નવી દિલ્હીઃ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયના આશરે બે મહિના બાદ કેન્દ્ર સરકારે આનાથી સંબંધિત તમામ મામલા જોવા માટે એક અલગ ડેસ્ક બનાવ્યું છે. આની અધ્યક્ષતા એડિશનલ સેક્રેટરી સ્તરના અધિકારી કરશે. ગૃહમંત્રાલયે કહ્યું કે, અયોધ્યા મામલો અને કોર્ટના નિર્ણય સાથે જોડાયેલા મામલાનો ત્રણ અધિકારી જોશે. આ ટીમનું નેતૃત્વ એડિશનલ સેક્રેટરી જ્ઞાનેશ કુમાર કરશે.
અયોધ્યા વિવાદ પર 9 નવેમ્બરના ઐતિહાસિક નિર્ણય બાદ સરકારનું આ પગલું મહત્વપૂર્ણ છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં વિવાદિત જમીન પર રામ મંદિરના નિર્માણની મંજૂરી આપી દીધી છે. આ સીવાય કોર્ટે કેન્દ્ર સરકારને રામ મંદિર નિર્માણ માટે 3 મહિનાની અંદર ટ્રસ્ટ બનાવવા અને 5 એકર જમીન સુન્ની વક્ફ બોર્ડને આપવાનો આદેશ આપ્યો છે. હવે જ્ઞાનેશ કુમારની આગેવાનીમાં ગૃહ મંત્રાલયનું નવું ડેસ્ક અયોધ્યા સાથે જોડાયેલા મામલાઓ જોશે.
અયોધ્યા મામલે ગૃહ મંત્રાલયે એક અલગ ડેસ્ક બનાવ્યું
તમારો પાસવર્ડ હેકરની નજરમાં છે કે નહીં એ કેવી રીતે જાણશો?
“મારા ઇ-મેઇલ એડ્રેસ અને પાસવર્ડ હેકરોની નજરમાં હોય તે શક્ય જ નથી”
જો તમે આવું માનતા હો તો તે તમારો વહેમ છે કે હકીકત? આ કઇ રીતે જાણવું? વેલ, તમારો પાસવર્ડ કોઇ હેકર્સની નજરમાં આવી ગયો છે કે નહીં એ જાણવા માટે પહેલાં તો એક નાની એવી એક્સરસાઇઝ અત્યારે જ કરી લો: https://www.haveibeenpwned.com
આ વેબસાઈટ ખોલીને તેમાં તમારૂ ઇમેઇલ એડ્રેસ અને તમારો પાસવર્ડ હેકરોની નજરમાં કેટલીવાર આવી ગયો છે તેનો ઇન્સ્ટન્ટ જવાબ મેળવી લો. જો તમારો સમાવેશ આ લિસ્ટમાં “pwned” તરીકે થઇ ગયેલો દેખાય તો તમે ચોક્કસપણે હેકર્સની નજરમાં છો અને તમારી ઉપર સાઈબર હુમલો થવાની શક્યતા ખૂબ જ વધારે છે.

એક ઉદાહરણથી આ વાત સમજીએ. અમદાવાદનાં ટેમ્પલ આર્કિટેક્ટ પરેશ ત્રિવેદી “pwned” હતા, પણ તેમને આની ગંભીરતા સમજાય એ પહેલા જ તેમની સાથે વીસ લાખની છેતરપિંડી થઇ ગઈ. બધાને નવાઈ એ લાગી રહી હતી કે આવું કઈ રીતે બની શકે? પરેશ ત્રિવેદીનાં એક ગ્રાહકે હેકર દ્વારા પરેશ ત્રિવેદીનાં જ ઈમેઇલ આઈડી ઉપરથી મોકલવામાં આવેલા ખાતા નંબર ઉપર ઉઘરાણીની વીસ લાખની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી નાખેલી. આવા કિસ્સામાં પોલીસ ફરિયાદ થાય છે, પણ આપણે ત્યાં સાઇબર ક્રાઇમના ગુન્હાઓના ભેદ એમ ઝડપથી ઉકેલાતા નથી. પોતાની ડિજિટલ લાઈફને સલામત રાખવા માટે પાસવર્ડની શું ભૂમિકા છે તે સમજવા માટે પરેશ ત્રિવેદી ખૂબ મોડા હતા.

