Home Blog Page 4885

રાજ્યમાં કોરોનાના 95 કેસઃ અમદાવાદના જ 38

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસો રોજ-રોજ વધતા જઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં કોરોના વાયરસ અંગેના લેટેસ્ટ અપડેટ આજે આપતા આરોગ્ય સચિવ જયંતી રવિ દ્વારા આપવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે આજે 3 એપ્રિલના રોજ ગુજરાતમાં કોરોનાના 95 કેસ થયા છે. તેમજ 8 દર્દીના મોત થયા છે. આ ઉપરાંત 10 દર્દી સાજા થયા છે. નવા કેસમાં આજે અમદાવાદમાં વધુ 7 કેસ નોંધાયા છે. જ્યારે કે આજે સવારે પંચમહાલના કોરોનાના એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1944 ટેસ્ટ કર્યા છે.
અમદાવાદ 38 કેસ, સુરત 12, રાજકોટ 10, વડોદરા 9, ગાંધીનગર 11, ભાવનગર 7, કચ્છ 1, મહેસાણા 1, ગીરસોમનાથ 2, પોરબંદર 3, પંચમહાલમાં 1 કેસ નોંધાયો છે.

વડોદરાના 78 વર્ષના જે દર્દી મૃત્યુ પામ્યા છે તેઓને અન્ય બીમારીઓ પણ હતા. અમદાવાદના તમામ 7 પોઝિટિવ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. અમદાવાદના કેસમાં 17 વર્ષના પુરુષ, 60 વર્ષની મહિલા, 35 વર્ષના પુરુષ, 30 વર્ષની મહિલા તેમજ 7 વર્ષની બાળકી તેમજ 68 વર્ષના પુરુષ પણ (દિલ્હી ટ્રાવેલ કરીને આવ્યા હતા. આ ઉપરાંત 65 વર્ષના એક પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. આમ, કુલ 95 પોઝિટિવ કેસ ગુજરાતમાં છે. જિલ્લાવાઈઝ જોઈએ તો સૌથી વધુ 38 કેસ અમદાવાદમાં છે.

તેમણે જણાવ્યું કે, રાજકોટ એઈમ્સ માટે 43 વેન્ટિલેટર મોકલવામાં આવ્યા છે. તેનો ઉપયોગ કોરોના માટેની હોસ્પિટલમાં કરવામાં આવશે. 228 બાળકો સહિત 332 યુનિટ બ્લડ થેલેસેમિયાના દર્દીને ચઢાવવામાં આવ્યા છે. 117 બાળકોને તેને લગતી દવાઓ પણ આપવામાં આવી છે. કોવિડમાં મૂળ રોગપ્રતિકારક શક્તિ વધારવાની જરૂર છે, જેથી વાયરસના ચેપની શક્યતા ઘટી જાય છે. આયુષ મંત્રાલય દ્વારા પણ સલાહ અપાઈ છે. તમામ સૂચનો ઝીટો બજેટમાં આવે છે. જેમાં ગરમ પાણી પીવું, યોગાસન કરવા, બંને નસ્કોરામાં તલ-નારિયેળનું તલ લગાવવાતી ઈમ્યુન સિસ્ટમ વધે છે. આ ઉપરાંત અનેક ટિપ્સ આપવામા આવી છે.

વિશ્વમાં કોરોનાથી 52,800 લોકોનાં મોત, 10 લાખથી વધુ સંક્રમિત

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના સંક્રમણને લીધે વિશ્વભરમાં લોકોના મોતના આંકડા સતત વધી રહ્યા છે. વિશ્વમાં કોરોનાના કેસ 10 લાખ 11 હજારથી પણ વધી ગયા છે અને વૈશ્વિક મોતનો આંકડો પણ 52,800ને પાર પહોંચી ગયો છે. કોરોના વાઇરસના સૌથી વધુ કેસ અમેરિકા, ઇટાલી સ્પેન, જર્મની અને ચીન જેવા દેશોમાં છે. અત્યાર સુધી સૌથી વધુ કોરોના કેસ અમેરિકામાં 2,42,182 નોંધાયા છે, એમ જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ માહિતી આપી હતી.  

