Home Blog Page 4886

ચાર-દિવસની ટેસ્ટ મેચનો આઈડિયાઃ કોહલી, તેંડુલકર સાથે ઈરફાન પઠાણ અસહમત

વડોદરા – ટેસ્ટ મેચોને પાંચને બદલે ચાર-ચાર દિવસની કરવા અંગે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ એક વિચાર તાજેતરમાં વહેતો મૂક્યો છે. એનો પ્રસ્તાવ છે કે 2023થી 2031ની સાલ સુધીના સમયગાળામાં દરેક ટેસ્ટ મેચને ચાર-દિવસની કરવી જોઈએ. એણે આ વિશે ક્રિકેટ રમતાં દેશોના આગેવાનો પાસેથી પ્રતિસાદ મગાવ્યા છે.

ભારત સહિત અનેક દેશમાંથી મિશ્ર પ્રત્યાઘાતો મળ્યા છે. કેપ્ટન વિરાટ કોહલી, સચીન તેંડુલકર, ગૌતમ ગંભીર, રિકી પોન્ટિંગ તથા બીજા ઘણાં આ પ્રસ્તાવ સાથે સહમત થયા નથી.

આ સંદર્ભમાં ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે પણ પોતાનું મંતવ્ય જાહેર કર્યું છે. એ કોહલી તથા અન્ય મહારથીઓથી અલગ વિચાર ધરાવે છે.

કોહલીએ કહ્યું છે કે ટેસ્ટ ફોર્મેટમાં વધુ પડતા ફેરફારો કરવાની જરૂર નથી.

પરંતુ ઈરફાન પઠાણે કહ્યું છે કે ટેસ્ટ મેચમાં એક દિવસ ઘટાડીને એને ચાર-દિવસની કરવાથી પ્રક્રિયા પરિણામલક્ષી બની રહેશે. મેચમાં પરિણામની શક્યતા વધી જશે, એવો પઠાણના કહેવાનો અર્થ છે.

એક મુલાકાતમાં પઠાણે વધુમાં કહ્યું કે, હું તો છેલ્લા અમુક વર્ષોથી કહેતો જ આવ્યો છું કે ટેસ્ટ મેચોને ચાર-દિવસની જ કરી દેવી જોઈએ. આપણે ભારતમાં રણજી ટ્રોફી સ્પર્ધામાં ચાર-દિવસવાળી મેચો જ રમીએ છીએ. એમાં આપણને પરિણામો મળે છે. તો આ કોન્સેપ્ટને ટેસ્ટ મેચોમાં શા માટે અપનાવવો ન જોઈએ? એ વાત ખરી છે કે આજકાલ ટેસ્ટમેચોમાં પરિણામ આવતા થયા છે, પરંતુ જો ટેસ્ટ મેચો ચાર-દિવસની જ હશે તો દરેક મેચમાં પરિણામ આવી શકશે. હું તો ચાર-દિવસની ટેસ્ટમેચના વિચાર સાથે સંપૂર્ણપણે સહમત થાઉં છું.

વડોદરાનિવાસી અને 35 વર્ષીય ઈરફાન પઠાણ હાલમાં જ ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત થયો છે.

તાજેતરના ભૂતકાળમાં ચાર-દિવસની ટેસ્ટમેચની અજમાયશ કરવામાં આવી હતી. 2017ના વર્ષના અંતભાગમાં દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે જે ટેસ્ટ રમાઈ હતી એ 4-દિવસની હતી જ્યારે 2019ના પ્રારંભમાં લોર્ડ્સ ખાતે ઈંગ્લેન્ડ અને આયરલેન્ડ વચ્ચે ચાર-દિવસની ટેસ્ટ મેચ રમાઈ હતી.

હિંસા જેએનયુમાં થઇ અને અનિલ કપૂરને આખી રાત ઊંઘ ન આવી

નવી દિલ્હી: જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(JNU)ના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પર થયેલા હુમલાઓને બોલીવુડની હસ્તીઓએ પણ વખોડી કાઢ્યો છે. આલિયા ભટ્ટ, અનિલ કપૂર, રાજકુમાર રાવ સહિતની હસ્તીઓએ હુમલાને ‘ભયાનક’, ‘દુઃખદ’ની સાથે ‘બર્બર’ કૃત્ય સમાન ગણાવ્યો છે. આ સાથે તમામ હસ્તીઓએ માંગ કરી છે કે હુમલાખોરોની ધરપકડ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ.

ફિલ્મ મલંગના ટ્રેલર લોન્ચ દરમ્યાન અનિલ કપૂરે પણ જેએનયું હિંસા પર તેમની પ્રતિક્રિયા આપી છે.  અનિલ કપૂરે કહ્યું કે, ‘હું ખૂબ પરેશાન હતો. હુમલાના દૃશ્યો જોઈને રાતભર ઊંઘી શકયો નથી. આ હુમલાની નિંદા કરું છું. ખૂબ દુખદ બાબત છે. વિચારી રહ્યો છું કે શું થઈ રહ્યું છે. હિંસાથી કંઇ મળવાનું નથી. જેમણે પણ આ હુમલો કર્યો છે તેઓ ખુલ્લા પડવા જોઈએ.