સામાન્ય રીતે યુઝર્સ કેવા પાસવર્ડ રાખે છે? એવા સરળ કે જે તેમને હંમેશા યાદ રહે. અને સરળતાથી યાદ રહી જાય તેવું આપણી જિંદગીમાં શું હોય છે? આપણા અથવા આપણા કુટુંબના સભ્યોના નામ, ગર્લફ્રેન્ડ – બોયફ્રેન્ડના નામ, જન્મ કે લગ્નની તારીખ, કોન્ટેક્ટ નંબર, વાહનોનાં નામ અને નંબર. તમે વારતહેવારે સોશિયલ મીડિયા ઉપર જે પોસ્ટ મૂકતા રહો છો તેમાંથી આસાનીથી આ બધી માહિતી તારવી શકાય કે નહિ? હેકરો તમારી આવી સામાન્ય માનવસહજ ભૂલોની વિગતો પોતાના સોફ્ટવેર ટુલ્સમાં ઈનપુટ કરીને તમે શું પાસવર્ડ રાખ્યો હોઈ શકે તેનું લાંબુ લીસ્ટ બનાવી નાખે છે અને જુદીજુદી વેબસાઈટમાં વારાફરતી આ પાસવર્ડની મદદથી લોગ-ઇન કરવાનો પ્રયત્ન કરતા રહે છે. સમગ્ર દુનિયામાં જાણીતી અમેરિકાની કોમ્યુનીકેશન કંપની વેરીઝોન દ્વારા તાજેતરમાં “૨૦૧૯ ડેટા બ્રીચ ઇન્વેસ્ટીગેશન રીપોર્ટ” નામક સર્વે કરવામાં આવ્યો તેનો નિષ્કર્ષ પણ એ જ નીકળ્યો હતો કે પાસવર્ડનાં દુરુપયોગના 80 ટકા મામલાઓ નબળા, સીધા-સાદા અને અનુમાન કરવામાં સરળ હોય તેવા પાસવર્ડનાં કારણે જ નોંધાય છે.

૧૯૬૦માં Massachusetts Institute of Technology (MIT)માં કાર્યરત ફર્નાન્ડો કોર્બેટો જે “કોરબી”નાં હુલામણા નામે પ્રખ્યાત થઇ ગયેલા તેમણે પાસવર્ડની ભૂમિકા તૈયાર કરીને વ્યવહારમાં લાવવાની શરૂઆત કરેલી. ઈન્ટરનેટની દુનિયાના મોટાભાગનાં ગુન્હાઓનું કારણ “પાસવર્ડ” બનશે તેની “કોરબી”ને તે સમયે કદાચ કલ્પના પણ નહી હોય, પણ બન્યું તો એવું જ છે. હમણાં એક સર્વે કરાયો તે અનુસાર 13% યુઝર પોતાની દરેકે-દરેક વેબસાઈટ માટે એક જ પાસવર્ડ રાખે છે અને 52% તો મોટાભાગની વેબસાઈટ માટે એક જ પાસવર્ડ રાખે છે. બેન્કિંગ, શોપિંગ, ઈમેઈલ, ગેઇમીંગ, લાઈવ સ્ટ્રીમીંગ, સોશિયલ મીડિયા, સ્કાઇપ અને બીજી અનેક વેબસાઈટ માટે તમે જયારે એક જ પાસવર્ડ રાખો છો ત્યારે તમે કેટલું મોટું જોખમ લઇ રહ્યા છો તે હવે તમારે તાત્કાલિક સમજી લેવાની જરૂર છે.

