Home Blog Page 4953

રાશિ ભવિષ્ય 05/03/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજે તમને કોઈ સારી આશા જન્માવે, તમે પસંદગીના કામમાં સારો સમય પસાર કરો, તમારા પરિચિત સાથે કોઈ લાભની વાત થાય, મુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી અનુભવો, વેપારના કામકાજમાં નવીનતક દેખાઈ શકે છે, યુવાવર્ગને ઉત્સાહ સારો રહે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની શકે છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, મુસાફરી થવાના યોગ છે.


આજે મુસાફરી દરમિયાન તમને ઉત્સાહ જોવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકકે અધ્યાત્મિકવાતમાં રૂચી વધુલો અને કોઈજગ્યાએ ધાર્મિકબાબત પર નાણાનું દાનકે સદ્કાર્ય માટેનું આયોજન પણ કરો, વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો હિતાવહ છે, પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ છે.


આજે વ્યવસાયમાં થોડી વ્યસ્તતા જોવા મળે, સહકર્મચારીનો સહયોગ તમને મળી રહે અને કામપૂરું થયાનો સંતોષ પણ મળે, તમારા કોઈ જુનાઅટકેલા કામકાજમાં સમય ફાળવોતો તેમાં પણ કામ આગળ ચાલવાની શક્યતા રહે, બજારના કામમાં આકસ્મિકલાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક કોઈ વાત બની શકે.


આજે અચાનક તમને કોઈ સારી તક દેખાય અને તમે ખુશી અનુભવો, આજના દિવસમાં તમારામાં ધીરજનો થોડો અભાવ દેખાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે કોઈ અઘરો વિષય શીખવામાં વધુ સમય ફાળવાયતો તે વિષયમાં આવડત વધી શકે છે, વેપારમાં નવું જાણવાનું મળવાથી ખુશી અનુભવાય.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે કેમકે તમને નાનીનાની વાતમાં ગુસ્સો આવે અને તેની અસર તમારી સાથેના અન્ય લોકો પર પડે જેથી ક્યાંક મનદુઃખના થાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં કોઈપણ પ્રકારનું મોટું જોખમના કરવું, પ્રિયજન સાથે ગેરસમજના થાય માટે શાંતિથી વાર્તાલાપ કરવી.


આજે તમને કોઈપણ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેની અસર તમારા કામ અને અન્ય લોકો સાથેના વ્યવહાર પર પડે, તમે આજે ઉદાર અને સહયોગી વૃત્તિવાળા બનો. વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ સારો દેખાય. યુવાવર્ગ માટે પસંદગીના કામ થાય તેવા સંજોગો પણ બની શકે છે.


તમારી વાણીનો પ્રભાવ અન્ય પર સારો પડે અને તમે તમારા શબ્દો વડે તમારી વાતને કોઈની આગળ સારી રીતે રજુ કરી શકો, કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય તેવું પણ બની શકે છે, પરિચિત સાથેની મિલનમુલાકાત તમને યાદગાર બની શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે સગાસ્નેહી સાથે ક્યાંક લાભની વાત આપલે થઇ શકે તેમજ કોઈની સાથે જુના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક પણ મળી શકે છે, વેપારના કામકાજમાં થોડી હિંમત અને અનુભવના ઉપયોગથી સારું કામ થઈ શકે છે, વ્યસ્તતા વચ્ચે પણ કામમાં ઉત્સાહ રહે અને અન્યનો સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે


આજે કોઈ જૂનીવાતને યાદ આવવાથી મન થોડું અશાંત રહે, ખટપટકરનાર વ્યક્તિથી દુર રહેવું યોગ્ય છે, નજીકના સગાસંબંધી સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ નાપસંદ વાત સાંભળવાથી માનસિકઅશાંતિની લાગણી અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું સલાહ ભર્યું છે.


આજે તમારી લાગણી અને તમારા ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થઇ શકે છે, તમારા અનુભવ અને માર્ગદર્શનનો લાભ અન્યના સારા હિતમાં આપો તેવું પણ બની શકે છે, વેપારના કામકાજમાં લાભની વાત બની શકે છે, પ્રિયજન તરફથી સારો પ્રતિસાદ મળવાથી સારી ખુશી અનુભવાય.