અભિનેતા આદિત્ય રોય કપૂરે પણ આ હુમલાની નિંદા કરી હતી. તેણે કહ્યું હતું કે દેશમાં આ પ્રકારની હિંસાને કોઈ જ સ્થાન નથી. ગુનેગારોને સજા મળવી જ જોઈએ. ‘મલંગ’નું ટ્રેલર ચાહકોને ઘણું જ પસંદ આવ્યું છે. ફિલ્મમાં દિશા પટની, કુનાલ ખેમુ, અનિલ કપૂર તથા આદિત્ય રોય કપૂર છે. ટ્રેલરમાં મર્ડર મિસ્ટ્રી બતાવવામાં આવી છે. આ ફિલ્મ સાત ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.

મોદી સરકારની નીતિઓનો વિરોધઃ આવતીકાલે ટ્રેડ યૂનિયનોની હડતાળ

નવી દિલ્હીઃ મોદી સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટ, પ્રાઈવેટાઈઝેશન અને શ્રમ સુધાર નીતિઓ વિરુદ્ધ 10 કેન્દ્રીય વ્યાપાર સંઘ આવતીકાલે દેશવ્યાપી હડતાળ કરશે. સીપીએમ સાથે જોડાયેલા CITU એ દાવો કર્યો છે કે આ દેશવ્યાપી હડતાળમાં આશરે 25 કરોડ કર્મચારીઓ ભાગ લેશે. આમાં INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC ની સાથે જ ક્ષેત્રીય સ્વતંત્ર મહાસંઘો અને સંઘોના કાર્યકર્તા હડતાળમાં ભાગ લેશે.

શ્રમ મંત્રી સંતોષ ગંગવારે ગત સપ્તાહે એક બેઠક કરી, પરંતુ કેન્દ્રીય વ્યાપાર સંઘોને પોતાની હડતાળ બંધ કરવા માટે મનાવવામાં નિષ્ફળ રહ્યા. CITU દ્વારા જાહેર એક અધિકારિક નિવેદન અનુસાર 4 વર્ષથી વધારેનો સમય પસાર થયો પરંતુ જુલાઈ 2015 બાદ કોઈપણ ભારતીય શ્રમ સમ્મેલન આયોજિત કરવામાં આવ્યું નથી. છેલ્લે ઓગસ્ટ 2015 માં મંત્રીઓના સમૂહ સાથે 12 મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારથી તે મામલે કંઈ જ આગળ વધ્યુ નથી.

નિવેદન અનુસાર સંકટગ્રસ્ત અર્થવ્યવસ્થાને પહોંચી વળવામાં નિષ્ફળ સરકાર પ્રાઈવેટાઈઝેશન અને PSUS ના વેચાણમાં વ્યસ્ત છે. પ્રાકૃતિક સંસાધન અને અન્ય રાષ્ટ્રીય સંપત્તિ જે રાષ્ટ્રીય હિત અને રાષ્ટ્રીય વિકાસ માટે હાનિકારક છે.

ઈરાનમાં સુલેમાનીની અંતિમયાત્રામાં નાસભાગ મચી જતાં 35નાં મરણ

તેહરાન – અમેરિકાના સુરક્ષા દળોએ ગયા અઠવાડિયે ઈરાકમાં હવાઈ હુમલો કરીને જેને મારી નાખ્યા હતા તે ઈરાનના લશ્કરી કમાન્ડર કાસીમ સુલેમાનીની આજે ઈરાનમાં કાઢવામાં આવેલી અંતિમયાત્રા વખતે નાસભાગ મચી જતાં ઓછામાં ઓછા 35 જણ માર્યા ગયા છે અને બીજાં 48 જણ ઘાયલ થયા છે.

ઈરાન ટીવી ચેનલે અહેવાલમાં જણાવ્યું કે જનરલ સુલેમાનીના વતન કેરમાનમાં એમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. એમાં હજારો લોકો સામેલ થયા હતા, પરંતુ અચાનક નાસભાગ મચી ગઈ હતી.

સરકારી ટીવી ચેનલે નાસભાગના સમાચારને સમર્થન આપ્યું હતું અને કહ્યું કે કમનસીબે નાસભાગમાં અમારા જ કેટલાક સાથીઓને ઈજા થઈ છે અને કેટલાક મૃત્યુ પામ્યા છે.

નાસભાગની દુર્ઘટનાનાં વિડિયો ઓનલાઈન પોસ્ટ કરવામાં આવ્યા છે જેમાં લોકોને રસ્તા પર નિર્જિવ અવસ્થામાં પડેલા જોઈ શકાય છે. બીજા લોકો બૂમો પાડી રહ્યાં હતા અને મદદ કરી રહ્યા હતા.