નબળા પાસવર્ડ તમને કેટલા બધા મોંઘા પડી શકે છે તે બાબતે જનજાગૃતિ વધારવા છેલ્લા ઘણાં વર્ષોથી મે મહિનાની બીજી તારીખે સમગ્ર વિશ્વમાં “વર્લ્ડ પાસવર્ડ ડે”ની ઉજવણી કરવામાં આવે છે. એક સામાન્ય શબ્દમાળા ઉપરથી થોડા આગળ વધીને જટિલતા વધારવા માટે પાસવર્ડમાં હવે શબ્દ સાથે અંક અને કી-બોર્ડ ઉપર આપવામાં આવેલા અન્ય ચિન્હો પણ ઉમેરવાનો આગ્રહ કરવામાં આવે છે. જટિલ એટલે કેવા તેનું એક ઉદાહરણ એટલે : D&2x4S12nLS1*, KANa@sx3l2&s$, 79915w5$oYmH. આવા જુદા-જુદા ભેજાફાડ પાસવર્ડ આપણે વારંવાર બનાવી શકીએ? અને બનાવવામાં ખાસ્સો સમય વ્યય કર્યા પછી તે યાદ રાખી શકીએ? તો પછી આ સમસ્યાનું સમાધાન શું?
“પાસવર્ડ મેનજર એપ્લીકેશન” આ સમસ્યાનો એક સરળ ઉકેલ છે.
|
પાસવર્ડ મેનેજર એપ્લીકેશન શું છે? તમે જે કોઈ વેબસાઈટ કે એપ્સનો ઉપયોગ કરતાં હો તે તમામનાં એકાઉન્ટ્સનાં યુઝર-નેમ અને તેના પાસવર્ડ સાચવી રાખવાની એક વર્ચ્યુઅલ તિજોરી તરીકે પાસવર્ડ મેનેજર એપ્લિકેશન કામગીરી બજાવે છે. આ ઉપરાંત તમારા વિવિધ એકાઉન્ટ માટે પોતાની કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને પાસવર્ડ બનાવવાના આદર્શ માપદંડો મુજબના જબ્બરદસ્ત અને ગરબડીયા પાસવર્ડ પણ તે જનરેટ કરી આપે છે. |
જાણીતી કલાઉડ બેઇઝ્ડ પાસવર્ડ મેનેજર એપ્લીકેશન કઈ કઈ છે:
| LastPass, TalkTalk, 1Password જેવી એપ્લીકેશનની આજકાલ બોલબાલા છે. સારા રેટિંગ અને રિવ્યુઝ હોય અને તમને પૂરો વિશ્વાસ પડે તેવી અન્ય કોઈ એપ્લીકેશન પણ તમે ડાઉનલોડ કરી શકો છો. કોઈ એક યુઝર પોતાના ડેસ્કટોપ, લેપટોપ કે મોબાઈલ ફોન ઉપર સામાન્ય રીતે એક સરખી જ વેબસાઈટ કે એપ્સનો ઉપયોગ વારંવાર કરતાં હોય છે. માટે, વિન્ડોઝ, એપલ અને એન્ડ્રોઇડ જેવા મુખ્ય ત્રણેય પ્લેટફોર્મ અને તેના તમામ બ્રાઉઝર્સ ઉપર એકસાથે વાપરી શકાય તેવી ક્રોસ-પ્લેટફોર્મ પાસવર્ડ મેનેજર એપ્લિકેશન વાપરવાનો જ આગ્રહ રાખવો જોઈએ. |
કઈ રીતે ઉપયોગ શરુ કરશો પાસવર્ડ મેનેજર એપ્લીકેશનનો :
|
જો કે; પાસવર્ડ મેનેજર એપ્લીકેશન દ્વારા મળતી સગવડતાઓ તમને માત્ર પ્રથમ સ્તરનાં યુઝર ઓથેન્ટીકેશન (SFA) બાબતે જ ડીજીટલ સુરક્ષા આપે છે તે તમારે ખાસ યાદ રાખવું જોઈએ. આવી પ્રથમ સ્તરની સલામતી મેળવવા માટે પાસવર્ડ મેનેજર એપ્લિકેશનનો ઉપયોગ અત્યારે સમગ્ર વિશ્વમાં માત્ર 24% યુઝર્સ જ કરી રહ્યા છે. તો બાકીનાં શું કરી રહ્યા છે? કદાચ પોતાની ઉપરનાં સાયબર એટેકની પ્રતિક્ષા !!!
2FA (ટુ ફેક્ટર ઓથેન્ટીકેશન) શું છે:
જયારે તમે તમારો પ્રથમ પાસવર્ડ ઈનપુટ કરો અને તે સાચો હોય ત્યારે SFA – Single Factor Authentication પૂરું થયું ગણાય છે. તમારા એકાઉન્ટમાં તમારા સિવાયની કોઈ વ્યક્તિ ઘૂસ ન મારે તે માટે વધુ સલામતીની જરૂર રહે છે. એટલે વધુ સુરક્ષાના હેતુથી ત્યાર પછી તમારી પાસેથી બીજા સ્તરનું ઓથેન્ટીકેશન માગવામાં આવે છે તેને 2FA (ટુ ફેક્ટર ઓથેન્ટીકેશન) મતલબ કે બીજા સ્તરની સુરક્ષા કહેવાય છે. હાલમાં ઘણીબધી વેબસાઈટ અને એપ્સ આવી ટુ ફેક્ટર ઓથેન્ટીકેશન આપવા લાગી છે. પરંતુ જાગૃતિનાં અભાવે દુનિયાના ખુબ જ ઓછા યુઝર્સ આનો ઉપયોગ અત્યારે કરી રહ્યા છે. 2FA નો ઉપયોગ કરનાર યુઝર સાયબર એટેકનો ભોગ બને તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી રહે છે.
2FA (ટુ ફેક્ટર ઓથેન્ટીકેશન) તમે કઈ રીતે મેળવી શકો છો:
|
2FA થી આગળ શું છે:
યુઝર ઓથેન્ટીકેશન માટે U2F, Smart card, OpenPGP, OTP અને અન્ય પ્રોટોકોલ્સનો ઉપયોગ તો થતો જ આવ્યો છે પણ સરળ, ઝડપી અને એકદમ ચોક્કસાઈવાળું યુઝર ઓથેન્ટીકેશન થઇ શકે તે માટે FIDO દ્વારા પ્રસ્તુત થયેલી ક્રોસ-પ્લેટફોર્મ ટેકનોલોજીઓ WebAuthn અને CTAP હવે માર્કેટમાં વધારે સ્વીકાર્ય થઇ રહી છે. સરળ રીતે સમજીએ તો આ ટેકનોલોજી તમારા વોઇસ, ફેઇસ, આંખ, ફિંગરપ્રિન્ટ, હેન્ડ મુવમેન્ટ પેટર્ન વિગેરેને ઓળખી કાઢીને તમારું યુઝર ઓથેન્ટીકેશન તત્કાલ કરી આપે છે. આ ટેકનોલોજી બાયોમેટ્રિક યુઝર ઓથેન્ટીકેશન તરીકે પણ ઓળખાય છે. FIDO સ્ટાન્ડર્ડને અપનાવી લીધા હોય તેવી અનેક વેબસાઈટ અને એપ્સ દ્વારા બાયોમેટ્રિક લોગ-ઈનની ફેસિલિટી અત્યારે આપવાનું ચાલુ પણ થઇ ગયું છે. માઈક્રોસોફ્ટ WINDOWS-10 ઓપરેટિંગ સિસ્ટમની WINDOWS Hello અને એપલની FaceID નામક બાયોમેટ્રિક સુવિધાઓ આનું જ એક ઉદાહરણ છે. બાયોમેટ્રિકનો ઉપયોગ કરનાર યુઝર સાયબર એટેકનો ભોગ બને તેવી શક્યતાઓ બિલકુલ નહીવત રહે છે.