દેશમાં કોરોના વાઇરસના 2069 કેસ અને 53નાં મોત

કોરોનો વાઇરસના કેસમાં દિન-પ્રતિદિન સતત વધતા જાય છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાઇરસને કારણે 53 લોકોનાં મોત થયાં હતાં અનમે 2,069 લોકોને આ રોગના શિકાર થયા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના 235 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 12 કલાકકમાં 12 લોકોનાં કોવિડ-19થી મોત થયાં છે અને 12 જણ આ બીમારીમાંથી સાજા પણ થયા છે. કોરોના વાઇરસને કારણે દેશમાં 14 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન છે.

વડા પ્રધાને મુખ્ય પ્રધાનો સામે વિડિયો કોન્ફરન્સિંગ કરીઆ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસના જોખમને લઈને રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વિડિયો કોન્ફરન્સિંગથી વાતચીત કરી હતી. તેમણે મુખ્ય પ્રધાનોને કહ્યું હતું કે કોવિડ-19ના દર્દીઓ માટે અલગ, વિશેષ હોસ્પિટલોની જરૂર છે. આ બેઠકમાં વડા પ્રધાન મોદીની સાથે ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે મુખ્ય પ્રધાનોને કહ્યું હતું કે આગામી કેટલાંક સપ્તાહો સુધી સાવધાની રાખવામાં આવે.

 

 

 

યૂએસ ઓપન નિશ્ચિત તારીખ અને સમયે જ યોજાશે

ન્યૂયોર્કઃ કોરોના વાયરસ મહામારીના કારણે વિમ્બલ્ડન રદ્દ થઈ ગઈ છે અને ફ્રેન્ચ ઓપન સ્થગિત કરી દેવામાં આવ્યું છે. પરંતુ અમેરિકી ઓપનના આયોજકોએ કહ્યું કે, આ ગ્રેન્ડ સ્લેમ પાના નક્કી સમય અનુસાર જ શરુ થશે. કોરોના વાયરસના કારણે વિમ્બલ્ડનના આયોજકોએ જૂનથી શરુ થનારા સૌથી જૂના ગ્રાન્ડ સ્લેમને રદ્દ કરી દીધા છે. કોરોના વાયરસ મહામારી ન્યૂયોર્કમાં વધ્યા બાદ અહીંયાના નેશનલ ટેનિસ સેન્ટરના ઈન્ડોર કોર્ટનો ઉપયોગ અસ્થાયી હોસ્પિટલની સુવિધા માટે કરવામાં આવી રહ્યો છે.

અમેરિકી ટેનિસ સંઘ કહેરની સ્થિતિ પર નજર બનાવી રાખશે અને જરુર પડ્યે જરુરી બદલાવ કરવામાં આવશે. યૂએસટીએના નિવેદન અનુસાર, વર્તમાન સમયમાં યૂએસટીએની યોજના યૂએસ ઓપનને નિર્ધારિત સમય પર કરાવવાની છે. અમે ટૂર્નામેન્ટની તૈયારીનું કામ ચાલું જ રાખીશું.

પ્રાપ્ત વિગતો અનુસાર, કોરોના વાયરસની મહામારીના કારણે તેજીથી બદલતી સ્થિતિની સાવધાનીપૂર્વક દેખરેખ રાખવામાં આવી રહી છે અને કોઈપણ આકસ્મિક સ્થિતિનો સામનો કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. અમેરિકામાં કોરોના વાયરસના સંક્રમણથી સૌથી વધારે કેસ ન્યૂયોર્કમાં જ સામે આવ્યા છે. બાદમાં અમેરિકી ઓપનની મેજબાની કરનારા સ્ટેડિયમને અસ્થાયી હોસ્પિટલમાં અત્યારે બદલી દેવામાં આવ્યો છે જ્યારે લુઈ આર્મસ્ટ્રોંગ સ્ટેડિયમમાં બિમાર લોકો, સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓ માટે ખાલી થઈ રહ્યું છે.