આવું જ વિરાટ સરઘસ સોમવારે ઈરાનના પાટનગર તેહરાનમાં કાઢવામાં આવ્યું હતું, જેમાં 10 લાખ લોકો સામેલ થયા હતા. તેહરાનના બંને મુખ્ય માર્ગો પર લોકોની અપાર ભીડ જામી હતી.

આંતરાષ્ટ્રીય પતંગોત્સવ 2020

શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર આજથી એટલે કે 7 જાન્યુઆરીથી પતંગોત્સવ 2020નો પ્રારંભ થઈ ગયો છે છે. આ મહોત્સવ આગમી 14 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.

ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય  પ્રધાન  વિજય રુપાણી, મંત્રી મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં પતંગોત્સવનો વિધિવત પ્રારંભ થયો હતો.

અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાયેલા ઉદ્ઘાટન સમારંભમાં વૈદિક પ્રાર્થના સાથે શુભારંભ કરવામાં આવ્યો હતો.

મ્યુનિસિપલ  શાળાના બાળકોએ સૂર્યનમસ્કાર કર્યા હતા. આ સાથે દેશ વિદેશના પતંગબાજોની નિદર્શન પરેડ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ ભજવવામાં આવ્યો હતો.

પવનની ધીમી ગતીને કારણે વિશાળ પતંગો હવામાં ઉડાડતાપતંગબાજોને તકલીફ થઇ રહી હતી.

મુખ્ય પ્રધાન અને રાજ્યપાલે પણ પતંગબાજો વચ્ચે ગયા હતા તેમજ થીમ પેવલિયનની મુલાકાત લીધી હતી.

દેશી અને વિદેશી પતંગબાજો વિવિધ આકારની રંગબેરંગી પતંગો સાથે આકાશને ભરી દેવા તૈયાર છે… પણ..હાલ  વિશાળ પતંગોને અનુરુપ હવાની રાહ જોવાઇ રહી છે.

કાઇટિસ્ટના સ્ટોલ્સ પર વેલકમ 2020, સ્વચ્છતા અભિયાન સહિત અનેક વિવિધતા વાળા પતંગો જોવા મળી રહ્યા છે.

મહોત્સવના પહેલા જ દિવસે પતંગ રસીયાઓની ભીડ જોવા મળી હતી. ઉપરાંત વિદેશી પ્રવાસીઓ પણ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.

મહોત્સવના પહેલા દિવસે અલગ-અલગ પતંગો તેમજ એક્ટિવીટી જોવા મળી હતી.

(તસવીર: પ્રજ્ઞેશ વ્યાસ)

‘ફ્રી કશ્મીર’ પોસ્ટરવાળી છોકરીના ઈરાદાની ચકાસણી કરવી પડશે: આદિત્ય ઠાકરે

મુંબઈ – નવી દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર ગયા રવિવારે સાંજે કરવામાં આવેલા હુમલા સામેના વિરોધમાં ગઈ કાલે મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે કરવામાં આવેલા દેખાવો વખતે એક છોકરીએ બતાવેલા ‘ફ્રી કશ્મીર’ પ્લેકાર્ડને લીધે થયેલા વિવાદ વિશે મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ જવાબ આપ્યો છે અને કહ્યું છે કે એ છોકરીનાં ઈરાદાની ચકાસણી કરવાની જરૂર છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્યએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ફ્રી કશ્મીર પોસ્ટરવાળી તે ઘટનાને બહોળા સ્વરૂપમાં જોવી પડશે, હા આપણે એ છોકરીનાં ઈરાદાની ચકાસણી કરવાની જરૂર છે કે શું એ કશ્મીરમાં લાદવામાં આવેલી ઈન્ટરનેટ નાકાબંધી હટાવવાનું કહેતી હતી? અથવા જો એનો ઈરાદો કશ્મીરને ભારતથી અલગ કરવાનો હોય તો એ ખોટું છે. દેખીતી રીતે જ, દરેક જણે એને વખોડી કાઢ્યું છે, ગેટવે ઓફ ઈન્ડિયા પરના દેખાવકારોએ પણ એને સમર્થન આપ્યું નહોતું.

ઉલ્લેખનીય છે કે, સોમવારે રાતે ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે યોજવામાં આવેલા દેખાવ દરમિયાન તે અજાણી છોકરી હાથમાં પ્લેકાર્ડ દર્શાવતી ઊભી હતી, જેની પર અંગ્રેજીમાં લખ્યું હતું, ‘ફ્રી કશ્મીર’.

યુવતીએ પોસ્ટર વિશે ખુલાસો કર્યો

ઈન્ડિયા ટુડે ટીવી સાથેની વાતચીતમાં મહેક મિરઝા પ્રભુ નામની એ યુવતીએ કહ્યું કે એણે બતાવેલું પોસ્ટર છ મહિનાથી અભૂતપૂર્વ નિયંત્રણો હેઠળ નજરકેદ કરવામાં આવેલા કશ્મીરી લોકોનાં મૂળભૂત માનવ અધિકારોની માગણીને લગતું છે.