આગામી થોડા વર્ષોમાં SFA કે 2FAની કદાચ જરૂર જ ન રહે તેવી શક્ય તમામ ક્રોસ-પ્લેટફોર્મ ટેક્નોલોજીઓનું સંશોધન અત્યારે પૂરજોશમાં ચાલુ છે. આ સંશોધન FIDO દ્વારા થઇ રહ્યું છે. દુનિયાને પાસવર્ડની પીડાઓથી મુક્ત કરવા માટે FIDO દુનિયાની એક માન્યતાપ્રાપ્ત સર્વસ્વીકૃત સંસ્થા છે. ગૌરવની વાત એ છે કે તેના પ્રેસિડેન્ટ સેમ શ્રીનિવાસન આપણા ભારતીય છે. અપેક્ષા તો એવી જ રાખીએ કે પાસવર્ડને પુષ્પાંજલિનાં પુણ્યકર્મનો યશ આગામી સમયમાં એક ભારતીયને જ મળે.
(પુનીત આચાર્ય-સોમપુરા)
રાશિ ભવિષ્ય 03/01/20
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.
આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે,
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું,
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.
આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું
આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે,
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
શું ખરેખર દુખી માણસોએ જ વાસ્તુની સલાહ લેવી જોઈએ?
સામાન્ય રીતે એવી માન્યતા છે કે દુખી માણસો જ વાસ્તુ માટે સલાહ લે. હું આપની સલાહ લઉં તો લોકો એવું
માની લે કે મને કૈક તકલીફ હશે. મારા પિતાજી નાનપણમાં ગુજરી ગયા. માં એ ઘરનો વ્યવસાય સંભાળી લીધો. કોઈ જ તકલીફ ન હતી. પેલી પરીકથાની રાજકુમારી જેવું જ જીવન હતું. હું જે માંગું તેનાથી વધારે સારું મળતું. મારો ઉછેર પણ સારી રીતે થયો. મુક્ત વિચારોના લીધે મારી કોલેજના સારામાં સારા છોકરાને હું ગમવા લાગી. સમય જતા અમારી વચ્ચે આત્મીયતા વધી. મને ડર હતો કે મારી માં આ લગ્ન માટે તૈયાર નહિ થાય. મેં ડરતા ડરતા એને વાત કરી. માં એ પરિવારને મળી અને મને કહ્યું કે હું બે દિવસ પછી જણાવીશ. મારો આત્મવિશ્વાસ ડગમગી ગયો. પણ માએ હા પાડી અને લગ્ન પણ થઇ ગયા.
બંને પરિવારની જીવનશૈલી જુદી હતી. સવારે વહેલા ઉઠી અને હું ચા બનાવતી હતી ત્યાં મારા સાસુમા આવ્યા અને મારો હાથ પકડીને મને રસોડાની બહાર લઇ ગયા. મને લાગ્યું કે હવે નવી સમસ્યા આવશે. તેમણે કહ્યું કે હજુ તો તારા હાથની મહેંદી પણ નથી ઉતરી. મારાથી તને કામ ન સોંપાય. અમારા નવા જીવનની શરૂઆત ખુબજ સારી રહી. બે બાળકો થયા. બંને સારું ભણ્યા. ગયા વરસે મારા સાસુ ધામમાં ગયા. મારી જેમ મારા પતિના પિતાજી પણ વહેલા ગુજરી ગયા હતા. ઘરનો વ્યવસાય મારા સાસુએ જ સંભાળ્યો હતો. હવે હું સંભાળું છુ. નવું ઘર બનાવું છુ. સૂચનો આપવા વિનતી જેનાથી મારું સુખ સચવાઈ રહે.

બહેન શ્રી. તમારી વાત વાંચીને ખુબજ સારું લાગ્યું. વાસ્તુમાં સુખી થવાના નિયમો છે. પણ માત્ર દુઃખમાં જ વાસ્તુ નિયમોને યાદ કરાય તે ખોટો વિચાર છે.તમારા બંને ઘરના દ્વાર એક સમાન હોવાથી નારી પ્રધાન ઘર બન્યું. ઉત્તર અને પશ્ચિમ ના અક્ષથી બનતો ત્રિકોણ સકારાત્મક હોવાના કારણે નાણાકીય તકલીફો ન આવી. તમેલગ્ન પહેલા અગ્નિમાં રહેતા હતા તેથી તમારો સ્વભાવ પ્રભાવશાળી રહ્યો. તમારા બંને ઘરની વાયવ્યની અને અગ્નિની રચનાએ તમને ભેગા કર્યા. તમે પસંદગીના પાત્ર સાથે લગ્ન કર્યા.જયારે ઘરમાં સકારાત્મક ઉર્જા હોય ત્યારે પરિવારના સદસ્યોમાં એકસુત્રતા હોય. જે આપના પરિવારમાં છે. એક બીજાનું સન્માન સચવાયેલું રહે. એ પણ તમે જણાવ્યું છે. સાસુ એ પણ એક માતા જ છે. મોટા ભાગે માણસને તેનો ખોટો ભય જ દુખી કરે છે. આપના સાસુએ જયારે આપણે રસોઈ કરવાની ના પાડી ત્યારે આપને પણ ડર લાગ્યો હતો. પણ થોડાજ સમયમાં એમનો અલગ પ્રતિભાવ મળ્યો. આપના મનમાં જે કાલ્પનિક ભય છે તે કાઢવો જરૂરી છે. એના માટે આપ શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, સરસવ, પાણી થી અભિષેક કરો. અને ત્યાર બાદ બીલીપત્ર ચડાવી દો. મહામૃત્યુંન્જયના મંત્ર પણ આપને મદદરૂપ થશે. આપના ભયનું કારણ આપના દાદરની શરૂઆતનું સ્થાન છે.