જાહેરજીવનના કાર્યમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામમાં અન્યનો સાથ સહકાર મળતા તમે કામ બાબતે સારા ઉત્સાહી બનો, ભાગીદાર,પત્ની સાથે કોઈ અગત્યની વાર્તાલાપમાં પણ તમને સારો પ્રતિભાવ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક પ્રસંગના એંધાણ મળે.

પંચાંગ તા. 05/03/2020

કેન્દ્રીય કેબિનેટે બેન્કોના વિલીનીકરણને મંજૂરી આપી

નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે 10 સરકારી બેન્કોના વિલીનીકરણ કરીને ચાર મોટી બેન્ક બનાવવા માટે મંજૂરી આપી દીધી છે,એમ નાણાપ્રધાન નિર્મલા સીતારામને આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે બેન્કો પહેલી એપ્રિલથી આ મર્જર માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. તેમણે કહ્યું હતું કે આ વિલીનીકરણથી બેન્કોના કોર બેન્કિંગની ઓપરેશન્સને કોઈ અસર નહીં થાય.

દેશની સૌથી મોટી બીજી બેન્ક PNB યોજના પ્રમાણે યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા તથા ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સનું પંજાબ નેશનલ બેન્કમાં વિલીનીકરણ થશે. જે દેશની સૌથી મોટી સરકારી બેન્ક બનશે

આ બેન્કોનું વિલીનીકરણ

વિલીનીકરણ એક

પંજાબ નેશનલ બેન્ક, ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા (બીજી સૌથી મોટી બેન્ક, વેપાર- રૂ. 17.95 લાખ કરોડ)

વિલીનીકરણ 2

કેનેરા બેન્ક અને સિન્ડિકેટ બેન્ક (ચોથી સૌથી મોટી બેન્ક, વેપાર રૂ. 15.20 લાખ કરોડ)

વિલીનીકરણ 3

યુનિયન બેન્ક, આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્ક (પાંચમી સૌથી મોટી બેન્ક, વેપાર- રૂ. 14.46 લાખ કરોડ)

વિલીનીકરણ ચાર

ઇન્ડિયન બેન્ક, અલાહાબાદ બેન્ક અને કોર્પોરેશન બેન્ક, (સાતમી મોટી બેંક, વેપાર- રૂ. 8.08 લાખ કરોડ)

આ 10 બેન્કોના વિલીનીકરણથી વિશ્વ સ્તરની બેન્ક બનાવવાનો સરકારનો ઉદ્દેશ છે.

 

રહી રહીને રાહુલ નીકળ્યા તોફાનગ્રસ્ત વિસ્તારની મુલાકાતે!

નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમની સાથે કોંગ્રેસના અધીર રંજન અને વેણી ગોપાલ સહિત અનેક વરિષ્ઠ નેતાઓ સામેલ હતા. રાહુલ ગાંધીએ તોફાનગ્રસ્ત વિસ્તારોમાં લોકો સાથે વાતચીત કરી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી. દિલ્હીના ઉત્તર-પૂર્વના જિલ્લાઓમાં તોફાનો પછી જનજીવન પૂર્વવત થઈ રહ્યું છે. દિલ્હી હિંસામાં ઘણું મોટું નુકસાન થઈ ચૂક્યું છે. આ હિંસામાં અત્યાર સુધી 50 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.

રાહુલ ગાંધીએ વ્રજપુર વિસ્તારની મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધીએ વ્રજપુરની અરુણ મોર્ડન પબ્લિક સ્કૂલની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં તોફાનો દરમ્યાન સ્કૂલને બાળી નાખવામાં આવી હતી.