પોતાના એ પોસ્ટરને કારણે થયેલા વિવાદ અંગે એ યુવતીએ ખુલાસો કરતો એક વિડિયો પોતાનાં ફેસબુક પેજ પર રિલીઝ કર્યો છે. એમાં તેણે કહ્યું છે કે પોતે કશ્મીરની રહેવાસી નથી, પરંતુ મહારાષ્ટ્રિયન અને મુંબઈમાં જન્મેલી છે અને લેખિકા છે. એણે એમ પણ કહ્યું છે કે પોસ્ટર બતાવવા પાછળ એનો કોઈ ખરાબ ઈરાદો નહોતો. ‘મારા પોસ્ટર મામલે ઘણી ગેરસમજ થઈ છે. ફ્રી કશ્મીર અંગે મારા કહેવાનો અર્થ હતો, કશ્મીરમાં ઈન્ટરનેટ સેવા પ્રસ્થાપિત કરો.’

છોકરીએ બતાવેલા પોસ્ટરને કારણે વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે રાતે જ ટ્વીટ કર્યું હતું અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ઉદ્દેશીને કહ્યું હતું કે મુંબઈમાં આ પ્રકારના ભાગલાવાદી તત્ત્વોને કેવી રીતે ચલાવી લેવાય? આઝાદી ગેંગે મુખ્ય પ્રધાન કાર્યાલય (CMO)થી માત્ર બે કિલોમીટર દૂરના અંતરે ‘ફ્રી કશ્મીર’ના નારા લગાવ્યા? ઉદ્ધવજી, તમારા નાક નીચે થયેલા ફ્રી કશ્મીના ભારતવિરોધી પ્રચારને શું ચલાવી લેવાના છો?

સરકાર ઉદ્યોગપતિઓની વિરુદ્ધ છે એ વાત ખોટી: પીએમ મોદી

નવી દિલ્હી: કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજીત એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ હાજરી આપી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ સરકાર પ્રત્યે ઉદ્યોગ જગતમાં ડર અને શંકાનો માહોલની વાતને ખોટો પ્રચાર ગણાવતા કહ્યું કે, બેઈમાન અને ભ્રષ્ટ લોકો વિરુદ્ધ કાર્યવાહીનો અર્થ એવો નથી કે, સરકાર ઉદ્યોગપતિઓની વિરોધમાં છે. પીએમ મોદીએ કહ્યું કે, પાંચ હજાર અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવી માત્ર એક પડાવ છે, આપણા સપના એનાથી પણ મોટા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમુક લોકો ખોટો પ્રચાર કરી રહ્યા છે કે, સરકાર ઉદ્યોગપતિઓની વિરુદ્ધ છે. કેટલાક લોકો એવી છબી બનાવવાના પ્રયાસમાં છે કે, ભારત સરકાર ઉદ્યોગપતિઓની પાછળ ડંડો લઈને પડી છે. કેટલાક બેઈમાન અને ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહીનો અર્થ એવો નથી કે, સરકાર ઉદ્યોગપતિઓ વિરુદ્ધ છે.

પીએમ મોદીએ કહ્યું કે, તેમની સરકારમાં ઉદ્યોગપતિઓની સમસ્યાઓને સાંભળી છે અને તેને દુર પણ કરી છે. આજકાલ આઈબીસીની ચર્ચા થાય છે. આ કાયદો માત્ર ડુબેલા નાણા વસૂલ કરવાનો કાયદો નથી રહ્યો પણ ઈમાનદાર ઉદ્યોગપતિઓના ભવિષ્યને બચાવતો કાયદો પણ છે. આ કાયદાએ ઈન્સેક્ટર રાજને ખતમ કરી નાખ્યું છે. આ કાયદાએ ઈમાનદાર ઉદ્યોગપતિઓને કોઈ પણ પરિસ્થિતિમાં નિષ્ફળ થવા પર ધંધામાંથી નિકળવાનો વિકલ્પ આપ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે, 2014માં સત્તામાં આવ્યા પછી તેમની સરકારે ભારતીય ઉદ્યોગપતિઓને કોઈ પણ પ્રકારની અડચણ ન આવે તે વાતનું હંમેશા ધ્યાન રાખ્યું છે. અમારી સરકારની વિચારધારા રહી છે કે, દેશમાં કારોબાર માટે યોગ્ય માહોલ બને જેથી તે ઉદ્યોગો રાષ્ટ્ર નિર્માણાં પોતાનું સંપૂર્ણ યોગદાન આપી શકે. સરકારનું લક્ષ્ય ઉદ્યોગજગતને કાયદાની ઝાળમાંથી બહાર કાઢવાનું છે આ પ્રયાસના ભાગરૂપે જ 13 હજારથી વધુ કાયદાઓને સમાપ્ત કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશના દિગ્ગજ બિઝનેસમેનો સાથે અર્થવ્યવસ્થાને લઇને પણ મહત્વની બેઠક કરી હતી. તેમણે ઉધોગપતિઓ સાથે અર્થતંત્રના ગ્રોથ અને રોજગારી સર્જનના મુદ્દા પર વિસ્તારથી ચર્ચા કરી હતી. આ બેઠકમાં દેશના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણી, ટાટા ગ્રુપના રતન ટાટા, એરટેલના માલિક સુનીલ ભારતી મિત્તલ, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સહિત અનેક મોટા ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.