આપના બાળકો સુખી છે તેનું કારણ તેમને યોગ્ય રૂમની ફાળવણી થઇ છે અને ઘરમાં વાયવ્ય સકારાત્મક છે. ઇશાનમાં દેવસ્થાન યોગ્ય રીતે છે તેથી ઘરનું વાતાવરણ સારું છે. તમને આ જે વિચાર આવ્યો તેનું એક કારણ ઈશાનની સકારાત્મકતા હોઈ શકે. હવે વાત કરીએ આપના નવા ઘરના પ્લાનની. સર્વ પ્રથમ તો આપના પ્લોટની ઉર્જા તપાસી લેવી જોઈએ. આપના જણાવ્યા મુજબ પ્લોટ લેવાથી માંડીને અત્યાર સુધી ખુબજ સમય ગયો છે. ત્રણેક આર્કિટેક્ટ બદલાઈ ગયા. એજ દર્શાવે છે કે ક્યાંક રુકાવટ આવી રહી છે. પ્લોટ સકારાત્મક ન હોય તો આવું બને. મકાન ઇશાન તરફ બની રહ્યું છે અને બાકીનો પ્લોટ ખાલી છે. હકીકતમાં ઇશાન ખુલ્લો હોવો જોઈએ. ઘર નૈરુત્ય તરફ બનાવો. એક સારી વાત એ છે કે પ્લોટની ત્રણ બાજુ પરથી રોડ જાય છે અને એક બાજુ ખુલ્લી જગ્યા છે. આપનું ઘર પ્લોટના ઇશાન તરફ બનતું હોવાથી ઉત્તર અને પૂર્વની કમ્પાઉન્ડ વોલ ઉંચી બને છે. અને નૈરુત્ય દક્ષિણમાં મુખ્ય દ્વાર છે. આ યોગ્ય નથી. મકાન નૈરુત્યમાં બનાવવાથી દક્ષીણ અને પશ્ચિમની દીવાલો ઉંચી થશે અને પૂર્વના સાચા પદમાંથી દ્વાર લઇ શકાશે. આમ પણ આપને આ ડીઝાઇન ગમી નથી. તો નવી ડીઝાઇન બનાવતી વખતે આ વાત ધ્યાનમાં લેવી જરૂરી છે. દાદરો બ્રહ્મમાં ન લેવાની સલાહ છે. ઘરનું મુખ્ય દ્વાર, દેવ સ્થાન, બધાના બેડરૂમ, પાણીની ટાંકી અને પાર્કિંગ એ બધુજ બદલવું જરૂરી છે.
દિલ્હીમાં એરપોર્ટ એક્સપ્રેસ લાઈનની મેટ્રો ટ્રેનોની અંદર વાઈ-ફાઈ સુવિધાનો આરંભ
નવી દિલ્હી – દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)એ અહીં એરપોર્ટ એક્સપ્રેસ લાઈન પર પ્રવાસીઓની સુવિધા માટે મફત હાઈ-સ્પીડ વાઈ-ફાઈ સુવિધાનો આજથી આરંભ કર્યો છે.
આ સાથે એરપોર્ટ લાઈનની તમામ મેટ્રો ટ્રેનોમાં સીમલેસ અને મફત ઈન્ટરનેટ કનેક્ટિવિટીની સુવિધા શરૂ થઈ છે. પ્રવાસીઓ એરપોર્ટ લાઈન પરની ટ્રેનોમાં સફર કરતી વખતે ઈમેલ, ફેસબુક, યૂટ્યૂબ, ગૂગલ સર્ચ, વોટ્સએપ, વિડિયો અને ઓડિયો કોલ્સ તથા એનાથી વધારે સ્ટાન્ડર્ડ ઈન્ટરનેટ એપ્લિકેશન્સનો આનંદ માણી શકશે.
પ્રવાસીઓએ એમના મોબાઈલ ફોનના વાઈ-ફાઈ મેનૂમાંથી ‘METROWIFI_FREE’ નેટવર્કને પસંદ કરી લોગઈન કરવાનું રહેશે, જે વિન્ડો ખૂલે એમાં પોતાનો ફોન નંબર એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ નેટવર્ક એક્સેસ માટેનો ઓટીપી ટાઈપ કરીને ‘કનેક્ટ’ પર ક્લિક કરવાનું રહેશે. અને એમને હાઈસ્પીડ મફત વાઈ-ફાઈ સુવિધા મળતી થઈ જશે.
આજે આ સુવિધા લોન્ચ થતાં અન્ડરગ્રાઉન્ડ ટ્રેનોમાં પ્રવાસ કરતા લોકોને મફત વાઈ-ફાઈ કનેક્ટિવિટી પૂરી પાડવામાં દુનિયાભરના જૂજ દેશોમાં ભારત પણ જોડાયું છે. દક્ષિણ એશિયામાં તો ભારત પહેલો જ દેશ છે.
દિલ્હી મેટ્રો નેટવર્ક પર વાઈ-ફાઈ કનેક્ટિવિટી પૂરી પાડવા માટેના પ્રોજેક્ટનો અમલ મેસર્સ મેક્ઝિમા ડિજિટલ પ્રા.લિ. (મેક્ઝિમા ટેલીકોમ, રશિયાની ભાગીદાર), મેસર્સ ટેક્નો સેટ કોમ (ઈન્ડિયા) પ્રા.લિ. અને મેસર્સ સીફી ટેક્નોલોજીઝના બનેલા ઉદ્યોગસમૂહે કર્યો છે.
આ ઉદ્યોગસમૂહે આ સુવિધા આપવા માટે સમગ્ર લાઈન પર ખાસ 24 કિ.મી. ફાઈબર, 7 કિ.મી. પાવર કેબલ (સાથે 44 બેઝ સ્ટેશન્સ) તથા અન્ય એક્ટિવ કમ્પોનન્ટ્સ બિછાવ્યા છે જેથી પ્રવાસીઓને કોઈ અવરોધ વગર વાઈ-ફાઈ સુવિધા મળી રહે. દરેક ટ્રેન ટ્રેકસાઈડ નેટવર્ક સાથે કનેક્ટ થવા માટે રેડિયો ટેક્નોલોજી સાથે સુસજ્જ છે. દરેક ટ્રેનના દરેક ડબ્બામાં વાયરલેસ એક્સેસ પોઈન્ટ્સ ઉપલબ્ધ છે.
ગણતંત્ર દિવસ ટેબ્લોઃ બંગાળ પછી મહારાષ્ટ્રની પણ ગેરહાજરી, રાજકીય રંગ?
નવી દિલ્હી: દર વર્ષે 26મી જાન્યુઆરીના દિવસે દિલ્હીના રાજપથ પર યોજાતી પરેડમાં સમગ્ર દેશના વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઓળખની ઝાંખી જોવા મળતી હોય છે, પણ આ વર્ષે પશ્ચિમ બંગાળને બાકાત રખાયા બાદ હવે આ યાદીમાં વધુ એક રાજ્યનું નામ ઉમેરાયું છે. વર્ષ 2020માં ગણતંત્ર દિવસની પરેડમાં હવે બંગાળ બાદ મહારાષ્ટ્રની સાંસ્કૃતિક ઓળખની પણ ઝલક જોવા નહીં મળે. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી જિતેન્દ્ર અવધ એ દાવો કર્યો છે કે આ વખતનાં ગણતંત્ર દિવસની પરેડમાં મહારાષ્ટ્રની સાંસ્કૃતિક ઝાંખીનો સમાવેશ કરવાનો ગૃહ મંત્રાલયે ઈનકાર કરી દીધો છે.