રાહુલ ગાંધીએ ભાજપને આડે હાથ લીધો

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સ્કૂલોમાં તો હિન્દુસ્તાનનું ભવિષ્ય છે. તેમણે ભાજપ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે આનાથી ભારત માતાનું ભલું થવાનું નથી. હિન્દુસ્તાનને વહેંચવામાં આવી રહ્યું છે. નફરત અને હિંસા પ્રગતિનું દુશ્મન છે. તેમણે કહ્યું હતું કે હિન્દુસ્તાનને જોડીને પણ આગળ વધી શકાય છે. તેમણે કહ્યું હતું કે દેશની રાજધાની દિલ્હીમાં તોફાનોથી વિશ્વમાં એની છબિ ખરાબ થઈ છે.

મૌન રાખીને શ્રદ્ધાંજલિ

ચેરમેન એડવોકેટ સુનીલ કુમારે જણાવ્યું હતું કે આ બેઠકમાં પહેલાં ઉત્તર-પૂર્વમાં થયેલાં તોફાનોમાં માર્યા ગયેલા લોકોને મૌન રાખીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. તેમણે કહ્યું હતું કે તોફાનોમાં અસરગ્રસ્તોને મફત કાનૂની સલાહ અને સહાયતા કરવામાં આવશે.

કોંગ્રેસે હેલ્પલાઇન નંબર જારી કર્યો

કોંગ્રેસ દ્વારા પીડિત લોકોની સહાયત માટે વોટ્સએપ નંબર 7042793948 જારી કરવામાં આવ્યો હતો.

નિર્ભયા કેસઃ પવન ગુપ્તાની દયા અરજી ય ફગાવાઇ

નવી દિલ્હીઃ નિર્ભયાના ચારેય દોષિતો પૈકી એક પવન કુમાર ગુપ્તાની પણ દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી છે. ત્યારે ફાંસીથી બચવાનો તેનો અંતિમ વિકલ્પ પણ ખતમ થઈ ગયો છે. આ સાથે જ રાષ્ટ્રપતિ દ્વારા નિર્ભયાના તમામ દોષિતોની દયા અરજી ફગાવી દેવામાં આવી છે. ફાંસીથી રાહત મેળવવા માટે પવન પાસે માત્ર દયા અરજીને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો જ વિકલ્પ બચ્યો છે.

આ પહેલા દિલ્હીમાં સત્તારુઢ આમ આદમી પાર્ટીની સરકારે સોમવારના રોજ દોષિત પવનની દયા અરજી ફગાવી દીધી છે. બાદમાં પવન ગુપ્તાની આ દયા અરજી રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવી હતી. બાદમાં રાષ્ટ્રપતિ ભવનમાંથી આને દિલ્હી સરકાર પાસે મોકલવામાં આવી હતી. દિલ્હી સરકારે આ મામલે તિહાડ જેલ મેનેજમેન્ટ પાસેથી મળેલી જાણકારી પર વિચાર વિમર્શ બાદ અરજી ફગાવી દીધી હતી.

આ સાથે જ ફાઈલ ઉપરાજ્યપાલ અનિલ બૈજલ પાસે મોકલી દેવામાં આવી. એલજીએ પણ સરકારના નિર્ણય પર મહોર મારી દયા અરજી ગૃહમંત્રાલયને મોકલી આપી હતી. બાદમાં આ દયા અરજી રાષ્ટ્રપતિ પાસે હતી જેને રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે.

પટિયાલા હાઉસ કોર્ટ પહેલેથી નિર્ભયાના દોષિતો પવન અને અક્ષયની અરજી ફગાવી ચૂક્યા છે અને ડેથ વોરન્ટ પર રોક લગાવવા પર કોર્ટ ઈન્કાર કરી ચૂકી છે. પવન ઉપરાંત બાકીના ત્રણ દોષિત મુકેશ, અક્ષય, અને વિનયની ક્યુરેટિવ અરજી પહેલેથી સુપ્રીમ કોર્ટ ફગાવી ચૂકી છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ પણ તેમની દયા અરજી ફગાવી ચૂક્યા છે.

અજબગજબ કેસઃ હત્યાની સજા ભોગવ્યા પછી પત્નિ તો જીવતી નીકળી!!