JNU હુમલાની જવાબદારી આ સંગઠને સ્વીકારીઃ પોલીસ તપાસ ચાલુ

નવી દિલ્હીઃ હિંદુ રક્ષક દળે જેએનયૂના હુમલાની જવાબદારી લીધી છે. આ મામલે દિલ્હી પોલીસ દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હિંદુ રક્ષક દળના નેતા પિંકી ચોધરીએ વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાની સંપૂર્ણ જવાબદારી લીધી છે. આ હિંસામાં કુલ 30 થી વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. પિંકી ચોધરીએ જણાવ્યું કે, જેએનયૂ રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓનું કેન્દ્ર છે. અમે આને સહન ન કરી શકીએ. અમે જેએનયૂ હુમલાની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ અને હુમલો કરનારા લોકો અમારા કાર્યકર્તા હતા.

કેટલાક લોકોનું કહેવું છે કે ભાજપના વિદ્યાર્થી સંગઠન ABVP વિરુદ્ધના આરોપોને છુપાવવા માટે આ ગ્રુપ કામ કરે છે. તો જેએનયૂમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર થયેલા હુમલામાં શામિલ લોકોની ઓળખ માટે પોલીસ વિડીયો ફૂટેજ અને ચહેરાને ઓળખવાનો પ્રયત્ન કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે જેએનયૂ પરિસરમાં રવિવારે રાત્રે લાકડીઓ અને લોખંડના ડંડાથી કેટલાક નકાબધારી લોકોએ પરિસરમાં પ્રવેશ કરીને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો પર હુમલો કર્યો હતો અને પરિસરમાં રહેલી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. બાદમાં પ્રશાસને પોલીસને બોલાવી હતી. આ હુમલામાં આઈશી ઘોષ સહિત 34 જેટલા લોકો ઘાયલ થયા હતા.

દિલ્હીની ચૂંટણીઃ પડઘા આખા દેશમાં પડશે

2014માં દિલ્હીમાં પરિવર્તન આવ્યું હતું. પ્રથમવાર બિનકોંગ્રેસી સરકાર એકલા હાથે બહુમતી સાથે સરકારમાં હતી. ભાજપની આગેવાની હેઠળ એનડીએ ગઠબંધન હતું, પણ ભાજપની પોતાની 283 બેઠકો હતી અને તે મહત્ત્વનું પરિવર્તન હતું. 2014 પહેલાં જે સ્થિતિ ઊભી થઈ હતી, તેમાં કોંગ્રેસના 10 વર્ષના શાસનને ચેલેન્જ કરવામાં બીજો એક પક્ષ અથવા કહો કે સંગઠન વધુ પ્રબળપણે પ્રગટ થયું હતું. તે હતો આમ આદમી પક્ષ, જે ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન સંગઠનમાંથી ઊભો થયો હતો.

સોશ્યલ મીડિયાના પ્રભાવની એ શરૂઆત હતી. ભાજપે તેનો ભરપુર લાભ ઉઠાવ્યો હતો, પણ બીજા નંબરે આ જૂથના યુવાન અને ટેક્નોક્રેટ કાર્યકરો હતો. પરિવર્તન માટે ઝંખતા યુવાનોને સોશ્યલ મીડિયાના માધ્યમથી એક કરીને, સાથે જ મીડિયાની કાર્યપ્રણાલી સમજીને તેનો મહત્તમ લાભ ઊઠાવીને દેશભરમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ઊભું કરવામાં આવ્યું હતું.

અરવિંદ કેજરીવાલ નામના ભૂતપૂર્વ વેરા અધિકારી અને મેગ્સેસે એવોર્ડ મેળવી ચૂકેલા એનજીઓ ચલાવતા કાર્યકર અચાનક લાઇમલાઇટમાં આવી ગયા હતા. કેજરીવાલ અને તેમના ચાલાક સાથીઓ ચાલાકીપૂર્વક ભોળા અન્ના હજારેનો ઉપયોગ કરી ગયા. 2011માં અન્ના હજારેના નામે આંદોલન ચાલ્યું અને કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારે લોકપાલ ખરડો પસાર કરવો પડ્યો.