મહત્વનું છે કે ગણતંત્ર દિવસનાં અવસર પર રાજપથ પર અનેક રાજ્યોની સાંસ્કૃતિ ઓળખ રજૂ કરતી ઝલક જોવા મળે છે, જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશ અને કેન્દ્રિય મંત્રાલયોની પણ ઉપસ્થિતિ હોય છે. આ વર્ષે કુલ 22 રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરતી પરેડ જોવા મળશે. આમાં 16 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશની અનેક 6 કેન્દ્રિય મંત્રાલયો તરફથી હશે. કેન્દ્ર સરકાર પાસે કુલ 56 પ્રપોઝલ આવી હતા તેમાં પશ્ચિમ બંગાળની સરકારની દરખાસ્ત પણ સામેલ હતી, પણ કેન્દ્ર સરકારે એ ફગાવી દીધી છે.

આ મામલે શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રની સાંસ્કૃતિક ઓળખ હંમેશાથી દેશ માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે. જો આ જ કૉંગ્રેસનાં કાર્યકાળમાં થયું હોત તો મહારાષ્ટ્ર બીજેપીએ પ્રહાર કર્યા હોત.

રાઉતે વધુમાં કહ્યું કે, આ વખતેની પરેડમાં મહારાષ્ટ્રની ઝાંખીને સામેલ કરવામાં નથી. આ ઝાંખી જેજે સ્કુલ ઓફ આર્ટ્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આના માટે રાજ્યને અનેક વખત પુરસ્કાર પણ મળ્યા છે. એવુ શું થયું કે, આ વખતે મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળની સાંસ્કૃતિક ઓળખને સ્થાન ન મળ્યું. બંને રાજ્યોમાં ભાજપની સરકાર નથી એ જ કારણ છે. આ મહારાષ્ટ્ર રાજ્યનું મોટું અપમાન છે. તેમણે આગળ કહ્યું કે, સમગ્ર મહારાષ્ટ્ર ગણતંત્ર દિવસ પરેડની રાહ જોતું હોય છે. હું મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને આ મામલે તપાસ કરવાની અપીલ કરું છું. હવે અમારે એ જોવું છે કે, અન્ય રાજ્યો કે જ્યાં ભાજપની સરકાર નથી એ રાજ્યોનો સમાવેશ કરવામાં આવે છે નહીં.
ક્રાઉન પ્રિન્સ પાકિસ્તાનના પ્રવાસે: ઈમરાનની આશાઓ ફળશે?
ઈસ્લામાબાદ: સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)ના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન ગુરુવારે એક દિવસના પ્રવાસે પાકિસ્તાન પહોંચ્યા છે. આ દરમ્યાન તે પરસ્પર હિતો અને ક્ષેત્રીય મુદ્દાઓ અંગે વડાપ્રધાન ઈમરાન ખાન સાથે ચર્ચા કરશે. સમાચાર એજન્સી ડોનના જણાવ્યા અનુસાર ઈસ્લામાબાદ સ્થિત યુએઈના રાજદૂતે એક નિવેદનમાં કહ્યું તેમના એક દિવસીય પ્રવાસ દરમ્યાન ક્રાઉન પ્રિન્સ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મુલાકાત કરશે.

બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંદોને પ્રોત્સાહન આપવા પર ચર્ચા કરશે. યુએઈના ક્રાઉન પ્રિન્સ પાકિસ્તાનના પ્રવાસે એવા સમયે ગયા છે જ્યારે પાકિસ્તાન પોતાની કથળેલી અર્થવ્યવસ્થાને ફરી પાટે ચઢાવવાના રસ્તાઓ શોધી રહ્યું છે. મહત્વનું છે કે, અગાઉ ક્રાઉન પ્રિન્સે 6 જાન્યુઆરી 2019ના રોજ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. તેમના પ્રવાસના થોડા સમય પછી જ યુએઈએ પાકિસ્તાની અર્થવ્યવસ્થાને પાટે લાવવા ત્રણ બિલિયન ડોલરનું ફંડ આપવાની જાહેરાત કરી હતી.