ઓડિશા: કેન્દ્રપાડામાં એક એવી ઘટના સામે આવી છે જેને સૌ કોઈને ચોંકાવી દીધા છે. 2013માં પત્નીની હત્યાના કેસમાં જેલની સજા ભોગવી ચૂકેલા પતિએ 7 વર્ષ પછી પોલીસની મદદથી તેમની પત્નીને શોધી કાઢી. તેમની પત્ની અને તેનો પ્રેમી સાથે મળી આવ્યા આ સાથે જ નકલી કેસનો ખુલાસો પણ થયો. મીડિયા રિપોર્ટ અનુસાર અભય સુતારએ 7 ફેબ્રુઆરી 2013ના રોજ ઈતિશ્રી મોહરાના સાથે લગ્ન કર્યા. અભય કેન્દ્રપાડાના ચુલિયા ગામનો રહેવાસી છે. કથિત રીતે, ઈતિશ્રીને અભય સાથે લગ્ન કરવા માટે મજબૂર કરવામાં આવી હતી.

લગ્નના બે મહિના પછી ઈતિશ્રી ગાયબ થઈ ગઈ અને અભયે પોલીસની સંપર્ક કર્યો. 20 એપ્રિલ 2013ના રોજ અભય પટકુરા પોલીસ પાસે તેમની પત્નીની ગુમ થઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાવી. 14 મે 2013ના રોજ ઈતિશ્રીના પિતા પ્રહલાદ મોહરાનાએ અભય વિરુદ્ધ એક ફરિયાદ નોંધાવી જેમાં તેનો આરોપ હતો કે અભયે તેમની પુત્રીને દહેજ માટે પ્રતાડિત કરી હતી. તેમની ફરિયાદમાં પ્રહલાદે દાવો કર્યો હતો કે, અભયે તેમની પુત્રીને મારી નાખી અને તેમના મૃતદેહને ફેંકી દીધો.

પિતા પ્રહલાદની ફરિયાદ બાદ પોલીસે અભયની ધરપકડ કરી હતી. એક મહિના પછી અભયને જામીન પર છૂટકારો મળ્યો. તેણે તેની પત્નીની શોધ શરૂ કરી કારણ કે તેને શંકા હતી કે તેની પત્ની ભાગી ગઈ છે. અભય તેની પત્ની વિશેની માહિતી એકત્રિત કરવામાં સફળ રહ્યો અને ખબર પડી કે તે પીપળીમાં તેના બોયફ્રેન્ડ સાથે રહે છે. ઇતિશ્રી અંગે જાણકારી મેળવ્યા પછી અભયે પોલીસને ફોન કરીને જાણ કરી. પોલીસે અભયને લઈને પીપળી પહોંચી અને બોયફ્રેન્ડ સાથે ઇતિશ્રીની ધરપકડ કરી લીધી. ઈતિશ્રીના પ્રેમીની ઓળખ રાજીવ લોચન મોહરાના તરીકે થઈ છે.

પટકુરા પોલીસના એક વરિષ્ઠ અધિકારી સુજિત પ્રધાને જણાવ્યું કે, “સોમવારે બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ઇતિશ્રીએ પોતાના નિવેદનમાં કહ્યું કે તે લગ્ન પહેલા રાજીવ સાથે અફેરમાં હતી. પરંતુ તેના માતા પિતા તેને અભય સાથે લગ્ન કરવા મજબૂર કરી હતી.

તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, ઈતિશ્રી અને રાજીવ ભાગીને ગુજરાત જતા રહ્યા હતા અને લગભગ સાત વર્ષ સુધી તેઓ અહીં રહ્યા હતા. હાલમાં જ આ બંને પ્રેમી પંખીડા ઓડિશા પરત ફર્યા હતા. ઈતિશ્રી અને રાજીવને બે બાળકો પણ છે.

ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગર સહિત સાત દોષિત

નવી દિલ્હીઃ ઉન્નાવ રેપ બળાત્કારની પીડિતાના પિતાની હત્યા મામલામાં દિલ્હીની તીસ હજારી કોર્ટે પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગર સહિત સાત અન્યને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ મામલામાં ચારને નિર્દોષ છોડવામાં આવ્યા હતા. બુધવારે નિર્ણય આપતા કોર્ટે કહ્યુ કે, જે રીતે પીડિતાના પિતાની હત્યા કરવામાં આવી તે ખૂબ જઘન્ય છે.પોલીસ કસ્ટડીમાં પીડિતાના પિતાનું મોત થયું હતું. કોર્ટ 12 માર્ચના રોજ આ મામલામાં ફરી સુનાવણી કરશે.