લોકપાલ આજે ક્યાં છે કોઈને ખબર નથી, પણ કોંગ્રેસનો ઘડોલાડવો થઈ ગયો અને ભાજપનો ઉદય થયો. કેજરીવાલે સંગઠનથી જુદા પડીને રાજકીય પક્ષની રચના કરી અને 2013માં દિલ્હીમાં પહેલે જ ધડાકે 28 બેઠકો જીતી લીધી. સત્તા ના મળી, પણ સાવ નવા પક્ષનું આટલું જોર ધ્યાન ખેંચતું હતું.

કેજરીવાલે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે રહેલા નરેન્દ્ર મોદીને પણ ભીંસમાં લેવાની કોશિશ કરી હતી. એવું લાગતું હતું કે મોદીને ચેલેન્જ કરી શકે તો કેજરીવાલ જ, પરંતુ દેશમાં ઊભા થયેલા એન્ટી એસ્ટાબ્લિશમેન્ટનો ફાયદો ઊઠાવવા માટે ભાજપ પાસે દેશવ્યાપી સંગઠનનું માળખું તૈયાર હતું. આપનું માળખું હજી બન્યું નહોતું. કેજરીવાલની મહત્ત્વાકાંક્ષાઓ ત્યારે વધારે પડતી લાગતી હતી, પણ ચાલાક કેજરીવાલ કદાચ ગણતરીપૂર્વકના જોખમ સાથે કોંગ્રેસની સાથોસાથ ભાજપ સામે પણ ભીડાવાનું નક્કી કર્યું હતું.

2014માં આપને પંજાબ સિવાય કશે ફાયદો થયો નહિ. કેજરીવાલે હવે માત્ર દિલ્હી પર જ ધ્યાન કેન્દ્રીત કરવાનું નક્કી કર્યું. સમગ્ર દેશમાં ભાજપનો ભગવો ફરી વળ્યો હતો, ત્યારે દિલ્હી વિધાનસભામાં સત્તા મેળવવી પણ આસાન લાગતી હતી. કોંગ્રેસના 15 વર્ષના શાસન પછી રકાસ થયો હતો. આમ જેવો નવો પક્ષ ઊભો થયો હતો, જેણે કોંગ્રેસને તોડી હતી. તેથી ભાજપને લાગતું હતું કે પોતાના માટે તક છે.

જોકે 2015માં વિધાનસભાની ચૂંટણી ફરી આવી ત્યારે ઇતિહાસ રચાયો. 70માંથી 67 બેઠકો બહુ નાની વયનો રાજકીય પક્ષ જીતી ગયો. 95 ટકા કરતાંય વધુ બેઠકો સાથેની જીત એક રેકર્ડ હતો. ભાજપ માટે બહુ આઘાતજનક સમાચાર હતા, કેમ કે હજી વર્ષ પહેલાં જ સમગ્ર દેશમાં ફરી વળ્યા પછી દિલ્હીમાં જ નાના અને નવા પક્ષ સામે મોટી પછડાટ મળી હતી.

પાંચ વર્ષમાં દેશમાં રાજકારણ બહુ બદલાયું છે અને 2020ની ચૂંટણી ફરી આવી છે ત્યારે ફરી એકવાર દિલ્હી વિધાનસભાની ચૂંટણી અગત્યની બની છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપે બેઠકો ગુમાવી અને મહારાષ્ટ્રમાં સત્તા પર. ઝારખંડમાં સંપૂર્ણપણે સત્તા ગઈ, ત્યારે હવે દિલ્હીના પરિણામોની સીધી અસર બિહાર અને પશ્ચિમ બંગાળ પર આગામી સમયે પડશે.

ભાજપ સામેના વિપક્ષમાં અત્યારે સૌથી વધુ ચાલાક કેજરીવાલ છે. તેમણે નરેન્દ્ર મોદીની અને ભાજપની ટીકા કરવાનું એકાદ વર્ષથી બંધ કરી દીધું છે. તેમણે માત્ર દિલ્હીના રાજકારણ પર જ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તેમની આક્રમકતા ગાયબ થઈ ગઈ છે અને ભાજપ સરકારની ટીકા પણ બેકારી, અર્થતંત્ર, પ્રદૂષણ નિયંત્રણ, વાહનવ્યવહાર, શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દે જ કરે છે. તેમને વિચારધારાની લડાઈમાં જાણે રસ જ ના હોય તેવું વલણ લીધું છે.

જાણકારો કહે છે કે આ વલણ જ કદાચ કેજરીવાલને કામ આવશે. વિપક્ષ ભાજપ અને મોદીની એવી રીતે ટીકા કરે છે કે ભાજપનો ઢીલો પડી રહેલો ટેકેદાર સજ્જડ થઈ જાય અને અનિર્ણાયક રહેલો મતદાર વિચારે કે આ લોકોને ક્યારેય અક્કલ આવશે નહિ, મેલ કરવત ભાજપ ને ભાજપ.