અમે વાસ્તુનો વિચાર કર્યો અને બધું બંધ થઇ ગયું…

મારા પ્રોબ્લેમનું તમારે સોલ્યુસન આપવું પડશે. એક વાત કહી દઉં છુ, મારાથી ખરાબ કોઈ નહિ હોય. મારા લગ્ન થયા અને પછી ખબર પડીકે મારા પતિને રાજકારણમાં રસ હતો. મને રાજકારણ જરા પણ ન ગમે. એ બધે દોડાદોડી કરે. પણ આવડત પણ હોવી જોઈએ ને? આખી જિંદગી કાર્યકર રહીને જીવન થોડું ચાલે. મારા કારણે એમણે મકાનની લે વેચ ચાલુ કરી. હવે સારું છે. મને જ્યોતિષમાં બહુ રસ પણ એમને એ બધું ન ગમે. તમારા એક પણ શો છોડ્યા નથી. તમારા લેખ પણ વાંચુ. મારા ઘરમાં એ પ્રમાણે ફેરફાર પણ કરું અને ફાયદો પણ થયો. પણ આવું થોડું ચાલે? માંડ બધું સારું ચાલતું હતું ને કેવું થઇ ગયું? અમે ફ્લેટ લીધો અને વાસ્તુની સલાહ લેવાનો વિચાર જ કરતા હતા કે બધું બંધ થઇ ગયું. કલર કામના કારીગરો પણ મળી ગયા હતા. એ લોકો નવા ફ્લેટમાં જ રહેતા. બે દિવસથી સફેદો મારતા હતા ને ખબર પડીકે વાયરસ આવ્યો છે. મેં એમને ઘરે જવા કહ્યું. પાછુ આપણે ત્યાં રહે ને અમારા ઘર સુધી ચેપ લાવે તો? એ લોકો ઉત્તર પ્રદેશ જતા રહ્યા. ફોન ઉપાડતા ન હતા એટલે મારા દીકરાને જોવા મોકલેલો. બાકી આપણને તો ખબર પણ ન પડે. મારા પતિ ખીજાયા કે મને દીકરો વહાલો નથી. બોલો, એવું હોય? આપણને ખબરતો હોવી જોઈએ ને? હવે મૂળ વાત. અમે વાસ્તુનો વિચાર કર્યો અને બધું બંધ થઇ ગયું. હવે એવું કોઈક વાસ્તુનું તારણ આપો કે આખા વિશ્વમાંથી આ કોરોના ભાગી જાય, અમારું કામ ફરી ચાલુ થાય અને ઝટ અમે નવા ઘરે રહેવા જતા રહીએ. અને હા, પેલા લોકો યુપી થી વહેલા પાછા આવે એવું પણ કૈક કરજો. ભૂલચૂક માફ પણ મારા એમને પણ થોડી સદબુદ્ધિ આવે એવું કરજો.

બહેનશ્રી, તમે ખરેખર ભોળા છો પણ જીદ્દી પણ છો. તમે પોતે જ આખી વાત વાંચો. તમારાથી ખરાબ કોઈ ન હોય એ ગર્વ લેવા જેવી બાબત ન જ ગણાય. તમારા પતિ જો તમને ગમતું કરતા હોય તો તમે એમનું મન અને માન સચવાય એવું તો કરો. તમને વાસ્તુ નિયમોથી ફાયદો થયો તે ખરેખર સારી વાત છે. ભારતીય વાસ્તુના નિયમોમાં વિજ્ઞાન છે તેથી સારા પરિણામો મળે જ. પણ, હા, જ્યોતિષ અને વાસ્તુ એ બંને અલગ વિષયો છે. બંને પોતપોતાની જગ્યાએ અદ્ભુત છે. તમને સારા માણસો મળી ગયા હતા. એ તમારા નવા ફ્લેટમાં રહીને કામ કરતા હતા અને જાતે પોતાનું ખાવાનું મેનેજ કરતા હતા. તો એમનો ચેપ તમને થોડો જ લાગવાનો હતો? જો એલોકો ત્યાજ રહેતા હોત તો એ યુપી ન ગયા હોત અને તમને ચિંતા ન થઇ હોત. એમને જવાનું તમેજ કહ્યું ને? વળીતમે તમારા દીકરાને એમને ત્યાં જોવા મોકલ્યો એ કેટલું વ્યાજબી કહેવાય? તમારા પતિની ચિંતા સાચીજ છે. એક વિંનતી છે. “ કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર ન નીકળો.” નવા ઘરે રહેવા જવાની તમારી તાલાવેલી વ્યાજબી છે. પણ અત્યારના સંજોગોમાં કોઈ બહાર નીકળે નહિ તેજ સારું છે. બહેન, આ વાઈરસ વિષે હજુ સંપૂર્ણ માહિતી કોઈની પાસે નથી. તેથીજ ઘરમાં રહીને કોઈના સંપર્કમાં ન આવવું એ જરૂરી છે.