કોર્ટે કુલદીપ સેંગરને ગુનાહિત કાવતરુ કરવાના કેસમાં દોષિત ઠેરવાયા હતા. નિર્ણય સંભળાવતા કોર્ટના જજે કહ્યું કે આ મારી લાઇફનો સૌથી પડકારરૂપ ટ્રાયલ હતું. જસ્ટિસે સીબીઆઇ અને પીડિતના વકીલની પણ પ્રશંસા કરી હતી. કોર્ટે આ અગાઉ 29 ફેબ્રુઆરીના રોજ આ મામલામાં સુનાવણી કરી હતી અને નિર્ણય માટે ચાર માર્ચની તારીખ નક્કી કરી હતી.

આ કેસમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર, કામતા પ્રસાદ (સબ ઇન્સ્પેક્ટર), અશોક સિંહ ભદૌરિયા, વિનીત મિશ્રા ઉર્ફ વિનય મિશ્રા, બીરેન્દ્ર સિંહ ઉર્ફ બઉવા સિંહ, શશિ પ્રતાપ સિંહ ઉર્ફ સુમન સિંહ અને જયદીપ સિંહ ઉર્ફ અતુલ સિંહને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. શૈલેન્દ્ર સિંહ, રામશરણ સિંહ, અમીર ખાન, કોન્સ્ટેબલ અને શરદવીર સિંહને કોર્ટે નિર્દોષ છોડ્યા હતા.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ  આ કેસને ઉત્તર પ્રદેશ બહાર શિફ્ટ કરી દીધો હતો ત્યારબાદથી તીસ હજારી કોર્ટમાં આ મામલાની સુનાવણી ચાલી રહી હતી. આ કેસમાં પીડિતાના પક્ષથી કુલ 55 લોકોએ સાક્ષી આપી. જ્યારે બચાવ પક્ષ તરફથી ફક્ત નવ સાક્ષીઓ કોર્ટમાં રજૂ થયા હતા.

સીબીઆઈ તરફથી દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું હતું કે, પીડિતાના પિતાને કસ્ટડીમાં ખૂબ જ ખરાબ રીતે મારવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના શરીર પર 18 જગ્યાએ ઈજા થઈ હતી. આ ઘટનાના ચોથા દિવસે 9 એપ્રિલ 2018 ના રોજ પોલીસ કસ્ટડીમાં જ તેમનું મોત થયું હતું. મૃતક પર ખોટો કેસ નોંધવામાં આવ્યો હતો અને આ બધું જ કુલદીપ સેંગરના ઈશારા પર થયું હતું.

કોર્ટે આ મામલે કુલદીપ સેંગર સહિત સાત આરોપીઓને દોષિત માન્યા છે, જ્યારે ચાર લોકોને પૂરાવાના અભાવે છોડી દેવામાં આવ્યા છે. કોર્ટ 12 માર્ચના રોજ ચર્ચા બાદ આ મામલે સજા સંભળાવશે.

અમેરિકા તાલિબાન આગળ કેમ ઘૂંટણિયે પડ્યું છે?

કાબુલઃ આતંકવાદીઓ સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી ક્યારેય નહીં કરવામાં આવેના અમેરિકાના દાવા પોકળ સાબિત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાનના રાજનીતિજ્ઞ પ્રમુખ મુલ્લા બરાદર સાથે 35 મિનિટ ફોન પર વાતચીત કરી હતી. આ એ જ મુલ્લા બરાદર છે, જેણે અફઘાનિસ્તાનમાં હજ્જારો અમેરિકી સૈનિકોનાં મોત માટે જવાબદાર માનવામાં આવે છે. ટ્રમ્પે મુલ્લા બરાદરને વિનંતી કરી હતી કે તે અફગાન શાંતિ વાર્તામાં ભાગ લે. આમ વિશ્વનો હોકીવાળો દાદો અમેરિકા તાલિબાનના નેતાઓ સામે ઘૂંટણિયે પડ્યો છે.