સોમવારે ચૂંટણી પંચે તારીખો જાહેર કરી દીધી અને 8 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે તે નક્કી થયું તે પછી પ્રથમ પત્રકાર પરિષદમાં પણ કેજરીવાલે માત્ર સરકારની કામગીરીની જ વાત કરી. તેમણે કહ્યું કે હું લોકો પાસે મારા કામને પારખીને મત માગીશ. મતદારો તમને લાગે કે મેં કામ કર્યું છે તો જ મત આપજો નહિ તો નહિ આપતા. ભાજપ અને કોંગ્રેસના મતદારોને પણ અપીલ કરી કે દિલ્હી માટે તો તમે મારા કામને જ જોજો.

તેમનો ઇશારો એવો હતો કે લોકસભામાં તમે જે કર્યું હોય તે, વિધાનસભા માટે જુદી પસંદગી કરજો. આ સ્ટ્રેટેજી ઉપયોગી થાય તેવી છે, કેમ કે 2014 પછી દેશમાં મતદારોનો મિજાજ આ પ્રકારનો જોવા મળ્યો છે. 2014 વખતે ઓડિશા અને અમુક અંશે તેલંગણા-આંધ્રમાં સ્પષ્ટપણે વિધાનસભા અને લોકસભા માટે અલગ અલગ મતો આપ્યો. 2014 પછી તરત જ દિલ્હીમાં મતદારોએ ભાજપના બદલે કેજરીવાલને મત આપ્યા હતા. રાજસ્થાનમાં ભાજપની વિરુદ્ધ મતદાન કરીને કોંગ્રેસને જીતાડી હતી. એમપી, છત્તીસગઢ પણ ખરું. ગુજરાતમાં બેઠકો ઘટી ગઈ. હરિયાણા અને મહારાષ્ટ્રમાં કલમ 370 અને રામમંદિર કશું કામમાં ના આવ્યું. ઝારખંડમાં પણ નહિ. અને તેથી જ કેજરીવાલને લાગે છે કે કેન્દ્ર મેં મોદી, રાજ્યમાં કેજરીવાલ ચાલશે. રાજસ્થાનનું પેલું સૂત્ર અહીં કામ આવી રહ્યું છે – મોદી તુજ સે બૈર નહિ, વસુંધરા તેરી ખૈર નહિ.

ચૂંટણી પંચે બહુ ટૂંકો સમયગાળો રાખ્યો છે, જેથી મહિનામાં ચૂંટણી પૂરી પણ થઈ જશે. 55 દિવસ સુધી આચારસંહિતા ચાલતી હતી, તેના બદલે ગાળો ટૂંકો થતો રહ્યો છે. નજીક નજીકના મહિનામાં ચૂંટણીઓ હોય તો પણ રાજ્યોની ચૂંટણી અલગ અલગ થઈ. ઝારખંડ અલગ, દિલ્હી અલગ. આ બધાની વચ્ચે ચૂંટણી કમિશનર એવું બોલ્યા કે વિશિષ્ઠ સંજોગોમાં ચૂંટણી રદ પણ કરી શકાય છે. તેથી ઘણાના કાન સરવા થયા છે – શું એવું લાગે કે ભાજપને મોટી હાર મળી રહી છે તો ચૂંટણી કોઈ બહાને રદ થશે? કે પછી એવા કોઈ મોટા બનાવ બનવાના છે કે ચૂંટણી રદ થઈ શકે?

આવી ચર્ચાનું કારણ એ કે દિલ્હીમાં ચૂંટણીની જાહેરાત થઈ તેના આગલા દિવસે જેએનયુમાં મોટી બબાલ થઈ હતી. તેની અસર સીધી રીતે નહિ, પણ આડકતરી રીતે થતી રહેવાની છે. ભાજપ તેના બહાને વિચારધારાનું અને અર્બન નક્સલીનું અને ડાબેરીવિરોધનું રાજકારણ કરવા માગે છે, પણ કેજરીવાલ તેમાં પડતા માગતા નથી. વિપક્ષની જેમ કેજરીવાલ ટ્રેપમાં આવી જતા નથી. તેથી ટિકિટોની વહેંચણી પહેલાંનું આગામી અઠવાડિયું અગત્યનું સાબિત થશે.

પ્રારંભિક સર્વે પણ આવી ગયા છે અને તેમાં આમ આદમી પાર્ટીને 50 ટકા કરતાં વધુ મતદારોનું સમર્થન હજીય જણાઈ રહ્યું છે. ભાજપની સ્થિતિ મામુલી સુધરી રહી છે, જ્યારે કોંગ્રેસ ત્યાંની ત્યાં છે. ગયા વખતની જેમ કદાચ 95 ટકા નહિ, પણ બે તૃતિયાંશ બહુમતી આપને ફરી મળે તેવા અણસાર પ્રારંભિક સર્વેમાં છે. ભાજપ માટે દિલ્હી નાનું રાજ્ય છે, પણ 20 વર્ષથી સત્તા હાથમાં આવી નથી. કેન્દ્રમાં આવી તોતિંગ સરકાર હોય અને છતાં સારો દેખાવ ના થાય ત્યારે સ્થાનિક નેતાગીરીની સાથે કેન્દ્રીય નેતાગીરી ફોકસમાં આવે. તેથી અઠવાડિયું રાહ જુઓ, ચિત્ર બદલાય છે કે કેમ અને કેવું બદલાય છે તે જોઈશું.