તમારા ઘરમાં દક્ષિણ અગ્નિનું પ્રવેશદ્વાર છે તેથી તમારું ઘર નારી પ્રધાન છે. તમે ઈશાનના બેડરૂમમાં દક્ષિણ તરફ માથું રાખીને સુવો છો તેથી તમે એવું ઈચ્છો છો કે તમે જે કહો એવુજ બધાએ કરવું જોઈએ. જે અશક્ય છે. તમારા ઘરમાં ઉત્તરનો દોષ છે. તેથી તમારો સ્વભાવ ભૌતિક્તાવાદી થઇ ગયો. તમારો દીકરો પૂર્વમાં રહે છે એટલે કહ્યાગરો છે. આજના જમાનામાં આવો દીકરો આશીર્વાદ ગણાય. તમારી તિજોરી યોગ્ય જગ્યાએ મુક્યા બાદ તમને આર્થિક લાભ પણ થયા જ છે. અને એટલે જ તમે આટલી મોંઘી પ્રોપર્ટી ખરીદી શક્યા છો. બહેન સમય ક્યાં ગયો ખબર નહિ પડે. બસ થોડો સમય રાહ હુઓ અને શાંતિ રાખો. બીજું ખાસ, કુદરત પોતાનું કાર્ય કરેજ છે. માણસે પૃથ્વીને પોતાની જાગીર સમજી લીધી હતી. કુદરત પોતાનું સંતુલન પાછુ લાવી રહી છે. આખા સૌરમંડળ માં એકજ ગ્રહ પર જીવન શક્ય છે. જો પૃથ્વી જ નહિ હોય તો આપણે સહુ જઈશું ક્યાં? વિજ્ઞાન અને વિકાસ જરૂરી છે પણ કુદરતના સંતુલન સાથે. ભારતીયજીવન શૈલી અત્યારે વખણાઇ રહી છે. અને સયંમ એ પણ આપની ઓળખ છે. હું વિશ્વ માટે પ્રાર્થના કરું જ છુ પણ એ બધા સુધી પહોંચે એના માટે બધાએ પણ પ્રયત્ન કરવો પડશે ને? જયારે અહં, કપટ, વૈમનસ્ય, લોભ, લાલચ,જેવા ન દેખાતા ગુણો ઓગળવા લાગશે ત્યારે આપોઆપ બધુજ સંતુલિત થવા લાગશે. તમે દરરોજ ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંન્જય મંત્ર જાપ કરો. સારું લાગશે. કુટુંબ સાથે રહીને આનંદ કરો.

5 એપ્રિલ રવિવારે રાતે 9 વાગ્યે 9 મિનિટ સુધી ભારતવાસીઓ પ્રકાશ ફેલાવે: PM મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઈરસ મહાબીમારીના સંદર્ભમાં આજે પોતાનો વિડિયો સંદેશ દેશવાસીઓ સમક્ષ રજૂ કર્યો હતો અને અપીલ કરી છે કે આ બીમારીએ સર્જેલા અંધકારમાંથી આપણે પ્રકાશ તરફ જવાનું છે. એમાં કોઈ એકલું નથી, સૌ સંગઠિત છે. તેથી આપણે 130 ભારતવાસીઓએ પાંચ એપ્રિલના રવિવારે રાતે 9 વાગ્યે 9 મિનિટ સુધી પ્રકાશની મહાશક્તિનો એહસાસ કરવાનો છે.

મોદીએ અપીલમાં કહ્યું કે, પાંચ એપ્રિલ રવિવારે રાતે 9 વાગ્યે ભારતવાસીઓ તમારા ઘરની તમામ લાઈટ્સ બંધ કરી દેજો. ઘરના દરવાજા પર, કે બાલકનીમાં ઊભીને મીણબત્તી, દીવો, ટોર્ચ કે મોબાઈલ ફોનની ફ્લેશ લાઈટ પેટાવજો અને દ્વારા પ્રકાશનો ફેલાવો કરજો. એ કામ 9 મિનિટ સુધી કરજો.