અમેરિકામાં ચૂંટણી પહેલાં ટ્રમ્પનો દાવ ઊંધો પડશે?

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી આ વર્ષે નવેમ્બરમાં યોજાવાની છે અને ડોનાલ્ડ ટ્રમ્પ અફઘાનિસ્તાન મુદ્દે અટવાઇ ગયા છે. ટ્રમ્પને આશા હતી કે આ શાંતિ સંધિ પછી અમેરિકા તેના સૈનિકોને પાછા બોલાવશે, જેથી તેમને ચૂંટણીમાં લાભ થાય, પણ આ દાવ હાલ ઊંધો પડી જાય એવું લાગી રહ્યું છે, કેમ કે પાછલા 24 કલાકમાં અફઘાનિસ્તાનના 16 પ્રાંતોમાં 33 હુમલા કરવામાં આવ્યા છે, જેમાં છ સામાન્ય નાગરિકોનાં મોત થયાં છે. તાલિબાનની સેના પણ કેટલાંક સ્થાનો પર હુમલા કર્યા છે.

અમેરિકા-તાલિબાન સમજૂતી કરાર ઘોંચમાં

અફઘાનિસ્તાનમાં આ તાજી હિંસા પછી ઐતિહાસિક સમજૂતી કરાર પર અસમંજતા છે. અમેરિકા અને તાલિબાનની વચ્ચે બે મુખ્ય મુદ્દે મતભેદો વધી રહ્યા છે. શાંતિ સમજૂતી અનુસાર તાલિબાન અને અફઘાન સરકાર વચ્ચે કાયમી યુદ્ધવિરામ અને સત્તાની વહેંચણી માટે સીધી વાતચીત થશે. જોકે આ બંને મુદ્દાએ તાલિબાન અને અફઘાનિસ્તાન સરકાર વચ્ચે ગંભીર મતભેદો છે. તાલિબાનની માગ છે કે અફઘાનિસ્તાન સરકાર જેલમાં રાખેલા તેના 5000 લડાકુઓને છોડી મૂકે, પણ અફઘાનિસ્તાન સરકારે એ માગ ફગાવી દીધી છે.

તાલિબાન કેદીઓને છોડી મૂકવા મુદ્દે માથાકૂટ

અમેરિકા-તાલિબાનની વચ્ચે સમજૂતીમાં વોશિંગ્ટને વાયદો કર્યો હતો કે તે અફઘાન સરકાર તરફથી જેલમાં રહેલા 5000 તાલિબાની લડાકુઓને છોડી મૂકવા પ્રતિબદ્ધ છે. જોકે 29 ફેબ્રુઆરીએ શાંતિ સમજૂતીમાં કહેવામાં આવ્યું હતું કે અફઘાન સરકાર બંને પક્ષે કેદીઓને છોડવા માટે વાટાઘાટ કરશે. વળી સમજૂતીમાં કેદીઓને છોડાશે એવો કોઈ ઉલ્લેખ નથી કરાયો.

અમેરિકાના આ વાયદા મુદ્દે અફઘાનિસ્તાન સરકારે કહ્યું હતું કે કેદીઓની છોડી મૂકવામાં આવશે, એવો કોઈ વચન નથી અપાયાં. સામે પક્ષે તાલિબાને કહ્યું છે કે જ્યાં સુધી કેદીઓને છોડી મૂકવામાં નહીં આવે ત્યાં સુધી એ વાતચીતમાં ભાગ નહીં લે.

અફઘાન સરકારને સત્તા ખૂંચવી લેવાનો ડર

અફઘાનિસ્તાન સરકારને ડર લાગી રહ્યો છે કે જો આ પાંચ હજાર કેદીઓને છોડી મૂકવામાં આવશે તો તાલિબાન મજબૂત થશે અને તાલિબાનના લડાકુઓ તેમની સત્તા ખૂંચવી લેવા પ્રયત્ન કરશે. એનાથી તાલિબાની સેના મજબૂત થશે. પ્રાપ્ત માહિતી અનુસાર આશરે 10,000 તાલિબાની કેદી અત્યારે અફઘાનિસ્તાનની સરકારની જેલોમાં બંધ છે.

