્પોરેટ રોડ પાસે કરવામાં આવ્યું હતું અને 200 બેગનુ વિતરણ ઈસ્કોન-આંબલી રોડ વિસ્તાર ઉપર કરવામાં આવ્યું હતું.

ગુલમોહર ગ્રીન્સના અલ્પેશ પરીખ જણાવે છે કે “અમે લોટ, ચોખા, દાળ, મસાલા, ગોળ અને અન્ય ખાદ્ય ચીજો ધરાવતાં 250 કીટ પણ તૈયાર કરયા હતા. દરેક કીટનુ વજન 15 કિલો હતું, જે એક પરિવારને 12 થી 15 દિવસ ટકવા માટે પૂરતું નિવડી શકે.”

તો અગ્રગણ્ય ઔદ્યોગિક  જૂથ “ચિરીપાલ  ગ્રુપ” દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા એક કરોડનું દાન આપવામાં આવ્યું છે, આ રકમનો ચેક “ચિરીપાલ ગ્રુપ”ના ડિરેક્ટર જયપ્રકાશ ચિરીપાલ અને ગ્રુપના અન્ય ડિરેક્ટર્સના  હસ્તે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આપવામાં આવ્યો  હતો.વાયએમસીએ, અમદાવાદએ લોકડાઉન લાદવામાં આવ્યો તે જ દિવસથી જ કપરી હાલતમાં મુકાઈ ગયેલા લોકો માટે  ફૂડપેકેટની વહેંચણીની શરૂઆત કરી છે. ભોજન વાયએમસીએમાં જ તૈયાર થાય છે અને પેક કરવામાં આવે છે, અત્યાર સુધીમાં દૈનિક 45,00થી વધુ ફૂડ પેકેટનું જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું છે. વાયએમસીએ જણાવે છે કે આ ઉમદા પ્રવૃત્તિમાં તેને તેના સભ્યો તરફથી ભારે સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે.

અનેક સામાજિક સંસ્થઆઓ અને વ્યક્તિઓ આવી રીતે ગરીબોને મદદ કરવા માટે આગળ આવી રહયા છે.