વડા પ્રધાન મોદીએ ભાર દઈને કહ્યું છે કે પાંચ એપ્રિલની રાતે પ્રકાશનો ફેલાવો કરવા માટે કોઈએ એકત્ર થવાનું નથી. કોઈએ પણ રસ્તાઓ પર, ગલીઓમાં કે મહોલ્લામાં ભેગા થવાનું નથી, પણ સૌએ પોતપોતાના ઘરમાં જ એ કામ કરવાનું છે.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે, આ રવિવાર, પાંચ એપ્રિલે આપણે સહુએ મળીને કોરોનાએ સર્જેલા સંકટને પડકાર ફેંકવાનો છે. પ્રકાશનો ફેલાવો કરવો એ અંધકારનો અંત લાવવા માટે રામબાણ ઈલાજ છે.

મોદીએ એમના સંબોધનની શરૂઆતમાં કહ્યું હતું કે, કોરોના મહામારી સામે લડવા માટે દેશવ્યાપી 21-દિવસના લોકડાઉનને આજે 9 દિવસ થયા છે. આ દિવસો દરમિયાન દેશવાસીઓએ નિયમોનું પાલન કરીને અને સેવાભાવનો જે પરિચય આપ્યો છે અને તે અભૂતપૂર્વ છે.

‘ચાલો આપણે સાથે મળીને કોરોના બીમારીને હરાવીએ, ભારતને વિજયી બનાવીએ,’ એમ કહીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો વિડિયો સંદેશ સમાપ્ત કર્યો હતો.

લોકડાઉનમાં આ વેબસાઈટ કરશે તમારી મદદ

નવી દિલ્હી: લોકડાઉનની સ્થિતિમાં ઘરની બહાર કઈ દુકાનો ખુલી છે અને કઈ દુકાનો બંધ એ જાણવું મુશ્કેલ બની જાય છે. આ મુશ્કેલીના નિવારણ માટે માર્કેટપ્લેસ પ્લેટફોર્મ Quikr એક નવી વેબસાઈટ લોન્ચ કરી છે જેનું નામ www.stillopen.in છે. આ વેબસાઈટ પરથી તમે તમારી નજીકના કરિયાણા સ્ટોર, હોસ્પિટલ, મેડિકલ, કોવિડ-19 સેન્ટર્સ સહિત અન્ય સ્ટોર્સ ખુલા છે કે નહીં એ અંગેની જાણકારી આપશે.

લોકોને રિસ્પોન્સ પર નિર્ભર છે આ વેબસાઈટ:

આ વેબસાઈટ લોકોના રિસ્પોન્સ પર આધાર રાખે છે, એટલે કે તમે આ વેબસાઈટને આધારે કોઈ સ્ટોર્સ પર જાઓ અને તે ખુલ્લો કે બંધ હોય તો તમે આ એપમાં તેનું સ્ટેટ્સ અપડેટ કરી શકો છો. આ રીતે તમે બીજાની મદદ કરી શકો છો. તો અન્ય લોકોએ કરેલી અપડેટથી તમને પણ મદદ મળશે. લોકડાઉનના કપરા સમયે આ વેબસાઈટ યુઝર્સને અત્યંત મદદરૂપ થઈ શકે છે.

આ જગ્યાઓ પર શરું થઈ સર્વિસ:

આ વેબસાઈટ સર્વિસ બેંગ્લુરુ, હૈદરાબાદ, ચૈન્નાઈ, પુણે, મુંબઈ, નવી મુંબઈ, ઠાણે, દિલ્હી, ગુડગાંવ, નોઈડા, ગ્વાલિયર, ગાઝિયાબાદ, ફરીદાબાદ, લખનૌ, અમદાવાદ, પટના, ઈન્દોર, જયપુર, કોચ્ચિ, ચંદીગઢ, કોયમ્બટૂર અને સિકંદરાબાદમાં ઉપલબ્ધ કરવામાં આવી છે.