સાઉદી અરબ અને પાકિસ્તાન વચ્ચે ભલે કશ્મીર મુદ્દે ઈસ્લામિક દેશોના સંગઠન (ઓઆઈસી)ની વિશેષ બેઠક બોલવવા પર સહમતી ન બની હોય પણ એના કારણે ભારતની સાઉદી અરબ કે ઓઆઈસીના અન્ય દેશો સાથેના સંબંધો પર હાલમાં કોઈ અસર પડવાની સંભાવના નથી. એની પાછળનું કારણ એ છે કે, ભારત ઓઆઈસીના તમામ પ્રમુખ દેશો સાથે લાંબી રણનીતિક ભાગીદારીનો પાયો નાખી ચૂક્યું છે. સાથે જ ઓઆઈસીની વિશ્વ સ્તર પર ખરાબ થતી જતી શાખ પણ એક કારણ છે કે, ભારત પ્રતિક્રિયા આપવાને બદલે શાંત છે.
ગુરુ રમાકાન્ત આચરેકરની પુણ્યતિથિ પર સચિનનો ભાવનાત્મક સંદેશ
નવી દિલ્હીઃ દુનિયાના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના ગુરુ રમાકાંત આચરેકરની આજે પ્રથમ પુણ્યતીથી છે. ગત વર્ષે આજના દિવસે જ સચિનના બાળપણના ગુરુનું 87 વર્ષની ઉંમરે નિધન થયું હતું. સચિને આજે તેમની પ્રથમ પુણ્યતિથિ પર પોતાના ગુરુ સાથે પોતાનો એક જૂનો ફોટો પોસ્ટ કરતા પોતાની શ્રદ્ધાંજલી અર્પિત કરી છે.
પોતાના ગુરુજીની પુણ્યતિથિ પર સચિને લખ્યો ભાવનાત્મક સંદેશ
માસ્ટર બ્લાસ્ટરે આ ફોટો સાથે મરાઠી ભાષામાં એક સંદેશ પણ લખ્યો છે. સચિને આ સંદેશનું અંગ્રેજીમાં પણ ટ્રાન્સલેશન કરીને પોસ્ટ કરી છે. પોતાના આ ભાવનાત્મક સંદેશમાં સચિને લખ્યું કે, આપ નિરંતર અમારા દિલમાં રહેશો, આચરેકર સર!
તેંડુલકરે પોતાના આ સંદેશને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. ગત વર્ષ જ્યારે આચરેકરનું મુંબઈમાં નિધન થયું હતું ત્યારે સચિને તેમને યાદ કરતા એક ભાવનાત્મક સંદેશ લખ્યો હતો. ત્યારે માસ્ટર બ્લાસ્ટરે લખ્યું હતું કે, આચરેકર સરની ઉપસ્થિતિથી સ્વર્ગમાં પણ ક્રિકેટ સમૃદ્ધ થશે. અન્ય વિદ્યાર્થીઓની જેમ મેં પણ ક્રિકેટની ABCD સરના માર્ગદર્શનમાં જ શીખી છે. મારા જીવનમાં તેમના યોગદાનને શબ્દોમાં વર્ણવી ન શકાય.
કોચ આચરેકરને રમતમાં વિશિષ્ઠ યોગદાન માટે વર્ષ 2010 માં પદ્મશ્રી અને દ્રોણાચ્રાચ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આચરેકર સરના શિષ્યોમાં તેંડુલકર સીવાય વિનોદ કાંબલી, પ્રવીણ આમરે, ચંદ્રકાંત પંડિત અને બલવિંદર સિંહ સંધૂ પણ રહ્યા છે.
1 જાન્યુઆરીએ ભારતમાં કેટલા બાળકો જન્મ્યા એ જાણો છો?
નવી દિલ્હીઃ વિશ્વભરમાં વસ્તી વધારાની સમસ્યા સામે ઝઝૂમી રહેલા બે દેશો એટલે ભારત અને ચીન. નવા વર્ષની શરુઆત પણ આ બંને દેશો માટે કંઈક એવી જ રહી. 2020ના પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરીએ વિશ્વભરમાં લગભગ 4 લાખથી વધુ બાળકોનો જન્મ થયો. જેમાં સૌથી વધુ ભારતમાં 67,385 બાળકોનો જન્મ થયો ત્યાર પછી બીજા નંબરે ચીન આવે છે જ્યાં 46,299 બાળકોનો જન્મ થયો.