જેએનયુના પડઘા અમદાવાદમાં: વિદ્યાર્થી પાંખો વચ્ચે ઘર્ષણ

અમદાવાદ: દિલ્હીની જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાં રવિવારે થયેલી હિંસાની દેશભરમાં નોંધ લેવાઈ રહી છે. ત્યારે આ ઘટનાના અમદાવાદમાં પણ પડઘા પડયા છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું અને લાકડી-ધોકાઓ વડે સામ-સામે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. એબીવીપી કાર્યાલય પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

બીજીતરફ સ્થિતિને કાબૂમાં લેવાના નામે પોલીસે પણ એનએસયુઆઈના જ કાર્યકરોને ટાર્ગેટ કરીને માર્યા હોવાના આક્ષેપો થયા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર એનએસયુઆઈના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણી સહિત તેના પાંચ કાર્યકરોને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ લઈ જવાયા છે. આ ઉપરાંત 10થી 12 લોકો ઘાયલ થયા છે. તો ભાજપના યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

જેએનયુમાં બુકાનીધારીઓના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો પર હુમલાના વિરોધમાં આજે સવારે એનએસયુઆઈના કાર્યકરો પાલડી સ્થિત એબીવીપીના કાર્યાલય પાસેથી ઝંડા લઈને વિરોધ પ્રદર્શન કરવાના હતા. સવારે એનએસયુઆઈના કાર્યકરો પાલડી પહોંચ્યા ત્યાં સુધી તો સ્થિતિ સામાન્ય હતી પરંતુ એકાએક ઉહાપોહ મચી ગયો હતો અને વિરોધ પ્રદર્શન સમરાંગણમાં ફેલાઈ ગયું હતું. પાઈપો, લાકડીઓ અને ધોકાઓ લઈને દોડી આવેલા યુવાનોએ એનએસયુઆઈના કાર્યકરોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું.

એનએસયુઆઈના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીએ આક્ષેપ કર્યો હતો કે, તેમના કાર્યકરો તો શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા જે તેમનો અધિકાર છે. તેમણે ગઈકાલે સાંજથી જ આ માટે આહવાન પણ કરી દીધું હતું. પરંતુ એબીવીપીના કાર્યકરો અગાઉથી જ લાકડીઓ અને પાઈપો જેવા હથિયારો વડે સજ્જ હતા. જેવી અમારી રેલી તેમના કાર્યાલય પાસે પહોંચી કે તુરત તેઓ પૂર્વાયોજિત કાવતરાના ભાગરૂપે અમારી પર ચોતરફથી તૂટી પડ્યા હતા. તેમણે અમને ઘેરી લઈને અમારી પર હુમલો કર્યો હતો અને પથ્થરમારો પણ કર્યો હતો.

એનએસયુઆઈના કાર્યકરોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસને પણ આ હિંસા માટે જાણે અગાઉથી જ સૂચના હોય તે રીતે તેમણે એનએસયુઆઈના કાર્યકરોને જ નિશાન બનાવ્યા હતા. પોલીસ અચાનક દોડતી આવી અને એનએસયુઆઈના કાર્યકરોને એકલા પાડી-પાડીને તેમને મારમાર્યો હતો સંખ્યાબંધ કાર્યકરોને આ કારણે નાની-મોટી ઈજાઓ પહોંચી છે અને તેમને હાલ સારવાર આપવામાં આવી રહી છે. પોલીસની આવી વરવી ભૂમિકાને પણ પ્રજા માફ નહીં કરે તેમ નિખિલ સવાણીએ કહ્યું હતું.

કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કહ્યું કે, આ આખી પરિસ્થિતિને સમજવાની જરૂર છે કારણ કે જે રીતે એબીવીપીના કાર્યકરોએ પ્રિપ્લાન કરીને હુમલો કર્યો છે તે ઘણું કહી જાય છે. એનએસયુઆઈના કાર્યકરો તો લોકતાંત્રિક રીતે જેએનયુની હિંસા સંબંધે માત્રા રજૂઆત કરવા ગયા હતા. પરંતુ ભાજપ અને એબીવીપીના કાર્યકરોએ પૂર્વાયોજિત કાવતરું પાર પાડતા એનએસયુઆઈના કાર્યકરોને ઘેરીને બરાબરના માર્યા હતા. આમ, એબીવીપીનો ગુંડાગીરીનો ચહેરો દેશભરમાં ઉઘાડો પડી ગયો છે.

(તસવીર: પ્રજ્ઞેશ વ્યાસ)