તો આ પહેલા ગૂગલે ભારત માટે એક વેબસાઈટ રોલઆઉટ કરી હતી. જેમાં મુખ્ય હેલ્પલાઈન નંબર્સ, વાઈરસના લક્ષણો, પ્રોટેક્ટિવ મેજર્સ સહિત અન્ય માહિતી સામેલ છે. આ ઉપરાંત આમાં વિડિયો પણ છે જેની મારફતે બતાવવામાં આવી રહ્યું છે કે, કેવી રીતે લોકો તેમનો સમય ઘર પર પસાર કરી રહ્યા છે, જેમાં કેટલાક ટ્રેનિંગ મોડ્યુલ્સ પણ સામેલ છે. આ વેબસાઈટનું નામ www.google.co.in/covid19 છે.

રાશિ ભવિષ્ય 03/04/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે,  માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા, વાગવા, છાતી, પ્રેસર જેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો  યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.

કોરોના વાઈરસ સામે લડવા વર્લ્ડ બેન્કની ભારતને 1 અબજ ડોલરની સહાય

ન્યૂયોર્કઃ ભયાનક એવા કોરોના વાઈરસના રોગચાળાનો સામનો કરવામાં ભારતને મદદરૂપ થવા માટે વર્લ્ડ બેન્કે ભારતને 1 અબજ ડોલરનું ઈમરજન્સી રીસ્પોન્સ ફંડ મંજૂર કર્યું છે. વિશ્વ બેન્કે ભારતને આરોગ્ય ક્ષેત્ર માટે અત્યાર સુધીમાં આપેલી આ સૌથી મોટી રકમની સહાયતા છે.

કોવિડ-19 રોગચાળાને રોકવા, શોધવા અને એની સામે પગલાં લેવામાં તેમજ જાહેર આરોગ્ય ક્ષેત્રમાં ભારતને તેની સજ્જતાને મજબૂત કરવામાં મદદરૂપ થવા માટે વર્લ્ડ બેન્કે ભારતને આ સહાયતા મંજૂર કરી છે.

આ નવા ભંડોળમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેવામાં આવશે. કોરોનાના ચેપગ્રસ્ત લોકો, કોરોના થવાનું જોખમ ધરાવતા લોકો, તબીબી અને ઈમરજન્સી ક્ષેત્રના કર્મચારીઓ, સેવા પ્રદાન કરનારાઓ, તબીબી અને ટેસ્ટિંગ સુવિધાઓ તથા રાષ્ટ્રીય અને પ્રાણી આરોગ્ય એજન્સીઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે આ ભંડોળનો ઉપયોગ કરી સકાશે.

આ ભંડોળનું સંચાલન નેશનલ હેલ્થ મિશન, નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હેઠળ આવતી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સંસ્થા દ્વારા કરવામાં આવશે.

આ ભંડોળ ભારતને રોગ નિરીક્ષણ કાર્યક્રમને મજબૂત કરવામાં, ચેપગ્રસ્ત રોગોની સારવાર કરતી હોસ્પિટલો, જિલ્લા, સિવિલ અને જનરલ તથા મેડિકલ કોલેજ હોસ્પિટલોને નવો ઓપ આપવામાં તેમજ લેવલ-3 લેબોરેટરીઓનું નેટવર્ક બનાવવામાં મદદરૂપ થશે.

શક્તિમાનની લોકપ્રિયતા આજે ય અડગ: ટ્વિટર પર મચાવી ધૂમ

નવી દિલ્હી: દેશભરમાં ચાલી રહેલા 21 દિવસના લોકડાઉનમાં લોકો ઘરે જ મનોરંજન મળી રહે તે માટે સરકાર તરફથી પણ તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઘરમાં જ લોકોને મનોરંજન મળી રહે તે માટે ડીડી તેમના લોકપ્રિય ટીવી શોન ફરી પ્રસારીત કરી રહી છે. ડીડીએ સૌથી પહેલા રામાયણનું ટેલિકાસ્ટ શરુ કર્યું. ત્યારપછી હવે શક્તિમાન સિરિયલનું પણ પ્રસારણ શરુ કરી દીધું છે. હકીકતમાં 90ના દાયકામાં બાળકોનો આ ફેવરીટ શો હતો.

હવે જેવી ડીડીએ જાહેરાત કરી છે ત્યારથી ડીડી પર લોકો ફરી વખત શક્તિમાન જોવા આતુર બની ગયા છે. આ સાથે લોકો શક્તિમાનને લઈને સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી રહ્યા છે ટ્વિટર પર #Shaktimaan ટ્રેન્ડ કરી રહ્યો છે. સાથે જ લોકો શક્તિમાન પર મજેદાર મીમ્સ પણ બનાવીને શેર કરી રહ્યા છે.