અમેરિકાને આ યુદ્ધનો અધધધ…ખર્ચ

અમેરિકી ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના જણાવ્યા મુજબ અમેરિકાને અફઘાનિસ્તાનમાં (ઓક્ટોબર, 2001થી સપ્ટેમ્બર, 2019 સુધીમાં 822 કરોડ ડોલરનો ખર્ચ થઈ ચૂક્યો છે. આમ અમેરિકા માટે તાલિબાન સાથે સમજૂતી કર્યા સિવાય છૂટકો નથી. અમેરિકાની હાલત હાલ તો સાપે છછૂંદર ગળ્યા જેવી છે.

 

શેફાલી વર્મા બની વિશ્વની નંબર-1 T20I બેટ્સવુમન

સિડની : ભારતની મહિલા ક્રિકેટ ટીમની યુવા સનસનાટી શેફાલી વર્મા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) મહિલાઓની ટ્વેન્ટી ઈન્ટરનેશનલ રેન્કિંગ્સમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે. હાલ રમાઈ રહેલી વર્લ્ડ કપમાં એણે રમેલા ઝમકદાર દાવને કારણે તે આ ટોચનું રેન્કિંગ પ્રાપ્ત કરી શકી છે.

ઓપનર તરીકે રમતી શેફાલી માત્ર 16 વર્ષની જ છે અને એણે 761 પોઈન્ટ્સ મેળવીને ન્યૂઝીલેન્ડની સુઝી બેટ્સને પાછળ રાખી દીધી છે, જે 2018ના ઓક્ટોબરથી ટોપ પર હતી. સુઝીના 750 પોઈન્ટ્સ છે.

શેફાલી પહેલા નંબર પર છે અને એની પછીના ચાર નંબરે આ ખેલાડીઓ છે – સુઝી બેટ્સ (ન્યૂઝીલેન્ડ), બેથ મૂની (ઓસ્ટ્રેલિયા), સોફી ડીવાઈન (ન્યૂઝીલેન્ડ) અને મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા).

ભારતીય ટીમની અન્ય ઓપનર સ્મૃતિ મંધાના જોકે બે નંબર નીચે ઉતરી ગઈ છે અને નવી યાદીમાં એ છઠ્ઠા નંબર પર છે.

ભારતની અન્ય સ્ટાર બેટ્સવુમન જેમિમા રોડ્રિગ્સને પણ બે સ્થાનનું નુકસાન ગયું છે. એ સાતમા નંબર પરથી 9મા નંબર પર નીચે ઉતરી ગઈ છે.

શેફાલી વર્મા એની વિસ્ફોટક બેટિંગને કારણે ઝડપથી ખ્યાતનામ થઈ ગઈ છે. એણે ચાર દાવમાં જ 161 રન ઝૂડી કાઢ્યા છે. એમાં શ્રીલંકા સામે 47 રન અને ન્યૂઝીલેન્ડ સામે 46 રનના દાવનો સમાવેશ થાય છે.

મહિલાઓનાં T20I રેન્કિંગ્સમાં ટોચના સ્થાને પહોંચનાર શેફાલી ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજ પછી માત્ર બીજી જ ભારતીય બેટ્સવુમન બની છે.

બોલરોના રેન્કિંગ્સમાં, ઈંગ્લેન્ડની સ્પિનર સોફી એક્લીસ્ટન પહેલા નંબર પર છે. વર્તમાન ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં એ અત્યાર સુધીમાં 8 વિકેટ લઈ ચૂકી છે.

વર્તમાન ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં ગુરુવારે ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થવાનો છે. આ મેચ સેમી ફાઈનલ છે.

બોલરોની યાદીમાં, ભારતની દિપ્તી શર્મા અને રાધા યાદવને નુકસાન ગયું છે. આ બંને જણ અનુક્રમે પાંચમા અને સાતમા નંબર પર નીચે ઉતરી ગઈ છે. લેગસ્પિનર પૂનમ યાદવે ચાર સ્થાનની છલાંગ લગાવી છે અને તે હાલ આઠમા સ્થાને છે.