આ યાદીમાં સામેલ દેશોમાં ત્રીજા ક્રમ પર નાઈજિરિયા 26,039 બાળકો, પાકિસ્તાન 16,787 બાળકો, ઈન્ડોનેશિયા 13,020 બાળકો, અમેરિકા 10,452 બાળકો કાંગો ગણરાજ્ય 10,247 બાળકો અને ઈથોપિયામાં 8,493 બાળકોન જન્મ થયો. યુનિસેફ દર વર્ષે જાન્યુઆરીમાં નવા વર્ષના દિવસે જન્મેલા બાળકોનો જન્મ દિવસ ઉજવે છે. આખી દુનિયામાં આ દિવસને બાળકના જન્મ માટે શુભ માનવામાં આવે છે.
યુનિસેફે બુધવારે આ આંકડા જાહેર કર્યા હતા. નવા વર્ષના દિવસે આખી દુનિયામાં 3,92,078 બાળકો જન્મ્યા હતા. તેમાંથી 17 ટકા ભારતના છે. યુનિસેફના અંદાજે પેસિફિકના ફિજીમાં દુનિયાનું 2020નું પહેલું બાળક જન્મ્યું હોશે તેવી શક્યતા છે. અમેરિકામાં આ દિવસનું છેલ્લું બાળક જનમ્યું હોવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે યુનિસેફ એ સંયુક્ત રાષ્ટ્રસંઘની બાળકોના વિકાસ માટે કામ કરતી સંસ્થા છે.

જો કે એક અધિકારીનું જણાવ્યું હતું કે દુનિયાના લાખો બાળકો માટે તેમના જન્મનો દિવસ શુભ નથી પણ નીવડતો. 2018માં યુનિસેફે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે 25 લાખ બાળકો જન્મના પહેલા જ મહિનામાં મૃત્યુ પામે છે. તેમાંથી 33 ટકા બાળકો તો પહેલા જ દિવસે મૃત્યુ પામે છે. આમાંથી મોટા ભાગના બાળકો પ્રિમેચ્યોર જન્મ, ડિલીવરી દરમ્યાન કોમ્પ્લિકેશન, સેપ્સિસ જેવા ઈન્ફેક્શનને કારણે મૃત્યુ પામે છે. આ ઉપરાંત દુનિયામાં 25 લાખથી વધુ બાળકો દર વર્ષે મૃત જન્મે છે.

યુનિસેફના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હેનરીટા એચ. ફોરે જણાવ્યું કે, નવુ વર્ષ અને નવા દાયકાની શરુઆત એ આશાઓ અને અપેક્ષાઓને વ્યક્ત કરવાનો અવસર છે જે ન માત્ર આપણા પણ ભાવી પેઢીઓના ભવિષ્ય માટે પણ છે. દર વર્ષે જાન્યુઆરીમાં અમે પ્રત્યેક બાળકના જીવનની સફરની તમામ સંભાવનાઓની યાદ અપાવે છે.

એક અનુમાન મુજબ વર્ષ 2027 સુધીમાં ભારત જનસંખ્યા મામલે ચીનને પાછળ છોડી દેશે. સંયુક્ત રાષ્ટ્રના અનુમાન અનુસાર, 2019થી 2050ની વચ્ચે ભારતની વસ્તી 27.3 કરોડ વધવાનું અનુમાન છે. આ જ સમયગાળામાં નાઈઝીરિયાના વસ્તીમાં 20 કરોડની વૃદ્ધિ થવાનું અનુમાન છે.

આમ થવા પર આ બંને દેશોની કુલ જનસંખ્યા 2050માં વૈશ્વિક વસ્તીમાં વૃદ્ધિના 23 ટકા હશે. 2019માં ચીનની કુલ જનસંખ્યા 1.43 અબજ અને ભારતની 1.37 અબજ રહી. સૌથી વધુ વસ્તી ધરાવતા આ બંને દેશોએ 2019માં વૈશ્વિક જનસંખ્યામાં ક્રમશ: 19 અને 18 ટકાની ભાગીદારી નોંધાવી.