મહત્વનું છે કે, દેશભરમાં 14 એપ્રીલ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે. કોરોના વાઈરસથી બચવા માટે સરકાર દ્વારા આ પગલુ લેવામાં આવ્યું છે.

ત્રણ મહિનાની રાહત છે, પણ વ્યાજ ચાલુ રહેશે

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસને પગલે વેપારીઓ અને નાગરિકોને લોન ચૂકવવામાં રાહત આપવા માટે રિઝર્વ બેન્કે બેન્કોને ત્રણ મહિના માટે EMI નહીં વસૂલવાનો આગ્રહ કર્યો હતો. સ્ટેટ બેન્ક, બેન્ક ઓફ બરોડા, એચડીએફસી સહિત અનેક બેન્કોએ બધા પ્રકારની લોનોના હપતા ત્રણ મહિના સુધી અટકાવવા માટે જરૂરી નિર્દેશ આપવાનું શરૂ કર્યું છે અને તેમના ગ્રાહકોને એક માર્ચથી 31 મે સુધી લોનના હપતા વસૂલવામાં રાહત આપવાનું શરૂ કર્યું છે. પણ આ ત્રણ EMI ટાળવાથી લોનધારકને ખાસ કોઈ લાભ નહીં થાય.

 

રૂ. 30 લાખની હોમ લોન પર 2.34 લાખ વધારાનું વ્યાજ

જોકોઈ ગ્રાહકની હોમ લોન રૂ. 30 લાખ છે અને એને પરત કરવાનો સમયગાળો રૂ. 15 વર્ષ બાકી છે. તો ત્રણ મહિના માટે એને પાછળ ઠેલવાથી એ લોન પર રૂ. 2.34 લાખનું વધારાનું વ્યાજ લાગશે. આ વ્યાજ આઠ EMIના બરાબર હશે.

રૂ. છ લાખની વાહન લોન પર રૂ. 19,000નું વધારાનું વ્યાજ

આ જ પ્રકારે જો ગ્રાહકે રૂ. છ લાખની વાહન લોન લીધેલી છે અને એને પરત કરવા માટે 54 મહિનાનો સમય બાકી છે, જો આ પાછળ ઠેલવાનો વિકલ્પ અપનાવવામાં આવે છે તો તેને રૂ. 19,000નું વધારાનું વ્યાજ આપવું પડશે. જે દોઢ વધારાના EMI બરાબર હશે.

લોનનો સમયગાળો વધશે અને વ્યાજની પણ વસૂલાત

જોકોઈ ગ્રાહક લોનનો સમયગાળો ત્રણ મહિના માટે વધારશે તો આ ત્રણ મહિના માટે લાગનારું વ્યાજ પણ વસૂલવામાં આવશે. આગળના EMIની સાથે વ્યાજને જોડવામાં આવશે. વળી જૂના EMIને ટાળી પણ નહીં શકાય અને ચુકવણી ના કરવા પર પેનલ્ટી પણ  લાગશે.

ક્રેડિટ સ્કોર પર અસર નહીં

જો તમે હાલ ત્રણ મહિના સુધી હપતા નથી ભરતા, તેમ છતાં તમારા ક્રેડિટ સ્કોર પર એની નકારાત્મક અસર નહીં પડે.

IBAએ પણ સજાગ કર્યા

ઇન્ડિયન બેન્ક એસોસિયેશન (IBA)એ વારંવાર પૂછવામાં આવતાં સવાલ કે લોનધારકોને ફરક પડશે કે નહીંના જવાબમાં IBAએ જણાવ્યું હતું કે લોનધારકોની આવકમાં ફરક ના પડ્યો હોય તો તેમણે EMIની સમયસર ચુકવણી કરવી જોઈએ. તમારે એ બાબતમાં ધ્યાન રાખવું જોઈએ કે જો તમે EMI ટાળશો તો તમારી લોનની રકકમનું વ્યાજ સતત વધતું રહેશે, જેને હમણાં નહીં તો પછીથી તમારે ચૂકવવું જ પડશે.